શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
December 30, 2008 at 11:16 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.
એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!
– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)
જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?
(મૂળ અંગ્રેજી કવિતા)
Permalink
December 29, 2008 at 11:51 PM by ધવલ · Filed under ગીત, મનોહર ત્રિવેદી
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..
હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
– મનોહર ત્રિવેદી
ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.
Permalink
December 28, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
ગઝલની વેલથી ચૂટ્યાં છે પ્રાસનાં ફૂલો,
કહો, સ્વીકારશો દેવી આ દાસનાં ફૂલો ?
કશુંક કોળવામાં સૂર્ય ક્યાં જરૂરી છે ?
ફૂટ્યાં છે કોડિયાને કૈં ઉજાસનાં ફૂલો.
સ્મરણના ભેજથી લીલો રહું છું, પૂરતું છે,
તમે નિહાળ્યાં છે વગડામાં ઘાસનાં ફૂલો ?
તમારી હાજરીમાં હું ખીલી ખીલી જાતો,
વસંતમાં જ ખીલે છે પલાશનાં ફૂલો.
તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
થયાં હતાશ બધાં આસપાસનાં ફૂલો.
આ મૃત્યુ એક એવી મૂર્તિ છે કે જેના પર,
આ આખી જિંદગી ધરવાનાં શ્વાસનાં ફૂલો.
-પ્રણવ પંડ્યા
અમરેલીના કવિ પ્રાસના ફૂલોની ગઝલમાળા લઈને આવ્યા છે અને ભાષાની દેવીને ઈજન આપે છે. જીવનના બધા અંધારા કંઈ સૂરજથી દૂર થતા નથી. એકાદું કોડિયું પણ ક્યારેક પૂરતું નીવડતું હોય છે. અને ઘાસ જેવું નિસ્પૃહી વ્યક્તિત્વ તો સ્મરણના ભેજ માત્રથી પણ લીલુંછમ રહી શકે છે. પ્રિયપાત્રની હાજરીનું જળ કંઈ એના માટે અનિવાર્ય નથી… પણ હા, એમની હાજરી નિઃશંક વસંત સમાન છે કેમકે એમની હાજરીમાં કવિ માત્ર ખીલતાં નથી, ખીલી ખીલી ઊઠે છે!
Permalink
December 27, 2008 at 12:27 AM by વિવેક · Filed under ગીત, નિરંજન યાજ્ઞિક
આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !
તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !
મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !
ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !
-નિરંજન યાજ્ઞિક
લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…
Permalink
December 26, 2008 at 1:11 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, મુક્તક
કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.
-ખલીલ ધનતેજવી
આજે મુંબઈમાં આતંકવાદી હુમલાને બરાબર એક મહિનો થયો છે ત્યારે ખલીલ ધનતેજવીનું એક મુક્તક. પાકિસ્તાન અને આતંકવાદ- બંનેને જવાબ આપવામાં આપણે સોએ સો ટકા ઉણા જ ઉતરવાના છીએ કારણ કે આપણા નમાલા અને નપુંસક રાજકારણીઓ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની સમસ્યાઓના ઉકેલ માટે વિદેશી મદદ પર આધાર રાખી બેઠા છે. યુદ્ધ તો આમેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ સ્વાવલંબન વિના પણ કશું શક્ય નથી. ધર્મ અને રાષ્ટ્રની સરહદોથી પરે આપણે એક ‘માણસ’ને મરતો બચાવી શકીએ તો પણ ઘણું…
Permalink
December 25, 2008 at 2:22 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, દુહા, સુરેશ દલાલ
આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !
અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !
પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !
ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !
વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !
– સુરેશ દલાલ
ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે. આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…
Permalink
December 24, 2008 at 5:11 PM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા… કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!
-ચંદ્રકાંત શેઠ
એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.
Permalink
December 23, 2008 at 11:56 AM by ધવલ · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ
બૉમ્બનો વ્યાસ છે ત્રીસ સેન્ટિમીટર
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
છે લગભગ સાત મીટર.
જેમા પડ્યા છે
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.
અને એમની ચોતરફ઼
સમય અને વેદનાના એક વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.
સો કિલોમીટરથીય વધુ દૂરથી
આવેલી સ્ત્રીને એના શહેરમાં જયાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકલો અટુલો માણસ
જે દરિયાપાર રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.
અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં એ હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.
– યેહુદા અમિચાઈ
બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય, ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય, હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.
(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)
Permalink
December 22, 2008 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !
– એષા દાદાવાળા
તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…
(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)
Permalink
December 21, 2008 at 12:24 AM by વિવેક · Filed under ગઝલ, શિવજી રૂખડા
ફોડ પરપોટો હવે પાષાણ પર
શું ભરોસો રાખવો પોલાણ પર.
આપણે કાંઠા ઉપર છબછબ કર્યું
કેમ જાશું લ્યો હવે ઊંડાણ પર.
મૂળ કાગળ ધ્યાનમાં લીધો નહીં
ધ્યાન આપ્યું ફક્ત બીડાણ પર.
એટલે ભૂલા પડયા,પૂછ્યું છતાં
કોઇ દી ચાલ્યા નહી પૂછાણ પર.
આમ રજકણ રોજ બમણી થાય છે
કાળજી રાખી નહી ધોવાણ પર.
ઢાળનું કારણ બહુ ગમતુ હતું
એટલે આવી ગયા નીચાણ પર.
-શિવજી રૂખડા
શિવજી રૂખડાની આ ગઝલ મહેંદીના રંગ જેવી છે. જેટલો વધુ સમય મહેંદી હાથ પર રાખો, રંગ એટલો ગાઢો આવે. દરેક શેર એકવાર સમજી લીધા પછી ફરીથી વાંચવા જેવો થયો છે. માનવસ્વભાવની મૂળભૂત નબળાઈઓ એક પછી એક શેરમાં અદભુત રીતે ઊઘડી આવી છે. આપણું પોલપણું, ઊંડાણમાં ન જઈ સપાટી પર છબછબિયા કર્યા કરવાની વૃત્તિ, અંદરના સત્ત્વને જોવાને બદલે ઉપરનો આડંબર જોવા ને પોષ્યા કરવાની મથરાવટી, અન્ય પરનો સતત અવિશ્વાસ, ઘસારાની અવગણના અને અધોગામી વૃત્તિઓ…. કવિ માનવમનના કયા દરિયામાં જઈ આ મોતી કાઢી લાવ્યા છે !
Permalink
December 20, 2008 at 3:43 AM by વિવેક · Filed under ગઝલ
જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે
છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.
જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.
હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.
સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.
– કિશોર બારોટ
‘મા’ નામના એક અક્ષરના મહાકાવ્ય પર કંઈ કેટલાય કવિઓએ હાથ અજમાવ્યો હશે. એક મુસલસલ ગઝલ આજે કિશોર બારોટની કલમે માણીએ.
Permalink
December 19, 2008 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
આ ઉદાસીને જરા સમજાવ તું
દોસ્ત! જો આવી શકે તો આવ તું.
