એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?
– નયન હ. દેસાઈ
રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)
ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.
ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.
– નયન દેસાઈ
કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?
મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…
પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.
નયનભાઈના કહેવા મુજબ તેઓ મૂળે તો ઉર્દૂના જ કવિ હતા, પણ પછી ગુજરાતીમાં આવ્યા. ઉર્દૂ ગઝલના પ્રેમવશ એમણે શરૂમાં ‘જફર વાલોડી’ તખલ્લુસ પણ રાખ્યું હતું અને આ પ્રેમને ખાતર જ તેઓ ખાસ ઉર્દૂ શીખ્યા પણ હતા. ૧૯૯૩માં એમનો એકમાત્ર ઉર્દૂ ગઝલસંગ્રહ ‘ધૂપ કા સાયા’ પ્રગટ થયો હતો, જેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ભાષા ગુજરાતી હોય કે પછી ઉર્દૂ, નયન દેસાઈ છૂપ્યા છૂપાતા નથી. સંગ્રહમાંથી એક ગઝલ આજે લયસ્તરોના ભાવકો માટે…
કવિતાનું શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ઉઘાડી આપે છે. ‘ગઝલ હાર્મની’ શીર્ષક પરથી ખ્યાલ આવે કે ગઝલના પરંપરાગત અંગોમાં હાર્મની- સંવાદિતા, સૂરસામંજસ્ય, સ્વરૈક્ય ઉમેરવાની વાત ગઝલના કેન્દ્રમાં હોવી ઘટે. ગઝલની શરૂઆત હિંડોળાથી થાય છે અને ગઝલમાં હિંડોળાને ધક્કો દેતી વેળાના ‘હેઈ હો! હેઈ’ ‘હેઈ હો! હેઈ’ ઉદગારની હાર્મની પણ સિદ્ધ થઈ છે. કવિએ દરેક શેરમાં ઉલા મિસરામાં ‘હેઈ હો’ અને સાનીમાં ‘હેઈ’ ઉમેરી સાચા અર્થમાં હાર્મની સર્જી પણ બતાવી છે. ઉલાના ‘હેઈ હો!’ના પોકારને સાનીનો ‘હેઈ’ આબાદ ઝીલી લે છે.
કવિના બચવાની એકમેવ શરત છે કે કવિતા ડંખ ન મારે! પણ એ તો બનવાનું નથી. સર્જક બચી જવાની વાત તો કરે છે, પણ સર્જકની તો વાતો સુદ્ધાં કવિતા જેવી હોય. ઉપરથી કંઈ કહે પણ અંદરથી અર્થ કંઈ અલગ જ હોવાનો. એમ ન હોય તો છંદોની સાંઢણીને ઉપર તુર્ત જ સવાર થઈ શકાય એમ નમાવીને નહીંતર શીદ તૈયાર રાખી હોય? છંદોની સાંઢણીને ઝોકારવાની વાત કવિતાની રીતે તો ઉત્તમ છે જ, પણ વ્યવહારમાં ઘસાતા શબ્દોને કવિતાની કલાઈ કરીને ઊજળા-ચળકતા રાખવાની કવિની મથામણની પણ એ દ્યોતક છે. ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.
નયન-ઑમ્નિબસ ‘નયનનાં મોતી’ના પ્રકાશનકાળે કવિએ આ શેર શા માટે બદલી નાંખ્યો એ કોયડો છે. મૂળ શેરમાં ઉલા-સાનીની હેઈ હો-હેઈની સાંકળી પણ જળવાઈ રહેલ છે અને કાફિયો પણ દુરસ્ત છે, જ્યારે નવ્ય સંસ્કરણમાં સાંકળી તો તૂટે જ છે, નજીવો કાફિયાદોષ પણ થયો છે. સ્વતંત્ર શેર તરીકે જો કે બંને જ સંતર્પક છે, મૂળ શેર કદાચ થોડો વધારે.
થયું, ચાલો, છોડી નીરવ ઘરનાં સંસ્મરણો સૌ
નથી રે’વું આહીં, સજળ નયનો સાદ કરતાં.
