હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નાનકડા કાચબાની કથની – મકરન્દ દવે

ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!

– મકરન્દ દવે

બાળકાવ્ય ગણી શકાય એવા સરળ નાનકડા કાવ્યમાં સંદેશો તો સ્ફટિક-સ્પષ્ટ જ છે, પણ રજૂઆતની શૈલી વધુ હૃદયંગમ થઈ છે. પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતમાં છાંદસ કવિતા છે. કવિએ ખંડ હરિગીત (ગાલગાગા ગાલગાગા) પ્રયોજ્યો છે. ગઝલપ્રેમીઓ રમલ છંદ મુજબ પણ એનું પઠન કરી શકે. મોટેથી લયબદ્ધ પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments

કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments (5)

પ્રેરણાપુંજ : ૦૬ : એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

ફરી એકવાર – કાવ્ય મુકવાનું કારણ અંગત….. – લગભગ ચોથા ધોરણમાં આ કાવ્ય ભણવામાં આવ્યું હતું અને જીવનમાં કાવ્યપ્રકાર માટે અનુરાગ જગાડનારા કાવ્યોમાંનું આ એક.

ઘા માત્ર શરીરના નથી હોતા. સૌથી ગહેરા ઘા માનવીના શબ્દો અને માનવીનું આચરણ કરતા હોય છે. હું પોતે જ એ અપરાધ વારંવાર કરતો આવ્યો છું – અસંખ્ય ઘા મેં ઘણાને કીધા છે. પાછળથી પારાવાર પસ્તાવો પણ થયો છે….. પણ….સમયના ચક્ર કદી ઊંધા ફરતા નથી અને કરેલાં ઘા કદાચ રૂઝાઈ ગયા હોય તોપણ નિશાન રહી ગયા છે….ગુમાવેલો વિશ્વાસ લૌટીને પાછો આવતો નથી…..અને મનમાં આ કાવ્યનું અંકિત ચરણ પડઘાયા કરતું રહે છે-

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ પંક્તિએ મને અનેકવાર કોઈને ઝખમી કરી દેતા અટકાવ્યો છે 🙏🏻🙏🏻

 

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૪ : ઘણ ઉઠાવ -સુન્દરમ્

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’ (૬ જૂન, ૧૯૩૪)

જેમ સંપૂર્ણપણે ખાલી થવું એ નવેસરથી ભરાવા માટે જરૂરી હોય છે એમ ક્યારેક નવું સર્જન કરવા માટે પણ પ્રથમ જૂનું વિસર્જન કરવું પડે છે. સામાજિક અને આંતરિક વિષમતાની સામે પડકાર ફેંકી જીર્ણ થયેલી જડતાને સમૂળગી દૂર કરવા માટે કવિ પોતાની જ ભુજાનું ઘણ જેવા હથિયાર સહિત આવાહન કરે છે, કે જેથી ઘણું બઘુંને ઊંડે સુધી ઘા કરી તોડીફોડી એનું વિસર્જન કરી શકે… અને ફરી એ જ ઘણથી ટીપી ટીપીને નવો ઘાટ આપી એનું નવસર્જન કરી શકે.  આ કવિતાએ તે સમયે આઝાદી પહેલાની ગુલામીથી ટેવાઈ ગયેલા કેટલાયે જણનાં માનસને ક્રાંતિકારી બનવા માટે નવસર્જનની પ્રેરણા અને પ્રેરકબળ પૂરું પાડ્યું હશે!

રઈશ મણિઆરઃ આ ગીત નથી. પૃથ્વી છંદમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશાળી પઠન માટે છે. છેલ્લી બે પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં છે.

Comments (1)

નયનનાં મોતી : ૦૨ : એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા – નયન દેસાઈ

*

લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.

આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.

વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.

ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.

બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.

ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!

– નયન દેસાઈ

આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?

‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.

સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.

Comments (6)

એકસૂરીલું – નિરંજન ભગત

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા…

– નિરંજન ભગત

વિચાર કરતાં કરી દે એવી સાવ નાની રચના. માણસની આભા, લાગણીની ભીનાશ કે ઇચ્છાઓની સેજ – કશું બદલાતું નથી… બધું એનું એ જ રહે છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો બધાય બે પગા એકસરખા જ હતા, છે અને રહેશે. ‘એકસૂરીલું’ શીર્ષક કાવ્યાર્થને દૃઢીભૂત કરવામાં મદદ કરે છે. યાદ આવે: ‘બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર, ઉપર ઉપરથી ફકત હાલચાલ નોખા છે.’ આખી રચના ગુલબંકીના ગાલ ગાલની ત્રિકલ ચાલમાં લેફ્ટ રાઇટ લેફટ રાઇટની માર્ચ ચાલતી હોય એમ ચાલે છે પણ છેલ્લે ‘પગા’ પર પહોંચીને છેલ્લી પંક્તિ અચાનક ગાલ ગાલના સ્થાને લગા લગાની રવાની પકડે છે ત્યારે પઠનમાં જે લયપલટો થાય છે એ જ કદાચ રચનાને કવિતા સુધી પહોંચાડવાની ચાવી ગણી શકાય.

Comments (7)

મોટો પ્રશ્ન – મુકુન્દરાય વિ. પારાશર્ય

એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’

વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે

કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઇતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનોય જોટો છે!

રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!

નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!

સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.

છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે,
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

– મુકુન્દરાય વિ. પારાશર્ય

મનહર છંદની મસ્તીમાં ગાવાની મજા પડે એવી આ રચના છે. આપણે ત્યાં હળવા વ્યંગની રચનાઓ આમેય ઓછી જ જોવા મળે છે. ઇતિહાસમાં કયો સવાલ સહુથી મોટો છે એ બાબતે આખો વર્ગ વાદે ચડે છે. કુરુક્ષેત્રથી શરૂ થઈ સત્યાગ્રહ સુધીના પ્રસંગોની ચર્ચા અને સાથોસાથ દરેકને રદિયો દેવાની કથનરીતિ કાવ્યને વધુ મજેદાર બનાવે છે. છેલ્લી બાંક પર બેસેલ એક ગરીબ છોકરો જે જવાબ આપે છે એ જવાબ હળવા હાસ્ય સાથે કાવ્યમાં ગતિ કરતાં આપણા સહુના અવાજને અચાનક ગળગળો બનાવી દે એવો છે.

કોઈ એક સામયિકમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતીના અનસીનના પે૫૨માં પ્રશ્નરૂપે પૂછાયું હતું ત્યારે કવિનું વય માત્ર સોળ વર્ષનું હતું.

Comments (3)

અન્ધારમાં એકાકાર વન – ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

સૂર્ય જેવા સૂર્યનો બોજો ઉપાડી પીઠ પર;
અસ્તાચલે કોઈ સ્વ-જન ધીરે ચડે કેડી ઉપર.

ભેખડે આરોહ ને અવરોહ ચાલે શ્વાસના;
વાયરાની મીંડમાં સ્વર શ્વાસના ઝૂકી જતા.

બેવડ વળેલા શ્વાસના ઝપતાલ પણ તૂટી ગયા;
રક્ત રંગો સૂર્યના ઝળહળ થતા ઝાંખા થયા.

માત્ર પડછાયો નજર સામે હતો બસ સાથમાં;
ક્ષીણ થઈ ધીરે ધીરે ડૂબતો જતો અંધારમાં.

પીઠ ૫૨નો સૂર્ય ને છાંયો ક્યહીં! ને ક્યાં સ્વ-જન!
ઘૂઘવે અંધાર ત્યાં સઘળુંય એકાકાર વન.

– ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

કોઈ કવિતા પસંદ પડી જાય એ માટેના કોઈ ધારાધોરણ નિશ્ચિત કરી શકાય એમ નથી. ઉપલક નજરે આ રચના સાધારણ કહી શકાય પણ મને વાંચતાવેંત સ્પર્શી ગઈ. પાંચ યુગ્મકના ઊર્મિકાવ્યમાં કવિએ બે જગ્યાએ તો ચુસ્ત પ્રાસના સ્થાને સ્વરાંત પ્રાસથી કામ ચલાવી લીધું છે. પહેલી કડી વાંચતા એકતરફ ખભે મસમોટી શિલાનો ભાર ખભે વેંઢારી વારંવાર પર્વતારોહણ કર્યે રાખવાના શાપથી ગ્રસ્ત સિસિફસ યાદ આવે તો બીજી તરફ મહાપ્રયાણ માટે નીકળેલ પાંચ પાંડવ પણ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે. આમ તો પર્વતની ધારે અસ્તાચલે પહોંચેલા સૂર્યના અસ્તની જ વાત છે, પણ કોઈ સૂર્યને પીઠે લાદીને ધીરે ધીરે કેડી ચડતું હોવાના રૂપક વડે કવિએ જીવનના અસ્તાચલ અને બોજ- બંનેની વાત મુખર થયા વિના કરી છે. કવિતાનો મુખ્યપ્રાણ મૃત્યુની અનુભૂતિ હોવાની વાત બીજી કડીથી વધુ સ્પષ્ટ થાય છે. શ્વાસના આરોહ-અવરોહ ભેખડે ચાલી રહ્યા છે, મતલબ ગમે ત્યારે સમતુલન ગુમાવી મૃત્યુની ખીણમાં ગરકાવ થઈ જવાશે. વાયરાનો ઊંચેનીચે થતો આલાપ હાંફતા બેવડ વળેલા શ્વાસને ઢાંકી-તોડી દે છે. સૂર્યનો રાતો રંગ પણ ક્રમશઃ ઝાંખો પડી રહ્યો છે. એકમાત્ર પડછાયો જ સાથ નિભાવી રહ્યો હતો, તેય અંધારું વધતું જતાં ઓગળવા માંડ્યો. મૃત્યુના અંધકારમાં આખરે સૂર્ય, પડછાયો અને પડછાયાના સ્વામી એવા સ્વજન બધું જ ઓગળીને એકાકાર થઈ ગયું.

