રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for અછાંદસ
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 7, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
એક બાજુ
માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે,
પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે,
જાંબુડીના પોલાણમાં પોઢેલી પદમણીને ફળ ધરે છે કંસારો,
મત્સ્યની ફૂંકથી ઊઘડે છે સમુદ્રનાં તળ,
કાચબો કાચબીને ઢીંક મારે છે,
પરવાળાના મહેલમાં હણહણે છે જળઘોડા,
વ્હેલ ગીતો ગાય છે,
સાગરની પાંખડીઓ ખીલે ને વિલાય છે,
પર્વત કાઢે છે ધૂમ્રગોટ, ખોંખારીને,
ધૂમકેતુ પુષ્પવૃષ્ટિ કરે છે,
ઓતરાદા આકાશમાંથી અજવાસની કૂંડીઓ રેલાતાં ધરતી ધારણ કરે છે દંતકથાનો ગર્ભ…
અને બીજી બાજુ
પેલી છોકરી ક્યારની
ગાલ પરના ખીલની ફિકર કરે છે.
– ઉદયન ઠક્કર
સહઅસ્તિત્વ ધરાવતા બે વિરોધી પાસાંઓ કવિએ juxtapose કર્યા છે. પહેલી બાજુમાં કવિને વધુ રસ છે એટલે એનું દર્શન કવિ બહુ નિરાંતવા જીવે આપણને કરાવે છે. ઇયળ, ગોકળગાય જેવા સૂક્ષ્મ જીવોની દિનચર્યાથી શરૂ થતી વાત અંતે વિરાટતમની વ્યાખ્યા સમા સાગર-પર્વત-ધૂમકેતુ અને નોર્ધર્ન લાઇટ્સ પર જઈને વિરમે છે. તખ્તા પર આગવી ભાત પાડીને રજૂ થતા કળાકારોની જેમ કવિએ સજીવસૃષ્ટિના અલગ-અલગ જીવોને અહીં સાવ અનૂઠી રીતે પ્રસ્તુત કર્યા છે. સાગરના મોજાંની ચડઉતરમાં કવિ પુષ્પની પાંખડીઓને ખીલતી-વિલાતી જુએ છે. પર્વત પર મંડરાતા વાદળો કોઈ ખોંખારીને ધુમાડાના ગોટા કાઢતું હોય એવા ભાસે છે. ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે. નોર્ધર્ન લાઇટ્સને ઓતરાદા આકાશમાંથી રેલાતી અજવાસની કુંડીઓ કહીને કવિએ બાહોશ કવિકર્મની અભૂતપૂર્વ સાહેદી પુરાવી છે. પૃથ્વીના ઉત્તર (અને દક્ષિણે) છેડે સર્જાતી પ્રકાશપુંજની અલૌકિક રમત માનવીને પરાપૂર્વથી મોહિત કરતી આવી છે અને અનેક માન્યતાઓ-દંતકથાઓને જન્મ પણ આપ્યો છે.
એક તરફ બ્રહ્માંડના દૂરાતિદૂરના છેડો અને બીજી તરફ સમુદ્રના ઊંડામાં ઊંડા તળને આલેખીને કવિએ પ્રકૃતિના સમૂચા સૌંદર્યને કલમના લસરકાઓ વડે આબાદ ચીતર્યું છે તો કવિતાના નાનકડી ત્રણ પંક્તિ અને એક વાક્યના બીજા ભાગમાં એક છોકરીને પોતાના ગાલ પરના ખીલની ફિકર કરતી બતાવીને કવિ વિરમી જાય છે અને કવિતા ત્યાંથી જ આગળ વધે છે. સમષ્ટિથી શરૂ કરી કવિનો કેમેરા વયષ્ટિ પર કેન્દ્રિત થાય છે અને તલ જેવડા નાના ભાગ પર આવીને અટકે છે. પ્રકૃતિના અસીમ સૌંદર્ય અને નિજી ચિંતાની પ્રકૃતિના વિરોધાભાસમાંથી જે કવિતા જન્મે છે એ લાંબા સમય સુધી સ્મરણપટ પર રણઝણ્યા કરે એવી સબળ છે…
Permalink
May 25, 2022 at 2:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
એનીવર્સરી
એ
વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!
– એષા દાદાવાળા
Permalink
May 11, 2022 at 6:25 PM by તીર્થેશ · Filed under અછાંદસ, એમિલી ડિકિન્સન, વિશ્વ-કવિતા
I am out with lanterns
looking for myself
– Emily Dickinson
બે લીટીનું મહાકાવ્ય…મીરાં,કબીર,રહીમ -સૌએ આ જ ગાયું છે… ‘ ઘૂંઘટ કો પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…..’
માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોક યાદ આવે –
नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम्।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः॥
સરળ ભાવાનુવાદ – પરમસત્ય બુદ્ધિથી પર છે, પરિમાણથી પર છે, મનની સીમાઓથી બાધ્ય નથી, ન તો કોઈ લક્ષણ ધરાવે છે – પોતાનો સાર તે પોતે જ છે. તે શબ્દાતીત છે. કશે જ દ્રશ્ય ન હોવા છતાં એ એવું તત્વ છે જેની ગેરહાજરી એટલે શૂન્યાવકાશ, વળી શૂન્યાવકાશ પણ તે તત્વ પોતે જ છે….એ જ તુરિય: [ ચતુર્થ ] છે-અદ્વૈત છે-શિવ છે-આત્મા છે…..
Permalink
March 24, 2022 at 11:22 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, વર્ન રુત્સલા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.
– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)
નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.
Permalink
March 19, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા
શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.
શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.
રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.
દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.
બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને !
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…
ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.
બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા ?
-અગ્નિશેખર
(હિંદીમાંથી અનુ.: સિતાંશુ યશશ્ચંદ્ર)
અત્યારે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોરમાં છે. કાશ્મીરમાં પંડિતોની કત્લેઆમ અને ફરજીયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે સરકાર ચુપચાપ તમાશો જોવામાં રત હતી. મૂળથી ઉત્થાપિત થવાની વેદના તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે ને! એક બાળક આખી ઘટનાને કઈ રીતે જુએ છે એ આ કવિતાના માધ્યમથી અનુભવીએ. બહુ સરળ ભાષામાં બાળક હત્યાકાંડ અને એનાથી બચી જવા માટેની કવાયત તથા વિસ્થાપિત થયા બાદ કેમ્પમાં પોતાની હાલત અને આવતીકાલની સ્થિરતા બાબતની અનિશ્ચિતતા વર્ણવે છે. એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.
Permalink
March 5, 2022 at 11:23 AM by વિવેક · Filed under અછાંદસ, જયંત ડાંગોદરા
દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.
– જયંત ડાંગોદરા
કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…
Permalink
February 26, 2022 at 10:52 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ
દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ
– વજેસિંહ પારગી
(દોહ્યલું –દુઃખ, સંકટ)
અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!
બશીર બદ્રનો એક શેર યાદ આવે:
ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है
Permalink
February 11, 2022 at 11:42 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર
જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું
– વજેસિંહ પારગી
શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:
ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.
Permalink
February 9, 2022 at 12:34 PM by વિવેક · Filed under અછાંદસ, વિનોદ અધ્વર્યુ
આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!
– વિનોદ અધ્વર્યુ
સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)
સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…
(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)
Permalink
January 26, 2022 at 12:38 PM by તીર્થેશ · Filed under અછાંદસ, ટાય નાટ હાન, વિશ્વ-કવિતા
Don’t say that I will depart tomorrow —
even today I am still arriving.
Look deeply: every second I am arriving
to be a bud on a Spring branch,
to be a tiny bird, with still-fragile wings,
learning to sing in my new nest,
to be a caterpillar in the heart of a flower,
to be a jewel hiding itself in a stone.
I still arrive, in order to laugh and to cry,
to fear and to hope.
The rhythm of my heart is the birth and death
of all that is alive.
I am the mayfly metamorphosing
on the surface of the river.
And I am the bird
that swoops down to swallow the mayfly.
I am the frog swimming happily
in the clear water of a pond.
And I am the grass-snake
that silently feeds itself on the frog.
I am the child in Uganda, all skin and bones,
my legs as thin as bamboo sticks.
And I am the arms merchant,
selling deadly weapons to Uganda.
I am the twelve-year-old girl,
refugee on a small boat,
who throws herself into the ocean
after being raped by a sea pirate.
And I am the pirate,
my heart not yet capable
of seeing and loving.
I am a member of the politburo,
with plenty of power in my hands.
And I am the man who has to pay
his “debt of blood” to my people
dying slowly in a forced-labor camp.
My joy is like Spring, so warm
it makes flowers bloom all over the Earth.
My pain is like a river of tears,
so vast it fills the four oceans.
Please call me by my true names,
so I can hear all my cries and my laughter at once,
so I can see that my joy and pain are one.
Please call me by my true names,
so I can wake up,
and so the door of my heart
can be left open,
the door of compassion.
– Thich Nhat Hanh
વિયેતનામના મૂળ નાગરિક એવા ટાય [ અથવા ધાય ] નાટ હાન હમણાં જ દેહવિલય પામ્યા. શિષ્યો તેઓને વ્હાલથી The Teacher કહેતા.
આજથી પંદર-સત્તર વર્ષ પહેલા બેંગ્લોરના એરપોર્ટ પર પુસ્તકોના પહાડના તળિયે પડેલા એક પુસ્તકે અકારણ ધ્યાન ખેંચ્યું હતું – OLD PATH WHITE CLOUDS – અને તે પછી તો ટીચરના ઘણા પુસ્તકો વાંચ્યા અને તેઓને સાંભળ્યા. તદ્દન સરળ વાણી, સાવ સરળ-સહજ વ્યક્તિત્વ, ધીમો સ્પષ્ટ અવાજ, પ્રેમનીતરતી આંખો – અને છતાં એક પ્રચંડ મક્કમતાની આભા એટલે ટીચર…… વિયેતનામના ખરાબ સમય દરમ્યાન તેઓ જંગલોમાં પીડિતો વચ્ચે રહેતા અને અમેરિકન સૈનિકો પણ તેઓનું ભરપૂર સન્માન કરતા. તેઓએ વિયેતનામના પીડિતો માટે પુષ્કળ આંતરરાષ્ટ્રીય મદદ મેળવી અને વહેંચી. ત્યાર બાદ ફ્રાન્સ અને અમેરિકામાં બૌદ્ધધર્મ અને ઝેનનો પ્રચાર,પ્રસાર અને શિક્ષણની પ્રવૃત્તિ જબરદસ્ત મોટા પાયે કરી. અસંખ્ય પશ્ચિમી વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય નાગરિકોને mindfullness તેમજ walking meditation ની પ્રત્યક્ષ તાલીમ આપી. અસંખ્ય શિબિરો કરી – એક દિવસથી લઈને આખું વરસ લાંબી !! પશ્ચિમમાં ઝેનને સાચા અર્થમાં સમજાવનાર બે વિભૂતિઓ – એક Dr D T Suzuki અને બીજા ટાય નાટ હાન. પોતાની માતૃભૂમિની અમેરિકાએ કશી જ લેવાદેવા વગર અક્ષમ્ય બરબાદી કરી હોવા છતાં ટીચરના મનમાં લેશમાત્ર વૈમનસ્ય નહોતું. અમેરિકાએ પણ ટીચરને ભરપૂર સન્માન આપ્યું.
