તું આવ્યો કે મેઘો? સઘળું લીલું-લીલું…
હતું ભીતર જે વીલું-વીલું, થયું લચીલું…
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 17, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
ભીડ પહેરી બજારમાં આવી,
યાદ તારી હજારમાં આવી.
રાત જાણે ખુમારમાં આવી,
ઓસ લઈને સવારમાં આવી.
ઘાસ પર છે પવનની પગલીઓ,
જોઈને હું નિખારમાં આવી.
મેઘ થઈ આંગણામાં વરસે તું,
હુંય બારીથી દ્વારમાં આવી.
રાતરાણી હસે છે પ્રાંગણમાં,
મ્હેંકની હું વખારમાં આવી.
જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
આ કલમ તેજ ધારમાં આવી.
‘પ્રેમ’ નામે અહી ઘટી ઘટના,
એ જ મારા ચિતારમાં આવી.
– દિવ્યા મોદી
યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં પણ પ્રગાઢતમ એકાંત આપી શકે છે તો ક્યારેક નીરવ એકલતામાંય ગૂંગળાવી દઈ શકે છે. યાદ વિશેનો આવો અદભુત મત્લા કદાચ આ પહેલાં ભાગ્યે જ લખાયો હશે. ભીડ પહેરીને હજારોની વચ્ચે યાદનું બજારમાં આવવાનું કલ્પન જ એટલું પ્રબળ છે કે એ શેરથી આગળ વધવાની ઇચ્છા જ ન થાય. બારીથી દ્વારમાં આવવાની વાત અને કલમના તેજ ધારમાં આવવાની વાત પણ એવી જ રોચક થઈ છે…
Permalink
September 14, 2009 at 8:38 PM by ધવલ · Filed under ગઝલ, હેમેન શાહ
મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ ક્લેવરની વાત છે.
દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.
મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
– હેમેન શાહ
ક્ષણનું ધ્યાન રાખી લેવાની આપણી જવાબદારી છે, સદીઓ તો એમનું પોતાનું ધ્યાન રાખી જ લેવાની છે.
Permalink
September 13, 2009 at 10:42 PM by ધવલ · Filed under ગઝલ, નિર્મિશ ઠાકર
સવારે સવારે હ્રદય ચીંતરું છું
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું
જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું
– નિર્મિશ ઠાકર
દરેક માણસ પોતાની જાતને મનની અંદર અજય અને અભય (અને અમર) ચીતરવા માંગતો હોય છે. કવિએ આ વાતનો પોઝિટિવ રીતે ઉપયોગ કર્યો છે. અને એનાથી આગલા શેરમાં વિસર્જનને સર્જનના એક ભાગ રૂપે જોવાની વાત પણ સરસ રીતે આવી છે.
Permalink
September 9, 2009 at 4:59 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.
વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.
પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.
દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.
જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.
બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.
સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.
– અમૃત ‘ઘાયલ’
આખી જીંદગી લિજ્જતપૂર્વક જીવનારા ઘાયલસાહેબને શેનામાં લિજ્જત આવે છે ?
Permalink
September 6, 2009 at 7:00 PM by ઊર્મિ · Filed under આતિશ પાલનપુરી, ગઝલ
જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
સીધી સોંસરવી ઉતરી જતી આ ગઝલમાં મને તો કવિની નફકરાઈ ખૂબ જ મજાની લાગી. આવી નફકરાઈથી જીવી શકનારા કદાચ જૂજ માણસો જ હશે! જે થવાનું થૈ ગયું છે, થાય શું !-એવું તો કદાચ આપણેય કાયમ કહેતા હોઈશું, પરંતુ તોયે એ ‘થઈ ગયા’ પછી લ્હાય કરવાની ટેવ તો આપણે બધાને જ પડી ગઈ છે. જગતમાં ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે– ની ફિલોસોફી રજૂ કરતો મક્તાનો શેર ખૂબ જ મજાનો થયો છે. જો કે આવી ખૂબ જ સરળ લાગતી ફિલોસોફીઓ તો આપણે બહુ સારી રીતે જાણીએ અને સમજીએ છીએ, પરંતુ એને જીવનમાં કેટલે અંશે ઉતારી શકીએ છીએ…?