Comments (4)

(હટાવીશ નહિ હું પડદો) – ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

ના, હટાવીશ નહિ હું પડદો,
ગ૨ હટાવી દઉં હું પડદો, ના થવાનું થઈ જશે!
બુલબુલો વીસરી જશે ગીતો ગુલ-ઓ-ગુલઝા૨નાં,
ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં;
બ્રાહ્મણો વીસરી જશે આદર્શ સહુ બ્રાહ્મણ તણા,
મારી સુંદરતા જો જોવી હોય તો વિચાર કરજો પુષ્પનો, કે–
જે છુપાયું છે લતામંડપ મહીં!
કોઈને દેખાય નહિ, પણ એના અંતરની સુગંધી તો બધાં માણી શકે!
એમ બસ, જોઈ શકે આલમ મને!
બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
ના, હું પડદો નહીં હટાવું!

– ઝેબુન્નિસા ‘મખ્ફી’
(અંગ્રેજી પરથી ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

*
લયસ્તરો પર કવયિત્રીના ભાવાનુવાદ સંગ્રહ ‘દીવાન-એ-ઝેબુન્નિસા’નું સહૃદય સ્વાગત છે.

ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છૂપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છૂપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. નાસિર અલી નામના કવિએ મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે (એવી હે સુંદરી!), તારો બુરખો હટાવ અને મને તારા સૌંદર્યનો જાદુ માણવા દે.’ જવાબમાં મખ્ફીએ જે કવિતા સંભળાવી એ અહીં રજૂ કરી છે. પર્શિયન ભાષામાં લખાયેલ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કટાવ છંદમાં કરાયેલ ગુજરાતી ભાવાનુવાદ આસ્વાદ્ય થયો છે.

બુરખો ન હટાવવા પાછળનાં કારણ આપતાં મખ્ફી કહે છે, હું નકાબ હટાવી લઉં અને બુલબુલ ગુલાબને ભૂલી જાય એ કોને ખબર? મારો ચહેરો જોવાની લાલસામાં બ્રાહ્મણ લક્ષ્મીની પૂજા કરવી ભૂલી જઈ શકે છે. જે રીતે કુંજલતામાંના ફૂલમાં ખુશબૂ છૂપાઈને રહે છે, એ જ રીતે દુનિયા મારો ચહેરો જોવાના બદલે મેં જે કવિતાઓ લખી છે એની સુગંધ જ માણે એ વધુ ઉત્તમ છે.

*
I will not lift my veil,—
For, if I did, who knows?
The bulbul might forget the rose,
The Brahman worshipper
Adoring Lakshmi’s grace
Might turn, forsaking her,
To see my face;
My beauty might prevail.
Think how within the flower
Hidden as in a bower
Her fragrant soul must be,
And none can look on it;
So me the world can see
Only within the verses I have writ—
I will not lift the veil.

– Zeb-un-Nissa Makhfi

Comments (10)

અદાલતનો તિરસ્કાર* – ઉદયન ઠક્કર

(મનહર)

વકીલને વડચકું ભરી કહ્યું ન્યાયાધીશે,
‘અરજીની સાથે અખબાર કેમ આપ્યું છે?
તાણીતૂસી બંધાયેલા નાગાપુગા માણસનું
ચાર કોલમ ભરીને, ચિત્ર જેમાં છાપ્યું છે?’**

વકીલ તો શિયાવિયા થઈ ગયો, ન્યાયાધીશે
કારકૂનને કહ્યું કે ‘અલ્યા, આમ આવ તું!
ચિત્રમાં શું ચીતર્યું છે? ચિત્ર નીચે શું લખ્યું છે?
અદાલતમાં સહુને વાંચી સંભળાવ તું.’

કારકૂન કહે, ‘બધા રસોઈયા ભેગા મળી,
ઉતારતા હોય જેમ બટાકાની છાલને,
ચાર કસાઈઓ અહીં ભેગા મળી ઉતારે છે,
કસોકસ બંધાયેલા માણસની ખાલને.

પચીસ સદી પહેલાં ન્યાયમૂર્તિ સિસેમિસ
લાંચ લેતાં, રાજાજીને હાથે ઝડપાયેલો,
માફ કરો, આગળ વાંચી શકાય એવું નથી,
એનો અંત, નામદાર, આવી રીતે આવેલો.

એની ઉતરડાયેલી ખાલનું બેસણું કરી,
રાજાજીએ ખાસ, મોટી ખુરશી બનાવેલી,
નવા ન્યાયમૂર્તિ એ જ ખુરશીએ બેઠા બેઠા
ચુકાદાઓ આપે એવી રીત અપનાવેલી.’

ન્યાયાધીશ ગાજ્યા,’તેં તો મારું અપમાન કર્યું!’
વકીલ કહે કે ‘કેમ ગાંઠનું ઉમેરો છો?
પચીસ સદી પહેલાં થઈ ગયો સિસેમિસ,
બંધબેસતી પાઘડી શું કામ પહેરો છો?’

ચિત્ર જોઈ ન્યાયાધીશ થઈ ગયા રાતાપીળા,
‘તને ત્રણ મહિનાની કેદ ફટકારું છું!’
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’

– ઉદયન ઠક્કર

* ‘અમુક ન્યાયાધીશો ભ્રષ્ટ છે’ એવું કહેનાર વકીલને વરિષ્ઠ અદાલતે ઈ.સ. 2020માં અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવ્યો હતો.
** સંદર્ભ : ‘સિસેમિસની ચામડી ઉતરડવી’, ચિત્રકાર: જેરાર્ડ ડેવિડ

લયસ્તરો પર કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સહૃદય સ્વાગત છે. આ સંગ્રહ આજે હાથ આવતા સંગ્રહોથી ઘણી રીતે ભિન્ન તરી આવે છે. મોટાભાગની રચના એકાધિક સંસ્કૃત વૃત્તોમાં રચાઈ છે. આજની કવિતાથી વિપરીત ઘણાં દીર્ઘકાવ્ય અહીં જોવા મળે છે. હળવા વ્યંગનો આશરો લઈને તીખા ચાબખા ફટકારવામાં મદદગાર મનહર છંદ કવિને સવિશેષ પ્રિય છે. ગઝલોને બાદ કરતાં મોટાભાગની રચનાઓમાં કવિએ મુક્તપદ્યને કાવ્યસ્વરૂપ તરીકે પસંદ કર્યું છે. ભારતીય પુરાકથાઓથી લઈને વિદેશી પુરાકથાઓ, ગુજરાતી અને ભારતીય વ્યક્તિવિશેષોથી લઈને વિદેશી વ્યક્તિવિશેષ, પ્રખ્યાત ચિત્રો-પ્રસંગો વગેરેને કેન્દ્રસ્થાને રાખીને કવિએ ગુજરાતી કાવ્યધારાથી સહેજે અને સાવ જ અલગ પડી જતાં બિલકુલ અનૂઠાં કાવ્યો રચ્યાં છે. સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ લયસ્તરો પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. આજે એક નવી રચના સાથે ઘરોબો કેળવીએ.

પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ અથવા સ્રોત છે. આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે પર્શિયાના રાજા કેમ્બિસિસ બીજાએ લાંચ લેતા પકડાયેલ સિસેમિસ નામના ન્યાયાધીશની ચામડી જીવતેજીવ ઉતરડાવીને ન્યાયાધીશ માટેની ખુરશી પર એ મઢાવી દીધી, જેથી દરેક ન્યાયાધીશે એના પર બેસીને જ ન્યાય આપવાનો રહે અને ખોટું કામ કરતાં પહેલાં એ લાખવાર વિચારે. અઢી હજાર વર્ષ વહી ગયાં. સિસેમિસની ખુરશી સમય સાથે નાશ પામી હોય એમ ન્યાયાધીશ કે ન્યાય લાંચ લેતાં કે ખોટું કરતા અચકાતા નથી, કારણ કે હવે એકેય શાસક ભ્રષ્ટાચારવિરોધી રહ્યો નથી. થોડા સમય પહેલાં ન્યાયાધીશોને ભ્રષ્ટ કહેનાર એક વકીલને સુપ્રિમ કોર્ટે સજા ફટકારી એ હકીકતને જેરાર્ડ ડેવિડના ચિત્ર અને એના ઇતિહાસ સાથે સાંકળી લઈને કવિએ કેવી મર્મસ્પર્શી રચના આપી છે!

