સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આ અંધારામાં છ કલાક : ૦૪ થી ૦૬ – સિતાંશુ યશશ્ચંદ્ર

૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.

ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.

પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.

હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી

ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…

૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.

સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?

તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.

ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.

૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.

બોલ તારો શું વિચાર છે ?

તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?

તું હા ભણે એક જ વાર તો હું..

– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)

[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]

નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…

કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!

છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…

અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.

Comments (4)

આ અંધારામાં છ કલાક : ૦૧ થી ૦૩ – સિતાંશુ યશશ્ચંદ્ર

૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.

તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.

૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.

આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ

શરદ પૂનમ સુધી

૩.
અથવા તો, રહો,
.               છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી

દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
.                                      આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,

એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

બોલો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?

વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?

પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

Comments (3)

નિવેદન – જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

-જગદીશ જોષી

અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’

Comments (3)

સામ્રાજ્ય – મનીષા જોષી

મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

– મનીષા જોષી

જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.

Comments (4)

લાલ જરીભરત – નેઓમી શિહાબ નાયે (અનુ.: વિવેક મનહર ટેલર)

આરબ લોકો કહેતાં કે
જ્યારે કોઈ અજાણ્યો તમારા દ્વારે આવે,
એ કોણ છે,
એ ક્યાંથી આવ્યો છે,
એ ક્યાં જવાનો છે એની પડપૂછ કરતાં પહેલાં
ત્રણ દિવસ સુધી એની સરભરા કરો.
એમ કરવાથી, એનામાં જવાબ આપવા પૂરતી
તાકાત આવશે.
અથવા, ત્યાં સુધીમાં તમે
એટલા સારા મિત્રો બની જશો કે
તમને પરવા નહીં હોય એ વાતની.

ચાલો, પાછાં મૂળ વાત તરફ.
ભાત? બદામ?
આ લો, લાલ જરીભરતવાળો તકિયો.
મારો દીકરો તમારા ઘોડાને
પાણી પાશે.

ના, હું કંઈ વ્યસ્ત નહોતો તમે આવ્યા ત્યારે!
હું વ્યસ્ત થઈ જવાની તૈયારીમાં પણ નહોતો.
આ એ બખ્તર છે, જે દરેક જણ
એવો દેખાડો કરવા પહેરે છે કે આ દુનિયામાં
તેઓ કોઈક હેતુસર છે.

હું આ પ્રકારના દાવાઓથી પરે છું.
તમારી થાળી રાહ જોઈ રહી છે.
આપણે તાજો ફૂદીનો નાંખીશું
તમારી ચામાં.

– નેઓમી શિહાબ નાયે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

દરેક સંસ્કૃતિ કોઈક સમજ સાથે વિકસતી હોય છે. સેંકડો લોકોના દાયકાઓના અનુભવો ક્રમશઃ રિવાજ બનતાં હોય છે. આરબ સંસ્કૃતિમાં મહેમાન આવે ત્યારે કશુંય પૂછ્યા વિના એની આગતાસ્વાગતા કરવાનો રિવાજ છે. એને પકડીને પેલેસ્ટાઇન મૂળનાં અમેરિકન કવયિત્રી આગળ વધે છે, અને અતિથિ આવી ચડે ત્યારે વ્યસ્ત ન હોવા છતાં વ્યસ્ત હોવાનો દેખાડો કરી અવગણના કરવાની આજના સમાજની મનોવૃત્તિનું ધારદાર ચિત્રણ કરે છે. જ્ઞાન વધતું ગયું એમ એમ આપણી સમજણ ઘટતી ગઈ…

આરબ સભ્યતા અને अतिथि देवो भवःની આપણી સભ્યતા વચ્ચેની આ સમાનતા આપણને ચકિત કરે એવી નથી? દુલા ભાયા કાગ પણ તરત યાદ આવે:

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો ? એમ નવ કે’જે રે
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે.
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે.

*

Red Brocade

The Arabs used to say,
When a stranger appears at your door,
feed him for three days
before asking who he is,
where he’s come from,
where he’s headed.
That way, he’ll have strength
enough to answer.
Or, by then you’ll be
such good friends
you don’t care.

Let’s go back to that.
Rice? Pine nuts?
Here, take the red brocade pillow.
My child will serve water
to your horse.

No, I was not busy when you came!
I was not preparing to be busy.
That’s the armor everyone put on
to pretend they had a purpose
in the world.

I refuse to be claimed.
Your plate is waiting.
We will snip fresh mint
into your tea.

– Naomi Shihab Nye

Comments (16)

બેહુલાનું મૃત્યુ – અંજલી બસુમતારી (અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.

અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.

બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…

એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?

એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.

મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!

મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…

જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.

જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..

છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી

અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…

તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?

મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?

નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)

– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…

લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.

ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…

લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…

Comments (7)

વાયકા – કમલ વોરા

વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું

– કમલ વોરા

‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.

એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…

Comments (14)

સોરી! – અનિલ ચાવડા

સોરી!    (પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’

તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

– અનિલ ચાવડા

કાવ્યપાઠ :-

 

Comments (8)

‘ગેબ્રિઅલ’માંથી – એડવર્ડ હર્શ (અનુ. વિવેક મનહર ટેલર)

મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
રાત્રિના અંધારામાં પર્વત પર
સિમેન્ટની થેલી ઊંચકીને ચડવા જેવું છે

પર્વતની ટોચ દેખાતી નથી
કેમકે પર્વતની ટોચ છે જ નહીં
હાય આ સિસિફસિયું દુઃખ

મને ખબર નહોતી કે મારે મથવાનું છે
ઉપર જવાના રસ્તા વગર જ
ખાડાખૈય્યાવાળા ઝાડીઝાંખરામાંથી પસાર થવા માટે

કેમકે ત્યાં કોઈ રસ્તો જ નથી
ત્યાં તો છે માત્ર એક જડ શિલા
અને મહીં કૂદવા માટે એક નદી

અને છે સમય એના મધ્યયુગીન ઓરડાઓ સાથે
સમય એની દાંતાદાર ધાર સાથે
અને જડ ઓજારો

મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
આપણા વડે આપણી અંદર અંધારામાં
કરાતી મજૂરી છે

જો કે ક્યારેક-ક્યારેક જ્યારે હું સૂઈ જાઉં છું
હું ફરીથી એની સાથે હોઉં છું
અને પછી હું જાગી જાઉં છું

રે સિસિફસિયું દુઃખ
તારી આ ભારીખમતા મારા શરીર સાથે
સિમેન્ટાય એ માટે હું તૈયાર નથી

ધ્યાનથી જુઓ અને તમે જોઈ શકશો કે
લગભગ દરેક જણ પોતાના ખભા પર
સિમેન્ટની થેલીઓ ઊંચકીને ચડી રહ્યા છે

એટલા માટે જ સવારે પથારીમાંથી ઊઠવું
અને દિવસમાં ચડાણ કરવું
એ હિંમતનું કામ છે

– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)
*

બાપના ખભા પર દીકરાની નનામીના બોજથી વધુ વજનદાર બીજું કંઈ હોતું નથી. એડવર્ડ હર્શે દત્તક લીધેલ દીકરા ગેબ્રિઅલને કોઈક રહસ્યમયી બિમારી હતી, જેના કારણે માત્ર ૨૨ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી એનું અકાળે અવસાન થયું હતું. ‘ગેબ્રિઅલ: અ પોએમ’ આ દુઃખદ ઘટનાને વણી લેતી ૭૫ પાનાં અને ૭૫૦ જેટલી ત્રિપદીઓથી બનેલ દીર્ઘ શોકાંતિકા છે. આખી કવિતામાં ક્યાંય વિરામચિહ્નો વપરાયાં નથી- કદાચ કવિને અકાળે છેહ દઈ જનાર સંતાનની વાત કરતી વખતે વ્યાકરણના આરોહ-અવરોહ બિનજરૂરી જણાયા હશે.

અત્રે પ્રસ્તુત કાવ્યાંશમાં સિસિફસનો ઉલ્લેખ છે. ગ્રીક પુરાણકથાઓનું એક પાત્ર છે, જે પોતાની ચાલબાજીઓ અને મૃત્યુને બે વાર છેતરવા બદલ કુખ્યાત હતો. આખરે દેવતા ઝીઅસે એને એક મહાકાય શિલાને પર્વતની ટોચ ઉપર લઈ જવાની સજા આપી. શિલા ટોચ પર પહોંચતાવેંત ફરી ગબડી જાય અને સિસિફસ એને ફરી ધક્કો દેતો દેતો ટોચ ઉપર લઈ જાય. આ અંતહીન સજાના કારણે કોઈ માણસના ભાગે અશક્યવત્ કામ કરવાનું આવે તો એને સિસિફિયન કાર્ય કહેવાય છે.

આટલી પૂર્વભૂમિકા બાદ કવિતાનો આનંદ લઈએ.

*

Gabriel: A Poem

I did not know the work of mourning
Is like carrying a bag of cement
Up a mountain at night

The mountaintop is not in sight
Because there is no mountaintop
Poor Sisyphus grief

I did not know I would struggle
Through a ragged underbrush
Without an upward path

Because there is no path
There is only a blunt rock
With a river to fall into

And Time with its medieval chambers
Time with its jagged edges
And blunt instruments

I did not know the work of mourning
Is a labor in the dark
We carry inside ourselves

Though sometimes when I sleep
I am with him again
And then I wake

Poor Sisyphus grief
I am not ready for your heaviness
Cemented to my body

Look closely and you will see
Almost everyone carrying bags
Of cement on their shoulders

That’s why it takes courage
To get out of bed in the morning
And climb into the day

– Edward Hirsch

Comments (10)

એક ક્ષણ – વિપિન પરીખ

ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટાળાઈ વળીએ !
ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
“પાછા બોલો તો?”
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.

