સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

મારી ધરપકડ કરો ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

સાક્ષાત્ છું ઝનૂન, મારી ધરપકડ કરો !
મારું કર્યું મેં ખૂન, મારી ધરપકડ કરો !

ના, કોઈથી ઊતરતા હોવું ગુનો નથી, પણ-
હું છું સ્વયમ્ થી ન્યૂન, મારી ધરપકડ કરો !

લીધેલ શ્વાસ તરત જ ઉચ્છવાસ થઈ ઢળે ત્યાં
છે જીવવાની ધૂન, મારી ધરપકડ કરો !

આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !

જે ખીણમાં વસું છું, એ ખીણની દીવાલે,
મેં ચીતર્યું બલૂન, મારી ધરપકડ કરો !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કોઈ ગઝલ ચિત્કાર લઈને આવે છે. આ એવી ગઝલ છે. બરછટ પીંછીના ઘેરા લસરકાઓથી કવિ છૂટા છવાયા ચિત્રો દોરી આપે છે. ટૂટેલા કાચના ટૂકડાઓ જેવા એક એક શે’રમાં તમને પોતાની જાતનું (ટૂટેલું) પ્રતિબિંબ દેખાય તો આ ગઝલ સમજાયલી ગણવી.

ગઝલમાં બહુ ઝીણી વાતો કરી છે : પોતાની નજરમાંથી પડી જવાથી મોટો ગુનો (અને સજા) બીજી કોઈ નથી. એક પછી એક અપરાધ કર્યા પછી જાડી થઈ ગયેલી ચામડીની વાત ખાટકી અને ઊન દ્વારા કરી છે. અને સ્વતંત્રતાનું સપનું જોવાના ગુનાની વાત બલૂન ચિતરવાથી કરી છે.

Comments (6)

ઝાકળ વચ્ચે – કુલદીપ કારિયા ‘સારસ’

રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.

એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઈ તેં સ્મિત કર્યું, ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?

મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.

મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.

કુલદીપ કારિયા ‘સારસ’

ગુલાબની મસૃણ પાંખડી પર રાતના છેલ્લા પહોરમાં જામતા ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ રાજકોટના કવિ કુલદીપ કારિયા તરફથી… ઝાકળના દરબારમાં કોયલના ટહુકો એટલે ભીનાશમાં મીઠાશનું હળવાશથી ભળવું. ઠંડી હવાની એક લહેરખી પ્રિયતમાના વદન પર એક સ્મિતની લહેરખી બનીને લહેરાઈ ત્યારે હવાને પણ વિમાસણ થઈ જાય કે ક્યાં રહેવું વધારે સારું છે, આ સૌંદર્યસામ્રાજ્ઞી કને કે પછી ઝાકળ પાસે? વિરોધાભાસ ઇંગિત કરતા ‘કે’ના કાફિયા પાંચ શેરની આ ગઝલમાં સળંગ ત્રણ-ત્રણવાર વપરાયા હોવા છતાં ગઝલ પકડ ગુમાવતી નથી એ કવિની વિશેષતા છે.

Comments (16)

વેલેન્ટાઈન-વિશેષ :૩: પ્રેમબંધન – રાબિયા (અનુ. હિમાંશી શેલત)

ફરી એક વાર જકડાઈ છું એના પ્રેમની સાંકળે.
બંધનમુક્ત થવાનો મરણિયો પ્રયાસ
નિષ્ફળ, વ્યર્થ !
વણકેળવ્યા તોખાર જેવી હું
જાણતી નહોતી કે ખેંચતાણથી તો
મુશ્કેટાટ થાય ફાંસો !
અદૃશ્ય કાંઠાળો દરિયો
એટલે પ્રેમ.
તરીને શેં પાર જવાય, ભલા ?
પારંગત થવું પ્રેમમાં એટલે
અણગમતી વસ્તુઓને વહાલી કરવી,
કુરૂપને સુંદર પેંખવું,
પીવાનું છે ઝેર;
સમજીને કંઈક મધમીઠું ને ગળચટું…

– રાબિયા
(અનુ. હિમાંશી શેલત)

ઈરાકની મહાન કવયિત્રી રાબિયાની પ્રેમની વ્યાખ્યા કરતી આ કવિતા દરેક શબ્દ પર અટકી વિચારવા પ્રેરે છે. કવિતાની શરૂઆત ‘ફરી’ અને ‘એકવાર’ થી થાય છે જે ભાવકનું ભૂતકાળની વાતો સાથેનું અનુસંધાન નિમિષમાત્રમાં જોડી દે છે. ના, આ કંઈ પહેલીવારના મુગ્ધ પ્રેમની વાત તો નથી જ. આ વાત છે પુખ્ત પ્રણયની, પ્રણયભગ્નતાની અને પ્રણયવિવશતાની… પ્રેમ સાચો હોય તો એ તૂટતો કે છૂટતો નથી. એકવાર પ્રણયભંગ થયા હોવા છતાં કવિ પોતાની નિર્માલ્યતાની અને પ્રેમની સર્વોપરિતાની વાત કરતાં સ્વીકારે છે કે ફરી-એકવાર-જકડાઈ-છું-એના-પ્રેમની-સાંકળે. મનુષ્યની પ્રકૃતિ છે કે એ હાર સ્વીકારી શક્તો નથી. એ હારે ત્યારે બમણું રમે છે. પ્રેમની સાંકળમાંથી એકવાર કે એકથી વધુ વાર છૂટી ગયા પછી ફરી જકડાવું કવિને ગમતું નથી એટલે એ છૂટવા માટે મરણિયાં વલખાં મારે છે…