વીતેલાં વર્ષોનાં ખળખળ વહ્યાં નીર હૃદયે,
વળાવા આવો લ્યો, સ્વજન સરખાં ઊમ્બર ભીંતો,
નહીં આવો કોઈ? વિનતિ મુજ આ વ્યર્થ જ જશે?
અહીં સંબંધોના શબદ સઘળા મૂક જ હશે?
સવારો થીજેલી, તરફડ થતી સાંજ ઢળતી,
છતાં તારા ખોળે અનુપમ અહો હૂંફ મળતી.
અહીં બારી ખોલું, ટહુક ટહુક્યું આભ ઊઘડે,
અહીં બારી ખોલું, નજર મહીં બ્રહ્માંડ છલકે!
– નયન હ દેસાઈ
નયનભાઈ પાસેથી આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ છંદોબદ્ધ કાવ્ય આપણને મળ્યાં છે. સૉનેટ તો બેએકે જ. આ રચનામાં જ ચાર કડી ઉમેરી સૉનેટકરાર આપી શકાયો હોત, પણ એવું કરવાથી કવિ દૂર જ રહ્યા છે. જે ઘરમાં હવે કોઈની ઉપસ્થિતિનો રવ રહ્યો નથી એ ઘરને છોડી જવા કવિ વિચારી રહ્યા છે. સ્વજનોની ગેરહાજરીમાં સ્વજન જેવાં બની રહેલ ઘરનાં ઊમ્બર અને દીવાલોને વળાવવા આવવા માટે કવિ વિફળ વિનંતી કરે છે. પણ આ નિર્જીવ ભીંતોની વચ્ચે સજળ નયનોનો સાદ હજી સંભળાઈ રહ્યો છે… ઘાયલ સમય થીજી ગયેલ ભલે અનુભવાય, બારી ખોલતાવેંત ન કેવળ ટહુકંતુ આભ નજર સમક્ષ ઊઘડે છે, આખેઆખું બ્રહ્માંડ છલકાતું દેખાય છે… હવે આ ઘર કઈ રીતે ત્યજવું?
કોઈપણ દેશકાળમાં સાહિત્ય જે તે સમયના સમાજનો સાચો અરીસો કહેવાય છે. નયનભાઈની રચનાઓ આ બાબતમાં પ્રતીતિકર કહી શકાય. આસપાસના સમાજની બોલી અને રિવાજોને એમણે પોતાની કવિતાઓમાં અમરત્વ બક્ષ્યું છે. ‘ઘેરિયા ગઝલ’ એનો એક દાખલો છે.
અત્યારે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે આ રચના પ્રસ્તુત પણ ગણાશે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. તાપીથી વાપી – દક્ષિણ ગુજરાતના હળપતિઓ નવરાત્રિથી દેવદિવાળી સુધી માતાની આરાધના માટે ૨૦થી ૨૫ના સમૂહમાં, અર્ધનારીનો વેશ ધારી ગામેગામ અને ઘરેઘરે ફરીને ઘેર, ઘેરિયા કે ઘેરૈયા નૃત્ય કરે છે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. ગળામાં મણકા-મોતી કે ગલગોટાનો હાર, કમરે ઘૂઘરા, કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણિયાં, એક હાથમાં મોરપીંછનો ઝૂડો ને બીજામાં દાંડીયું -આ એમનો શણગાર અને ત્રણ સાડીનો પોશાક. એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી કબજાની ઉપર ખભે બાંધીને અને ત્રીજી ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરવામાં આવે. સમૂહનો વડો એટલે કવિયો. એ ગીત ગાય-ગવડાવે તથા નાચે-નચાવે. એક ઘેરિયો આખા શરીરે કાળો રંગ અને પાછળ ઘંટ બાંધેલી પૂંછડી લગાવી કાળી બિલાડી બને. બાળકો ‘કાળી બિલાડી ઘંટા ચોર, મંદિરમાંના પૈસા ચોર’ એમ બૂમો પાડીને એને ચીડવતા ચાલે. ઘેરૈયાનૃત્યમાં જન્મથી મરણ સુધીનું જીવન ગવાય છે, પણ મુખ્યત્વે વિવિધ દેવીદેવતાઓનું સ્તવન કરાય. ગાતા-નાચતા ઘેરિયાઓ ગામના દરેક ઘર પાસે થોભે. ઘરની સ્ત્રીઓ એમની પૂજા કરી, મોરપીંછની આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય. કાળી બિલાડી ઘરની અંદર જઈ ભૂત-પ્રેત ભગાડે. એકહાથે મોરપીંછનો ઝૂડો હલાવતા અને બીજા હાથના દાંડિયાથી અન્ય ઘેરિયા સાથે રાસ રમી ગરબા ગાતા ઘેરિયાઓ કવિયો જે ગાય એને ‘હાં રે હાં ભાઈ’ કહી સમૂહમાં ઝીલી લે છે. મોટાભાગનાં ગીતોમાં આ સિવાય ‘સામળેક’ અર્થાત્ ‘સાંભળે છે ને?’ અને ‘મોરચા’ યાને ‘બચ્ચા’ પણ કડીએ કડીએ આવે. આટલી પૃષ્ઠભૂ જાણ્યા વિના ઘેરિયા ગઝલ વાંચીશું તો કવિની સમાજ-ચેતનાને ઘોર અન્યાય થશે.
September 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.
જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.
અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.
સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.
મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.
મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’
આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?
September 4, 2025 at 11:03 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.
ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.
એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.
બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.
મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.
– નયન હ. દેસાઈ
ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.
નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.
ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!
વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?
(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)
તમારી તો મીઠી મીઠી વાણીની મીઠાશ માણું
શબદોના સ્વરને ને વ્યંજનાને હું પ્રમાણું
ટહુકા વેરો પ્રભાતે
વાત કરો મારી સાથે
કોઈ નહીં બોલાવે તો આમ મૂંગા થૈ જવાનું?
રેખાઓમાં કેદ ક્યાંથી પાંખ ફફડાવવાનું
બે ઘડી તો વ્હાલાં વ્હાલાં પંખીડાઓ ડોલો કાંઈ
કેમ સાવ મૂંગા મૂંગા બેસી રહ્યાં બોલો કાંઈ
કોઈ પરિચયને નાતે
વાત કરો મારી સાથે…
– નયન હ. દેસાઈ
કવિ ઉદયન ઠક્કરે કેવળ ગીત અને ગઝલમાં રાચતા આજના કવિઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?” આવું જ ગીતના લય બાબતે પણ કહી શકાય. મોટાભાગના ગીતકારો ષટક્લ અને અષ્ટકલ -એમ બે જ લયમાં ગીતવિહાર કરતા દેખાય છે. આજે આ મહેણું ભાંગતી એક રચના માણીએ…
નયન દેસાઈ એટલે સતત કંઈ નવું કરવા મથ્યા કરતો કવિ. દલપતરામે લોકપ્રિય બનાવેલ મનહર છંદમાં આપને ત્યાં પ્રમાણમાં ઓછું કામ થયું હોવાથી એ ખોટની ભરપાઈ કરવા કવિએ મનહર છંદમાં આખેઆખો કાવ્યસંગ્રહ આપ્યો. આ સંગ્રહમાં ગઝલ, ગીતો ઉપરાંત બાળગીતો પણ છે – બધું જ મનહર છંદમાં. પ્રસ્તુત રચનાનો લય રુઢ લય ષટકલની નજીક નજીકનો છે, પણ એને ચુસ્ત ષટકલકરાર આપી શકાય એમ નથી. વળી, મનહર છંદની રવાનીમાં પઠન કરવાની જે મજા છે એ કદાચ ષટકલના રુઢ લયથી બે આંગળી ઊંચે છે.
ચિત્રમાંના પંખી તો મૂંગા જ હોવાનાં ને! પણ કવિ કોને કહે? એ તો એમની સાથે પણ વાર્તાલાપ સાધે છે, અને એમને કોઈને કોઈ બહાને જીવંત થઈ વાત કરવા ઈજન આપે છે… સરળ બાનીમાં કેવું સહજ ગીત!
