સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

હૈયું મારું ઠારે રે! – દેવેન્દ્ર દવે

(મનહર)

સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!

– દેવેન્દ્ર દવે

દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.

2 Comments »

  1. Chitralekha Majmudar said,

    May 2, 2019 @ 3:24 AM

    ‘”Nava vicharo ni kavita ane teman tathya pan kharu..Gruhini gruham uchchyate”…..Nice poem.

  2. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    May 3, 2019 @ 12:59 AM

    સરસ,સરસ,સરસ……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment