જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.
વિનોદ ઓઝા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 30, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
-નીતિન વડગામા
થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !
Permalink
May 28, 2009 at 11:08 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
– ભરત વિંઝુડા
થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી. બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે. છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?
Permalink
May 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.
મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
– ગૌરાંગ ઠાકર
ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !
Permalink
May 24, 2009 at 10:12 PM by ધવલ · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.
જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.
જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?
ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.
ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.
– કિરણસિંહ ચૌહાણ
ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.
Permalink
May 22, 2009 at 1:20 AM by વિવેક · Filed under કિસ્મત કુરેશી, ગઝલ
जब इबादत की हमें फ़ुरसत मिली, (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી. (ગુજરાતી)
मन खुदारा दोस्ते मन दारम हनोज़, (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી. (ગુજરાતી)
In the desert stream I couldn’t find, (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી. (ગુજરાતી)
तस्य वचनम् – संभवामि युगे युगे, (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ? (ગુજરાતી)
प्राप्त की किस्मत ने ईश्वर की कृपा, (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી. (ગુજરાતી)
– કિસ્મત કુરેશી
લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…
(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)
Permalink
May 20, 2009 at 8:34 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?
ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.
સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?
ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.
જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.
જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી
માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…
Permalink
May 19, 2009 at 11:35 PM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ
બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.
ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.
શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.
તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.
છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.
શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.
મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.
ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.
સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.
અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.
કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.
બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.
શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.
એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.
ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.
સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.
એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!
– પંચમ શુક્લ
આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.
(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)
Permalink
May 17, 2009 at 1:07 AM by ધવલ · Filed under ઊર્મિ, ગઝલ, હસ્તપ્રત

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે. શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !
Permalink
May 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત

(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા
કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા
-પંકજ વખારિયા
દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે. આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?
Permalink
May 15, 2009 at 12:30 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.
ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.
કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.
શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?
તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?
હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.
– આબિદ ભટ્ટ
શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની શરતને પૂરી કરતી મજાની ગઝલ… બહુધા પરંપરાને અનુસરતી આ ગઝલના બીજા શેરનું કલ્પન એને આધુનિક ગઝલની કક્ષાએ લઈ જાય એટલું સશક્ત છે…
Permalink
May 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે
છળના અફાટ રણમાં પીગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે
વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધા કાન સાંકળે
પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે
તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે
– ડૉ. જગદીપ નાણાવટી
મુસાફરીમાં જે મજા છે એ મંજિલમાં નથીની વાત કવિ સાવ અનૂઠી રીતે જ લાવ્યા છે. ટોચ પર હંમેશા એકલતા જ હોવાની. વળી કવિની વાતમાં જે સમર્પણની ભાવના છે એની અહીં ખરી મજા છે. કવિ પોતે નથી મુસાફર કે નથી મુસાફરીમાં, પણ અન્યની મુસાફરીમાં પાયાનો આધાર- રસ્તો-બનવાની ખેવના કરે છે અને રસ્તો પણ એટલા માટે બનવા ચહે છે કે અનેકોને ધ્યેયપૂર્તિમાં કામ આવી શકે, મંઝિલ બની જાય તો એકાદ-બે જણને જ સંતોષનો ઓડકાર અપાવવાનું નિમિત્ત બની શકે…
Permalink
May 13, 2009 at 9:08 PM by ધવલ · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.
તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.
ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !
– સુરેન્દ્ર કડિયા
નાજૂક કલ્પનોથી સજાવેલી ગઝલ. અમે સાચવ્યો … અને તમે છાતીએ… શેર ખાસ સરસ થયા છે.
Permalink
May 10, 2009 at 12:40 AM by ધવલ · Filed under ઊર્મિ, ગઝલ, હસ્તપ્રત

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
– ઊર્મિ (૬ મે ૨૦૦૯)
સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.
Permalink
May 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…
મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…
કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…
શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!
કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…
શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…
પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…
– રિષભ મહેતા
સાંજનો રંગ ઉદાસીનો રંગ છે. સાંજના રંગ જેમ જેમ વધુ ઘુંટાતા જાય છે, પ્રિયજનની યાદ બળવત્તર બનતી જાય છે. ઝાડ ભલે ઝુકીને આમંત્રણ આપે પણ પાંખ વગરના પંખી જેવું મન ક્યાંથી ઊડી શકવાનું ? સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે, કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?
Permalink
May 2, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ઝફર ઈકબાલ
ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસ્માન તમારા ગયા પછી
જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
ઐસા રહા ગુમાન તમારા ગયા પછી
સિગરેટને કુછ મઝા ન દિયા દેર તક મુઝે
કડવા લગા થા પાન તમારા ગયા પછી
સારી સુની સુનાઈ કિનારે લગી કહીં
થી ખત્મ દાસ્તાન તમારા ગયા પછી
ઐસી ઉઠી કે બૈઠ ગયા સબ ગુબારે દિલ
ઇક દર્દ કી ઉઠાન તમારા ગયા પછી
બે પર હી રહ ગયા થા સચ્ચી કહું તો મેં
ભૂલી થી હર ઉડાન તમારા ગયા પછી
સારી ખુદાઈ પર કોઈ પરદા સા તન ગયા
દેખી ખુદા કી શાન તમારા ગયા પછી
ઐસા હુવા કે નીંદ નહીં આઈ ફિર મુઝે
દેના પડા લગાન તમારા ગયા પછી
કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી
– ઝફર ઈક્બાલ
ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઈકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આપણને ભેટ આપ્યો છે. નવાઈ લાગે પણ આ કવિના આ પહેલાં ૨૭ ગઝલસંગ્રહ તથા ચાર સમગ્ર ગઝલસંચય બહાર પડી ચૂક્યા છે…
‘તમારા ગયા પછી’ – આ ગુજરાતી રદીફ કવિએ ઉર્દૂ ગઝલમાં એવી બખૂબી વણી લીધી છે કે બે ભાષાઓનો અહીં સંગમ થાય છે ત્યારે કોઈ સાંધો કે રેણ નજરે ચડતાં નથી. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર એકદમ ગમી ગયા. તમારા ગયા પછી જે ઉજાગરા થાય છે એ તમારી સાથે આટલો સમય રહ્યા હતા એનું લગાન છે!!! વાહ…
(ચાપ= પગરવ)
Permalink
April 30, 2009 at 10:30 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે
એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે
હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે
ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે
એક દિવસ એમને હળવેકથી હડસેલજો
સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે
લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે
– ઉદયન ઠક્કર
સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે. કમનસીબે મોટા ભાગના માણસો ઘડિયાળને સમયની હાથકડી સમજીને જીવે છે. એક સાચી ક્ષણે તમે જરા હળવેકથી હડસેલો તો સમય ખુદ તમને ગત દિવસોના બધા રહસ્યો કહેવા તૈયાર જ હોય છે. એટલી રાહ જોવાની કદાચ આપણી જ તૈયારી હોતી નથી.
Permalink
April 28, 2009 at 10:15 PM by ધવલ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
– રતિલાલ ‘અનિલ’
આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી. લીલોતરીનો સંબંધ વર્ષા સાથે છે એનાથી વધારે ઉષ્મા સાથે છે. એટલે અહીં રહીને અષાઢના પ્રથમ દિવસની કલ્પના વધુ રોમાંચક લાગે છે. વરસાદમાં જ્યારે ‘શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી !
Permalink
April 26, 2009 at 1:15 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.
ઠોકર એક જ વાગે એવી,
સપનાં ચકનાચૂર પ્રવાસી.
હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !
સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.
તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.
થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.
મરણ મળે તો જા ઓવારી,
જન્નતમાં છે હૂર પ્રવાસી !