એક (મુઠ્ઠી વાળતાં): ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?
બે (અચાનક ભીંત પાસે જઈ): ‘મને તું છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે!
‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’
‘સાંભળે છે? (એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’
એક (બોલે છે સ્વગત): ‘આકાશમાંના હે પિતા!’
—બે ત૨ફ ધારીને જુએ, મીણબત્તી હોલવે છે!
– નયન દેસાઈ
જીવનના સુનિશ્ચિત અર્થની શોધ અને અસ્તિત્ત્વની દેખીતી નિરર્થકતા અને અનિશ્ચિતતા – આ બે અંતિમોમાંથી કોઈ એક તારતમ્ય સુધી પહોંચવાની મનુષ્યજાતની ખેવનામાંથી જે સાહિત્ય સર્જાયું એને આપણે એબ્સર્ડ સાહિત્ય કહીએ છીએ. સમજણના પ્રદેશની બહારનું વિષયવસ્તુ, અસંગત અર્થહીન સંવાદો, વાસ્તવથી વિમુખતા, જીવનની અર્થહીનતા બાબતનો વ્યંગ વગેરે એના પ્રાણ છે. એબ્સર્ડ સાહિત્યનો હેતુ નિરર્થકમાંથી અર્થ શોધી બતાવવાનો નથી, પણ આપણને આ બાબતમાં વિચારતા કરવાનો છે… આપણી ચેતનાને ઝંકોરીને એ આપણને અસ્તિત્ત્વ બાબતે વિચારવા મજબૂર કરે છે.
નયન દેસાઈએ સાહિત્યના શક્ય કોઈ આયામને સ્પર્શવાનું કદાચ બાકી નથી રાખ્યું. પ્રસ્તુત એબ્સર્ડ નાટ્યગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે. અહીં બે પાત્રો છે –એક અને બે. એક આવીને સ્ટેજ વચ્ચે સળગતી મીણબત્તી ગોઠવે છે. (મીણબત્તી સળગતી છે એ બીજી વ્યક્તિના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે.) સ્ટેજ ઉપર બીજું કોઈ નથી, એટલે એને એકાંત ઘુઘવતું હોવનું અનુભવાય છે. હવા ફેફસામાં કણસતી લાગે છે, પણ આમાંનું કશું નવીન નથી. યુગો-યુગોથી આ જ હાલત હોવાની વાત ગીતાનો સંદર્હ લઈ કવિએ કેવી પ્રભાવક રીતે કરી છે એ પણ જોવા જેવું છે. બીજું પાત્ર સ્ટેજ પર આવતાં જ સળગતી મીણબત્તીની ગંધમાં એને લોહી જેવું કશુંક બળતું હોવાનું અનુભવાય છે. બંધ કમરામાં એકત્ર થયેલ ધુમાડાના રાજને એ જે રીતે રજૂ કરે છે એ પણ અદભુત છે. આખી ગઝલ સમજી શકાય એવી પણ છે, અને આખી ગઝલમાંથી શબ્દે શબ્દે અનિશ્ચિતતા અને નિરર્થકતા ટપકતી પણ અનુભવાય છે. સરવાળે, લાંબા સમય સુધી મનોમસ્તિષ્ક પર ભરડો જમાવી રાખે એવી ગઝલ આપણને સાંપડી છે.
*******
કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-
સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….
May 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.
કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.
રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.
ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.
ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.
– નયન હ. દેસાઈ
એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…
જ્યાં નશામાં જીતના ફરતો રહ્યો,
તેં હરાવ્યો સાતમા કોઠે મને.
વ્યક્ત કરવો છે મને- પણ કઈ રીતે?
છેતર્યો તેં શબ્દના ઓઠે મને.
