મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે 'શૂન્ય'નો વૈભવ હવે !
'શૂન્ય' પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

Comments (3)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

પરસેવો – ગૌરાંગ ઠાકર

ક્યાંક સિદ્ધિમાં ન્હાય પરસેવો
ક્યાંક જળમાં તણાય પરસેવો

કામમાં આવી જાય પરસેવો
નવરા હો તોય થાય પરસેવો

દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો

ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?

ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?

આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?

આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો

– ગૌરાંગ ઠાકર

પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.

Comments (9)

(રહેવા દે) – ગૌરાંગ ઠાકર

ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.

જાય છે તો બધું જ લઇ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.

ઢાંક ચહેરો, ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ, રહેવા દે.

કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.

તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.

આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. છેલ્લો શેર તો દરેક સર્જકે પોતાના ડેસ્ક પર ચોવીસ કલાક નજર સામે જ રાખવા જેવો…

Comments (6)

(બેઉનો વરસાદ) – ગૌરાંગ ઠાકર

બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.

કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.

વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.

આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.

વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .

ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.

સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.

Comments (4)

એટલું નક્કી કરો – ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

– ગૌરાંગ ઠાકર

Comments (10)

આત્મષટક – આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)

मनौबुद्धिय् अंहकार चितानि नहम
न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र
न च व्योम भुमिर न तेजो न वायु
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the mind, nor the intellect, nor the ego, nor the mind-stuff;
I am neither the body, nor the changes of the body;
I am neither the senses of hearing, taste, smell, or sight,
Nor am I the ether, the earth, the fire, the air;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

નથી હું અહંકાર મન બુધ્ધિ કે ચિત્ત
નથી કાન હું જીભ કે નાક આંખો
નથી વ્યોમ ભૂમિ અગન કે પવન હું
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न च प्राणसञ्ज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातुर्न वा पञ्चकोशः
न वाक्पाणिपादौ न चोपस्थपायू
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the Prâna, nor the five vital airs;
I am neither the materials of the body, nor the five sheaths;
Neither am I the organs of action, nor object of the senses;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન હું પ્રાણ કે ના હું છું પાંચ વાયુ
ન હું સાત ધાતુ ન હું પાંચ કોષો
ન વાણી, ગુદા, હાથ,પગ નહિ કે જનનાંગ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither aversion nor attachment, neither greed nor delusion;
Neither egotism nor envy, neither Dharma nor Moksha;
I am neither desire nor objects of desire;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને દ્વેષ કે રાગ નહિ લોભ કે મોહ
અને હું અભિમાન, ઇર્ષા વગરનો
ન મારે ધરમ, અર્થ નહિ કામ કે મોક્ષ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither sin nor virtue, neither pleasure nor pain;
Nor temple nor worship, nor pilgrimage nor scriptures,
Neither the act of enjoying, the enjoyable nor the enjoyer;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને સુખ અને દુખ નથી પુણ્ય કે પાપ
ન મારે તીરથ, મંત્ર, વેદો કે યજ્ઞો
હું ભોજન નહીં અન્ન કે ક્યાં છું ભોક્તા
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे मृत्युशंका न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither death nor fear of death, nor caste;
Nor was I ever born, nor had I parents, friends, and relations;
I have neither Guru, nor disciple;I am Existence Absolute,
Knowledge Absolute, Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને મૃત્યુનો ભય નથી જાતિનો ભેદ
અહીંયા ન મારે પિતા માત કે જન્મ
ન મારે અહીં ભાઇ, ગુરુ,શિષ્ય કે મિત્ર
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

अहं निर्विकल्पो निराकाररूपो
विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am untouched by the senses, I am neither Muktinor knowable;
I am without form, without limit, beyond space, beyond time;
I am in everything; I am the basis of the universe; everywhere am I.
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન સંકલ્પ મારે ને હું છું નિરાકાર
બધી ઇન્દ્રિયોમાં અને હું બધે છું
હું સમભાવ છું મારે નહિ મુક્તિ બંધન
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

– આદિ શંકરાચાર્ય
(અંગ્રેજી અનુવાદ- સ્વામી વિવેકાનંદ)
(ગુજરાતી પદ્યાનુવાદ – ગૌરાંગ ઠાકર)

આદિ શંકરાચાર્યના અમર આત્મષટક અથવા નિર્વાણષટકના છ શ્લોકનો ગૌરાંગ ઠાકરે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે જે કાબિલે-દાદ છે. સાછંદ પદ્યાનુવાદ એવો તો સરળ, સહજ અને સર્વાંગસંપૂર્ણ થયો છે કે એવું જ લાગે જાણે શંકરાચાર્યે જાતે ગુજરાતી ભાષામાં જ આત્મષટક લખ્યું ન હોય!