થાય મારી શૂન્યતાના ફુરચા
એક-બે ટહુકા હૃદયમાં વાવ તું.
ઊંઘની જાહેર નાદારી કરી…
બસ,ઉછીના બે’ક સપના લાવ તું.
તું જ જેનો રામબાણી છે મલમ
તે જનમજૂનો વકરતો ઘાવ તું.
આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.
-હર્ષવી પટેલ
હર્ષવી પટેલ મૂળ ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે અને વ્યવસાયે શિક્ષિકા છે. ઝાઝું બોલ્યા વિના ખૂણામાં બેસી ગઝલની આરાધના કર્યા કરતા નિઃસ્પૃહી સર્જકોમાંના એક છે. એમની ગઝલ ભાષાની સરળતા અને દિલમાંથી સીધા ઊતરી આવેલા ભાવના ઊંડાણના કારણે ભીડથી અલગ તરી આવે છે.
Permalink
December 18, 2008 at 4:21 AM by વિવેક · Filed under ગઝલ, બી. કે. રાઠોડ 'બાબુ'
સૂરજને આપી છે કટકી,
પડછાયા ક્યાં જાશે છટકી ?
મૃગજળ અંતે ઊંઘી જાશે,
ઈચ્છા જેવું ભટકી ભટકી…
ઈશ્વરને પૂરી પથ્થરમાં,
લોકોએ પાડી છે પટકી…
સામે છે એને ચૂમી લે,
પાછળ શું જોવાનું અટકી..?
એને કોણ મનાવે જગમાં ?
ખુદની સાથે જેને ખટકી…
કાનો-કાનો રટતા રટતા,
ભીતર “હું”ની ફૂટી મટકી..
– બી. કે. રાઠોડ “બાબુ”
સુરેન્દ્રનગરના કવિમિત્ર શ્રી બી.કે.રાઠોડને તા. 13/12/2008ના રોજ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર નેશનલ ફેલોશિપ ઍવૉર્ડ એનાયત થયો છે ત્યારે કવિને અભિનંદન પાઠવવા ઉપરાંત એમની ટૂંકી બહેરની એક હમરદીફ-હમકાફિયા ગઝલ પણ માણીએ. કોઈપણ કાવ્યપ્રકાર સભાન કે અભાન અવસ્થામાં એના સમયગાળાના સમાજનું પ્રતિબિંબ ઝીલતો જરૂર જોવા મળે છે. અહીં મત્લાના શેરમાં જ ‘કટકી’ જેવો શબ્દ ગઝલને વધુ સમસામાયિક બનાવે છે. સર્વવ્યાપી ઈશ્વરને પથ્થરમાં કેદ કરી લઈ લોકોએ એની આબરૂ કાઢી છે એ વાત સૌરાષ્ટ્રની લોકબોલીના વાક્ય પ્રયોગ વડે કવિ સરસ કરી શક્યા છે. અને ગઝલનો અંતિમ શેર તો અનવદ્યપણે આસ્વાદ્ય થયો છે…
Permalink
December 16, 2008 at 10:33 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી
વડોદરાની એક ચેનલે લીધેલો ઈંટરવ્યૂ જેમા આદિલસાહેબ દિલ ખોલીને જૂની યાદો તાજી કરે છે. આભાર: તાહા મન્સૂરી, અમદાવાદ.
ભાગ એક:
ભાગ બે:
Permalink
December 15, 2008 at 10:44 PM by ધવલ · Filed under અછાંદસ
( મૂળ કવિતા સાંભળો કવિના પોતાના જ અવાજમા. )
આ વખતે નહીં.
આ વખતે એ નાની છોકરી મારી પાસે ઘસરકો લઈને આવશે
તો હું ફૂંક મારીને એને ખુશ નહીં કરું,
એની પીડાને હું વધવા દઈશ.
આ વખતે નહીં.
આ વખતે જ્યારે ચહેરાઓ પર દર્દ લખાયેલા જોઈશ,
નહીં ગાઉં પીડા ભૂલાવી દે એવાં ગીત.
દર્દને પચવા દઈશ, અંદર ઊંડે ઊતરવા દઈશ.
આ વખતે નહીં.
આ વખતે હું મલમ નહીં લગાડું.
નહીં લઉં હાથમાં રૂના પૂમડાં
અને નહીં કહું કે તું આંખ મીચી લે,
જરા માથું એ તરફ કરી લે, હું દવા લગાડી આપું છું.
જોવા દઈશ બધ્ધાને, આપણા બધ્ધાને, ઉઘાડા નગ્ન ઘા.
આ વખતે નહીં.
આ વખતે તકલીફો જોઈશ. તડફડાટ જોઈશ. નહીં દોડું ગૂંચવાયેલી દોરીને ઉકેલવા.
ગૂંચવાવા દઈશ જેટલી ગૂંચવાઈ શકે.
આ વખતે નહીં.
આ વખતે કર્તવ્યની આણ આપીને હથિયાર નહીં ઉઠાવું.
નહીં કરું ફરીથી એક નવી શરૂઆત.
નહીં બનું એક કર્મયોગીનું ઉદાહરણ.
નહીં ચડવા દઉં જીંદગીને આટલી આસાનીથી પાટા પર.
એને કાદવમાં ઊતરી જવા દઈશ, વાંકા ચૂંકા રસ્તા પર.
નહીં સૂકાવા દઉં દિવાલ પરનું લોહી,
નહીં ઝાંખો થવા દઉં એનો રંગ.
આ વખતે એને એટલું લાચાર નહીં થઈ જવા દઉં
કે પાનની પિચકારી અને લોહીનો ફરક જ મટી જાય.
આ વખતે નહીં.
આ વખતે ઘાને જોવા છે,
ધ્યાનથી,
લાંબા સમય સુધી.
થોડા નિર્ણય
અને એના પછી હિંમત.
ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે
આ વખતે તો નક્કી કર્યું છે.
– પ્રસૂન જોશી
મુંબઈ આતંકકાંડનો ખરો જવાબ શું હોઈ શકે ?
આજે તો ગુસ્સો તમને છે એટલો મને પણ છે અને અકળામણ તમને છે એટલી મને પણ છે. પણ થોડા જ વખતમાં આપણે દર વખતની જેમ આપણે આ બધુ ભૂલી જઈશું.
વહેલા લોહીનું ઋણ ખરેખર ચૂકવવું હોય તો ચાલાક થવું પડશે. આ ઘા કદી ન ભૂલાય એની કાળજી લેવી પડશે. આ ભસ્મને રાષ્ટ્રના લલાટમાં એવી લગાડવી પડશે કે કેટલીય પેઢીઓ સુધી દેખાયા કરે. એક દેશના સ્વમાનને જગાડવું પડશે. એક પીડાને ઉછેરવી પડશે. એક પ્રજાની હિંમતને કંડારવી પડશે. ગમે તે કિંમત ચૂકવવાની તૈયારી કરવી પડશે.
આ બધુ કરવા માટે આપણે લાંબો વિચાર કરવો પડશે. આપણા ગુસ્સાને આપણે કાબૂમાં કરવો પડશે. અને પછી એને કેન્દ્રિત કરવો પડશે. એક દેશ તરીકે ને એક પ્રજા તરીકે આપણે આ અંગારને સતત હાથમાં રાખીને વિચારતા શીખવું પડશે. બલિદાન આપતા શીખવું પડશે. આટલું રાષ્ટ્રમંથન કરવું પડશે. આ રાષ્ટ્રમંથનમાંથી જે જ્વાળા નીકળશે એ જ આ હુમલાનો ખરો જવાબ હશે.
એરિસ્ટોટલે સદીઓ પહેલા કહેલી વાત આજે યાદ રાખવાની છે :
Anyone can become angry. That is easy. But to be angry with the right person, to the right degree, at the right time, for the right purpose and in the right way – that is not easy.
આ કવિતા જાણીતા ગીતકાર અને એડવર્ટાઈઝીગ-ગુરુ પ્રસૂન જોશીની હિન્દી કવિતાનો અનુવાદ છે.
Permalink
December 14, 2008 at 12:20 AM by વિવેક · Filed under ઓડિયો, ગઝલ, યાદગાર ગઝલો, રઈશ મનીયાર
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)
સ્વર: શૌનક પંડ્યા
[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]
સ્વર: ધ્વનિત જોષી
[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]
રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….
‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે. આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.
વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો… આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…
આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.
Permalink
December 14, 2008 at 12:18 AM by ઊર્મિ · Filed under ઓડિયો, ગઝલ, મુકુલ ચૉકસી, યાદગાર ગઝલો
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા
ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા
બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા
ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા
આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા
છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા
આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
– મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)
મુકુલભાઈનું નામ આવે એટલે લાગણીથી લથબથ એવી એમની બે ગઝલો મને તરત જ યાદ આવી જાય; ‘સજનવા’ અને ‘ચૂમી છે તને’. ‘સજનવા’ એ મુકુલભાઈનું દીર્ઘ-કાવ્ય છે, દીર્ઘ-ગઝલ છે. અને સાંભળ્યું છે કે આ ગઝલનાં એટલા જુદા જુદા ભાગો છે કે કો’કવાર મુકુલભાઈ પાસે જ મારે એના કુલ શેરની સંખ્યા જાણવી પડશે. અને મુકુલભાઈ કદાચ મને કુલ પાનાનો આંકડો જ આપશે; કારણકે એવીયે ખબર પડી છે કે ‘સજનવા’નાં શેરનો ગણતરી કરવા કરતાં એનાં પાનાની ગણતરી કરવી જ સહેલી પડે… શેરનો આંકડો લગભગ 3 આંકડાની પાસે પાસે પહોંચી ગયો હોય તોય નવાઈ નહીં. ‘સજનવા’ની વાત કરીએ તો એના દરેક મિસરામાં ‘સજનવા’ રદીફને લીધે આ મત્લા ગઝલ જેવી પણ લાગે છે, તો એ જ રદીફ કોઈ ધુર્વપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલનાં ગીત હોવાનો પણ ભાસ થાય છે. ગાલગાગાનાં ચાર આવર્તનોવાળી આ ગઝલનાં દરેક શેરનાં અલગ-અલગ કાફિયાને લીધે એને કદાચિત્ ગીતઝલ જેવું પણ કહી શકાય…?!
મુકુલભાઈને આ ગઝલનું પઠન* કરી આપવાની જ્યારે મેં ફરમાઈશ કરેલી ત્યારે મેં એમને બે સવાલો પણ પૂછાવ્યા હતા: ૧) તમે આ ગઝલ આટલી દીર્ઘ કેમ લખી? ૨) આ ગઝલ લખવા પાછળ શું અને કોની પ્રેરણા હતી ? …તો લયસ્તરોને પાઠવેલી શુભેચ્છાઓ અને ‘સજનવા’નાં થોડા શેરનાં પઠનની સાથે મુકુલભાઈએ મારા સવાલોનાં જવાબો પણ મોકલાવ્યા છે, પણ એ હું તમને નહીં કહું. એ તો તમારે જાતે જ સાંભળવાં પડશે !
સ્વર: મુકુલ ચોક્સી
શુભેચ્છાઓ…
[audio:http://urmisaagar.com/saagar/audio/layastaro-4th-hbd-shubhechha_by_mukul_choksi.mp3]
ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;
લયનાં સ્તરો ઘણા છે ને એને અનુભવું છું,
હું લયસ્તરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મુકુલભાઈની વાત સાવ સાચી છે. ‘સજનવા’ કે પ્રેમની અનુભૂતિ વિશે તો જેટલું લખો એટલું ઓછું જ પડે. એના વિશે આપણે જો કશુંક લખવા બેસીએ ત્યારે શેરોની સંખ્યા કે લીટીઓ નહીં ગણાય, નોટબુકનાં પાના પણ નહીં ગણાય અને આપણી લખવાની આધુનિક શૈલીને ધ્યાનમાં રાખીને કહું, તો એ લખવામાં તો કમ્પયુટરની કેટલી યાદદાસ્ત (RAM) વપરાય છે એ પણ નહીં ગણાય ! 🙂 પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે. અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે. હવે ‘સજનવા’નું વધુ વિશ્લેષણ કર્યા વગર મુકુલભાઈએ જ પસંદ કરેલા ‘સજનવા’નાં થોડા શેરોને આપણે સાંભળીએ, માણીએ અને મમળાવીએ…
‘સજનવા’નું પઠન…
[audio:http://urmisaagar.com/saagar/audio/sajanva_pathan_by_mukul_choksi.mp3]
લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. 🙂
*ગઝલ-પઠનનો ઓડીયો બનાવીને સત્વરે મોકલવા બદલ મેહુલ સુરતી અને મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…!
Permalink
December 14, 2008 at 12:15 AM by ધવલ · Filed under ઓડિયો, ગઝલ, જવાહર બક્ષી, યાદગાર ગઝલો
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.
સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
– જવાહર બક્ષી (જન્મ: ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭)
[audio:http://tahuko.com/gaagar/layastaro/Jawahar Baxi-Tolani Shoonyata choon.mp3]
જવાહર બક્ષીએ જીવનના રંગને બહુ ઘૂટ્યા પછી ગઝલો લખી છે. સબળ વૈચારિક ભૂમિકા પર બંધાયેલી એમની ગઝલો એક તરફ એમના ઊંડા તત્વજ્ઞાનનો પરિચય આપે છે તો બીજી બાજુ એમના તીવ્ર સંવેદનની સાહેદી પૂરે છે. એમનો એકમાત્ર સંગ્રહ છે ‘તારાપણાના શહેરમાં’.
આ ગઝલ એવી છે કે એમા કવિ શું કહેવા માગે છે એના કરતા તમે શું સમજવા માંગો છો એનું વધારે મહત્વ છે. આ આત્મશોધનની ગઝલ છે. જાતને તપાસવાનું એક સાધન છે. પોતે ‘ખાલી’ હોવાનું કવિને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એમને પોતાના ‘ટોળાં’માં જકડાયેલા હોવાનું પણ છે. અને આ બંને હકીકત પોતાની જાતને કેટલી બૂઠ્ઠી બનાવી દે છે એ અહેસાસનો પડઘો આ ગઝલ છે. અર્થ વગરનાં અવાજો કરવા સિવાય આ ‘ખાલીપણું’ બીજા કોઈ કામનું નથી એવો – ચીસ જેવો – શેર મૂક્યા પછી કવિ એક તદ્દન અલગ વાત કરે છે. ઈસુ અને પોતાની જાત – બન્નેમાં શું સામ્ય છે ? – અવિરત પીડા (શૂળી ઉપર જીવું છું) અને ફકીરી (લંબાતો હાથ છું). જે દુ:ખોથી આપણે ત્રસ્ત છીએ એ જ ઈશ્વર સુધી જવાનો રસ્તો પણ છે એવો ઈશારો કવિ પોતાની રીતે કરી લે છે ! આ રગાશિયા જીન્દગી અને સંવેદનહીનતા પર છેલ્લા બે શેર લખીને કવિ પોરો ખાય છે. અહીં ગઝલ પૂરી થાય છે પણ વાચકનું કામ તો અહીં જ શરૂ થાય છે – એ કામ છે જાતને તપાસવાનું.
Permalink
December 13, 2008 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, યાદગાર ગઝલો
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)
સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Nayan Desai-Manas urfe.mp3]
નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.
લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…
આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.
વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?
આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…
શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….
Permalink
December 13, 2008 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા, યાદગાર ગઝલો
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા (જન્મ: ૬ જુલાઇ ૧૯૪૩ – મૃત્યુ: ૨૭ ઓક્ટોબર ૨૦૦૩)
સંગીત-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય
[audio:http://tahuko.com/gaagar/layastaro/Manoj Khanderia-Kshano_Ne_Todva_Besu.mp3]
મનોજ ખંડેરિયાની શ્રેષ્ઠ ગઝલ શોધવી હોય તો નિમિષમાત્રમાં આ ગઝલ દોડતી આવે. ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફ, લગાગાગાના સુગેય આવર્તન ધરાવતી બહેર અને ક્ષણ અને વરસોના વિરોધાભાસથી અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક મ.ખ.ની ગઝલોનું એવરેસ્ટ છે.
એક તરફ ક્ષણની વાત અને બીજી બાજુ વરસોની વાત… કવિ શું કહી રહ્યા છે? જીવન ક્ષણોનો સરવાળો છે પણ બધી ક્ષણ કંઈ જીવન નથી હોતી. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે મનુષ્યની જિંદગી આખી પલટી નાંખે છે. વાલિયો લૂંટારો એક ક્ષણમાં વાલ્મિકી બનવા તરફ પ્રેરાય છે તો બોધિવૃક્ષની નીચેની એક ક્ષણ સિદ્ધાર્થને બુદ્ધ બનાવે છે. રેલ્વેના ડબ્બામાંથી ફેંકાઈ જવાની એક ઘટના એક માણસને મહાત્મા ગાંધી બનાવે છે તો આવી જ કોઈ એક ક્ષણ પર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા કરી પોતાનો જાન ગુમાવી શકે છે કે બીજાનો જાન પણ લઈ શકે છે. આવી કિંમતી ક્ષણોને તોડીને એનું વિચ્છેદન કરવું હોય, આત્મનિરીક્ષણ કરવું હોય તો શું વરસોના વરસ નહીં લાગે ? આવી ક્ષણોના સરવાળા સમી જિંદગીને આપણે જેવી છે એવી ક્યાં જીવીએ જ છીએ ? એક ચહેરો અને એની ઉપર હજાર મહોરાં… બુકાની છોડવાનું કામ તો ક્ષણભરનું પણ છીએ તેવા દેખાવું હોય તો ? આપણી સાચી ઓળખાણ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો ? વાત ક્ષણની હોય કે બુકાનીની, વરસોના વરસ પણ કદાચ ઓછાં પડે…
…પણ બધા જ શેર વિશે વાત માંડવા બેસું તો વરસોના વરસ લાગે એટલે…
Permalink
December 12, 2008 at 12:38 AM by વિવેક · Filed under ગઝલ, યાદગાર ગઝલો, રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !
છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !
-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)
સ્વર: સ્વ.પરેશ ભટ્ટ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Rajendra Shukla-hajo haath kartal.mp3]
આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:
1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.
2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.
3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.
4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.
5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ. અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.
6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.
7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.
(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)
(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)
Permalink
December 11, 2008 at 10:36 PM by ધવલ · Filed under ગઝલ, યાદગાર ગઝલો, રમેશ પારેખ
હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.
અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.
આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.
કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?
એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.
‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.
-રમેશ પારેખ
રમેશ પારેખની ગઝલોમાંથી એક જ ગઝલની પસંદ કરવાનું કોઈ કહે એ તો સ્વર્ગમાં જાવ ને ઈન્દ્ર તમને એક જ અપ્સરા પસંદ કરવાનું કહે એવી વાત છે 🙂 ખેર, આ ‘અન્યાય’ની વાત જવા દઈને આપણે ગઝલની વાત કરીએ.
દેવોનું રામાયણ હોય, માનવીઓનું હસ્તાયણ હોય. રામાયણ એ આદર્શની કથા છે; હસ્તાયણ એ વાસ્તવની વ્યથા છે.
ર.પા. આ ગઝલમાં હાથના રૂપકનો ઉપયોગ કરીને જે રીતે માનવ સ્વભાવની બારીકીઓનું ચિત્રણ કરે છે એ ગઝલને અનેક સ્તરે જુદા જુદા અર્થઆયામો પ્રદાન કરે છે. (વિજ્ઞાનની નજરે જુઓ તો ઉત્ક્રાંતિમાં સૌથી છેલ્લે જ્યારે હાથનો વિકાસ થયૌ ત્યારે જ વાનરમાંથી માણસ બન્યો. હાથ એ રીતે માણસ માટે બહુ ઉપયુક્ત રૂપક છે!)
ઝાંઝવાને સ્પર્શવા – એટલે કે અપ્રાપ્યની પાછળ દોડવા- થી થાકેલા, મેલા થયેલા માણસને તમે તમારી આજુબાજુ જોયો જ હશે. સપનાંને સપનાં રહેવા દેવાનુ માણસના સ્વભાવમાં નથી. સપનાંને વાસ્તવમાં ખેંચી લાવવની જીદને લીધે જ આપણે એમને ચારે તરફથી ઉઝરડી નાખીએ છીએ. ત્રીજા શેરમાં પાંચ છિનાળ પુત્રીઓ – એટલે કે આપણને પરવશ બનાવતી પાંચ ઈન્દ્રિયો – ને લીધે સતત બદનામ થયા કરવાના માનવજાતના શાપની વાત અદભૂત રીતે કરી છે. માણસના પોતાની બધી મર્યાદાઓને અતિક્રમિ જવાના એકમાત્ર રસ્તા – એટલે કે પ્રેમ – ની વાત એના પછીના શેરમાં બહુ નાજુક રીતે આવે છે. વારંવાર નસીબનો ટેકો લેવા દોડી જતા – હસ્તરેખા પરવશ – તકલાદી માણસો પ્રત્યે કવિએ જરા કટાક્ષ કરી લીધો છે. મેલા મનને સાફ કરવાનો રસ્તો ઝટ હાથ આવતો નથી એ તરફ ઈશારો કરીને કવિ ગઝલને સમેટી લે છે.
ર.પા.ની ગઝલોમાં આ ગઝલ એક સિમાચિહ્ન છે.
Permalink
December 11, 2008 at 2:18 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી, યાદગાર ગઝલો
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: 30 સપ્ટેમ્બર, 1939)
ચિનુ મોદીની યાદગાર ગઝલ વિશે વિચારવાનું થાય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના આ ગઝલ માનસપટ પર ઉભરી આવે. ખુદ ચિનુ મોદી ‘પ્રતિનિધિ ગુજરાતી ગઝલો’ના સંપાદનમાં આ તસ્બી ગઝલનું ચયન કરે છે. આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે. ગઝલના મિજાજને અનુરૂપ બે આવર્તનવાળા લયાત્મક છંદ (ગાગાલગા લગાગા X 2)ની પસંદગી, અને હમરદીફ-હમકાફિયા સ્વરૂપમાં ઘુંટાતો ચિનુ મોદીનો નવી ગઝલનો ઘેઘૂર અવાજ આ ગઝલને વધુ ને વધુ આસ્વાદ્ય બનાવે છે…
Permalink
December 11, 2008 at 12:50 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી, યાદગાર ગઝલો
ગયાં વર્ષો હવે આવ્યાં – અને આઘાત ચાલે છે,
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.
ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે,
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે !
બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.
હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે.
સમયનું નામ મઠ્ઠી હોય તો એ ખોલવી પડશે,
-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે.
-મનહર મોદી
(જન્મ: 15-4-1937 – મૃત્યુ: 23-3-2003)
ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. પરંપરાની ગઝલો અને પછીથી આધુનિક ગઝલ અને છે…ક એબ્સર્ડ ગઝલો સુધી એમણે નોંધપાત્ર પદાર્પણ કર્યું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને અસંદિગ્ધ પણ લાગે છે છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ પાછા નથી પડ્યા. મનહર મોદી વિના યાદગાર ગઝલોની વાત અધૂરી જ ગણાય…
‘બગીચામાં ફૂલોની ઘાત ચાલે છે’ વાળો શેર મ.મો.નો બ્રાન્ડ-એમ્બેસડર શેર ગણી શકાય. ખુશબૂ જેવા અદેહી તત્ત્વને મ્યાન જેવી સાકાર સંજ્ઞા સાથે પ્રયોજવામાં કેવું અદભુત કવિકર્મ થયું છે ! અહીં આ શેરને આપ ફૂલ અને ફોરમના સંદર્ભે તો માણી જ શકો છો, સુરભિત જીવો સાથે પણ સાંકળી શકો છો. સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી પણ ગણી શકાય. સજ્જન થવામાં બહુ સાર નથી એવી ચેતવણી પણ અહીં સંભળાય છે.
Permalink
December 10, 2008 at 12:04 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ, યાદગાર ગઝલો
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)
સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
[audio:http://urmisaagar.com/saagar/audio/12 nadi ni ret ma MUSIC.mp3]
મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…
[audio:http://urmisaagar.com/saagar/audio/Story of Maley na maley.mp3]
આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.
Permalink
December 10, 2008 at 12:01 AM by ઊર્મિ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા, યાદગાર ગઝલો
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.
– ભગવતીકુમાર શર્મા (જન્મ: 31 મે 1934)
આખી ગઝલમાં કવિએ ઉદાસીને ઘૂંટી છે અથવા ઉદાસીને ઉજવી છે એમ પણ કહી શકાય. અહીં કવિ કશું જ મોઘમ નથી રાખતા. શરૂઆત જ ઉદાસી શબ્દથી કરે છે જે આખી ગઝલમાં આવનારી ઉદાસીનાં એંધાણ આપી દે છે. પ્રિયતમની કંઈક એવી આતુરતાથી પ્રતિક્ષા થઈ રહી છે કે સ્વયં પ્રતિક્ષા જ હવે આતુર થઈ ઉઠી છે… અને ઝરૂખે ઊભા રહીને પ્રિયતમની રાહ જોતું પ્રિયજન જાણે કે ખુદ પ્રતિક્ષાનો જ એક પર્યાય બની ગયું છે, પરંતુ પ્રિયતમનાં આવવાનાં કોઈ એંધાણ નથી. અને આ પ્રતિક્ષા એટલે કંઈ થોડા કલાકોની કે થોડા દિવસોની પ્રતિક્ષા તો નથી જ. આ તો છે ચીર-પ્રતિક્ષા…! અને એનાં સમયનો ખ્યાલ આપણને ત્યારે આવે છે જ્યારે કવિ કહે છે જે ભીંત ઉપર એકવાર પ્રિયતમે મારું નામ લખ્યું હતું એના પર તો હવે મધુમાલતી છવાઈ ગઈ છે. અહીં ભીંત ખંડેર થઈ ગઈ છે એમ કવિ નથી કહેતા, પરંતુ નામ આખરે તો પ્રિયતમ દ્વારા લખવામાં આવ્યું છે એટલે જ કદાચ મધુમાલતી જેવો નાજુક અને સુગંધી શબ્દ વાપરે છે અને પ્રતિક્ષાની લંબાઈ સમજાવવા માટે તેઓ મધુમાલતીની વેલનાં ભીંતે ચડવા જેવો કોમળ વાક્યપ્રયોગ કરે છે. ઉદાસ ક્ષણોમાં જ્યારે ખાતરી થઈ જાય છે કે આ પ્રતિક્ષા પણ અનંત જ છે ત્યારે કવિ પ્રેમની પળોની યાદોની સભામાં ભૂલાયેલી પંક્તિને ગણગણવાની વાત કરે છે… જે પંક્તિ ખરેખર ભૂલાયેલી તો છે જ નહીં. અને આ પંકિત એટલે કે પ્રિયતમે કરેલી પ્રેમની વાતો. આમ પણ જ્યારે પ્રિયતમની પ્રતિક્ષા કરતાં હોઈએ ત્યારે તો ખાસ આપણું મન-હૃદય પ્રિયતમે કહેલી ઘણી વાતો અને ઘણા શબ્દો ઘૂંટવા અને ગણગણવા લાગી જાય છે; એ વાતો અને શબ્દો પ્રિયતમની હાજરીમાં તો કદાચ યાદ પણ નથી રહેતા. એક જ ભાવજગતમાં રહીને કવિ ચારેય શેરોમાં ડુસકાં, પ્રતિક્ષા, એકલતા અને યાદો દ્વારા જાણે કે આપણને ઉદાસીની પરિક્રમા કરાવે છે. એટલે જ ગઝલમાં માત્ર ચાર શેરો હોવા છતાં એ જરાય અધૂરી નથી લાગતી.
આ ગઝલનાં ભાગ-2 જેવી લાગતી એમની બીજી એક ગઝલ પણ આ જ રદીફ અને કાફિયા સાથે અહીં માણો.
Permalink
December 9, 2008 at 1:08 AM by ઊર્મિ · Filed under ગઝલ, યાદગાર ગઝલો, હરીન્દ્ર દવે
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
– હરીન્દ્ર દવે
(1930 – 1995)
સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
[audio:http://tahuko.com/gaagar/layastaro/Harindra Dave – Aansu ne Pee Gayo Chhun.mp3]
1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે. પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે. પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો. કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે. પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો. જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે. આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે. છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી” કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી. વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.
Permalink
December 9, 2008 at 1:02 AM by ઊર્મિ · Filed under ગઝલ, બેફામ, યાદગાર ગઝલો
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)
સ્વર-સંગીત : મનહર ઉધાસ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]
ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા. એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું. ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100% ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે. એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે. આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે. ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…! જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે. અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.
Permalink
December 8, 2008 at 1:08 AM by ઊર્મિ · Filed under ગઝલ, યાદગાર ગઝલો, સૈફ પાલનપુરી
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !
– સૈફ પાલનપુરી
(1923 – 1980)
સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
[audio:http://tahuko.com/gaagar/layastaro/Saif Palanpuri-Khushboo Na Khilela Phul.mp3]
સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા…. એટલે કે આપણા પ્રિય ગઝલકાર ‘સૈફ’ પાલનપુરી. પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા સૈફ સાહેબનું ગુજરાતી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં ખૂબ જ નોંધનીય યોગદાન રહ્યું છે. અને એમની કોઈ યાદગાર ગઝલની પસંદગી વાત આવે એટલે યાદ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ ગઝલ તરત જ મગજમાં આવી જઈ જાતે જ છવાઈ જાય. એક એકથી ચડિયાતા શેરવાળી એમની આ ગઝલ ખૂબ જ લોકપ્રિય થયેલ છે.
“
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં“… ફૂલ તો આમેય ખુશ્બૂમાં જ ખીલતું હોય છે, એ જ રીતે ખીલવાનો એનો સ્વભાવ છે. પરંતુ કવિ મત્લાનાં શેરમાં જ આપણને પ્રણયનાં ચાર તબક્કાની સફર કરાવી દે છે. પ્રેમનાં સાન્નિધ્યમાં ખીલવાનું એટલે કે
‘કંઈક થયું છે ‘નો પ્રથમ તબક્કો. અને બીજો તબક્કો એટલે પ્રેમથી છલોછલ અને લાગણીથી ભરપૂર એવા નશાનો જાજરમાન તબક્કો… પરંતુ પછી મોટા ભાગની પ્રેમકથામાં
કહાનીમેં ટ્વીસ્ટ ની જેમ આવતો ત્રીજો તબક્કો…! એટલે કે અશ્રુઓનાં સમીકરણોથી લખાતો આંસુઓનો ભૂતકાળ… જે અધૂરી ઈચ્છાઓની લાશો અને અનાથ સ્વપ્નોનાં ખંડેરોથી ભર્યો ભર્યો હોય… અને વળી એ એક એક આંસુઓનાં નામો પાડી શકાય એટલો અકથ્ય વિરહ એટલે કે પ્રણયનો ચોથો અને પરિપક્વ તબક્કો… (અને કુલ કેટલા તબક્કાઓ હોય છે, એ તો દરેક પ્રણયકથા પર અંગત-આધારિત હોય છે!) આવી રીતે મને તો એમ જ લાગે છે કે આ એક જ શેરમાં કવિએ જાણે આખી પ્રણયકથા કહી નાંખી છે.
મનુષ્યમાત્રને જેટલું જીવન હોય એટલું ઓછું જ લાગે. આપણે હમણાં કોઈને પૂછીએ તો મોટાભાગનાં લોકો લગભગ એમ જ કહેશે કે અત્યારે મોત આવે તોય મને જરાય વાંધો નથી. પરંતુ જો કોઈ જ્યોતિષ આપણને ખાનગીમાં કહે કે આવતા ફલાણા દિવસ સુધી તમારા માથે ભારે ઘાત છે તો એના નિવારણ માટે આપણે લગભગ બધું જ કરી છૂટીએ… અને જો મોતનાં સમયની સાચે જ ખબર પડે અને યમદેવતા સાથે જો વાત કરવાનો મોકો મળે તો આપણે બધા 100% એમ જ કહીએ કે બેચાર કામ પતી જાય પછી અમને તમારી સાથે આવવામાં બિલકુલ વાંધો નથી… વળી સાથે સાથે થોડી શિકાયતો અને ખુલાસાઓ બાકી રાખ્યા હોય તો એનો હિસાબ પણ પતાવવાનો તો હોય જ. અને આ બધી તો આપણા બધાની સાવ સીધી, સાદી ને સાચી વાત છે, જેમાંથી લગભગ કોઈ જ બાકાત નથી. પરંતુ કવિએ આ જ સહજ વાતને એકદમ સહજતાથી સ્વીકારીને આપણને એક અસહજ શેરની ભેટ ધરી દીધી છે.
માણસ ભલે અંદરનાં અજવાળે સફર કરતો હોય પરંતુ જ્યારે ખુદ મંઝિલ અને એ મંઝિલ ઉપર પહોંચવાના બધા રસ્તાઓ જ બદનામ હોય તો એની સફર ગમે તેટલી સ્વચ્છ હોય, પણ એ સફર વિશે જાતજાતની અફવાઓ તો નક્કી ઉડવાની જ. અને જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે નેક ઈરાદાવાળા ગણ્યાંગાંઠ્યા થોડા સારા માણસોની અત્યારે બિલકુલ આવી જ દશા હશે, કે જેઓ આપણાં દેશનાં રાજકારણની ગંદકી સુધારવા માંગે છે.
જખ્મોવાળો પ્રખ્યાત શેર તો બધાને સાવ પોતીકો લાગે છે… સૌને જાણે એમના માટે જ કવિએ લખ્યો હોય એમ જ લાગે છે. જો કે, વાતેય સાવ સાચી છે. જીવનની સમી સાંજે જો આપણે આપણને મળેલા જખ્મોથી યાદી તપાસવા બેસીશું, તો જખ્મો આપવાવાળાઓનાં નામો યે કદાચ નામ લઈ પણ નહીં શકાય એવાં સાવ અંગત અંગત જ નીકળશે… અને જો અંગત ન હોય તો એમનું નામ જખ્મોથી યાદીમાંયે શું કામ આવે?! એમ પણ કોઈકે સાચું જ કહ્યું છે કે આપણને સૌથી વધુ દુ:ખ આપવાની શક્તિ માત્ર એમનામાં જ હોય છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ.
આપણે આપણી જાતથી અલગ થઈને કેટલી વાર સ્વને ચકાસીએ છીએ? કવિએ મક્તાનાં શેરમાં તો ખરેખર કમાલ કરી છે. જેમ આપણે અન્ય લોકોનું આસાનીથી અવલોકન કરી શકીએ છીએ, બસ એવી જ રીતે કવિની જેમ જો જાતને અવલોકીશું તો ખબર પડશે કે આપણું સાચું મ્હોરું કયું છે અને કયું લગાવીને હંમેશા ફર્યા કરીએ છીએ…!
ઉર્દુનાં ગઝલકાર સૈફ ગુજરાતીનાં ગઝલકાર કેવી રીતે બન્યા?!… એ વાત એમના જ શબ્દોમાં વાંચો !
(ઓત્તારી… ગઝલ વિશેનાં મારા વિચારો પ્રગટ કરવા જતાં આ તો હારો નિબંધ જ લખાઈ ગયો…! 🙂 )
Permalink
December 8, 2008 at 1:00 AM by ધવલ · Filed under ગઝલ, યાદગાર ગઝલો, શૂન્ય પાલનપુરી
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી
સ્વર-સંગીત : મનહર ઉધાસ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Shoonya Palanpuri-Parichay Chhe Mandir Ma Devo Ne.mp3]
જીવનમાં એક એવી પણ દશા આવે છે જ્યારે માણસને કહેવાનું થાય કે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મંદિર-મસ્જીદ-સુરાલય-સાગર બધાની વારંવાર મુલાકાત લેવાની થાય છે. કોઈ એને વ્યથાની દશા કહે પણ કવિ તો આ દશાને પણ પોતાની રીતે માણી રહ્યા છે. પોતાની જાતમાંથી બહાર નીકળીને જાતને જોવી, અને એ પણ વ્યથાના સમયમાં, એ બહુ મોટી વાત છે. એ અહીં કવિએ અજબ ખુમારી સાથે કરી બતાવે છે – નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે ! તબીબોને તો એમના સૌથી પ્રખ્યાત શેરમાથી એક છે. છેલ્લા શેરમાં વ્યથાનો સામનો કરવાના ચાર હથિયાર (ધીરજ, વફા, દયા અને ક્ષમા)ની વાત એમણે બહુ સરસ રીતે કરી છે.
Permalink
December 7, 2008 at 1:10 AM by ધવલ · Filed under ગઝલ, મરીઝ, યાદગાર ગઝલો
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.
માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.
આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.
ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.
મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
– મરીઝ
(1917 – 1983)
સ્વર: મન્ના ડે
[audio:http://tahuko.com/gaagar/layastaro/Mariz-Raheshe aa mane mari.mp3]
મરીઝની ઓછામાં ઓછી પાંચ ગઝલો આ યાદીમાં લઈ શકાય એવી છે. મરીઝે પોતાના ‘ગળતા જામ’ જેવા જીવનને હંમેશા ગઝલથી છલકતું રાખ્યું. ગઝલની ગુણવત્તામાં એમની સરખામણી હંમેશા ગાલિબ સાથે થાય છે. અને ગાલિબનો એમની રચનાઓ પર પ્રભાવ પણ દેખાઈ જ આવે છે. જીવનના કડવા સત્યોને બે લીટીમાં બયાન કરી દેવાની એમને ઈશ્વરી દેન હતી. એમને ગુજરાતી ગઝલના શ્રેષ્ઠ ગઝલકાર કહેવામા કોઈ અતિશયોક્તિ નથી.
Permalink
December 7, 2008 at 1:00 AM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ, યાદગાર ગઝલો
શબ્દની આ૨પા૨ જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.
ખૂબ અંદ૨ બહા૨ જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકા૨ જીવ્યો છું.
મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.
મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મા૨મા૨ જીવ્યો છું.
આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહા૨ જીવ્યો છું.
હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.
– અમૃત ઘાયલ
ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !
Permalink
December 6, 2008 at 1:10 AM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા, યાદગાર ગઝલો
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
(1908 – 1987)
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : મુહમ્મદ રફી
[audio:http://tahuko.com/gaagar/layastaro/Gani Dahiwala-DIVASO JUDAI.mp3]
ગનીચાચાની આ ગઝલ કદાચ ગુજરાતી ગઝલની સૌથી પ્રસિદ્ધ ગઝલ છે. એમનું ભણતર નજીવું અને ઘંઘો દરજીનો. માત્ર હૈયાઉલકતના સહારે એમણે ગુજરાતી સાહિત્યની કેટલીક સર્વોત્તમ કૃતિઓનું સર્જન કર્યુ. માણસ તરીકે એકદમ પારદર્શક. એમને મળો તો ઓળખાણ તો પછી થાય પણ પહેલા એમના ચહેરા પર સ્મિત છલકાઈ જાય. એમની કૃતિઓમાં પણ એમના સ્વભાવનો પડછાયો જોઈ શકાય છે. ગઝલકારો તો ઘણા આવ્યા અને આવશે પણ બીજા ગનીચાચા મળવા અશકય છે.
Permalink
December 6, 2008 at 1:00 AM by ધવલ · Filed under ગઝલ, યાદગાર ગઝલો, શયદા
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
– શયદા
(1892 -1962)
ગુજરાતી ગઝલને પોતીકુ રૂપ આપવાનુ શ્રેય શયદાને જાય છે. એમણે મુશાયરાની પરંપરાને જીવંત કરીને ગઝલને ગુજરાતમાં લોકપ્રિય બનાવી. ગઝલમાં ફારસી શબ્દોનો ઉપયોગ ઓછો થયો અને ખરેખર ‘ગુજરાતી’ ગઝલ લખાતી થઈ. શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ગુજરાતી ગઝલના પિતામહ શયદાની આ ગઝલ એમના મિજાજ અને શૈલીની સારી ઓળખાણ આપે છે.
Permalink
December 5, 2008 at 10:31 AM by ધવલ · Filed under કલાપી, ગઝલ, યાદગાર ગઝલો
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
વધુ આગળ વાંચો…
Permalink
December 5, 2008 at 10:00 AM by ધવલ · Filed under ગઝલ, બાલાશંકર કંથારીયા, યાદગાર ગઝલો
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
વધુ આગળ વાંચો…
Permalink
December 4, 2008 at 4:42 PM by ધવલ · Filed under પ્રકીર્ણ

આજે લયસ્તરો ચાર વર્ષ પૂરા કરે છે. કવિતાના આનંદને વહેંચવાનો આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આટલો લાંબો ચાલશે એવો ખ્યાલ નહોતો તો કવિતાના આટલા ચાહનારાઓ દુનિયાભરમાં મળી આવશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય ! લયસ્તરો દ્વારા ચાર વર્ષમાં જે દોસ્તો મળ્યા છે એ જ સૌથી મોટી ખુશીની વાત છે. ચાર વર્ષમાં કાંઈ કેટલાય એવા લોકો જોડે ઓળખાણ થઈ, કેટલાય લોકોને જાણવાનો મોકો મળ્યો… અને કવિતા આપણા બધાના જીવનમાં કેટલી હદે વણાઈ ગયેલી છે એ નજીકથી જાણવાનું મળ્યું. આજે લયસ્તરો પર 450થી પણ વધારે કવિઓની 1250થી વધુ રચનાઓ છે.
