આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
May 4, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.
કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.
વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.
આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.
વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .
ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .
– ગૌરાંગ ઠાકર
ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.
સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.
Permalink
May 3, 2019 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?
લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !
એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !
મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !
– કિરણસિંહ ચૌહાણ
મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.
Permalink
May 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(મનહર)
સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!
– દેવેન્દ્ર દવે
દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.
Permalink
May 1, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.
કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.
પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.
– અનિલ ચાવડા
Permalink
April 30, 2019 at 3:31 AM by તીર્થેશ · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ
જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.
જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.
– કિરીટ ગોસ્વામી
એક ચોક્કસ હેતુથી આ રરચના મૂકી છે – કવિ તો પોતાની સ્ફૂરણાને આધારે કાવ્ય કરે છે, કવિ સામાન્ય રીતે પોતાની વાતને logic ના ત્રાજવે જોખતો નથી હોતો, પણ મારુ સડેલું મગજ logic સિવાય કશું સમજતું નથી…..હું સ્વભાવે પ્રશ્નકર્તા છું – મને તરત સવાલ થાય કે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુના આરે ઊભેલા કેદીને આવી ફીલિંગ થતી હશે ખરી ? ન્યુઝીલેન્ડમાં બંદૂકધારી ગોળી વરસાવતો હોય ત્યારે તે મસ્જિદમાં હાજર વ્યક્તિને આ લાગણી થઇ શકે ??
Life is never fair……
Permalink
April 27, 2019 at 1:30 AM by વિવેક · Filed under ગીત, મેરી એલિઝાબેથ ફ્રે, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.
– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)
કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરીએ.
પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.
Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye
Permalink
April 26, 2019 at 12:30 AM by વિવેક · Filed under કિશોર બારોટ, ગીત
એને મન સહુ ડેલી સરખી, ના દવલી ના વહાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.
કોઈને આખો ફાગણ આપી મહેકાવી દે શ્વાસ,
કોઈને કાળું માતમ આપી, છીનવી લે અજવાસ,
કોઈની આંખે આંસુ મૂકે, કોઈની ગાલે લાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.
પીડા-સપનાં-હરખ-દિલાસા-ઉઘરાણી ને જાસા,
એના થેલે વિધવિધ રંગી ભરચક કૈં ચામાસાં,
ક્યાંક તમાચો થઈને વરસે ક્યાંક હુંફાળી તાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.
પત્રોના રેશમ દોરા લઈ ગલીએ ગલીએ ફરતો,
સંવેદનના વેલબુટ્ટાઓ હૈયે હૈયે ભરતો,
પછી સોયની માફક વચ્ચેથીખસતો, થઈ ખાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.
– કિશોર બારોટ
હવે તો જો કે ટપાલ અને ટપાલી -બંનેનો એકડો લગભગ નીકળી જવા પર છે પણ અલી ડોસા અને મરિયમની વાર્તા લખવામાં ધૂમકેતુને જીવન સાર્થક થયું લાગ્યું હોય એવા સમય અને એવા કોઈક ગામડાના ટપાલીની આ વાત છે. ગીતની પહેલી જ પંક્તિમાં ટપાલીની તટસ્થતા કવિએ બખૂબી ઉપસાવી આપી છે. આખું ગીત સંઘેડાઉતાર છે અને કોઈ ટિપ્પણીનું મહોતાજ નથી. એને એમ જ માણીએ.. ગીત વાંચતાવેંત જ નિદા ફાઝલીનો આ અમર દોહો પણ તરત જ યાદ આવે:
सीधा-साधा डाकिया जादू करे महान
एक ही थैले में भरे आँसू और मुस्कान
Permalink
April 25, 2019 at 1:38 AM by વિવેક · Filed under પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, બાળકાવ્ય
. હજુ તો નાનાં બાળ અમે સૌ,
. નાખે કેવો ભાર અરે! સૌ.
આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
. સમજો થોડી વાત તમે સૌ
. હજુ તો નાના બાળ અમે સૌ.
શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
. છો ને કાઢો આંખ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ
ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
. સંભાળો આ બાગ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર બાળગીતો મૂકવાનું ઓછું જ થાય છે પણ આ ગીત તો વાંચતાવેંત મન પર કબજો કરી બેઠું. એકદમ બાળસહજ ભાષા અને અનવરત પ્રવાહી લયવાળું આ ગીત આપના ઘરમાં બાળકો હોય તો જરૂર ગાઈને સંભળાવજો…
Permalink
April 24, 2019 at 3:48 AM by તીર્થેશ · Filed under ગીત, સુરેશ દલાલ
જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….
દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….
વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….
– સુરેશ દલાલ
Permalink
April 24, 2019 at 3:40 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં
પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં
કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં
ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં
કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં
કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં
નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં
-મનોજ ખંડેરિયા
Permalink
April 20, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ હિંગુ
ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।
એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।
ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।
મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।
હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।
– રાજેશ હિંગુ
કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?
આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..
Permalink
April 19, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરીશ મીનાશ્રુ
દિલ્લી પુરાની, યે બલ્લીમારાન, એની ભીતર કાસિમ જાન શેરીએ
ખાટલીમાં ખાંસે છે અસદુલ્લાખાન, જીવ એનો ઝુલે હાફૂસ કેરીએ
મિર્જા, આદાબ અર્જ, સુનિયોજી સંદેસા:
આંબે આવ્યા છે રૂડા મ્હોર
ખાતે રહોગે જો કેરિયાં તો એક રોજ
હોગા અંદાજે બયાં ઓર
પેન્સન કે કાગજાત આયે ક્યા, ડાકિયાજી, આગે ક્યોં ચલ દિયે, ઠૈરિએ
જાને દો યાર: કહી માંડ્યો જુગાર ફરી ચાંદની તે ચોકના ઝવેરીએ
ખસની ટટ્ટીને કોઈ પાણી છાંટો કે
ગળું ક્યારનું સુકાય છે પિયાસથી
છેડી હૈ બૂઢે ફકીરને ગઝલ વહી
જિસકી કાપી ન મેરે પાસ થી
શબનમની જેમ હવે ઊડવા દો શેર મારા, અબ ક્યા બટોરિયે બિખેરિએ
મૈલી તો મૈલી, યે ઊતરી કમીજ હૈ ફરિશ્તોં કી, ઉમ્મરભર પહેરીએ
કહાંકી રૂબાઈ, કહાંકી ગઝલ:
ઇસ્લાહ માટે કોઈ નથી આવતું
કબકી ખૂલી હૈ દુકાનેં કબાબીઓંકી
તોય નથી કોઈ કશું લાવતું
અબ તો યે માસૂમ સે પંછી શાગિર્દ રહે, – દાણા કબૂતરાંને વેરીએ
બંધ હોય મસ્જિદે જામા તો તસ્બી કો મયખાને જા કે હી ફેરીએ
શીરીં જુબાન મેરી ખુસરોં કે લફ્ઝોં સે
કડવી આ કર્જાની ડાયરી
લેણદાર ખેલે છે હિકમત, હકીમ માનોં
કરતે હૈં માતમ કી શાયરી
કાસદ, પહોંચાડી દે આખરી કલામ હવે અલ્લા રસૂલની કચેરીએ
દિલવા દે ડૂબતે કો બોતલ શરાબકી તો બોલેગા વો કિ ચલો તૈરીએ
કોઈ તો ચૂકાયેગા ગાલિબને પી થી વો
રેખતાની પ્યાલીનું દેણું
અલ્લા ઉધાર દે તો ચૂકવું: મરીઝ કોને
મારે ગુજરાતીમાં મહેણું
હોતા નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા મોહબતમાં રિન્દોની દેરીએ
કાફિયા રદીફની કરવતથી કાફરનું નામ લઈ જીવતરને વ્હેરીએ
– હરીશ મીનાશ્રુ
વિશિષ્ટ પ્રકારની ગીતરચના. કવિએ ગાલિબના સમયને કવિતામાં જીવતો કર્યો છે. ગુજરાતી, ઉર્દૂ, ખડી બોલી, દેસી –એમ ભાષાઓની ખીચડી એ રીતે બનાવી છે કે એકમાંથી બીજી બોલીમાં ક્યારે સરી જવાય એની ખબર પણ પડતી નથી. જૂની દિલ્હીમાં ચાંદની ચોકના બલ્લીમારાન વિસ્તારમાં આવેલી કાસિમ જાન શેરીમાં રહેતા મિર્ઝા અસદુલ્લાખાન ગાલિબને કવિ બખૂબી તત્કાલિન અને સાંપ્રત સંદર્ભોને તાનાવાણાની જેમ સાંકળી લઈ પેશ કરે છે. હાફૂસ કેરી માટેની દિવાનગી, પેન્શનની પ્રતીક્ષા, ચોપાટની રમત, દેવાના ડુંગરા, શરાબખોરી, કાફિરપણું – ગાલિબના સ્વભાવની લાક્ષણિકતા એક તરફ આપણને જોવા મળે છે તો બીજી તરફ ગાલિબના પ્રખ્યાત શેરોની ઝલક –અંદાજે બયાં ઓર, કાસદ, નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા વગેરે રજૂ થઈ છે. ગાલિબનું ગીત ગુજરાતના ગાલિબ મરીઝના વિખ્યાત શેર ‘ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે’ સુધી આવીને ખતમ થાય છે. ક્યાંક ક્યાંક કૃતકતા નજરે ચડી આવે છે, એ બાદ કરતાં આ નવતર પ્રયોગ સર્વાંગ આસ્વાદ્ય થયો છે.
Permalink
April 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ ઉપાધ્યાય
આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!
– જગદીપ ઉપાધ્યાય
કવિતાને વિષયનો છોછ નથી. મહાભારતમાં ભાઈઓને મૃત્યુના અંકમાંથી બચાવવા માટે યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે, એ સવાલો યક્ષપ્રશ્નો તરીકે મશહૂર છે. કવિ જગદીપ યક્ષ અને પોતાની વચ્ચે સંવાદ-સ્વરૂપે આ પ્રશ્નોને આધુનિક સ્પર્શ આપીને રજૂ કરે છે. લાંબી બહેરની આ ગઝલ સાદ્યંત આસ્વાદ્ય થઈ છે. ભાષાકર્મ વધુ પ્રવાહી થયું હોત તો સોનામાં સુગંધ ભળત.
Permalink
April 16, 2019 at 10:20 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
અંતરથી ઉપડી રે હેડકી
તાલાવેલીનું કોઈ તાગે ના તળ
એવી માંહ્ય માંહ્ય ઉમટે ઉફૈડકી
અધખીલી કળી માથે ફૂદું મંડરાય
એમ આવે – જાય મળવાના મોકા
સાંભળું ને પારખું ત્યાં જાતા વિલાઈ
દૂર વગડામાં હીરકચા ટૌકા
અડધી મિચાય આંખ એજ ઘડી
પાંપણમાં ખૂંચે પગરખાંની ચૈડકી
અંતરથી ઉપડી રે હેડકી
ઝાડવાંને હોય એની ભોં પર ભરોસો
‘ને પાંદડાંને વ્હાલ હોય શાખ પર
એને જોઈ મારામાં ઊગે ને આથમે રે
કંઈ કંઈ વરતારાઓ રાતભર
કહીએ કહીએ રે તોય માને ના કોઈ
એવી કામનાઓ થઈ બેઠી તેડકી
અંતરથી ઉપડી રે હેડકી
-સંજુ વાળા
કલ્પનો તો મૌલિક છે જ, પરંતુ અમુક શબ્દો પણ તદ્દન નવા છે – જેમ કે ઉફૈડકી, પગરખાંની ચૈડકી……કવિસહજ છૂટછાટનો ચતુર ઉપયોગ કઠતો નથી,રસવૃદ્ધિ કરે છે….
Permalink
April 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, એમર્જિન, ગીત, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
. હું, પવન દરિયા પર,
. હું, ઊછળતું મોજું,
. હું, દરિયાનું ગર્જન,
. હું, સાતેય પલટન,
. હું, ઉર્ધ્વમુખી હરણું,
. હું, પહાડી બાજ,
. હું સૂર્યનો ઝબકારો,
. હું, ભૂલભૂલૈયે કિરણ,
. હું, ધસતું જંગલી સૂવર,
. હું, નદીની સાલમન,
. હું, તળાવ મેદાની,
. હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
. કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
. કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
. કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
. કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!
– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
*
દુનિયાનો સૌથી નાનો છતાં સૌથી વજનદાર શબ્દ કયો?
‘હું’ – ‘I’ – ‘मैं’ – બરાબર ને?
આ ‘હું’કાર ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે આ અહમ્ – ‘હું’કાર! એ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ એમર્જિન ના મોઢે આ ‘ૐ’કાર સાંભળીએ…
આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે.
કવિતાનો વિગતવાર આસ્વાદ માણવા અહીં પધારવા વિનંતી છે.
*
First Triumph-Song
. I, the Wind at Sea,
. I, the rolling Billow,
. I, the roar of Ocean,
. I, the seven Cohorts,
. I, the Ox upholding,
. I, the rock-borne Osprey,
. I, the flash of Sunlight,
. I, the Ray in Mazes,
. I, the rushing Wild Boar,
. I, the river-Salmon,
. I, the Lake o’er plains,
. I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
. Who can lead to falling waters ?
. Who can tell the white Moon’s ages ?
. Who can draw the deep sea fishes ?
. Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !
– Amergin
(Eng Trans.: George Sigerson)
Permalink
April 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી
એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી
માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી
હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી
થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી
– મયંક ઓઝા
નખશિખ સો ટચનું સોનું. આવી ગઝલ આજકાલ જવલ્લે જ હાથ ચડે છે. એક-એક શેર અદભુત. એક-એક શેર વિશાળ ભાવવિશ્વ લઈને આવ્યો છે…
Permalink
April 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું?
બેઉનું એક હોય સરનામું,
તું અહીં આવ કે હું ત્યાં આવું!
આ હથેળી ઉપરથી વાંચી દે,
કઈ દિશામાં હું હાથ લંબાવું?
એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,
માર્ગમાં એને કેમ અટકાવું?
તારી સમજણની હદમાં ઊભો છું,
હું તને શું નવીન સમજાવું?
– ભરત વિંઝુડા
ભરત વિંઝુડા ગઝલકારોની સહજ ભીડથી અલગ રહીને ગઝલ લખતા અને ગઝલપાઠ કરતા કવિ છે. એમની રચનાઓ બહુધા સરળ છેતરામણી હોય છે. એમની ગઝલો સ્કુબા ડાઇવિંગ કરતાં વધુ સ્નોરકેલિંગનો અનુભવ કરાવતી અનુભવાય પણ આ એવું સ્નોરકેલિંગ છે જેમાં મોતી હાથ લાગવાની સંભાવના સ્કુબા કરતાં વધુ રહેલી છે. સુરતના કવિમિત્ર ડૉ. હરીશ ઠક્કર કવિ શ્રી ભરત વિંઝુડાની અત્યાર સુધીના ગઝલોમાંથી વીણી વીણીને પસંદગીની ગઝલોનો રસથાળ –એક સુખ નીકળ્યું કવિતાનું– માં લઈને આવ્યા છે…. લયસ્તરોના આંગણે આ સંપાદનનું સહજ સ્વાગત છે.
Permalink
April 9, 2019 at 9:18 AM by તીર્થેશ · Filed under ગઝલ, હિરેન ગઢવી
તુજથી મળેલ ખૂણે મસ્તી વધી રહી છે,
જાણે બધે’જ ખૂણે મસ્તી વધી રહી છે !
વરસાવતી’તી આંસુ તારા ગયા પછી જે,
મોસમના તે જ ખૂણે મસ્તી વધી રહી છે.
દેખાતું કંઈ નથી પણ મહેસૂસ થઈ રહ્યું છે,
અણકથ, અભેદ ખૂણે મસ્તી વધી રહી છે.
ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.
ઊગ્યા હતા ભરમ જ્યાં, દાટી હતી જ્યાં દ્રષ્ટિ,
સમજણના એ જ ખૂણે મસ્તી વધી રહી છે !
સઘળા અચેત ખૂણા છે દંગ આ નિહાળી,
ચિત્તના સચેત ખૂણે મસ્તી વધી રહી છે !
ધિક્કાર વેઠી જગના ભેટી પડ્યો સ્વયંને,
છેવટ દરેક ખૂણે મસ્તી વધી રહી છે.