– આબિદ ભટ્ટ
ટૂંકી બહેરની મુસલસલ ગઝલ. મંજિલ દૂર છે અને માર્ગ અડાબીડ ધુમ્મસથી ભર્યો છે, જિંદગી એક જ ઠોકરમાં ભલભલાં સપનાંને ચકનાચૂર કરી દે એવી કડવી વાસ્તવિક્તા છે પણ મજબૂર ન થઈ દિલમાં હિંમત રાખી આત્માના અજવાળાના સહારે બેધ્યાન થયા વિના મુસાફરી કરનાર એની મંઝિલે અચૂક પહોંચે જ છે…
Permalink
April 25, 2009 at 12:50 AM by વિવેક · Filed under કેતન કાનપરિયા, ગઝલ
અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર
બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર
કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર
આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના,
તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર
યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર
– કેતન કાનપરિયા
ગઈકાલે જ ઓળઘોળ થઈ જવાનું મન થાય એવો ‘પાંપણની પાળ પર’નો શેર માણ્યો ત્યાં આજે ફરી એકવાર પાંપણની પાળ જડી ગઈ… લ્યો ! હવે અહીં બેસીને થાક ખાઓ અને માણો ચૂકવી ન પોસાય એવી મજાની ગઝલ…
Permalink
April 24, 2009 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, મૂળશંકર 'પૂજક'
શહેરમાં વરસાદ વરસ્યો રાતભર,
તોય લત્તો એક તરસ્યો રાતભર
ખળભળી ગઈ પાળ પાંપણની જરી,
ઓરડો આખોયે પલળ્યો રાતભર
ભર બજારે ભીડમાં કચરાઈ ને,
ઘેર ઘાયલ જીવ કણસ્યો રાતભર
જ્યાં હતો સાંજે, સવારે ત્યાં જ છે,
પગ ન જાણે ક્યાંક લપસ્યો રાતભર
નામ સરનામું નહીં યજમાનનું
ને મુસાફર વ્યર્થ રખડ્યો રાતભર
ગાઢ અંધારૂ અને ‘પૂજક’ હતા,
આગિયો એકાદ ઝબક્યો રાતભર.
– મૂળશંકર ‘પૂજક’
આંખનો ઓરડો રાતભર પલળે અને પાંપણની પાળ જરા ખળભળે એ એક જ કલ્પન પર આખેઆખો દિવાન આપી દેવાનું મન થઈ જાય એમ છે…!!!
Permalink
April 21, 2009 at 11:55 AM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ

સમજો તો કાંઇ નથી, નહિ તો પ્રશ્નો ઢગલા મોઢે છે;
હ્રદય કહે તે કરજો, અહીંયા તર્કો ઢગલા મોઢે છે !
મૌન બને જો વાહક તો સંવાદ અનેરો થઇ શકશે,
શબ્દ બધાં પાજી છે, એકના અર્થો ઢગલા મોઢે છે !
ચાલ સમયની ભેદી છે, ગુપચુપ ગુપચુપ હરપળ સરકે;
ક્ષણના પણ ફાંફાં પડશે, છો વર્ષો ઢગલા મોઢે છે !
માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !
ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !
– સુધીર પટેલ
લયસ્તરો માટે સુધીરભાઈએ ખાસ મોકલાવેલી ગઝલ. મૌન બને જો વાહક … શેર સરસ થયો છે અને છેલ્લો શેર તો સરસ છે જ.
Permalink
April 20, 2009 at 12:30 AM by ધવલ · Filed under ઓડિયો, ગઝલ, વિવેક મનહર ટેલર
[audio:http://dhavalshah.com/audio/ghero.mp3]
(સ્વર અને સંગીત : શોનક પંડ્યા)
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર
આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.
અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
Permalink
April 18, 2009 at 12:30 AM by વિવેક · Filed under આખ્યાન, ગઝલ, જવાહર બક્ષી
(મુખબંધ)
ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા
(ઢાળ)
મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા
ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા
એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા
વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા
(વલણ/ઊથલો)
બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા
ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા
મેળે મેળે અટ્ક્યા-ભૂલ્યા-ભટ્ક્યા-ના કંઈ જલસા બાંધ્યા
એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા
(ઉપસંહાર)
તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા
(ફલશ્રુતિ)
એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા
– જવાહર બક્ષી
પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.
ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?
ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !
અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…
Permalink
April 17, 2009 at 1:00 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક
ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક
ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક
કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક
હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક
-કવિ રાવલ
કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે !
Permalink
April 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા
એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા
આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા
શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા
ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા
આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા
હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા
– મનહર મોદી
નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.
Permalink
April 11, 2009 at 12:49 AM by વિવેક · Filed under કિસન સોસા, ગઝલ
ધૂમ્ર વિખરાયો ન તો ધૂણી ઠરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી.
ત્યાં પછી ક્યારેય ના ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.
ગોખલે, નળિયે ફફડતા ચોંકતા પંખી સમી,
ઉમ્ર એ માહૌલમાં ઊડતી ફરી વરસો સુધી.
સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.
ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.
ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.
મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.
-કિસન સોસા
નિતાંત પ્રતીક્ષાની ઋજુ મુસલસલ ગઝલ. પ્રિયપાત્રનું નામ એ કદી ન બુઝાય એવી ધૂણી છે. સૂર્યનું પ્રતીક કિસનભાઈનું ચહીતું છે. એમના મોટાભાગના કાવ્યસંગ્રહના નામમાં પણ સૂર્યના દર્શન થાય છે. ધુમાડા અને આગથી શરૂ થઈ બારી, ગોખલા, સડક, બગીચામાં રઝળતી ઈંતેજારી અંતે આંખમાં આંસુ બનીને ઠરે છે ત્યારે એક ડૂમો આપણી ભીતર પણ ભરાતો હોય એવું નથી અનુભવાતું ?
Permalink
April 9, 2009 at 1:55 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.
આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.
અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.
મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.
– ભગવતીકુમાર શર્મા
મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.
આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે
Permalink
April 8, 2009 at 7:25 PM by ધવલ · Filed under ગઝલ, ધ્વનિલ પારેખ
છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો;
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.
એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.
ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ? આખરે માણસ હતો.
– ધ્વનિલ પારેખ
માણસ હોવું – એ અજાયબ ઘટનાને તપાસતી ગઝલ.
Permalink
April 7, 2009 at 10:37 PM by ધવલ · Filed under ગઝલ
હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે –
આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
હું જ છું કે જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરનાં ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
– અનિલ વાળા
આ ગઝલ વાંચ્યા પછી સૌથી પહેલો વિચાર આવ્યો તે આ : અહીં તો એક નહીં પણ ઢગલાબંધ પ્રશ્નો ઊભા છે. અને સૌથી પહેલો પ્રશ્ન છે – ભાઈ, આ ગઝલ છે શાના વિશે ? 🙂
મજાક જવા દો તો ગઝલની મુખ્ય વાત આ છે : પોતાની જાતના જુદા જુદા પાસા જોઈને કવિને થાય છે કે આમાંથી એકે ય પાસું મારો પૂરો પરિચય આપી શકે – મારી જાતને define કરી શકે – એમ નથી. પોતાના બહુઆયામી અસ્તિત્વમાં કવિને વિસંગતતાની વાસ આવે છે. આ બધું તો છે પણ આ બધું એ હું નથી એવી વેદ-વેદનાને કવિએ અહીં ઉજાગર કરી છે.
એક રીતે જુઓ તો ‘હું કોણ છું’ એ એકીસાથે, જગતનો સૌથી વધુ અગત્યનો અને સૌથી વધુ મિથ્યા પ્રશ્ન છે. ‘હું’ને જાણવો વધારે જરૂરી છે કે ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તો ભલભલા ઋષિઓની દાઢી સફેદ થઈ ગયેલી એ ચોક્કસ વાત છે.
Permalink
April 4, 2009 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ, હસ્તપ્રત

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)
*
શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.
આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.
આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.
આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?
‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?
– હર્ષવી પટેલ
કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.
ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે. ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.
મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…
Permalink
April 2, 2009 at 2:00 PM by વિવેક · Filed under ગઝલ, બંકિમ રાવલ
ઊંટ મતલબ રણ વિશે અટ્ક્યા વિના ચાલી જવું,
ચાલવું શું છે : કદી પૂછ્યા વિના ચાલી જવું.
કઈ રીતે ચાલી શકે જળને જરા સમજાવશો :
એક દરિયાઈ તરસ સમજ્યા વિના ચાલી જવું !
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું.
મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.
-બંકિમ રાવલ
ગાડરિયા પ્રવાહમાં વહ્યા કરવાની આપણી ઘેંટાવૃત્તિને કવિએ રણ શું છે, રણમાં ચાલવાનું કારણ શું છેની પળોજણમાં પડ્યા વિના ઊંટના નિશ્પ્રશ્ન ચાલ્યા કરવાની ક્રિયા સાથે સરખાવી છે.. આપણે સહુ ગતિશીલ છીએ પણ આપણી ગતિ કઈ દિશામાં અને કયા હેતુથી છે એ બહુધા ઘાણીના બળદ પેઠે આપણે જાણતા નથી હોતા. બીજા શેરમાં કવિ અને ભાવક વચ્ચે એક સૂક્ષ્મ સંવાદનો સેતુ ઊભો થાય છે અને જળના પ્રતીક વડે કવિ કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. જળનો જ અવતાર હોવો અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા નથી ? આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની… ખરું ને ?
Permalink
April 2, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.
નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.
અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.
નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.
બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.
નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.
અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.
– નીતિન વડગામા
એમના સ્મરણને તાદૃશ કરતી આ ગઝલના સાત શેર જાણે કે ઈન્દ્રધનુષના સાત રંગ છે. આ વાત પ્રેયસીની પણ હોઈ શકે, પ્રભુની પણ. ભાવકને પોતાની રીતે આખી ગઝલ અનુભવવાની છૂટ છે. સ્મરણની શક્તિનો કાકુવિશેષ કવિએ સરસ રીતે સિદ્ધ કર્યો છે…
એમના સ્મરણમાત્રથી પથ્થર સમી સૌ અડચણ દૂર થઈ જશે અને ક્ષણમાત્ર અવસર બની રહેશે. આંખો ખોલીને જુઓ તો ક્યાંય કોડિયું નજરે નહીં ચડે કેમકે સ્મરણનો ઉજાસ ભીતર અજવાળું પાથરે છે. એક સાચું સ્મરણ સાવ સહજતાથી મોહમાયાના પડળોથી પરે લઈ જઈ શકે છે અને પછી કોઈ હિસાબો સરભર કરવાની ચિંતા રહેતી નથી. સ્મરણની આછી ઝરમર જીવનભરના ઉકળાટને શાતા બક્ષે છે તો આપણી સુંદરતા અને સદ્ધરતા પણ સ્મરણની ભરપૂરતા પર જ અવલંબે છે. પંગુ થઈ બેઠેલા જીવતરમાં યાદનો પ્રાણવાયુ પુરાયો નથી કે એ પગભર થયું નથી…
Permalink
March 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)
ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે
જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે
આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે
ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે
સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે
દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે
રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે
– પંકજ વખારિયા
પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!
ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?
Permalink
March 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.
સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.
બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.
હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.
વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.
– અશરફ ડબાવાલા
ઈતિહાસ બોલતો નથી, વાંચવો પડે છે. જે રીતે બે લીટીની વચ્ચેનું લખાણ ચૂકી જવાય તો ક્યારેક આખો અવસર હાથથી નીકળી જાય એમ સદીઓના મૌન બે હોઠોની વચ્ચે વણબોલાયેલો શબ્દ સાંભળવો રહી જાય તો શું ચૂકી જવાય એનો કવિને અણસાર છે જ એટલે એ આખા સૈકાનું મૌન સાંભળવા માત્ર એકાદ ઘડી માંગે છે… કાળનો તીવ્ર વિરોધાભાસ આ શેરને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે. વાત સો વરસની છે અને માંગણી એક પળની છે !!