…આટલું બસ! આજ રીતે બાકીના આખા કાવ્યને આસ્વાદવાનું કાવ્ય’પ્રેમી’ઓ પર છોડી દઈ વીરમું…

Comments (11)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)

વેલેન્ટાઈન-વિશેષ :૧: જોડણી – કેરોલિન વેલ્સ (અનુ.: સૌરભ પારડીવાલા)

જ્યારે વીનસે કહ્યું,’ “ના” ની જોડણી મને લખી બતાવ.’
નને કાનો ‘ના’ ડેન કામદેવે હર્ષથી લખ્યું.
અને પોતાની સફળતા પર હસ્યો.
‘અરે બાળક’, વીનસે ધીમેથી હસતાં કહ્યું:
‘અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
અમારી જોડણી આ છે : હને કાનો “હા.” ‘

– કેરોલિન વેલ્સ
અનુ. સૌરભ પારડીવાલા

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને વેલેન્ટાઈન ડે પર ગુલાબી શુભકામનાઓ… આજે આ ખાસ દિવસે દર આઠ કલાકે એક એમ કુલ ત્રણ અલગ-અલગ ભાષાના વિદેશી પ્રણય-કાવ્યોનું બિલિપત્ર આપને ખાસ ઉપહાર સ્વરૂપે મળતું રહેશે…

સ્ત્રી અને પુરુષની પ્રણયની વ્યાખ્યા અને વિભાવના સાવ અલગ હોય છે. ક્યાંક વાંચ્યું હતું, ‘A woman gives her body to get love while a man gives love to get body.’ લગભગ આ જ વાત અમેરિકન કવિ કેવી સચોટ રીતે લઈ આવે છે! પુરુષની ‘ના’ માત્ર ‘ના’ જ હોય છે જ્યારે પ્રેમમાં સ્ત્રીની તો ‘ના’ પણ ‘હા’ હોય છે…

Comments (10)

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

Comments (13)

(અછાંદસ) કિરણસિંહ ચૌહાણ

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણસિંહ ચૌહાણ

આજે એક નાનકડું અછાંદસ ઝાઝી લપ્પન છપ્પન કર્યા વગર. વાત એક નાના બાળકની જેને એના પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં કારણકે બાળક ઊઠે એ પહેલા કામે નીકળી જતા પપ્પા બાળક ઊંઘે એ પછી જ ઘરે પાછા ફરે છે…

Comments (18)

બા – મૂકેશ જોશી

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરતું ગીત.

Comments (21)

નાટક – શેખાદમ આબુવાલા

કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો

-શેખાદમ આબુવાલા

Comments (6)

વાંક શું ગણવા ? -અશરફ ડબાવાલા

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

દુનિયાની સામે આંગળી ચીંધવાને બદલે પોતાની અંદર જોવાનું શીખવવા મથતી ગઝલ.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (14)

આસિમ વિશેષ : ૬ : કટકે કટકે – આસિમ રાંદેરી

Aasim_Randeri2

રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ   ભલેને   માથું   પટકે !

આપ   જ  મારું    દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.

પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો   પણ   ફાંસી   લટકે.

બચપણ,  યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન   પણ   છે  કટકે કટકે.

રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?

પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.

એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.

દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.

નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.

ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?

એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.

એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

– આસિમ રાંદેરી

વીસ વર્ષ પહેલાની વાત છે. આસિમસાહેબનો મને કોઈ પરિચય નહીં. એક મુશાયરામાં એમને પહેલવહેલા જોયા. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. સૂટ, ટાઈમાં એકદમ અપટૂડેટ દેખાવ. ને એમનો બુલંદ અવાજ. જ્યારે એમના અવાજમાં એક્ એક્ લટમાં સો દિલ લટકે પંક્તિ સાંભળી ત્યારે જીંદગીમાં પહેલી વખત ખ્યાલ આવ્યો કે ‘રોમાંટિક’ માણસ કોને કહેવાય !

આ ગઝલનો મારો સૌથી પ્રિય શેર -જે મેં નહીં નહીં તો હજાર વાર ટાંક્યો હશે- આ છે  : એ જ મુસાફિર જગમાં સાચો, જેની પાછળ મંઝિલ ભટકે. મંઝિલને પરાસ્ત કરવાની વાત તો બધા કરે છે, પણ અહીં કવિ એનાથી બહુ ઊંચી વાત કરે છે –  મંઝિલ ખુદ તમારી પાછળ ભટકે તો જ તમારી લગન સાચી ! છેલ્લા બે શે’રમાં એમણે કવિ તરીકે પોતાની  કેફિયત રજૂ કરી દીધી છે. આસિમ માટે કવિતા પ્રેમને ગાવાનું સાધન માત્ર હતી. કવિતાને માત્ર પ્રેમ સુધી સિમિત કરી દેવી એ વાત આજે લોકોને ગળે નહીં ઊતરે. પણ આસિમે જે અદાથી અને જે સચ્ચાઈથી પ્રેમને ગાયો છે એનું ખરું મહત્વ છે.

આ ‘આસિમ’ બંદાને હજાર સલામ !

(આસિમ =પવિત્ર, સદગુણી)

Comments (11)

આસિમ વિશેષ : ૫ : પરિચય – આસિમ રાંદેરી

Aasim_Leela

ખરેખર ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે,
મુહબ્બતના, નિખાલસતાના જે જીવંત ચિત્રો છે.