– હિરેન ગઢવી
કાવ્યનો આસ્વાદ મિલિન્દ ગઢવીના શબ્દોમાં –
મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમારા મતે સારી કવિતા કઈ? અને હું કહું કે જેને વાંચીને એમ થાય કે – આ મેં લખી હોત તો – એ કવિતા સારી. અને ક્યારેક એવું પણ બને કે કવિતા વાંચતી કે સાંભળતી વખતે એનામાં ઓગળીએ, એકાદ પંક્તિ સાથે રીતસર પ્રેમમાં પડી જઈએ. ત્યારે પછી મૂલ્યાંકનમાં ય પડવા જેવી ઈચ્છા ન રહે. એના કલાસંદર્ભ કે કાવ્યકૌશલને પણ બાજુએ મૂકીને, એની સાથે જોડાયેલા આપણા મનન કે ચિંતન ને પણ કોરાણે મૂકીને એને મમળાવતા રહેવાની ઈચ્છા થયા કરે. એ કવિતા ઉત્તમ.
ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.
આ શેર વાંચું છું, ફરીફરીને વાંચું છું અને અંતરના ખૂણે મસ્તીને વધતી જોઉં છું. પછી આના સંદર્ભે ‘મારો એક શેર યાદ આવી ગયો’ એમ કરીને પોતાપણું ઠાલવીએ કે પછી એકાદ શબ્દ પકડીને મેળ વગરના context ઊભા કરીએ ને કહીએ કે ‘જવાહર બક્ષી યાદ આવી ગયા’ ત્યારે આ મસ્તી ચૂકી જવાય. અને કવિતા ચૂકી જવા માટે નહીં, ચોંકી જવા માટે હોય છે.
-મિલિન્દ ગઢવી
[ મને મત્લો બરાબર ન સમજાયો જો કે…. ]
Permalink
April 6, 2019 at 6:01 AM by વિવેક · Filed under ગઝલ, નઝીર ભાતરી
હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ,
છું હું નશામાં ચૂર અને બેકરાર પણ.
હું કાંઈ પણ ન હોઉં તો કંઈએ નહીં રહું,
તું કાંઈ પણ નથી અને પરવરદિગાર પણ !
છે ઈન્તઝાર એમાં દિવસ શું ને રાત શું ?
છે રાત પણ દિવસ પણ અને ઈન્તઝાર પણ !
સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં ?
પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ !
તારા હરીફ ક્યાંથી ભલા કોઈ હોઈ શકે ?
તું યાદ આવનાર ને ભૂલી જનાર પણ.
જ્યાં ત્યાં પ્રકાશ એનો નહિતર ન વેડફે,
સૂરજના માર્ગમાં શું હશે અંધકાર પણ ?
જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે,
દુઃખ દઈ ગયો મને તો ‘નઝીર’! એ વિચાર પણ.
– ‘નઝીર’ ભાતરી
પરંપરાના શાયરની કલમે અદભુત રચના… પાનખરને પોષવાની અને વસંતને નિભાવી લેવાની વાત કરતો શેર તો ઉત્તમોત્તમ…
Permalink
April 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!
ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં..
જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..
ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં..
ના, અગોચરની કથા આ તો નહિ,
ગેબની કોઈ ઝલક મારામાં!
– નેહા પુરોહિત
ખૂબ હળવેથી હાથમાં લેવાની રચના… ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા પ્રયોજાતા છંદમાં મજાનું કામ…
Permalink
April 4, 2019 at 1:31 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!
કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું; જીવવું પડ્યું!
સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.
એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.
પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો,
કાંધે ઊપાડી ખુદનું મડું જીવવું પડ્યું.
અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!
– ભગવતીકુમાર શર્મા
આપણામાંથી મોટા ભાગના લોકો જીવન મળ્યું છે માટે જીવ્યે રાખે છે. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એની ગતાગમ વિના જ લોકો શ્વાસની ગાડી હંકાર્યે રાખે છે. ઇચ્છાનું ગળું ટૂંપીને જ્યારે જીવવું પડે છે ત્યારે જીવન કેમે કરી પૂરું જ ન થતું અનુભવાય છે. સાર્થક પળો તો આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ બે-ચાર જ હોય છે, બાકીની પળો તો પોતાની લાશ પોતાના ખભે વેંઢારવા જેવી કઠિન અને બોજલ જ હોય છે…
Permalink
April 3, 2019 at 10:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.
હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.
આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.
હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.
કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.
પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.
– ભગવતીકુમાર શર્મા
Permalink
April 2, 2019 at 2:16 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
મારું મનડું રમે છે આજ ફાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી આંખો લજાય એના રાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
પંચમના સૂરે આજ ટહુકે કોકિલ
મારા મનના માન્યાનો ભણકારો,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
એના આવ્યાનો અણસારો,
મારે આંગણીએ પ્રીત પાવો વાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી છાતીમાં મેઘધનુ જાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
વહેવારુ વાત બધી વીસરી વ્હાલમિયાએ
તહેવારુ ગીત આજ ગાયું
જોતા જોતામાં તો આખું આકાશ
એની વ્હાલપના રંગે રંગાયું
કો’ક શમણે વરસ્યાનું મને લાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
કોઇ વાયરે ચડીને વ્હાલ માગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
– તુષાર શુક્લ
રંગીન કલ્પનોમઢ્યું રમતિયાળ ગીત…..
Permalink
March 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિના જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.
– ભગવતીકુમાર શર્મા
(૨૪-૦૮-૧૯૮૭)
કૃષ્ણભક્તિની ચરમસીમાનું ખૂબ જાણીતું અને સ્વરબદ્ધ થયેલું ગીત… વાત કૃષ્ણભક્તિની છે પણ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે કવિ પોતાની અંદર કૃષ્ણના બે ‘ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ’ ભક્તોના સહવાસનું સંગીત બજતું અનુભવે છે. કવિના આત્મામાં બે મંજીરાં છે, એક જૂનાગઢના નરસિંહ મહેતા અને બીજી મેવાડની મીરાંબાઈ… રાસ જોવામાં તલ્લીન નરસિંહને ક્યારે મશાલ આખી સળગીને ખતમ થઈ જાય છે અને પોતાનો જ હાથ મશાલના સ્થાને સળગવા માંડે છે એનુંય ભાન રહેતું નથી અને બીજા પક્ષે મીરાંબાઈ ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી જાય છે અને સમૂચી અંતઃકરણશુદ્ધિ પામે છે… કૃષ્ણભક્તિમાં કવિ આ બેવડી સમાધિ પ્રાપ્ત કરે છે…
Permalink
March 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જુગલ દરજી 'માસ્તર'
લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,
નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.
થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,
તલવારમાંથી નીકળી ચીસો ય ધારદાર.
રંગો ય એના એજ ને પીંછી ય એ જ લઈ,
બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર.
કરવા મથો છો પણ તમે લ્યા નહિ કરી શકો,
છારીની જેમ બાજેલા દ્રશ્યોમાં ફેરફાર.
એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર.
કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.
પાગલ હશે કાં હોઈ શકે તારા સમ જુગલ
ઝંખે છે જે સમયથી સમયસરની સારવાર
– જુગલ દરજી
એક-એક શેર પાણીદાર. પ્રસ્તુત ગઝલના મત્લામાં ટોળાંની માનસિકતા જે રીતે રજૂ થઈ છે, એવી ભાગ્યે જ ક્યાંક રજૂ થઈ શકી હશે. માણસ એકલો હોય ત્યારે જે રીતે વિચાર કરે અને ટોળાંમાં હોય ત્યારે જે રીતે વિચાર કરી શકે છે એ બેમાં આસમાન-જમીનનો ફરક હોય છે. ટોળું ભાગ્યે જ તાર્કિકતાપૂર્ણ વિચારી શકે છે. ટોળાંની ગાડરિયાવૃત્તિએ દુનિયામાં મોટી-મોટી હોનારતો સર્જી છે. એક સ્વસ્થ વિચાર પણ ટોળાંમાં થઈને પસાર થાય છે તો એની હાલત લોહીલુહાણ અને વસ્ત્રો તારતાર થઈ જાય છે… બે જ લીટીમાં આટલી મોટી વાત સમાવી ગઝલનો શેર સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે એટલે જ ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બની રહ્યો છે.