બાકીના શેરમાં જાતે વિહરીશું ?
Permalink
March 22, 2009 at 10:53 PM by ધવલ · Filed under અદમ ટંકારવી, ગઝલ
મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.
તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.
છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.
દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.
સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.
ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.
– અદમ ટંકારવી
દરેક શેર અર્થસભર હોવા ઉપરાંત નાની નાની રમૂજથી પણ સભર છે. સ્મરણને સાતસોછ્યાસી અને યાદને શ્રી સવા કહેવાની વાત એકદમ નવીનક્કોર છે. ગઝલ સીધીસાદી હોવી જોઈએ એવું તો ઘણાએ કહ્યું છે, પણ ‘જીવીકાકીની સવિતા જેવી’ નવી જ અસર જન્માવે છે 🙂 મારો પ્રિય શેર જોકે છોડ રૂપક.. છે. કોઈક ચહેરા રૂપકો ને ઉપમાઓથી તદ્દન પર હોય છે !
ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.
Permalink
March 21, 2009 at 7:26 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત

(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)
*
દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.
સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !
હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.
ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?
ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…
– અંકિત ત્રિવેદી
અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….
Permalink
March 20, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.
આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.
કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.
બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.
ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !
– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી
જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…
Permalink
March 19, 2009 at 12:32 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
– દિનેશ કાનાણી
આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…
Permalink
March 16, 2009 at 9:53 PM by ધવલ · Filed under ગઝલ, જયેન્દ્ર શેખડીવાલા
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં
મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં
આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં
કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં
આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં
– જયેન્દ્ર શેખડીવાલા
સ્મરણચૂર સાંજની આ ગઝલ મુઝફ્ફર અલીની ફિલ્મના દૃશ્યની જેમ ધીમે ધીમે ઉઘડે છે. ફૂલ અને ફોરમ – જે ખરેખર તો એક જ હતા – એમણે અજાણ્યા દેશમાં મળવું પડે એવી વિવશ મુલાકાતની આ સાંજ છે. અહીં તો સ્વપ્નમાં પણ મુલાકાત થાય તો ય સુગંધના આખા કાફલા મળે છે. એક મિલનથી સમયની સુક્કીભટ નદી હજારો સૂર્યને પ્રતિબિંબિત કરતી – જલજલવંતી – થઈ જાય છે. માણસે ડૂબી જવું પડે – ભલે એ ભંવરમાં હોય કે આકાશમાં – તો જ પોતાની ખરી જાત સાથે મુલાકાત થઈ શકે છે. બારીને બહાર નજર જતાં – લોહીયાળ સૂર્ય જોતા – ગઈકાલના મિલનની દૃશ્યાવલી ફરી ઘેરી વળે છે.
Permalink
March 15, 2009 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.
શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?
શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.
-ડૉ. વિવેક મનહર ટેલર
આજે અહીં પોસ્ટ કરવા માટે વિવેકની એક ગઝલ શોધવા જતાં આ જૂની ગઝલ હાથમાં આવી અને શબ્દોનું આ સાલિયાણું મને ખૂબ જ ગમી ગયું. પ્રિય વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ…એની આ જૂની ગઝલને આજે ફરી માણીએ.
Permalink
March 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
*
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
Permalink
March 8, 2009 at 9:44 PM by ધવલ · Filed under ગઝલ
રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે.
કોઈના ખંભે ચઢીને એટલું જોઈ શક્યા,
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે.
આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું,
મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે.
ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.
આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.
આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.