– વિપિન પરીખ

પ્રેમ ઓગળવાની એક ક્ષણનું બીજું નામ છે. ‘હોવું’ ભૂલવું એ પ્રેમની અનુભૂતિની પ્રથમ અને આવશ્યક શરત છે. બે જણ એકબીજાં સાથે મસ્તી કરતાં હોય ત્યારે ઘડીભર માટે નાયકને એવું લાગે છે કે બિલાડીનાં બે બચ્ચાં તો એકબીજાં સાથે મસ્તીએ નથી ચડ્યાં ને! પણ બીજી જ ક્ષણે અહેસાસ થાય છે, કે શરીર ઓગળી ગયાં છે, માત્ર આનંદ રહી ગયો છે. Selflessness ની આ પરાકાષ્ઠા એ જ પ્રેમ છે. નાયિકા જો કે ચરમસીમાએ પણ સુરક્ષા શોધે છે. નાયક પોતાને ક્યાંક ભૂલી ગયો તો? શરીર ઓગળી ગયાંની એક ક્ષણે જો કે આ સવાલ પૂછવામાં એને કોઈ સંકોચ નથી. એ બેધડક પૂછી લે છે કે તમે મને ભૂલી તો નહીં જાવ ને? અને નાયક મસ્તીના તોરમાં હા કહે છે. જો કે નાયિકાને પણ પોતાના પ્રેમ પર કંઈ ઓછો ભરોસો નથી… એ પણ ગેલ જ કરી રહી છે. સમય અઃઈં જ થંભી જાય એવી મનોકામના બળવત્તર બનતાં એ ડાબા હાથે સૂર્યને પૂર્વમાં ક્ષિતિજ ઉપર અટકાવી રાખે છે, જેથી દિવસ ઊગે જ નહીં. આ એક ક્ષણ ચિરંજીવી બની રહે. નાયિકા નાયકને ભૂલી જવાની વાત ફરી બોલવા પણ કહે છે અને હાથ એના મોઢા પર મૂકીને બોલતી બંધ પણ કરી દે છે. આ ક્ષણે બે જણ ગુલાબનાં ફૂલ બની જાય છે. ના… માત્ર સુવાસ… આકાર ઓગળી જવાની આ એક ક્ષણ છે. આ પ્રેમ છે…

Comments (11)

સોશ્યલ ડિસ્ટન્સિંગ – વિવેક મનહર ટેલર

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.

Comments (5)

હું ન ડોશી – નીરવ પટેલ

ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .
વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.

– નીરવ પટેલ

આમ તો આ અછાંદસ એક કવિતાયુગ્મમાંનું બીજું કાવ્ય છે પણ મને લાગે છે કે આ એક કાવ્ય પણ પૂરતું છે. પહેલું કાવ્ય વાંચ્યા વિના સીધું આ વાંચીએ તો શરૂમાં તો વાત શેની થઈ રહી છે એ સમજવું જરા અઘરું લાગે પણ અંત ભાગ તરફ જતાં સુધીમાં ખ્યાલ આવી જાય છે કે ચૂંટણીનો સમય છે અને ઉમેદવારો મત ઉઘરાવવા ગામમાં આવી ચડ્યા છે. આખો દિવસ તડકાતાપમાં કચરો-ભંગાર વીણી લાવે ત્યારે મગો મહેતર એક કોથળાના પાંચ રૂપિયા આપે અને ડોશો-ડોશી બંને રોટલા ભેળા થાય છે. પણ ચૂંટણી ટાણે એક ઉમેદવારે મત દીઠ દસ રૂપિયાની લાંચ આપવાની જાહેરાત કરી છે એટલે ડોશો આ તક ઝડપીને બીજા ઉમેદવાર પાસે જઈને તમારે બાર રૂપિયા આપવા હોય તો કહો. મારો અને ડોશીનો- એમ અમારા બે મત છે. અને આ પાછળનું ડોશાનું ગણિત પણ સાવ સીધું છે. રોજરોજના વૈતરામાંથી બે ઘડી છૂટકારો તો મળે! ચૂંટણી છેવાડાના આદમીને બીજું તો કંઈ આપવાની નથી, કમ સે કમ બે’ક પળ એને પોરો ખાવાની તક આપે એ ય આ લોકો માટે તો બહુ છે… નેતાને રાજપાટ આપી દઈને રઝળપાટ વહાલી કરનારી આ પ્રજા છે.

અસ્તિત્ત્વ ચીરી નાંખે એવી ધારદાર આ કવિતા એની તળપદી બાનીના કારણે વધારે ચોટદાર બની છે.

Comments (7)

પ્રતીક્ષાની ક્ષણો – મોના લિયા

દરરોજ તું વહેલો આવે તેની રાહ જોઉં છું.
લિફ્ટનો અવાજ આવે કે સહેજ બારણું ખખડે
પણ બીજું કોઈ હોય.
તને રિંગ કરવા મોબાઇલ ઉપાડું પણ
ડ્રાઇવિંગનો વિચાર આવે ને માંડી વાળું
તું આવે, તારી સાથે આવે આખું દફતર
બૅગમાંથી ખાલી ટિફિન ને કાગળથી ભરેલી ફાઇલો
લેપટોપમાં ઇમેલનો ઢગલો
વૉટ્સઅપમાં અનરીડ મેસેજનો વધતો આંક
મેં આ બધાંની રાહ જોઈ નહોતી
તો પણ કેમ આવી જતાં હશે? વણબોલાવ્યા મે’માનની જેમ?
મહેમાન તો બેચાર દિવસમાં જતાં રહે…
પણ આ બધાં તો… જવાનું નામ નથી લેતાં
આપણી વચ્ચે રહે છે પરિવારના સભ્યોની જેમ,
દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
પણ તું આવતો નથી.

– મોના લિયા

કેવી સટીક રચના! કાપો તો લોહી ન નીકળે એવી ધારદાર અભિવ્યક્તિ! પોતાની ઑફિસ અને પોતાનો અંગત સંસાર ઘરમાં લઈ આવતો પુરુષ હકીકતમાં ઘરમાં આવે છે ખરો? કે સ્ત્રી એ આવે એની અંતહીન પ્રતીક્ષામાં જ રત રહે છે?

Comments (10)

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

Comments (2)

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

Comments (3)

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

Comments (4)

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

Comments (4)

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

Comments (4)

વેશ્યા – મલિકા અમર શેખ (મરાઠી) (અનુ.: અલકા અસેરકર)

પુરુષો ઉભા હોય છે
નાકે નાકે..
કેડ વાંકી કરીને ને
આઁખો મિચકાવતા
તોય એમને કોઈ વેશ્યા કહેતુ નથી…

– મલિકા અમર શેખ (મરાઠી)
(ગુજ. અનુવાદ: અલકા અસેરકર)

*
નુક્કડ પર, બસમાં, ઑફિસમાં
પુરુષો ઊભા રહે છે,
કમ્મર મટકાવે છે,
આંખ મારે છે,
તો પણ કોઈ એમને વેશ્યા નથી કહેતું.

– મલિકા અમર શેખ (મરાઠી)
(અનુ: વિવેક મનહર ટેલર)

*
नाक्यावर, बसमध्ये ऑफिसमध्ये
पुरुष उभे, कंबर वाकडी करीत, डोळा मारीत,
तरी त्यांना कोणी वेश्या म्हणत नाहीत.
– मलिका अमर शेख

કેવી સશક્ત કવિતા! કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત! આપણી સદીઓ જૂની પુરુષી માનસિકતાના ગાલ પર સણસણતો સમાચો!

Comments (12)

જગન રેપ કર – ઉત્પલ વી.બી. (મરાઠી) (અનુ.: રાજુલ ભાનુશાલી)

જગન રેપ કર.
આવું જગનને કોઈ કહેતું નથી.
જગન જાતે જ રેપ કરે છે.

શાળાએ ગયેલો, ન ગયેલો, એમબીએ થયેલો, ન થયેલો, ફેસબુક પર હોય એવો જગન, ફેસબુક પર ન હોય તેવો જગન.. જગનના આવા ઘણાય પ્રકાર છે.
એ બધા જ રેપ કરી જાણે છે.

જગન બાકીના સમયે કદાચ સારા માણસોમાં ગણાતો હશે.
પણ તે કમળા પર નજર રાખે છે, અને મોકો મળતાં જ એને પીંખી નાખે છે.
છેલ્લે ઘાતકી રીતથી મારી પણ નાખે છે.
જગન ખરાબ છે. અત્યંત ખરાબ.

એ બધા ખરાબ જગનોમાંથી એક કેસ આ જગનનો છે.
આ કેસમાંના જગનને બીજા જગનોની જેમ જ પંદર-સોળ વર્ષે પહેલીવાર ઇરેક્શન થયું.
કમળાને ઋતુસ્ત્રાવ શરૂ થયો એના બે’એક વર્ષ પછી.

ઇરેક્શન થાય ત્યારે શું કરવું જોઈએ તે જગનને એના માતાપિતાએ સમજાવ્યું નહોતું.
કારણ એમને એવી વાતો કરતાં સંકોચ થતો હતો.
કમળાને માસિક આવ્યું કે તરત માએ એને શું કરવું અને કેમ કરવું એ સમજાવ્યું.
પણ જગનને ઇરેક્શન થાય ત્યારે શું કરવું એ તેના પિતા સમજાવતા નથી.
કારણ એમને પણ કોઈએ સમજાવ્યું નહોતું.

પિતાના પિતાએ એકવાર એમને ઉઘાડી સ્ત્રીઓના ફોટાવાળું પુસ્તક વાંચતા પકડી પાડેલા પછી ખૂબ માર મારેલો.
પણ ઇરેક્શનનું શું કરવું એ સમજાવ્યું નહોતું.
પિતાએ પોતે ત્રીસેક વર્ષ પહેલા હેલનને નાચતી જોઈને હસ્તમૈથુન કરેલું.