Permalink
March 28, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરેશ સોલંકી
પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ, વ્હાલમજી માવાને વસ
બન્ને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાની જેમ રોજ રોજ એનુંય સ્વાસ્થ્ય કથળે છે
પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ, વ્હાલમજી માવાને વસ
લાલલાલ હોઠ નહી કાળુંછમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરીકટ બાળી
કેટલાંય સુખ ત્યજી નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ, વ્હાલમજી માવાને વસ
– નરેશ સોલંકી
મગજ વિચારી પણ ન શકે એવા વિષય પણ કવિતામાં આવતા અચકાતા નથી. ઘણાં બધાં સદગુણોની સાથે ભારતવર્ષમાં તમાકુ-માવા-ગુટખાનું જે અનિષ્ટ પેઠું છે એસૌ અનિષ્ટોનો બાપ છે. પ્લાસ્ટિકની કોથળીમાં તમાકુ-ચૂનો-કાથો વગેરે ભરીને હાથની હથેળી પર એને લાંબો સમય ઘસ્યા બાદ ધીમે રહીને ચપટી ભરીને દાંત અને ગાલ વચ્ચેગલોફાંમાં એને ભરવાની જે ‘મર્દાનગી’ આપણી નસનસમાં ભરાઈ ગઈ છે, એણે દેશના યુવાધનને ખતમ કરવામાં કશું બાકી રાખ્યું નથી. સૂરજ અને ચાંદાનું પ્રતીક પ્રકૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યની અમાપતાનું પ્રતીક છે પણ જે માવાને વશ થઈ જાય છે એને મન એની શી કિંમત? એ તો સૂરજના ચૂરા સાથે ચૂનામાં ચાંદાનો રસ ભેળવીને બસ, નશો જ કરશે…
Permalink
March 27, 2019 at 3:26 AM by તીર્થેશ · Filed under અમીક હનફી, નઝમ
ज़ात का आईना-ख़ाना
जिस में रौशन इक चराग़-ए-आरज़ू
चार-सू
ज़ाफ़रानी रौशनी के दाएरे
मुख़्तलिफ़ हैं आईनों के ज़ाविए
एक लेकिन अक्स-ए-ज़ात;
इक इकाई पर उसी की ज़र्ब से
कसरत-ए-वहदत का पैदा है तिलिस्म
ख़ल्वत-ए-आईना-ख़ाना में कहीं कोई नहीं
सिर्फ़ मैं!
मैं ही बुत
और मैं ही बुत-परस्त!
मैं ही बज़्म-ए-ज़ात में रौनक़-अफ़रोज़
जल्वा-हा-ए-ज़ात को देता हूँ दाद!
जब हवा-ए-शोख़ की मौज-ए-शरीर
तोड़ जाती है किसी खिड़की के पर्दे का जुमूद
तो बिगड़ जाता है खेल
देव-क़ामत अक्स को बौना बना देती है बाहर की किरन
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
ऐ कि तू अज़-ख़ुद नज़र-बंद आईना-ख़ाने में है
सोचती है तू कहेगी अन-कहा
और कुछ कहती नहीं!
सोचती है तू लिखेगी शाहकार
और कुछ लिखती नहीं!
सोचती है तू जहाँ-दारी की बात
और कुछ करती नहीं!
सोचने ही सोचने में साअत-ए-तख़्लीक़ जब
तेरे शल हाथों से जाती है फिसल
तो बिलक पड़ती है तू
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
ख़ल्वत-ए-आईना-ख़ाने से निकल
ऐ चराग़-ए-आरज़ू
जिस तरफ़ ज़ौ-पाश हो
जिस तरफ़ से शाह-राह-ए-जुस्तुजू
ताश और शतरंज के शाहों से बरतर है कहीं
वो पियादा जो चले
वो पियादा जो चले ख़ुद अपनी चाल
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
कोई फ़िक्र!
कोई काम!
कोई बात!
-अमीक़ हनफ़ी (1928 – 1985)
मुख़्तलिफ़ = different, ज़ाविए = angle, ज़र्ब = blow, striking, stamping, multiplication
कसरत-ए-वहदत = diversity of unity, तिलिस्म = magic, spell, ख़ल्वत-ए-आईना-ख़ाना = Loneliness, solitude; seclusion, retirement, privacy;of house of mirrors
बज़्म-ए-ज़ात = company of self, रौनक़-अफ़रोज़ = graceful/bright/glowing appearance
जल्वा-हा-ए-ज़ात = Blandishments of self, जुमूद = freeze , देव-क़ामत = Demon; Giant-sized, ना-मुस्तइद = lazy, मजहूल = unknown, अज़-ख़ुद = of one’s own accord, voluntarily, शाहकार = masterpiece, साअत-ए-तख़्लीक़ = Moment of creation, शल = insensitive, ज़ौ-पाश = one who radiates light, one who illuminates
शाह-राह-ए-जुस्तुजू = highway of quest, बरतर = superior, better
આ ખૂબસૂરત નઝ્મ માનવીની એક સર્વ સામાન્ય હકીકત સામે તીખો કટાક્ષ છે. આપણે બધાં આપણા ખુદના આઈના-ઘરમાં કેદ છીએ. એને આપણી ઈચ્છાઓ ના દીવાઓથી રોશન કરીએ છીએ. આઈના-ઘરની વિશેષતા એ છે કે એના જુદા જુદા ખૂણે ગોઠવાયેલા અરીસાઓ એક જ વ્યક્તિત્વના અનેક પ્રતિબિંબોથી રચાતી એક માયાવી સૃષ્ટિ રચે છે, આ અનેક સ્વરૂપે હું એક જ છું નો ભ્રમ. આ આઈના-ઘરની કેદમાં આપણે એકલાં જ છીએ. ખુદની મૂર્તિ સ્થાપીને એને પૂજનારા મૂર્તિપૂજક. ખુદની મહેફીલમાં ખુદનો જ ઝળહળાટ! ખુદની ખુશામતની દાદ આપવી પડે. પણ આ સઘળું ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે જ્યારે આ બંધ ઘરના થીજી ગયેલા પડદાઓને એક ચંચળ હવાની નટખટ લહેરખી ઉડાડી દે છે અને બહારથી (વાસ્તવિકતાના જ્ઞાનના) કિરણો અંદર પ્રવેશીને આપણે રચેલા વિરાટ પ્રતિબિંબને વામન બનાવી દે છે.
કવિ પોતાની જાતને સંબોધતા કહે છે ઓ ગાફેલ, ગુમનામ, તું તો તારી મરજીથી જ ખુદને આઈના-ઘરમાં કેદ કરી બેઠો છે. તું વિચારે છે કે તું હજુ સુધી કોઈએ કહ્યું ન હોય એવું કહીશ, પણ કાંઈ કહી શકતો નથી. તું વિચારે છે કે તું એક માસ્ટરપીસની રચના કરીશ, પણ કાંઈ લખી શકતો નથી. તું વાતો દુનિયાદારીની કરે છે પણ કરતો કાંઈ નથી. આ વિચારવામાં ને વિચારવામાં તારા ભાવશૂન્ય હાથમાંથી સર્જનાત્મક ક્ષણો સરકી જાય છે અને તું વિલાપ કરવા માંડે છે.
નઝમની આખરમાં ખુદને આહ્વાન આપતા કહે છે, ઓ ગાફેલ, ગુમનામ આ આઈના-ઘરના એકાંતવાસમાંથી બહાર નીકળ.
આત્મખોજ ને રસ્તે ચાલી નીકળ, ઈચ્છાઓ ના દિવા એવા પથને પ્રકાશિત કરો. પત્તા અને શતરંજની રમતના (નામના) બાદશાહો કરતાં ( આઈના-ઘરનો કેદી એવો જ શહેનશાહ છે)
એવા પ્યાદા બહેતર છે જે ખુદ ચાલે છે, પ્રયત્નશીલ છે પોતાની કેડી કંડારવા માટે.
ઓ મારી ગાફેલ, ગુમનામ જાત કોઈ વિચાર, કોઈ પ્રવૃત્તિ કે કોઈ વાતમાં ( તું ખુદને ઉદ્યત કર).
– નેહલ
[ સમગ્ર પોસ્ટ માટે ડૉ. નેહલ વૈદ્યનો આભાર…..તેઓની વેબસાઈટ – inmymindinmyheart.com ]
Permalink
March 26, 2019 at 3:23 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં !
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે
સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમાં તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે?
– જવાહર બક્ષી
પ્રત્યેક શેર અર્થગંભીર છે. બીજો શેર એક દ્રષ્ટાંત તરીકે – વાસુદેવનું વિશ્વરૂપ સામે હોય તેનો કોઈ અર્થ નથી જો દિવ્યદ્રષ્ટિ જ ન હોય એને નિહાળી શકે તેવી ! અધકચરું,મર્યાદાયુક્ત દર્શન નકામું.
Permalink
March 23, 2019 at 1:47 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(મંદાક્રાન્તા)
જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’
– દેવેન્દ્ર દવે
મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે. કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.
Permalink
March 22, 2019 at 1:31 AM by વિવેક · Filed under ગીત, જગદીશ વ્યાસ
સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.
હાથ અને પગ સાવ નોંધારા લટક્યા કરે, સવ નોંધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં
નીતર્યા નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના થાઉં
– જગદીશ વ્યાસ
કેન્સરના કારણે અકાળે દુનિયા ત્યજી ગયેલ આ કવિ વિશે વિશે માહિતી આપ અહીં – https://layastaro.com/?p=630 – મેળવી શકશો.
ધરતીના માટલામાં માઈ ન શકે એવું વિરાટ રૂપ એક શ્રીકૃષ્ણ જ ધારી શકે ને બીજો કવિ. ચાર દિશાના પાયાવાળો ખાટલો ને ધરતીનું માટલું સાવ નાનું પડે એવો કવિ પ્રિયજનની આંખના સરોવરમાં કીકીની વચ્ચે કમળ જેવા સૂક્ષ્મ રૂપમાં સમાઈ જાય છે. આ જ પ્રેમની સાચી તાકાત છે.
Permalink
March 21, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
ગોકુળની ગલીઓમાં ગુંજે રંગભરી પિચકારી,
શ્યામબાવરી જોતાં પેલો છળી ગયો ગિરધારી,
શ્યામરંગ મનભાવન, ગોરી ઘૂંટે અંતરિયાળ, કે ફાગણ આયો જી
પકડાપકડી, દોડાદોડી, લાલ, જાંબલી, પીળો,
છોરા-છોરી વચ્ચે ભળતો રંગ ગુલાબી, લીલો
થનગનતા હૈયામાં જાગે લાગણીઓની ઝાળ, કે ફાગણ આયો જી
શરમબાવરી બેઠી બેઠી ખુદને ખુદમાં રંગે,
રંગ પિયુનો ઘૂંટી ઘૂંટીને લેપ લગાવે અંગે,
પગલે પગલે કંકુ, કેસર, લોચન લાલમલાલ, કે ફાગણ આયો જી
એક અનાડી, અલબેલી, લટકાળી વળતી ટોળે,
નૈન નચાવી, હોંશ ઉડાવી, છોરાને રગદોળે,
રંગ પ્રીતનો ચઢે પછી નવ ઊતરે કોઈ કાળ, કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
લયસ્તરોના સર્વ વાચકોને હોળી-ધૂળેટીની રંગબેરંગી સ્નેહકામનાઓ…
ફાગણ તો કવિઓનો સદાનો મનભાવન વિષય છે. ઋતુઓ બદલાય એની સૌથી પહેલી અસર પશુ-પક્ષીઓ અનુભવે છે. માણસને તો હવે વૉટ્સએપ-ફેસબુક મદદ ન કરે તો વસંત ક્યારે શરૂ થઈ એની ખબર પણ પડવી શક્ય નથી. પણ કવિની વાત અલગ છે. કવિની સંવેદના ઋતુને જીવંત રાખે છે. જુઓ આ ગીત… પંચમ ઢાળમાં કોકિલ ગાઈ રહી છે પણ આ ડાળ કોઈ વૃક્ષની નહીં, સાક્ષાત્ વસંતની ડાળ છે. બીજી જ કડીમાં નટખટ નટવરના આગમન સાથે જ ફાગણ અને હોળીની મસ્તી ગામ-શહેરની ગલીઓ વળોતીને ગોકુળમાં આપણને લઈ જાય છે, જ્યાં શ્યામબાવરી ગોપી-રાધાને જોઈને ગિરધારી પણ છળી જાય છે કેમકે લાલ-જાંબલી-પીળો-લીલો ગમે તે રંગે શામળિયો કેમ ન રંગે, ગોપી તો એના અંતરમાં એક જ રંગ ઘૂંટી રહી છે. આ પ્રીતનો રંગ છે. એકવાર ચડ્યો તે ચડ્યો, પછી કોઈ કાળે એ ઊતરતો નથી…
Permalink
March 16, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એમકે ચાવેઝ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ
રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.
સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.
પછી,
હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.
પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.
કંઈ પણ થાય,
અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,
મને ચાખી રહેલા.
એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ
હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.
મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.
પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.
માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.
હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.
– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)
પરીકથાઓ કોને ન ગમે? સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, જેવી અનેક વાર્તાઓમાં મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રો હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.
પ્રસ્તુત રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.
*
Little Red Riding Hood/Companion
And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”
–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype
The secret nests in my marrow.
At the striptease I appear pirouette
and prey.
Later,
I might show you
what it means to be consumed.
The pashadom and papacy come
to gush and forever satellite spatter,
no matter,
in the end you will find them
covered in a fine mist,
tasting of me.
What they do not know— beyond the veil
I lay with the wolf
& the wolf
is me.
Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.
Even a leaf can have teeth.
Human acts can be cannibalistic.
I am here
picking all of the wildflowers.
– MK Chavez
Permalink
March 15, 2019 at 12:30 AM by વિવેક · Filed under જશવંત લ. દેસાઈ, સોનેટ
(વસંતમૃદંગ)
ત્યારે હતો રગરગે રણકાર રક્તનો,
પાંખો ગરુડ સમ વીંઝી ધનુષ્ય છૂટ્યાં
કો તીરે શી સતત ઝંખત આભ આંબવા,
વિશ્વજીત પદપ્રાપ્તિ નકી સમીપમાં!
સર્જી હશે પૃથવી આવડી નાનકી કાં?
દૃષ્ટિ ફરી ફરીથી કલ્પતી વ્યોમ વીંધવા!
આજે વિપર્યય કશો! ઘર કો અવાવરુ
કેરી બખોલ મહીં થર્થરતું હિયું લઈ
પાંખો સિવાઈ વળી મંદરુધિરની ગતિ
ક્યારે જશે અટકી? ભીતિ, કહીંક વૃક્ષનું
એકાદ પર્ણ ખરતું, ઘડી આખરી કો
આવી પડી! અવસ્થિતિ મહીં જીવવું રહ્યું,
ક્યારેક થાય જીવને: બસ, ઊડ ઊડ
હે જિંદગી, તદપિ તારી શી નાગચૂડ!
– જશવંત લ. દેસાઈ
વૃદ્ધાવસ્થા વીતી ગયેલા સોનેરી દિવસોને યાદ કરવાની અવસ્થા છે. સિમેન્ટનું અને શરીરનું ઘર અવાવરુ થયેલું અનુભવાય, એકલતાના પ્રતાપે હૈયું થરથર્યા કરે છે, રગેરગ અનુભવાતો રક્તનો રણકાર મંદ પડેલો અનુભવાય છે,ને ક્યારે અટકી જશે એની ભીતિ રહ્યા કરે છે, જે પાંખો ગરુડની જેમ વીંઝીને ધનુષ્યમાંથી છૂટેલ તીરની જેમ આભ આંબવાની ઇચ્છા રાખતી હતી એ પાંખો સીવાઈ ગઈ હોય એમ બંધ પડી છે; ક્યારેક વિશ્વજીત સિકંદર બનવું હાથવગું અનુભવાતું હતું ને પૃથ્વી આટલી નાની કેમ છે એવું લાગતું હતું પણ આજે એક પાંદડું પણ વૃક્ષથી ખરે છે તો ક્યાંક મારા ખરવાની ઘડી તો નથી આવી ગઈ ને એવો ફડકો પડી રહ્યો છે. મરી જવાની ઇચ્છા થાય છે પણ જિંદગીની નાગચૂડ પણ એવી છે કે જવા દેતી જ નથી…
ગઈકાલની અને આજની ભાષાની વચ્ચે ચાલવા જતાં ક્યાંક ભાષાકર્મ જરા લથડ્યું છે એ બાદ કરતાં રચના આસ્વાદ્ય થઈ છે.
Permalink
March 14, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
સરી જવા દે વીંટીઓને આંગળીઓથી બધી
ઓગળી જવા દે વીંટીઓને માછલીઓના અંધારા પેટમાં
છો ભૂલી જતી શકુંતલા દુષ્યંતને
છો દોડી જતી છોડીને કાલિદાસને
છોડીને આદિપર્વની વાર્તાનો તંત
ઉછરવા દે શકુંતલાઓને શકુંત પક્ષીઓના ઝુંડ મહીં
ઊંચા,લીલા ઝાડની ટોચ પર
ખીલવા દે એની ઘઉંવર્ણી પીઠ પર
બે સુંવાળી,વિશાળ કાળી પાંખો
મર્યાદાઓના તારમાં દુષ્યંત બાંધી શકે નહિ એવી પાંખો
દુર્વાસાના ક્રોધની જ્વાળાઓ એને જલાવી શકે નહિ એવી પાંખો
ને પાંખમાં ભરીને લીલાં વન આખેઆખાં
પછી ઊડવા દે
ફડફડતા આકાશમાં
શકુંતલાઓ
⁃ પ્રતિષ્ઠા પંડ્યા
આજની આ કવિતાનો સર્વાંગ રસાસ્વાદ સમર્થ વિવેચક કવિ ઉદયન ઠક્કરની કલમે માણીએ:
મુક્તિ
શકુંતલાની કથા મહાભારતના આદિપર્વમાં મળે છે.
વિશ્વામિત્ર અને મેનકાએ પોતાની દીકરીને ત્યજી દીધી. ઋષિ કણ્વને એ બાળકી શકુંત (મોર અથવા ચાસ) પક્ષીઓના ઝુંડ વચ્ચેથી મળી માટે તેનું નામ રાખ્યું શકુંતલા.કણ્વે તેને પુત્રીની જેમ ઉછેરી.
મૃગયા કરતાં રાજા દુષ્યંત એક વાર કણ્વને આશ્રમે આવી ચડ્યા.ઋષિની ગેરહાજરીમાં શકુંતલાએ રાજાનો સત્કાર કર્યો.તેના રૂપ અને વિવેકથી આકર્ષાયેલા રાજાએ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મૂક્યો.પોતાના પુત્રને ગાદી મળશે એ શરત રાજાએ માન્ય કરી પછી શંકુતલાએ ગાંધર્વવિવાહ કર્યા. તેને રાજધાનીમાં તેડાવવાનું વચન દઈને રાજાએ શકુંતલાની વિદાય લીધી.આ બાજુ શકુંતલાને પુત્ર થયો અને તેણે પોતાની નિર્ભયતાથી અને શક્તિથી બધાંને ચકિત કર્યાં.થોડાં વર્ષો પછી કણ્વે શકુંતલાને પુત્રસહિત પતિગૃહે વળાવી. દુષ્યંતને બધી વાતો યાદ હોવા છતાં તેણે શકુંતલાને ઓળખવાનો સાફ ઇન્કાર કર્યો. શકુંતલાએ સમજાવ્યું કે મારો નહિ તો તમારા પુત્રનો તો સ્વીકાર કરો! દુષ્યંત સાવ નામુકર ગયો ત્યારે તેની સામે આગઝરતી દ્રષ્ટિ નાખીને શકુંતલા પાછી જવા માંડી.તેવામાં આકાશવાણી થઈ.દેવતાએ કહ્યું,’રાજા, આ તારાં જ પત્ની અને પુત્ર છે,તેમનો સ્વીકાર કર!’ દુષ્યંતે તેમ કરવું પડ્યું.
મહાભારતની આ કથામાં અમુક ફેરફાર કરીને કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટક લખ્યું. દુષ્યંતે શકુંતલાને યાદગીરીરૂપે વીંટી આપી,એ આંગળીથી સરી પડી,માછલી તેને ગળી ગઈ, દુર્વાસાના શાપને લીધે દુષ્યંતને વિસ્મૃતિ થઈ- આ બધું કાલિદાસે મૂળ કથામાં ઉમેર્યું.કાલિદાસના નાટકમાં દુષ્યંતની રાજસભામાંથી શકુંતલાને તેની માતા મેનકા લઈ જાય છે. દુષ્યંતના પશ્ચાત્તાપ પછી હેમગિરિ પર્વત પર તેનો શકુંતલા સાથે પુનર્મિલાપ થાય છે.
હવે આપણે પ્રસ્તુત કાવ્ય જોઈએ.કવયિત્રી શકુંતલાની કથામાં ફેરફાર કરવા માગે છે. કાવ્ય ‘આજ્ઞાર્થ’માં લખાયું છે.અહીં વિનવણી નથી,કાકલૂદી નથી,પણ માગણી છે.
કવયિત્રી કહે છે-ભલેને વીંટી સરી પડે, ભલેને મત્સ્ય એને ગળી જાય, ભલેને દુષ્યંત બધું ભૂલી જાય.એક ડગલું આગળ જઈને કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલા જ ભૂલી જાય દુષ્યંતને! આ કાલિદાસની નાયિકા નથી જે દુષ્યંતના દરબારમાં હાવરીબાવરી થઈ જાય, કે નથી આદિપર્વની નાયિકા જે દુષ્યંતને ઉપદેશ આપે. અરે, આને તો રાણી બનવાના ઓરતા જ નથી. એ કાલિદાસ અને વ્યાસ, બન્નેની કથાની બહાર દોડી જવા ઇચ્છે છે.કવયિત્રી એને પતિ અને પિતા બન્નેથી મુક્ત જોવા ઇચ્છે છે, શકુંત પક્ષીઓની વચ્ચે. તેનું સ્થાન પતિના ચરણોમાં નહિ પણ વૃક્ષની ટોચે છે. આ તેની નૈસર્ગિક (લીલી) અવસ્થા છે.
કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલાને શકુંત જેવી પાંખો ઊગે,વિશાળ, જેથી તે મનસ્વિની બનીને ઊંચું ઉડ્ડયન કરી શકે. ‘ઘઉંવર્ણી’ (પીઠ) અને ‘સુંવાળી’ (પાંખો) આ બે વિશેષણો સ્ત્રીની સેન્સુઅસનેસનાં સૂચક છે.જો શકુંતલા દુષ્યંતને મળવા ઉત્સુક હોય જ નહિ તો દુર્વાસાનો શાપ નિષ્ફળ જાય. દુષ્યંતની તારની વાડ શી રીતે રોકી શકે પાંખાળી શકુંતલાને? શકુંત પંખીઓ વચ્ચેથી મળેલી શકુંતલાની નિયતિ કુદરતના ખોળે લીલુંછમ જીવવાની છે.તે પાંખો એવી તો ફફડાવશે કે આકાશ આખું ફફડતું લાગશે.
-ઉદયન ઠક્કર
Permalink
March 13, 2019 at 9:10 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.
અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ
ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.
-હરીન્દ્ર દવે
વધુ એક કલાસિક…..સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ….
Permalink
March 13, 2019 at 8:57 AM by તીર્થેશ · Filed under ગીત, સુરેશ દલાલ
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
-સુરેશ દલાલ
ક્લાસિક……
Permalink
March 9, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રમોદ અહિરે
બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી,
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.
વેલ પર જીવન હતું આખર સુધી,
તું ચૂંટીને લઈ ગયો અત્તર સુધી.
તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી,
શિલ્પ જાતે આવશે બાહર સુધી.
‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.
તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી,
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી.
– પ્રમોદ અહિરે
મજાની મત્લા ગઝલ… દરેક મત્લા નક્કર.
Permalink
March 8, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિજય રાજ્યગુરુ
હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા!
જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,
ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો!
ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,
કવ છું વળો હવે ઘર ઢાળા!
ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે ઝળહળશું!
ચીજ જોઈતી નહીં મળે ને અમે સતત સાંભરશું!
પળો પાછલી ભેગી કરી કરી કરજો સરવાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
અમે દૂધગંગાને કાંઠે રાહ તમારી જોશું,
તમે એકલા હાથે ઘરની પૂરી કરજો હોંશું!
કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!
