અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
April 9, 2009 at 1:55 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.
આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.
અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.
મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.
– ભગવતીકુમાર શર્મા
મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.
આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે
Permalink
April 8, 2009 at 7:25 PM by ધવલ · Filed under ગઝલ, ધ્વનિલ પારેખ
છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો;
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.
એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.
ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ? આખરે માણસ હતો.
– ધ્વનિલ પારેખ
માણસ હોવું – એ અજાયબ ઘટનાને તપાસતી ગઝલ.
Permalink
April 7, 2009 at 10:37 PM by ધવલ · Filed under ગઝલ
હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે –
આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
હું જ છું કે જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરનાં ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
– અનિલ વાળા
આ ગઝલ વાંચ્યા પછી સૌથી પહેલો વિચાર આવ્યો તે આ : અહીં તો એક નહીં પણ ઢગલાબંધ પ્રશ્નો ઊભા છે. અને સૌથી પહેલો પ્રશ્ન છે – ભાઈ, આ ગઝલ છે શાના વિશે ? 🙂
મજાક જવા દો તો ગઝલની મુખ્ય વાત આ છે : પોતાની જાતના જુદા જુદા પાસા જોઈને કવિને થાય છે કે આમાંથી એકે ય પાસું મારો પૂરો પરિચય આપી શકે – મારી જાતને define કરી શકે – એમ નથી. પોતાના બહુઆયામી અસ્તિત્વમાં કવિને વિસંગતતાની વાસ આવે છે. આ બધું તો છે પણ આ બધું એ હું નથી એવી વેદ-વેદનાને કવિએ અહીં ઉજાગર કરી છે.
એક રીતે જુઓ તો ‘હું કોણ છું’ એ એકીસાથે, જગતનો સૌથી વધુ અગત્યનો અને સૌથી વધુ મિથ્યા પ્રશ્ન છે. ‘હું’ને જાણવો વધારે જરૂરી છે કે ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તો ભલભલા ઋષિઓની દાઢી સફેદ થઈ ગયેલી એ ચોક્કસ વાત છે.
Permalink
April 6, 2009 at 6:55 PM by ધવલ · Filed under અછાંદસ, હરિકૃષ્ણ પાઠક
હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતી ફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.
હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લ્હેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.
હમણાં હમણાં
એમ થાય કે
ઘરજંજાળી આટાપાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા
એકાંત ગુફાના ઓઢું.
હમણાં હમણાં…
– હરિકૃષ્ણ પાઠક
પ્રકૃતિના ખોળામાં ખોવાઈ જવાની ઈચ્છાને કવિ નમણા કલ્પનોથી સજાવે છે તો ત્યારે એ ઓર આકર્ષક લાગે છે. હમણાં હમાણાં… નું પુનરાવર્તન સરસ અસર ઉપસાવે છે.
Permalink
April 5, 2009 at 12:40 AM by વિવેક · Filed under મુક્તક, શૂન્ય પાલનપુરી
શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.
– શૂન્ય પાલનપુરી
મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે !
Permalink
April 4, 2009 at 2:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ

પ્રિય મિત્રો,
થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…
આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.
પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ – લયસ્તરો.કોમ – www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.
આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.
(ગુજરાત મિત્ર…. …તા.: 03-04-2009)
*
(દિવ્ય ભાસ્કર… …તા.: 04-04-2009)
Permalink
April 4, 2009 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ, હસ્તપ્રત

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)
*
શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.
આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.
આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.
આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?
‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?
– હર્ષવી પટેલ
કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.
ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે. ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.
મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…
Permalink
April 2, 2009 at 2:00 PM by વિવેક · Filed under ગઝલ, બંકિમ રાવલ
ઊંટ મતલબ રણ વિશે અટ્ક્યા વિના ચાલી જવું,
ચાલવું શું છે : કદી પૂછ્યા વિના ચાલી જવું.
કઈ રીતે ચાલી શકે જળને જરા સમજાવશો :
એક દરિયાઈ તરસ સમજ્યા વિના ચાલી જવું !
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું.
મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.