હવે તો નાચની પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ છે.
જગનની સામે ઘણી સ્ત્રીઓ નાચે છે. મલ્લિકા, મુન્ની, શીલા વગેરે વગેરે..

કેમેરો એ નાચનારીઓના અંગેઅંગ પર ફરી વળતો હોય છે.
કારણ એનેય ખબર છે કે જગનને આવું બધું જોવાનું ગમશે.
અને કેમેરા પાછળની વ્યક્તિઓને મળશે પૈસા. અઢળક પૈસા.
આવા અનેક જગન તૈયાર કરવા એ જ એમનો ધ્યેય છે.
હશે.

વાંક જગનનો છે.
તે પછી હસ્તમૈથુન કરે છે.

એકવાર મા જોઈ ગઈ અને એણે જગનના પિતાને કહી દીધું.
પિતાએ આ વાત માટે નાનપણમાં ઢોરમાર ખાધો હતો.
એટલે-
એમણે જગનને પણ ઢોરમાર માર્યો.
પણ માર ખાવાથી ઇરેક્શન અટકતા નથી.
એટલે જ જગન ફરી નાચ જુએ છે, ઉઘાડી સ્ત્રીઓના ફોટા આવતા હોય એવા પુસ્તકો વાંચે છે, બ્લુ ફિલ્મ જુએ છે.
અને,
હસ્તમૈથુન કરે છે.

આપણી પરંપરાઓ બહુ જ ઉમદા છે.
એમનો જયજયકાર થજો.

પરંપરા આપણને શીખવે છે કે લગ્ન પહેલા સંભોગ વર્જ્ય છે.
લગ્ન સુધી ધીરજ ધરવી અને પછી બધી જ કસર એકસાથે પૂરી કરી લેવી. એમાં જરાય વાંધો નથી.
એટલે કે લગ્નની પ્રથમ રાત્રિએ ભલે નવવધુને તકલીફ થાય, પીડા થાય.. કશો વાંધો નહીં!
પણ ત્યાં સુધી સ્ત્રીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ.
જગન લગ્ન થાય ત્યાં સુધી નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો બેસી રહે છે.

આમ તો પેલા પુસ્તકોમાં જેમના નગ્ન ફોટા છપાતા એ સ્ત્રીઓને ખરાબ ગણવામાં આવતી.
કારણ એ બધીઓ જગનને બગાડે છે
પણ જગનને તો એ બધીઓ બહુ જ ગમે.
એમના કારણે જ તો એને પોતાના ઇરેક્શનથી છૂટકારો મળે છે અને થોડા દિવસ સુધી રાહત થઈ જાય છે.

ફક્ત થોડાક દિવસ –
કાયમ માટે એવું થતું નથી.
પછી એક તબક્કે જગનને થાય છે કે હવે તો સ્ત્રી જોઈએ જ..
અને એ પેલી કમળાને ‘સ્ત્રી’ તરીકે જોતો થઈ જાય છે.

આખરે એક દિવસ કમળાને ઝડપી લે છે.
જગનનું રુપાંતર જાનવરમાં થઈ જાય છે.
દુર્ભાગ્યે જગન પુરુષ છે.

આપણી સંસ્કૃતિએ ઘણી પ્રગતિ કરી છે, પણ હજુ એની પાસે ઇરેક્શનનું શું કરવું એનો ઉત્તર નથી.
આ બધા અનુત્તર ઇરેક્શન સાથે એને પિતૃસત્તાકપણાનું શિક્ષણ મળે છે!

એટલે કે પિતા કુટુંબપ્રમુખ છે.
માનું સ્થાન એમની પાછળ.

જગન, તું છોકરો છે.
છોકરીની જેમ રડે છે શું?
જગન, જા જઈને તારા ભાઈબંધો જોડે રમ જોઈએ. અહિં છોકરીઓ વચ્ચે શું કરે છે!
જગન, છોકરીઓ તો ક્રિકેટમાં ચીયર ગર્લ્સ બને, રમે તો છોકરાઓ જ!
જગન, અહિં રસોડામાં શું લેવા ગુડાણો છે? રાંધવાનું કામ તારું નહીં.
તારે તો પ્લંબિંગ બ્લંબિંગ જેવું કશું શીખવું જોઈએ.
જગન, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય છે, એ ઘરે રહે તે જ સારું.
જગન, તું મર્દ છે.
ખરી મર્દાનગી સ્ત્રીને જીતવામાં છે.
વગેરે..વગેરે..

એક તો આ ઇરેક્શન, અને એની ઉપર આ પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન.
જગન છેક બગડી ગયો છે.
એનું હિંસકપણું જાનવરને પણ સારા કહેવડાવે એટલું વકરી ગયું છે.

કમળાના મૃત્યુ પછી એની સખીઓ, એના માતાપિતા, આપણી પરંપરા બધાનો રોષ હદ બહાર વધી ગયો છે.
જગનને ફાંસી થવી જોઈએ એવી સહુની માંગણી છે.
ખરી વાત, જગનને ફાંસી થવી જ જોઈએ.
ફાંસી આપ્યા પછી જગન મરી જશે.
પણ,
એની અંદરનો નર બાકી રહી જશે.

કારણ નર અને માદા ક્યારેય મર્યા નથી અને ક્યારેય મરશે પણ નહીં.
નર ફરીથી હસ્તમૈથુન કરતાં કરતાં પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન લઈને મોટો થશે
અને,
માદા અનંતકાળ સુધી જેમ વાટ જોતી આવી છે એમ હજુ અનંતકાળ સુધી જોતી રહેશે.
શુભ સંભોગની.

– ઉત્પલ વી.બી. (મરાઠી)
(ગુજરાતી અનુવાદ: રાજુલ ભાનુશાલી)

આવી કવિતા આપણામાંથી કોઈએ ભાગ્યે જ વાંચી હશે. આ કવિતા બળાત્કારના મૂળ સુધીની યાત્રા છે. આ કવિતા આપણને બળાત્કારીઓના મનોપ્રદેશની જુગુપ્સાપ્રેરક મુસાફરીએ લઈ જાય છે. સભ્ય સમાજના સભ્ય નાગરિકો માટે આ કવિતા કદાચ ‘ખરાબ’ સાહિત્યનો ઉત્તમ દાખલો છે. પ્રતિબંધ પણ મૂકી શકાય. હસ્તમૈથુન અને ઇરેક્શન જેવા શબ્દો આ કવિતામાં ચણા-મમરાની જેમ વેરાયેલા છે પણ આપણે ત્યાં આટલા બધા બળાત્કાર કેમ થાય છે એની માનસિકતા અહીં સુપેરે છતી થાય છે.

જગન આ કવિતાનો નાયક છે પણ કવિ કાવ્યારંભે જ સ્પષ્ટ કરી દે છે કે આ જગન આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. દીકરીને પહેલવહેલી વાર માસિક આવે ત્યારે જે રીતે અભણ મા પણ એને ‘શું કરવું-શું ન કરવું’ની સમજ આપે છે, એ રીતે દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ઊલટું દીકરો પૉર્નોગ્રાફી જોતો કે હસ્તમૈથુન કરતો પકડાઈ જાય તો જઘન્ય અપરાધ કરી નાંખ્યો હોય એમ એની અભૂતપૂર્વ ધોલાઈ કરવામાં આવે છે, જેના પરિણામે પૉર્નોગ્રાફી, હસ્તમૈથુન, સ્વપ્નદોષ વગેરે મહાઅપરાધ હોવાની વાત મનમાં ઘર કરી જાય છે, પણ જીવનમાંથી દૂર કરી શકાતી નથી.

ટૂંકમાં, જે મનોવૃત્તિ ભૂખ-તરસ-ઊંઘ જેટલી જ સાહજિક છે, એનું અકુદરતી દમન કરવાની કોશિશ સ્ત્રીઓ પર બળાત્કારના સ્વરૂપે વમન પામે છે. ખજૂરાહો અને કામસૂત્રના દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાના નામે જે દંભ વકર્યો છે, એના પરિપાકરૂપે આજે ભારતમાં લગભગ દર પંદર મિનિટે કોઈ એક ખૂણામાં કોઈ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, અને આ આંકડો તો સરકારી દફ્તરે નોંધાયેલો આંકડો છે. મોટા ભાગની સ્ત્રીઓ ફરિયાદ કરતી નથી એટલે સાચો આંકડો કેટલો મોટો હશે એની માત્ર કલ્પના જ કરી શકાય.

આ કવિતાનો અનુવાદ કરવાનું હિંમતભર્યું કામ એક કવયિત્રીએ કર્યું છે એ વાત પણ નોંધવા જેવી છે. આ બહાદુરી બદલ કવયિત્રી અઢળક અભિનંદનના હકદાર છે. ખાસ્સી લાંબી હોવાથી મૂળ મરાઠી કવિતા કમેન્ટ તરીકે નીચે મૂકી છે.

Comments (25)

समझौता – सिराज फ़ैसल ख़ान

बहुत पुरानी कोई उदासी
बदन खंडर में पड़ी हुई है
ज़हन के ताक़ों में कितनी यादों की अब भी कालिख जमी हुई है

है दर्द कोई रगों में बहता ख़मोश जैसे

हैं अश्क़ कुछ जो तलाशते हैं
बहाने आँखों से झाँकने के

हैं ज़ख़्म कुछ बे-क़रार रहते हैं जैसे खुलने को हर घड़ी ये

कमाल ये है
सजा के इक
झूटी मुस्कुराहट
मैं हर अज़ीयत दबा गया हूँ
सभी को लगता है ठीक है सब
नए मरासिम बना के ख़ुश हूँ…..