– વિજય રાજ્યગુરુ
ગીતનું શીર્ષક ગીત શેના વિશે છે એ બોલવાનું ટાળે છે એટલે ફરજિયાત ભાવકે ગીત પાસેથી જ જવાબ મેળવવાનો રહે છે. પણ ગીત શરૂ થતાં જ અંગારા હોલાવાની અને પાંખાળા ઘોડાવાળા રથના આવવાની વાતથી કોઈકનું મૃત્યુ થયું છે અને મૃતક પાછળ જીવતાં-એકલા રહી જનાર પાત્રને સંબોધે છે એ તરત જ સમજી શકાય છે. આગળ જતાં સમજાય છે કે પત્નીનું અવસાન થયું છે, એને અગ્નિદાહ પણ દેવાઈ ચૂક્યો છે અને ચિતા પણ હવે ઠરી ગઈ છે, પણ સદ્યવિધુર થયેલો પતિ ઘર ભણી ‘એકલા’ જવાની હિંમત કરી શકતો નથી.
પત્ની પરલોક સિધાવી ગઈ છે પણ વૃદ્ધને એના પોતાના માટેના આજીવન પ્રેમની હવે પ્રતીતિ થાય છે. મૃતક કંઈ બોલવા માટે ફરી આવે નહીં પણ વિધુરને પત્ની પોતાની સાથે વાર્તાલાપ કરતી હોવાનું અનુભવાય છે કેમકે માણસના ગયા પછી જ એની ખરી કિંમત સમજાય છે. પત્ની કહે છે, સાથ છૂટી ગયો, અફસોસ ન કરશો. ધુમાડો હાથમાં પકડવાની જિદ્દ ન કરશો. કોઈક સાથે કંઈક બોલચાલ થશે કે જોઈતી વસ્તુ ઝટ જડશે નહીં ત્યારે પાણી માંગો ત્યારે દૂધ હાજર કરે દેતી પત્ની અવશ્ય યાદ આવશે. પત્ની સ્વર્ગમાં પતિની પ્રતીક્ષા કરશે પણ પતિને ખાસ ચીમકી આપે છે કે ઘરના તમામ જણની હોંશ એકલા હાથે પૂરી કરજો, મારા શોકમાં માથે હાથ દઈ બેસી ન રહેતાં. થીજી ગયેલા જીવતરને હવે માત્ર સ્મરણોની જ હૂંફ છે…. ઊઠો, પતિદેવ.. કહું છું, હવે ઘર તરફ પાછા વળો…
Permalink
March 7, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર ફરાદીવાલા
થોડા દિવસ વ્યથાની કથામાં વહી જશે,
પણ એ પછી સ્વભાવે સમય ક્રૂર લાગશે!
ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?
ચીતરી મેં આખા ચિત્રમાં લીલોતરી ફકત,
તું રણ જુએને ત્યારે એ આંખોને ઠારશે.
અજવાસ એટલો બધો તારા સ્મરણનો છે,
ખુલ્લી રહી જો આંખ તો અંધાપો આવશે!
બસ આટલું કહી શકું હું આ ક્ષણે તને,
હસવા મથ્યો ને તેમાં રડાઈ ગયું હશે.
– જિગર ફરાદીવાલા
મત્લા તો જરા ધીમેથી વાંચીએતો તરત જ સમજાઈ જાય એવો અને સુંદર થયો છે પણ બીજા શેરનું સૌંદર્ય તો જુઓ! અહાહાહાહા!!! પ્રિયતમાને ચાંદની ઉપમા તો હજારો કવિઓ આપી ચૂક્યા છે પણ એની એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી ઉપમા જ વાપરીને કવિએ કેવું અદભુત કવિકર્મ કર્યું છે એ જુઓ…
Permalink
March 6, 2019 at 2:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.
કરતા અકરતા બંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.
અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નિહાળી !
-રાજેન્દ્ર શુક્લ
મત્લાથી જ ચમત્કૃતિ સર્જાઈ જાય છે – માણસ એકલો છે અને તાળી પાડવા બે હાથ ખાલી જોઈએ – એટલે હાથમાં જે ઈચ્છાની દડી હતી તેને ઉછાળવી પડી…..નીચે આવતા ક્ષણાર્ધ માંડ થશે-પાછી ઝીલવી રહી, તેટલામાં તાળી પાડી દેવી પડે……સાર એ છે કે desires ને ગમે તેટલી ત્યાગવાનો પ્રયત્ન કરો, એ પાછી માથે પટકાવાની જ છે….તો ઉપાય શો કરવો ?- કવિ એ આપણા પર છોડે છે.
Permalink
March 6, 2019 at 2:33 AM by તીર્થેશ · Filed under કેતન ભટ્ટ, ગીત
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!
જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં
પરભુ તો ય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!
આશાનું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઈ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!
કોલર ઊંચા રાખવાનો
જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે
‘અહમ માપમાં રાખો’,
પણ એમ જીવણ કાંઈ પરભુનું
બધુંય માની જાય ?
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય !
કંટાળી ને પરભુએ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે
હવે ન કજિયો થાય !
– કેતન ભટ્ટ
મસ્ત વાત !!!!!
Permalink
March 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.
કોઇના આંસુ અવગણું, મારાથી નહિ બને,
ભીતર છે કોઈ જે મને ઝંઝોડનાર છે.
મારી ટકોરા જઉં કશે, આદત નથી મને,
ખેંચાણ એમાં હોય છે, ખુલ્લાં જે દ્વાર છે.
આઝાદી છે તને ભલે બીજાને પ્રેમ કર,
મારાથી પણ વધુ જો કોઈ ચાહનાર છે !
આરોપ સૌ સ્વીકારી લીધા એ જ કારણે,
તરફેણમાં ક્યાં મારી કોઈ બોલનાર છે.
કયાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં,
બસ, આપણી તો આ ધરા પર એક લટાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
મજાની ગઝલ. દુનિયાની વરવી વાસ્તવિક્તાને એકદમ સહજતાથી સ્પર્શ કરી જતા મત્લાનું સૌંદર્ય તો અદભુત! ટકોરા અને આઝાદીવાળો ચોથો-પાંચમો શેર સામાન્ય છે અને ભાષામાં પ્રવાહિતા ક્યાંક-ક્યાંક ઓછી પડે છે એ બાદ કરીએ તો આસ્વાદ્ય ગઝલ.
Permalink
March 1, 2019 at 12:49 AM by વિવેક · Filed under ગીત, મયૂર કોલડિયા
ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ,
હું તો ગબડું હયાતીના તળિયે,
ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું,
આ કોના વિચારોના ફળિયે?
ભીતર લે હિલ્લોળા સપનાનું જોર,
મને, સમજણ! તું બાંધીને રાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું
કે વ્હાલમ ખખડાવે છે બારણાં
ભર મેઘાડંબર ને આવો ઉઘાડ?
સાવ ઉંબરમાં તૂટે મારી ધારણા.
દરવાજે ધૂણે પ્રતીક્ષાનું ભૂત,
કહે, આશાના આગળિયા વાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા
સત્તરમું અને ચોમાસુ એકસાથે બેસે એ ક્ષણ કુમારિકાના તરુણી બનવાની ક્ષણ છે. સત્તરમાનો સળવળાટ સાંખવો જરી કપરો છે. ચાતાં-ફરતાં વાગે તો ઠીક, પણ ઊભા-ઊભાય ઠેસ વાગે એ રીતે દીવાસ્વપ્નમાં ખોવાઈ જવાય છે ને હોવાપણાંનું ઠે…ઠ તળ હાથ લાગી આવે છે. શરીર તો ઓસરીમાં બેઠેલું રહી જાય છે પણ મનડું મર્કટ તો ન જાણે કોના વિચારોના ફળિયામાં રેલાઈ પહોંચે છે! સપનાં જોવાની-પોષવાની આ અવસ્થામાં સમજણ આવીને કાંકરીચાળો કરે એય ગમતું નથી. ચોમાસે વરસાદના છાંટાનો અવાજ પણ વહાલમ બારને ટકોરાં દેતો હોય એવો લાગે છે. મન ઘડીભર વિમાસેય છે કે ઘેરા કાળા વાદળછાયા આભમાં આમ અચાનક ઉજાસ કેમ કરતાં થઈ ગયો? દોડીને ઉંબરે પહોંચે ત્યારે ધારણા તૂતે છે પણ પ્રતીક્ષા કહે છે કે આશા હેઠી ન મૂકીશ… આવશે, વહાલમ, આવશે જ!
કેવું મજાનું ગીત!
Permalink
February 28, 2019 at 12:30 AM by વિવેક · Filed under ભગવતીકુમાર શર્મા, સોનેટ
પ્હેલાં હતી નિકટતા મગફાડ જેવી;
આશ્લેષ બીચ નવ વાયુય શ્વાસ લેતો.
શૈયા તણા ઉભય રિક્ત રહંત છેડા;
મધ્યે અદ્વૈત અનુરાગથી બદ્ધ પૂર્ણ.
થોડી તિરાડ પડી કૂમળી પાનીઓથી;
બે છોડ બીચ મૃદુ ફૂલ ખીલ્યું સુનેરી;
વાયુલહેર વહી આવી તિરાડ વાટે;
નૈકટ્ય સ્નિગ્ધ શયનેય બળોતિયાથી.
પાની મૃદુ કઠણ થૈ પછી કાળસ્પર્શે;
ભાંખોડતી પગલી ઉંબર ગૈ વળોટી.
મધ્યે વસેલ અવકાશ ખસી ગયો ને
છેડા ફરી શયનના મળવા અધીર.
કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!
– ભગવતીકુમાર શર્મા
વચ્ચે હવા પણ પગપેસારો ન કરી શકે એવી મગફાડ જીવી ચસોચસ નિકટતામાં પથારીની વચ્ચે આલિઅંગનબદ્ધ રહેતા નવદંપતીની પથારીના બન્ને છેડાઓ કાયમ ખાલી જ રહેતા હતા. પણ બાળકનો પ્રવેશ થયો અને વચ્ચે એક તિરાડ પડી. બંને છોડ તોય સોનેરી ફૂલના ખીલવાથી ખુશ હતા. બાળક મોટું થઈને ઘરનો ઉંબરો વટાવી જઈ પોતાની દુનિયામાં સ્થિર થઈ ગયો. પથારીના બે અલગ થઈ ગયેલ છેડાઓને ફરી એક થવા માટે અવકાશ સાંપડ્યો પણ ચોરપગે આટલીવારમાં વૃદ્ધત્વ વચ્ચે ઘર કરી ગયું છે એ વાસ્તવિક્તા કવિ જે હળવાશથી રજૂ કરે છે એ અનુભૂતિને બળવત્તર બનાવે છે…
Permalink
February 27, 2019 at 9:27 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
કેટલાક મરવાના બાકી છે ?
દેખેંગે, સોચેંગે,લડ લેંગે આરપાર સાંભળીને પબ્લિક પણ થાકી છે.
એક પછી એક બધાં કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય?
ઘરમાં ઘૂસીને રોજ માથાં વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બંગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
“આસમાન સાફ હૈ ને બીજલી ગીરેગી” આમાં નો હાલે કવિતાની વાતું
બીજાની પાસેથી એટલું તો શીખો કે બોલવાથી કાંઈ નથી થાતું
થોડુક હલાવશો તો તરતજ ઈ ખરવાની ડાળી પર કેરિયું જે પાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
લાગી છે આગ એને ઠારવાની વાત, એમાં ભાગ્યા ક્યાં? અહિયાં તો અટકો,
પોતાના કૂવામાં પાણી ભરપૂર છતાં પારકાના કૂવે કાં ભટકો?
આખ્ખી દુનિયાને શું ક્હેતા ફરો છો કે કૂતરાની પૂંછડી તો વાંકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
– કૃષ્ણ દવે
અંગતપણે હું યુદ્ધમાત્રનો વિરોધી છું….હિંસા એ જવલ્લે જ કાયમી ઉપાય હોય છે, પરંતુ આ લાગણીને કાયરતા ગણી શત્રુ માઝા મૂકે ત્યારે તો ગાંડીવ ઉપાડવું જ રહ્યું…દાયકાઓના સંયમ પછી આજે ભારતમાતાએ ત્રિશૂળ ઉગામ્યું છે……હવે આરપારની લડાઈ એ જ વિકલ્પ દેખાય છે…..
ભીખ્યાં,ભટક્યાં,વિષ્ટિ,વિનવણી- કીધા સુજનના કર્મ,
આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ……
Permalink
February 26, 2019 at 9:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
ભાવ સમજુ ‘ને હાવભાવ કહું
કે, ઉમળકાનો ઘન ચઢાવ કહું ?
ના હું બદલાઉં, ના બનાવ કહું
આવનારા તને શું ‘આવ’ કહું ?
આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?
સાવ પાસે જઈને અટકી જવું
વિઘ્ન સમજું, સહજ પ્રભાવ કહું ?
વાતમાં બીજી વાત ગૂંથીને –
ચાલું રાખું કે ‘રૂક્જાવ’ કહું ?
આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?
આ કહ્યા સાંભળ્યાની આડશ લઈ
માત્ર અંગત અનોખી રાવ કહું !
– સંજુ વાળા
આંખ બેઠી છે દૃશ્યના ટેકે……..-વાહ !!!!!
Permalink
February 23, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઈ!
મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઈ;
મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઈ;
મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
તારા વીરે વખાણેલ લેરિયું રે બાઈ;
હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઈ,
એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
– નેહા પુરોહિત
ગઈકાલે જ આપને લે’રિયાની લૂંટાલૂંટ લોકગીત માણ્યું. હવે એ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે…
Permalink
February 22, 2019 at 1:17 AM by વિવેક · Filed under ગીત, લોકગીત
મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!
નાયિકા તાજી પરણીને સાસરે આવી છે. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. અંતે, ભોજાઈ નણંદને હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે.
Permalink
February 21, 2019 at 12:41 AM by વિવેક · Filed under ગીત, પરબતકુમાર નાયી 'દર્દ'
સપનાનું આવું તો કેમ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ!
સપનાનું આવું તો કેમ?
સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ!
સપનું ઊગ્યા પછી કો’ક એમ કે’તું કે જીવન કરી દ્યો ને ડૂલ!
ઝાકળના ફોરાંને તડકાના દેશથી લઇ જાશું કેમ હેમખેમ?
સપનાનું આવું તો કેમ?
સપનાની હોડી લઈ પાંપણના દરિયામાં ખેપો આ કરવાની કેટલી?
પાણીનું નામ એને આપી આપીને હવે આંખોને ભરવાની કેટલી?
જોશીને પૂછ્યું તો વેઢા એ ગણતો ને સૈયર કહે સપનું તો વ્હેમ!
સપનાનું આવું તો કેમ?
– પરબતકુમાર નાયી ‘દર્દ’
ક્ષણભંગુર સ્વપ્નની હકીકતનું ગીત. પરપોટા પેઠે ક્ષણિકમાં બટકી જતાં સપનાંને જોઈને કવિ સહજ વિમાસે છે. સપનું આંખોના સૂના ફળિયાને જીવન ન્યોછાવર કરી દેવાનું મન થઈ આવે એવો મજાનો બગીચો બનાવી દે છે, પણ પછી હકીકત સમજાય છે કે સપનું તો તડકાના દેશમાં જન્મેલું ઝાકળનું ફોરું છે. એને સાંગોપાંગ સાચવવું કેવું દોહ્યલું! સૈયરને તો સપનું જ વહેમ લાગે છે ને સપનાંના નામનું કેટલું રડવું એ તો જોશી પણ ગણી શકતો નથી…
Permalink
February 20, 2019 at 7:56 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
હા પાડે તું એટલી જ વાર
મખમલીયા સપનાઓ એવા ડરપોક નથી નીકળતાં પાપણની બહાર
હા પાડે તું એટલી જ વાર
વાયરાના ટ્યુશનમાં લહેરાવું શીખીને જળથી વહેવાની રીત જાણી
સામે તું હોય ત્યારે યાદ નથી આવતી વર્ષોથી ગોખેલી વાણી
જાતને ડૂબવું છે ઉડવું છે સંગાથે જાવું છે આસમાંની પાર ..
હા પાડે તું એટલી જ વાર
સ્મરણોના ગભરુ પારેવાઓ ગીત બની કાગળ પર પગલીઓ પાડતા
કાગળની લીટી પર બેસે છે એમ જાણે ડાળી પર તડકો મમળાવતા
ટહુકાની મેડલી ગાવાને સજ્જ થઇ બેઠા છે એવા તૈયાર
હા પાડે તું એટલી જ વાર
-મુકેશ જોશી
Permalink
Page 31 of 118« First«...303132...»Last »