-બંકિમ રાવલ
ગાડરિયા પ્રવાહમાં વહ્યા કરવાની આપણી ઘેંટાવૃત્તિને કવિએ રણ શું છે, રણમાં ચાલવાનું કારણ શું છેની પળોજણમાં પડ્યા વિના ઊંટના નિશ્પ્રશ્ન ચાલ્યા કરવાની ક્રિયા સાથે સરખાવી છે.. આપણે સહુ ગતિશીલ છીએ પણ આપણી ગતિ કઈ દિશામાં અને કયા હેતુથી છે એ બહુધા ઘાણીના બળદ પેઠે આપણે જાણતા નથી હોતા. બીજા શેરમાં કવિ અને ભાવક વચ્ચે એક સૂક્ષ્મ સંવાદનો સેતુ ઊભો થાય છે અને જળના પ્રતીક વડે કવિ કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. જળનો જ અવતાર હોવો અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા નથી ? આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની… ખરું ને ?
Permalink
April 2, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.
નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.
અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.
નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.
બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.
નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.
અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.
– નીતિન વડગામા
એમના સ્મરણને તાદૃશ કરતી આ ગઝલના સાત શેર જાણે કે ઈન્દ્રધનુષના સાત રંગ છે. આ વાત પ્રેયસીની પણ હોઈ શકે, પ્રભુની પણ. ભાવકને પોતાની રીતે આખી ગઝલ અનુભવવાની છૂટ છે. સ્મરણની શક્તિનો કાકુવિશેષ કવિએ સરસ રીતે સિદ્ધ કર્યો છે…
એમના સ્મરણમાત્રથી પથ્થર સમી સૌ અડચણ દૂર થઈ જશે અને ક્ષણમાત્ર અવસર બની રહેશે. આંખો ખોલીને જુઓ તો ક્યાંય કોડિયું નજરે નહીં ચડે કેમકે સ્મરણનો ઉજાસ ભીતર અજવાળું પાથરે છે. એક સાચું સ્મરણ સાવ સહજતાથી મોહમાયાના પડળોથી પરે લઈ જઈ શકે છે અને પછી કોઈ હિસાબો સરભર કરવાની ચિંતા રહેતી નથી. સ્મરણની આછી ઝરમર જીવનભરના ઉકળાટને શાતા બક્ષે છે તો આપણી સુંદરતા અને સદ્ધરતા પણ સ્મરણની ભરપૂરતા પર જ અવલંબે છે. પંગુ થઈ બેઠેલા જીવતરમાં યાદનો પ્રાણવાયુ પુરાયો નથી કે એ પગભર થયું નથી…
Permalink
April 1, 2009 at 8:35 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન
– શેખાદમ આબુવાલા
Permalink
March 31, 2009 at 9:42 PM by ધવલ · Filed under ગીત, લાલજી કાનપરિયા
ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
– લાલજી કાનપરિયા
ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.
Permalink
March 30, 2009 at 9:14 PM by ધવલ · Filed under અછાંદસ, જયા મહેતા
ઓહો !
જોયું ?
મારી જિંદગીમાં આનંદની મહાન
આ ચાર ક્ષણ !
જેને માટે જીવવાની ઝંખના રાખી હતી !
આ પહેલી
મુંબઈની ગાડીગર્દીમાં મેં એક મોકળો શ્વાસ લીધો.
બીજી
મેં તને મારી કહેવાનું ઠરાવ્યું.
ત્રીજી
આકાશ સ્વચ્છ દેખાયું ગણગણાટ વગર.
ચોથી
મેં તેને ઓળખ્યો : તે પણ એક માણસ જ.
હું હવે સમાપ્ત થવાની શરૂઆત કરું છું.
– રમેશ પાનસે
(અનુ. જયા મહેતા)
કેટલું સીધું જીવન ! માત્ર ચાર એષણા… માત્ર ચાર ક્ષણ… ! એકમાં ભીડને ઓળંગી જવી, બીજામાં એકલતા ઓળંગી જવી, ત્રીજામાં પૃથ્વીને ઓળંગી જવી અને ચોથામાં ઈશ્વરના નિગૂઢત્વને ઓળંગી જવું. બોલો, છે ને કવિની કમાલ ?