कहाँ मैं जाऊं
कि सारी चीज़ों से,
हर जगह से तो उसकी यादें जुड़ी हुई हैं
ये बेड़ियां तो हमारे पैरों में जाने कब से पड़ी हुई हैं

वो बाद मुद्दत के अब भी इतना भरा है मुझमें
बग़ैर उसके तो इस शहर का
हर एक रस्ता
तमाम गलियाँ
बज़ार कैफ़े
नज़र में जैसे
सुई की मानिंद चुभ रहे हैं…

वही थियेटर है
कार्नर की वही दो सीटें,
है फ़िल्म पर्दे पे कॉमेडी इक,
सभी तमाशाई एक लय में
ख़ुशी में डूबे हुए ठहाके लगा रहे हैं,
जगह पे उसकी
हमारे पहलू में शख़्स बैठा हुआ है कोई
हमारे काँधे पे उसका सर है
हम अपने अंदर सिसक रहे हैं…………!!

-सिराज फ़ैसल ख़ान

નઝ્મના શીર્ષકમાં જ અર્થ અભિપ્રેત છે…..

Comments (1)

રાણી -પાબ્લો નેરુદા (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મેં તારું નામ રાણી રાખ્યું છે.
તારા કરતાંય વધુ ઊંચી, વધુ ઊંચી સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ શુદ્ધ, વધુ શુદ્ધ સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ મનોરમ્ય, વધુ મનોરમ્ય સ્ત્રીઓ છે.

પણ તું રાણી છે.

જ્યારે તું શેરીઓમાં થઈ ગુજરે છે
કોઈ તને ઓળખતું નથી.
તારો હીરાનો તાજ કોઈને દેખાતો નથી, કોઈ જોતું નથી
એ લાલ સ્વર્ણિમ જાજમ
જેના પર થઈને તું પસાર થાય છે,
એ અવિદ્યમાન જાજમ.

અને જ્યારે તું આવે છે
સમસ્ત નદીઓ રણકી ઊઠે છે
મારા શરીરમાં, ઘંટડીઓ
આકાશ હચમચાવે છે,
અને એક સ્તોત્ર વિશ્વને ભરી દે છે.

કેવળ તું અને હું,
કેવળ તું અને હું, મારા પ્યાર,
સાંભળ આને.

-પાબ્લો નેરુદા (સ્પેનિશ)
(અંગ્રેજી અનુવાદ: ડોનાલ્ડ ડી. વૉલ્શ)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં પ્રિય પાત્રથી વધીને કંઈ નથી. પ્રિય પાત્રથી વધારે ચડિયાતી અનેક વ્યક્તિઓ દુનિયામાં વસતી હોવા છતાંય પ્રિયજન ચડિયાતાંઓથીય ચડિયાતું લાગે છે એ પ્રેમનાં ચશ્માંની અસર છે. પ્રેમી માટે એની પ્રેમિકા માથે હીરાજડિત તાજ પહેરીને લાલ જાજમ પરથી પસાર થતી મહારાણીથી સહેજેય કમ નથી. પ્રેયસીની ઉપસ્થિતિથી પ્રેમીનું આખું તંત્ર રણઝણ થઈ ઊઠે છે, આખી દુનિયા જાણે સ્તોત્રોચ્ચારથી ભરાઈ આવે છે. પ્રેમના સરવાળામાં બે જણ સિવાય બીજું કશું બચતું કે રહેતું નથી. માત્ર એક-મેકના દિલને સાંભળવાનું રહે છે…

*
The Queen

I have named you queen.
There are taller ones than you, taller.
There are purer ones than you, purer.
There are lovelier than you, lovelier.

But you are the queen.

When you go through the streets
no one recognizes you.
No one sees your crystal crown, no one looks
at the carpet of red gold
that you tread as you pass,
the nonexistent carpet.

And when you appear
all the rivers sound
in my body, bells
shake the sky,
and a hymn fills the world.

Only you and I,
only you and I, my love,
listen to it.

– Pablo Neruda
(translated from original Spanish by Donald D. Walsh)

Comments (5)

તારાઓ – સૌમ્ય જોશી

સવારસાંજ સૈકાઓ વીંઝાય છે મારામાં
મારી મુઠ્ઠીમાં મારો મુઠ્ઠીભર ઈતિહાસ હોય છે દિવસે
પણ રાત્રે તો પ્રકાશવર્ષો હોય છે મારી પાસે
સાવ આથમી ગયા પછી પણ સૂરજ આઠ મિનિટ સળગ્યા કરે છે મારી બાજુમાં
ને પછી,
મારી થોડી થોડી ઘેરાયેલી
ઝીણી ઝીણી આંખોમાં,
હળુહળુ ડગ માંડે છે મનવન્તરો.
રાત પડી હોય ભલે હમણાં જ પણ હોય છે એ મનવન્તરો પુરાણી.
મારી નાની અમથી તારીખોની આંખો પહોળી થઈ જાય છે.
ત્રણસો પાંસઠ દિવસનું મારું વજનિયું માપી જ નથી શકતું રાતોને,
કારણ કે કંઈ કેટલાય તારાઓનો યુગોપુરાણો ઈતિહાસ આવીઆવીને અથડાતો હોય છે મારા વર્તમાન સાથે,
રોજ રાત્રે
આદ્રનો પેલો ગુલાબી તારો કલ્પો પહેલાં નીકળી ગયો’તો મને મળવા માટે,
પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
સપ્તર્ષિનું પેલું ઝૂમખું એકબીજાથી કંઈકેટલાય અંતરે પણ એકસાથે આવીને બેસી જાય છે મારી તાણેલી ચાદરમાં,
વારતા સાંભળવા બેઠેલાં ચાર ટાબરિયાંની જેમ.
ને વારતા કહેવા બેઠેલો હું સાવ યુનિવર્સલ થઈ જાઉં છું.
ચીબરી, તમરો, ઘુવડ, ચાણક્ય ને ઈસુનાં હાલરડાં સંભળાવી દઉં છું એમને.
એમની ઝોળીમાં મારા વર્તમાનથી માંડીને મારા નજીવા અતીત સુધીનું બધું જ ભરી દઉં છું.
ને વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
મારા ધોળાધબ ધાબળામાં,
એમનો લાં…બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.

– સૌમ્ય જોશી

 

 

હું સચેતન છું,તો સમય છે.

મારુ ચેતન ઓલવશે-સમય નહિ રહે.

Comments (4)

જતાં પહેલાં-નિકોનાર પારા

Before I go
I’m supposed to get a last wish:
Generous reader
burn this book
It’s not at all what I wanted to say
Though it was written in blood
It’s not what I wanted to say.
No lot could be sadder than mine
I was defeated by my own shadow:
My words took vengeance on me.
Forgive me, reader, good reader
If I cannot leave you
With a warm embrace, I leave you
With a forced and sad smile.
Maybe that’s all I am
But listen to my last word:
I take back everything I’ve said.
With the greatest bitterness in the world
I take back everything I’ve said.

– Nicanor Parra [translated by Miller Williams]

*જતાં પહેલાં-

જતાં પહેલાં
મારી છેલ્લી ઈચ્છા
પરિપૂર્ણ થવી જ જોઈએ:
ઉદાર વાચક,
આ પુસ્તકને સળગાવી દેજે.
મારે જે કહેવું હતું
તેમાંનું કશું જ એમાં નથી;
એ રક્તથી આલેખાયું હતું
તે છતાંયે
મારે જે કહેવું હતું
તે એમાં જરાયે નથી.

મારા કરતાં કોઈનું ભાગ્ય
વધારે વિષાદભર્યું નહીં હોય!
મારા જ પડછાયાથી
મારો પરાજય થયો હતો:
શબ્દો મારા પર વેર વાળતા હતા!

ક્ષમા કરજે મને વાચક, સહ્રદય વાચક!
જો હું તને કોઈ શ્રધ્ધાપૂર્ણ સંકેત
આપ્યા વિના તારી વિદાય લેતો હોઉં તો!
હું તો તારાથી છૂટો પડું છું,
મુખ પર એક બળજબરીથી આણેલા
અવસાદભર્યા સ્મિત સાથે!

કદાચ હું એવો જ હોઈશ
પણ મારા છેલ્લા શબ્દને સાંભળતો જા:
મેં જે કંઈ કહ્યું છે તે બધુંય
હું પાછું ખેંચી લઉં છું-
વિશ્વની સમગ્ર કડવાશથી
મેં જે કંઈ કહ્યું છે તે બધુંયે
હું પાછું ખેંચી લઉં છું

– નિકોનાર પારા [અનુવાદ : કંચન પારેખ ]

આ લાગણી અમુક સર્જકોને થતી હોય છે. મૂળ મુદ્દો એ છે કે સર્જક જે અનુભવે તે આલેખે…તે સર્જક પૂરતું સત્ય હોય – તેથી જ જિબ્રાને કહ્યું છે – ” એમ ન કહો કે મને સત્ય મળ્યું છે-એમ કહો કે મને એક સત્ય મળ્યું છે “. સર્જકની ચેતના, તેની પ્રજ્ઞા, તેની અનુભૂતિ અનન્ય હોવી સ્વાભાવિક છે.

[ કાવ્ય-અનુવાદ-સૌજન્ય :- ડૉ નેહલ વૈદ્ય – inmymindinmyheart.com ]

Comments (1)

ત્રણ પ્રતિજ્ઞાઓ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.

