માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2021

(ભલા માણસ) – નીરવ વ્યાસ

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ,
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કૈં જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઈ ખુલાસા નહિ,
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

હજારો દાવેદારી છે, તમારી થોડી મિલકતમાં,
અમારી પાસે શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ, ‘નીરવ,’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

– નીરવ વ્યાસ

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…

Comments (5)

(છંછેડાઈ ગયા ને?) – કૃષ્ણ દવે

સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?

મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?

ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?

‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?

– કૃષ્ણ દવે

ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. બધા જ શેર સહજ સાધ્ય છે…

Comments (4)

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त – મિર્ઝા ગાલિબ

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ

ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.

ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ

નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…

ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ

ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..

इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ

એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..

लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ

ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!

तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ

તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….

हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ

મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..

– મિર્ઝા ગાલિબ

સદીઓમાં એક ગાલિબ પાકે !!!

Comments (4)

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

Comments (7)

કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.

– નિરંજન ભગત

‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…

સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.

પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.

આજે ‘કરોળિયો’ની વાત કરીએ:

કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!

Comments (7)

(દુબારાની મોસમ!) – નિનાદ અધ્યારુ

નજરથી નજરના નજારાની મોસમ,
છે કાચી-કુંવારી કુંવારાની મોસમ !

તમે બ્હાર નીકળો તો માલૂમ પડે ને !
તમે ક્યાંથી જાણો કિનારાની મોસમ !

તમે જો વધારે સમય ફાળવો તો,
બનાવીને બેસું વધારાની મોસમ !

તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો,
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ !

હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો,
અમે જોઈ લીધી સિતારાની મોસમ !

અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.

‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
અમારી આ આંખે દુબારાની મોસમ !

– નિનાદ અધ્યારુ

શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…

Comments (12)

……..नहीं देखा – પરવીન શાકિર

बिछड़ा है जो इक बार तो मिलते नहीं देखा
इस ज़ख़्म को हम ने कभी सिलते नहीं देखा

બિછડનાર ફરીને મળતો નથી…આ ઝખ્મ ભરાતો નથી

इक बार जिसे चाट गई धूप की ख़्वाहिश
फिर शाख़ पे उस फूल को खिलते नहीं देखा

અર્થાત – એકવાર દૌલતની ચમક આંખને આંજી નાખે, પછી એમાં કોમળ લાગણીને પારખવાની શક્તિ નથી રહેતી. “પૂરબ ઔર પશ્ચિમ ” પિક્ચરનું ગીત યાદ આવી જાય – ” નઝર મેં સિતારે જો ચમકે ઝરા, બૂઝાને લગી આરતી કા દિયા ”

यक-लख़्त गिरा है तो जड़ें तक निकल आईं
जिस पेड़ को आँधी में भी हिलते नहीं देखा

એકાએક એવું ઉખડયું કે મૂળસોતું પડી ગયું, એ વૃક્ષ કે જે આંધીમાં તસુભર હાલ્યું નહોતું…. – પાષાણને તલવાર ન તોડી શકે, કુમળા છોડના મૂળિયાં પાષાણને વીંધી નાખે ! બીજા અર્થમાં, પરાયાના ઘા સહી શકાય, પોતીકાની એક ટપલી આપણને મૂળસોતા જમીનદોસ્ત કરી દે.

काँटों में घिरे फूल को चूम आएगी लेकिन
तितली के परों को कभी छिलते नहीं देखा

આ શેર શિરમોર છે. આ શેરને ખાતર આખી ગઝલ અહીં મૂકી છે. વાહ !!

किस तरह मिरी रूह हरी कर गया आख़िर
वो ज़हर जिसे जिस्म में खिलते नहीं देखा

એ ઝેર એવું હતું જે માત્ર આત્મા પર જ અસર કરી ગયું. એ શરીર પર અસર બેઅસર રહ્યું. અર્થાત – સનમનો પ્રહાર એવો આકરો હતો કે તેણે સીધો આત્મા પર જ આઘાત કર્યો…..

– પરવીન શાકિર

Comments (2)

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

Comments (2)

ધરતીના લીલા કાગળ ૫૨ – હેમેન શાહ

આ કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,
ધરતીના લીલા કાગળ પ૨ ઝાડ કશું ટપકાવે છે!

વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,
એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.

આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને,
નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે!

મોસમ એવી છે કે પથ્થ૨ ૫૨ પણ, કૂણું ઘાસ ઊગે,
એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.

ઊભા રહીને બ્હાર, ઉકેલો આ પાણીના અક્ષરને,
કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?

– હેમેન શાહ

આમ તો શિયાળો બરાબર જામ્યો છે પણ કેટલીક કવિતાઓ બારમાસી હોય છે. વરસાદ ઉપર કવિનું આ પાંચ શેરનું મેઘદૂતમ્ તો જરા જુઓ! વરસાદ કેમ આવે છે એ સવાલ પૂછ્યા વિના કવિ જવાબ આપે છે કે કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે એટલે વરસાદ આવે છે. મેઘધનુષ ગમે એટલું સુંદર કેમ ન લાગે, એનું આયુષ્ય બહુ અલ્પ જ હોવાનું. જીવનની ફિલસૂફી જ સમજો ને! નાની અમથી વસ્તુ પણ બહુ મોટી અસર જન્માવી શકે છે, ખરું ને? ક્ષણાર્ધ માટે આકાશમાં ઝબકી જતી વીજળીના ચમકારા કોને પસંદ નહીં હોય, કહો તો?! પથ્થર પર ઘાસ ઊગે એ હકીકતને કવિ પથ્થરદિલ પ્રિયજનના હૃદયમાં લાગણી ફૂટવા સાથે સ-રસ રીતે સાંકળી લઈ પ્રેમીઓને નિરાશ ન થવાનો કાવ્યાત્મક સંદેશ આપે છે. અને છેલ્લો શેર… વાત તો સાચી જ છે ને! વરસાદની આ કવિતા આમ અહીં વાંચવાના બદલે એ વરસતો હોય ત્યારે તરબોળ થવાનો આનંદ કેમ ન લેવો?

Comments (12)

(…પણ સમજ સાથે) – દર્શક આચાર્ય

પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.

સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.

સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.

– દર્શક આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.

Comments (13)

ચડાઉ પાસ – સૂચિતા કપૂર

મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.

– સૂચિતા કપૂર

આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…

Comments (10)

हम कि ठहरे अजनबी – ફૈઝ અહમદ ફૈઝ

हम कि ठहरे अजनबी इतनी मुदारातों के बा’द
फिर बनेंगे आश्ना कितनी मुलाक़ातों के बा’द

આટલી બધી ખાતિરદારી કરવા છતાં એક અમે જ અજનબી રહી ગયા. કોણ જાણે કેટલી મુલાકાતો પછી ફરી મિત્ર બનીશું… [ આ શેર 1974માં ઢાકાની મુલાકાત બાદ વિમાનમાં કહ્યો હતો – કદાચ તે વખતની રાજકીય પરિસ્થિતિથી વ્યગ્ર થઇ ને કહ્યો હશે. ]

कब नज़र में आएगी बे-दाग़ सब्ज़े की बहार
ख़ून के धब्बे धुलेंगे कितनी बरसातों के बा’द

કોણ જાણે ક્યારે બે-દાગ હરિયાળી નજરે ચડશે….. લોહીના ધબ્બાઓ કેટલા બધા ચોમાસે ધોવશે…..[ આ પણ બાંગ્લાદેશના રક્તપાત સંબંધે લાગે છે ]

थे बहुत बेदर्द लम्हे ख़त्म-ए-दर्द-ए-इश्क़ के
थीं बहुत बे-मेहर सुब्हें मेहरबाँ रातों के बा’द

પ્રેમના અંતકાળની દારુણ વેદનાની પળો અત્યંત દર્દનાક હતી…મહેરબાન રાતોની સવાર ખૂબ જ નિર્મમ હતી… પ્રેમની પૂર્વશરત જ એ છે – વીંધાવા માટે તૈયાર હોવું…. જિબ્રાન એ જ કહે છે – ” પ્રેમનો વાઈન માદક જેટલો છે તેટલો જ દાહક છે ”