Permalink
August 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.
બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.
નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.
…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુખ વિશેની વાત હળવાશથી કરતી એક સંજીદા ગઝલ…
Permalink
August 27, 2009 at 1:35 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા

(ભગવતીકુમાર શર્મા એમની એક લાક્ષણિક અદામાં.. …સુરત, ૨૦૦૬)
*
મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.
ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.
ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?
દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.
પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.
– ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્માને થોડા દિવસ પહેલાં જ ‘આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત કરાયાની જાહેરાત થઈ. સુરતમાંથી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ જયંત પાઠક પછી બીજા કવિ છે. સાક્ષરને અભિનંદન આપવા માટે ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે પણ આ પ્રસંગે અમે હૃદયપૂર્વક અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ… અને માણીએ એમની વધુ એક સાદ્યંત સુંદર ગઝલ…
Permalink
August 25, 2009 at 11:55 PM by ધવલ · Filed under કિરીટ પરમાર, ગઝલ
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !
ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !
ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !
ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !
આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !
-કિરીટ પરમાર
કીરીટભાઈનો બ્લોગ છે ડાયરીના પાનેથી… જોકે આ બ્લૉગ શરૂ થયા પછી અપડેટ થયો નથી.. ગઝલનો ત્રીજો અને ચોથો શેર મને વિશેષ ગમી ગયા છે. ચોથા શેરમાં હવા શબ્દને લઈને બે અલગ પાસા સરસ રીતે બતાવ્યા છે.
Permalink
August 22, 2009 at 1:16 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !
છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !
કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !
ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !
બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !
ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !
હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !
તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !
ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !
– રાજેન્દ્ર શુક્લા
આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…
Permalink
August 21, 2009 at 12:40 AM by વિવેક · Filed under ગઝલ, હનિફ રાજા
વાર તારો સરસ, ખુદા હાફિઝ
દડદડી ધોરી નસ, ખુદા હાફિઝ
હા, થવાનું છે આજ અજવાળું;
અલવિદા હે તમસ, ખુદા હાફિઝ
આજ રાહત જરાક લાગે છે,
હોય અંતિમ દિવસ, ખુદા હાફિઝ
શ્હેરમાં આજ લઈ નીકળ્યો છું,
પ્રાણરૂપી જણસ, ખુદા હાફિઝ
ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
આજની રાત બસ ખુદા હાફિઝ
થઈ નજર આજ એની મારા પર,
જા યુગોની તરસ, ખુદા હાફિઝ
આજ બેફામ પી ગયો ‘રાજા’
સોમવલ્લીનો રસ, ખુદા હાફિઝ.
– હનિફ રાજા
ખુદા હાફિઝ એટલે કે ‘અલ્લાહ તમારું રક્ષણ કરે’નો ભાવ આ ગઝલના દરેકે દરેક શેરમાં એવી બખૂબી પ્રગટ થયો છે કે આફરીન પોકાર્યા વિના રહેવાતું નથી…
Permalink
August 20, 2009 at 3:07 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!
કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!
નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!
ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!
સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!
મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!
ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!
ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!
ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!
– રાજેન્દ્ર શુક્લ
સમર્થ કવિ કેટલા અલગ સ્તરેથી ગઝલ કહે છે એ તો જુઓ ! અને હા, વાચતાં જ દુશ્યંતકુમારનો શેર યાદ આવી ગયો
मैं जिसे ओढ़ता—बिछाता हूँ,
वो ग़ज़ल आपको सुनाता हूँ.
(હટાણું=બજાર, અડાણું=ગીરો મૂકેલું, ગુંઠાણું =ગુણસ્થાનક- આંતરિક વિકાસની ભૂમિકા (જૈન પરિભાષા))
Permalink
August 19, 2009 at 6:53 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે
રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે
ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ
જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે
હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.
શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે
એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?
– રઈશ મનીઆર
આજે ઓગણીસમી ઓગસ્ટે કવિ રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
કવિ તૂટવાની વાત લઈને આવ્યા છે પણ એ બહાને અનુસંધાન તો જોડાવા માટેનું કે અક્ષતનું જ સાધે છે. ગમે તે તૂટે, માણસ તૂટવો ન જોઈએ. પીડા અને કવિતાનો સંબંધ ચોલી-દામનનો છે એ વાત ભલે કવિતા જન્મી એ ઘડીથી કવિઓ ગાતા આવ્યા છે પણ આ ગઝલના છેલ્લા બે શેરમાં એ જ ચર્વિતચર્વણ વાત કેવી તાજગીભરી લાગે છે ! લોહીમાં દુઃખના જહાજો તૂટે તો જ શબ્દના લાકડા તણાઈ આવી શકે છે. અને ગઝલનો મક્તા તો વેદના અને કવિતાના પરાપૂર્વના સંબંધના શિલાલેખ જેવો છે… માણસ કેટલીવાર તૂટે ? કેટલી સાંજો વેદનાસિક્ત ગાળી શકે ? કેટલા શેર લખી શકે ? કેટલા ?
Permalink
August 18, 2009 at 10:15 PM by ધવલ · Filed under ગઝલ, હેમન્ત દેસાઇ
પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.
ચડતા શીખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે,
મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.
ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્યે જવાનાં ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું- માણસ હોવું.
ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.
મહામોલનાં શિર દઇ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને
સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું – માણસ હોવું.
સમજણની સિધ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરધાર નાદાન હોવું – માણસ હોવું.
ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં,
ઢળ્યાં અહીં કે તહીં, બધે વેરાન હોવું – માણસ હોવું.
હારજીતના ભેદ ભુલાવે એવા યુધ્ધે હોમાયાંનું,
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું- માણસ હોવું.
– હેમંત દેસાઈ
માણસ હોવું એ વિરોધાભાસી ઘટનાને અલગ અલગ ખૂણેથી ચકાસતી ગઝલ. વાંચો તો તરત નયનભાઈની માણસ ઉર્ફે ગઝલ યાદ આવે. (એ તો જોકે વધારે અમૂર્ત ગઝલ છે.) બે-ત્રણ વાર વાંચો પછી જ આ ગઝલ વધારે ખૂલે છે અને પછી કવિની બારીક અવલોકનશક્તિને સલામ કરવાનું મન થઈ જાય છે !
પડ્યા પછી ઊભા થવાનું જ્ઞાન જ માણસને માણસ બનાવે છે. પણ એ સાથે જ માણસને (લોટાની જેમ) ગમે તે તરફ ગબડી જવાનું વરદાન પણ મળેલું છે ! આવા ચમત્કૃતિસભર શેરથી કવિ ગઝલનો ઉપાડ કરે છે. આગળ તમે જાતે જ જોઈ લો…
Permalink
August 17, 2009 at 9:27 PM by ધવલ · Filed under ગઝલ, દિનેશ કાનાણી
એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.
જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.
– દિનેશ કાનાણી ‘પાગલ’
ખરો ખેલાડી હંમેશા રમતના અંતને ધ્યાનમાં રાખીને જ રમે છે. છેલ્લો દાવ જીતે એ જ ખેલાડી બધુ જીતી જાય છે. અને ફાઈનલમાં જીતે એને જ સિકંદર કહેવાય છે. એમ વારતામાં પણ ખરું મહત્વ એના અંતનું જ છે. કવિ, અર્જુનની નજર જેમ માછલીની આંખ પર હતી એમ, વારતાનાં અંત પર નજર બાંધીને જીવવાની વાત લઈને આવ્યા છે. ગમે તેવી જિંદગી જાય પણ છેલ્લા ડગલે એને કાપી, માપી ને મઠારી લેવાની કવિની પૂરી તૈયારી છે.
Permalink
August 13, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ફારૂક એ. પટેલ
શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
આપણે અટકી ગયા સમજણ સુધી.
નામ સરનામા વગરના માણસો,
લાગણીની સરહદો સગપણ સુધી.
પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.
તાડવનમાં છાંવ શોધું છું હવે…
આશ મારી વિસ્તરે છે રણ સુધી.
ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.
– ફારૂક એ. પટેલ
વિષાદની હળવી ઝાંયથી રંગાયેલી ગઝલ. આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે. અખબારમાં આવતી ગમખ્વાર ઘટનાઓ આપણી આંખ નીચેથી માત્ર પસાર જ થઈ જાય છે, જાણે કે આખી મનુષ્યજાતિનું હવે કોઈ નામ પણ નથી રહ્યું જેનાથી એને સંબોધી શકાય કે નથી કોઈ સરનામું રહ્યું જ્યાં જઈ એને મળી શકાય…
Permalink
August 11, 2009 at 6:59 PM by ધવલ · Filed under ગઝલ, મરીઝ
નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.
પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.
સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?
હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.
મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.
અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.
તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.
ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
– મરીઝ
છેલ્લો શેર તો આપણે બધાએ સાંભળેલો છે અને આપણા યાદગાર શેરમાંથી એક છે. પ્રેમીઓની સાઈકોલોજીને સરળ શબ્દોમાં બયાન કરવાની મરીઝની હથોટી બીજા શેરમાં દેખાઈ આવે છે. ત્રીજા શેરમાં કવિ મઝાનો વ્યંગ કરી લે છે – જ્યાં મદિરા હલાલ ગણવી પડે એવું તે કેવું સ્વર્ગમાં દુ:ખ હશે ?
Permalink
August 9, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
तू कहाँ है मेरी जानिब ? माफ करना
तू नहीं दिखता है साहिब, माफ करना
अनसुनी कर दी खला की सब सदायें
क्या पता किस से मुखातिब ? माफ करना
बेसबब ही आप पढलें इस ग़ज़ल को
ये नहीं लगता मुनासिब, माफ करना
साफ दिल से एक धेला कम न लूंगा
है हमारा दाम वाजिब, माफ करना
लोग ‘नीरज’ नाम से पहचानते हैं
मैं नहीं हूँ मीर-ग़ालिब, माफ करना
– डॉ. नीरज मेहता
‘ફોર-અ-ચેઇન્જ’ આજે એક ગુજરાતી કવિની એક ઉર્દૂ ગઝલ. માફ કરના જેવી રદીફને પાંચ શેરોમાં કવિએ જે રીતે બહેલાવી છે એ કાબિલે-દાદ છે. કોઈ એક શેર પસંદ કરવો હોય તો તકલીફમાં મૂકી દે એવું સંઘેડાઉતાર કામ આ મૂળ અમરેલીના પણ હાલ રાજકોટમાં વસતા ડોક્ટરસાહેબે કર્યું છે. आज गुजराती ग़ज़ल को छोडकर मैं, उर्दू से हुआ मुक़ारिब, माफ करना ।
(खला = અવકાશ, ખાલી જગ્યા; मुख़ातिब = વાત કરનાર; बेसबब = અકારણ; धेला = અધેલો; અર્ધો પૈસો, मुक़ारिब = સમીપે, નજીક)
Permalink
August 8, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે?
તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે?
બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે?
ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે?
નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે?
– જાતુષ જોશી
– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…
Permalink
August 5, 2009 at 9:40 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ ઠાકર
શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.
શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.
શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.
શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.
શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.
શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.
– દિલીપ ઠાકર
સર્જનની પ્રક્રિયા વિશે અઢળક લખાયું છે. છતાં આ ગઝલ નવી વાત કરવામાં સફળ થાય છે. પહેલો જ શેર જુઓ – શબ્દનું સાન્નિધ્ય કેમ કેળવ્યું ? તો કહે, પોતાની જાતને મળવા માટે ! તાનારીરીની ગાયકીના જોરે દીપક રાગ ગાઈને બળી ઉઠેલા તાનસેનને બચાવેલો એ લોકવાયકાનો આધાર લઈને કવિએ બહ મઝાનો શેર કહ્યો છે. તાનસેનોનું મહત્વનો છે જ, પણ એક ખૂણામાં નામ-દામની આશા વગર કલાની સાધના કરે રાખતા તાનારીરી જેવા કલાકારોનું અદકું મહત્વ છે એવો પણ ઈશારો છે. છેલ્લા શેરમાં દરેક શબ્દનું અંતિમ ગંતવ્ય તો નિ:શબ્દમાં ભળવાનું હોઈ શકે એવી ઊંચી વાત કરી છે.