ને બધું મળી ગયા પછી શું ? તમામ પ્રાપ્તિનું અંતિમ ધ્યેય શું ? – સમાપ્ત થવાની શરૂઆત ! Nothingness is our origin, and it is also our destiny.
Permalink
March 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)
ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે
જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે
આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે
ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે
સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે
દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે
રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે
– પંકજ વખારિયા
પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!
ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?
Permalink
March 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.
સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.
બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.
હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
– અશરફ ડબાવાલા
ઈતિહાસ બોલતો નથી, વાંચવો પડે છે. જે રીતે બે લીટીની વચ્ચેનું લખાણ ચૂકી જવાય તો ક્યારેક આખો અવસર હાથથી નીકળી જાય એમ સદીઓના મૌન બે હોઠોની વચ્ચે વણબોલાયેલો શબ્દ સાંભળવો રહી જાય તો શું ચૂકી જવાય એનો કવિને અણસાર છે જ એટલે એ આખા સૈકાનું મૌન સાંભળવા માત્ર એકાદ ઘડી માંગે છે… કાળનો તીવ્ર વિરોધાભાસ આ શેરને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે. વાત સો વરસની છે અને માંગણી એક પળની છે !!
બાકીના શેરમાં જાતે વિહરીશું ?
Permalink
March 25, 2009 at 11:03 PM by વિવેક · Filed under પ્રકીર્ણ

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા… …તા. 25-03-2009)
‘વૉઈસ ઑફ ગોડ’ તરીકે લતા મંગેશકરે જેમને નવાજ્યા હતા એ વીસમી સદીના શાસ્ત્રીય ગઝલોના બેતાજ બાદશાહ એવા ભારતીય મૂળના પાકિસ્તાની ગઝલ ગાયક જનાબ મહેંદી હસનની તબિયત આજે શરીર અને પૈસા- બંને દૃષ્ટિએ સાવ કથળી ચૂકી છે અને એમની સારવાર પેટે ખાનગી હૉસ્પિટલને ચૂકવવા માટે એમના કુટુંબીજનો પાસે આજે પાંચ લાખ રૂપિયા પણ નથી એવો અહેવાલ ગઈકાલના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે. ક્યારેક જેમની ગઝલો પર લાખો ઝુમી ઊઠતા હતા એવા આ મહાન ગાયકને મદદ કરવા માટે ગુજરાતી બ્લૉગ જગત તરફથી અમે જાહેર ટહેલ નાંખીએ છીએ….
આજ સુધીમાં કેટલાય સાહિત્યકારો અને કળાકારો બિમારી સામે લડવા માટેના નાણાંના અભાવે આપણે અકાળે ગુમાવ્યા છે… આવા નગુણા, બેકદરદાન ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થતું રોકવા માટે આપ સહુને યથાશક્તિ આગળ આવવા અમારી આ જાહેર આહલેક છે….
આપના તરફથી મળેલ દરેકેદરેક પૈસાનો જાહેરમાં આપને હિસાબ આપવામાં આવશે. આપે મદદનિધિમાં સહાય શી રીતે મોકલાવવી એની વિગતો સત્વરે આપને પહોંચાડવામાં આવશે. કવિશ્રી ડૉ. મુકુલ ચોક્સીની નિગેહબાની હેઠળ અમે સતત કાર્યરત્ છીએ. હાલ પૂરતું આપ આપનું નામ, સરનામું, ટેલિફોન નંબર સાથે આપ કેટલી સહાય કરવા માંગો છો એ અમોને ઇ-મેઈલ દ્વારા નોંધાવી શકો છો:
જયશ્રી ભક્ત પટેલ – shree49@gmail.com
ઊર્મિ – urminosaagar@yahoo.com
ડો. ધવલ શાહ – mgalib@gmail.com
ડો. વિવેક મનહર ટેલર – dr_vivektailor@yahoo.com

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા… …તા. 27-03-2009)
અત્યાર સુધીમાં જાહેર થયેલ મદદની રકમની માહિતી:
ડૉ. મુકુલ ચોક્સી, સુરત રૂ. 11000/=
ડૉ. નીરવ શાહ, સુરત રૂ. 5000/=
ડૉ. તીર્થેશ મહેતા, સુરત રૂ. 5000/=
ડૉ. વિવેક ટેલર, સુરત રૂ. 5000/=
કેદાર જાગીરદાર, સુરત રૂ. 5000/=
ડૉ. કેતન દેસાઈ, સુરત રૂ. 5000/=
ડૉ. પ્રફુલ દોશી, સુરત રૂ. 5000/=