‘ધર્મ’ અને ‘ધાર્મિકતા’ વચ્ચેનો તફાવત એટલે ટીચરનું જીવન. ઓશો પણ આ જ કહેતા. ટીચરની ધાર્મિકતા એક પંથની મહોતાજ નહોતી, તેઓ ખરા અર્થમાં વિશ્વમાનવ હતા અને વિશ્વકલ્યાણનાં સિપાઈ હતા. બૌદ્ધધર્મ તેઓ માટે એક Live Entity હતો અને એ વાહનની મદદથી તેઓ સમગ્ર માનવજાત સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યા. કોઈકે તેઓને પૂછ્યું હતું કે ” શું આપ બુદ્ધત્વ પામ્યા છો ?” તો તેઓનો જવાબ હતો – ” એ મારા કશા ખપનું નથી. ” આ પ્રત્યુત્તર ઝેનની પરાકાષ્ઠા સ્તરનો છે. જે ધાર્મિકતા સમસ્ત માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નથી તે ધાર્મિકતા પોથીમાંનાં રીંગણાં સમાન છે.
પસ્તુત કાવ્ય ટીચરે ધ્યાનની એ અવસ્થામાં લખ્યું હતું કે જયારે એક બાર વર્ષની દીકરી દરિયાઈ ચાંચિયાની હેવાનિયતનો શિકાર બની આત્મહત્યા કરી દે છે અને ટીચર અત્યંત વ્યથિત થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં તેઓ એ અનુભૂતિ કરે છે કે જો હું એ ચાંચિયાનાં સંજોગોમાં જન્મ્યો અને ઉછર્યો હોતે તો હું પણ આવું અધમ કૃત્ય કરી બેસતે….. અત્યાચારનો જરૂર પૂરી તાકાતથી સામનો કરવો જ રહ્યો, પરંતુ અત્યાચારી કેમ અત્યાચારી બન્યો છે તે સ્તરે જઈને જ્યાં સુધી મૂલતઃ પરિવર્તન લાવવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ પીડામુક્ત થવું અસંભવ છે. આતતાયી પોતે પણ અત્યાચારનું જ ફરજંદ છે તે આત્મસાત કરી તે સ્તરે કામ કરવું રહ્યું….. Please call me by my true names – અર્થાત – રામ પણ હું જ છું અને રાવણ પણ હું જ છું, હણનાર પણ હું છું અને હણાનાર પણ હું છું…….
કાવ્યની ભાષા સરળ છે તેથી ભાષાંતર કરતો નથી.
https://plumvillage.org/series/thays-poetry/
– અહીં આ કાવ્ય ટીચરના પોતાના અવાજમાં…..
Permalink
January 20, 2022 at 11:14 AM by વિવેક · Filed under અછાંદસ, દર્શક આચાર્ય
૦૧.
વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.
૦૨.
વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.
– દર્શક આચાર્ય
પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!
Permalink
January 14, 2022 at 11:51 AM by વિવેક · Filed under અખિલ શાહ, અછાંદસ
હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.
એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.
એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.
મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયાં નથી’
ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.
સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’
– અખિલ શાહ
આમ તો આ કવિતા લયસ્તરો પર આગળ પણ મૂકી હતી પણ આટલા વરસોમાં લયસ્તરોના વાચકવૃંદમાં ખાસો વધારો થયો હોવાથી આજે ઉત્તરાયણ નિમિત્તે આ કવિતા અહીં ફરી રજૂ કરીએ છીએ. અખિલ શાહના છદ્મનામે લખાયેલી આ કવિતાના મૂળ સર્જક છે લયસ્તરોના સ્થાપક અને સહસંપાદક ડૉ ધવલ શાહ પોતે. ગુજરાતી ભાષાના ઉત્તમ અછાંદસ કાવ્યોની પંગતમાં ગર્વભેર બેસી શકે એવી આ રચના વાંચતાં આપની આંખના ખૂણા ભીના ન થાય તો કહેજો…
આ કવિતા વિશે ધવલના પોતાના શબ્દો: “જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !”
Permalink
December 16, 2021 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સૂચિતા કપૂર
મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.
– સૂચિતા કપૂર
આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…
Permalink
December 11, 2021 at 12:57 AM by વિવેક · Filed under અછાંદસ, એમી આર. એડિંગ્ટન, માતૃમહિમા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તે મારી મા છે,
એક દુર્દાન્ત, અપ્રાપ્ય ધ્યેય.
લોખંડી અને મખમલી અને અક્ષમ્ય વખાણથી બનેલી સ્ત્રી.
એ એ તમામનું માપ છે,
જે હું કદી બની શકનાર નથી.
એ મને જુએ છે અને મારી આરપાર જુએ છે.
એ મને ચાહે છે પણ એના કાંટાળી વાડવાળા દિલથી,
મને અનુમોદનની
અવિરત તડપની સાંકળમાં જકડી રાખીને.
હું મારું માથું ઈંટોની દીવાલ સાથે
અવિરતપણે અફાળ્યા કરીશ,
જો તું મને માત્ર એટલું કહી દે કે તું મને પ્રેમ કરે છે,
તને મારા પર ગર્વ છે,
બસ, કહી દે કે હું સારી છું.
સ્વ-મૂલ્યનના તમામ માપદંડ એક જ સ્ત્રીમાં ભર્યા પડ્યા છે
જે મને એટલો પ્રેમ કરે છે
કે મને ચીરી નાંખી શકે છે.
– એમી આર. એડિંગ્ટન
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
પુષ્કળ શોધખોળ કરવા છતાં માતા અને સંતાનોના સંબંધમાં ઉદભવતી તકલીફો વિશે બહુ ઓછી કવિતાઓ જ હાથ લાગી. આ વિષય પર દિલીપ ઝવેરીની એક અદભુત રચના થોડા દિવસ પહેલાં આપણે માણી. એક રચના મારી પણ આપ અહીં માણી શકો છો. આજે જે રચના અહીં પૉસ્ટ કરી છે, એના કવયિત્રીનું નામ બિલકુલ જાણીતું નથી. એમણે લખેલી અન્ય કોઈ રચનાઓ પણ હાથ આવતી નથી.
દીકરી માને પુષ્કળ પ્રેમ કરે છે અને મા પણ દીકરીને પ્રેમ કરે છે પણ જિંદગી માટે પોતે ‘સેટ’ કરેલ સિદ્ધાંતોના ભોગે નહીં. સંતાનો માટે મા-બાપ જીવનના પ્રથમ આદર્શ હોય છે અને દરેક સંતાન કમસેકમ જીવનની શરૂઆતમાં તો મા-બાપ જેવા જ બનવાનું નિર્ધારતાં હોય છે. પણ અહીં દીકરી મા માટે મા એક અદમ્ય અને અપ્રાપ્ય ધ્યેય છે. એનું વ્યક્તિત્વ લોખંડી પણ છે અને મખમલી પણ. કઠોરતા અને ઋજુતાના સંમિશ્રણથી બનેલી મા દીકરીની આરપાર તાગી શકે એવી તીક્ષ્ણ નજર પણ રાખે છે. એ દીકરીને પ્રેમ તો કરે છે પણ એના હૃદયની ફરતે કાંટાળી વાડ છે અને દીકરીએ માનો સ્નેહ મેળવવા માટે અવિરતપણે તડપતા રહેવું પડે છે, કેમકે માએ નિર્ધારિત કરેલ પદચિહ્નો પર ચાલી ન શકે ત્યાં સુધી મા એને પ્રેમામૃતનો સ્વાદ ચખાડનાર નથી. દીકરી માને એટલો પ્રેમ કરે છે કે ખાલી એકવાર પણ જો મા એમ કહી દે કે એ એને ચાહે છે, એને એના પર ગર્વ છે અને એ સારી દીકરી છે, તો બદલામાં આખી જિંદગી દીવાલમાં માથું અફાળ્યા કરવાની સજા ભોગવવા પણ એ તૈયાર છે. પણ મા પોતે નક્કી કરેલ સ્વમૂલ્યનના માપદંડ પરથી તસુભર પણ નીચે ઉતરવા માંગતી નથી, ભલે દીકરી એના પ્રેમની તરસમાં ચિરાઈ કેમ ન જાય!
આપણામાંથી ઘણાને વધતે-ઓછે અંશે આ અનુભવ થયા જ હશે. દરેક માતા પોતાના સંતાનોને સુપર-કિડ જોવા માંગે છે. અભ્યાસ, રમત-ગમત, કળા –તમામ ક્ષેત્રમાં અગ્રેસર આવવા માટે માતાઓ સંતાનોને સતત પ્રેસરાઇઝ્ડ કરતી જ રહે છે. દર થોડા દિવસે અખબારમાં સમાચાર આવતાં રહે છે કે નવમા-દસમા-બારમા ધોરણમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. ખલિલ જિબ્રાનની આ વાત આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવી છે:
Your children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.
You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
You may strive to be like them, but seek not to make them like you.
*
mommy dearest
She is my mother,
that indomitable, unattainable goal.
A woman of iron and silk and unforgiving praise.
She is the measure of all that
I will never be.
She sees me and looks right through me.
She loves me with a barbed wire heart,
chaining me to a relentless yearning
of approval.
I will beat my head
endlessly against a brick wall
if you simply say you love me,
say you’re proud of me,
say I’m good.
All measure of self-worth is wrapped
in the one woman who loves me enough
to tear me apart.
– Amy R. Addington
Permalink
December 9, 2021 at 3:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, જયન્ત પાઠક, માતૃમહિમા
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
– જયન્ત પાઠક
મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?! મા તે મા, બીજા બધા વગડાનાં વા ! જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!
હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.
Permalink
December 6, 2021 at 1:39 AM by તીર્થેશ · Filed under અછાંદસ, દિલીપ ઝવેરી, માતૃમહિમા
એક વા૨ જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે
જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂત૨ના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સ૨નામાં
બહેનપણીઓનાં નામ નામ વગ૨ના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલ૨
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફે૨વતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે
જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય ત્યારે
ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘ૨વાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બ૨ડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’
મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’
બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વ૨ના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા
એક વા૨ જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.
– દિલીપ ઝવેરી
ભાવકોની ક્ષમાયાચના – હું માર્તુત્વના glorificationમાં નથી માનતો. માતા આખરે માનવી છે અને માનવસહજ નબળાઈઓ અને સામર્થ્ય – બંને ધરાવે છે. ખૂબ નાનપણથી જ મને કદીપણ એ વાત સમજાઈ જ નથી કે બાળકને જન્મ આપીને શું માતા-પિતા તેના પર કોઈ ઉપકાર કરે છે ?? શું એ પ્રકૃતિના નિયમને આધીન નથી ? બાળકનો ઉછેર અને તે માટે આપવામાં આવતું બલિદાન એ જરૂર માતા-પિતાનું ઉત્તમ ચારિત્ર્ય દર્શાવે છે, પરંતુ તે શું માતા-પિતાની personal choice પણ નથી ?? બાળક તો તે વખતે કંઈપણ માગણી મૂકવા સક્ષમ હોતું જ નથી. વળી એ તો ઋણાનુબંધ છે – બાળક પોતાનો સમય આવ્યે પોતાનું કર્તવ્ય નિભાવે જ છે !!. ” છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય ” – આ કહેવત બાળકો સાથે અન્યાય કરતી મને હંમેશા લાગી છે. સમાજમાં કમાવતરના કિસ્સા ઓછા નથી. દીકરીની ભ્રુણહત્યાથી વિશેષ કમાવતરપણાના ઉદાહરણની જરૂર ખરી વળી ??? ભૃણહત્યા કરાવનાર માતા હમેશા ‘લાચાર અને અસહાય’ નથી હોતી !!
જેવા અન્ય સંબંધો છે તેવા જ મા-બાળકના સંબંધ- એમ માનું છું. કોઈપણ માનવીય સંબધનું ઊંડાણ માનવી-માનવીની મૂળભૂત સારાઈ, પ્રજ્ઞાના સ્તર અને જે-તે વ્યક્તિની કરુણાની વ્યાપકતા ઉપર આધાર રાખે છે. જે માણસ મૂળભૂત રીતે જેટલું સારું,તેટલા તેના સંબંધો સુંદર, તેટલું તેનું કોઈપણ સંબંધમાં commitment સંપૂણ…..ઘણીબધી મહિલાઓ “માતા-બાળક” ના લેબલ વગરના સંબંધો પણ ઉત્કૃષ્ટ રીતે ઉજાળે છે. માતાને glorify કરવામાં અજાણતા અન્ય સંબંધોને અન્યાય થઇ જતો હોય છે.
વળી મને માતૃસવરૂપની પોતાના સંતાન માટેની મમતા તો દેખાય છે, અનુભવાય છે, સમજાય છે…..પરંતુ તે સંતાનના જીવનસાથી માટેનો-ખાસ કરીને પુત્રવધુ માટેનો -માતાનો અભાવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી તો શકાય છે, પણ સ્વીકારી નથી શકાતો,માફ નથી થઈ શકતો,નજરઅંદાઝ નથી કરી શકાતો….. આવી કેવી મમતા ??? પોતાની દીકરી એ દીકરી અને પોતાની પુત્રવધુ એ ડાકણ ?????
માતાની મમતા સૌએ અનુભવી છે, સાથે જ પિતાની મમતા પણ અનુભવી છે….અન્ય આપ્તજનોની પણ અનુભવી છે….
પ્રસ્તુત કાવ્ય મીઠું-કડવું કાવ્ય છે. ક્યાંક કવિ માતાની લાક્ષણિકતાઓને હસી કાઢે છે, તો ક્યાંક માતાની માનવસહજ ત્રુટિઓને બક્ષતા નથી. છેલ્લી પંક્તિ કવિનો મૂડ સ્પષ્ટ કરી દે છે.
માતા માનવી છે – વધુ પણ કંઈ નહીં, ઓછું પણ કંઈ નહીં……
Permalink
November 29, 2021 at 1:46 AM by તીર્થેશ · Filed under અછાંદસ, વિપિન પરીખ
કોઈ વા૨ એવું બને
આપણે જવાની ઉતાવળ ન હોય
છતાં
આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે.
‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
છતાં ત્યારે જ
બળજબરીથી એને બીડી દેવામાં આવે.
આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દોઃ
‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય
ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં
એટલા માટે જ
આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
મારી વિદાયવેળાએ
તમે હાજર રહેજો.
– વિપિન પરીખ
તાજેતરમાં એક આપ્તજનના અંતિમ સમયના સાક્ષી બનવાનું થયું….આજે આ કવિતા વાંચી…. એક એક અક્ષર નકરું સત્ય છે….હજુ કળ નથી વળી…કદાચ વળશે પણ નહીં.
Permalink
November 24, 2021 at 1:40 AM by તીર્થેશ · Filed under અછાંદસ, દિલીપ ચિત્રે
चक्रव्यूह में घुसने से पहले
कौन था मैं और कैसा था
ये मुझे याद ही ना रहेगा
चक्रव्यूह में घुसने के बाद
मेरे और चक्रव्यूह के बीच
सिर्फ एक जानलेवा निकटता थी
इसका मुझे पता ही ना चलेगा
चक्रव्यूह से निकलने के बाद
मैं मुक्त हो जाऊं भले ही
फिर भी चक्रव्यूह की रचना में
फर्क ही ना पड़ेगा
मरूं या मारूं
मारा जाऊं या जान से मार दूं
इसका फैसला कभी ना हो पायेगा
सोया हुआ आदमी जब
नींद से उठकर चलना शुरू करता है
तब सपनो का संसार उसे
दोबारा दिख ही ना पायेगा
उस रोशनी में जो निर्णय की रोशनी है
सब कुछ समान होगा क्या
एक पलड़े में नपुंसकता
एक पलड़े में पौरूष
और ठीक तराजू के कांटे में
अर्ध सत्य.
– दिलीप चित्रे
1983માં આવેલી ફિલ્મ અર્ધસત્યની આ સારરૂપ કવિતા છે, ફિલ્મમાં ઓમ પુરી એનું પઠન પણ કરે છે.
મને ગુજરાતી કાવ્ય સામે આ ગંભીર ફરિયાદ છે – ગુજરાતી કાવ્ય રાજકીય/સામાજિક વિષમતાઓને લગભગ લગભગ સદંતર અવગણે જ છે – જાણે કે એ કોઈ કાવ્યવસ્તુ હોઈ જ ન શકે !! આંગળીના વેઢે પણ નહીં – આંગળીઓએ પણ માંડ ગણાય એટલી રાજકીય/સામાજિક પ્રશ્નોને ઉઠાવતી મજબૂત કવિતા ગુજરાતીમાં સાંપડે !!! ખબર નહીં કેમ આ વિષય-દરિદ્રતા ગુજરાતી કાવ્યને આભડી ગઈ છે…..
કાવ્ય મર્મભેદી છે – આપણે સહુએ શાળા/કૉલેજ છોડીને વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં આ અનુભવેલી જ વાત છે – સાચું શું તે સાથે વ્યવહારુ દુનિયાને ખાસ કોઈ મતલબ નથી, ભૌતિક સફળતા એક જ પારાશીશી હોય છે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનાર ક્યાંતો સમય સાથે માર્ગ-વિચલિત થઈને સિસ્ટમમાં વેચાઈ જાય છે, ક્યાંતો ફ્રસ્ટ્રેશનના કળણમાં ખૂંપતો જ જાય છે. ઘણીવાર તો સત્ય શું છે તે પણ નથી સમજાતું એ હદે સત્ય-અસત્યની ભયાનક ભેળસેળ કરી દેવામાં આવતી હોય છે ! સત્યના માર્ગે ચાલવું તો છે પણ સત્યનો માર્ગ કયો ???? કોઈ માર્ગદર્શન પણ હાથવગું હોતું નથી. Greatest good of the greatest number – એ સાચું કે પછી સત્યના માર્ગે ચાલતી વ્યક્તિમાત્રનું હિત સર્વોપરી ?? આવા આવા અસંખ્ય જટિલ મૂંઝવતા પ્રશ્નો સત્ય-માર્ગીએ હલ કરવા રહ્યા. વળી જો એ બિચારો પોતાના જજમેન્ટમાં ભૂલ કરી બેસે તો આજીવન એનો પરિતાપ ભોગવવો રહ્યો ! જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એક ઝાટકે જમીનસરસો થઈ જાય….જીવનભરની તપશ્ચ્રયા નિરથર્ક નીવડી જાય….
કેટલોક ભાર એક માનવ વેંઢરે !! મોટેભાગે ત્રાસીને સિસ્ટમમાં વેચાઈ જાય – આત્મા ગીરવે મૂકી દે…કોઈક વિરલા માર્ગચ્યુત ન પણ થાય – ફના થઇ જાય જાતે અને ફના કરી દે પોતાના નિકટતમ સ્નેહીઓને પણ – પરંતુ સિસ્ટમ સામે ઝૂકે નહીં… સલામ છે એવા વિરલ યોદ્ધાઓને…..
Permalink
November 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રવીન્દ્ર પારેખ
આટલાં કોડિયાં લઈને બેઠો છું
પણ એકકેય વેચાયું નથી
અંધારું થવા આવ્યું
કોઈ તો આવે
ને લઈ જાય થોડાં
તો કેવું સારું!
આ બધાં પ્રગટ્યાં વગર જ રહેશે?
કોડિયું હોય ને પ્રગટે જ નહીં એ કેવું?
અજવાળું કોઈને જોઈતું જ નહીં હોય શું?
આ થોડાં ક્યાંક પ્રગટે
તો મારી ઝૂંપડીમાં દીવો થશે
નાનકાને કેટલું મન છે
કનકતારાનું
એકાદ પેટી લઈ જવાય તો
વગર દીવાએ જ ચહેરો
અજવાળું થઈ જશે
કનકતારા તો નાના હાથોમાં જ શોભેને!