Permalink
August 3, 2009 at 11:57 PM by ધવલ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?
ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.
ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.
સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.
ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.
– હિતેન આનંદપરા
માણસ સાંજે નીચોવાઈને ‘ખાલી’ થઈ જાય પછી જ ફરી વાર ‘સભર’ થવું શક્ય બને છે.
Permalink
August 1, 2009 at 4:23 AM by વિવેક · Filed under ગઝલ, વિહંગ વ્યાસ, હસ્તપ્રત

(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)
અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે
ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે
અનુમાન તું સાવ ખોટાં કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે
સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે
ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે
ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનીત થયું છે
-વિહંગ વ્યાસ
ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા…
Permalink
July 24, 2009 at 1:53 PM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ
રુએ શું આમ આદમી થઈને !
રાખજે હામ, આદમી થઈને.
વાડ ને વાદથી ઉપર ઊઠી,
ફર સરેઆમ આદમી થઈને.
આવકારો બધે મળી રહેશે,
આવજે આમઆદમી થઈને.
આદમી થઈ જીવી જવાનો તું,
આપ પૈગામ આદમી થઈને.
થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
એવું કર કામ આદમી થઈને.
અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’
કાઢજે નામ, આદમી થઈને.
– સુધીર પટેલ
‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ. આ ગઝલ એ જ વાતને ફરી યાદ કરાવી આપે છે. ‘ઉકેલીને સ્વયંના સળ’ સંગ્રહ મોકલવા માટે સુધીરભાઈનો ખાસ આભાર.
Permalink
July 24, 2009 at 12:47 AM by વિવેક · Filed under ગઝલ, દિનકર પથિક
હોય છે ભારોભાર મારામાં,
એક તારો વિચાર મારામાં.
આમ રહીને અજાણ મારાથી,
કોણ મારે લટાર મારામાં ?
પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
ખળભળી એ ધરાર મારામાં.
મોત ને જીંદગીની વચ્ચેનો ,
જીવવાનો પ્રકાર મારામાં
રોજ જન્મે ને રોજ દફનાવું,
આશ તારી મઝાર મારામાં
દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,
થઇ ગઝલ ની બજાર મારામાં.
દિનકર પથિક
(ટાઇપ સૌજન્ય: ડૉ. કલ્પન પટેલ, સુરત)
Permalink
July 20, 2009 at 9:19 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.
જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.
જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.
ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.
આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.
– અશોકપુરી ગોસ્વામી
અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે. એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે. છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !
Permalink
July 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
લાગણીના રંગથી દોરી હતી,
એક સગપણ, જેમ રંગોળી હતી.
પ્રેમભીનો એક છાંયો પામવા,
એષણાઓ કેટલું દોડી હતી !
ના હલેસાં, ના કિનારો, ના દિશા,
ને ‘હયાતી’ નામની હોડી હતી.
વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
આંખ મારી જ્યારથી ચોળી હતી.
તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.
– વ્રજેશ મિસ્ત્રી
જિંદગીની નૌકાને કઈ રીતે હાંકવી એ પ્રશ્નનો ઉત્તર શોધવામાં જ મોટાભાગે જિંદગી પૂરી થઈ જતી હોય છે. આ હોડીને હાંકવા વળી નથી કોઈ હલેસાં કે નથી સામે કોઈ દિશા નજરે ચડતી કે નથી જડતો ક્યાંય કોઈ કિનારો… ઈશ્વરના નામનો સઢ અને શ્રદ્ધાનો પવન જ કદાચ એને પાર લગાવી શકે. ‘મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા (સુન્દરમ્)’ કહીને સુકાન એના હાથમાં સોંપી દઈએ એમાં જ કદાચ સાચું શાણપણ રહેલું છે…
Permalink
July 15, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાહી ઓધારિયા
જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.
આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !
કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !
મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !
હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.
– રાહી ઓધારિયા
જિંદગીની તડકી-છાંયડીની વાત આમ તો દરેક સહિત્યકારે પોતપોતાની રીતે કરી છે અને કરતા આવે છે એટલે એમાં કશું નવું ન લાગે એ સ્વાભાવિક છે પણ ગઝલ ક્યારેક ખૂબ જાણેલી વાત સાવ એવા પરિવેશમાં રજૂ કરી આપે છે કે વાંચતા જ મોઢેથી ‘વાહ’ નીકળી જાય… ભાવનગરના કવિ પણ આયખાની એ જ યોગો જૂની વાત માંડે છે પણ વાતમાં કંક્ક એવી તાજગી છે કે મન આહ અને વાહ એક સાથે પોકારી ઊઠે છે. વિશાળ રણની વચ્ચેના એક નાનકડા રણદ્વીપ સાથે જિંદગીને કવિ જે લીલપથી સરખાવે છે એ કાબિલે-તારીફ છે… ‘છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી (નરસિંહરાવ દિવેટિયા)’ યાદ આવ્યા વિના નહીં રહે…
Permalink
July 12, 2009 at 10:46 PM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી
એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી
ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી
કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”
જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી
– કવિ રાવલ
આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…
Permalink
July 4, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તખ્ત સોલંકી
નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !
વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !
શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !
પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !
કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !
– ‘તખ્ત’ સોલંકી
ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે. સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…
(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)
Permalink
July 2, 2009 at 4:21 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે
ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે
કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે
ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે
ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે
-યામિની ગૌરાંગ વ્યાસ
ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!
(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )
Permalink
June 29, 2009 at 9:55 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.
– રમેશ પારેખ
ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.
Permalink
June 26, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.
શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.
માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.
રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.
સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.
– જયંત ‘સંગીત’
લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…
Permalink
June 22, 2009 at 9:38 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !
ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?
કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !
હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !
આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !
– શ્યામ સાધુ
કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.
Permalink
June 20, 2009 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !
એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.
મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !
– હર્ષ બ્રહ્મભટ્ટ
તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.
Permalink
June 18, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
શ્વાસ તો વ્હેતા પવન છે,
ને હૃદય જલતી અગન છે.
ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.
શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે,
આખરે તો પાનખર કવિઓનું મન છે.
સાંજનું એવું ગગન છે-
કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે.
ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે,
કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે.
કારણોની છાતીમાં વિશ્વાસની નદીઓ નથી
કોઈ કહો કેવી તરસનું આ જતન છે ?
તું જળ બનીને આવ, હું તો રેત છું :
ભીનાશને પંપાળવાનું આ સપન છે.
હે શ્વાસ મારા કોઈ ચઢાવે તેમ ના ચઢશો તમે
પ્રેમ તો શાપિત વન છે.
લાગણીઓ લૂંટવા ટોળે મળે :
થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે.
પાનખર મેં તો લીધી, અર્પણ વસંતો છે તને
સુખ નામ લે તને મારું વચન છે.
– મણિલાલ હ. પટેલ
ગઝલમાં પ્રયોગખોરી ક્યારથી શરૂ થઈ એવો પ્રશ્ન કોઈ પૂછે તો મને જવાબ આપવાનું મન થાય કે પહેલી ગઝલ લખાઈ ત્યારથી. ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે. શરૂઆતની ગઝલોમાં ભાવાભિવ્યક્તિના પ્રયોગ હતા, કદાચ નવ્યતર કલ્પનના પ્રયોગ હતા… સમયની સાથે છંદ-કાફિયા-રદીફ-મત્લા-મક્તાના પ્રયોગો શરૂ થયા… ગઝલમાં આકારના પ્રયોગ થયા… ત્રિકોણ ગઝલ, કુંભગઝલ, હાઈકુ ગઝલ અને યાદી બનાવવા બેસો તો આંગળીના વેઢા ખૂટી પડે… મણિલાલ પટેલની આ ગઝલમાં છંદના ગાલગાગાના અનિયત આવર્તનનો પ્રયોગ ધ્યાનાર્હ બન્યો છે.