Comments (2)

દુઃસ્વપ્ન – મણિલાલ હ. પટેલ

ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…

આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…

વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…

રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ

– મણિલાલ હ. પટેલ

ગામનો આદમી ગામ છોડીને શરે આવી જાય ત્યારે શરીર જ શહેરમાં આવે છે, એનો જીવ તો ગામમાં જ રહી જાય છે પાછળ. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આખેઆખા ગામડાં શહેરમાં ઠલવાવા માંડ્યા છે. ગામના કૂવા હવડ થઈ ગયા છે ને શેરીઓમાં સન્નાટો ફેલાઈ વળ્યો છે. મકાનોના દરવાજા હવે કાયમ માટે બંધ રહે છે અને પીપળાના ચોરા પર કદાચ દેવલોક થયેલા વડવાઓ આવે તો આવે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે… ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે નહીં તો જ નવાઈ…

Comments (2)

સૂફીનામા : ૦૨ : અનાયાસે – મન્સૂર

I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.

Al Hallaj Mansoor

પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.

– મન્સૂર

આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.

કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..

Comments (2)

સૂફીનામા : ૦૧ : વાસ્તવિકતા – રાબિયા

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?

– રાબિયા

In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?

-Rabia al-Adawiyya

મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.

પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.

Comments (2)

જ્યારે આપણી પાસે જે કંઈ છે એ માત્ર આપવું જ હોય… – આલ્બર્ટો રિયોસ (અનુ. વિવેક મનહર ટેલર)

.                                      એક નદી એની મુસાફરી
.                                      આગળનીને આપતી જાય છે.

આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું છે.
આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું નથી.

આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાયા છીએ.
આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાઈ શકીએ છીએ.

આપવાથી આપણને સારું લાગે છે,
આપવાથી આપણે ઘાયલ પણ થઈએ છીએ-

આપવુંના ઘણા ચહેરા છે: એ બુલંદ છે અને શાંત પણ,
મોટો છે, હાલાંકિ નાનો પણ, લાકડામાં ખૂંપેલો હીરો.

એની વાર્તા જૂની છે, કથાવસ્ર્તુ અને પાનાં પણ ઘસાયેલાં,
તોય આ પુસ્તક આપણે, કોઈ પણ રીતે, ફરી-ફરીને વાંચીએ છીએ:

આપવું એટલે, પહેલવહેલીવાર અને દર વખતે, હાથોહાથ,
હું તમને અને તમે મને.

તમે મને ભૂરો આપો છું અને હું તમને પીળો.
સરવાળે આપણે મહજ લીલા છીએ. તમે મને આપ્યું

એ જે તમારી પાસે નહોતું, અને મેં તમને આપ્યું
જે મારે આપવું જોઈતું હતું- સરવાળે, આપણે સર્જ્યું

કંઈક મોટું આ નાનકડા તફાવતોમાંથી.

– આલ્બર્ટો રિયોસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આજે ‘થેન્ક્સગિવિંગ ડે’ નિમિત્તે એક રચના એ સંદર્ભમાં. રચના સરળ છે અને સહજ પણ એટલે વધારાની ટિપ્પણીની જરૂર જણાતી નથી… ‘આપવું’ જ આ વિશ્વને વધુ અર્થસભર બનાવે છે, અને આપણા જીવવાને વધુ જીવનસભર પણ!

*

When Giving Is All We Have

.                                      One river gives
.                                      Its journey to the next.

We give because someone gave to us.
We give because nobody gave to us.

We give because giving has changed us.
We give because giving could have changed us.

We have been better for it,
We have been wounded by it—

Giving has many faces: It is loud and quiet,
Big, though small, diamond in wood-nails.

Its story is old, the plot worn and the pages too,
But we read this book, anyway, over and again:

Giving is, first and every time, hand to hand,
Mine to yours, yours to mine.

You gave me blue and I gave you yellow.
Together we are simple green. You gave me

What you did not have, and I gave you
What I had to give—together, we made

Something greater from the difference.

– Alberto Ríos

Comments

I have no name – Jiddu Krishnamurti

I have no name,
I am as the fresh breeze of the mountains.
I have no shelter;
I am as the wandering waters.
I have no sanctuary, like the dark gods;
Nor am I in the shadow of deep temples.
I have no sacred books;
Nor am I well-seasoned in tradition.
I am not in the incense
Mounting on the high altars,
Nor in the pomp of ceremonies.
I am neither in the graven image,
Nor in the rich chant of a melodious voice.
I am not bound by theories,
Nor corrupted by beliefs.
I am not held in the bondage of religions,
Nor in the pious agony of their priests.
I am not entrapped by philosophies,
Nor held in the power of their sects.
I am neither low nor high,
I am the worshipper and the worshipped.
I am free.
My song is the song of the river
Calling for the open seas,
Wandering, wandering,
I am Life.
I have no name,
I am as the fresh breeze of the mountains.

-Jiddu Krishnamurti

ઋષિવચન છે આ !! Lao Tsu ની વાણી હોય એવું લાગે !! આ કાવ્ય વિષે ઘણુંબધું લખી શકાય….પુસ્તકો ભરી શકાય, પણ ખરી રીતે તો કાવ્ય મનનનું કાવ્ય છે,વર્ણનનું નહિ. સરળ શબ્દોમાં બધું ઘણું ભાંગીતોડી નાખ્યું છે….રૂઢિગત ધર્મ, ઈશ્વરનો વ્યાપક ખ્યાલ, security ની ભ્રામક માન્યતા…..ઘણુંબધું !!! રહી જાય છે આ પળ અને આ પળના આપણે……I am free…..- આ ઉદ્દઘોષ કરવો એ સામાન્ય માનવીનું ગજું નથી.

Comments

ગતિ-સ્થિતિ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

બહુ બહુ બહુ પાંખો ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ તરતો તરતો તરતો મારો સમય!

બહુ થયું

હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં, હવે સ્થિતિની શોધમાં છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

મનુષ્યનો સ્વભાવ છે કે જે મળે એની આરત મરી પરવારે. નાનાં હોઈએ ત્યારે ઝડપથી મોટા થઈ જવાનું મન હોય ને મોટા થઈ જઈએ તો ઉમર કેમ છૂપાવવી એની સમસ્યા. પોતાની થાળીમાં ગમે એટલો મીઠો લાડુ કેમ ન હોય, પારકે ભાણે જ એ મોટો લાગશે.

પતંગિયા જેવી રંગીન અને મુક્ત જિંદગીથી નાયક વાજ આવી ગયો છે. એ આ સતત ગતિમય જિંદગીના સ્થાને હવે સ્થિતિમય શાંત જીવન ઝંખે છે. પહેલી સાત પંક્તિઓમાં દસ શબ્દોને ત્રેવડાવીને કવિએ પતંગિયાની પાંખોના ફફડાટને કેવો અદભુત રીતે ચાક્ષુષ કરી આપ્યો છે! સાત-સાત પંક્તિના બે અંતરાની વચ્ચે નાનું અમથું વાક્ય -‘બહુ થયું’- જાણે મિજાગરાનું કામ કરતી હોય એમ અચાનક આ ફૂદકફૂદક ગતિને અચાનક શાંત-સ્થિર કરી દે છે. હવે કોઈશબ્દ ત્રેવડાતો નથી. આ સાત પંક્તિઓમાં ‘હું’ત્રણવાર અને ‘ફરી’ ચાર વાર આવે છે પણ હવે આ પુનરાવર્તન શાંત દૃઢોક્તિનો અહેસાસ કરાવે છે.

અને હા, આ કવિતાને જરા આડી કરીને જુઓ તો! પતંગિયાનો આકાર દેખાય છે?

Comments (3)

લાઈબ્રેરી – અજય સરવૈયા

લાઈબ્રેરીમાં
તમે જો ખોવાઈ જાઓ
તો જ્યાં હો ત્યાં જ ઊભા રહેવું,
સહેજ આસપાસના રેક તપાસવા.
(આ ઘટના જનરલી રેકની આસપાસ જ બનતી હોય છે.)
આમ તો કોઈને પૂછવાની કે
બોલાવવાની જરૂર નથી હોતી.
સાંજે લાઇટો બંધ કરતી વખતે
કોઈ તમારા નામની બૂમ નહીં પાડે.
દરવાજા બંધ કરતી વખતે પણ નહીં.
લાઈબ્રેરીમાં ખોવાવું ને
પુસ્તકમાં ખોવાવું એમાં તાત્ત્વિક ભેદ છે
એવું કેટલાક માને છે,
તમે પુસ્તકમાં ખોવાયા હો તો
જેમના તેમ પાછા નથી ફરતા.
ખોવાવું એ એટલી વ્યગ્ર કરનારી બાબત નથી
જેટલી કે જેમના તેમ પાછા નહીં ફરી શકવું.
બીજી કઈ રીતે કહું?
એટલે કે પાછા ફરનારા ખોવાયેલા જ હોય છે.

– અજય સરવૈયા

કવિતા જે તે સમયના સમાજનો અરીસો હોય છે. આ કવિતાની ભાષા જુઓ. એના શીર્ષક માટે કવિએ ભૂંસાઈ ગયેલ પુસ્તકાલય કે વાંચનાલય શબ્દ વાપરવાના બદલે લાઈબ્રેરી શબ્દ પ્રયોજવું જ યોગ્ય ગણ્યું છે. (એ વાત અલગ છે કે હવે તો લાઈબ્રેરી પોતે જ ભૂંસાવાના આરે છે!) એ જ રીતે લાઇટનું બહુવચન લાઇટ્સના બદલે લાઇટો પણ સાંપ્રત ગુજરાતીનો આયનો છે.

લાઈબ્રેરી હોય કે પુસ્તક, એમાં પ્રવેશનાર પ્રવેશતી વખતે જેવા હોય છે એવાને એવા કદી પરત ફરી શકતા નથી એ હકીકત કવિએ બ-ખૂબી રજૂ કરી છે…

Comments (3)

વાળની ગૂંચ – મનીષા જોષી

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.