મોટો થાય ને ફટાકડાની ફેકટરી વસાવે તોય
આજે એના હાથમાં કનકતારો
ન હોય તો શું કામનું?
આટલાં બધાં કોડિયાનું નસીબ
આટલું અંધારિયું કેમ?
બહાર તો દીવા પ્રગટવાય લાગ્યા
પણ એ બધાં તો ઇલેક્ટ્રિક છે
સ્વિચ ઓન કરો ને ઝબકે
એમાં તેલ નહીં પૂરવાનું
પણ એમને કેમ કહેવું
કે કોડિયામાં તમે તેલ નહીં પૂરો
તો અમારે આંસુ પૂરવાં પડે છે…
– રવીન્દ્ર પારેખ
કવિતા સ્વયંસ્પષ્ટ છે. ધારદાર છે. રસ્તાની બાજુએ બેસીને માટીના કોડિયાં વેચતાં ગરીબ માણસ પાસે બે ઘડી ગાડી થોભાવીને આ દિવાળીમાં કોઈના જીવનમાં થોડું અજવાળું કરતો દીવો પેટાવી શકીશું?
કવિએ ઉદ્ગારચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન તો વાપર્યા છે, પણ આખી રચનામાં ક્યાંય અલ્પ કે પૂર્ણવિરામ મૂક્યાં નથી. કદાચ ગરીબ માણસના જીવનમાં કોઈ પ્રકારના વિરામને અવકાશ હોતો નથી એટલે? કવિતાના અંતે કવિએ ગરીબ માણસની આંખમાંથી ટપકતાં આંસુ જેવા ત્રણ ટપકાં મૂક્યાં છે, એ સાચે જ અર્થપૂર્ણ જણાય છે…
લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…
Permalink
October 11, 2021 at 2:57 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ફરીદુદ્દીન અટ્ટાર, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
જે શાંત સૌમ્ય માણસો છે એને મારો નશો કદી નહીં સમજાય
એ લોકો કદી મારા કાર્યને સમજી નહીં શકે
દુનિયાદારીના માણસો તો દેવળોમાં જાય છે
તેઓ કદી સમજી નહીં શકે
નશાબાજ માણસના હૃદયની ગમગીની
જે લોકો ગૌરવ અને અહંકાર પહેરીને ફરે છે એ લોકો કદીયે
મારા રહસ્યના પડદાની પાછળ જોઈ નહીં શકે જે લોકો કદી પોતાના પ્રિયતમથી વિખૂટા નથી થયા
એ લોકો કદીયે નહીં સમજી શકે મારા પ્રિયતમ વિનાની રાત્રિને
હું તો મારા ઘરમાં બંદીવાન મારા પ્રિયતમ વિના
ઘરમાં એટલા માટે કે બહારના માણસો મારી વેદના ન જોઈ શકે
બુલબુલની બેચેની, કળીના ઝુરાપાને
કેવળ બગીચાનું ફૂલ જ સમજી શકે
જે લોકો કદીયે પ્રેમની યાતનામાં પડ્યા નથી
તેઓ કદીયે અત્તર’ની વ્યથાને ઓળખી ન શકે.
– ફરીદ-ઉદ્દીન અત્તર (પર્શિઅન) અનુ -.સુરેશ દલાલ
ફરીદઉદ્દીન અત્તર સૂફી સંતકવિ હતા, તેઓની The Conference Of Birds અતિવિખ્યાત રચના છે. રૂમીએ તેઓને સન્માન સાથે ટાંક્યા છે.
રચના શુદ્ધ પ્રેમના નશાની વાત છે… છેલ્લા થોડા સમયથી અમુક કૃતિઓ એવી નજરે ચઢે છે જેમાં પ્રેમના મૂળ તત્ત્વની સામે પ્રશ્નાર્થ કરાયા હોય છે. દલીલો તો ઘણી કરી શકાય અને આવા દવાઓનો છેદ પણ ઊડાડી શકાય, પરંતુ તદ્દન સરળ વાત છે – રામબાણ વાગ્યારે હોય તે જાણે…..વધુ શું બોલવું !!
Permalink
September 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અબ્દુલ્લા પેસિઉ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર, કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’
– અબ્દુલ્લા પાશ્યુ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો ઊભેલા હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને એક સૈનિકની ખુવારી એક પરિવારની ખુવારી હોય છે.
રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર પોતાની ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષો માટે પોતાના ગણવેશ પર લાગનાર તારક-ચંદ્રકો અને પદવીથી વિશેષ કશું નથી. યુદ્ધમાં મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કદાચ આજે ધરતીનો કોઈ ભગ એવો નહીં હોય જ્યાં સમયના કોઈ એક ખંડમાં યુદ્ધ ન ખેલાયું હોય અને કોઈને કોઈ સૈનિક દફન ન થયો હોય. મનુષ્યજાતિના આખા ઇતિહાસને એક જ પાનાં પર એકસાથે મૂકવામાં આવે તો કદાચ ધરતીનું તસુએ તસુ રક્તરંજિત હશે. આ વાત કુર્દીશ કવિએ કેટલી સરળતા છતાં વેધકતાથી રજૂ કરી છે, એ જુઓ…
The Unknown Soldier
If someday a delegate comes to my land
And asks me:
“Where is the grave of the Unknown Soldier here?”
I will tell him:
“Sir,
On the bank of any stream,
On the bench of any mosque,
In the shade of any home,
On the threshold of any church,
At the mouth of any cave,
In the mountains on any rock,
In the gardens on any tree,
In my country,
On any span of land,
Under any cloud in the sky,
Do not worry,
Make a slight bow,
And place your wreath of flowers.”
– Abdulla Pashew (Kurdish)
(English Trans.: Rikki Ducornet)
Permalink
August 7, 2021 at 2:07 AM by વિવેક · Filed under અછાંદસ, ગાલવે કિન્નલ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ભરતીના કારણે થયેલા કીચડ પર, ઠીક સૂર્યાસ્તથી પહેલાં,
ડઝનબંધ તારામાછલીઓ
સરકી રહી હતી. જાણે કે
કાદવ આકાશ હતો,
અને પુષ્કળ, અપૂર્ણ તારાઓ
એમાં ધીરે-ધીરે ખસી રહ્યા હતા,
જે રીતે સાચુકલા તારાઓ સ્વર્ગને પાર ન કરતા હોય.
અચાનક તેઓ બધી જ અટકી ગઈ,
અને, જાણે કે તેઓએ
ગુરુત્વાકર્ષણ પ્રતિ પોતાની ગ્રહણશીલતા
વધારી ન દીધી હોય, એમ
કાદવમાં ખૂંપતી ગઈ, આછી થતી ગઈ
અને સ્થિર થઈ ગઈ, અને જ્યારે
સૂર્યાસ્તની લાલિમા એમના પર પથરાઈ વળી,
તેઓ એ રીતે અદૃશ્ય થઈ ગઈ
જે રીતે ભળભાંખળા ટાણે ખરેખરા તારાઓ.
– ગાલવે કિન્નલ
(અન્નુ. વિવેક મનહર ટેલર)
દિવસ અને રાતના સંધિકાળનું એક મજાનું ચિત્ર કવિ રજૂ કરે છે. ભરતીના કારણે દરિયાકિનારે તણાઈ આવેલી સેંકડો તારામાછલીઓ કાંઠા પરના કીચડમાં સરકી રહી હોય એ દૃશ્યને કવિ રાતના આકાશમાં ધીમેધીમે ગતિ કરતા અસંખ્ય તારાઓ સાથે સરખાવે છે. સાંજના રંગ વધુ ગાઢ બનતાં જ આ તારામાછલીઓ જાણે ગુરુત્વાકર્ષ પ્રત્યેની ગ્રહણશીલતા અચાનક વધી ન ગઈ હોય એમ કાદવની અંદર ગરકાવ થઈ સ્થિર થઈ જાય છે. સૂર્યાસ્તની આખરી લાલિમા એમના પર પથરાય છે ત્યારે એ તમામ નજરોથી એ રીતે ઓઝલ થઈ જાય છે, જે રીતે ભળભાંખરાં સમયે તારાઓ. કવિતામાં એક દૃશ્યચિત્રના સહારે એક રુપકચિત્ર સિવાય આમ કશું નથી, પણ ચિત્ર એવું તો સુવાંગ સંપૂર્ણ થયું છે કે કવિતા વાંચી લીધા પછી ક્યાંય સુધી બંને ચિત્રો નજર સામેથી દૂર થતાં જ નથી… દરિયાકિનારે ઊભા રહીને આ દૃશ્ય આપણે પ્રત્યક્ષ જોયું હોવાની અનુભૂતિ જ કવિતાનો ચરિતાર્થ છે.
DAYBREAK
On the tidal mud, just before sunset,
dozens of starfishes
were creeping. It was
as though the mud were a sky
and enormous, imperfect stars
moved across it as slowly
as the actual stars cross heaven.
All at once they stopped,
and, as if they had simply
increased their receptivity
to gravity, they sank down
into the mud, faded down
into it and lay still, and by the time
pink of sunset broke across them
they were as invisible
as the true stars at daybreak.
– Galway Kinnell
Permalink
August 6, 2021 at 1:22 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
કોઈ તમને તૈયા૨ ક૨તું નથી
મોં ફાડીને તમારી સામે
ઊભા રહી જતા
જંગલી વાઘનો સામનો કરવા
તમને નથી આપેલાં હોતાં
કોઈ મશાલ
કોઈ ભાલો
કોઈ બંદૂક
ધીમા ધીમા ને નિશ્ચિત
તમારી તરફ વધતાં એ પગલાંઓને
તમારા શ્વાસની જેમ અધ્ધર રોકતાં
કોઈ શીખવતું નથી
તમારી આંખની કીકીઓ
એના પંજા પર
લોખંડી ખીલાની જેમ જડી દઈ
એને આગળ વધતાં ડરાવતાંય
તમને કોઈ શીખવતું નથી.
એની ત્રાડને ભરી શ્વાસમાં
થથરતી હિંમત ભરીને હાડમાં
એને લલકારતા
તમને કોઈ શીખવતું નથી
અંધારામાં તમને તગતગતી
બે પીળી આંખોના અજવાળામાં
ખોળતા રહો છો ચારણકન્યાની
કોઈ બેબાકળી લાકડી
ને થઈ જાઓ છો લીરેલીરા
ત્યાં પેટ ભરાઈ જતાં
લોહી નીગળતા શિકારની જેમ
તમને રસ્તા વચ્ચે છોડીને
ચાલ્યા જાય છે એ પ્રશ્નો
ત્યારે એ અધમૂઆ શરીરને
ઉપાડી ફરી એક વાર
બાકીનું જંગલ કેમ પાર કરવું
તમને કોઈ શીખવતું નથી.
