છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

Comments (3)

(ઝળહળ નથી) – કિરણસિંહ ચૌહાણ

જેવી તું ઝંખે છે એ ઝળહળ નથી,
મારી પાસે પાણી છે, મૃગજળ નથી.

સાવ મેલું મન લઈ આવી ન જા,
તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.

ધમપછાડા ટોચ પર ટકવાના છે,
બાકી વધવામાં કશું આગળ નથી.

ડાળ છોડી ફૂલદાનીમાં ગયા,
આજથી તકદીરમાં ઝાકળ નથી.

કેટલા આગળ છીએ એ જોયું નહિ,
એટલું જોયું કે બહુ પાછળ નથી.

– કિરણસિંહ ચૌહાણ

ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બન્યો છે, એનું પ્રમુખ કારણ એ છે કે કેવળ બે પંક્તિની સાંકડી જગ્યામાં એ હૃદયસ્પર્શી વાત મૂકી શકે છે. આ ગઝલ જુઓ: ઝાકમઝોળ આજે આપણી ખરી તૃષા બની ગઈ છે, પણ સાચી તૃષા છીપાવનાર પાણી પાસે તો કેવળ સાદગી જ છે. એક અદભુત મત્લાની બે જ પંક્તિઓમાં કવિ માનવજીવનની કારમી વાસ્તવિકતા સાથે આપણને મુખામુખ કરાવે છે. દૂરથી નજરે ચડતું મૃગજળ રણ કે રસ્તા પરથી સૂર્યપ્રકાશના થતા પરિવર્તનના કારણે ખૂબ ચમકીલું અને આકર્ષક દેખાય છે, પણ એની હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. જીવનભર ખોટી ચમક પાછળ દોડતા લોકોને ડંખ વિનાના ચાબખો મારીને કવિ સ-રસ સાવધાન કરે છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

Comments (9)

(ચાન્સ આપું છું) – કિરણસિંહ ચૌહાણ

ખુશાલી, વ્યગ્રતા, મસ્તી, વ્યથાને ચાન્સ આપું છું,
બધાં જાણે જ છે કે હું બધાંને ચાન્સ આપું છું.

પછી એ નીકળ્યો ખોટો તો એમાં વાંક શું મારો?
મને તો એમ કે હું તો ખરાને ચાન્સ આપું છું.

બગાડ્યું કેટલું એણે! છતાં બદલો નથી લીધો,
હું ક્યારેક ન્યાય કરવાનો ખુદાને ચાન્સ આપું છું.

ખબર છે જિંદગી મૂકાઈ ગઈ છે દાવ પર તોયે,
દવા પડતી મૂકી તારી દુઆને ચાન્સ આપું છું.

એ મારી નમ્રતાને જો અગર કાયરતા સમજી લે,
પછી નાછૂટકે હું ઉગ્રતાને ચાન્સ આપું છું.

– કિરણસિંહ ચૌહાણ

સૉશ્યલ મિડીયાના પ્રતાપે ચારેતરફ જ્યાં જુઓ ત્યાં ગઝલોની અતિવૃષ્ટિ થઈ રહી છે. ગઝલોની આ ભરમારમાંથી કવિતા શોધી કાઢવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું વિકટ છે. આવામાં બહુ ઓછા ગઝલકાર એવા છે જેઓ persistently સારી ગઝલ આપતા રહે છે. કિરણસિંહ ચૌહાણ આવું જ એક નામ છે. ચાન્સ આપવા જેવી એકદમ રુઢ થઈ ગયેલી રદીફને બોલચાલની ભાષા સાથે ઓગાળી દઈને કવિ કેટલી મજબૂત ગઝલ આપે છે એ જુઓ!

Comments (7)

(બધું તારું જ છે) – કિરણસિંહ ચૌહાણ

આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.

કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.

અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.

સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.

‘સા’થી લઈને ‘સાં’ સુધી,
ગા, બધું તારું જ છે.