Comments (6)

અલંગ (જહાજવાડો) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

(ક્રાન્ત શિખરિણી)

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!

જહાજો સંભારે સભર દરિયે વ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપુરુ ઊભી કેબીનોની કતારો
પૂલો ને રેસ્ટુરાં ધમધમત થીએટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને જૅઝનાદો.

જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઈનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડ ધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નર્યા લાવા જેવો રસ ખદખદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો !

જહાજો ! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિતનિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ અલંગ વિશ્વના નક્શામાં અલગ જ સ્થાન ધરાવે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો જહાજવાડો ગણાય છે. ચલણમાં ન હોય એવા દુનિયાભરના જહાજો તૂટવા માટે અહીં આવે છે. અલંગના જહાજવાડા ઉપર આવી કવિતા આપણી ભાષામાં તો દીવો લઈને શોધો તોય નહીં જડે.

અલંગના જહાજવાડામાં ક્યાંક્યાંથી જૂનાં જીર્ણ થયેલાં જહાજો આવી ઊભાં છે. કાંઠાના છીછરા કાદવમાં વીતેલી વેળાઓ છબછબી રહી છે. હાલકડોલક પાણીમાં જહાજોની છબી વિકળ થઈ રહી છે અને સમગ્ર વાતાવરણ આ વિનાશના નિરાશ સૂરમાં પોતાનો સૂર પૂરાવતું હોય એમ હવા અને ડહોળાયેલી લાગે છે, વાદળો સાવ ફિક્કાં લાગે છે. હવામાં પીંખાયેલ રૂ ઊડી રહ્યું છે કે સીગલ પક્ષીઓ એ કળવું અઘરું થઈ પડ્યું છે. કોરી રેતીના કણ નહીં, જાણે કાળને હાથે ચૂર્ણ થઈ ગયેલી ક્ષણો ધૂંધળી હવામાં ઊડી રહ્યા છે.

જહાજવાડે તૂટવા આવેલ જહાજોને પોતાના પહેલવહેલા વિલાસોથી લઈને આજદિન પર્યંતની સફરના નાનાવિધ મુકામો સાંભરે છે. રેસ્ટુરાં અને જૅઝનાદો જેવા ભાષાપ્રયોગ થોડા કઠે ખરા, પણ સરવાળે જહાજો પોતાના તૂટતાં સ્વપ્નોની જાહોજલાલી બિરખતાં હોવાનું દૃશ્ય સુપેરે ઉપસી આવ્યું છે. હથોદા ટિપાઈ રહ્યા છે, ક્રેઇન ફાંસો બનીને ગળાં ઝાલે છે, ગૅસજ્વાળાઓ અગન ઓકતી બધું સ્વાહા કરી રહી છે, પાટની પાટ ભોંયભેગી થઈ રહી છે અને જે બચી જાય છે એને ડગડગત ચાલતા બુલડોઝરો કોળિયો કરી રહ્યાં છે. છેવટે બધો ભંગાર એકધારી આવજા કરી રહેલી ટ્રકોમાં લાદી અન્યત્ર મોકલી દેવાય છે.

ક્ષિતિજોને ભરી-ઢાંકી દેતાં જહાજોની હસ્તી નસ્ત પામી રહી છે. ભંગારના ઢગલા ખડકાઈ રહ્યા છે. અને અગ્નિની ભઠ્ઠીઓમાં એને પીગળાવવામાં આવતાં ચકચકાટ કરતી સ્ટીલની પ્લેટો બની રહી છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ સૉનેટ યાદ આવે. નવસર્જન કરવું હોય તો જૂની વસ્તુઓને તોડીને હટાવવી જ રહી.

કાવ્યાંતે કવિ તૂટી ગયેલાં-તૂટી રહેલાં જહાજોને સંબોધીને આશ્વાસન આપતાં કહે છે કે, તમે અગણિત યાત્રાઓ કરીને અગણિત યાત્રીઓને મુસાફરીઓ કરાવી છે, મંઝિલભેગા કર્યા છે. અત્યાર સુધીની યાત્રાઓ તમે અન્ય લોકો માટે કરી, પણ હવે આ જહાજવાડામાં તમારી ખુદની યાત્રાની શરૂઆત થઈ છે. જીર્ણતાને અને ભંગારોને વટાવી અગ્નિમાં તપીને તમારો આજે નવોન્મેષ થઈ રહ્યો છે અને તમે તમારી ગઈકાલ છોડીને તમારી આવતીકાલ તરફની યાત્રા પ્રારંભવા માટે ચકચક થઈને નવા બંદરે નાંગર્યા છો… કવિની દૃષ્ટિ સામાન્ય માણસોની દૃષ્ટિથી કેવી અલગ અને અદભુત હોય છે એ વાત આપણને સમજાય છે.

Comments (14)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –

” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”

આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…

Comments (2)

પગલાં પડી રહ્યા… – રમેશ પારેખ

દૂર દૂરથી સરી આવતી
કેડી ઉપર
સૂનકારનો ડમરી વચ્ચે ફંગોળાતું
શુષ્ક નજરનું પાન
ઊડીને
ઘરમાં પાછું આવે

હળી ગયેલા શ્વાન સમો
ફળિયાનો તડકો
ઊંબર સુધી આંટો લઈને
નેવાંના પડછાયા સૂંઘી
કંકુ ચીતરી ભાત ઉપર રગદોળી કાયા
ભીંત ઠેકતો
સાંજ બખોલે જઈ
નિરાંતે ઘોરે

પરોઢીએ પૂરેલી
કોરી લાલચટ્ટાક સેંથીની છેલ્લી ઝાંય
ઊડીને આથમણે આકાશે વળગી જાય

વેણીમાંથી ચીમળાઈને ખરી પડેલાં
ડોલર ફૂલ – શા
તારાઓની ઝળમળ
વેરે અંધકારની જરઠ હથેળી
ઘરને ખૂણે
બળે કોડિયું હાલકડોલક
હાલકડોલક પડછાયા તો ફળિયા સુધી જાય
પોપચાં ઢળી રે જાય
પોપચાં ઢળી રે જાય
તબકતાં ઝૂલચાકળામાંથી ભીનાં વળામણાં સંભળાય

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ

બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ

ઊમટે ડામચિયે ચંદરવો
એમાં પાંચ પૂતળી ઝૂલે
એમાં પાંચ ઘૂઘરી ઝૂલે
ઝૂલે પૂતળીઓ તો રાનક ઝણકતી એવું
પેલા દાદાજીને દેશ ઝૂલ્યા’તા સૈયર સંગે
ગામગોંદરે સીમખેતરે જેવું
રામણ દીવડે
ધૂળ બનીને બાઝયું
આખા ઘરનું રે એકાંત

એકલા ખખડી ઊઠતાં કંકણમાંથી
દડી નીકળે તળાવની ભીનાશ
અને ભીનાશે તરતું આસોપાલવ ઝાડ

આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે અંકાશ
ને છાંયા પડી રહ્યાં રે લોલ

 

ઊગે રે પડછાયાના ઝાડ
ઊગે રે પડછાયાના ઝાડ
હવે તો ઊંબર ઊગ્યા પહાડ
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત

રાતને
ભરનીંદરમાં શ્વસે
છાપરે
કાગ.

– રમેશ પારેખ

શબ્દચિત્ર….. પ્યારું કો‘ક ચાલ્યું ગયું…..કે ભીતરથી કોઈક બંધન તૂટ્યું… ખિન્નતા પારાવાર વ્યાપી – ભીતરે.

સંબંધ સમજાતા નથી…..કોઈ નિયમ હોતા નથી, કોઈ કાયદા લાગતા નથી. આપનાર આપ્યે જ જાય છે અને લેનારને કોઈ તમા નથી. સિતારાઓના ઝગમગાટ વચ્ચે આરતીનો દીવો ટમટમીને નિસ્તેજ થતો થતો બુઝાઈ જાય છે….

અંતહીન વેદનામાંથી વિના શરતે પસાર થવાની સજ્જડ તૈયારી ન હોય તો પ્રેમથી અળગા જ રહેવું….

Comments (2)

An exile – ઉમાશંકર જોશી

I wonder how this little soul
Was smuggled into life.
Not that I dread the fact of being.
That men misname as strife.

From birth to death the mortals roam,
I seek the way from death to birth;
I have wandered and will wander still
An exile on this earth.

