નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

ઘાયલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નયન દેસાઈ

નયન દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અથશ્રી હોવું - નયન દેસાઈ
આપણી યાદગાર ગઝલો : ૧૮ : માણસ ઉર્ફે - નયન હ. દેસાઈ
આપો મને ખબર -નયન દેસાઈ
ગઝલ - નયન દેસાઈ
ગઝલ - નયન દેસાઈ
ગઝલ - નયન હ. દેસાઈ
ગઝલ પ્રમેય - નયન દેસાઈ
ગઝલે સુરત (કડી-૧)
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨
નયન દેસાઈ એસ.એસ.સી. - નયન દેસાઈ
મગદલ્લા બંદરની છોકરી... - નયન દેસાઈ
માણસ ઉર્ફે... - નયન દેસાઈ
મુકામ પોસ્ટ માણસ - નયન દેસાઈ
રસ્તા પર સૂતેલા માણસનું ગીત - નયન દેસાઈ
સૂની પડી સાંજ
સૂરતનો વરસાદ - નયન દેસાઈ



સૂરતનો વરસાદ – નયન દેસાઈ

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે…  સૂરતનો…

- નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? :-)

Comments (18)

આપણી યાદગાર ગઝલો : ૧૮ : માણસ ઉર્ફે – નયન હ. દેસાઈ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

- નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે.  માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…

આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.

વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને  બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની  નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….

Comments (5)

નયન દેસાઈ એસ.એસ.સી. – નયન દેસાઈ

અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.

મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?

પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.

વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.

રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

- નયન દેસાઈ (એસ.એસ.સી.!)

માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.

Comments (10)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting2

(…              …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…           …)

હોવાનો બોજ આ રીતે  ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ

હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…

સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…

Comments (9)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting
(…             …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…          …)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે -
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:

રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં -
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.

Comments (8)

ગઝલે સુરત (કડી-૧)


(”ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (14)

ગઝલ – નયન હ. દેસાઈ


(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.

કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.

જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.

ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !

ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.

-નયન હ. દેસાઈ

નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !

Comments (5)

ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
                પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
                લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો

ઉદાહરણ :   જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
                ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો

પક્ષ:          ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
                નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો

સાધ્ય:        પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
                એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો

સાબિતી:      ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
                મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો

- નયન દેસાઈ

નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !   

Comments (9)

મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

- નયન દેસાઈ

બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.

Comments (6)

« Previous entries Next Page » Next Page »