મારું છે કંઈ? બોલને!
ના… બધું તારું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

સાવ ટૂંકી બહેરની ગઝલ. ગાલગાગા ગાલગા. બાર જ માત્રા. બસ. એમાંય દસ માત્રા જેટલી જગ્યા તો ‘બધું તારું જ છે’ જેવી લાંબીલચ્ચ રદીફ રોકી લે છે. એટલે મત્લાના બંને મિસરામાં અને બાકીના તમામ શેરના સાની મિસરામાં કવિ પાસે શેર સિદ્ધ કરવા માટે બે માત્રાના એકાક્ષરી કાફિયા જેટલો જ અવકાશ બચે છે. ટૂંકી બહેરની ગઝલમાં કવિતા સિદ્ધ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું કપરું છે. એમાંય આવી અઘરી શરત લઈને કવિ કામ કરે એનો મતલબ એમ થાય કે કવિએ દોરડા પર અદ્ધર ચાલવાનું નહીં, સાઇકલ ચલાવવાનું બીડું ઝડપ્યું છે. આ કામ વધુ મુશ્કેલ છે, પણ આનંદ એ વાતનો છે કે કવિ મોટાભાગના શેરમાં કાવ્યત્વ સિદ્ધ કરી શક્યા છે. એમાંય સારેગમપધનિસાંના બે છેડા પકડીને આલાપતો શેર તો શિરમોર થયો છે…

Comments (26)

(ભૂલી જવાયાં છે) – કિરણસિંહ ચૌહાણ

ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.

અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.

હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.

અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’

તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.

– કિરણસિંહ ચૌહાણ

કવિતા સમાજનો સાચો અરીસો છે… સામાન્યરીતે કવિતાને આપણે સ્ત્રીસૌંદર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરમાં જ રચીપચી જોતાં હોઈએ છીએ પણ લાખ સૌંદર્યઘેલી કેમ ન હોય, કવિતા ભાગ્યે જ વિશ્વના સાંપ્રત વહેણોથી અછૂતી રહી શકે છે. ગઝલના દકિયાનૂસી વિષયોથી આગળ વધીને આ ગઝલ જુઓ, કેવી સ-રસ રીતે આજના સમાજને અને આપણા આજના માનસને ઝીલી શકી છે!

મોટી માયા વિશેષણ એ આજના જગતનો તકાજો છે. આવા લોકો આપબળ ન હોય તો ‘કોઈક’ બાપબળે પણ ચલણમાં રહે છે. બીજું, માણસ આજે સાચા અર્થમાં ગરીબ બન્યો છે. પુરુષાર્થબળે, ભાગ્યબળે કે કોઈપણ પ્રકારે મનુષ્ય નબળી પરિસ્થિતિમાંથી ઉપર આવે ત્યાર બાદ પહેલાંના જમાનાની જેમ બીજા નબળી સ્થિતિના લોકોને મદદરૂપ થવાના બદલે પોતાની નબળી સ્થિતિને જ આજીવન લખલૂંટ કમાવાનું સાધન બનાવી રાખે છે. મૂલ્યોનું આવું ધોવાણ આ પહેલાં કદી નહોતું. બાકીના શેર પણ આવા જ પ્રાણવંતા છે પણ આખરી શેર વધુ ધ્યાનાર્હ થયો છે. પોતાને જોઈતો ફાયદો મળી જતો હોય કે મળવાની આશા હોય તો લાયક ઉમેદવારોની સિફતપૂર્વક કરાયેલી બાદબાકી સામે આપણે આંખ આડા કાન કરીને જ ચાલીએ છીએ.

Comments (15)

(મુસીબત ટળી જાય) – કિરણસિંહ ચૌહાણ

હવે બસ ઝડપથી મુસીબત ટળી જાય,
કશુંક એવું કર, તારી દુનિયા બચી જાય.

ખુશી સાંપડે કાં ઉદાસી ગમી જાય,
ગમે તે રીતે બસ આ જીવન ટકી જાય.

અહીં ગમતાં લોકો નથી આવી શકતાં,
તું કોયલને કહેને કે ટહુકો કરી જાય!

નથી કોઈ જીવાણુંને માટે છાતી,
ચહું, એને કાઢીને ત્યાં તું વસી જાય.

હવે લઈ લે તારું આ ઝીણું રમકડું,
એ પહેલાં કે સૌ ભેટવાનું ભૂલી જાય!