दिल तो चाहा पर शिकस्त-ए-दिल ने मोहलत ही न दी
कुछ गिले शिकवे भी कर लेते मुनाजातों के बा’द

દિલ તો બહુ હતું પણ દિલના ઘોર પરાજયે અવકાશ જ ન આપ્યો, બાકી બંદગી બાદ અલ્લાહ સાથે થોડી રાવ-ફરિયાદ પણ કરી લેતે… – આ મારો પ્રિય શેર છે. ઘણીવાર મન એવું ઉઠી જાય કે હજાર હાથવાળા પાસે કંઈ કહેવા-માંગવા હાથ ઊંચકાતો જ નથી. ડૉ મુકુલ ચોક્સી યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા….”

उन से जो कहने गए थे ‘फ़ैज़’ जाँ सदक़े किए
अन-कही ही रह गई वो बात सब बातों के बा’द

નજરાણામાં ઉતારેલું મસ્તક લઈ એમની સાથે જે વાત કરવા ગયા હતા, ત્યાં આડી-તેડી વાતો બાદ મૂળ વાત તો અનકહી જ રહી ગઈ…. કદાચ સંકોચ કારણભૂત હશે, કદાચ ઠંડા આવકારથી એટલો તીવ્ર અભાવ થઈ આવ્યો હશે કે મન જ ન થયું એ વાત કરવાનું, કદાચ તેઓ જાતે જ જો ન સમજે તો ફોડ પાડીને કહેવું વ્યર્થ લાગ્યું હશે……- જે પણ કારણ હોય, જીભ ઉપડી નહીં…મનની વાત મનમાં રહીને નાસૂર બનશે હવે….

–  ફૈઝ અહમદ ફૈઝ

 

નૈયારા નૂર 👇🏻

 

Comments (6)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

માતૃમહિમા : ૦૭ : મમ્મી પ્યારી – એમી આર. એડિંગ્ટન (અનુ.: વિવેક મનહર ટેલર)

તે મારી મા છે,
એક દુર્દાન્ત, અપ્રાપ્ય ધ્યેય.
લોખંડી અને મખમલી અને અક્ષમ્ય વખાણથી બનેલી સ્ત્રી.
એ એ તમામનું માપ છે,
જે હું કદી બની શકનાર નથી.
એ મને જુએ છે અને મારી આરપાર જુએ છે.
એ મને ચાહે છે પણ એના કાંટાળી વાડવાળા દિલથી,
મને અનુમોદનની
અવિરત તડપની સાંકળમાં જકડી રાખીને.
હું મારું માથું ઈંટોની દીવાલ સાથે
અવિરતપણે અફાળ્યા કરીશ,
જો તું મને માત્ર એટલું કહી દે કે તું મને પ્રેમ કરે છે,
તને મારા પર ગર્વ છે,
બસ, કહી દે કે હું સારી છું.
સ્વ-મૂલ્યનના તમામ માપદંડ એક જ સ્ત્રીમાં ભર્યા પડ્યા છે
જે મને એટલો પ્રેમ કરે છે
કે મને ચીરી નાંખી શકે છે.

– એમી આર. એડિંગ્ટન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પુષ્કળ શોધખોળ કરવા છતાં માતા અને સંતાનોના સંબંધમાં ઉદભવતી તકલીફો વિશે બહુ ઓછી કવિતાઓ જ હાથ લાગી. આ વિષય પર દિલીપ ઝવેરીની એક અદભુત રચના થોડા દિવસ પહેલાં આપણે માણી. એક રચના મારી પણ આપ અહીં માણી શકો છો. આજે જે રચના અહીં પૉસ્ટ કરી છે, એના કવયિત્રીનું નામ બિલકુલ જાણીતું નથી. એમણે લખેલી અન્ય કોઈ રચનાઓ પણ હાથ આવતી નથી.