રસિકજનો માટે ખાસ vintage value ધરાવતો સ્વામી વિવેકાનંદે કરેલો અંગ્રેજી ભાવાનુવાદ પણ અહીં રજૂ કર્યો છે.

Comments (9)

એવું નથી – ગૌરાંગ ઠાકર

બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.

પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.

જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.

તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.

– ગૌરાંગ ઠાકર

Comments (14)

(આવ જા કરે) – ગૌરાંગ ઠાકર

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.

આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

– ગૌરાંગ ઠાકર

સાદ્યંત સુંદર રચના… મત્લામાં કવિનો ખરો મિજાજ પકડાય છે.

Comments (12)

(રાઘવ કામમાં આવ્યો) – ગૌરાંગ ઠાકર

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

મને ત્યારે જ લાગ્યું દોસ્ત, રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવને માનવ કામમાં આવ્યો.

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરના ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

અમે આદમના વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,
જગત માણી લીધું મિત્રો, પરાભવ કામમાં આવ્યો.

– ગૌરાંગ ઠાકર

દરેકેદરેક શેર ધ્યાન ખેંચે એવા મજબૂત. રસ્તાની પુનરુક્તિવાળો શેર ભાષાપ્રયોગની વિશિષ્ટતાના કારણે ખાસ થયો છે. અને સફરજન ખાવાની સજારૂપે પૃથ્વીનો વસવાટ ભોગવવાનો થયો એ વાતને કવિ જે સકારાત્મક્તાથી રજૂ કરે છે એ તો અદભુત છે.

Comments (6)

(સરહદ વટાવીને) – ગૌરાંગ ઠાકર

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.

ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .

– ગૌરાંગ ઠાકર

વિચારની દીવાલ ઓળંગવાના પ્રયત્નો આદિકાળથી મનુષ્ય કરતો આવ્યો છે. ધ્યાન ધરવાની બહુ જાણીતી પદ્ધતિ પોતાની જાતને વિચારોથી વેગળી કરવાની, પોતાના જ વિચારોને બાહ્ય પદાર્થ તરીકે સાક્ષીભાવે જોતાં શીખવાનું અને એમ નિર્વિચાર થવું એ છે. વિચારોને વમળમાં ડૂબાડી દઈ શકીએ તો જાત આ ભવસાગર તરી જાય.  આમ તો બધા જ શેર ધ્યાનાર્હ થયા છે પણ પ્રિયજનના ઘરના રસ્તેથી અનહદમાં પ્રવેશવાની કેફિયત ખૂબ ઊંડી વાત લઈને આવે છે. હદ વટાવ્યા વિના પ્રેમ થતો નથી. બધી જ સરહદ વટાવી દઈને જ્યારે તમે તમારું અસ્તિત્વ સામી વ્યક્તિમાં ઓગાળી દો છો, સામી વ્યક્તિમાં પ્રવેશો છો ત્યારે અનહદની પ્રાપ્તિ થાય છે.

 

Comments (6)

તું તો માળી છે – ગૌરાંગ ઠાકર

જળનો જળમાં અભિનય થોડો છે,
પણ બરફને પરિચય થોડો છે ?

એ જો આવે તો પછી જાય નહીં,
દોસ્ત, ખાલીપો સમય થોડો છે ?

કેમ હાંફે છે ? તું તો માળી છે,
પાનખર છે આ, પ્રલય થોડો છે ?

તમને કઈ રીતે પ્રણય સમજાવું ?
શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ?

હું કરું ને કહું તેં જ કર્યું,
આ વિનય… ઓછો વિનય થોડો છે ?

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. ખાલીપાવાળો શેર જોરદાર પણ વિનયવાળો શેર? વાહ, કવિ વાહ !!!

Comments (6)

ગઝલ – ગૌરાંગ ઠાકર

મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.

ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.

ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.

આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.

બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.

તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.

આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે

– ગૌરાંગ ઠાકર

સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…

Comments (9)

વેશપલટો – ગૌરાંગ ઠાકર

મેં તમને જ ઓઢી કર્યો વેશપલટો,
તો ભીતરમાં પણ થઈ ગયો વેશપલટો.

સમયસર ફગાવે શક્યો ના હું તેથી,
ત્વચા સાથે કેવો મળ્યો વેશપલટો ?

મને ઊંઘતો જોઈ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો.

જવલ્લે જ જોવા મળે પારદર્શક,
બરફરૂપે જળને જડ્યો વેશપલટો.

અસલ તો ઊડ્યું… આખરી શ્વાસ સાથે,
પછી શેષમાં બસ રહ્યો વેશપલટો.

– ગૌરાંગ ઠાકર

જાગવાનો સંદર્ભ વેશપલટાના પરિપ્રેક્ષ્યમાં કેવો અદભુત રીતે ખોલી આપે છે !

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.

મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?

મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.

બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.

ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.

– ગૌરાંગ ઠાકર

પાંચ શેર. પાંચે-પાંચ ઉત્તમ. જીર્ણોદ્ધારવાળો શેર સહેજ ખોલી શકાય તો શ્રેષ્ઠ છે. ‘ગૂગલ’ શબ્દ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે તો આપણી કવિતામાં ક્યારનો આવી ગયો પણ કવિ ગૂગલનું ‘ગૂગલતા’ કરીને શબ્દને કદાચ પહેલવહેલીવાર ગુજરાતીતા બક્ષે છે. એક નજર છેલ્લા શેર પર પણ. ગઝલના આખરી શેરમાં કવિ પોતાનું નામ અથવા તખલ્લુસ લખે તો એને મક્તા કહે છે. ગઝલના આખરી શેરમાં પોતાનું નામ લખવાનો મોહ ત્યાગી ન શકનાર કવિને ત્યાગની વાતો કરવા પર કવિ કેવી અદ્દલ હુરતી મિજાજમાં ચીમકી આપે છે !

Comments (16)

વગર ! – ગૌરાંગ ઠાકર

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !

એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !

પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !

વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

– ગૌરાંગ ઠાકર

Comments (9)

ગઝલ – ગૌરાંગ ઠાકર

સમેટું મને કે બધે વિસ્તરું?
તને પામવા તું કહે તે કરું.

આ પાણીમાં ડૂબી ગયો છે પવન,
કહો, સૂર્યકિરણોથી જળ ખોતરું?

હો કીર્તિ તમારી કે હો આબરૂ,
હવાના હમાલો કરે તે ખરું.

દીવાલોની દાદાગીરી બહુ વધી,
ગયું જ્યારથી ઘર મૂકી છાપરું.

બગીચાના માળીની ગઈ નોકરી,
હવે પાનખરને નહીં છાવરું.

હું વરસાદનો કોઈ છાંટો નથી,
તું છત્રીમાં હો.. તે છતાં છેતરું.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ.. બધા જ શેર ગમી જાય એવા… સરળ ભાષા અને સહજ કલ્પનોની મદદથી ઉપસી આવતાં અનૂઠા શબ્દચિત્રો… આખરી શેર તો વાહ વાહ વાહ કરાવી જાય એવો છે…

Comments (9)

ગઝલ – ગૌરાંગ ઠાકર

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.

– ગૌરાંગ ઠાકર

કવિ હોય અને ઉદાસી સાથે નાતો ન રાખે એ કેમ ચાલે? પણ ગૌરાંગ ઠાકરને રોજેરોજની ઉદાસી પસંદ નથી. પણ સાથે જ અરીસામાં – અથવા જાતમાં- જોઈને રોજ ઠાલું મલકાવાની કોઠે પડી ગયેલી મજાક પણ એટલી જ કનડે છે… જીવનના બે અંતિમોની વચ્ચે ફંગોળાતા રહેવું એ જ તો -કવિની- નિયતિ છે… ખરું ને?

Comments (22)

હોય છે – ગૌરાંગ ઠાકર

જેનું હૈયું શબ્દદાની હોય છે,
એની નોખી કાવ્યબાની હોય છે.

પ્રેમમાં જે સાવધાની હોય છે,
એ જ ચાહતની નિશાની હોય છે.

ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે.

રૂપથી ફરિયાદ પણ ના થાય કે
આયનાની છેડખાની હોય છે.

તારે તો વંટોળિયાની વારતા
ઝાડ માટે જાનહાનિ હોય છે.

જે ઘડી હું મારી સાથે હોઉં છું,
ત્યારે સન્નાટો રુહાની હોય છે.

જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.

– ગૌરાંગ ઠાકર

કેટલાક કવિઓ ગુજરાતી ગઝલમાં પોતાનો આગવો અવાજ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. નીચે નામ ન લખ્યું હોય તો પણ ગઝલ વાંચીએ અને તરત સમજાઈ જાય કે આ ગઝલ તો આ કવિની. ગૌરાંગ ઠાકરની બાની પણ કુશળતાથી પોતાનો અવાજ આ રીતે આંકી શક્યા છે… ક્યારેક આ પ્રકારની સિદ્ધિ કવિશક્તિને કુંઠિત પણ કરી શકે છે પણ ગૌરાંગભાઈ આ દોષથી વેગળા રહી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદભાગ્ય.

Comments (17)

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.

જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?

બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?

તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?

તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકરની આ રચના વિવેચકના શબ્દોની મહોતાજ નથી… બધા જ શેર સંઘેડાઉતાર અને કવિતાની શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની કસોટી પર ખરા ઉતરે એવા…

Comments (15)

વયથી વધારે – ગૌરાંગ ઠાકર

જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.

પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.

ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.

જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.

કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.

જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

– ગૌરાંગ ઠાકર

એકબીજાથી ચડિયાતા એકેક શેર… એમાંય સંશય કરતા શ્રદ્ધા વધારવાની વાત વધુ જચી ગઈ.

Comments (19)

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે

જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે

હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે

પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે

વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે

ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે

– ગૌરાંગ ઠાકર

પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !

Comments (23)

ગઝલ – ગૌરાંગ ઠાકર

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.

આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.

– ગૌરાંગ ઠાકર

એક જ વાત એક જ શાયર વારંવાર કહે પણ સાવ નોખી જ ફ્લેવર સર્જી શકે તો વાતની મજા જ કંઈ ઓર છે…  ગૌરાંગ ઠાકરની ગઝલોમાં પ્રકૃતિપ્રેમ, મા-બાપની વેદના અને ગરીબી અવારનવાર ડોકિયાં કરતાં રહે છે. કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે.

આ ગઝલ માણ્યા પછી એમના ત્રણ અલગ અલગ શેર આ સંદર્ભમાં જોઈએ?

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું ?

Comments (19)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર

નવમી મેના રોજ ગૌરાંગ ઠાકરના બીજા ગઝલસંગ્રહ- વહાલ વાવી જોઈએ-ના e-વિમોચન (e-મોચન)માં આપણે જોડાયા. આજે એ સંગ્રહના ઉત્તરાર્ધના કેટલાક શાનદાર-જાનદાર શેર મમળાવીએ:

પવન તો બાગથી ખુશબૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.

મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા !

માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

ધોવાણ કે પુરાણ બંને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.

પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.

હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.

વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.

કમ સે કમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.

તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.

જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે
મારામાં શું થયા પછી માણસ બનાય છે ?

મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.

પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?

એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.

દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.

Comments (19)

વહાલ વાવવાની વાત (ભાગ:૧) – ગૌરાંગ ઠાકર

કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.

Gaurang Thaker

(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )

*

આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.

આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.

અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.

કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.

આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.

જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.

દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.

vahal vaavi joiye

(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)

Comments (38)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર

વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે  છે કંટાળો

પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

કૂટપ્રશ્નો લઇ ઝાડ ઊભું, ઉત્તરની પૂછે રીત,
વિસ્તરણ સમજાવો, મારે ફેલાવાની પ્રીત.
જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

-ગૌરાંગ ઠાકર

આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે.

Comments (25)

કરું છું – ગૌરાંગ ઠાકર

હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.

મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.

કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.

દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?

તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.

– ગૌરાંગ ઠાકર

ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !

Comments (26)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલ – ગૌરાંગ ઠાકર

Gaurang Thakar - Chal ne maanas ma thodu
(ફરી એકવાર ખાસ ‘લયસ્તરો’ માટે ગૌરાંગ ઠાકરે પોતાના અક્ષરોમાં લખી આપેલ એક ગઝલ)

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

-ગૌરાંગ ઠાકર

ઘરડાઘરો ખાલી કરાવવાનો અક્સીર કિમીયો શીખવાડતા ગૌરાંગ ઠાકરના આ શે’રને મુશાયરાના મુશાયરાઓ લૂંટી લેતો જોવાની પણ એક અલગ મજા છે પરંતુ મુશાયરા પૂરા થયા પછી રાતના એકાંતમાં આ શેરની ખરી ગહેરાઈ સમજાય ત્યારે ખબર પડે કે મૂળે તો આપણે આપણામાં કોઈને વ્હાલ જ ક્યાં વાવવા દીધું છે કદી ? વાડ વગરના વેલા જેવું જીવતા આપણને ઘરડા મા-બાપની એકલતાની વ્યથા સમજાઈ શકે એવું ક્યાં રહ્યું જ છે ? આપણે તો આખી જિંદગી સંબંધોને કાખઘોડી આપીને જ ચલાવ્યા છે. પોતાની જાતને હરાવીને એક-મેકમાં વિશ્વાસ મૂકી બે ડગલાં પણ સાથે ચાલ્યાં હોત તો આખું વિશ્વ ય જીતવું ક્યાં દોહ્યલું જ હતું ?!

Comments (20)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

ગઝલ – ગૌરાંગ ઠાકર

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં
પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત
આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ
પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને
ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક
તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક
જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ
એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

એક સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર એવા સ્વયંસ્પષ્ટ થયા છે કે કવિ અને ભાવકની વચ્ચે કોઈ વિવે(ચ)કની જરૂર જ ક્યાં જણાય છે ?  

 

Comments (15)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – ગૌરાંગ ઠાકર

(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

-ગૌરાંગ ઠાકર

થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!

Comments (24)

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…

Comments (14)