– મનીષા જોષી

‘ उनको खुदा मिले है खुदा की जिन्हे तलाश, मुज़को तो बस इक ज़लक मेरे दिलदारकी मिले…… ‘

Comments

મરવું – ઉદયન ઠક્કર

કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?

‘ મરવું’ માંથી વાસ આવે છે
બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,
કોહવાતા લાકડાની,
મરઘાના ખાતરની,
વરસોથી ન ખૂલેલા, હવડ, હવાબારી વગરના
સંબંધની,
‘લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,
હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,
અક્ષત લગાડો, હાથમાં ચકીને ત્રણ વખત માથે અડાડો,
કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા…મિ…’–ની વાસ આવે છે ‘મરવું’ માંથી.

કૂંપળમાંથી કોલસો
વ્હેલમાંથી તેલ
—કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,
પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,
ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,
યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું,
તોયે સાલું હેં હેં કરતું ઊભું જ છે, અમર,
આ ‘મરવું’

જોઈએ ત્યારે મારું વા’લું ન મળે,
આડે હાથે મુકાઈ જાય.
ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,
રેલવેના આટેપાટે,
છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ,
એકવીસ માળ બાવીસ વાર ચડો
ને ઊતરો,
પણ ગુમ
‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો
ત્યાં જ હસતું હસતું
તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે
અને પૂછે,
‘હાઉક! મને ગોતતા હતા?’

– ઉદયન ઠક્કર

માવજત તો જુઓ !!!!!

Comments (1)

મુસાફરી – રમણીક અગ્રાવત

સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!

– રમણીક અગ્રાવત

વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.

આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.

Comments (1)

વરસાદ – દિનેશ કાનાણી

વરસાદમાં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે સૂરજ સામે મૂકી ત્યાં
તો
એમાં કૂંપળો ફૂટવા લાગી!!
*
તારી
આંખમાં
આંસુ જોઈને
એમ થાતું કે,
આભના વરસાદમાં
ભીંજાવું
તો
કેટલું સરળ છે!!
*
મારા મૌનને પણ સાદ
સમજીને
જે દોડી
આવે છે,
એના પર
વરસાદ થઈને
વરસી પડવાનું
મન થાય છે!
*
એક દિવસ
આખ્ખા આકાશમાં હતાં….
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
તે
છતાં…
વરસાદ ન પડ્યો!!
એવું જ થયું’તું ને
આપણી એ મુલાકાતમાં!!!
*
કરવા તો
આવ્યો હતો
નદીઓની
સાફ સફાઈ
પણ
પવન સાથે
ધીંગામસ્તીમાં
આઠ-દસ
ગામડાંઓને
ધોઈ નાખ્યાં
વરસાદે!!
*
પર્વતોની
વચ્ચે પલાંઠી વાળીને
બેઠેલો વરસાદ
એ ટ
લે
સરોવર!!

– દિનેશ કાનાણી

મિત્ર દિનેશ કાનાણીનો વરસાદની ૧૭૧ કવિતાઓ સમાવતો સંગ્રહ ‘વરસાદ’ તો મારા ઘરે ઘણા સમય પહેલાં જ વરસ્યો હતો, પણ મારી લાપરવાહીના કારણે એ સંગ્રહ ક્યાંક મૂકાઈ ગયો તે આટઆટલા અઠવાડિયાઓ પછી આજે જડ્યો. લયસ્તરો પર વરસાદની ઋતુ લગભગ પતી જવાને આરે આવી ઊભી છે, એ સમયે આ સંગ્રહનું ભીનું-ભીનું સ્વાગત કરીએ છીએ અને રજૂ કરીએ છીએ વરસાદના કેટલાક છાંટા…

તા.ક.: છત્રી ખોલીને વાંચવાની સખ્ત મનાઈ છે!

Comments (4)

દ્રૌપદી – પ્રતિષ્ઠા પંડ્યા

સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…

કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.

એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.

બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…

Comments (15)

प्रश्न अभिव्यक्ति का है…..- दुष्यंत कुमार

प्रश्न अभिव्यक्ति का है,
मित्र!
किसी मर्मस्पर्शी शब्द से
या क्रिया से,
मेरे भावों, अभावों को भेदो
प्रेरणा दो!

यह जो नीला
ज़हरीला घुँआ भीतर उठ रहा है,
यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है,
यह जो सद्य-जात शिशु सा
कुछ छटपटा रहा है,
यह क्या है?
क्या है मित्र,
मेरे भीतर झाँककर देखो।
छेदो! मर्यादा की इस लौह-चादर को,
मुझे ढँक बैठी जो,
उठने मुस्कराने नहीं देती,
दुनियाँ में आने नहीं देती।

मैं जो समुद्र-सा
सैकड़ों सीपियों को छिपाए बैठा हूँ,
सैकड़ों लाल मोती खपाए बैठा हुँ,
कितना विवश हूँ!
मित्र, मेरे हृदय का यह मंथन
यह सुरों और असुरों का द्वन्द्व
कब चुकेगा?
कब जागेगी शंकर की गरल पान करने वाली करुणा?
कब मुझे हक़ मिलेगा
इस मंथन के फल को प्रगट करने का?

मूक!
असहाय!!
अभिव्यक्ति हीन!!
मैं जो कवि हूँ,
भावों-अभावों के पाटों में पड़ा हुआ
एकाकी दाने-सा
कब तक जीता रहूँगा?
कब तक कमरे के बाहर पड़े हुए गर्दख़ोरे-सा
जीवन का यह क्रम चलेगा?
कब तक ज़िंगदी की गर्द पीता रहूँगा?

प्रश्न अभिव्यक्ति का है मित्र!
ऐसा करो कुछ
जो मेरे मन में कुलबुलाता है
बाहर आ जाए!
भीतर शांति छा जाए!

– दुष्यंत कुमार

સર્જકની આંતરવ્યથા, સર્જનશીલ વ્યક્તિનું મનોમંથન ઉપરોક્ત કવિતામાં સબળ રીતે રજૂ થયાં છે. નવજાત શિશુ જેવું, તાજી કૂંપળ જેવું સર્જન કવિની ભીતર સળવળી રહ્યું છે પણ એની ઉપર કવિની પોતાની મર્યાદાઓ, દુનિયાએ સર્જેલા માપદંડથી જન્મતી મર્યાદાઓ જાણે કે એક લોહની વજનદાર ચાદર બનીને કવિની સર્જનશીલતાને રૂંધતી પડી છે. કવિ પોતાના મિત્રને વિનંતી કરે છે, અહીં મિત્ર એ ભાવક પણ હોઈ શકે, સહ્રદયી વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ મર્મસ્પર્શી ઘટના કે પ્રસંગ જે કવિના અંતરાત્માને ઢંઢોળીને અંદર ગૂંગળાઈ રહેલી રચનાને અભિવ્યક્ત કરે. આપણી આસપાસની દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સર્જકના ભાવજગત પર જુદી રીતે અસર કરતી હોય છે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઇ ની જંગમાં સર્જક કોઈ એકનો પક્ષ લેવાને બદલે એ બંને થી પર થઈ હળાહળ કંઠે ધારણ કરનાર શિવની કરૂણા ધરાવવામાં પોતાની સાર્થકતા ઝંખે છે.
એક મહાન સર્જક એક વિશાળ સાગર જેવો છે જેના પેટાળમાં અનેક કિંમતી રત્નો અને અમૂલ્ય મોતીઓ રૂપી વિચારોનો, સર્જનોનો ખજાનો વણખેડાયેલ, વ્યક્ત થયા વિનાનો પડ્યો છે એને જરૂર છે અભિવ્યક્તિની.

 

– નેહલ

 

સૌજન્ય – ડૉ. નેહલ વૈદ્ય [ inmymindinmyheart.com ]

Comments (2)

નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન (અનુ. વિવેક મનહર ટેલર)

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

Comments

व्यवस्था की मशीन -‘धूमिल’

मैं रोज देखता हूँ कि व्यवस्था की मशीन का
एक पुर्जा़ गरम होकर
अलग छिटक गया है और
ठण्डा होते ही
फिर कुर्सी से चिपक गया है
उसमें न हया है
न दया है
नहीं-अपना कोई हमदर्द
यहाँ नहीं है। मैंने एक-एक को
परख लिया है।
मैंने हरेक को आवाज़ दी है
हरेक का दरवाजा खटखटाया है
मगर बेकार…मैंने जिसकी पूँछ
उठायी है उसको मादा
पाया है।
वे सब के सब तिजोरियों के
दुभाषिये हैं।
वे वकील हैं। वैज्ञानिक हैं।
अध्यापक हैं। नेता हैं। दार्शनिक
हैं । लेखक हैं। कवि हैं। कलाकार हैं।
यानी कि-
कानून की भाषा बोलता हुआ
अपराधियों का एक संयुक्त परिवार है।

-‘धूमिल’

ઘણા વર્ષો પહેલાની આ કવિતા આજે પણ કેટલી પ્રાસંગિક છે !!!!!