સદા, એ મારા મિત્રોની મેં સાચી લાગણી જોઈ,
દુઃખી થાયે છે પોતે પણ મને આજે દુઃખી જોઈ.

નિહાળી અવદશા મારી દિલાસા આપતા રે’ છે,
અને ‘લીલા’ની ચાહતના ખુલાસા માંગતા રે’ છે !

ઘણી વેળા એ પૂછે છે, ‘તને શું છે પરેશાની ?
જીવનમાં તારા નીરસતા, નજરમાં તારી વેરાની ?

ભલા એવી મુહબ્બતમાં તને શું હાથ આવે છે ?
કે મુખમાં નામ ‘લીલા’નું નિસાસા સાથ આવે છે !

આ ‘લીલા’ કોણ છે, એની હકીકત તો કહે અમને,
છે કેવી બેવફા કે જે ભુલાવી દે છે પ્રીતમને !

હવે એ ક્યાં રહે છે, કોની સાથે છે જીવન એનું,
હવે કોની નજર અજવાળતું રે’છે વદન એનું ?!’

* * *

સુણો ઓ દોસ્તો મારા હું તમને ઓળખાણ આપું,
છે મારી જિન્દગી ‘લીલા’માં હું એનું પ્રમાણ આપું.

વસે છે મારી આંખોમાં રહે છે મારા અંતરમાં,
વધુ છે સ્થાન એનું મારાથી, મારા મુકદ્દરમાં.

નયન બિડાય છે ત્યારે અનોખું તેજ આવે છે,
સદા નીંદર મહીં સ્વપ્નું બનીને એ જ આવે છે.

ગુલાબી એ વદનથી કલ્પના રંગાઈ જાયે છે,
એ જ્યારે પ્રેરણા દે છે કવન સર્જાઈ જાયે છે.

ભુલાવી દે મને એવી પરાઈ થઈ નથી શક્તી,
કદી એનાથી એવી બેવફાઈ થઈ નથી શક્તી.

મુહબ્બત તો સફળ થઈ છે, ભલે સંસાર દુઃખમય છે,
હું એનો છું, એ મારી છે, અમારો આ પરિચય છે.

કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.

– આસિમ રાંદેરી

વ્યક્તિ-કાવ્યોનું ખેડાણ આપણે ત્યાં જૂજ થયેલું જ જોવા મળે છે. કલાપીના કાવ્યોમાં વ્યક્ત થતો શોભના અને રમા સાથેનો વાસ્તવિક પ્રણય-ત્રિકોણ કે રમેશ પારેખની છૂટીછવાયી સોનલ આના ઉદાહરણ છે. પણ આસિમ રાંદેરીએ ‘લીલા’ સાથે સાધેલો-બાંધેલો નાતો न भूतो, न भविष्यति જેવો છે. ખુદ આસિમસાહેબ જણવે છે કે ‘લીલા’કાવ્યોની પ્રેરણા એમણે કલાપીની ‘શોભના’ અને અખ્તર શીરાનીની ‘સલમા’માંથી લીધી છે. જો કે ‘લીલા’  એમને ક્યાંથી મળી અને એ વાસ્તવિક પાત્ર હતી કે માત્ર કલ્પના એ જાણવાનો ન તો આપણને અધિકાર છે, ન જરૂરિયાત. સાચા ભાવક માટે તો એ સ્થૂળ કૌતુક પણ નથી કેમકે એને તો નિસ્બત હોવાની ‘લીલા’ના અન્વયે આપણને પ્રાપ્ત થયેલા કાવ્યો સાથે. ‘લીલા’કાવ્યો એ આસિમ રાંદેરીની ઓળખ બની રહ્યા એ જ એમની સાચી ઉપલબ્ધિ. કવિસંમેલનમાં લોકો એમને જોઈને ‘લીલા…લીલા…’ની બૂમો પાડે એ દૃશ્ય ગુજરાતી સાહિત્યે અવારનવાર જોયું છે અને આવું બહુમાન બીજા કોઈ કવિએ કદી મેળવ્યું નથી એ વાતનું પણ એ સાક્ષી છે !

‘લીલા’ની ફરતે ફરતા રહેતા અગણિત કાવ્યો નિતાંત કથાકાવ્ય રચે છે જે લગભગ સાડાસાત દાયકા જેટલા પ્રદીર્ઘ સમયકાળમાં ટુકડે ટુકડે લખાયા હોવાથી એ સળંગ ન હોવા છતાં એકસૂત્રી ભાસે છે એ આસિમસાહેબની નકારી ન શકાય એવી સિદ્ધિ છે. અહીં  ‘લીલા’ સાથેના પ્રથમ મિલનથી શરૂ કરી પ્રેમના અંકુરણ, કોલેજના દિવસો, પ્રેયસીની વર્ષગાંઠ, પ્રણયભંગ, પ્રેયસીના અન્ય સાથેના લગ્ન, એની કંકોતરી, વર્ષો પછીનું પુનઃમિલન અને એમ પ્રણયના જીવનકાળમાં ઉપસ્થિત થતા તમામ પ્રસંગો નઝમ-ગઝલ સ્વરૂપે પ્રકટ થાય છે.ક્યારેક ઘટનાતત્ત્વમાંથી કાવ્યસત્ત્વ ખરી પડતું પણ જણાય છતાં ઉત્કટ, એકધારા અને અવિનાશી પ્રેમની ગુલાબી અનુભૂતિ ક્યાંય મોળી પડતી નથી… કવિએ લીલાને એટલી બખૂબી ચિતરી છે કે ભાવક આ પાત્રને વાસ્તવિક માન્યા વિના રહે જ નહીં અને સાહિત્ય જ્યારે તાદૃશીકરણની આવી કળાને સિદ્ધ કરી બતાવે ત્યારે જ સાર્થક થાય છે…

‘લીલા’નું રહસ્ય અકબંધ રાખી વિદાય લેનાર જનાબ આસિમસાહેબ પોતે લીલાનો પરિચય કરાવે તે કેવો હોય એ આ નઝમના સ્વરૂપમાં જ માણીએ…

Comments (6)

આસિમ વિશેષ : ૪ : તાપીનો કિનારો તો નથી ! – આસિમ રાંદેરી

Aasim Randeri

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી !

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી !

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી !

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી !

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી !

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી !

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

– આસિમ રાંદેરી

આસિમ રાંદેરી પ્રણય અને વિરહના કવિ હતા. પણ એમના પ્રણયમાં મરીઝની ઉદાસીની કાલિમા કે ઘાયલની રક્તરંજિત ખુમારી નહોતી. એમના પ્રણયમાં સૌહાર્દતા, ઋજુતા અને ધીરજનો અખૂટ અસ્ખલિત ધોધ વહેતો નજર આવે છે. મૃદુ લાગણીઓનો જે પુદગલ એમની રચનાઓમાં નજરે ચડે છે એ સાનંદાશ્ચર્ય જન્માવે છે. લગભગ પંચોતેર વર્ષ જેટલા લાંબા એમના સર્જનકાળ દરમિયાન આ આખી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ પણ એમના પ્રણયનો રંગ એવોને એવો ચિરયુવાન જ રહ્યો ! ચકરડાવાળા ટેલિફોન અને  ઓપરેટરયુક્ત ટેલિકોમ સેવાથી માંડીને પામ-ટોપ જેવા મોબાઈલ ફોન સુધી દુનિયા આ વર્ષોમાં વિકસી ગઈ. ભારત દેશ ગુલામીમાંથી આઝાદ થયો અને આર્થિક મહાસત્તા બનવા લગોલગ પહોંચી ગયો  પણ આસિમ સાહેબની પ્રણયભક્તિમાં મીનમેખ ફરક ન આવ્યો, એ ધ્રુવતારકની પેઠે એ જ રીતે અને એ જ જગ્યાએ ઝળહળતી રહી…

Comments (11)

આસિમ વિશેષ : ૩ : કૉલેજ જતાં – આસિમ રાંદેરી

Aasim_leela_college

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય-રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
.                  જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
.                  મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

છે લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે;
કવિતા જ સુંદર બનીને કવિતા
.                  પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી,
છતાં એની રંગત છે સૌમાં નિરાલી !
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઈમાં એની જાહોજલાલી !
.                  શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

સરળથી ય એની સરળ છે સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,
લખું તોય લખતાં ના કાંઈ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઊછળતા !
.                  અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ,
નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ !
મધુરો, મનોરમ્ય મલકાટ એનો
છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ !
.                  નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ?
અને કોના દિલની કળીને ખિલવવા ?
રે ! દરરોજ બેચાર સખીઓની સાથે;
એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ?
.                  ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
.                  એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…

– આસિમ રાંદેરી

આખું નામ મહેમુદમિયાં મહંમદ ઇમામ સૂબેદાર. જન્મ: ૧૫ -૦૮-૧૯૦૪: રાંદેર (સુરત) ખાતે; મૃત્યુ: ૦૫-૦૨-૨૦૦૯: રાંદેર (સુરત) ખાતે. મેટ્રિક સુધીનો અભ્યાસ.  ઇસ્ટ આફ્રિકામાં પત્રકારત્વ કર્યા પછી મુંબઈમાં સૅલ્સમેન અને પછી તો દેશ-દેશાવરમાં સતત ફરતા રહ્યા. આયખાનો ખાસ્સો એવો ભાગ અમેરિકામાં ગુજાર્યા પછી અંતભાગે સુરતમાં સુબેદાર સ્ટ્રીટ, રાંદેર ખાતેના એમનાઘરે જ રહ્યા. ચોળાયેલા કફની-પાયજામા, દિવસો સુધી શેવ ન કરેલો ચહેરો, તૂટેલી ચપ્પલ અને ખાદીનો બગલથેલો લઈને ફરતા ‘કવિ’ની શિકલ એમણે આમૂલ ફેરવી નાંખી. ઘરડે ઘડપણ પણ સદા વ્યવસ્થિત રીતે ટ્રીમ કરેલી દાઢી, અસ્ત્રી-ટાઈટ કપડાં, સૂટ-બૂટ અને ટાઈ સાથે જ જોવા મળતા આસિમ રાંદેરી શાયર ભલે પરંપરાનારહ્યા, માણસ એકવીસમી સદીના થઈને જીવ્યા…

આ ‘આખી’ રચના લયસ્તરોના વાચકો માટે…  અને ઑડિયો: ટહુકો.કોમ)

(કાવ્ય સંગ્રહો: ‘લીલા’ (૧૯૬૩), ‘શણગાર’ (૧૯૭૮), ‘તાપી તીરે’ (૨૦૦૧))

Comments (15)

આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી

Aasim_kankotari

(કંકોતરી મળી…                          ….શ્રી આસિમ રાંદેરી)

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

જનાબ આસિમ રાંદેરીની આ રચનાના કેટલાક અંતરાઓને પોતાનો અવાજ આપીને મનહર ઉધાસે ખૂબ લોકપ્રિય બનાવી દીધી છે પણ આ નઝમ આજે પહેલવહેલીવાર આખેઆખી ઇન્ટરનેટ ઉપર ખાસ લયસ્તરોના વાચકો માટે અને આસિમસાહેબને શબ્દાંજલિના ભાગ સ્વરૂપે…

પ્રિયતમાની કંકોતરી મળતા જે લાગણી કવિ અનુભવે છે એ એમની ભીની-ભીની સંવેદનાનું દ્યોતક છે અને આ આખા પ્રસંગને જે રીતે એ મૂલવે છે અને જે જે આયામથી જુએ છે એ કાબિલે-સલામ છે. નઝમના દરેક અંતરાના અંતે જેમ સૉનેટમાં એમ અહીં કવિ એવી ચોટ ઉપસાવે છે કે ‘લીલા’ જો સાચે હોત અને એણે એના લગ્ન પહેલાં આ નઝમ વાંચી હોત તો એ કવિ સાથે જ લગ્ન કરી લેત !

(ઑડિયો : ટહુકો)

Comments (18)

આસિમ વિશેષ: ૧ : ચર્ચામાં નથી હોતી – આસિમ રાંદેરી

Aasim_Randeri
(૦૯-૧૧-૧૯૬૧ના રોજ શ્રી આસિમ રાંદેરીના હસ્તાક્ષરવાળો શ્રી મદને દોરેલ સ્કેચ)

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-આસિમ રાંદેરી

ગુજરાતી કવિતાના ઈતિહાસમાં કદાચ સૌથી લાંબું આયુષ્ય ભોગવનાર કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે ગઈકાલે (નિધન: ૦૫-૦૨-૨૦૦૯) એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… લયસ્તરો તરફથી એમને શબ્દભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ…

અસ્તુ !

Comments (14)

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ  જેમ ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

Comments (8)

નોંધ ના લીધી – નીરવ વ્યાસ

ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યાં ઘરેથી તો હવાની નોંધ ના લીધી!

અમારા  હાથ  સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
દુઆ ના સાંભળી કે બદ્-દુઆની નોંધ ના લીધી.

કશોયે  અર્થ  તેથી  ના સર્યો મહેફિલમાં રોકાઇ;
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી!

શરૂમાં એમ લાગ્યું, હોય  જાણે  ગુપ્ત  સમજૂતી;
બધાયે એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું બાળક, તો એની નોંધ લીધી મેં;
સભામાં  બેસનારા  ખેરખાંની  નોંધ ના લીધી.

– નીરવ વ્યાસ

એક સ્પર્શમાં જે સહારો અને તાકાત હોય છે એ દુઆમાં નથી હોતા. માણસો દુનિયામાં બધાની નોંધ લે છે પણ એક આયનાની – કે જે દરેકને પોતાની જાતથી સન્મુખ કરાવે છે – નોંધ લેતા બધા કતરાય છે. ને છેલ્લો શેર પણ સરસ થયો છે.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (7)

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ’

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.

જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.

હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.

અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’

પરદા પાછળ રહીને સૃષ્ટિનો સતત દોરી-સંચાર કરતા રહેતા અને મનુષ્યને મર્કટની જેમ નચવતા રહેતા ઈશ્વરને કવિઓએ જ્યારે જ્યારે લાગ મળ્યો છે ત્યારે આડે હાથે લીધો છે. મનુષ્ય જન્મ એ શું કોઈ વરદાન છે કે પછી ઈશ્વરની સજા કરવાની કોઈ રીત છે એમ કવિ કહે છે ત્યારે દુબારા…દુબારા સ્વગત્ જ કહેવાઈ જાય છે…

Comments (10)

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

-ઉમાશંકર જોશી

આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…

આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.

ભૃંગ=ભમરો, મકરંદ= પુષ્પરસ/પરાગ/સુવાસ,

Comments (15)

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

-ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને લયસ્તરો તરફથી આ યુગમાનવને શત શત કોટિ વંદન…

પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.

ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…

Comments (10)

હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા

હળવે   હળવે   હળવે  હરજી  મારે   મંદિર   આવ્યા  રે;
મોટે    મોટે    મોટે    મેં    તો    મોતીડે    વધાવ્યા    રે.     ૧

કીધું    કીધું    કીધું    મુને    કાંઇક    કામણ    કીધું    રે;
લીધું    લીધું    લીધું    મારું    મન    હરીને    લીધું   રે.      ૨

ભૂલી   ભૂલી   ભૂલી   હું   તો   ઘરનો   ધંધો   ભૂલી   રે;
ફૂલી   ફૂલી   ફૂલી   હું   તો    હરિમુખ    જોઇ    ફૂલી   રે.      ૩

ભાગી   ભાગી   ભાગી  મારા  ભવની ભાવટ ભાગી રે;
જાગી  જાગી   જાગી   હું   તો   હરિને   સંગે   જાગી  રે.      ૪

પામી  પામી  પામી  હું  તો   પૂરણ   વરને   પામી  રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.       ૫

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !

Comments (5)

મુક્તિ-મંત્ર – શૂન્ય પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની  બેડીઓ  ‘કાયર’  સમા શબ્દો  કહી જાશે.
જવાંમર્દીથી   એક  જ  કૂદકે   અવરોધ  ટાળી  દે,
નહીંતર   મંઝિલો  દીવાલની  પાછળ  રહી   જાશે.

– શૂન્ય પાલનપુરી

Comments (10)

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

– કુમાર પાશી
( અનુવાદ- સુરેશ દલાલ)

કવિ પ્રિયજને ભેટ કરવા માટે સૌથી મોંઘેરી ચીજો એકઠી કરે છે. બધું એમા મૂક્યા પછી છેલ્લે ઉમેરે છે… પોતાને પ્રાપ્ત થયેલી સુખની બધી ક્ષણો !

Comments (8)

૨૬-૧-૧૯૫૦ – વેણીભાઈ પુરોહિત

અમાવસ્યા નથી, પૂનમ નથી, રજની રૂપાળી છે,
ગુલામીને પ્રજળતી જ્યોતની આજે દિવાળી છે.

હજી એ યાદ છે જુલ્મો ને ઝિન્દાબાદ જખ્મો છે,
સિતમની સેંકડો ગોળી કલેજામાં રમાડી છે.

શહીદીની અને એ ઈન્કિલાબીની કથા વાંચો:
કથાઓ લાલ છે, એની વ્યથાઓ ક્રૂર છે, કાળી છે.

જુઓ ગાંધીની હત્યા પણ શહીદીના મુગટમાં છે,
બધી ગમખ્વાર ગાથાઓ સગી આંખે નિહાળી છે.

ઠરી જઈને પ્રગટ થાનાર દીવડાઓ શહીદો છે,
અને એ દીપમાળાએ બધી આલમ ઉજાળી છે.

નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.

અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.

હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.

કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.

– વેણીભાઈ પુરોહિત

ઘણા વખતથી શોધતો હતો એ ગઝલ આજે બરાબર મોકાના સમયે મળી ગઈ ! ઓગણસાઠ વર્ષ પહેલા પ્રજાનો મિજાજ કેવો હશે એ આ ગઝલમાં દેખાઈ આવે છે – એક તરફ છે લોહી વહાવીને આઝાદી મેળવી એનું ગૌરવ અને બીજી તરફ છે નવી શરૂઆતનો નશો. આજનો દિવસ દુનિયાના ઈતિહાસમાં સૌથી અનોખા દેશને ઊજવી લેવાનો દિવસ છે…બધાને ભારત મુબારક !

Comments (11)

અગમ અવતાર છે – ‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

– ‘અગમ’ પાલનપુરી

કવિતા લખવાના અનુભવ પર અનેક કવિતાઓ લખાઈ છે અને એ છતાં ગઝલ નવી લાગે છે. ‘અગમ’ને સમજવા માટે એની ગઝલથી વધારે સારો રસ્તો શું હોઈ શકે ?

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (11)

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

Chandresh Makwana_Vruksh nathi vairagi

(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…

Comments (15)

એક માણા તે જેવડું મોતી રે – લોકગીત

એક માણા તે જેવડું મોતી રે,
.                         તેને સાત ગાડે ઘાલી આણ્યું રે.
તેને બાર બળદિયે તાણ્યું રે,
.                         તેને સાત સુંડલિયે સાર્યું રે.
તેને સાત વીંધારાયે વીંધ્યું રે,
.                         એક ભાલાં તે સોય મંગાવો રે.
પેલા ……નું નાક વીંધાવો રે,
.                         એને નાકે તે નથડી પેરાવો રે.
એને ઘરઘરતો ઘાઘરો પેરાવો રે,
.                         એને ચસચસતો કમખો પેરાવો રે.
એને આછી પછેડી ઓઢાડો રે,
.                         તેનું ઠાંસીને માથું ગૂંથાવો રે.
તેને આછી તે પિયળ કઢાવો રે,
.                         એને કાળી કળાઈ રાતો ચુડો રે.

(લોકગીત)

કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતમાં જન્મ થી મરણ સુધીના બધા જ અવસરો સંજિદી હળવાશથી અને ક્યારેક કલ્પનોની તાજપ સાથે વ્યક્ત થતા જોવા મળે છે.  લોકગીતની મોટી ખાસિયત લોકબાનીના સહજ અને સરળ શબ્દોની સાથે શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણી છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે.

પ્રસ્તુત લોકગીત લગ્નના અવસરે સંધ્યાટાણે જે સાંઝીના ગીતો ગવાય છે એમાંનું એક છે. સાત-સાત ગાડાંમાં તેડીને લાવવું પડે એવા ગાગર સરીખા મોતીને ભાલાં જેવડી સોય વડે સાત-સાત વીંધનારા વડે વીંધાવવાની વાત હળવો હાસ્યરસ ઊભો કરે છે. અને જેની મશ્કરી કરતા હોય એને આવા અતિશયોક્તિસભર દાગીનાં-કપડાં પહેરાવવાની આ વાત ગાનાર અને સાંભળનાર બંનેના હોઠે સ્મિતનો લય રેલાવી રહે છે.

(માણો= મોટી ગાગર, પિયળ= સ્ત્રીના કપાળમાં કંકુ વગેરેનો કરાતો લેપ;  કળાઈ=કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ, કલાઈ)

Comments (9)

એક દરિયો – સંધ્યા ભટ્ટ

એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.

હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !

શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.

-સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ (જન્મ: ૩૦-૦૬-૧૯૬૪) બારડોલીની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે કાર્યરત્ છે અને સુંદર ગીત-ગઝલ લખે છે. પ્રસ્તુત મુસલસલ ગઝલમાં દરિયાની અલગ અલગ રંગછટા એમણે બખૂબી ઉપસાવી છે. નાવનું સાચું સાફલ્ય દરિયામાં ઉતર્યા પછી જ છે એ વાત તો ઘણા લોકો કરી ગયા પણ નાવના દરિયામાં હોવા અંગે દરિયાના દૃષ્ટિકોણની એક અલગ જ વાત કવિ અહીં લાવ્યા છે એ એમની પ્રતિભા સૂચવે છે. આપણું હોવાપણું વિરાટકાય ઈશ્વર અને એની અનંત સૃષ્ટિથી સભર થાય છે પણ આ વિશાળ ઈશ્વરીય સૃષ્ટિમાં આપણા હોવાપણાંનું એક નાનકડું બિંદુ પણ કદાચ એટલું જ મહત્વનું છે…

Comments (19)

રીત – પરાગ ત્રિવેદી

આ તે
શાંતિ સ્થાપવાની
કેવી
રીત
છે ?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો
સંદેશો આપે છે !

– પરાગ ત્રિવેદી

‘શાંતિદૂતો’ ખરેખર કંઈ શાંતિની શોધમાં ઊડી જતા નથી હોતા, એ તો બને તેટલા દૂર ભાગી જવાની કોશિશમાં હોય છે એટલું જ !

Comments (7)

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.

Comments (21)

ઘર અશ્રુનું – નિર્મિશ ઠાકર

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

– નિર્મિશ ઠાકર

આ જ વાત આપણે બધાએ ઘણી ઘણી વાર સાંભળી છે. કવિતા ગમે તેટલી અસરકારક હોય, એ કશું બદલી શકતી નથી. એ કામ તો આપણું – મારું ને તમારું – આપણા બધાનું છે.

Comments (25)

મૌન બોલે છે – ‘આદિલ’ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.

ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી

Comments (17)

આંગળી અડાડી છે – હર્ષવી પટેલ

Harshavi Patel_chotarf maatra bekarari chhe
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…

Comments (29)

કેમે કર્યો આ હાથ – જગદીશ ત્રિવેદી

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી-
આ હાથ ફેલાવું અને
આવી પડે-
એટલું- બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.

એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે-
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો આ હાથ લંબાયો નહિ.

ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.

-જગદીશ ત્રિવેદી

ત્રણ અલગ અલગ પ્રતીકો સાથે કવિ નિષ્ક્રિય પડેલા હાથની નિષ્પ્રાણતા સંયોજી અદભુત કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે. ‘કેમે કર્યો આ હાથ ફેલાયો/લંબાયો/ઊંચકાયો નહીં’ પંક્તિને કવિતાના ત્રણે ભાગના અંતે માત્ર એક જ શબ્દફેર સાથે ગીતમાં ઉપાડ તરીકે આવતી ધ્રુવપંક્તિની જેમ પ્રયોજીને કવિ જે કહેવા માંગે છે એને સતત ઘૂંટતા રહે છે.

આપણી આંખની સામે, આપણી આંખની અંદર અને આપણી આંખની ઉપર એમ આપણી અંદર-બહાર-ચોતરફ વ્યાપ્ત સત્ત્વ કે ઈશ્વર કે તકો કે ખુશીને આપણે તરસ્યા થઈને જોતા જ રહીએ છીએ. એને પામવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની આપણી વૃત્તિ જ મરી પરવારી છે જાણે.

Comments (8)

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે.  નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !

Comments (35)

કાઈપો ! – રમેશ પારેખ

RAMESH_PAREKH4

(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)

‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)

Comments (10)

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

ઉતરાણ વિશેની બધી પ્રચલિત માન્યતાઓને ‘કાઈપોચ’ કરીને કવિ ઉતરાણનો તદ્દન નવો અર્થ બતાવે છે.

Comments (16)

‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ

TRI 2 2-1

[audio:http://tahuko.com/gaagar/layastaro/08 Lahar Lahar Na Pravaho Alag-HimanshuBhatt.mp3]

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ

Comments (13)

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_Etlu aakash felaavi shaku
(એક અક્ષુણ્ણ ગઝલ ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીના પોતાના અક્ષરોમાં)

એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.

રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?

જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.

હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.

હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

– અંકિત ત્રિવેદી

પંખી માટે સાંજના ટાણે માળાની જે અનિવાર્યતા છે એવી અને એટલી તીવ્રતા ઝંખનામાં આવે તો જ પ્રિયપાત્રને અપનાવવાની વાત લઈ આવતી એક મનભાવન ગઝલ આ સપ્તાહાંત માટે…

Comments (23)

ધબકતી ઝંખના – કવિતા મૌર્ય

પળેપળ છેતરાવાના જ આઘાતે  લખું છું,
કલમ ત્યાગી હવે  હું  ટેરવાં  વાટે લખું છું.

નથી સંભવ શબદમાં લાગણીઓને કહેવી,
છતાં  કૈં  ભાર હળવો થાય એ માટે લખું છું.

અમારે  કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું

ધરા પર હું લખું છું,આ ગગન પર હું લખું છું,
લખું છું  હા,પ્રથમ વરસાદના  છાંટે  લખું છું

અમારી  જિંદગીમાં પણ ફુલો  ખીલી શકે છે,
ધબકતી  ઝંખના  હર  પાંદડે, કાંટે  લખું છું.