દીકરી માને પુષ્કળ પ્રેમ કરે છે અને મા પણ દીકરીને પ્રેમ કરે છે પણ જિંદગી માટે પોતે ‘સેટ’ કરેલ સિદ્ધાંતોના ભોગે નહીં. સંતાનો માટે મા-બાપ જીવનના પ્રથમ આદર્શ હોય છે અને દરેક સંતાન કમસેકમ જીવનની શરૂઆતમાં તો મા-બાપ જેવા જ બનવાનું નિર્ધારતાં હોય છે. પણ અહીં દીકરી મા માટે મા એક અદમ્ય અને અપ્રાપ્ય ધ્યેય છે. એનું વ્યક્તિત્વ લોખંડી પણ છે અને મખમલી પણ. કઠોરતા અને ઋજુતાના સંમિશ્રણથી બનેલી મા દીકરીની આરપાર તાગી શકે એવી તીક્ષ્ણ નજર પણ રાખે છે. એ દીકરીને પ્રેમ તો કરે છે પણ એના હૃદયની ફરતે કાંટાળી વાડ છે અને દીકરીએ માનો સ્નેહ મેળવવા માટે અવિરતપણે તડપતા રહેવું પડે છે, કેમકે માએ નિર્ધારિત કરેલ પદચિહ્નો પર ચાલી ન શકે ત્યાં સુધી મા એને પ્રેમામૃતનો સ્વાદ ચખાડનાર નથી. દીકરી માને એટલો પ્રેમ કરે છે કે ખાલી એકવાર પણ જો મા એમ કહી દે કે એ એને ચાહે છે, એને એના પર ગર્વ છે અને એ સારી દીકરી છે, તો બદલામાં આખી જિંદગી દીવાલમાં માથું અફાળ્યા કરવાની સજા ભોગવવા પણ એ તૈયાર છે. પણ મા પોતે નક્કી કરેલ સ્વમૂલ્યનના માપદંડ પરથી તસુભર પણ નીચે ઉતરવા માંગતી નથી, ભલે દીકરી એના પ્રેમની તરસમાં ચિરાઈ કેમ ન જાય!

આપણામાંથી ઘણાને વધતે-ઓછે અંશે આ અનુભવ થયા જ હશે. દરેક માતા પોતાના સંતાનોને સુપર-કિડ જોવા માંગે છે. અભ્યાસ, રમત-ગમત, કળા –તમામ ક્ષેત્રમાં અગ્રેસર આવવા માટે માતાઓ સંતાનોને સતત પ્રેસરાઇઝ્ડ કરતી જ રહે છે. દર થોડા દિવસે અખબારમાં સમાચાર આવતાં રહે છે કે નવમા-દસમા-બારમા ધોરણમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. ખલિલ જિબ્રાનની આ વાત આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવી છે:

Your children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.
You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
You may strive to be like them, but seek not to make them like you.

*
mommy dearest

She is my mother,
that indomitable, unattainable goal.
A woman of iron and silk and unforgiving praise.
She is the measure of all that
I will never be.
She sees me and looks right through me.
She loves me with a barbed wire heart,
chaining me to a relentless yearning
of approval.
I will beat my head
endlessly against a brick wall
if you simply say you love me,
say you’re proud of me,
say I’m good.
All measure of self-worth is wrapped
in the one woman who loves me enough
to tear me apart.

– Amy R. Addington

Comments (8)

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

માતૃમહિમા : ૦૫ : મા – જયન્ત પાઠક

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.

રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.

– જયન્ત પાઠક

મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?!  મા તે મા, બીજા બધા વગડાનાં વા !    જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!

હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.

Comments (5)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)

માતૃમહિમા : ૦૩ : सिपाही का मर्सिया – फैज़ अहमद फैज़

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

तुमरी सेज सजावन कारन
देखो आई रैन अँधियारन
नीले शाल-दोशाले ले कर [ ઘેરા રંગની શાલ ]
जिन में इन दुखियन अँखियन ने
ढेर किए हैं इतने मोती
इतने मोती जिन की ज्योती
दान से तुम्हरा, जगमग लागा
नाम चमकने

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

घर घर बिखरा भोर का कुंदन [ સવારનો સોનેરી તડકો }
घोर अँधेरा अपना आँगन
जाने कब से राह तके हैं
बाली दुल्हनिया, बाँके वीरन
सूना तुमरा राज पड़ा है
देखो कितना काज पड़ा है
बैरी बिराजे राज-सिंहासन
तुम माटी में लाल

उट्ठो अब माटी से उट्ठो,
जागो मेरे लाल
हठ न करो माटी से उट्ठो,
जागो मेरे लाल
अब जागो मेरे लाल

– फैज़ अहमद फैज़

મા નો આર્તનાદ છે – વીર પુત્ર અન્યાય સામે લડતા શહીદી પામે છે ત્યારે મા વિશ્વાસ નથી કરી શકતી કે તે હવે કદી નહીં ઉઠે….દીકરાને અદમ્ય વ્હાલથી ઉઠાડે છે….