– Umashankar Joshi

દેશવટે

આશ્ચર્ય મોટું મુજને, ઠગાઈ
આ હંસલેા ઘટ મહીં ઝટ શેં પુરાયો !
ન જાણશો કે ડરું જિન્દગીથી,
જેને જનો કલહ નામ દઈ નવાજે.

સૌ મર્ત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત્.
હું મૃત્યુથી જનમનો નવપથ શેાધુ.
ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો,

– ઉમાશંકર જોશી

ઉ.જોની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે આપણે એમણે લખેલી સંસ્કૃત કવિતા માણી. આજે માણીએ અંગ્રેજી કવિતા. પ્રસ્તુત રચના કવિએ પહેલાં અંગ્રેજીમાં લખી હતી જે ૧૯૩૫ની સાલમાં ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ હતી. પછી કવિએ જાતે જ એનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ બેલડ મીટર પ્રયોજ્યું છે. બેલડ એટલે ચાર-ચાર પંક્તિના બંધથી બનેલી રચના. પહેલી અને ત્રીજી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બીજી-ચોથી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં હોય છે, તદુપરાંત પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ મેળવેલો હોય એને બેલડ મીટર કહેવાય. (અહીં છઠ્ઠી પંક્તિમાં જો કે છંદ જળવાયો નથી.) ગુજરાતી અનુવાદમાં કવિએ સંસ્કૃત વૃત્તોને ખપમાં લીધા છે. પહેલી, ત્રીજી, સાતમી પંક્તિ ઇન્દ્રવજ્રામાં, બીજી, ચોથી- પાંચમી, છઠ્ઠી વસંતતિલકામાં અને છેલ્લી પંક્તિ ઇન્દ્રવંશા છંદમાં છે.

આત્મા કઈ રીતે ઠગાઈને શરીરના પિંજરામાં પૂરાઈ ગયો એ કવિને મન મોટું આશ્ચર્ય છે. લોકો જેને ઝઘડો કહે છે એ જિંદગીથી કવિ ડરતા નથી. આખી દુનિયાની ગતિ જન્મથી મૃત્યુ તરફની છે, પણ કવિ મૃત્યુથી જન્મ તરફનો નવતર પંથની શોધમાં છે. મૃત્યુની પેલે પાર વિકસતા-વિલસતા વિશ્વ સાથે સાક્ષાત્કાર કરવાની તેઓ મંશા રાખે છે. કોઈએ દેશવટો આપ્યો હોય અને પૃથ્વી પર ભટકવા છોડી દીધા હોય એમ નિર્વાસિતની જેમ આજીવન તેઓ મૃત્યુપર્યંતના જીવનની શોધમાં ભટકતા રહ્યા છે અને હજીય ભટકતા રહેવાની નેમ ધરાવે છે.

ગુર્જરીગિરાની સર્વોચ્ચ ચોટીએ બિરાજમાન કવિના ભાષાપ્રભુત્વ વિશે વાત કરવામાં મારો પનો તો સાવ ટૂંકો પડે, પણ આ કવિતા બાબતે મારો નમ્ર અને અંગત અભિપ્રાય છે કે વિદેશી ભાષામાં સ્વતંત્ર રચના કરવામાં અને પછી એનો અનુવાદ કરવામાં કવિ ક્યાંક નાનકડી થાપ ખાઈ બેઠા છે. ‘Being’નો અનુવાદ કવિએ જિંદગી કર્યો છે. હકીકતમાં બીઇંગ એટલે હોવું, અથવા અસ્તિત્વ. આજ રીતે જિંદગીને લોકોએ કલહ યાને ‘strife’ કહીને નવાજે છે, એમ કવિ કહે છે. અહીં ‘strife’ શબ્દ કેવળ ‘life’ સાથે પ્રાસ મેળવવાના હેતુથી પ્રયોજાયો હોવાની સંભાવના વધુ છે, કારણ કે જિંદગીને ઝઘડાનું ખોટું નામ આપીને લોકો સંબોધતા હોવાની વાત શું હકીકતથી વેગળી નથી?

Comments (7)

કાં કૃપણતા? – ઉમાશંકર જોશી

न ते मृत्युप्रायां
तमःकृष्णच्छायां न खलु सलिलं प्रार्थय इह ।
तडित्तेजोयुक्तं जलद ! विकटं गर्जितमथ
तदेकं याचेऽहं तदनवरतं गर्ज कुपितम्
.                      अयि वरद ते घर्घररवम् ॥
सुधाऽऽस्वादं यत्ते
स्मितं नाहं याचे तदभिलषिताः सन्तु बहवः ।
कृते भ्रूभङ्गानां मम तु भवति प्रार्थितमहो
कटाक्षैर्युक्तानामयि हृदयमूर्ते ! कुरु कृपाम्
.                      सुलभविषये किं कृपणता ॥

– उमाशंकर जोशी

કાં કૃપણતા?

અરે કૃષ્ણચ્છાય
નર્યું મૃત્યુપ્રાય પ્રથિત જલનું વર્ષણ તવ
જરીયે વાંછું ના, પણ જલદ હે ! મુક્ત મનડે
તડિત્-નૃત્યેાલ્લાસે ગહન જગવી મંથન નભે,
.                      વરદ, કુપિતો ગર્જ તુજ જે.
સુધાસ્વાદપ્રેર્યાં
સ્મિતો હું યાચું ના; સ્મિતવલખતા કૈંક, ન મણા.
તવ ભ્રૂભંગાર્થે સતત, દયિતે, પ્રાર્થન મમ.
કટાક્ષેા વર્ષંતી અયિ, હૃદયમૂર્તે, કર કૃપા.
.                      સુલભ વિષયે કાં કૃપણતા ?

– ઉમાશંકર જોશી

આજે ઉ.જોની ૧૧૧મી જન્મજયંતીએ એક સાવ અલગ જ પ્રકારનું કાવ્ય…

બહુ ઓછા મિત્રોને ખબર હશે કે ઉ.જો. સંસ્કૃતમાં પણ કાવ્યો લખતા. પહેલાં ગુજરાતીમાં લખી લીધા બાદ એનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હોય એવુંય નહીં. અઢાર વર્ષની કૂમળી વયે લખેલું આ કાવ્ય ગુજરાત કૉલેજ મૅગેઝીનમાં છપાયું હતું. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ કાવ્યનો કવિએ જાતે જાન્યુઆરી ૧૯૩૦માં ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો. બંને કાવ્ય ખંડ શિખરિણીમાં લખાયેલ છે.

વાત તો પ્રણયની જ છે, પણ રજૂઆત મજાની છે. કવિ પોતાની શ્યામવર્ણા પ્રિયાને કહે છે કે આંખેથી વરસતાં આંસુઓ થકી વ્યક્ત થતો પ્રેમ બહુ જાણીતો છે, પણ મને એ મૃત્યુસમાન લાગે છે અને મને એની જરાય ઇચ્છા નથી. કવિને મન તો વીજળી નૃત્યોલ્લાસ કરી આકાશમાં ગહન મંથન જગવે અને ક્રોધિત આકાશ જે રીતે ગર્જના કરે એવા ઉત્તમ મુક્ત મનના પ્રેમની અભિલાષ છે. કૈંક લોકો પ્રિયપાત્રના સ્મિત માટે વલખતાં હોય છે એની ના નથી, પણ કવિને અમૃતનો સ્વાદ આપે એવા સ્મિત પણ જોઈતાં નથી. કવિને તો પોતાની પ્રિયાને સતત ભવાં ચડેલાં રહે એવી પ્રાર્થના કરે છે. પોતાના હૃદય પર કટાક્ષો વરસાવીને કૃપ કરવાનું પ્રિયાને ઇજન આપતાં કહે છે કે સ્ત્રીઓને માટે તો આ વિષય –રીસ-ગુસ્સો વગેરે ખૂબ જ સુલભ છે, તો એ બાબતે કંજૂસાઈ શીદ આચરવી?

નાની અમસ્થી વાત. પણ વિષયવસ્તુની માવજત અને છંદોવિધાનન કારણે મૂળ સંસ્કૃત કાવ્ય અને કવિએ પોતે કરેલ ગુજરાતી અનુવાદ –ઉભય નખશિખ આસ્વાદ્ય બન્યા છે.

Comments (6)

ફરી સાંજ પ્રગટી – દક્ષા બી. સંઘવી

ફરી સાંજ પ્રગટી, અને આભ આખું થયું સોનવ૨ણું!
ફરી યાદ તારી, અને આંખમાં એક ચહેરાનું તરવું!

ફરી રાતમાં ઝલમલે સૌ સિતારા, ઝીણું ઝીણું ગાતા;
ફરી એ ઉજાસી મુલાયમ ક્ષણોનું હથેળીમાં ઝ૨વું!

ફરી કોઈ ડાળે સૂબાબીલની જોડી અનાયાસ ટહુકે;
ફરી એ યુગલગીતનું અશ્રુ થઈ આંખમાંથી નીતરવું!

ફરી કોઈ ભૂલું પડેલું સ્મરણ રાતવાસો કરે, ને;
ફરી મધ્ય રાતે અમસ્તું સૂરજનું ભ્રમણ પર નીકળવું !

ફરી રાતની બેય કાંઠે છલોછલ નદી સ્વપ્ન ઘેલી;
ફરી ડૂબવાની ક્ષણે હાથમાં હોય એકાદ તરણું!

ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!

– દક્ષા બી. સંઘવી

સાંજનો સમય દિવસભરનો સૌથી રંગીન અને ગમગીન સમય હોય છે. સાંજે વાતાવરણ સોનવરણું તો થાય જ છે, પણ આ જ સમય યાદોના મધ્યાહ્નનો પણ છે. સંધ્યાટાણે જ આંખોમાં ખોવાયેલો ચહેરો વધુ તરવરતો હોય છે. ઝલમલ સિતારાઓનું ગાન ક્રમશઃ વધતું જાય છે, સાથોસાથ જ સંગાથની મુલાયમ ક્ષણો હથેળીમાં ઝરતી વર્તાય છે. સુબાબુલની ડાળે કોઈ પક્ષીની જોડી અચાનક ટહુકારી બેસે છે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડતું રોકી શકાતું નથી. ભૂલું પડેલું સ્મરણ ક્યાંય જવાના બદલે રાતભર માટે અડીંગો જમાવી બેઠું હોય ત્યારે મધરાતે સૂર્ય કારણ વિના ભ્રમણ પર નીકળ્યો હોય એમ લાગે. સ્મરણના અજવાળાનો આ પ્રતાપ છે. હરીન્દ્ર દવે તરત યાદ આવે: ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ રાતની સ્વપ્નઘેલી નદીમાં ડૂબી જવાની પળે કોઈક આવા જ સ્મરણનું તરણું બચાવી પણ લે છે. ક્યાંક એક લીમડા પર કોઈ હોલો ઘુઘવાટો કરે છે ત્યારે કેવળ રાન આખું તું હી તુંથી નથી ભરાઈ જતું, હૈયુંય અજંપાથી છલકાઈ ઊઠે છે…

આખી રચનામાં દરેક પંક્તિનો ‘ફરી’થી થયે રાખતો પ્રારંભ રચનાના લયહિલ્લોળને નવું જ આયામ બક્ષે છે… મજાનું ઊર્મિગાન! પણ એને કહીશું શું? ગઝલ કહીશું? ગીત કહીશું? ગીતનુમા ગઝલ કહીશું કે ઊર્મિકાવ્ય?

Comments (9)

શ્યામસુંવાળું અંધારું – જયન્ત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયન્ત પાઠક

પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.

Comments (5)

સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા.            આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.              આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.                 આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા.             આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.               આહા0 ૦૪

આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.

પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…

*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:

ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)

Comments (3)

એક ઇચ્છા – કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઇચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

– કલાપી

મારુ નમ્રપણે માનવું છે કે ગુજરાતી સાહિત્યજગતે કલાપીને જાણતા-અજાણતા અન્યાય કર્યો છે. કલાપી એક માત્ર ઉચ્ચ દરજ્જાનો કવિ જ નહોતો પણ એનામાં માનવમનની ગૂઢ઼તમ ગહેરાઈઓમાં ઝાંકવાની અનૂઠી તાકાત હતી-દ્રષ્ટિ હતી….

વાત vulnerability ની છે. આ શબ્દ માટે કોઈ સચોટ ગુજરાતી શબ્દ દીસતો નથી. કદાચ માનવી પોતાની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવીને તદ્દન સાજો-નરવો, લેશમાત્ર ઘા-પીડા વિના જીવી શકે. પણ સાથે જ એ ઈશ્વરદત્ત અણમોલ દિવ્ય આનંદોથી પણ વઁચિત રહી જાય !! જે પ્રેમ જ ન અનુભવે, તે પ્રેમની પીડાથી તો બચી જાય કદાચ, પણ પ્રેમના આસવની મસ્તીથી પણ તો એ વાંઝણો રહે ને !!

જખમ સહેવા પોસાય……હૃદયને કિલ્લેબંધ રાખવું ન પાલવે…..

Comments (3)

પોપટ બેઠો – ધીરુ પરીખ

અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.

આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !

બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં !

પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો !

– ધીરુ પરીખ

કોરોનાના ખપ્પરમાં વધુ એક કવિનો મૂર્તદેહ હોમાઈ ગયો…. કવિશ્રીને લયસ્તરો તરફથી એક નાનકડી શબ્દાંજલિ…

અછાંદસ જેવી લાગતી પણ કટાવ છંદમાં લખાયેલી આ ચુસ્ત રચના વાંચવા કરતાં ગણગણવાની મજા વધુ આવશે. કવિએ ઘણી જગ્યાએ ચુસ્ત અને મુક્ત પ્રાસ પણ પ્રયોજ્યા હોવાથી રચનાની લવચિકતામાં ચાર ચાંદ લાગી જાય છે. સવારે આમ તો પાંપણ અધખૂલી હોય, પણ કવિ તો સવારને જ અધખૂલી કહે છે. મતલબ સૂર્યનું નેણ હજી પૂરું ખુલ્યું નથી. આ ભડભાંખળાની વેળાએ કથકના જીર્ણ ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને ટહુકે છે. સવાર પૂરી થઈ નથી, ઘર ખખડી ગયેલું છે, પોપટ પણ નાનકડો છે અને એનો ટહુકો પણ આછો છે… બધું જ અધૂરું-આછેરું હોવા છતાં એક ટહુકામાત્રમાં વનનો આખો ઉઘાડ કવિના ઘરમાં-જીવનમાં વેરાઈ જાય છે. કેવી અદભુત વાત! બટકી ગયેલ તમામ નેવાં જાણે પાંદડાં બનીને ફરકવા માંડ્યાં, લાકડાના ઘરમાં લાકડાંને છેડે મજબૂતી માટે વપરાતી લોખંડની ખોળીઓ –વળીઓ જાણે કે ઘરવૃક્ષની ડાળીઓ બની ગઈ અને એની વચ્ચેથી એક નાનકડું સૂર્યકિરણ સરકી આવે છે. કિરણના પગલે ઘરની ઈંટ-ઈંટ પર જે ચાંદરણાં રચાયાં એ ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાં જેવા ભાસે છે. પલક ઝપકતાંમાં તો નાના અમથા પોપટની હાજરીના કારણે જૂનુંપુરાણું ઘર વનની ઘેઘૂર તાજગીથી ભર્યુંભાદર્યું બની જાય છે…

જીવનનું ખંડેર પણ આ જ રીતે નાંકડી ખુશીઓથી નંદનવન બની જતું હશે ને!

Comments (8)

વદાય – નરસિંહરાવ દિવેટીયા

સધ્યા સલૂણી થઈ લુપ્ત સુષુપ્ત થાયે
નૈને રમે તદપિ રંગ રૂડા બધા એ,
આનન્દ દેતું મૃદુ ગાન વિરામ પામે,
તોયે ભમી શ્રવણમાં ધ્વનિ રમ્ય જામે;
ખીલી હસે કુસુમ ને કરમાય જયારે
તોયે સુગન્ધ મનમાં કરી વાસ મ્હાલે;
હા ! તેમ આજ તુજ દર્શન લુપ્ત થાયે,
તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે.

– નરસિંહરાવ દિવેટીયા

વસંતતિલકા છંદની આઠેય પંક્તિઓમાં ‘એ’કારાંત પ્રાસ ઉપરાંત ત્રીજી-ચોથી અને સાતમી-આઠમી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો હોવાથી કાવ્યસંગીત વધુ કર્ણમધુર બને છે. પ્રિયજનની વિદાયની વાત છે. પણ શરૂઆત પ્રકૃતિના ઘટકતત્ત્વોથી થાય છે. સલૂણી સાંજ લુપ્ત થઈ જાય પણ એના રંગો આંખ સમક્ષ ક્યાંય સુધી રમતા રહે છે. આનંદ આપતું મીઠું ગીત પૂરું થઈ જાય એ પછી પણ એનો ધ્વનિ મનોમસ્તિષ્કમાં ભમતો રહે છે. મજાનું ફૂલ કરમાઈ ગયા બાદ પણ એની ખુશબૂ ક્યાંય સુધી સ્મૃતિમાં ઘર કરી રહે છે. એ જ રીતે પ્રિયપાત્રની વિદાય બાદ પણ એના ગુણો કથકના સ્મરણોમાં હરહંમેશ રમતા રહેવાના છે… કેવું મજાનું ગીત!

પણ હવે આ ગીતની સાથે શેલીનું આ કાવ્ય સરખાવીએ તો તરત જ ખ્યાલ આવશે કે આ તો સીધેસીધો ભાવાનુવાદ જ છે. નરસિંહરાવે આ કવિતા મૌલિક છે કે અનુવાદ એ અંગે ક્યાંય ફોડ પાડ્યો હોય તો મને એની જાણકારી નથી. કોઈ મિત્ર આ બાબત પર પ્રકાશ પાડશે તો ગમશે. જો કે શ્રી રામનારાયણ વિ. પાઠકે આ બંને રચનાઓ એકસાથે ટાંકીને લખ્યું છે કે, ‘શ્રી નરસિંહરાવ ઉપર અંગ્રેજીની પુષ્કળ અસર છે.’ પાઠકસાહેબ પ્રખર જ્ઞાની અને અભ્યાસુ હતા. તેઓ એકપણ શબ્દ નક્કર પુરાવા વિના કદી રજૂ કરતા નહોતા, એટલે એમની ટિપ્પણી પરથી એમ તારણ કાઢી શકાય કે કવિએ પ્રસ્તુત રચના અનુવાદ છે કે કેમ એ વિશે કવિએ ખુલાસો આપ્યો જ નહીં હોય.

Music, when soft voices die,
Vibrates in the memory—
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.

Rose leaves, when the rose is dead,
Are heaped for the belovèd’s bed;
And so thy thoughts, when thou art gone,
Love itself shall slumber on.

– Percy Bysshe Shelley

Comments (9)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજર જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

આપણી સીમા/મર્યાદા આપણે જ નક્કી કરીએ છીએ, અન્યનો કોઈ કસૂર હોતો નથી.

ઓ દેનેવાલે તુંને તો કોઈ કમી ન કી
અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દરકી બાત હૈ

Comments (1)

રખમાબાઈની ઉક્તિ – ઉદયન ઠક્કર

નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’

એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’

મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.

અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’

મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*

નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’

હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?

કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.

ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ. **

– ઉદયન ઠક્કર

*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.

********

સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?

ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.

અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.

આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.

છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.

(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)

એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)

Comments (14)

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

Comments (14)

ઢોલિયે – રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…

– રાવજી પટેલ

રાવજીની કવિતામાંથી મૃત્યુની હારોહાર અદમ્ય જાતીય વૃત્તિનો અણસારો પણ સતત મળતો રહે છે. કદાચ કાચી વયે ટીબીની, એ સમયની અસાધ્ય બિમારીના કારણે થયેલી શરીરની પાયમાલી સામે આદિમ વૃત્તિનો રોક્યો રોકી ન શકાય એવો હણહણાટ આ માટે જવાબદાર હશે.

સાસરામાં પોતીકાપણું ન અનુભવવાની ફરિયાદથી શરૂ થતી રચના રતિક્રીડાની આરત અને તડપ સુધી પહોંચે છે. ઢોલિયામાં પડ્યે-પડ્યે એ સાસરિયાંવની ગતિવિધિનો મૂક પ્રેક્ષક બનતો પડી રહ્યો છે, પણ ભીતરથી પત્નીનો અવાજ આવતો સુણીને એ પાંપણ બીડીને દરવાજો હળવેથી ખોલે છે. દરવાજો ખોલવાની ચેષ્ટા પત્નીના દુર્લભ દર્શનની તાલાવેલી સૂચવે છે, પણ દરવાજાની પેલે પાર એ દર્શન થનાર નથી એની ખાતરી પણ હોવાથી પાંપણ વાસી દઈને પત્નીને એ તાદૃશ પણ કરે છે. બે નાની અમથી ચેષ્ટામાં કવિ કેવી અદભુત રીતે કાવ્ય સિદ્ધ કરે છે! વિરહથી વેદનાસિક્ત દિવસ કાંટાની જેમ ભોંકાઈ રહ્યો છે, રાત ઊતરી આવનાર છે પણ પ્રિયાના કોઈ સગડ નથી. કાવ્યાંતે ‘આવેગ’ના બે ભાગ કરીને કવિએ બે અર્થ નિપજાવીને પણ કમાલ કરી છે.

અને જો જો હં… આ કંઈ અછાંદસ કાવ્ય નથી… ગાગાગાગાના આવર્તનો સાથે કટાવ છંદમાં લખાયેલી આ રચનાનો પ્રવાહી લય રચનાને મોટા અવાજે વાંચશો તો તરત અનુભવી શકાશે…

Comments (8)

અમર ઈતિહાસે – દેશળજી પરમાર

ભમો ઝંઝાવાતો,
ખમો વજ્રાઘાતો, હૃદય પળ ના દુર્બળ કરો;
તમારાં માર્ગોમાં અધિક બળિયું પૌરુષ ભરો;
નખશિખ નિરાશા પરહરો.

યુવાનો સત્કર્મે
પ્રજાના આદર્શે પ્રગતિભર ઉદ્ધાર સજશે,
પ્રયાણોના પંથે વિશદ પુનરુત્થાન ભજશે;
શિવ સ્વરૂપ સૃષ્ટિ સરજશે.

ઊગેલાં સ્વપ્નોનું,
અધૂરા યત્નોનું જતન કરવા જાગ્રત રહો,
નવા સંસ્કારોનું મધુર ગરવું ઓજસ વહો;
પરમ પ્રભુ-આદેશ ઊચરો.

મહા હેતુ માટે,
મહા સિદ્ધિ માટે અડગ દિલથી અંત મથવું,
ગ્રહીને સંજોગો જગ સકળને શોધી વળવું;
અખૂટ ઊલટે લક્ષ્ય રળવું.

ઊંડા આંતર્નાદે,
ઊંચા આશાવાદે યુવકજન હો ! રાષ્ટ્ર રચવું,
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું;
અમર ઈતિહાસે ભળી જવું.

– દેશળજી પરમાર

ખંડ શિખરિણીમાં લખાયેલ આ રચના વાંચવા માટે નથી, ગાવા માટે છે. મોટા અવાજે એનું પઠન કરતાં જ લોહી ગરમ થતું અનુભવાયા વિના નહીં રહે. રચના ભલે બહુ જૂની કેમ ન હોય, આજે પણ આજના યુવાધનને એટલી જ લાગુ પડે છે. મજબૂત રાષ્ટ્ર રચનાની આવશ્યકતા કદાચ જેટલી આજે છે, એટલી આ પૂર્વે ભાગ્યે જ હતી.

Comments (2)

ભીડ – રાવજી પટેલ

એકાંતમાં પણ ભીડ કેટલી જામી!

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ!
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ!

– રાવજી પટેલ

એકાંત અને પ્રિય વ્યક્તિની યાદનો કેવો અદભુત મહિમા!

પહેલી નજરે અછાંદસ લાગતી આ રચનામાંથી ગાલગાગા અને ગાગાલગાના નિયત આવર્તનોના કારણે મજાનું સંગીત પણ સંભળાય છે…

Comments (4)

ફાતિમા ગુલની ચિઠ્ઠી – ઉદયન ઠક્કર

(વનવેલી)

મારા પ્યારા મણિલાલ*

યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર

પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…

તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી

બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !

તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’

મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?

મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.

સુખી રહો એની સાથે
આશ્રમે બેસીને ગાજો:
ઈશ્વર અલ્લાહ તેરો નામ!

બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.

તમારી, એક વેળાની..

– ઉદયન ઠક્કર

* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા

મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.

Comments (4)

તને સંબોધીને – અરુણ વામદત્ત

તને સંબોધીને કવિતા કરવાનું મન ઘણું;
લખું મંદાક્રાંતા વળી શિખરિણી શાર્દુલ રચું;
અછાંદસ્ આલેખે કયમ ઉભયછંદી રસકથા?
અપદ્યાગદ્યે હું મ ભ ન ત ત ગા ગા ગણગણું ?

‘પ્રિયે!’ જેવું સાદું સરળ “સખી!’ સંબોધન કરું,
પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;
વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં
લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું?

હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,
હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં !
વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;
હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની !

મળ્યાં ત્યારે નહોતી ખબર મળવું યોગ્ય નહિ વા,
હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,
ભળ્યાં ત્યારે માણ્યું- વિરહ પણ આલિંગન હશે!
બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!