– નયન હ. દેસાઈ
એક જમાનો હતો જ્યારે વારાંગનાઓના કોઠા સમાજનો અગત્યનો હિસ્સો ગણાતા હતા. સભ્ય સમાજના લોકો ચાલચલગત શીખવા માટે તરવરિયા યુવાનોને કોઠા પર મોકલતા હતા. પાકીઝા, ઉમરાવ જાન, સાહેબ બીબી ઔર ગુલામ, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોએ આ કોઠાઓના વૈભવને ખૂબ મહિમાન્વિત પણ કર્યો છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સ્વાભાવિકપણે એ સમયના સંસ્કારોની નીપજ છે. સાંજ પડતાવેંત જીવને અસુખ અનુભવાવા માંડે એવા સમયે નખશિખ સજ્જન કવિને પણ કોઠો યાદ આવે છે, કેમ જાણે જિંદગીના તમામ અસુખોનો ઈલાજ ત્યાં જ ન હોય! આ તો થઈ મત્લાની વાત, પણ સરવાળે તો આખી ગઝલ જ સંતર્પક થઈ છે… નિભાવવી કઠિન થઈ પડે એવી રદીફ સાથે બખૂબી કામ પાર પાડીને કવિએ આપણને સાદ્યંત સુંદર ગઝલ આપી છે. નવા ગઝલકારો માટે સારું-નરસું નક્કી કરવું દોહ્યલું બની જાય એ હદે ચારેતરફ ગઝલોનો મહાસાગર ઉછાળા મારી રહ્યો છે, પણ સાચા અર્થમાં સારા ગઝલકારો શા માટે સારા ગણાયા એ સમજવું હોય તો આવી ગઝલો તરફ આપણી ધ્યાનની નૈયાનું સુકાન ફેરવવું પડે…
ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.
– નયન દેસાઈ
નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!
November 25, 2023 at 10:54 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના
ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના
ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના
– નયન દેસાઈ
કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.
October 22, 2023 at 11:36 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ
પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે
ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.
પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે
સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે
સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.
– નયન દેસાઈ
‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…
પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.
વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.
નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.
છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…
– નયન દેસાઈ
કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.
October 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નયન દેસાઈ
*
અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?
– નયન દેસાઈ
ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.
એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.
અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.
કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !
October 18, 2023 at 11:30 AM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે
સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?
રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?
પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?
– નયન દેસાઈ
સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….
લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.
આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.
વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.
ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.
બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.
ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!
– નયન દેસાઈ
આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?
‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.
સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.
October 16, 2023 at 7:26 PM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
એની એવી છે ટેવ સીધું કૈના વિચારે
અને બદલે છે હરએકનાં નામઃ
પાંદડાને લીલુંછમ જંગલ કહે
અને પંખીને ટહુકાનું ગામઃ
ફૂલોને જુએ તો ઝાકળ થૈ જાય
અને આંખો ભીંજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
તોડીફોડીને કાચ આયનો બનાવે છે
અને ચીતરે છે ચહેરાના ભાવ,
સૂરજના ડૂબવાનો અર્થ કરે એવો
આ તો બારીમાં સાંજનો પડાવ
પાંપણમાં પૂરેલી રાત વેચી વેચી
તડકાઓ વાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
કાંઠો જુએ તો કહે : એકલતા ગાય છે
વહેવાના સંદર્ભો સાવ જુદા બોલે છે
ખારવાનાં ડૂબેલાં ગીત કરી એકઠાં
પેટીની જેમ પછી પરપોટા ખોલે છે
દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
– નયન દેસાઈ
નયનભાઈ સિવાય આવી કવિતા કોણ કરી શકે…!! એક હળવી શૈલીમાં લખાયેલી પરંતુ તેમાં આવી સરસ અર્થગંભીર પંક્તિ કેવી સહજતાથી ભળી જાય છે !!! —
“દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ”
નયનભાઈની આ જ ખૂબી હતી. થોડું એવું લાગ્યા કરે કે ગુજરાતી કાવ્યજગત નયનભાઈને ઉચિત સન્માન ન આપી શક્યું…. નયનભાઇને પણ એ વાત થોડી ખટકતી-એકવાર ભગવતીકુમાર શર્મા આગળ હૈયાવરાળ ઠાલવી પણ હતી. પણ મસ્તમૌલા જીવને એવો ખટરાગ સદે નહીં… પાછા પોતાના અસલ મિજાજમાં આવી ગયા હશે…. અંગત રીતે મારા ગમતા કવિ ! તેઓને વાંચવા કરતાં સાંભળવાનો લ્હાવો વિશેષ ! એક વખત કવિસંમેલનમાં જરા ઢીલો દૌર ચાલતો હતો અને ભાવકો થોડા કંટાળ્યા હતાં – નયનભાઈ માઈક પર આવ્યા….. કોઈ પ્રસ્તાવના વગર સીધું જ બોલ્યા – ” મને કોલેજમાં એક છોકરી બહુ ગમતી, એ આખી દુનિયાની સૌથી સારી છોકરી હતી. એનો એક બાપ હતો, તે આખી દુનિયાનો સૌથી ખરાબ બાપ હતો…..” – આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું….અને પછી નયનભાઇ રંગમાં અને ઓડિયન્સ પણ રંગમાં….
બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.
નયન હ. દેસાઈ.
જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.
જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.
રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.
લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.
December 26, 2020 at 12:30 AM by વિવેક · Filed under નયન દેસાઈ, શેર
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી એમની ગઝલનો એક શેર આપણે જોઈએ. એબ્સર્ડ એટલે જેમાંથી દેખીતો અર્થ તારવવો તો મુશ્કેલ હોય પણ એક અનૂઠી અનુભૂતિ ચોક્કસ કરાવે એ. આ મત્લામાં એકપણ ક્રિયાપદ તો નથી જ, પણ ચૌદ જ શબ્દોના બે મિસરામાં પાંચ-પાંચવાર ‘આ’ વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપીને કવિ આપણને જિગ-સૉ પઝલ પૂરી કરવાનું આહ્વાન પણ આપે છે. આખી ગઝલ જ દૃશ્ય ગઝલ છે, અને એમાં શિરમોર છે આ મત્લા. અહીં બે પંક્તિની સાંકડી ગલીમાં એક-એક કરતાં સાત-સાત દૃશ્યો સાથ-સાથ છે. બધા સાથે દર્શક સર્વનામ ‘આ’ લગાડાયું છે, એટલે જેની વાત થઈ રહી છે, એ સાવ નજીકમાં છે, કદાચ અડી શકાય એટલું. પહેલું દૃશ્ય ‘આ’ વ્યક્તિનું છે. બીજું ‘આ’ ટોળાંનું. ‘लोग साथ आते गये और कारवाँ बनता गया।’ શેર અડધે પહોંચ્યો નથી ને એનો પ્રસાર છેક વયષ્ટિથી સમષ્ટિ સુધી થઈ ગયો! ત્રીજું-ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં-બીજા સાથે સંકળાયેલ અનુભવાય છે. વ્યક્તિ બોલે એ શબ્દો પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ધુમાડાની જેમ જ ટોળાંનો અવાજ કદી સ્પષ્ટ હોતો નથી ને તુર્ત જ વિખેરાઈ પણ જાય છે. એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી, એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે… ઉલા મિસરામાં દૃશ્યગતિ અ-બ-અ-બ જેવી આવજા કરતી દેખાય છે, તો સાની મિસરામાં એ એક જ લીટીમાં સુરેખ થતી નજરે ચડે છે. આંખો, આંખોને દેખાતાં દૃશ્યો અને દૃશ્યો શેનાં તો કે ઊંડી કરાડોનાં. સામસામે ઊભેલાં દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે, જે શબ્દો જેવા સાફ હોવા ઘટે, પણ ટોળું એ ધુમાડા જેવી શૂન્યતા, અસ્થિરતા, અનિશ્ચિતતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ વળી ઊંડી પણ છે… અર્થાત્, નજર સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે ભલે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ જ છે… અને આ તો એબ્સર્ડ ગઝલનો શેર છે. ગાયના આંચળની જેમ એને દોહીને અર્થનું દૂધ તારવવાના બદલે એને માત્ર અનુભવવાની કોશિશ કરીએ તો? કદાચ તોય આ શેર આસ્વાદ્ય બની રહે છે…
ટૂંકમાં, કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને અહીં નિતનવા દૃશ્યો રચે છે. કેલિડોસ્કૉપ યાદ આવે – ફેરવો એટલીવાર નવી ડિઝાઇન!