– કિરણસિંહ ચૌહાણ

કોરોનાકાળમાં વાંચેલી ઉમદા રચનાઓમાંની શિરમોર… વાત તો વર્તમાન પરિસ્થિતિની જ છે પણ કોઈપણ સામયિક રચના સમયને અતિક્રમી શકે ત્યારે એ કવિતા બને છે. કવિ એ કવિકર્મ કરી શક્યા છે એનો આનંદ…

Comments (2)

રાતે વિકસે – કિરણસિંહ ચૌહાણ

દિવસે વિકસે, રાતે વિકસે,
વાત તો વાતેવાતે વિકસે.

આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
એ સમજણ આઘાતે વિકસે.

ચાંદીની ચમચી લઈ જન્મે,
એ કિસ્મતની લાતે વિકસે.

આ ઋણાનુબંધો કેવળ,
માણસાઈના નાતે વિકસે.

દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
એકલવ્ય તો જાતે વિકસે.

– કિરણસિંહ ચૌહાણ

મજાની રદીફ ઉપર અદભુત નક્શીકામ ! બધા જ શેર કાબિલે-દાદ થયા છે. સહજ સરળ ભાષા અને ઊંડી વાત એ કવિની લાક્ષણિકતા છે..

Comments (8)

નીકળી ગયો – કિરણસિંહ ચૌહાણ

કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.

હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.

એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.

રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.

સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.

આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.

મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.

– કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.

Comments (11)

(વાત કરવી છે) – કિરણસિંહ ચૌહાણ

અમારે ક્યાં વળી કોઈ આગઝરતી વાત કરવી છે!
જરા ઝાકળનાં ટીપાં વચ્ચે તરતી વાત કરવી છે.

બનીને લોહી રગરગમાં પ્રસરતી વાત કરવી છે,
તને તારા વિશે, મારામાં ફરતી વાત કરવી છે.

મને તેં ખૂ…બ ઊંચા સ્થાન પર સ્થાપિત કરી દીધો,
અને મારે તને થો…ડી ઊતરતી વાત કરવી છે.

અમે હમણાં સુધી તો ચૂપ રહી બોલાય એ બોલ્યાં,
હવે આજે તો છે ને… વાત કરતી વાત કરવી છે.

કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’

– કિરણસિંહ ચૌહાણ

આ ગઝલ વિશે ઓછામાં ઓછા શબ્દોમાં ટિપ્પણી કરવી હોય તો આમ કહી શકાય: res ipsa loquitur અર્થાત્ It speaks for itself /સ્વયંસિદ્ધા.

Comments (6)

(ક્યાં છે દોસ્ત !) – કિરણસિંહ ચૌહાણ

એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !

એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !

મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !

– કિરણસિંહ ચૌહાણ

મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.

Comments (7)

ચિંતા થાય – કિરણસિંહ ચૌહાણ

રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.

લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.

બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.

ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.

આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.

– કિરણસિંહ ચૌહાણ

ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.

Comments (8)

(માન તો રાખ્યું જ છે) – કિરણસિંહ ચૌહાણ

માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.

એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.

આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.

આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?

– કિરણસિંહ ચૌહાણ

માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!

Comments (14)

(ઈશ્વર ગુજરી જાય) – કિરણસિંહ ચૌહાણ

સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.

ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.

બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.

તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.

– કિરણસિંહ ચૌહાણ

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.

 

Comments (10)

ફટકાર લાગી ગઈ – કિરણસિંહ ચૌહાણ

સુંવાળા શબ્દની પણ એમને તો ધાર લાગી ગઈ,
અમારી લાગણી પણ જાણે અત્યાચાર લાગી ગઈ.

અમે ઉચ્છવાસ મૂક્યો ને નવો આ શ્વાસ લીધો બસ…
અને બસ એટલામાં આપ કહો છો ‘વાર લાગી ગઈ !’

મુસીબત એમણે તો મોકલી‘તી મોટી સંખ્યામાં,
અમે સાવધ રહ્યા પણ તે છતાં બે–ચાર લાગી ગઈ.