– કવિતા મૌર્ય

કવિતા મૌર્યની એક સીધીસટ સાદ્યંત સુંદર ગઝલ સીધેસીધી જ આપના માટે, મારા શબ્દોનું વ્યવધાન ઊભું કર્યા વિના…

Comments (12)

વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

ર.પા.નું આ અછાંદસ કાવ્ય ખરી કવિતાની વિભાવના સમજવામાં ખાસ્સી મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

Comments (24)

પડઘો – હેમેન શાહ

ટહુકો જો ગૂંગળાય તો પડઘો નહીં પડે
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે
સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે

– હેમેન શાહ

Comments (6)

પડઘાનું શહેર છે – જવાહર બક્ષી

પળપળ પડે ને ઊઘડે પર્દાનું શ્હેર છે
અદૃશ્યતાના અવનવા  ચહેરાનું શ્હેર છે

સાચાં જ પાડવા હોત તો એક જ ઉપાય છે
આંખો ઉઘાડી રાખ કે સપનાંનું શ્હેર છે

છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો
ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે

માણું છું ઠાઠમાઠ તણખલાના મ્હેલમાં
ચારે તરફ પવન અને તણખાનું શ્હેર છે

અહીં એક અવાજ થાય તો હદપારની સજા
સાથે સ્મરણ છે બોલકાં… પડઘાનું શ્હેર છે

– જવાહર બક્ષી

શ્હેર નામનો સતત ખૂંચ્યા કરતો જોડો – જે ન કાઢી શકાય અને ન પહેરી શકાય – એવી અવસ્થાને વર્ણવતી ગઝલ.

Comments (6)

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

Comments (4)

સમય નામની કણી – એસ. એસ. રાહી

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.

– એસ. એસ. રાહી

ગઝલમાં બધે દુ:ખ, નડતર, અભાવની વાત છે પણ છતાંય એમાં એક જાતનો સંતોષ વરતાય છે.  એક નિરાંત અનુભવાય છે. જાત સાથે સમાધાન કરી ચૂકેલો માણસ જ તારા ગણવાને બદલે ડાયરી વાંચીને નવરાશ વિતાવે ને ?

Comments (7)

સમુદ્ર કાવ્ય- રાજેશ પંડ્યા

આંખના પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.

-રાજેશ પંડ્યા

ગણિતમાં પ્રમેય ભણતા ત્યારે પ્રથમ પૂર્વધારણા બાંધીને પછી એને સાબિત કરવાનું રહેતું. આ નાનકડા અછાંદસમાં વડોદરાના રાજેશ પંડ્યા પ્રેમનો પ્રમેય સાબિત કરતા હોય એમ લાગે છે. કવિતાની શરૂઆત જ આંખના પાણીનું ઊંડાણ અને એને પાર તરવાની સંપૂર્ણ વિવશતાની પૂર્વધારણા સાથે થાય છે. લાગણીને ઓળંગવી એના કરતાં સાત-સાત દરિયા ઉલેચવા કદાચ વધુ આસાન છે. ‘રાતદિવસ’ વહાણ હંકારવાની અનવરત તૈયારી ચાંદા-સૂરજ-પવન-મોજાંની વચ્ચે થઈને હલેસાંના ‘સતત’ મરાવાના સાતત્ય સુધી પહોંચી કવિતાને એક લય, ગતિ, પ્રવેગ આપે છે. અને આખી દુનિયા તરી જવાનું જેના બાવડાંમાં કૌશલ ભર્યું છે એ કાવ્યનાયક પણ પ્રિયતમાના એક આંસુ સમક્ષ તો પોતાની હાર સ્વીકારી જ લે છે. કદાચ આ હારમાં જ પ્રેમની જીત છુપાયેલી છે !

Comments (5)

જૂનું તો થયું રે દેવળ – મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ. જીવને જીવન સાથે ગમે એટલી પ્રીત કેમ ન થઈ જાય, દેવળ જૂનું થાય એટલે હંસ તો ઊડી જ જવાનો… જીવન ટૂંકું અને ક્ષણભંગુર છે. શરીર ડોલવા માંડે, મોઢું બોખું થઈ જાય પણ દાંતની નિશાની મહીં રહી જવાની… આપણે તો જવાના પણ ટૂંકા આ જીવતરમાં ગિરિધરના પ્રેમનો પ્યાલો ખુદ પીએ અને સૌને પીવડાવીએ એ જ આપણી નિશાની કાયમ રહી જવાની…

Comments (10)

મુક્તક – સૌમ્ય જોશી

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.

પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

ગઈકાલે ધવલે છાંડી દીધેલી એંઠની વાત કરી જેના અનુસંધાનમાં ’व्यासोच्छिष्ठं जगत् सर्वम्।’ જેવાપ્રતિભાવ મળ્યા એટલે તરત જ સૌમ્ય જોશીનું આ મુક્તક યાદ આવી ગયું.’ઈમેજ પબ્લિકેશન’ દ્વારા સુરત ખાતે છવ્વીસમી તારીખે એકસાથે છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન બાર સાહિત્યરસિકોના હાથે થયું જેમાં સૌમ્ય જોશીના ‘ગ્રીનરૂમમાં’નું વિમોચન મારા હાથે થયું એ પ્રસંગના આનંદને વાગોળતા વાગોળતા આ મુક્તક આજે રજૂ કરું છું.

Comments (9)

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

Comments (5)