February 13, 2020 at 1:08 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.
ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.
પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…
કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…
– નયન હ. દેસાઈ
સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.
રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.
નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…
આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું યે વહાલું લાગે.સાસરિયું ખારું છે,પિયરિયાની યાદ સતાવે છે, એવું બોલનારી ઘણી સ્ત્રીઓ મળી આવશે.આ કાવ્યની ભરવાડણ જોકે જુદું બોલે છે.
‘સાસરું’ નામ પડતાંવેંત ભરવાડણને ત્રણ વાનાં સાંભરે છે,ત્રણેય પ્રસન્ન કરી મૂકે તેવાં છે: ગાગર સૂકીભઠ નહિ પણ છલકાતી છે. (સુખસમૃદ્ધિની રેલમછેલનું સૂચન.)દી’ આથમતો નહિ પણ ઊગતો છે.(યૌવનકાળનું સૂચન.) સાંભરે છે તે વઢિયારી સાસુ નહિ પરંતુ હસમુખી સહિયર.(આનંદી અડોસપડોસનું સૂચન.)
શિરામણ એટલે નાસ્તો.નાનકડો દિયર વાસીદું વાળતી ભાભીનો છેડલો તાણીને હકપૂર્વક શિરામણ માગે,એ પરિવારમાં પ્રેમ તો હશે જ ને!
પિયરમાં રાત્રિ સૂમસામ છે.સાસરું સાવજની ત્રાડથી થરથરતું.ભરવાડણને તેના ભણકારા સંભળાય છે. (રાત્રિએ ત્રાડ પાડતો સાવજ જાતીયતાનું પ્રતીક હોઈ શકે.પિયરમાં એ સાવજ ક્યાંથી હોય?)
ભરવાડણ આડે પડખે તો થઈ છે, પણ નીંદર આવતી નથી.સાસરિયામાં ‘નીંદર બાથમાં લઈ લેતી હતી.’ (‘પતિ બાથમાં લઈ લેતો હતો’ એવું લખવું અશ્લીલ લાગે.) શૃંગાર રસનું ઉદ્દીપન કરવાનું હોવાથી ‘દેહ’ શબ્દ ખાસ મુકાયો છે.
સાંજ ટાણે પતિ ફળિયેથી સાદ દેતો હતો,તે ભરવાડણને સાંભરે છે.સ્ત્રીસહજ લજ્જાને કારણે સાદ કોણ દેતું હતું,તે કહ્યું નથી.કુળમર્યાદાને લીધે સામો સાદ ન દેવાય, માટે ભરવાડણ આંખોમાં મલકી લેતી હતી. પ્રસંગ મંગલ હોવાથી એને ‘અવસર’ કહ્યો છે.
‘ભાભુ’ એટલે ભાભી અથવા દાદી.પિયરિયે આવેલી યુવતી જાણે ફરીથી છોકરી બની જાય છે, છણકો કરીને કહી દે છે,’મારે મહિયર આવવાની હોંશ નહોતી,આ તો તમે બધાં પાછળ પડેલા માટે આવી છું!’
છેલ્લા શેરમાં આપણને જાણ થાય છે કે ભરવાડણ આ બધું પોતાની માતાને સંબોધીને કહેતી હતી. કરી શકાયો તેટલો ઉત્તાપ તેણે સહન કર્યો, હવે પતિના ગામ ભણી ચાલતી થાય છે. વધુ રોકાવાની દાનત હતે,તો બેગ-બિસ્તરા બાંધીને આવતે.વેળાસર ઉચાળા ભરવા હતા, માટે પોટલું (બચકું) લઈને આવી છે.
ભરવાડણને કોણ સાંભરે છે? ક્યાંય સુધી આડીઅવળી વાતો કર્યે રાખી: ગાગર સાંભરે,સહિયર સાંભરે,દિયર સાંભરે,પાધર સાંભરે,નીંદર સાંભરે…અંતે હૈયે હતું તે હોઠે આવી જ ગયું: આયર સાંભરે! (ભરવાડ અને આયર જુદી જાતિઓ છે. આ કાવ્યનું શીર્ષક હોવું જોઈએ, ‘પિયર ગયેલી આયરાણીની ગઝલ.’)