– અરુણ વામદત્ત

આયખાની ત્રણ પચ્ચીસી વળોટી જવાની ક્ષણે કવિ પંચોતેરમા વર્ષે પત્ની સાથેના પોતાના સહજીવન તરફ એક લાંબી નજર નાંખે છે. પત્ની વિશે કવિતા કરવાની ઇચ્છા બાબતની વિમાસણ સંબોધન શું કરવાથી જ શરૂ થાય છે. ઊભયછંદી પ્રણયરસકથાને આલેખવા કવિએ કયો છંદ વાપરવો, ન વાપરવો કે છંદ ત્યાગીને કામ કરવું એ બાબતે પણ વિચાર સેવ્યો છે. પણ અપદ્યાગદ્યે સંબંધનું ગાણું ગણગણવું યોગ્ય ન જણાતાં કવિએ શિખરિણી છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંબોધનથી લઈને શું લખવું-શું ન લખવુંની અવઢવયાત્રા સાથે કાવ્ય આગળ વધે છે. પણ લખવા કરતાં વિશેષ તો અન્યોન્ય માટેની એ અનુભૂતિનું મહત્ત્વ છે, જે ત્રીસ વર્ષની વયે હતી એવીને એવી જ પંચોતેરમા વર્ષે પણ બરકરાર રહી છે. ભલે સેંકડો ઉતારચઢાવ કેમ ન આવ્યા હોય, પણ સંધ્યાકાળે આવી પહોંચીને રાત વહેલી ન પડી જાય એની જ કામના છે. સહવાસની આ સાંજ વધુ ને વધુ લંબાય એ અભ્યર્થના જ સાચી કવિતા છે. મળ્યાં હતાં એ વખતે આ મિલન યોગ્ય છે કે કેમ એ બાબત પણ બંને સાશંક હતાં પણ હવે સમજાય છે કે કોઈ એક સાથી વિદાય લેશે તો એકબીજાથી ચડીને બીજું કોઈ પાત્ર કદાચ હતું જ નહીં અને મૃત્યુના કારણે સર્જાનાર વિરહ પણ એક આલિંગન જેવો લાગનાર છે, કેમકે બીજા જન્મે બંનેને પુનર્મિલનની અમર આશા છે…

આવા મજાના છંદોબદ્ધ કાવ્ય આજે જૂજ જ જોવા મળે છે…

Comments (6)

ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.

કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838

Comments (10)

સખિ! તારો- – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’

‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (3)

સુન્દ-ઉપસુન્દ – ઉદયન ઠક્કર

૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ

૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે

જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા

ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…

બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!

હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”

૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…

૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”

૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો

૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!

કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”

૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે

૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ

ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”

૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ

મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.

મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…

Comments

ખેડૂતની ભૂખ શું ભાંગે? – રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)

ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.

– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.

દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?

Comments (7)

અહો ગાંધી ! – સુન્દરમ્

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?

(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !

– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)

આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..

કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.

ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…

Comments (4)

તું હતી સાથમાં – નિરંજન ભગત

તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિઃશ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરે ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!

જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણે જાંયું કે તું ન’તી સાથમાં!

– નિરંજન ભગત

પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવી આ કવિતા હકીકતમાં ઝુલણા છંદના ગાલગા ગાલગાના અનિયત પણ ચુસ્ત આવર્તનોમાં રચાયેલ છંદોબદ્ધ કવિતા છે.

તું હતી સાથમાં કવિતાનું શીર્ષક પણ છે અને ઊઘડતી પંક્તિ પણ. આટલા પરથી જ સમજાઈ જાય છે કે જે પ્રિયજનની આ વાત છે એ હવે સાથે નથી. વિજન વનના કેડે પૂનમની રાતે બે પ્રેમભીનાં હૈયાં હાથ હાથમાં લઈને ચાલી રહ્યાં છે. અને એકમેકમાં રત પ્રેમીઓને એમ લાગે છે કે પ્રકૃતિ સમસ્ત એ બેની ઈર્ષ્યા કરે છે. ડાળ પરની મંજરીઓ મ્લાન વદને નમણો નિઃશ્વાસ ભરી એમના માર્ગમાં ખરી જાય છે, કોકિલા કંઠ પર કોઈ શિલા મૂકીને રૂંધતું ન હોય એમ છેલ્લો ટહુકાર કરી ગુસ્સામાં ક્યાંક ચાલી જાય છે, ચંદ્ર પણ દ્વેષભાવે આ લોકોને જોઈને કાળા વાદળના આંચલમાં લપાઈ જાય છે અને વાયુની લ્હેરખીય બંનેને આછું આછું અડીને કંઈક વેર વાળીને ચાલી જાય છે. બંને પ્રેમીઓ તો મૌનસમાધિમાં જ લીન રહી હાથ હાથમાં લઈને આ બધું જોયું-ન જોયું કરીને પોતાને મારગ ચાલ્યા કરે છે. સાયુજ્યની આ એવી પળ છે, આ એવી સમાધિ છે કે વાયુની લહેરખી સમી પ્રિયા કઈ ક્ષણે હાથ છોડાવીને ચાલી ગઈ એય નાયકને ખબર પડી નહીં… જીવનમાં અચાનક ખાલીપો અનુભવાયો ત્યારે જ નાયકને નાયિકાની ગેરહાજરીની પ્રતીતિ થાય છે…

Comments (2)

કોણ… – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વ્રુક્ષ પર એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખે વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરનાં આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર…

– રમેશ પારેખ

બળકટ શબ્દચિત્ર ! ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !!!!!

Comments (6)

પ્રથમ વિજય-ગીત – એમર્જિન (અનુ: વિવેક મનહર ટેલર)

.           હું, પવન દરિયા પર,
.           હું, ઊછળતું મોજું,
.           હું, દરિયાનું ગર્જન,
.           હું, સાતેય પલટન,
.           હું, ઉર્ધ્વમુખી હરણું,
.           હું, પહાડી બાજ,
.           હું સૂર્યનો ઝબકારો,
.           હું, ભૂલભૂલૈયે કિરણ,
.           હું, ધસતું જંગલી સૂવર,
.           હું, નદીની સાલમન,
.           હું, તળાવ મેદાની,
.           હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
.           કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
.           કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
.           કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
.           કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

*

દુનિયાનો સૌથી નાનો છતાં સૌથી વજનદાર શબ્દ કયો?

‘હું’ – ‘I’ – ‘मैं’ – બરાબર ને?

આ ‘હું’કાર ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે આ અહમ્ – ‘હું’કાર! એ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ એમર્જિન ના મોઢે આ ‘ૐ’કાર સાંભળીએ…

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે.

કવિતાનો વિગતવાર આસ્વાદ માણવા અહીં પધારવા વિનંતી છે.

*

First Triumph-Song

.           I, the Wind at Sea,
.           I, the rolling Billow,
.           I, the roar of Ocean,
.           I, the seven Cohorts,
.           I, the Ox upholding,
.           I, the rock-borne Osprey,
.           I, the flash of Sunlight,
.           I, the Ray in Mazes,
.           I, the rushing Wild Boar,
.           I, the river-Salmon,
.           I, the Lake o’er plains,
.           I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
.           Who can lead to falling waters ?
.           Who can tell the white Moon’s ages ?
.           Who can draw the deep sea fishes ?
.           Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

Comments (2)

તડકો – લાભશંકર ઠાકર

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

–  લાભશંકર ઠાકર

પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.

Comments (3)

રમ્ય શાંતિ – રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે….
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી…

– રાવજી પટેલ

અદભૂત શબ્દચિત્ર છે…..પ્રત્યેક શબ્દને કલ્પી જુઓ…..મનોહર સમો બંધાય છે…ખરેખર વિચારો જંપી જશે – સાચું મૌન અનુભવાશે

Comments (1)

ગાલ્લું – પ્રિયકાન્ત મણિયાર

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ !
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

-પ્રિયકાન્ત મણિયાર

આ કાવ્ય એક અદભૂત શબ્દચિત્ર દોરે છે….સરકતા જતા સમયની ભાસતી નિરર્થકતા એક ઘેરી વેદનાનું દ્રશ્ય નિરૂપે છે….નકરા fatalism ની ચૂભતી અનુભૂતિ….

Comments (4)

કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે. આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. કવિ જો આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો દુર્લભ પક્ષી કે જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ કવિતા પણ સામે ચાલીને આવી મળશે. સાચી કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.
*

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

Comments (7)

ચાંદની – બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
કપૂર ધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપ આભલાં.
પલ પલ ખૂલે જ્યોત્સના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવીની ઊભી જાણે લસે નવપદ્મજા!
પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
દિવસ અજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું!
જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
ભવનભવને મેડી સૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વીમલાં સૌન્દર્યો શા રહી રહી નીતરે!

– બાલમુકુન્દ દવે

આજે શરદપૂર્ણિમા. કાલે ચાંદનીપડવો. સહુને ઘારીમુબારક. અને લયસ્તરોના વાચકમિત્રો માટે ઘારી જેવી શરદપૂર્ણિમાની ચાંદની રેલાવતી આ કવિતા..

કવિનો કેમેરો કેવો કમાલ ફરે છે તે જુઓ… જીવનમાં અચાનક અને પૂરેપૂરું મળી જાય એની કિંમત રહેતી નથી. શરદઋતુની આ ચાંદની કદાચ એથી જ ધીરે ધીરે ગળાઈ-ચળાઈને, અર્થાત્ શુદ્ધ થઈને મોડી મોડી પણ પૂરબહાર ખીલે છે. ગળાયેલી ચાંદનીને કવિ કપૂરની સફેદી સાથે સરખાવે છે. આવી અદભુત ઉપમા આપણે ત્યાં ભાગ્યે જ જોવામાં આવી હશે. કપૂર એની આગવી સુગંધ ઉપરાંત સફેદી અને પારદર્શિતાના ગુણ ધરાવે છે. શુદ્ધ શ્વેત ચાંદની માટે આનાથી વધુ ઉપયુક્ત ઉપમા બીજી કઈ હોઈ શકે? વરસાદની મોસમ હવે પતી ગઈ છે એટલે આભમાં પવનની પાંખ પર સરકતાં વાદળો પણ સફેદ જ હોવાનાં.

