નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

ના સહી યાતનાને?! – દેવેન્દ્ર દવે

(મંદાક્રાન્તા)

જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’

– દેવેન્દ્ર દવે

મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે.  કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.

3 Comments »

  1. Poonam said,

    March 23, 2019 @ 2:11 AM

    પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
    મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’
    – દેવેન્દ્ર દવે – humm

  2. Bharat S. Thakkar said,

    March 23, 2019 @ 2:45 AM

    Bahu sundar. Adbhoot kavita

  3. praheladbhai prajapati said,

    March 23, 2019 @ 8:49 AM

    NICE

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment