મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જોસેફ હાંઝલિક

જોસેફ હાંઝલિક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

Comments (4)