– પ્રતિષ્ઠા પંડ્યા
કહેવાય સભ્ય અને સુસંસ્કૃત પણ આપણી દુનિયા જંગલી પ્રાણીઓથી ભરી પડી છે અને વારે-તહેવારે આ જંગલી પ્રાણીઓ સ્ત્રીઓ પર પોતે અબાધિત ગણી લીધેલો અધિકાર જતાવતા હોય એમ અત્યાચાર કરતાં રહે છે. કવયિત્રી શોષિત સ્ત્રીઓની વેદના જ વ્યક્ત કરે છે પણ જરા અલગ રીતે. સ્ત્રી પાસે પુરુષનો સામનો કરવા માટે, એને અટકાવવા-ડારવા માટે બહુધા કોઈ હથિયાર નથી હોતું એટલે સતત એનો શિકાર થતો રહે છે. કવયિત્રીનો સવાલ એ છે કે સ્ત્રીને આ બધાનો સામનો કઈ રીતે કરવો, જાતને કઈ રીતે બચાવવી એ માટે એને કોઈ તૈયાર કરતું નથી. અને એથીય વધીને, જંગલી વાઘ પેટ ભરાઈ જતાં અધમૂઆ શિકારને લોહી નીંગળતી હાલતમાં છોડીને ચાલ્યો જાય એ રીતે અત્યાચારનો ભોગ બન્યા બાદ જન્મેલા પ્રશ્નો ઊંચકીને લોહીલુહાણ અધમૂઈ હાલતમાં બાકીનું જીવન કઈ રીતે પસાર કરવું એની તાલિમ પણ કોઈ આપતું નથી. કવિતામાં જેટલીવાર સ્ત્રીને આ કોઈ શીખવતું નથીનો ચિત્કાર ઊઠે છે, એ બધી વાર આવું ન કરવાનું પુરુષોને કોઈ શીખવતું નથીની વેદના પણ તારસ્વરે ઊઠતી સંભળાય છે. ‘બાકીનું જંગલ’ કહીને કવયિત્રી સમાજની યથાવત્ રહેતી તાસીર પર ચમચમતો ચાબખો મારે છે…
કવયિત્રીની કાવ્યશૈલીના પ્રમાણમાં પ્રસ્તુત રચના થોડી વધુ મુખર બની હોવા છતાં કવિતનો હેતુ કોઈ હરકત વિના બર આવ્યો છે.
Permalink
June 26, 2021 at 1:27 AM by વિવેક · Filed under અછાંદસ, નેહા પુરોહિત
એ
લગભગ રોજ
મારા વહેતાં જળમાં પગ ડૂબાડી
કલાકો સુધી
મને એકટસ તાકતો
બેસી રહેતો.
આજે..
એ
મારા જ કિનારે
બેસીને
જાળ ગૂંથી રહ્યો છે..
હે સોનેરી માછલાંઓ
જતાં રહો દૂર… દૂર…
જ્યાં લગ પહોંચતા
એ ખુદ બની જાય
માછલી!
– નેહા પુરોહિત
કવિતામાં બહુધા અર્થ કરતાં અનુભૂતિનું વિશેષ મહત્ત્વ હોય છે. કહ્યું છે ને, A poem has to be, not mean! પ્રસ્તુત રચના નદીની ઉક્તિ સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી નજરે કશું ન સમજાય એવું કે અર્થકોશની બહારનું નજરે ચડતું નથી પણ કાવ્યાંતે પહોંચતા સુધીમાં અનુભૂતિ અર્થને અતિક્રમી જાય છે. ‘લગભગ રોજ’ અને ‘કલાકો’ –સમયના આ બે આયામો નદી અને મનુષ્ય વચ્ચેનો નિઃસ્વાર્થ નિર્હેતુક સ્નેહસંબંધ પ્રસ્થાપિત કરે છે. પણ જ્યારે માણસનો હેતુ બદલાતો દેખાય છે, ત્યારે નદી માછલાંઓને એટલાં દૂર ચાલ્યા જવાની સલાહ આપે છે કે ત્યાં સુધી પહોંચવામાં મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ગુમાવીને સ્વયં મત્સ્ય બની જાય. આ metamorphosis અસ્તિત્વનું નથી, હકીકતમાં તો હેતુનું છે. જેનો શિકાર કરવાની મંશા હોય, શિકારી એ જ બની જાય ત્યારે જાળ આપોઆપ ખુલી જતી હોય છે… નદી અને મનુષ્યને સામસામે બેસાડીને વાત કરતી આ રચના સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પણ લાગુ પડતી જણાય છે. પણ શરૂમાં કહ્યું એમ, કેટલીક કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું પ્રાધાન્ય વધારે હોય છે… નદીમાં તો ઓગળીને વહી જવાનું જ હોય ને!
Permalink
June 15, 2021 at 1:20 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રબોધ ર. જોશી
અમારો શ્વાન બહુ સમજુ છે.
આસપાસના બધા શ્વાન
ભસવા લાગી જાય
ત્યારે એ ચૂપ રહે છે.
અને સમજવાની કોશિશ કરે છે.
પછી કદાચ
સમજી જતો હશે કે
સૌને ભસવાનાં પોતપોતાનાં કારણો હશે
પણ
ટી.વી પર ચર્ચા ચાલે છે
ત્યારે
તો એ ટૂંટિયું વાળીને સૂઈ જ જાય છે.
અને
આસપાસમાં
શ્વાન ભસે.
તો એ પણ એને સંભળાતું નથી !
– પ્રબોધ ૨. જોષી
(૬-૯-૨૦૧૧)
સાહિત્યના નામે આજકાલ સોશ્યલ મિડીયા પર થોકબંધ કચરો પળેપળ ઠલવાઈ રહ્યો છે. જેમનામાં કોઈ સત્ત્વ જ નથી એવા સૂંઠના ગાંગડે ગાંધી બનવા તલસટા લોકો પારાવાર ઘોંઘાટ મચાવી રહ્યા છે. દસ વર્ષ પહેલાં લખાયેલી આ કવિતા કદાચ આવા લોકો માટે જ હશે. જો કે હકીકત એ પણ છે કે આવા લોકોને કવિએ અહીં જે કટાક્ષ કર્યો છે એ પણ સમજાય તો સમજાય…
Permalink
May 22, 2021 at 1:50 AM by વિવેક · Filed under અછાંદસ, લૂઈસ ગ્લિક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.
હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.
ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?
પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું
એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.
– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)
૨૦૨૦માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર લૂઈસ ગ્લિકની આ રચના અકિલીઝ અને ટ્રોયના યુદ્ધની સમજૂતિ વિના માણવી અઘરી છે. ટ્રોયના યુદ્ધને હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાનું કામ મેનોલેઅસે આ ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસનો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો.
જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. ગ્લિકના મતે અકિલીઝના હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે.
આ કવિતાનો વિશદ આસ્વાદ માણવા માટે ક્લિક કરો: https://tahuko.com/?p=20313
The Triumph Of Achilles
In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.
Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.
What were the Greek ships on fire
compared to this loss?
In his tent, Achilles
grieved with his whole being
and the gods saw
he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.
– Louise Glück
Permalink
May 20, 2021 at 3:08 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી
-કમલ વોરા
નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.
વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?
સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…
Permalink
April 19, 2021 at 10:07 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી, ડેની એબ્સે, વિશ્વ-કવિતા
રાત્રે, હું જાણતો નથી હોતો હું કોણ છું
જ્યારે સ્વપ્નમાં હોઉં, જ્યારે હું સૂતો હોઉં.
જાગતાં, મારો શ્વાસ થંભાવું છું ને સાંભળી રહું છું;
દીવાલની પાછળની બાજુને ખણે છે એક કઠણ નખ.
મધ્યાહૂને, સૂર્યથી ઝળાંહળાં ઓરડામાં પ્રવેશું છું
વગર કારણે બળતી બત્તીને નીરખવા.
આજ સુધીમાં હું પામી જ ગયો છું કે ભાગ્યે જ કોઈ સ્વરસપ્તકો સાંભળી શકાય છે,
કે વધુ પડતા લાંબા સમય સુધી તાકી રહેવાથી કોઈ ‘દર્શન’ નષ્ટ થાય છે;
કે નોંધાયેલો સમગ્ર ઇતિહાસ ખુદ
મહાન સૂનકારમાં એક એલફેલ ગપસપ સિવાય બીજું કંઈ નથી;
કે એક મૅગ્નેશિયમનો ઝબકારો ઉજાળી નથી શકતો
અદૃશ્યને એક ક્ષણ માટે પણ.
હું રાવફરિયાદ કરતો નથી. હું પ્રારંભ કરું છું દશ્યથી
અને દિગ્મૂઢ થઈ જાઉં છું હું દશ્યથી.
– ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી
ગહન વાતની સરસ કાવ્યાત્મક રજૂઆત !
કાવ્યની ચાવી અંતિમ બે પંક્તિમાં છે. કાવ્યનો ઉઘાડ અને વિસ્તાર દ્વંદ્વ પ્રત્યેની અચરજભરી દ્રષ્ટિથી થાય છે અને મધ્યે કવિ કહે છે કે સમગ્ર ઇતિહાસ અર્થાત માનવજ્ઞાન એ અનંત બ્રહ્માંડના સાપેક્ષે કશું જ નથી. એકાદ પ્રજ્ઞાના ઝબકારે અદ્રષ્ટ ઊજળી શકતું નથી. ગૂઢ઼તત્વની ગૂઢતા ખૂલતી નથી. અંતે કવિ કહે છે કે જીવનની શરૂઆત દ્રષ્ટ-વિશ્વને સમજવાના પ્રયત્નથી થાય છે અને જેમ જેમ સમજણ વિકસિત થતી જાય છે તેમ તેમ આ વિશ્વની ભવ્યતા/ગૂઢ સૌંદર્ય મને દિગ્મૂઢ કરી મૂકે છે…….જે રીતે અર્જુન દિગ્મૂઢ થઈ જાય છે કૃષ્ણના વિશ્વરૂપદર્શનથી !
Permalink
March 26, 2021 at 2:11 AM by વિવેક · Filed under અછાંદસ, ઉષા ઉપાધ્યાય
જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?
– ઉષા ઉપાધ્યાય
નાની અમથી કવિતા પણ નારીવેદનાનો વેદ જાણે!
યુગયુગોથી રુઢ થઈ ગયેલી લાઇલાજ સ્ત્રી-પુરુષ અસમાનતાનો સ્વીકાર તો છે પણ એમાં નફરત કે ગુસ્સો જરાય જોવા મળતા નથી. જમાનાએ સ્ત્રીઓને છિન્નપંખ કરીને રાખી છે. પણ પુરુષોએ એમની પાંખો ભલે કાપી કેમ ન લીધી હોય, એના મૂળમાં બચી ગયેલ એકાદ પીંછાના આધારે સ્ત્રી અનંત અંધકારભર્યા અન્યાયના મહાસાગરને વીંધીને પાર કરવાની આશા ત્યાગતી નથી. આ આશા એ જ સ્ત્રી છે. સર્વસ્વની અનુપસ્થિતિમાં પણ અસ્તિત્ત્વ ટકાવી રાખી શકે અને અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…
Permalink
March 19, 2021 at 1:49 AM by વિવેક · Filed under અછાંદસ, હર્ષદ દવે
પાંદડાં ખેરવવાનું શરૂ કરી દીધું છે વૃક્ષોએ
ગઈકાલે જ પોસ્ટમેન
બે ચાર પત્રો ફેંકી ગયો હતો આંગણામાં એમ જ.
ઋતુઓ સમયની સાથે ચાલે છે
અને પાંદડાઓ ઋતુની પાછળ.
આ પત્રો પણ પાંદડાંની સાથે
લાલ- લીલા -પીળા રંગો ધારણ કરે છે
રંગબેરંગી અક્ષરો ઝાંખા થઈને
ધૂંધળા થતા જાય છે.
શબ્દો ઓગળી જાય છે વહેતા પવનની સાથે.
પવન પણ ક્યાં રહ્યો છે હવે કરકરો !
પાંદડાંની નસેનસને બાઝેલી લીલપ
અક્ષરોની માફક જ ખરતી જાય છે.
હે મિત્ર,
પીળચટું મેદાન બની ગયો છે
આ સ્મરણપટ.
– હર્ષદ દવે
લયસ્તરો પર કવિ શ્રી હર્ષદ દવે અને એમના કાવ્યસંગ્રહ ‘પરિભ્રમણ’ -બંનેનું સહૃદય સ્વાગત છે!
સ્મરણપટ શીર્ષક પરથી સમજાય છે, કે જેને યાદ કરવામાં આવી રહ્યું છે, એ પ્રિયજન હવે સાથે નથી. જીવનમાંથી સંગાથના પાંદડાંઓ સૂકાઈને ખરી જવાની ઘટનાના તાણાવાણા કવિએ પાનખર ઋતુ સાથે આબાદ વણી લીધા છે. ઝાડ પરથી પાંદડાં ખરે એવી જ રીતે ટપાલી થોડા પત્રો ઘરના આંગણામાં એમ જ ફેંકી ગયો હતો. આ પત્રોના પરબીડિયાંના રંગો પાનખરમાં પાંદડાંઓના બદલાતા રંગો સાથે તાલમેલ પૂરાવે છે. પત્રો કોના છે એ કવિ ફોડ પાડીને કહેતા નથી પણ જેનાં સ્મરણ માનસપટ પર આવી રહ્યાં છે, એના જ હોવા જોઈએ કેમકે આખી કવિતામાં પ્રકૃતિ અને પત્ર સમાંતરે જ વહે છે. કાવ્યાંતે જેના માટે સ્મરણપટ પીળું મેદાન બની ગયો છે એ પ્રિયજન મિત્ર હોવાનો કવિ ફોડ પાડે છે. સરવાળે આસ્વાદ્ય અનુભૂતિ કરાવતી રચના.
Permalink
February 24, 2021 at 1:38 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાજેન્દ્ર શુક્લ
હું અશ્રુ થઈને વહી શકું
એવું જળ
તેં આપ્યું જ નહીં
મારાં શુષ્ક સંતપ્ત નેત્રોને !
લાગણીઓના દેશમાં
અમારે શું વર્ષાઋતુ જ નહીં ?
ન તો નેવાં ચૂવે અમારે ઘર,
ન શેરીએ ખળખળે જળ
કે કાગળની હોડી યે તરાવિયેં !
મેં બહુ બહુ કહ્યું,
તો ય મારા શબ્દને
તેં રુક્ષ જ રહેવા દીધો.
છેક છેલ્લે
તેં સ્હેજસાજ આ
ભીંજવી આપ્યું મને મારું મૌન
તે હું ફૂંક મારી મારીને
ફરી સૂકવું છું એને…
– રાજેન્દ્ર શુક્લ
કેવી સુંદર ફરિયાદ !! હકીકતમાં પણ આવું જ હોય છે- કોઈક લાગણીને વહેવા દે, કોઈક માટે એ અસહજ હોય…. છેલ્લા અંતરે કવિ ખીલે છે. ભીનાશ સ્વીકારી નથી શકાતી….રુક્ષતાનું conditioning એટલું ખતરનાક છે….
Permalink
January 26, 2021 at 2:55 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નામદેવ ઢસાળ
जिस रस्ते से आये थे हम
उस रस्ते पर आना नहीं था
थोड़ी दूर चले हम और अँधेरे से मानूस हुये
सुनसान-सी एक हवा थी, सारा शहर बयां करती थी
झूठ के इक माहौल में एक तलाश थी हमको
दर्द की जड़ देखें
कल ही की तो बात है अँधेरे,
सरसराते थे लाखों पत्तों की तरह
और आज तमाम अन्दर का जहां बेदार हुआ
मुद्दत बाद इस कोरी ज़मीं पर
बारिश पड़ने लगी है
जीते रहे जैसे दिन आया
बन्द किया दिन जैसे गया वो!
– નામદેવ ઢસાળ [ મૂળ મરાઠી, અનુ – દિલીપ ચિત્રે ]
અનુભૂતિની વાત કરે છે કવિ…. કાવ્યની ચાવી અંતિમ પંક્તિઓમાં છે. માહોલ સચ્ચાઈનો નથી, દર્દ સ્થાયીભાવસમ છે, તેની જડ જડતી નથી. સમયનું ચક્ર ફરે છે, આખું આંતરવિશ્વ ઝળહળી ઉઠે છે….. – ત્યારે કવિ ઉદગારે છે કે – ” બસ આમ ક્ષણોમાં જીવતા રહ્યા….”
impermanence……choicelessness……
Permalink
January 22, 2021 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, થિઓડોર સી શર્મન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો જે છે એ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો, તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.
– થિઓડોર સી શર્મન
(અનુ. વિવેક મનહર ટેલર)
અભિવ્યક્તિ આપણી અનિવાર્ય આવશ્યકતા છે. ઈન્દ્રિયગમ્ય હોય કે ઇન્દ્રીયાતીત, મનુષ્ય એના અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ પ્રારંભથી કરતો આવ્યો છે. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સુવાંગ આલેખન કરે એવી લિપિ જ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વર-વ્યંજન છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. મનમાં આવતા વિચારો જેવા કાગળ ઉપર ઉતાર્યા નથી કે આપના કાબૂ બહાર ગયા નથી. જે વિચારીને આપણે એને કાગળ પર આલેખ્યા હતા, એ જ વિચારોનો એવો ને એવો અર્થ આપણે પોતે પણ એકવાર લખી લીધા પછી કાઢી શકતા નથી. તો અન્ય તો નહીં જ કાઢી શકે એ વાત સુનિશ્ચિત છે. થિઓડોર સી શર્મન નામના સાવ અજાણ્યા કવિ આ વાત બહુ ઓછા શબ્દોમાં કેવી ધાર કાઢીને કરે છે એ જુઓ!
*
Boring
Written,
this sentence exits my control.
Even I will not make it mean the same thing tomorrow.
You are definitely not making it mean the same thing.
Stop reading my poem, you are ruining it.
I wrote this.
– Theodore C Sherman
Permalink
December 24, 2020 at 12:32 AM by વિવેક · Filed under અછાંદસ, કમલા દાસ - સુરૈયા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…
એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનોથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક
પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય?
– કમલા દાસ
છરી માખણમાં ઊતરી જાય એમ વાંચતાની સાથે સઘળી સંવેદનાઓ ચીરીને છે..ક આપણી ભીતર ઊતરી જાય એવું અદભુત પ્રેમકાવ્ય! સર્વાંગ સમર્પણની ચરમકોટિ અને વિરહની વેદનાની પરાકાષ્ઠાને આ રચના એકસમાન સ્પર્શે છે! વિશેષ કંઈ પણ લખવું એ આ કવિતાનું અવમૂલ્યન કરવા બરાબર છે…
The Maggots
At sunset, on the river ban, Krishna
Loved her for the last time and left…
That night in her husband’s arms, Radha felt
So dead that he asked, What is wrong,
Do you mind my kisses, love? And she said,
No, not at all, but thought, What is
It to the corpse if the maggots nip?
Kamala Das
Permalink
November 13, 2020 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
હું જાણું છું
કે હું ડૂબી રહી છું
હું તરવું પણ જાણું છું
ને છતાંય ડૂબી રહી છું
ગાત્રો કેટલાં શિથિલ છે
ખબર નથી
પણ જાણું છું
કે મારા ડૂબવામાં એમનો હાથ નથી
હા, મારા શ્વાસને મેં બાંધીને રાખ્યા છે
ક્યાંક ડહોળાય પાણી ને ફેલાય લહેરો
તો હું અનાયાસ વહેવા ના માંડું
એટલે કરીને
એક નિસાસો સુધ્ધાં નથી નાખ્યો.
પણ એમ કહેવું કે
હું ડુબાડી રહી છું જાતને
એ પણ ખરું નથી.
ડુબાડવું અને ડૂબવા દેવું
એ બેની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને
જો હું સરકી જાઉં
કોઈ છીપના પાણીપોચા અંધારમાં
તો કદાચ ખીલું થઈ મોતી કાલે
કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
એવા કોઈ સપનાંના ભાર તળે
હું ડૂબી રહી છું.
