તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ
(મારો તમામ સંકોચ) - વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)
(રે અમે ને તમે ના મળ્યાં) - હરીન્દ્ર દવે
(સાંજતડકો) - નલિન રાવળ
અગ્નિ અને હિમ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)
અતિજ્ઞાન - કાન્ત
અષાઢે - ઉશનસ્
આંસુ - સુરેશ દલાલ
આકડે ય મધુ - ભાનુપ્રસાદ ત્રિવેદી
ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું
એ તે કેવો ગુજરાતી - -ઉમાશંકર જોશી
એક ગાય - પ્રિયકાન્ત મણિયાર
એક ઘા - કલાપી
એક મધ્યરાત્રે - રાવજી પટેલ
ઓળખાણ - પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)
ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? - પ્રિયકાન્ત મણિયાર
ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી - ઉમાશંકર જોશી
જવું હતું ગામ - ચંદ્રિકાબહેન પાઠકજી
જિંદગી કોને કહો છો ? - મકરન્દ દવે
જીવન અને સેક્સ - દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)
જો - ગીતા પરીખ
ઝૂમાં - નિરંજન ભગત
તારો વૈભવ - જયન્ત પાઠક
તૃપ્ત કરે જળકૂપ - બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)
દેવનું કાવ્ય - કૃત્સ ઋષિ
ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ
નવા વર્ષે - ઉમાશંકર જોશી
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
ફગાવીને બોજ - રાજેન્દ્ર શાહ
ભાઈ - રાવજી પટેલ
મનને કહ્યું (Dark Poem) - ચન્દ્રકાન્ત ટોપીવાળા
મરસિયો - શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)
મળ્યાં - સુન્દરમ્
મારા ઉરે કોઈ અબૂઝ વેદના - હરિશ્ચંદ્ર ભટ્ટ
રાજસ્થાન - જયન્ત પાઠક
રાતે વરસાદ - જયન્ત પાઠક
વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને - સ્વામી વિવેકાનંદ
વિ-નાયક - ચિનુ મોદી
વિજોગ - મનસુખલાલ ઝવેરી
વિરહિણી - કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)
શરણાઈવાળો અને શેઠ - દલપતરામ
સખિ ! જો - - રામનારાયણ વિશ્વનાથ પાઠક 'શેષ'
સપૂત - કૃષ્ણલાલ શ્રીધરાણી
સલામ - કૃષ્ણલાલ શ્રીધરાણી
સાંજ - વિનોદ અધ્વર્યુ
સુખદ સ્વપ્ન - સ્વામી વિવેકાનંદ
સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ
હૃદય ભલા - એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)



સલામ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.

ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?

સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !

- કૃષ્ણલાલ શ્રીધરાણી

સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !

કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…

બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…

સલામ કવિ ! સો સો સલામ !

Comments (6)

ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ

(ખંડશિખરિણી)

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
.                    હૃદય ગરવે મત્ત ન બને,
.                    મન નવ ચઢે તર્કચકવે;
.                    બસ મરણનું એવું બલ દે.

– સુંદરજી બેટાઈ

હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…

(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)

Comments (5)

દેવનું કાવ્ય – કૃત્સ ઋષિ

(અનુષ્ટુપ)

देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।

પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.

-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)

કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:

અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.

વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.

Comments (6)

ભાઈ – રાવજી પટેલ

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !

-રાવજી પટેલ

જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.

Comments (3)

હૃદય ભલા – એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)

હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.

જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.

-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)

*

વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…

Comments (5)

એક મધ્યરાત્રે – રાવજી પટેલ

અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

- રાવજી પટેલ

નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.

(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)

Comments (14)

સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

- સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

Comments (6)

અગ્નિ અને હિમ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)

કોઈ કહે જગતનો લય અગ્નિથી, વળી
કોઈ કહે હિમ થકી, પણ કામનાનો
જે કૈં મને સ્વાદ મળ્યો છે એથી
લાગે જ સાચા સહુ અગ્નિ પક્ષના.
બે વાર જો જગતનો લય હોય થાવો
મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે
કહી શકું હું હિમ પણ સમર્થ
વિનાશને કાજ, હશે જ પૂરતું.

- રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ. નિરંજન ભગત)

*

કવિતા શરૂ થાય છે આનંદમાં અને પરિણમે છે ડહાપણમાં – રોબર્ટ ફ્રોસ્ટની આ ફિલસૂફી એની કવિતાઓમાં સતત નજરે ચડે છે. સરળમાં સરળ વસ્તુ પર સરળમાં સરળ ભાષામાં કવિતા કરવી અને વાતના બે છેડા સામસામે ગોઠવી વાચકને ક્રોસરોડ પર છોડી દેવો એ એની આગવી શૈલી છે જે આ કવિતા કે ‘રોડ નોટ ટેકન’ જેવી ઘણી કવિતાઓમાં નજરે ચડે છે.

2012માં વિશ્વ નાશ પામશેની વાતો કરતાં કરતાં આપણે વર્ષના અંતભાગ સુધી આવી ગયા પણ વિશ્વનો નાશ અને પ્રલય એ કદાચ વિશ્વના ઉત્પત્તિકાળથી ચાલી આવતી ચર્ચા છે. વિશ્વ ક્યાં તો આગથી અથવા બરફથી નાશ પામશે એવી વાતો ફ્રોસ્ટના સમયે ચરમસીમા પર હતી. એ વાતનો મર્મ લઈને નવ જ પંક્તિમાં ફ્રોસ્ટ કેવી મજાની કારીગરી કરે છે !

અંગ્રેજી ચર્ચામાં રસ હોય એ મિત્રો લિન્ક ૧ અને લિન્ક ૨ પર ક્લિક કરી કાવ્યાસ્વાદ માણી શકે છે.

*
Fire and Ice

Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.

-Robert Frost

Comments (5)

સાંજ – વિનોદ અધ્વર્યુ

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

- વિનોદ અધ્વર્યુ

સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ…  બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.

Comments (11)

મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

- વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

Comments (11)

Page 1 of 5123...Last »

Powered By Indic IME