આ નઝ્મ વાંચીને આંખ ભીની ન થાય તો નવાઈ….

માભોમ માટે વીરગતિ પામતા પુત્રોની માતાઓની પરિસ્થિતિ વિચારતા રુંવાડા ઊભા થઈ જાય !! પોતાના હાથે વીરતિલક કરીને વહાલસોયાને રણભૂમિએ વિદાય કરતી મા પુત્ર કરતાં ઓછી વીર નથી હોતી…..

 

નૈયારા નૂરના અદ્ભૂત કંઠે આ રચના ગવાયેલી છે 👇🏻

 

Comments (2)

માતૃમહિમા : ૦૨ : મા – દિલીપ ઝવેરી

એક વા૨ જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે
જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂત૨ના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સ૨નામાં
બહેનપણીઓનાં નામ નામ વગ૨ના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલ૨
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફે૨વતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય ત્યારે
ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘ૨વાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બ૨ડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વ૨ના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વા૨ જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.

– દિલીપ ઝવેરી

ભાવકોની ક્ષમાયાચના – હું માર્તુત્વના glorificationમાં નથી માનતો. માતા આખરે માનવી છે અને માનવસહજ નબળાઈઓ અને સામર્થ્ય – બંને ધરાવે છે. ખૂબ નાનપણથી જ મને કદીપણ એ વાત સમજાઈ જ નથી કે બાળકને જન્મ આપીને શું માતા-પિતા તેના પર કોઈ ઉપકાર કરે છે ?? શું એ પ્રકૃતિના નિયમને આધીન નથી ? બાળકનો ઉછેર અને તે માટે આપવામાં આવતું બલિદાન એ જરૂર માતા-પિતાનું ઉત્તમ ચારિત્ર્ય દર્શાવે છે, પરંતુ તે શું માતા-પિતાની personal choice પણ નથી ?? બાળક તો તે વખતે કંઈપણ માગણી મૂકવા સક્ષમ હોતું જ નથી. વળી એ તો ઋણાનુબંધ છે – બાળક પોતાનો સમય આવ્યે પોતાનું કર્તવ્ય નિભાવે જ છે !!. ” છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય ” – આ કહેવત બાળકો સાથે અન્યાય કરતી મને હંમેશા લાગી છે. સમાજમાં કમાવતરના કિસ્સા ઓછા નથી. દીકરીની ભ્રુણહત્યાથી વિશેષ કમાવતરપણાના ઉદાહરણની જરૂર ખરી વળી ??? ભૃણહત્યા કરાવનાર માતા હમેશા ‘લાચાર અને અસહાય’ નથી હોતી !!

જેવા અન્ય સંબંધો છે તેવા જ મા-બાળકના સંબંધ- એમ માનું છું. કોઈપણ માનવીય સંબધનું ઊંડાણ માનવી-માનવીની મૂળભૂત સારાઈ, પ્રજ્ઞાના સ્તર અને જે-તે વ્યક્તિની કરુણાની વ્યાપકતા ઉપર આધાર રાખે છે. જે માણસ મૂળભૂત રીતે જેટલું સારું,તેટલા તેના સંબંધો સુંદર, તેટલું તેનું કોઈપણ સંબંધમાં commitment સંપૂણ…..ઘણીબધી મહિલાઓ “માતા-બાળક” ના લેબલ વગરના સંબંધો પણ ઉત્કૃષ્ટ રીતે ઉજાળે છે. માતાને glorify કરવામાં અજાણતા અન્ય સંબંધોને અન્યાય થઇ જતો હોય છે.