Permalink
June 12, 2009 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.
હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.
જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે.
તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.
શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.
– ભરત ભટ્ટ ‘પવન’
શબ્દના આરાધકને શોભે એવા મત્લા સાથે ગઝલની શરૂઆત કરી કવિ જિંદગીની નકારાત્મક અને હકારાત્મ- બંને બાજુઓને બે કાંઠાની જેમ વાપરી વચ્ચે નદીની જેમ અસ્ખલિત વહે છે. એક તરફ પ્રેમના અભાવમાં અશ્રુ જેવા અશ્રુની હૂંફ લેવા જેવો સાવ તરોતાજા અને લવચીક વિચાર છે તો બીજી તરફ હાસ્યની મૂડી પર આખી જિંદગી જીવી લેવાનો શ્રેષ્ઠતમ ઉપદેશ છે…
Permalink
June 11, 2009 at 1:00 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.
ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.
મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
– કૈલાસ પંડિત
આજે કૈલાસ પંડિતની એક ખૂબ જાણીતી ગઝલ… બસ એમ જ ધીમે ધીમે મમળાવીએ…
Permalink
June 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયના જાની
બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું ઊગે અકબંધ !
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?
રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !
-નયના જાની
બે ક્ષણની વચ્ચેના સૂક્ષ્મતમ અવકાશને પણ પકડે એ કવિતા… આગત અને અનાગતની વચ્ચે જે નાનકડી ખાઈ છે એનો આગત કે અનાગત સાથે ખરે જ કોઈ સંબંધ ખરો ? ગઈકાલનો પડછાયો આજ પર પડ્યા કરતો હોય કે પછી આવતીકાલનો વર્તારો આજમાં ડોકાયા કરતો હોય ત્યારે સાચા અર્થમાં આજ મૃત્યુ પામે છે. આજને પૂરા અર્થમાં જીવવી હોય તો ગઈકાલ અને આવતીકાલથી મુક્ત ન થવું પડે ?
Permalink
June 6, 2009 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
– રઈશ મનીઆર
ધીમે ધીમે વાંચીએ તો પહેલી નજરે જ ગમી જતી આ ગઝલ ના બહુઆયામી અર્થ માનસપટ પર વધુ ને વધુ ઉપસતા જાય છે. ગઝલના ગામમાં જવું હોય તો વાદળ જેવી હળવાશ કાંખમાં લઈને જવું પડે અને તૈયારી હોવી જોઈએ સમૂચા વરસી જવાની, નિચોવાઈ જવાની… અને વાત મંઝિલની હોય, પ્રિયતમાની હોય કે ઈશ્વરની હોય, ઉતાવળ ક્યાંય કામ લાગતી નથી અને આપણું દુર્ભાગ્ય તો એ છે કે આ હકીકત ભૂલ કરી દીધા પહેલાં બહુધા સમજાતી પણ નથી… આમતો બધા જ શેર પરંપરાની કેડી પર આધુનિક્તાના ખીલેલા પુષ્પ જેવા છે અને વિજ્ઞાનથી આદરીને જ્ઞાનની વાત કરે છે પણ છેલ્લા બે શેર આપણી ભાષાના ચિરંજીવ શેર થયા છે.
Permalink
June 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરમી કવિ
હતું તો હણાણું મને એ ખબર છે,
ગહન આ ઉખાણું મને એ ખબર છે.
અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
હતું પાત્ર કાણું મને એ ખબર છે.
તડપતું-તડપતું જખે મૃગ ઝરણને,
તૃષાથી મરાણું મને એ ખબર છે.