ડો. ધવલ શાહ, અમેરિકા રૂ. 5000/=
શિવાલી પટેલ રૂ. 1001/=
કિરણ પંડ્યા, સુરત રૂ. 5000/=
સંદીપ ઠાકોર રૂ. 10000/=
અનામી, (ટોરોંટો, કેનેડા) રૂ. 5000/=
જયશ્રી ભક્ત, અમેરિકા રૂ. 5000/=
નીરવ પંચાલ રૂ. 2500/=
ભાવના શુક્લ, અમેરિકા $. 50/=
હરીશ બજાજ, સુરત રૂ. 5000/=
ધનંજય દેસાઈ, સુરત રૂ. 11,000/=
જનક નાયક, સુરત રૂ. 10,000/=
દેવેન મોદી રૂ. 1,000/=
દેવેન્દ્ર ગઢવી, યુ.કે £50/=
નવિન વોરા, યુ.એસ. $50/=
આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિઆ રૂ. 5000/=
ડો. ગિરીશ શાહ, સુરત રૂ. 15,000/=
ભરત એટોસ, પાલનપુર રૂ. 1000/=
Permalink
March 24, 2009 at 9:22 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, મુક્તક
શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.
– ઘાયલ
Permalink
March 23, 2009 at 10:40 PM by ધવલ · Filed under અછાંદસ
આ લ્યો તમારી છરી
જેની તમને ખોટ ન જ સાલવી જોઈએ
એવું તમારું ઓજાર
ચમકતું, ચોખ્ખું અને ધારદાર
લગભગ નવા જેવું જ,
મારી પીઠે એને જરીક પણ નુક્સાન પહોંચાડ્યું નથી.
– એલ્ડર ઓલસન
(અનુ સુરેશ દલાલ)
Permalink
March 22, 2009 at 10:53 PM by ધવલ · Filed under અદમ ટંકારવી, ગઝલ
મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.
તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.
છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.
દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.
સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.
ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.
– અદમ ટંકારવી
દરેક શેર અર્થસભર હોવા ઉપરાંત નાની નાની રમૂજથી પણ સભર છે. સ્મરણને સાતસોછ્યાસી અને યાદને શ્રી સવા કહેવાની વાત એકદમ નવીનક્કોર છે. ગઝલ સીધીસાદી હોવી જોઈએ એવું તો ઘણાએ કહ્યું છે, પણ ‘જીવીકાકીની સવિતા જેવી’ નવી જ અસર જન્માવે છે 🙂 મારો પ્રિય શેર જોકે છોડ રૂપક.. છે. કોઈક ચહેરા રૂપકો ને ઉપમાઓથી તદ્દન પર હોય છે !
ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.
Permalink
March 21, 2009 at 7:26 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત

(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)
*
દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.
સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !
હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.
ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?
ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…
– અંકિત ત્રિવેદી
અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….
Permalink
March 20, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.
આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.
કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.
બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.
ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !
– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી
જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…
Permalink
March 19, 2009 at 12:32 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
– દિનેશ કાનાણી
આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…
Permalink
March 18, 2009 at 7:09 PM by ધવલ · Filed under ખલિલ જિબ્રાન, ગીત, મકરન્દ દવે
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે
રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.
Permalink
March 17, 2009 at 9:32 PM by ધવલ · Filed under મુકુલ ચૉકસી, મુક્તક
તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.