– પ્રતિષ્ઠા પંડ્યા
કાવ્યાંતે થોડી ચોટ આપે એવી ચાટુક્તિઓને અછાંદસમાં ખપાવી દેવાનો વેપલો આપણી ભાષામાં થોકબંધ ફાલી નીકળ્યો છે, એવામાં આવું વિશુદ્ધ કાવ્ય હાથ આવે ત્યારે એમાં ઠે…ઠ અંદર ડૂબી જવાનું મન થાય. કવિતા પણ ડૂબવા વિશેની જ છે. પરંતુ કવયિત્રી બહુ સ્પષ્ટ છે, ડુબાડવું અને ડૂબવા દેવા વચ્ચેના તફાવત બાબતમાં. જાત કે જમાના સાથે વાંધો પડે અને આત્મહત્યા કરવા પાણીમાં ઝંપલાવવું અલગ બાબત છે અને અકારણ જાતને ડૂબવા દેવું આ બે વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એ પાણીમાં ઊંડે ગરકાવ થવા ચહે છે. વળી, એવું નથી કે તરતાં નથી આવડતું અને એવુંય નથી કે ગાત્રો ઢીલાં પડી ગયાં હોવાથી તરવાની શક્તિ જ બચી નથી. કોઈ પણ પ્રકારનો થાક કે મજબૂરીનો આ ડૂબવાની ઘટના પાછળ કોઈ હાથ નથી. ભીષ્મનું ઇચ્છામૃત્યુ પણ આ તબક્કે સાંભરે. ડૂબવાનો નિર્ણય એટલો તો અફર છે કે કવયિત્રીએ પોતાના શ્વાસોને પણ મક્કમ ઇરાદાઓથી બાંધી રાખ્યા છે, ક્યાંક એકાદો શ્વાસ કે નિસાસો નંખાઈ જાય અને પાણી ડહોળાતાં લહેરો ઊઠે અને ડૂબતું શરીર તરવા ન માંડે! અને આ ડૂબવા પાછળનો હેતુ? તો કે, છીપના અંધારામાં મોતી થઈ ખીલી ઊઠવાનો! પણ આ મોતી માત્ર કોઈ મહેનતકશ મરજીવા માટે જ છે! મહેનત કરીને હથેળી બરછટ થઈ હોય અને સાગરના પેટાળ સુધી ઊતરવાની તૈયારી હોય એના હાથમાં જ આ અંધારું મોતી થઈને પ્રકાશનાર છે.
અને અહીં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે પોતાના ભીતરમાં ઊંડે સુધી ડૂબકી મારવાની જહેમત ઊઠાવવા તૈયાર હોય એવા કોઈ મનના માણીગરના હાથમાં જ પોતાની જાતનું મોતી ભેટ ધરવાનું નાયિકાનું જે સપનું છે, આ ડૂબવાની ઘટના એ સપનાનાં ભાર તળે ઘટી રહી છે!
Permalink
October 24, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લિઓનારા સ્પાયર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તારા પ્યારા મૃત હૃદય ઉપરથી હું
એક ડાળી જેટલી જ લાપરવાહીથી ઊઠીશ,
એમ કહેતી, “અહીં સૂતું છે નિષ્ઠુર ગીત,
હવે નિષ્ઠુરતાપૂર્વક શાંત થઈને.’’
હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠાબોલી તલવાર,
હજી પણ મારી સચ્ચાઈથી નીંગળતી;
અહીં સૂતું છે મેં ગૂંથીને સીવેલું મ્યાન,
મારા યૌવનના ભરતજડ્યું.’’
હું ગાઈશ, “અહીં સૂએ છે, અહીં સૂએ છે, અહીં સૂએ છે-“
રે, નીચે શાંતિથી કટાજે!
જનારાઓને મારા શબ્દોથી આશ્ચર્ય થશે,
પણ તારી મેલી માટી તો જાણી જશે.
– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્ત્રી પ્રેમ કરે તો દિલ ફાડીને પણ નફરત કરે તો દુનિયા હચમચી જાય એવી. નાયિકાના અસીમ અફાટ પ્રેમનો બદલો બેવફાઈ કે ત્યાગથી કે અવગણનાથી ચૂકવનારો હવે જમીનની નીચે કબરમાં સૂતો છે ત્યારે નાયિકા કહે છે કે હું જ તારો સમાધિલેખ બનીશ. કબર ઉપર કોઈ ડાળ જે રીતે બેપરવાહીથી ઊંચી ઊઠે એમ નાયિકા મૃતક પ્રેમીના હજીયે પ્યારા પણ મૃત હૃદય પરથી ઊઠનાર છે. સીધો સંદેશો છે કે તારા પ્રેમમાં કે તારા મરણના શોકમાં ગરકાવ રહી હું હવે પતન વહોરનાર નથી, પણ લાપરવાહીથી ઉન્નતમાર્ગે વધીશ. મરનાર એની જિંદગીનું ગીત હતું. ક્રૂર હતું પણ એનું પોતાનું ગીત હતું અને અકાળે મૃત્યુ પામીને, નાયિકાને એકલી મૂકી ચાલ્યા જઈને એણે એવો જ નિષ્ઠુર બીજો ઘા કર્યો છે. Penis (શિશ્ન) અને Vagina (યોનિ)ના એક અર્થ અનુક્રમે તલવાર અને મ્યાન પણ થાય છે. આ અર્થચ્છાયા પણ કવયિત્રીને અભિપ્રેત જણાય છે. નાયિકાના સાચા પ્રેમથી હજીયે નીંગળી રહેલી જૂઠી તલવાર જેવો પ્રેમી પોતાના યૌવનથી જેને ગૂંથ્યું હતું એ મ્યાનસહિત જમીનની નીચે સૂતો છે. જૂઠાબોલી તલવારને શાંતિથી કટાવા માટે પોતે છોડી દીધી હોવાથી દુનિયાને તો આશ્ચર્ય થશે જ પણ નાયિકાને એની ચિંતા નથી. એ જાણે છે કે મરનાર પોતાની કાળી કરતૂતોથી નાવાકિફ નથી.
I’ll be your Epitaph – Leonora Speyer
Over your dear dead heart I’ll lift
As blithely as a bough,
Saying, “Here lies the cruel song,
Cruelly quiet now.”
I’ll say, “Here lies the lying sword,
Still dripping with my truth;
Here lies the woven sheath I made,
Embroidered with my youth.”
I’ll sing, “Here lies, here lies, here lies-”
Ah, rust in peace below!
Passers will wonder at my words,
But your dark dust will know.
– Leonora Speyer
Permalink
October 6, 2020 at 2:18 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રિયકાંત મણિયાર
વ્હેલી પરોઢથી મચ્યો આષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટેન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલા પલળેલા પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજી પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે ?
ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુંવાટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શુંયે વિમાસણ-
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?
– પ્રિયકાન્ત મણિયાર
શબ્દચિત્ર છે – આ કવિની આ કાવ્યપ્રકારમાં અજબ હથોટી છે ! અંતિમ ચરણમાં અશ્વની મનોવ્યથા એક ઝાટકો આપી જાય છે અને કાવ્ય વિરમે છે… સ્વ. જગદીશભાઈ સ્માર્ત હમેશા કહેતા કે કાવ્ય અને ચિત્ર જુદા નથી હોતા….અહીં આપણે આ કાવ્ય ઉપરથી ચિત્ર હૂબહૂ કલ્પી શકીએ છીએ !!
Permalink
September 17, 2020 at 2:02 AM by વિવેક · Filed under અછાંદસ, કમલા દાસ - સુરૈયા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.
– કમલા દાસ
માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખ અને પાંખ પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. કમલા દાસની આ ટૂંકી ટચરક કવિતા આમ તો કૃષ્ણપ્રેમની છે, પણ એ માત્ર કૃષ્ણ પૂરતી સીમિત નથી… વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે…
Krishna
Your body is my prison, Krishna,
I cannot see beyond it.
Your darkness blinds me,
Your love words shut out the wise world’s din.
– Kamala Das
Permalink
September 12, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એન્જેલો ગેટર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
વાઇરસ જ્યારે આવશે,
ટેલિવિઝનના પડદા પરના બોલકણાં માથાંઓ
તમને કહેશે કે જહાજનો ત્યાગી દો.
એકલતાના દરિયામાં તમારી જાતને ડૂબાડી દો.
ઘરોને લાઇઝોલ વાઇપ્સ અને હેન્ડ સેનિટાઇઝર્સમાં ગરકાવ કરી દો.
શરીરને ફેસ માસ્ક અને હાથમોજાંથી એ રીતે ઢાંકી લો
જ્યાં સુધી એ તમારી બીજી પ્રકૃતિ ન બની જાય.
એ લોકો તમને કહેશે કે તમારા રસોડાને પેનિક રૂમમાં તબદીલ કરો,
ભોંયરાને અણુવિસ્ફોટ સમયના આશ્રયસ્થાનમાં.
સૂચના આપશે કે તમે જે કંઈ પણ એકઠું કરી શકો છો,
હાથવગું કરી લો.
તેઓ કહેશે કે દુકાનો ખાલી થઈ ગઈ છે,
અને ખ્યાલ સુદ્ધાં નથી કે તેઓ તમારા વિશે પણ વાત કરી રહ્યા છે.
તેઓ ક્વૉરન્ટીનના ધર્મસૂત્રોમાંથી ઉપદેશ આપશે.
નીતિકથાઓના બરાડા નાંખશે:
“તમારે તમારા હાથ ધોવા જોઈએ.”
“ભગવાન દુનિયાને એટલો બધો પ્રેમ કરતા હતા
કે જે લોકોને એ બચાવવા ઇચ્છતા હતા
એમનાથી જ એણે સૉશ્યલ ડિસ્ટન્સ રાખ્યું.”
આ વાત તમને અચંબિત કરી દેશે કે કઈ રીતે કોઈ નાયક
કે કોઈ સરકાર
કોઈ એવી વ્યક્તિને બચાવી શકે છે, જેને તેઓ સ્પર્શી પણ નથી શકતાં.
જ્યારે વાઇરસ આવશે,
તમે તમારા પ્રિયજનને એવી રીતે ચૂમશો જાણે કે એ છેલ્લી વાર ન હોય,
કારણ કે કદાચ એમ જ હશે.
તમે ટાઇમલાઇન પર એવી રીતે નાચશો
જાણે પગનાં પંજા તળે દાયકાઓ ચોંટી ન ગયા હોય.
ગાવ જાણે ગાયકો ગળામાં ન ફસાઈ ગયા હોય.
હસો એમ જાણે આનંદ કેવો હોય એ તમે આખરી વાર ન અનુભવતા હોવ,
કારણ કે કદાચ એમ જ હશે.
અને આજ પૂરતું આટલું બસ.
– એન્જેલો ગેટર
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
કોરોના મહામારીએ આખી દુનિયાને છેલ્લા આઠેક મહિનાથી નાગચૂડમાં એવું જકડી છે કે સૌની જિંદગીમાં સ્વપ્નેય વિચાર્યા નહીં હોય એવા આમૂલ ફેરફાર આવી ગયા. પ્રસ્તુત રચના ખાસ્સી મુખર હોવા છતાંય એમાં કંઈક એવું તત્ત્વ છે, જે આપણી છે…ક ભીતર સ્પર્શ્યા વિના રહેતું નથી. પોતાની જાતને બચાવવા માટેની ગાઇડલાઇન્સને અનુસરતાં અનુસરતાં આપણે સહુ અંદરથી કદાચ સાવ જ ખાલીખમ થઈ ગયાં છીએ. આવતીકાલે આપણે ‘હોઈશું કે કેમ’ની સરાબોળ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કાવ્યમાંથી ઊઠતો આજમાં જીવી લેવા -Carpe Diem- નો સંદેશ ચૂકવા જેવો નથી.
*
When the Virus Comes
When the virus comes,
Talking heads on television screens
will tell you to abandon ship.
To drown yourself in a sea of isolation.
Submerge homes in lysol wipes and hand sanitizer.
Engulf body in face mask and plastic glove
until it becomes second nature.
They will tell you to turn your kitchen into a panic room,
basement into fallout shelter.
Instruct you to grab everything you can,
while you still can.
They will say
the shelves at the stores are empty,
and not realize they are also talking about you.
They will preach from the gospel of quarantine.
Shout parables of
“Thou Shalt wash thine hands.”
“For God so loved the world
he socially distanced himself
from the very people he wanted to save.”
It will make you wonder how a hero
or a government
Can rescue someone they can’t even touch.
When the virus comes,
you will kiss your lover like it’s the last time,
because maybe it is.
You will dance on timelines
like decades are stuck on the balls of your feet.
Sing like a quartet is trapped in your throat.
Laugh like this is the last time you know what joy feels like,
because maybe it is.
And today that will be more than enough.
– Angelo Geter
Permalink
August 20, 2020 at 1:11 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.
– સુરેશ દલાલ
ટેલિફોન દ્વારા અવાજના તાંતણે જોડાયેલ બે સ્નેહીજનોનું ચિત્ર કવિ રજૂ કરે છે. એક વ્યક્તિની તરસ અને બીજાના કમળપત્રભાવ વચ્ચે પણ બે જણ વચ્ચેનો સ્નેહ અછતો રહેતો નથી. સ્ટિવન બ્લેક હોર્ટન નામના એક કવિ જણને જોડતા આ સગપણને ‘અવર ઇલેક્ટ્રિક બ્રધરહુડ’ કહીને ઓળખાવે છે. સાચી વાત છે. ટેલિફોન એ એકબીજાને જોઈ ન શકતી (આજના સ્માર્ટફોનના વિડિયોકૉલની આ વાત નથી!) કે એકબીજાને મળી ન શકતી બે વ્યક્તિઓને અવાજની દોરીથી બાંધી આપે છે. ટેલિફોન કલમ-કાગળથી પરે અવાજની નોટબુકમાં લખાતી લાગણીની કવિતા છે. એ બે વ્યક્તિ વચ્ચે સંવેદનાનો સેતુ રચી આપે છે.
જીભના સ્થાને કાનને અવાજનો શોષ પડવાની અને કાનના સ્થાને જીભને નામ સાંભળવાની ઝંખના થવાની વાત કેવી અદભુત છે! સાચે જ, આ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિઓનું જાદુ પણ ગજબ હોય છે. નજરની સામે નિચોવાઈ રહેલા લીંબુના ટીપાં આપણા મોઢામાં પડતાં નથી, પણ એને નિચોવાતું જોઈએ એ ઘડીએ દૃષ્ટિ નામની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય સાથે કોણ જણે શી ગુસપુસ કરે છે તે આપણા મોઢામાં લાળ છૂટવી શરૂ થાય છે. પંચેન્દ્રિયોની આ અવિનાભાવી સંપૃક્તતા કવિએ ટેલિફોનની મદદથી કેવી સ-રસ રીતે આલેખી છે!
Permalink
August 8, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જેસિકા ડિ કોનિન્ક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.
– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)
પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને વાંચતાં-સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. બાકી, જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે. વાણી અને ભાષાના વિકાસની જોડે જ પ્રકૃતિથી આપણાં અળગાપણાંની શરૂઆત થઈ ગઈ. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી. પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે?
આ કાવ્યના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18905
*
After Babel
There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand
– Jessica de Koninck
Permalink
July 18, 2020 at 1:33 AM by વિવેક · Filed under અછાંદસ, દીક્ષા, વિશ્વ-કવિતા
અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.
ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.
– દીક્ષા
આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…
એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.
છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…
*
It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.
I felt, heard, saw nothing after that.
– Deeksha
Permalink
July 14, 2020 at 2:38 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, વિશ્વ-કવિતા
Enlightenment is like the moon reflected on the water.
The moon does not get wet, nor is the water broken.
Although its light is wide and great,
The moon is reflected even in a puddle an inch wide.
The whole moon and the entire sky
Are reflected in one dewdrop on the grass.
– Dogen
ભાષા સરળ છે તેથી અનુવાદ કરતો નથી. સરળ ભાવાર્થ એ કે હું જો થોડો પણ શુદ્ધ હોઈશ તો મારા થકી ચૈતન્ય અભિવ્યક્ત થશે, પ્રતિબિંબિત થશે…-ભલેને હું અલ્પ હોઉં,અગણ્ય હોઉં….. અશુદ્ધિની માત્રા વિપુલ હશે તો હું કશું જ પ્રતિબિંબિત નહિ કરી શકું. મારી અલ્પતા ચૈતન્યની ભવ્યતાને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરવામાં બાધારૂપ નથી.
Permalink
July 3, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.
ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.
પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.
હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી
ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…
૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.
સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?
તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.
ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.
જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.
૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.
બોલ તારો શું વિચાર છે ?
તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?
તું હા ભણે એક જ વાર તો હું..
– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)
[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]
નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…
કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!
છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…
અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.
Permalink
July 2, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.
તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.
૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.
આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ
શરદ પૂનમ સુધી
૩.
અથવા તો, રહો,
. છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી
દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
. આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,
એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?
બોલો.
– સિતાંશુ યશશ્ચંદ્ર
‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?
વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?
પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.
Permalink
July 1, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….
વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….
-જગદીશ જોષી
અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’
Permalink
June 23, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
– મનીષા જોષી
જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.
Permalink
June 13, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નેઓમી શિહાબ નાયે, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
આરબ લોકો કહેતાં કે
જ્યારે કોઈ અજાણ્યો તમારા દ્વારે આવે,
એ કોણ છે,
એ ક્યાંથી આવ્યો છે,
એ ક્યાં જવાનો છે એની પડપૂછ કરતાં પહેલાં
ત્રણ દિવસ સુધી એની સરભરા કરો.
એમ કરવાથી, એનામાં જવાબ આપવા પૂરતી
તાકાત આવશે.
અથવા, ત્યાં સુધીમાં તમે
એટલા સારા મિત્રો બની જશો કે
તમને પરવા નહીં હોય એ વાતની.
ચાલો, પાછાં મૂળ વાત તરફ.
ભાત? બદામ?
આ લો, લાલ જરીભરતવાળો તકિયો.
મારો દીકરો તમારા ઘોડાને
પાણી પાશે.
ના, હું કંઈ વ્યસ્ત નહોતો તમે આવ્યા ત્યારે!
હું વ્યસ્ત થઈ જવાની તૈયારીમાં પણ નહોતો.
આ એ બખ્તર છે, જે દરેક જણ
એવો દેખાડો કરવા પહેરે છે કે આ દુનિયામાં
તેઓ કોઈક હેતુસર છે.
હું આ પ્રકારના દાવાઓથી પરે છું.
તમારી થાળી રાહ જોઈ રહી છે.
આપણે તાજો ફૂદીનો નાંખીશું
તમારી ચામાં.
– નેઓમી શિહાબ નાયે
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
દરેક સંસ્કૃતિ કોઈક સમજ સાથે વિકસતી હોય છે. સેંકડો લોકોના દાયકાઓના અનુભવો ક્રમશઃ રિવાજ બનતાં હોય છે. આરબ સંસ્કૃતિમાં મહેમાન આવે ત્યારે કશુંય પૂછ્યા વિના એની આગતાસ્વાગતા કરવાનો રિવાજ છે. એને પકડીને પેલેસ્ટાઇન મૂળનાં અમેરિકન કવયિત્રી આગળ વધે છે, અને અતિથિ આવી ચડે ત્યારે વ્યસ્ત ન હોવા છતાં વ્યસ્ત હોવાનો દેખાડો કરી અવગણના કરવાની આજના સમાજની મનોવૃત્તિનું ધારદાર ચિત્રણ કરે છે. જ્ઞાન વધતું ગયું એમ એમ આપણી સમજણ ઘટતી ગઈ…
આરબ સભ્યતા અને अतिथि देवो भवःની આપણી સભ્યતા વચ્ચેની આ સમાનતા આપણને ચકિત કરે એવી નથી? દુલા ભાયા કાગ પણ તરત યાદ આવે:
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો ? એમ નવ કે’જે રે
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે.
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે.
*
Red Brocade
The Arabs used to say,
When a stranger appears at your door,
feed him for three days
before asking who he is,
where he’s come from,
where he’s headed.
That way, he’ll have strength
enough to answer.
Or, by then you’ll be
such good friends
you don’t care.
Let’s go back to that.
Rice? Pine nuts?
Here, take the red brocade pillow.
My child will serve water
to your horse.
No, I was not busy when you came!
I was not preparing to be busy.
That’s the armor everyone put on
to pretend they had a purpose
in the world.
I refuse to be claimed.
Your plate is waiting.
We will snip fresh mint
into your tea.
– Naomi Shihab Nye
Permalink
June 6, 2020 at 1:30 AM by વિવેક · Filed under અછાંદસ, અંજલી બસુમતારી, વિશ્વ-કવિતા, સિતાંશુ યશશ્ચંદ્ર
એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.
અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.
બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…
એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?
એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.
મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!
મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…
જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.
જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..
છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી
અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…
તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?
મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?
નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)
– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)
કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…
લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.
ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…
લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…
Permalink
May 29, 2020 at 2:35 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું
– કમલ વોરા
‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.
એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…
Permalink
Page 3 of 19« First«...234...»Last »