જરા સંભાળ લઈએ ખુદની ત્યાં તો પાછા વિખરાયા,
તમારી ઓઢણી અમને આ બીજી વાર લાગી ગઈ.

સરળ છે એમ સમજીને બધા ફટકારવા લાગ્યા,
ગઝલને એટલે તો આટલી ફટકાર લાગી ગઈ.

– કિરણસિંહ ચૌહાણ

સંબંધમાં સંવેદના માપવાનું કોઈ થર્મોમીટર આવતું નથી. ક્યારે કઈ વસ્તુ કેટલી માત્રામાં ખટકી જાય એ નક્કી કરવું દોહ્યલું બની જાય. મૂડ બરાબર ન હોય તો સુંવાળા શબ્દો પણ ઘસરકો કરતાં જાય. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ ઓઢણી બીજીવાર લાગવાવાળી ઘટનામાં નજાકત અને પ્રણયની તીવ્રતાનું જે શબ્દાંકન થયું છે એ તો અદભુત છે…

Comments (5)

આહાહા ! – કિરણસિંહ ચૌહાણ

મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !

તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !

તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !

તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !

તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !

– કિરણસિંહ ચૌહાણ

આહાહા ! આહાહા ! બસ, આહાહા !!!

Comments (11)

ટ્રેન હાઈકુ

ટ્રેનની સાથે
શરૂ થૈ મુસાફરી
મારા મનની

*
ટ્રેનમાં છું ને
વિચારો ઘરના જ –
ઘરમાં જ છું.
*
ટ્રેન કહે, “હો
ખેડવી બીજી દિશા”,
પાટો બદલ.
*
સ્મરણ તારું
સફરમાં સાથે જ.
એની ટિકિટ ?
*
એવુંય બને
હૈયું સ્ટેશન વિના
ઊતરી પડે
*
ક્યાં પહોંચાશે
શી ખબર ? જિંદગી
ટ્રેન થોડી છે !
*
પાટાનો સાથ
છોડ્યો ને ટ્રેન તો
રઝળી પડી !
*
દોડતી ટ્રેન
થાકે નૈ, એમાં બેસી
થાકે છે લોકો
*
ટ્રેનની બંધ
બારી વિચારે… ઘણાં
દૃશ્યો ગુમાવ્યાં.

– કિરણસિંહ ચૌહાણ

વિવિધસૂત્રી વિચારો એક જ ગઝલમાં લખવાને ગઝલકાર ટેવાયેલા હોય છે. ભાગ્યે જ કોઈ ગઝલ મુસલસલ હોવાની. આવામાં એક લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર હાઈકુ જેવા સૂક્ષ્મ પ્રકારને હાથમાં લે અને એ પણ વિષય નક્કી કરીને તો કેવું! કિરણસિંહ ટ્રેન વિષયક હાઈકુઓની ટ્રેન દોડાવે છે એ વાત પોતે જેટલી રોચક છે એથી વધુ આ હાઈકુઓમાંથી ઊભરી આવતી કવિતાઓ વધુ રોચક અને રોમાંચક છે. બધા જ હાઈકુ આસ્વાદ્ય થયા છે…

Comments (8)

જરૂરી છે ? – કિરણસિંહ ચૌહાણ

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે ?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે ? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.

– કિરણસિંહ ચૌહાણ

વાત-ચીત ચાલતી હોય એ જ અંદાજમાં કવિ સહજતાપૂર્વક મજાની ગઝલ લઈ આવ્યા છે. કવિનો અંદાજ-એ-બયાઁ રોજમરોજની ગૂફ્તેગુને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે.

Comments (9)

મુક્તક – કિરણસિંહ ચૌહાણ

IMG_9841

કૈંક   મજાના   ગીતોમાં   છું,    ટહુકામાં  છું,
બીજા  શબ્દોમાં  કહું  તો  બસ  જલસામાં  છું.
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું  કહું  છું  કે, ‘આવું છું…  બસ  રસ્તામાં છું.’

– કિરણસિંહ ચૌહાણ

ખરી વાત છેઃ આપણે બધાય ખરેખર (ઉપર જવાના) રસ્તામાં જ છીએ ઃ-)

Comments (11)

જાણભેદુ – કિરણસિંહ ચૌહાણ

અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,
હશે એની સાથે કોઇ જાણભેદુ.

પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,
કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.

તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

કરો હર દવા તોય પીડા વધે છે,
ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ.

– કિરણસિંહ ચૌહાણ

ફેસબુક આમ તો એક બિમારીની કક્ષાએ પહોંચી શકે એ હદે આપણા લોહીમાં વકરી રહ્યું છે. પણ એ છતાં એના ફાયદા કે અસ્તિત્વને નકારી શકાય એમ નથી. આ ગઝલ જ જોઈ લ્યો ને! ફેસબુક પર કિરણસિંહ ચૌહાણના પુત્રના એક ફોટોગ્રાફ પર પ્રતિભાવોની હારમાળા ચાલી એમાં મેં જાણભેદુ શબ્દ વાપર્યો અને કવિશ્રી ઓવારી ગયા.. મને કહે સાંજ પહેલાં ‘જાણભેદુ” પર એક ગઝલ લખી મોકલાવું છું. મેં કહ્યું સ્વાગત… એક ગઝલ હું પણ લખી નાંખીશ… અને એમ ફેસબુકની ચર્ચાની આડ-પેદાશ સ્વરૂપે જન્મી બે ગઝલ…

આજે કિરણસિંહ ચૌહાણની કલમે એમની ‘જાણભેદુ’ ગઝલ માણીએ પણ આવતીકાલે આજ સ્થળે મારી ‘જાણભેદુ’ ગઝલ માણવાનું ચૂકશો નહીં…

Comments (15)

મુક્તક – કિરણસિંહ ચૌહાણ

જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.

– કિરણસિંહ ચૌહાણ

આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.

Comments (6)

ગઝલ -કિરણસિંહ ચૌહાણ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.

એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

-કિરણસિંહ ચૌહાણ

Comments (21)

સાધના કરવી પડે – કિરણસિંહ ચૌહાણ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

 કિરણસિંહ ચૌહાણ

કિરણભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની આ એક ગઝલ.  જેના પાંચેપાચ અશઆરમાંથી કયો શે’ર શિરમોર છે, એ મૂંઝવણ તમે ઉકેલી જ ના શકો.  જો કે મને અંગત રીતે ત્રીજો શે’ર વધુ ગમે છે… જેને યાદ જ ના કરવી પડે એવી યાદને ‘યાદ’ તો કેમ કહી શકાય?  કદાચ ‘ચિરસ્મરણ’ કહી શકાય…!

Comments (27)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

પાનું – કિરણસિંહ ચૌહાણ

નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.

જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.

જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

– કિરણસિંહ ચૌહાણ

ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.

Comments (24)

(અછાંદસ) કિરણસિંહ ચૌહાણ

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણસિંહ ચૌહાણ

આજે એક નાનકડું અછાંદસ ઝાઝી લપ્પન છપ્પન કર્યા વગર. વાત એક નાના બાળકની જેને એના પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં કારણકે બાળક ઊઠે એ પહેલા કામે નીકળી જતા પપ્પા બાળક ઊંઘે એ પછી જ ઘરે પાછા ફરે છે…

Comments (18)

ગુમાવીને – કિરણસિંહ ચૌહાણ

Mijaj- Kiran Chauhan

*

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.

-કિરણસિંહ ચૌહાણ

‘સ્મરણોત્સવ’ પછી કિરણકુમાર ચૌહાણ એમનો બીજો ગઝલ સંગ્રહ ‘મિજાજ’ લઈને આવે છે. ગયા રવિવારે તા. 23-11-2008ના રોજ એમના આ સંગ્રહનો સુરત ખાતે લોકાર્પણ વિધિ થયો. આ નાનકડી પુસ્તિકાની 56 ગઝલોમાં કિરણકુમારનો મિજાજ સુપેરે વ્યક્ત થયો છે. બધી ગઝલો આસ્વાદ્ય થઈ છે અને કિરણકુમારની ગઝલોમાંનો લોકબોલીનો કાકુ, સરળતા વચ્ચે વસેલું વેધક ઊંડાણ અને છંદ-વૈવિધ્ય ફરીથી ઊડીને આંખે વળગે છે. આ સંગ્રહમાંની બે ગઝલ – ઘડિયાળની સાથે તથા ચલાવો છો આપ અગાઉ લયસ્તરો પર એમના પોતાના હસ્તાક્ષરમાં માણી ચૂક્યા છો.