વળી મને માતૃસવરૂપની પોતાના સંતાન માટેની મમતા તો દેખાય છે, અનુભવાય છે, સમજાય છે…..પરંતુ તે સંતાનના જીવનસાથી માટેનો-ખાસ કરીને પુત્રવધુ માટેનો -માતાનો અભાવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી તો શકાય છે, પણ સ્વીકારી નથી શકાતો,માફ નથી થઈ શકતો,નજરઅંદાઝ નથી કરી શકાતો….. આવી કેવી મમતા ??? પોતાની દીકરી એ દીકરી અને પોતાની પુત્રવધુ એ ડાકણ ?????

માતાની મમતા સૌએ અનુભવી છે, સાથે જ પિતાની મમતા પણ અનુભવી છે….અન્ય આપ્તજનોની પણ અનુભવી છે….

પ્રસ્તુત કાવ્ય મીઠું-કડવું કાવ્ય છે. ક્યાંક કવિ માતાની લાક્ષણિકતાઓને હસી કાઢે છે, તો ક્યાંક માતાની માનવસહજ ત્રુટિઓને બક્ષતા નથી. છેલ્લી પંક્તિ કવિનો મૂડ સ્પષ્ટ કરી દે છે.

માતા માનવી છે – વધુ પણ કંઈ નહીં, ઓછું પણ કંઈ નહીં……

Comments (17)

માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક

(મંદાક્રાન્તા)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!

– કરસનદાસ માણેક

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે માતૃમહિમાની શરૂઆત કરસનદાસ માણેકના આ સૉનેટથી કરીએ.

જીવનના ગૂઢતમ રહસ્યો ઉકેલવા માટે, જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે મનુષ્ય જીવનભર મથતો રહે છે. ગ્રંથો ઉથલાવ્યે રાખે છે, તીર્થોના મેલા પાણીમાં સ્નાનાદિ કરે છે, મંદિરોના આંટાફેરા કરે છે, સંતોનું શરણું સેવે છે, એકાંતવાસમાં જાતને જોવા-પામવાની કોશિશ કરે છે, દુનિયામાં વખણાયેલ ભીતરના સઘળા ભંડાર પણ ખોલી જુએ છે, પણ ક્યાંય ઇચ્છિત તેજકણ કે જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.

દીકરાનો આ વૃથા વ્યાયામ, આ ગડમથલ માની આંખોથી છાનો રહેતો નથી. એ કેવળ પ્રેમામૃત વર્ષાવ્યા કરે છે અને એમાં નથી હોતો સંતાનને પોતાના તરફ ખેંચવાની સ્વાર્થવૃત્તિ કે નથી હોતી પોતાની થઈ રહેલી અવગણનાના કારણે અનુભવાતા દુઃખનો સહેજે ભાસ. એની તો દિલી ઇચ્છા એ જ રહે છે કે પોતાના બાળકને જ્યોતિ લાધે… પણ સંતાનને મોડે મોડે રહીરહીને ખબર પડે છે જે એની મા જ ખરું જ્યોતિધામ છે…

માતૃમહિમા કરતી કેટલીક રચનાઓ લયસ્તરો પર પહેલેથી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરવાનું નિર્ધાર્યું છે. ગુજરાતી સાહિત્યની એ અમર રચનાઓ આપ અહીં ફરીથી માણી શકો છો:

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ. – દામોદર ખુ. બોટાદકર
વળાવી બા આવી – ઉશનસ્
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

આ સિવાય પણ કેટલીક ઉમદા રચનાઓ અહીં માણી શકાશે…

મા-અશોક ચાવડા ‘બેદિલ’
બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી
બા – મૂકેશ જોશી
ઠાકોરજી – મા – હસમુખ પાઠક
પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ
મા – સંદીપ ભાટિયા
ગઝલ – કિશોર બારોટ
મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

Comments (5)

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?

મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (49)

એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…

વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
.                   સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
.                   સાથે સૌ સ્હેજો !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

* * *

વીત્યાંને રોવું – કલાપી

રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :

– કલાપી
(૨૯-૪-૧૮૯૭)

આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.

આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.

કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…

Comments (8)

તારનું તૂટવું – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0

તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0

– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)

કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી

Comments (2)