Comments

વિષમભોગ… – જગદીશ જોષી

…તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઈ ગઈ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં ઍરકન્ડીશનરનો અવાજ ગૂંચવાઈ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ…
મારાં બૂટ, મોજાં, ટાઈ, રૂમાલ –ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઈ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

– જગદીશ જોષી

લગ્ન પછી થોડાં વર્ષ તો જીવન બહુ મજાનું લાગે છે પણ પછી સમયના ભેજના હાથે એને કટાતાંય બહુ વાર નથી લાગતી. પ્રેમની વાતો ધીમે ધીમે વ્હેમની વાતો બની જાય છે. પુરુષ આમ આરસ જેવો ઠંડો પણ આમ સિંહની જેમ ત્રાડવાનું ચૂકતો નથી. નરમ હૃદય સ્ત્રીની અંદરનું ભોળું પારેવડું પણ ક્યાંક ઊડી જાય છે. બે શરીર તો ભેગાં થાય છે પણ સમ્-ભોગ વિષમ-ભોગ બનીને રહી જાય છે. ચરમસીમાની પરિતૃપ્તિની પણ કલ્પના કરવાની રહે છે. જીવન એક routine બનીને રહી જાય છે. ચાવી દીધેલા પૂતળાંની જેમ સ્ત્રી સ્ત્રીની અને પુરુષ પુરુષની ફરજ બજાવ્યે રાખે છે. પોતાના અસ્તિઓત્વ અંગે પ્રશ્ન થાય અને પ્રેમનાં સ્વપ્નો પણ આંખમાંથી ગાયબ થઈ જાય ત્યારે પડખું ફરીને પસાં ઘસવાથી વિશેષ જીવનમાં કંઈ બચતું નથી. જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…

Comments (2)

કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ (અનુ. વિવેક મનહર ટેલર)

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. પણ મૂળ સવાલ કવિતાનો સ્વાદ કેવી રીતે લેવો એ છે. કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

કવિતાના વિગતવાર આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…

*
How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

Comments (1)

ગુણાંક – લિન્ડા પાસ્ટન (અનુ. ઉદયન ઠક્કર)

મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈયાસુખ માટે ‘બી પ્લસ.’

મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
‘સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.

મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’

એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.

– લિન્ડા પાસ્ટન
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)

 

આ મજાની કવિતાનો અનુવાદ કરાવનાર કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં જ આ કવિતાનો આસ્વાદ પણ માણીએ:

‘ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે.’પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.

‘પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય છે.ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.

‘શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.’

એ સાથે જ, આ કવિતા વિશે કવિશ્રી સંજુ વાળાનો પ્રતિભાવ પણ મમળાવવા જેવો છે:કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાવ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.

 

Comments (4)

પક્ષીતીર્થ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદૃશ્ય થઇ ગયો છે.
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઇ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો
ખડક ચઢી શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો
અધવચ્ચે અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો
મંદિર જડ્યું નથી.
મંદિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

માણસને તીર્થસ્થાનનો મોહ પહેલેથી રહ્યો છે. તીર્થસ્થાનો પર રહેલો ઈશ્વર આપણને હંમેશા વધુ નજીક લાગ્યો છે. ઘરમાં દસ ભગવાનની મૂર્તિઓ હોય તોય તીર્થસ્થાન પર જઈને ઈશ્વરની કરેલી પૂજા વધુ ફળે એ આશામાં આપણે સહુ તક મળ્યે જ તીર્થયાત્રાએ નીકળી પડીએ છીએ. મન ચંગા તો કથરોટમેં ગંગા બોલનાર પણ ગંગામાં સદેહે ન્હાઈ નહીં ત્યાં સુધી પોતાને શુદ્ધ થયેલો અનુભવતો નથી. અને માત્ર હિંદુઓ કે ભારત દેશની જ આ વાત નથી, દુનિયાના બધા દેશોમાં બધા ધર્મોમાં ધર્મસ્થાનોનું હંમેશા સ-વિશેષ મહત્ત્વ રહ્યું છે. માણસ હોંશનો માર્યો તીર્થસ્થાનોએ અવારનવાર જતો રહે છે, પણ ઈશ્વર ક્યાંય સાંપડતો નથી. કેટલાક લોકો પોતે દર વરસે વૈષ્ણવદેવી કે તિરૂપતિ અચૂક જાય છે, દર પૂનમે ડાકોર થાળ ભરવા જાય છે એવી પોતાની ધાર્મિકતાની ચરમસીમાની ડીંગ હાંકતા હોય છે, પણ એમનો ચહેરો જોતાં જ સમજી શકાય છે કે ઈશ્વર એનાથી જોજનો દૂર છે.

જો કે આ કવિતા કોઈ ધર્મતીર્થની નહીં, પક્ષીતીર્થની કવિતા છે. શીર્ષક જ વાચકને વિસ્મિત કરવા માટે પૂરતું છે. પણ ધર્મ અને પક્ષી – આ બે શબ્દોની ફેરબદલ કરીએ તો ઉપરની બધી વાત આ કવિતાને લાગુ પડે છે. પક્ષી ઉડ્ડયનનું, આઝાદીનું, સીમાહીનતાનું પ્રતિક છે. વાસ્તવનું હોય કે સ્વપ્નનું, આકાશમાં ઊડવા માટે પાંખ જરૂરી છે. ઊડવાની ઇચ્છા જ ન હોય તો ક્યાંય પહોંચી શકાતું નથી. કવિને પણ ઊડવાની ઇચ્છા છે. એ પોતાના પક્ષીનો સાક્ષાત્કાર કરવા માંગે છે. પણ જે રીતે અધૂરી આસ્થા લઈ-લઈને ગામ આખાના તીર્થસ્થાનોએ રખડતા ‘પત્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન’ પ્રકૃતિના મૂર્ખાઓ કદી ઈશ્વરને પામી શકતા નથી, એ જ રીતે કવિ આ પક્ષી સાથે રૂ-બ-રૂ થઈ શકતા નથી. આ કારણોસર કે પેલા કારણોસર એ દર વખતે પંખીને ચૂકી જ જાય છે, બાકી પંખી તો અવશ્ય આવે જ છે…

Comments (1)

અર્થ મળે છે – પન્ના નાયક

સાંજનો સમય : દરિયાકાંઠો : પાંખ પસારીને ઊડતાં દેવદૂત જેવાં પંખીઓ
પાંખની ઉપર પ્રસરેલું આકાશ અને આંખની નીચે દરિયાનો રંગ
આ દૃશ્ય જોઈ જોઈને એક ક્ષણ હું પંખી થઈ જાઉં છું
ખભાને વળગેલા મારા હાથ પાંખ તો નથી થઈ ગયા ને ?
જોઉં છું મને ક્યાંય ચાંચ તો નથી ફૂટી ને?
થાય છે કે હું મારા ઈંડામાંથી બહાર આવું છું
અને ઊડું છું આકાશમાં મારા કોઈ પંખી સાથે.
સાથે રહીને ઊડવાનો આનંદ ઉઘાડી આપે છે એક નવું આકાશ.

હું સાંજે પાછી વળું છું ત્યારે મારા વૃક્ષમાં આકાશ લઈને આવું છું.
પણ આકાશમાં જાઉં છું ત્યારે આકાશને વૃક્ષ કરી દઉં છું.
કેટલાંય સ્વપ્નોનાં સોનેરી તણખલાં લઈને મેં એક માળો રચ્યો છે
આકાશ અને વૃક્ષની વચ્ચે જે અવકાશ છે એ જ મારો માળો.
સાંજને સમયે પોતાની પાંખ પર ચંચલ આકાશને લઈને ઊડતાં પંખીઓને જોઈ
મારા અસ્તિત્વને એક અર્થ મળે છે અને એ થઈ જાય છે સ્વયં પક્ષીતીર્થ.

– પન્ના નાયક

સાંજનો સમય, દરિયાકાંઠો અને દેવદૂત જેવા પક્ષીઓના ત્રણ ભાગ પાડીને કવયિત્રી કવિતા આરંભે છે. સાંજ એ દિવસ અને રાત વચ્ચેનો સંધિકાળ છે, દરિયો અને આકાશ અને પાણી વચ્ચેનું સંધિસ્થળ છે અને પક્ષીઓની સાથેનો દેવદૂતનો સંદર્ભ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સંધિ-અવસ્થા સૂચવે છે. બે અલગ-અલગ વસ્તુઓ જ્યાં ભેગી થાય છે, ત્યાંથી જ કંઈક નવાની શરૂઆત થાય છે. આ કવિતા આ નવાની કવિતા છે, જીવનનો નવા અર્થ મળવાની કવિતા છે. સંધ્યાકાળે દરિયાકાંઠે ઊભા રહીને આકાશમાં ઊંચે ઊદતા પંખીઓને જોઈને નાયિકા ખુદનું પક્ષીમાં રૂપાંતરણ થતું અનુભવે છે. માણસ પોતાનું કોચલું તોડી શકે તો આખું આકાશ પછી એનું છે. દરેક માણસની અંદર એક પક્ષી છે, જે નિતનવાં આકાશ આંબવા સ્વપ્ન જુએ છે. એ પક્ષીનો સાથ લઈને જે ઘડીએ ઊડવું શરૂ કરીએ, એ ઘડીએ શક્યતાઓનું નવું જ આકાશ સામે ઊઘડી આવે છે.

બીજા ભાગમાં નાયિકા આકાશને વૃક્ષ અને વૃક્ષને આકાશમાં એકાકાર કરી દે છે. સીમિત અને અસીમિતની આ સંધિ જ સ્વપ્નોને નિવાસસ્થાન પૂરું પાડે છે. અસ્તિત્વ પક્ષીતીર્થ થઈ જાય ત્યારે આકાશ પાંખો પર લઈને ઊડી શકાય છે, જીવનનો ખરો અર્થ સાંપડે છે.

આઠ અને છ –એમ બે ભાગ મળીને કુલ ચૌદ પંક્તિના બનેલ આ કાવ્યને ગદ્ય સૉનેટ પણ ગણી શકાય.

Comments (3)

તમને ફૂલ બહુ ગમે – કાબેરી રાય ( અનુ. પ્રીતિ સેનગુપ્તા )

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)

સરળ વાણી…..વેધક વાત. આખી વાત vulnerability ની છે. વેદનાથી બચવા જાત ફરતે કિલ્લો બાંધી બેસે છે મનુષ્ય, વેદનાથી બચે છે કે નહિ તે તો ભગવાન જાણે પણ સાચી લાગણીથી, ક્ષણક્ષણના સૌંદર્યથી, અનિશ્ચિતતાની રોમાંચથી, ભરતી-ઓટની વિવિધતાથી – તમામ જીવન-પ્રસાદથી વંચિત રહી જાય છે તે મનુષ્ય, અને તેની સાથેની વ્યક્તિ વગર લેવેદેવે શહીદ થઇ જાય છે…..