કિરણકુમાર ચૌહાણને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

Comments (14)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ઘડપણ – કિરણસિંહ ચૌહાણ

તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.

– કિરણસિંહ ચૌહાણ

Comments (10)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ઘડિયાળની સાથે – કિરણસિંહ ચૌહાણ


(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)

રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.

બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.

મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.

સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.

તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

– કિરણસિંહ ચૌહાણ

ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).

Comments (13)

ચલાવો છો – કિરણસિંહ ચૌહાણ

‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

– કિરણસિંહ ચૌહાણ

કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).

Comments (16)

એક પળ – કિરણસિંહ ચૌહાણ

પામી નહીં શકાય ઘણીવાર એક પળ,
ચોરી નહીં શકાય ઘણીવાર એક પળ.

સમજણ બધી જ આપણી માથે પડી શકે,
સમજી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક પળ ઉપર પછી એની અસર રહે,
જીવી નહીં શકાય ઘણીવાર એક પળ.

આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક માપ આપણું ખોટું પડે ‘કિરણ’,
માપી નહીં શકાય ઘણીવાર એક પળ.

-કિરણસિંહ ચૌહાણ

લયસ્તરો પર અગાઉ આપણે કિરણની ગઝલોના ચૂંટેલા શેર કિરણોત્સવમાં માણ્યા હતા. કિરણ વ્યવસાયે શિક્ષક છે અને ભાષા સાથે એવો ઘરોબો એમણે કેળવ્યો છે કે શબ્દો સહજ સરળતાથી એની પાસે દોડતા આવે છે. આ અઠવાડિયે જ મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી.એ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કિરણ ચૌહાણને પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” આપવાની જાહેરાત કરી છે. લયસ્તરોની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, કિરણભાઈ!

Comments (6)

કિરણોત્સવ – કિરણસિંહ ચૌહાણના ચૂંટેલા શેર…

મૂળ વરિયાવનાં પણ હવે સુરતના જ કિરણસિંહ ચૌહાણ ગુજરાતી કવિતાની આજ અને આવતી કાલ છે. વિવેચકોએ એકીઅવાજે એમને આવનારી પેઢીના પ્રતિનિધિ કવિ તરીકે વધાવી લીધા છેં. જીવનના અભાવમાંથી કવિપણાના સ્વભાવ સુધીની મજલ કાપનાર કિરણ માર્દવ કંઠ પણ ધરાવે છે. એમના વ્યક્તિત્વની સાલસતા અને ઋજુ મનની પ્રામાણિક્તા જ્યારે કવિ-સંમેલનમાં ગઝલ બનીને ગળામાંથી વહી નીકળે છે ત્યારે શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા વિના બીજું કશું કરવાનું રહેતું નથી. એમની ગઝલમાં છંદની ચીવટાઈ અને અર્થની ઊંડાઈ ભાષાની સરળતા સાથે સુપેરે સરી આવે છે. કિરણના થોડા શે’ર અહીં માણીએ…
(જન્મતારીખ: 07-10-1974, ગઝલસંગ્રહ: સ્મરણોત્સવ, હઝલસંગ્રહ: ફાંફાં ન માર)

ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

કેમ રિસાયા કરે છે તું ?
મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?

રોજનીશી હું લખીને શું કરું ?
જો બધું નોંધાય તારા ચોપડે !

તો હવે તારેય લખવી છે ગઝલ ?!
સાહ્યબી વચ્ચે તડપતા આવડે ?

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું ?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે.

આ મિલનનો અંત તો બસ, આપમેળે આવશે,
સાંજને તેડી જશે આ સૂર્ય રાબેતા મુજબ.

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

કહોને; કોઈ કોને ક્યાં સુધી ને કેટલું ચાહે ?
ભલા, ક્યારેક તો બદલાય ને વાતાવરણ મનમાં !

આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?

વધુ આગળ વાંચો…

Comments (14)