– મહેન્દ્ર જોશી
માનવ સ્વભાવની મર્યાદાઓને નવી રીતે વર્ણવતી ગઝલ. મનને કોરી પાટી કરી કોઈને એના પર લખવા દેવું માણસ માટે અઘરું છે. મિનારા પર ચડીને દૂર સુધી દૃષ્ટિ કરી માણસ એટલું તરત શીખે છે કે નજીકનું જોવું કેટલું અધરું કામ છે ! પોતાની આદતોને છોડવી તો વળી એનાથી ય અઘરું છે. સતત વિષમતા વચ્ચે એક સપનું ઉછેરવું મુશ્કેલ છે. અને વર્ષો બાદ (માંડમાંડ ભૂલેલું એ જાણીતું) નામ (ફરી વાર) યાદ કરવું બહુ અઘરી વાત છે. દુ:ખ માણસની આંખમાં હંમેશ ડોકાઈ જાય છે – એને સંતાડવું બહુ અધરું કામ છે.
Permalink
March 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત

(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)
*
દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.
તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
– અંકિત ત્રિવેદી
જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…
Permalink
March 6, 2009 at 1:53 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?
સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?
વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?
ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?
છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?
-ગિરીશ પરમાર
દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…
Permalink
March 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમણીક સોમેશ્વર
કરાંજી કરાંજીને દિવસો વિતાવે,
એ સાવજ, વિસારી બધું, ઘાસ ચાવે !
ફફડતા રહે હોઠ, બોલી શકે ના –
‘અબે એય મખ્ખી ! મને કાં સતાવે ?’
એ હણહણતા હયનો જુઓ હાથ સાહી,
સમજદાર કીડીઓ ડગલાં ભરાવે !
ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !
વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !
-રમણીક સોમેશ્વર
ગઝલને કોઈ શીર્ષક ન આપ્યું હોવા છતાં કવિ આ મુસલસલ ગઝલમાં વૃદ્ધની વ્યથા રજૂ કરે છે એ તરત જ સમજી શકાય છે. યુવાનીનું જોર ઓસરી જાય ત્યારે સંતાનોની દયા પર માંડ જીવતું ઘડપણ આજીવન જે કામ કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું હોત એ કામ કરવા મજબૂર થઈ જાય છે, જાણે સિંહના ઘાસ ખાવાના દહાડા આવ્યા… જે ઘોડો ક્યારેક હણહણતો હતો એ આજે પૌત્રોના પ્રેમ માત્ર પર જીવી રહ્યો છે. કવિએ પૌત્રોની સરખામણી કીડી સાથે કરી એમની ઉંમર બતાવી છે પણ આગળ સમજદાર વિશેષણ લગાવી એક જ ઝાટકે પંડના દીકરાઓની અણસમજ પર તીવ્ર કટાક્ષ કર્યો છે… છેલ્લો શેર તો આખી ગઝલનો શિરમોર શેર છે વળી !
Permalink
March 1, 2009 at 10:19 PM by ધવલ · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે
ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે
મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા
કવિને ફરિયાદ કરે તો કઈ રીતે ? – અલબત્ત ગઝલ લખીને જ ! કવિની ફરિયાદો તદ્દન અંગત છે. સાંજની સંકડામણની, ઝંખનાના જીવલેણ હોવાની, મૌનના પાંખાપણાની, આંખોના અભણપણાની અને મોતની છાની ચાલબાજીની – આવી બધી ફરિયાદો કવિ નહીં કરે તો બીજું કોણ કરશે ! મૌન પાછળ લાગણી શે’ર બહુ સરસ થયો છે. કવિઓ મૌનની શક્તિને સતત ગાતા હોય છે. પણ ખરેખર મૌન તો દેહ તો બહુ પાંખો હોય છે. બિચારું ચીંથરા જેવું મૌન કાંઈ છુપાવી શકતું નથી.
Permalink
February 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.
તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.
ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.
-પંકજ વખારિયા
પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?
Permalink
February 24, 2009 at 10:16 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.
– આદિલ મન્સૂરી
કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે. કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.
ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.
Permalink
February 22, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.
આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.
પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.
લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.
લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !
-રાજેન્દ્ર શુક્લ
કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!
ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…
(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)
Permalink
February 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)
એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.
જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.
ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.
એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.
આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.
જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.
– દિવ્યા મોદી
આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?
Permalink
Page 39 of 50« First«...383940...»Last »