Comments (2)

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે – ઉદયન ઠક્કર

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
એવું કોઈએ કહ્યું
ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઇસ પ્લેટ જમતો હતો
મારે વિચારવું જોઈતું હતું
દીકરો ? કે દીકરી ?
પણ મેં વિચાર્યું
વેઇટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે
સાલો હાડકાંનો હરામી છે અને જીભનો છૂટો
આ વખતે એણે ટીપ ગુમાવી
પણ આજે જયારે મન એકલું છે
અને શાંત પણ
ત્યારે વિચારું છું
એની રૂંવાટી પરનું કાંચન
એણે બાળકની રૂવાંટી પર પણ છાંટ્યું હશે ?
શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્ન્તગ્રીવ હશે ?
પછી મૂરખની જેમ વિચારું છું
શું એ બાળકની આંખમાં
મારી વ્યાકુળતાનો અંશ હશે ?
ભઈ શું સમય હતો
કે એકેએક દિવસ
અત્તરની શીશી નહીં
પવાલું લઈને ઊગતો
એની છબી છવાયેલી રહેતી
મારા પૂર્ણ આકાશ પર
વિસ્તારપૂર્વક કહું તો
મધ્ય આકાશમાં કેશ
પૂર્વમાં સાઠ અંશને ખૂણે ભ્રૂકૂટિ
પચાસ અંશ પર આંખો
ત્રીસ પર ઓષ્ઠ
અને ક્ષિતિજે ચિબુક
(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન
સમજી ગયા ને ?)
એના સુવર્ણ અશ્વત્થમાં       [ અશ્વત્થ = પીપળો  ]
શતકંઠે કલશોર થતો હતો
એમાંનો હું એક ‘ચીં’ હતો
મારો કશોય સ્વરવિશેષ નહોતો
પણ વૃક્ષને ઘસાઈને
તેજ આવતું
એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના
હું પણ દેવચકલી છું સોનેમઢેલ.
જો કે હસવાની વાત તો એ છે મહેરબાન
કે વર્ષો સુધી નજરને
એનો ચહેરો જોવામાંથી જ નવરાશ ન મળી
બંદા એના ચહેરાની ચુંગાલના બંદી હતા !!
(સારો શબ્દપ્રયોગ છે નહીં –
ચહેરાની ચુંગાલના બંદી !)
એ સ્કર્ટ પહેરતી કે પંજાબી ?
કોણી મેલથી કાળી રહેતી ?
કેટલી જોડી ચપ્પલ રાખતી ?
રૂમાલ ખોઈ નાખતી ?
મહીને એક વાર વૅક્સિંગ કરતી ?
ડીઝાઇનર બ્રા પહેરતી ?
પહેરતી કે નહીં ?
મને ખબર નથી, મને ખબર નથી.
એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગતની ખબર નથી
તંગ સમય હતો
એના ચહેરાના પરિઘ બહાર
લટાર મારવા જઈ શકી
ન દ્રષ્ટિ
ન અટકળ
એવો વિચાર જ ન આવ્યો
કે કરમાતી બપોરે
ગ્રીવાની મ્હેક કેવી ખીલતી હશે ?
વાંસો ઉઝરડાઈ જાય
એવા તીક્ષ્ણ હશે એના ન્હોર ?
કામનાથી ઉદ્દીપ્ત અવાજ
કાળીયાકોશીની જેમ
ફફડતો હશે ?
હાથ ફેરવવા દેતી હશે
સાથળની ખિસકોલીઓ ?
મહેરબાન, સમ ખાવા પૂરતો
આવો વિચાર પણ ન આવ્યો
તોય જલસો હતો સાહેબ !
મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા
ટેકરીએથી તળેટીનાં બળબળતાં જંગલો દેખાય એમ
આજે
એ સ્મરણો આકર્ષક દેખાય છે.

– ઉદયન ઠક્કર

 

આ કવિ હંમેશા આંખના ખૂણા ભીના કરી દે છે…..આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. રજૂઆતની આ પદ્ધતિ આપણે ઘણીવાર પ્રમાણમાં જૂની નવલકથાઓમાં જોઈ છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક punchline સમજાય…..

Comments (5)

મોચી – ઉદયન ઠક્કર

મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટૉપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે

તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે

રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે

ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો ?

પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે
ઊંચે નજર કરી શકતો નથી

મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે.

– ઉદયન ઠક્કર

કવિનો કેમેરા માત્ર કુદરતના કે સ્ત્રીઓના સૌંદર્ય પૂરતો સીમિત હોતો નથી. એ સમાજના દરેક ખૂણામાં ફરી વળે છે અને અને એવા દૃશ્યો આપણી સમક્ષ તાદૃશ કરે છે, જે અન્યથા આપણે અચૂક ચૂકી જ જવાના હોઈએ. શહેરની ફૂતપાટ પર કોઈ બસસ્ટૉપ પાસે કે કોઈ ઝાડ નીચે અડ્ડો જમાવીને કોઈ મોચી બેઠો હોય અને બૂત-ચંપલ રિપેર કરીને રૂપિયા-બે રૂપિયાની આમદની કરી માંડ ગુજરાન ચલાવતો આપણે બધાએ જ લગભગ જોયો હશે પણ જ્યાં સુધી આપણી ચપ્પલની પટ્ટી તૂટી ન જાય કે બૂતમાં ખીલી ભોંકાય નહીં ત્યાં સુધી એના અસ્તિત્વ તરફ આપણે નજર નાંખતા નથી. એનું સ્થાન આપણા જીવનમાં કૅન્સલ થયેલા બસસ્ટૉપ જેવું છે. કવિ ઉદયન ઠક્કર મોચી વિશે એક અદભુત કાવ્ય લઈ આવ્યા છે. વિષય કરતાંય વિષયની માવજત એક સામાન્ય અવલોકનને ઉમદા કવિતાની કક્ષાએ લઈ જાય છે. અછાંદસ કવિતાઓને ડાબા હાથનો ખેલ ગણતા આજના કવિઓએ આ કવિતા પાસેથી અછાંદસ કવિતા કોને કહેવાય એના પાઠ ભણવા જોઈએ…

Comments (5)

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

કવિ પણ એક રીતે ચિતારો છે. ચિતારો પીંછી અને રંગોથી સૃષ્ટિ સર્જે છે, કવિ કલમ અને શબ્દોથી. અહીં કવિ રામચન્દ્ર દુકાળનું જે શબ્દચિત્ર દોરી આપે છે, એ કોઈ રીતે ઉત્તમ ચિત્રકારની ઉમદા કળાકૃતિથી ઉતરતું નથી. નજર સામે ઝાડ બધા બુઠ્ઠાં થઈ ગયાં છે. પાંદડાંઓ બચ્યાં જ નથી એટલે કવિ સૂમસામ શબ્દ પ્રયોજી નીરવતા દોરી આપે છે. પહાડો બધા માંસ-મજ્જા ઉતરડી લેવાઈ હોય એમ લીલોતરી નંદવાઈ જવાના કારણે ખુલ્લા પડી ગયેલા હાડપિંજર જેવા ભાસે છે. નદી પણ હાડપિંજર જેવી જ….. સાવ ખાલીખમ. પથરાંઓ જાણે ઝાડ પરથી ખરેલાં નારિયેળ! દિશાઓ પણ જડ જેવી આંખો ફાડીને ઊભી છે. સૂકી ધૂળની ડમરીઓ ઊડાડતો વાયરો ફૂંકાય છે. આકાશમાંથી જાણે ટોપલે ટોપલે અંગારા વરસતા હોય એમ સૃષ્ટિ આખી સળગી રહી છે. સીમવગડાના ઝાડો જાણે અગ્નિમુખા રાવણ સામે લડત આપવા ઝઝૂમતા ઘાયલ જટાયુ હોય અને પાંદડાં જાણે એના પાંખ-પીછાં હોય જે સૂર્ય હાથમાં ધારિયું લઈને બાળતો-કાપતો હોય એવું ભાસે છે. પર્યાવરણને જાળવી રાખવા માટે વૃક્ષોની અનિવાર્યતા આથી વધુ વેધક શબ્દોમાં ભાગ્યે જ વર્ણવાઈ હશે.

શબ્દોમાંથી જન્મતા સંગીતના કારણે કવિતાને વળી ચિત્રથી એક વેંત ઊંચી કળા પણ ગણી શકાય. પહેલી પંક્તિથી જ કવિ અદભુત વર્ણસગાઈ લઈ આવે છે. સામે સૂમસામ – એકીસાથે સ-મ સ-મ સ-મ એમ ત્રણવાર સકાર અને મકાર કવિતા ઊઘડતાંની સાથે જ નૃત્યનો અનુભવ કરાવે છે પણ આગળ જતાં ક્રમશઃ સમજાય છે કે આ નર્તન કોઈ અપ્સરાનું નથી, આ તો સાક્ષાત્ કાળનું નર્તન છે. ઝાડ-પહાડ-હાડ, પથરા-પથરા-પડ્યા, પડ્યા-ખખડ્યા – alliterationના ખૂબસૂરત સાધનને કવિ બખૂબી દૃશ્યેન્દ્રિયની સાથોસાથ શ્રવણેન્દ્રિયને પણ ઉત્તેજે છે.

Comments (5)

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ (અનુ. વિવેક મનહર ટેલર)

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

પરીકથાઓ કોને ન ગમે? સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, જેવી અનેક વાર્તાઓમાં મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રો હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

પ્રસ્તુત રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

*

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

Comments (2)