આ કાવ્ય ગઝલના આકારમાં રચાયું છે.ગઝલનો સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક શેર વડે સ્વતંત્ર કાવ્ય સર્જાવું જોઈએ. અહીં તેવું થતું નથી. જોકે આપણને મમ-મમથી કામ છે, ટપ-ટપથી નહિ. આપણે હરખભેર કહી શકીએ કે આ એક ઉત્તમ કાવ્ય છે.
March 23, 2018 at 1:32 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.
લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.
તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.
હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.
ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.
કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો
– નયન હ. દેસાઈ
જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.
આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.
એક જ શેર હાથમાં લઈએ:
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…
November 30, 2011 at 11:54 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
એવા ટહુકાવત્ બનતા બનાવ બનાવ
સૂરતમાં પોપટ બોલે
હવે સોનાનું પાંજરું ઘડાવ ઘડાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મારે લીલાં પીંછાંને ઝીણું આભ, આંખોથી ઝરમર ઝરે
મેં તો વાસંતી પગલાંને સૂંઘ્યાં ને કંકુની ખરખર ખરે
ફૂલ ફેંકીને ઝાકળ ઉઠાવ ઉટાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મેં તો કળીઓના પગરવને સાંભળ્યો ને પાંદડાઓ છાંયો કરે
આંગણે આવેલા અવસર આ કેવા કે,
પંખી ખુદ પારધીનો પીછો કરે
તારી આંખની કટારી લગાવ લગાવ
સૂરતમાં પોપટ બોલે
– નયન દેસાઈ
નયનને કલ્પનોનું વરદાન છે. સામાન્ય કવિ પોપટ-પાંજરું-ફૂલ-ઝાકળ-પંખી-પારધી એવા કલ્પનો વાપરે તો ચવાઈ ગયેલા લાગે પણ અહીં એના એ જ કલ્પનો મઝાના ખીલી ઊઠે છે. ગીત શું કહે છે એ સમજાય પહેલા જ આ ગીતની મીઠાશ, એનો માહોલ તમને અડકી લે છે.
કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું. ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી. શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા. એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ ! રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી. ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-
તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…
અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છે… ચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું. મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો. કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…
હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
– નયન દેસાઈ
સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો. ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું. જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા. દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે. અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે. કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…
October 15, 2010 at 2:05 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ
ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
-નયન હ. દેસાઈ
સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!
June 7, 2010 at 10:09 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…
નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…
– નયન દેસાઈ
સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂
જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…
બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.
હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.
– બરકત વિરાણી ‘બેફામ’
જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી
ડૂબી જવાય એવું તળિયુંય ક્યાં મળે છે
અંતે તો લાશ તરતી એવું આ છળકપટ છે.
– નયન દેસાઈ
ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી
બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી
નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.
લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…
આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.
વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?
આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…
શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….
November 18, 2008 at 10:03 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી. અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં, અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી, ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.
વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો, નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.
રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ, મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.
– નયન દેસાઈ (એસ.એસ.સી.!)
માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.
ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:
ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?
મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.
ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.
કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.
રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.
-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.
જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.
રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.
બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.
નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,
કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.
(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)
રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.
ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.
સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !
August 29, 2008 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
(… …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત… …)
હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે
શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે
ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?
આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.
-નયન દેસાઈ
હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…
સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…
બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:
રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.
૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.
કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.
જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.
ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !
ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.
-નયન હ. દેસાઈ
નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !
July 16, 2007 at 11:07 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો
ઉદાહરણ : જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો
પક્ષ: ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો
સાધ્ય: પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો
સાબિતી: ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો
– નયન દેસાઈ
નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !
બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે…બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.