કેમેરાનો લેન્સ હવે આખા બ્રહ્માંડને સમાવિષ્ટ કરી લે છે. ચાંદની જાણે વિશાળ પુષ્પ હોય એમ એની પંખડીઓ એક પછી એક ખુલતી જાય છે અને મધ્યમાં પૃથ્વી લક્ષ્મી સમી ઊભી ભાસે છે. આવા આ અપાર્થિવ અવસરે પાર્થિવ તત્ત્વો ચાંદનીમાં એકસમાન ન્હાઈને જાણે પરસ્પરમાં ઓગળી-વિલીને થઈ કળાત્મક કૃતિનું સર્જન કરે છે. દિવસના અજવાળામાં જે કદરૂપું ભાસે છે એ બધું પણ ચાંદનીમાં ધોવાઈને નવીન અને સોહામણું બની રહે છે. દુનિયા આખી તાંબાકુંડી ન હોય અને ચાંદ જાણે એમાં નહાવા ન આવતો હોય એમ ધીમે ધીમે આભથી સરી રહ્યો છે. અહીં કશું જ ઉતાવળે થતું નથી એનું કારણ ચાંદનીની શીતળતા અને શુભ્રતા છે. ઘરે ઘરે મેડી પર સૂતેલાં પ્રેમનિમગ્ન યુગલો પર નાનાં-બારીક છિદ્રોમાંથી જાણે ચાંદની નહીં પણ પ્રકૃતિની મમતા દ્રવી રહી છે. નદી-નાળાં, પર્વત-મેદાન-જંગલ – બધું રમણીય છે. પાંદડા પરની કીડી પણ કમનીય દેખાય એ ચાંદનીની કમાલ છે અને આ કમનીયતા આબાદ ઝીલી શકે એ કવિના કેમેરાની કમાલ છે. ચાંદનીનો પોતાનો નથી કોઈ દેહ, નથી આકાર પણ એ છતાં એ અવનવા આકાર લઈ અવનિ પર ઉતરે છે અને પરિશુદ્ધ પણ ગહન સૌંદર્યસૃષ્ટિની જનેતા બની રહે છે..

Comments (1)

શાહમૃગો – મનોજ ખંડેરિયા

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

 

આ કવિ સ્વભાવે ઋજુ છે. કોમળ શબ્દોના પ્રેમી છે. અહીં વાત અત્યંત વેધક કરી છે પણ તે પણ જુઓ કેવા કોમળ શબ્દોમાં !!! માનવસહજ શાહમૃગવૃત્તિને પોતાની આગવી નમણાશ સાથે આલેખી છે……

Comments (3)

ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાં મારાં ફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીને ત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારે મેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો 8 પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, 3-3-4-4-5-5-5-3 મુજબ પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-બ-અ-બ-ક-ક-ડ-ડ મુજબની છે. બીજો લાંબો અંતરો 12 પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-અ-બ-ક-બ-ક-ડ-ડ-ખ-ખ-ગ-ગ જેવી અટપટી છે. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?

ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ મેં અહીં કર્યો છે. જોઈએ, આ પ્રયાસ કેટલો સફળ નીવડ્યો છે તે.

Home Thoughts from Abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

Comments

ભીડ – રાવજી પટેલ

એકાંતમાં પણ ભીડ જામી કેટલી !

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારાની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ !
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !

– રાવજી પટેલ

નાની ઉંમરે આવજો કરી ન ગયો હોત તો રાવજીએ આપણી ભાષાને કેવી રળિયાત કરી હોત એની કલ્પના જ રોમાંચિત કરી દે છે. પહેલી નજરે અછાંદસ લાગતી આ રચના છંદોબદ્ધ છે. ગાલગાગા-ગાગાલગાના નિયમિત આવર્તનો રચનાને પોતાનો લય આપે છે, જાણે કે હવા આપની ચારેકોર વીંટળાઈને દબાણ વધઘટ ન કરતી હોય! પ્રિયજનનું સ્મરણ આપણા એકાંતને પણ કેવું ખીચોખીચ ભરી દે છે એની પ્રતીતિ કરાવતું મજબૂત કાવ્ય !

Comments (3)

સૂતી હતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં :
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા :

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ :

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી :
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી :

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી !

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!

– કૃષ્ણલાલ શ્રીધરાણી

દેશ આખો ગાંધીજીના પ્રભાવમાં અને પ્રવાહમાં કેદ હતો એવા ટાણે ૧૯૩૨ની સાલમાં શ્રીધરાણી પાસેથી આવું ઉમદા રતિરાગનું કાવ્ય મળે છે.

સંભોગની ચરમસીમા પછીની આરામની પળોમાં જોવા-બોલવાનું કશું હોતું નથી, મનોભાવ વાંચવાનુંય વ્યર્થ છે. બે દેહ એક થઈ જાય એનું પ્રેમગાન જ અબોલ સાદ કરતું હોય છે. આવામાં ચંદ્રની ચાંદની પ્રિયાના હોઠ પર પડતી જોઈ કવિની ‘પઝેસિવનેસ’ જાગૃત થાય છે. પણ ચાંદનીને હટાવવા ચંપાના પાંદડાનો પડછાયો કામમાં આવે છે એ પણ બીજી જ ક્ષણે પ્રિયાના અધરોષ્ઠ ચુંબનમાં ભાગ પડાવી કવિને હરાવી જતો હોય એમ લાગે છે.

કવિતા વાંચીએ ત્યારે આધિભૌતિક કવિતા (મેટાફિઝિકલ પોએટ્રી)ના પિતા જોન ડૉનની “ધ સન રાઇઝિંગ” કવિતા યાદ આવી જાય જેમાં રતિરત પ્રિયતમાને બારીના પડદા વચ્ચેથી પ્રવેશીને ખલેલ પહોંચાડતા સૂર્યને કવિ ખખડાવે છે.

 

Comments (3)

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

Comments (5)

અંતિમ ઇચ્છા : ૦૨ : લાભશંકર ઠાકર

ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ત્ર
મોંથી હશે મંત્ર ઝરંત સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સે’જ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ધ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.

– લાભશંકર ઠાકર

ગઈ કાલે આપણે વિદેહ પતિની અંતિમ ઇચ્છા વાંચી અને શ્રી હરિકૃષ્ણ પાઠકની સબળ કલમે આસ્વાદ માણ્યો. આજનું કાવ્ય આ કાવ્ય-દ્વયીમાંનું બીજું અને અહીં વિદેહી પત્નીની મૃત્યુ-પર્યંતની ઇચ્છા નિરૂપવામાં આવી છે…

Comments

અંતિમ ઇચ્છા : ૦૧ : લાભશંકર ઠાકર

ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
. કહું ?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.

– લાભશંકર ઠાકર

બે કાવ્યોના આ ગુચ્છમાંનું એક આજે માણીએ. શ્રી હરિકૃષ્ણ પાઠક આ કાવ્ય-યુગ્મને આ રીતે પોંખે છે: “પ્રસ્તુત કાવ્યો વિશે ‘રે’ મઠના કોઈ પણ કવિને પૂછશો તો કહેશે કે આ કાવ્યો ‘પૂર્વ લાભશંકર’નાં છે. અને હકીકત પણ એ છે કે ‘ઉત્તર લાભશંકર’ તો આપણી કવિતામાં નવતર અને આધુનિક ઉન્મેષો પ્રગટાવનાર સમર્થ આરંભકર્તા કવિ રહ્યા છે. પ્રસ્તુત બંને કાવ્યોની સંવેદના વ્યાપક માનવ્યની છે. તેની સામગ્રી, વિગત, અભિવ્યક્તિ, છંદ-લય-ભાષાનાં પોત અને સૌંદર્ય તેનું માર્દવ અને સનાતનતા – આ બધું જોતાં કહેવું પડે કે હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનચર્યામાંથી જ પ્રગટી શકે તેવા સર્જનનું અહીં અવતરણ થયું છે, જે સર્વાશ્લેષી છે. દામ્પત્ય પ્રણયનો અખંડ પ્રવાહ – તે ખંડિત થયા પછી પણ- વિદેહ વ્યક્તિના ઉદગાર રૂપે વહેતો નિરૂપીને કવિએ અનુક્રમે વિદેહ પતિ અને વિદેહ પત્નીના અદભુત કલ્પના-ઉદગારથી આ કાવ્યોની નવાજેશ કરી છે.”

Comments (5)

એક વૃદ્ધાની સાંજ – નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.

– નલિન રાવળ

પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…

Comments (3)