દડી જાય સ્મરણોય પાંપણ ઉપરથી,
સરી જાય ટાણું મને એ ખબર છે.
મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
કિનારે ડૂબાણું મને એ ખબર છે.
-મરમી કવિ
“जातस्य ही ध्रुवो मृत्यु” ની ફિલસૂફી ગઝલના મત્લામાં કેવી રમતિયાળ રીતે કવિએ કહી દીધી છે ! ‘હતું’ એટલે જ ‘હણાયું’….
Permalink
June 4, 2009 at 12:30 AM by વિવેક · Filed under અલ્પેશ 'પાગલ', ગઝલ
આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
– અલ્પેશ ‘પાગલ’
(અલ્પેશ પી. પાઠક)
લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ… દુઃખની નાડ સુધી પહોંચવાની કોશિશ. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા એ દરેક દુઃખનું કારણ હોય છે. આ રદીફને ઊલટી વાંચીએ તો ? એક ‘હું’… હોવાપણું… હોવાનો અહમ્… ‘હું’ના હોવાપણાંના કારણે ઊપજતાં વળગણ… વળગણ પછી પલોટાય ઈચ્છામાં અને ઈચ્છા બને કારણ પીડાનું…
Permalink
June 3, 2009 at 9:20 PM by ધવલ · Filed under ગઝલ
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !
કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.
– જમિયત પંડ્યા
વાંચતા વેંત જ પાનો ચડી આવે એવી આ ખુમારીથી નિતરતી આ ગઝલના પહેલા બે શેર વારંવાર મુક્તક તરીકે ટંકાતા જોવા મળે છે.
Permalink
June 1, 2009 at 11:18 PM by ધવલ · Filed under ગઝલ, રાજીવ ભટ્ટ 'દક્ષરાજ'
જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.
આ હવાને તેં કર્યું ચુંબન હશે,
આંગણામાં એટલે ઝાકળ મળે.
રાતરાણી થઈ અને પથરાઈ જો-
જીવતાં અંધારને પણ બળ મળે !
એમણે ધાર્યો મને સૂરજ સમો –
રોજ એથી આવવા જળ મળે !
હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.
– રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’
આજે આ તરત ગમી જાય એવી ગઝલ માણો. અઢી અક્ષરની વાતને કદી કોઈને સમજાવવી પડતી નથી !
Permalink
May 30, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
-નીતિન વડગામા
થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !
Permalink
May 28, 2009 at 11:08 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
– ભરત વિંઝુડા
થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી. બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે. છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?
Permalink
May 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.
મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
– ગૌરાંગ ઠાકર
ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !
Permalink
May 24, 2009 at 10:12 PM by ધવલ · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.
જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.
જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?
ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.
ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.
– કિરણસિંહ ચૌહાણ
ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.
Permalink
May 22, 2009 at 1:20 AM by વિવેક · Filed under કિસ્મત કુરેશી, ગઝલ
जब इबादत की हमें फ़ुरसत मिली, (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી. (ગુજરાતી)
मन खुदारा दोस्ते मन दारम हनोज़, (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી. (ગુજરાતી)
In the desert stream I couldn’t find, (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી. (ગુજરાતી)
तस्य वचनम् – संभवामि युगे युगे, (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ? (ગુજરાતી)
प्राप्त की किस्मत ने ईश्वर की कृपा, (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી. (ગુજરાતી)
– કિસ્મત કુરેશી
લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…
(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)
Permalink
May 20, 2009 at 8:34 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?
ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.
સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?
ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.
જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.
જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી
માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…
Permalink
May 19, 2009 at 11:35 PM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ
બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.
ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.
શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.
તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.
છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.
શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.
મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.
ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.
સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.
અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.
કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.
બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.
શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.
એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.
ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.
સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.
એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!
– પંચમ શુક્લ
આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.
(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)
Permalink
May 17, 2009 at 1:07 AM by ધવલ · Filed under ઊર્મિ, ગઝલ, હસ્તપ્રત

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે. શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !
Permalink
Page 39 of 51« First«...383940...»Last »