– મુકુલ ચોકસી
Permalink
March 16, 2009 at 9:53 PM by ધવલ · Filed under ગઝલ, જયેન્દ્ર શેખડીવાલા
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં
મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં
આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં
કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં
આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં
– જયેન્દ્ર શેખડીવાલા
સ્મરણચૂર સાંજની આ ગઝલ મુઝફ્ફર અલીની ફિલ્મના દૃશ્યની જેમ ધીમે ધીમે ઉઘડે છે. ફૂલ અને ફોરમ – જે ખરેખર તો એક જ હતા – એમણે અજાણ્યા દેશમાં મળવું પડે એવી વિવશ મુલાકાતની આ સાંજ છે. અહીં તો સ્વપ્નમાં પણ મુલાકાત થાય તો ય સુગંધના આખા કાફલા મળે છે. એક મિલનથી સમયની સુક્કીભટ નદી હજારો સૂર્યને પ્રતિબિંબિત કરતી – જલજલવંતી – થઈ જાય છે. માણસે ડૂબી જવું પડે – ભલે એ ભંવરમાં હોય કે આકાશમાં – તો જ પોતાની ખરી જાત સાથે મુલાકાત થઈ શકે છે. બારીને બહાર નજર જતાં – લોહીયાળ સૂર્ય જોતા – ગઈકાલના મિલનની દૃશ્યાવલી ફરી ઘેરી વળે છે.
Permalink
March 15, 2009 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.
શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?
શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.
-ડૉ. વિવેક મનહર ટેલર
આજે અહીં પોસ્ટ કરવા માટે વિવેકની એક ગઝલ શોધવા જતાં આ જૂની ગઝલ હાથમાં આવી અને શબ્દોનું આ સાલિયાણું મને ખૂબ જ ગમી ગયું. પ્રિય વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ…એની આ જૂની ગઝલને આજે ફરી માણીએ.
Permalink
March 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
*
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
Permalink
March 13, 2009 at 1:05 AM by વિવેક · Filed under અછાંદસ, કાજલ ઓઝા-વૈદ્ય
અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?
તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…
ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે
શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?
– કાજલ ઓઝા – વૈદ્ય
સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…
Permalink
March 12, 2009 at 9:20 PM by ધવલ · Filed under અછાંદસ, મંગેશ પાડગાંવકર
શિયાળાની ઠંડી ઉદાસ સાંજે
સૂર્ય પાણીમાં બૂડતો હોય ત્યારે
મેં જોઈ બાગના બાંકડા ઉપર
એકલી બેઠેલી બાઈ રડતી…
માણસો આટલા એકાકી કેમ રહે છે ?
– મંગેશ પાડગાંવકર
Permalink
March 11, 2009 at 10:18 PM by ધવલ · Filed under અછાંદસ, શેશ્લો મિલોશ, સુરેશ દલાલ
ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.
– શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)
શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે એને સલામ કરીએ. દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.
Permalink
March 10, 2009 at 8:00 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…
છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે
છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…
છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી
છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…
– રમેશ પારેખ
‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંગભરી શુભેચ્છાઓ…
ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
Permalink
March 9, 2009 at 9:13 PM by ધવલ · Filed under ગીત, સુરેશ દલાલ
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.
તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.
મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.
તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી જપમાળા
તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.
– સુરેશ દલાલ
સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.
Permalink
March 8, 2009 at 9:44 PM by ધવલ · Filed under ગઝલ
રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે.
કોઈના ખંભે ચઢીને એટલું જોઈ શક્યા,
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે.
આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું,
મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે.
ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.
આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.
આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.
– મહેન્દ્ર જોશી
માનવ સ્વભાવની મર્યાદાઓને નવી રીતે વર્ણવતી ગઝલ. મનને કોરી પાટી કરી કોઈને એના પર લખવા દેવું માણસ માટે અઘરું છે. મિનારા પર ચડીને દૂર સુધી દૃષ્ટિ કરી માણસ એટલું તરત શીખે છે કે નજીકનું જોવું કેટલું અધરું કામ છે ! પોતાની આદતોને છોડવી તો વળી એનાથી ય અઘરું છે. સતત વિષમતા વચ્ચે એક સપનું ઉછેરવું મુશ્કેલ છે. અને વર્ષો બાદ (માંડમાંડ ભૂલેલું એ જાણીતું) નામ (ફરી વાર) યાદ કરવું બહુ અઘરી વાત છે. દુ:ખ માણસની આંખમાં હંમેશ ડોકાઈ જાય છે – એને સંતાડવું બહુ અધરું કામ છે.
Permalink
March 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત

(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)
*
દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.
તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
– અંકિત ત્રિવેદી
જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…
Permalink
March 6, 2009 at 1:53 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?
સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?
વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?
ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?
છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?
-ગિરીશ પરમાર
દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…
Permalink
March 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમણીક સોમેશ્વર
કરાંજી કરાંજીને દિવસો વિતાવે,
એ સાવજ, વિસારી બધું, ઘાસ ચાવે !
ફફડતા રહે હોઠ, બોલી શકે ના –
‘અબે એય મખ્ખી ! મને કાં સતાવે ?’
એ હણહણતા હયનો જુઓ હાથ સાહી,
સમજદાર કીડીઓ ડગલાં ભરાવે !
ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !
વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !
-રમણીક સોમેશ્વર
ગઝલને કોઈ શીર્ષક ન આપ્યું હોવા છતાં કવિ આ મુસલસલ ગઝલમાં વૃદ્ધની વ્યથા રજૂ કરે છે એ તરત જ સમજી શકાય છે. યુવાનીનું જોર ઓસરી જાય ત્યારે સંતાનોની દયા પર માંડ જીવતું ઘડપણ આજીવન જે કામ કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું હોત એ કામ કરવા મજબૂર થઈ જાય છે, જાણે સિંહના ઘાસ ખાવાના દહાડા આવ્યા… જે ઘોડો ક્યારેક હણહણતો હતો એ આજે પૌત્રોના પ્રેમ માત્ર પર જીવી રહ્યો છે. કવિએ પૌત્રોની સરખામણી કીડી સાથે કરી એમની ઉંમર બતાવી છે પણ આગળ સમજદાર વિશેષણ લગાવી એક જ ઝાટકે પંડના દીકરાઓની અણસમજ પર તીવ્ર કટાક્ષ કર્યો છે… છેલ્લો શેર તો આખી ગઝલનો શિરમોર શેર છે વળી !
Permalink
March 4, 2009 at 8:42 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, દલપતરામ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
– દલપતરામ
આપણે બધા આ (લધુ) કથા-કાવ્ય ભણી જ ચૂક્યા છીએ. છંદ અને પ્રાસમાં કવિતાને અવિસ્મરણીય બનાવી દેવાની જે તાકાત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કવિએ છંદના માળખામાં રહી પ્રાસનો એવો કાબેલ પ્રયોગ કર્યો છે કે આ કવિતા વર્ષો પછી પણ મોટા ભાગના લોકોને યાદ હોય છે. કવિતાને મોટા અવાજે ગાઈ એના હિલ્લોળને મણવાની મઝા પણ એ જ કારણે છે.
Permalink
March 3, 2009 at 10:32 PM by ધવલ · Filed under ગીત
એક સોનેરી કાગળનો કટકો લીધો
અને લખ્યું તારું નામ મેં નવાબ;
તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું :
ને જાગીને જોઉં તો ગુલાબ.
અરસપરસ પાંદડી પૂછે સવાલ
પણ હોઠ નહીં ખોલે જવાબ;
કોનું એ નામ છે ને કોણે લખ્યું :
એના મૌનમાં તો મ્હેકે રુઆબ.
તારા તે નામથી ભરચક ભરી છે
આમ જુઓ તો કોરી કિતાબ.
એકએક પાંદડીને છુટ્ટી કરી
અને તરતું મૂક્યું મેં તળાવ
તારા તે નામનાં ખીલ્યાં કમળ
મને તારો તે કેવો લગાવ
ચાંદનીના જામમાં ઘૂંટે ઘૂંટે
હું તો પીઉં તારા નામનો શરાબ
– મિતુલ આશર
જૂની રંગભૂમિના ગીતો જેવી અસર ઉપજાવતું આ ગીત ઘણા વખતથી મનના ખૂણામાં પડી રહેલું તે આજે અચાનક મળી ગયું. પહેલી ચાર પંક્તિઓમાં કવિએ શૃંગારરસની એક નાજુક અદાને આબાદ ઝડપી લીધી છે. એક જમાનામાં આ પંક્તિઓ એવી હોઠે ચડી ગયેલી કે પંદર દિવસ સુધી એ જ ચાલ્યા કરી… પછી ‘ગુલાબ’ને થોડા વખત માટે ફરજીયાત આરામ આપવો પડેલો !