કવિતા એ આમ તો બહુ જ અંગત વાત છે. તમને કઈ કવિતા ગમે છે એ ઉપરથી તમારા વ્યક્તિત્વ અને વિચારશ્રેણીને જાણવાનું બહુ સહેલુ થઈ પડે છે. કવિતા વિષે વાત કરવી એ જાહેરમાં દિલના અંદરના દરવાજાને ખોલવાનું કામ છે. છતાંય કવિતા ઉપરનો પ્રેમ લોકોને આ મહેફીલમાં આખરે ખેંચી જ લાવે છે. અને આપણે અહીં જોયું છે કે લોકો વર્ષો સુધી મનનાં ખૂણામાં જતનથી જાળવી રાખેલી બે-ચાર કાવ્યપંક્તિઓ પણ અહીં બધા જોડે વહેંચીને માણે છે. આ ઘટના પોતે જ કવિતાના જાદૂનો પુરાવો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ પ્રયોગ કરીને લયસ્તરોની વર્ષગાંઠને ઊજવવાનો વિચાર છે. આવતા દસ દિવસમાં આપની સામે ગુજરાતી ગઝલના લાંબા ઈતિહાસમાંથી ખાસ પસંદ કરેલી વીસ સૌથી યાદગાર ગઝલો રજૂ કરવાના છીએ.
આટલી બધી ગઝલમાંથી માત્ર વીસ ગઝલ પસંદ કરવાનું કામ લગભગ અશક્ય છે. અને કઈ ગઝલ પસંદ કરવી અને કઈ ન કરવી એ એક મોટો અને મહા વિકટ પ્રશ્ન છે. આના ઉપાયરૂપે પહેલા અમે વીસ ગઝલકારોને પસંદ કર્યા (જે કામ ધારવા કરતાંય અઘરું જ જણાયું) જેમણે ગુજરાતી ગઝલના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને પછી અમે એ ગઝલકારોની અમને ગમતી ગઝલોની પસંદગી કરી છે. આ આખો ઉદ્યમ માત્ર અમારી અંગત પસંદગી ઉપર જ આધારિત છે. વીસ ગઝલની મર્યાદાને કારણે કેટલીય યાદગાર ગઝલોનો સમાવેશ નથી થઈ શક્યો એનો પણ અમને ખ્યાલ છે જ. તેમ છતાં ગુજરાતી ગઝલના યાદગાર ઈતિહાસની ઝાંખી કરાવતી આ યાદગાર સફરમાં આપને બધાને સો ટકા મઝા આવશે જ, એવું અમારું વચન પણ છે!
… તો આવતી કાલથી દસ દિવસ માટે લયસ્તરો પર માણો, ગુજરાતી ગઝલના ઈતિહાસની સૌથી યાદગાર વીસ ગઝલો !
Permalink
December 3, 2008 at 8:48 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીનાથ જોશી
હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:
તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે
અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.
હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.
-શ્રીનાથ જોશી
કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !
Permalink
December 3, 2008 at 12:11 AM by ધવલ · Filed under ગઝલ, હરીશ જસદણવાળા
જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;
બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી.
કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો ?
ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી.
માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.
તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી !
– હરીશ જસદણવાળા
Permalink
December 1, 2008 at 10:43 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રિયકાંત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
– પ્રિયકાંત મણિયાર
કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂
Permalink
December 1, 2008 at 12:30 AM by ધવલ · Filed under ચિનુ મોદી, મુક્તક
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે
– ચિનુ મોદી
Permalink
November 30, 2008 at 12:15 AM by વિવેક · Filed under અછાંદસ, કૃષ્ણ દવે
નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
-કૃષ્ણ દવે
આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?
આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?
Permalink
November 29, 2008 at 12:28 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ

*
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !
હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !
હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.
ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.
કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.
ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.
-કિરણસિંહ ચૌહાણ
‘સ્મરણોત્સવ’ પછી કિરણકુમાર ચૌહાણ એમનો બીજો ગઝલ સંગ્રહ ‘મિજાજ’ લઈને આવે છે. ગયા રવિવારે તા. 23-11-2008ના રોજ એમના આ સંગ્રહનો સુરત ખાતે લોકાર્પણ વિધિ થયો. આ નાનકડી પુસ્તિકાની 56 ગઝલોમાં કિરણકુમારનો મિજાજ સુપેરે વ્યક્ત થયો છે. બધી ગઝલો આસ્વાદ્ય થઈ છે અને કિરણકુમારની ગઝલોમાંનો લોકબોલીનો કાકુ, સરળતા વચ્ચે વસેલું વેધક ઊંડાણ અને છંદ-વૈવિધ્ય ફરીથી ઊડીને આંખે વળગે છે. આ સંગ્રહમાંની બે ગઝલ – ઘડિયાળની સાથે તથા ચલાવો છો આપ અગાઉ લયસ્તરો પર એમના પોતાના હસ્તાક્ષરમાં માણી ચૂક્યા છો.
કિરણકુમાર ચૌહાણને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
Permalink
November 28, 2008 at 12:07 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
વ્હાલા મિત્રો,
મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…
…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !
Permalink
November 27, 2008 at 7:15 AM by વિવેક · Filed under ગઝલ, મહેક ટંકારવી
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.
બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.
હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !
દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.
-‘મહેક’ ટંકારવી
અવાજની આજુબાજુ પડઘાતી રહેતી એક મજાની ગઝલ. બધા જ શે’ર અનવદ્યપણે આસ્વાદ્ય બન્યા છે. અંધકારમાં પ્રકાશ અને દિલની દીવાલોના યાદના પડઘે ગુંજવાની વાત તો આ ગઝલની જાન છે… આ કવિ વિશે કોઈ વિશેષ જાણકારી આપી શકે ખરું?
Permalink
November 26, 2008 at 4:27 PM by ધવલ · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.
સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.
સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.
– હર્ષદ ચંદારાણા
વર્ષા-ગીત તો આપણે બહુ જોયા છે, આજે એક વર્ષા-ગઝલ માણો ! મેઘપુત્રી ધરતીને લગ્નપ્રસંગે આણાંમાં વર્ષા આપવાની કલ્પના જ કેટલી સરસ છે, ને વળી એ શેરમાં મેઘને માટે ‘ઘનશ્યામદાસ’ શબ્દ વાપરીને કવિએ મઝા કરાવી દીધી છે. ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.
Permalink
November 26, 2008 at 12:54 AM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ, સુરેશ ભટ્ટ
તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.
તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.
તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.
તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.
તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.
તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.
તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.
– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)
એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.
(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)
Permalink
November 24, 2008 at 10:30 PM by ધવલ · Filed under અછાંદસ, વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.
– વાડીલાલ ડગલી
ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.
Permalink
November 22, 2008 at 2:23 AM by વિવેક · Filed under અછાંદસ, ચિનુ મોદી
આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.
-ચિનુ મોદી
એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…
Permalink
November 21, 2008 at 2:51 AM by વિવેક · Filed under ગઝલ, બેફામ
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.
-બરકત વિરાણી ‘બેફામ’
બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…
ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…
Permalink
Page 92 of 118« First«...919293...»Last »