બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
અનિલ ચાવડા

ચિત્રમાનાં પંખીઓને – નયન હ. દેસાઈ

(મનહર ગીત)

કેમ સાવ મૂંગામૂંગા બેસી રહ્યાં, બોલો કાંઈ
લાગી ગયો મૌન તણો જાણે હડદોલો કાંઈ
રિસાયા છો કઈ વાતે
વાત કરો મારી સાથે

તમારી તો મીઠી મીઠી વાણીની મીઠાશ માણું
શબદોના સ્વરને ને વ્યંજનાને હું પ્રમાણું
ટહુકા વેરો પ્રભાતે
વાત કરો મારી સાથે

કોઈ નહીં બોલાવે તો આમ મૂંગા થૈ જવાનું?
રેખાઓમાં કેદ ક્યાંથી પાંખ ફફડાવવાનું
બે ઘડી તો વ્હાલાં વ્હાલાં પંખીડાઓ ડોલો કાંઈ
કેમ સાવ મૂંગા મૂંગા બેસી રહ્યાં બોલો કાંઈ
કોઈ પરિચયને નાતે
વાત કરો મારી સાથે…

– નયન હ. દેસાઈ

કવિ ઉદયન ઠક્કરે કેવળ ગીત અને ગઝલમાં રાચતા આજના કવિઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?” આવું જ ગીતના લય બાબતે પણ કહી શકાય. મોટાભાગના ગીતકારો ષટક્લ અને અષ્ટકલ -એમ બે જ લયમાં ગીતવિહાર કરતા દેખાય છે. આજે આ મહેણું ભાંગતી એક રચના માણીએ…

નયન દેસાઈ એટલે સતત કંઈ નવું કરવા મથ્યા કરતો કવિ. દલપતરામે લોકપ્રિય બનાવેલ મનહર છંદમાં આપને ત્યાં પ્રમાણમાં ઓછું કામ થયું હોવાથી એ ખોટની ભરપાઈ કરવા કવિએ મનહર છંદમાં આખેઆખો કાવ્યસંગ્રહ આપ્યો. આ સંગ્રહમાં ગઝલ, ગીતો ઉપરાંત બાળગીતો પણ છે – બધું જ મનહર છંદમાં. પ્રસ્તુત રચનાનો લય રુઢ લય ષટકલની નજીક નજીકનો છે, પણ એને ચુસ્ત ષટકલકરાર આપી શકાય એમ નથી. વળી, મનહર છંદની રવાનીમાં પઠન કરવાની જે મજા છે એ કદાચ ષટકલના રુઢ લયથી બે આંગળી ઊંચે છે.

ચિત્રમાંના પંખી તો મૂંગા જ હોવાનાં ને! પણ કવિ કોને કહે? એ તો એમની સાથે પણ વાર્તાલાપ સાધે છે, અને એમને કોઈને કોઈ બહાને જીવંત થઈ વાત કરવા ઈજન આપે છે… સરળ બાનીમાં કેવું સહજ ગીત!

6 Comments »

  1. Aasifkhan Pathan said,

    July 11, 2025 @ 11:55 AM

    વાહ વાહ વાહ

  2. Varij Luhar said,

    July 11, 2025 @ 12:00 PM

    વાહ.. ખૂબ સરસ

  3. Dipak Peshwani said,

    July 11, 2025 @ 2:22 PM

    વાહ વાહ.. મજાનું ગીત..

  4. વ્રજેશ મિસ્ત્રી said,

    July 11, 2025 @ 4:39 PM

    વિરલ વાત અને વિરલ રચના

  5. jitendra prajapati said,

    July 11, 2025 @ 8:44 PM

    વાહ! ખૂબ સરસ

  6. Hiren K Mungla said,

    July 13, 2025 @ 12:04 PM

    ઉત્તમ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment