ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષદ દવે

હર્ષદ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્મરણપટ – હર્ષદ દવે

પાંદડાં ખેરવવાનું શરૂ કરી દીધું છે વૃક્ષોએ
ગઈકાલે જ પોસ્ટમેન
બે ચાર પત્રો ફેંકી ગયો હતો આંગણામાં એમ જ.
ઋતુઓ સમયની સાથે ચાલે છે
અને પાંદડાઓ ઋતુની પાછળ.
આ પત્રો પણ પાંદડાંની સાથે
લાલ- લીલા -પીળા રંગો ધારણ કરે છે
રંગબેરંગી અક્ષરો ઝાંખા થઈને
ધૂંધળા થતા જાય છે.
શબ્દો ઓગળી જાય છે વહેતા પવનની સાથે.
પવન પણ ક્યાં રહ્યો છે હવે કરકરો !
પાંદડાંની નસેનસને બાઝેલી લીલપ
અક્ષરોની માફક જ ખરતી જાય છે.
હે મિત્ર,
પીળચટું મેદાન બની ગયો છે
આ સ્મરણપટ.

– હર્ષદ દવે

લયસ્તરો પર કવિ શ્રી હર્ષદ દવે અને એમના કાવ્યસંગ્રહ ‘પરિભ્રમણ’ -બંનેનું સહૃદય સ્વાગત છે!

સ્મરણપટ શીર્ષક પરથી સમજાય છે, કે જેને યાદ કરવામાં આવી રહ્યું છે, એ પ્રિયજન હવે સાથે નથી. જીવનમાંથી સંગાથના પાંદડાંઓ સૂકાઈને ખરી જવાની ઘટનાના તાણાવાણા કવિએ પાનખર ઋતુ સાથે આબાદ વણી લીધા છે. ઝાડ પરથી પાંદડાં ખરે એવી જ રીતે ટપાલી થોડા પત્રો ઘરના આંગણામાં એમ જ ફેંકી ગયો હતો. આ પત્રોના પરબીડિયાંના રંગો પાનખરમાં પાંદડાંઓના બદલાતા રંગો સાથે તાલમેલ પૂરાવે છે. પત્રો કોના છે એ કવિ ફોડ પાડીને કહેતા નથી પણ જેનાં સ્મરણ માનસપટ પર આવી રહ્યાં છે, એના જ હોવા જોઈએ કેમકે આખી કવિતામાં પ્રકૃતિ અને પત્ર સમાંતરે જ વહે છે. કાવ્યાંતે જેના માટે સ્મરણપટ પીળું મેદાન બની ગયો છે એ પ્રિયજન મિત્ર હોવાનો કવિ ફોડ પાડે છે. સરવાળે આસ્વાદ્ય અનુભૂતિ કરાવતી રચના.

Comments (6)