Permalink
March 2, 2009 at 11:30 PM by ધવલ · Filed under ત્રિપદી, મૂકેશ જોષી
એક જાદૂગર કશું તો આંખમાં આંજી ગયો
પાસનું પણ ના કદી જોઈ શકું હું દિવસે
આગિયાની રોશનીમાં ઉપનિષદ વાંચી ગયો
*
ક્યા કવિના શબ્દોથી ભીંજાતી’તી
મને ડાયરી વિના પઠન પણ ન ફાવે
કોયલ ત્યાં તો મોંઢે ગીતો ગાતી’તી
*
બાળ-શિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા
હાથ બદલાવ્યા છતાંયે માંડ દફતર ઊંચકે
મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા
*
સાથ રહીશું મંત્ર ભણવાના નથી
ઊજવે છે મધુરજની છતાં
પંખીઓ ક્યારેય પરણવાનાં નથી
– મૂકેશ જોષી
ત્રણ લીટીમાં એક ફોટોગ્રાફની જેમ, જીંદગીના એક નાના ટુકડાને હંમેશ માટે કેદ કરી લેતી તાજગી અને ચમત્કૃતિ સભર ત્રિપદીઓ.
Permalink
March 1, 2009 at 10:19 PM by ધવલ · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે
ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે
મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા
કવિને ફરિયાદ કરે તો કઈ રીતે ? – અલબત્ત ગઝલ લખીને જ ! કવિની ફરિયાદો તદ્દન અંગત છે. સાંજની સંકડામણની, ઝંખનાના જીવલેણ હોવાની, મૌનના પાંખાપણાની, આંખોના અભણપણાની અને મોતની છાની ચાલબાજીની – આવી બધી ફરિયાદો કવિ નહીં કરે તો બીજું કોણ કરશે ! મૌન પાછળ લાગણી શે’ર બહુ સરસ થયો છે. કવિઓ મૌનની શક્તિને સતત ગાતા હોય છે. પણ ખરેખર મૌન તો દેહ તો બહુ પાંખો હોય છે. બિચારું ચીંથરા જેવું મૌન કાંઈ છુપાવી શકતું નથી.
Permalink
February 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.
તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.
ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.
-પંકજ વખારિયા
પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?
Permalink
February 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under મહેશ દાવડકર, શેર, સંકલન
મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !
ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.
ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.
પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.
આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.
તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?
ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !
દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.
તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.
સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.
હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.
પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.
જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.
બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.
આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.
જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.
માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.
આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
-મહેશ દાવડકર
Permalink
February 26, 2009 at 10:46 PM by ધવલ · Filed under ગીતા પરીખ, મુક્તક
અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !
– ગીતા પરીખ
આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !
Permalink
February 25, 2009 at 10:30 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, સોરઠા
જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો
*
છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું
*
લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર,
ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?
*
કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો
– ઉદયન ઠક્કર
બે લીટીમાં નટખટ ફિલસૂફીને વણી લેતા રમતિયાળ સોરઠા તરત જ ગમી જાય એવા છે. સૂક્ષ્મ વિનોદદ્રષ્ટિ અને શબ્દોનો ચબરાક ઉપયોગ એક ક્ષણમાં જ સ્મિત-વિજય કરી લે છે.
Permalink
February 24, 2009 at 10:16 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.
– આદિલ મન્સૂરી
કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે. કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.
ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.
Permalink
February 23, 2009 at 2:15 AM by વિવેક · Filed under મહેશ દાવડકર, શેર, સંકલન
સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…

(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)
મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…
એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.
નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !
ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !
વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.
હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.
ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?
ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.
ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.
જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.
એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.
તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.
તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.
આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.
કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.
નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.
સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.
પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.
લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.
આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.
થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.
-મહેશ દાવડકર
સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…
…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…
Permalink
February 22, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.
આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.
પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.
લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.
લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !
-રાજેન્દ્ર શુક્લ
કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!
ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…
(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)
Permalink
February 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)
એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.
જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.
ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.
એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.
આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.
જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.
– દિવ્યા મોદી
આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?
Permalink
February 20, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, કાજલ ઓઝા-વૈદ્ય
મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…
…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?
– કાજલ ઓઝા- વૈદ્ય
કાજલ ઓઝા-વૈદ્યને સફળ નવલકથાકાર તરીકે ઓળખતો ન હોય એવો ગુજરાતી સાહિત્યરસિક મળવો દોહ્યલો છે પણ કવિ તરીકે ઓળખતા હોય એવા લોકો પણ જૂજ જ હશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષયાત્રા’ જોઈ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો અને પછી સંગ્રહમાંથી પસાર થતી વખતે સતત એ આંચકાઓનું પુનરાવર્તન થતું રહ્યું. સંગ્રહમાં વર્ણવેલી એમની આપવીતી અને એમની કવિતાઓ- બધું જ નિયત ઘરેડની બહારનું છે. આ પાનાંઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક દઝાતું હોવાનો અનવરુદ્ધ અહેસાસ થયા વિના નહીં રહે. પ્રથમ નજરે અછાંદસ ભાસતી મોટાભાગની કૃતિઓ આઝાદ નઝમની જેમ પોતીકો લય ધરાવે છે જે આજકાલ બહુધા જોવા મળતું નથી… અહીં કોઈ કૃતિને શીર્ષક અપાયું નથી એ પણ જવલ્લે જોવા મળતી બીના છે… સ્ત્રી હોવા છતાં એમણે જાતીયવૃત્તિઓ પર ક્યાંય ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી નથી અને એ જ રીતે પોતાની જાતને ઓગાળવાની પણ કોશિશ કરી નથી. અહીં તમામ કૃતિમાં સર્જકની સતત હાજરીનો એકધારો અહેસાસ અને નિરાવૃત્ત બેબાક સંવેદનાની તીખ્ખી ધાર કવિતાની અલગ જ જાતની ‘ફ્લેવર’ સર્જે છે !
Permalink
February 19, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
– રમેશ પારેખ
વસંતના આવવાની છટા તો દરેકે નિહાળી છે પણ માણસે-માણસે એની અનુભૂતિ ભિન્ન અને અભિવ્યક્તિ અલગ. આખું વર્ષ લીલાં પાંદડાં વેંઢાર્યા કરતો ગુલમહોર વસંત આવતાં જ નવી ચામડી પહેરવાનું આદરે છે અને ફાગણ આવતા સુધીમાં તો આખો લાલઘુમ્મ થઈ જાય છે… ગુલમહોરના મહોરવાની આ ઘટનાની નોંધ તો ગમે એટલો યંત્રવત્ માણસ પણ બેધ્યાનપણેય અચૂક લેતો હશે. ર.પા. લાલ-કેસરી રંગથી લચી પડતી આ ઘટનાને સાત શેરમાં સાત અલગ-અલગ રંગોથી મૂલવે છે. ઝાડ હેઠળ ઢંકાઈ જતા છાપરાંનો તોર જ માત્ર થોડો બદલાય છે, ફૂલ ખરીખરીને રસ્તા પણ તો આ ઋતુમાં જીવતા થઈ ઊઠે છે ! જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે અને આ તરફ કે પેલી તરફ રહેવાનું ભાન ભૂલાઈ જતાં સાથે વહી નીકળવાનું સોપાન સિદ્ધ થાય છે!
Permalink
February 18, 2009 at 10:33 PM by ધવલ · Filed under દિલીપ મોદી, મુક્તક
હું રડ્યો છું રેશમી જઝબાત પર
ને હસ્યો છું કારમા આઘાત પર
આમ હું જીવી લઈશ હે, જિંદગી !
મેં લખ્યું છે નામ ઝંઝાવત પર !
– દિલીપ મોદી
Permalink
Page 90 of 118« First«...899091...»Last »