પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…

Comments (7)

તું – સુરેશ દલાલ

તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.

કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.

– સુરેશ દલાલ

આ કાવ્ય જરા અટપટુ છે. સંબંધ-વર્તુળ અને એકાન્ત-વર્તુળની પરિમિતિ ટકરાય ત્યારે શું કરવું તેનો તો કોઈ ખરો જવાબ નથી. જીબ્રાને કહેલી વાત યાદ આવે છે : But let there be spaces in your togetherness. બીજાઓ સામાન્ય રીતે પ્રિયજનની સરખામણી ચાંદ-તારા-મેઘધનુષ સાથે કરે છે જ્યારે અહીં કવિ પોતાના પ્રિયજનની સરખામણી, પોતાની સૌથી મહામૂલી મિલકત, પોતાના એકાન્ત અને એકલતા સાથે કરે છે.

કાવ્યને ઉપર કરતા તદ્દન જુદી રીતે, એકથી વધારે રીતે, મૂલવી શકાય એમ છે. અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી.

Comments (9)

પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?

Comments (10)

મોસમ – ડેવિડ ઈગ્નાતો

મારે માટે જીવ
પવને કહ્યું
મારે માટે જીવ
વરસાદે કહ્યું
મારે માટે જીવ
રાત્રિ એ કહ્યું

મેં માથું નમાવ્યું
ને કૉલર ઊંચો કર્યો.

– ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

પ્રતિકૂલ મોસમમાં પ્રકૃતિના પરિબળો એક પછી એક આવીને કહે છે, મારે માટે જીવ – એટલે કે મારી આગળ નમી જા. માણસ એમની આગળ માણસ સહેજ માથું નમાવે છે – એમનું ગૌરવ કરવા. પણ પછી જાત પરના વિશ્વાસના પ્રતીક-સમ કોલર ઊંચો કરે છે. પ્રકૃતિ ગમે તેટલો મથાવે તો પણ માણસ એની સામે એક હદથી વધારે ઝુકવા તૈયાર નથી.

Comments (1)

અસાધારણ પળ – કેનેથ વ્હાઈટ

આખી સવારથી હું કામ કરું છું
મધરાતથી તે ઠેઠ અગિયાર સુધી

પહાડ પરના પહેલા બરફને જોતો
હવે હું બેઠો છું ‘માઉરી’ આસવ પીતો

આસાવની રાતાશ કે શિખરોની ધવલતા
– બેમાંથી કશાને હું વર્ણવી શકું એમ નથી.

– કેનેથ વ્હાઈટ
(અનુ. સુરેશ દલાલ)

દરેક અસાધારણ પળ એ વિશ્વવિજયની પળ હોય એ જરૂરી નથી. રોજબરોજની કેટલીક પળો એવી હોય છે કે મનની અંદરથી આનંદ ઊગી આવે – એવી એક અસાધારણ પળની આ વાત છે. માણસ આવી જ પળો માટે જીવતો હોય છે ને ?

Comments (2)

કોઈ તો કહો !

જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !

સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !

ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.

એક સ્વીચ ઑન :
– અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.

પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !

દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !

મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …

… … પણ
કોઈ તો કહો 
               – હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?

– જગદીશ જોષી

We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.

Comments (16)

ગીત-સરોવર – અનિલ જોશી

સાજન !
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર
એના
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
નિર્મલ
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર.

– અનિલ જોશી

છલકાતી આંખ એ ગીત-સરોવર જેમાં (સુંદર પણ દેશવટો ભોગવતી!) જિન્દગી ઝરમર ઝરમર ન્હાય. કરૂરણતા નો કોમળતા સાથે નાજુક પ્રાસ બેસાડતું, ટચુકડુ, ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માણતું સ્નિગ્ધ કલ્પન.

Comments (5)

આપણા ખીસાના પાકીટમાં (મરાઠી) – વર્જેશ સોલંકી (અનુ. અરુણા જાડેજા)

આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.

-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા

જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…

Comments (15)

The crescent moon: પ્રતિપદા – ઉશનસ્

In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.

*

વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.

-ઉશનસ્

કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…

(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)

Comments (8)

(પુષ્પગુચ્છ)- ગુલાબ દેઢિયા

તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.

– ગુલાબ દેઢિયા

અમેરિકા આવ્યો તો બધે ફૂલ આપવાનો મહિમા જોયો – વર્ષગાંઠ પર ફૂલ, લગ્ન પર ફૂલ, પ્રેમના પ્રસંગે ફૂલ અને મરણ-પ્રસંગે પણ ફૂલ. દેસી મગજમાં ફૂલ માણવાની વાત સમજાય પણ (ફૂલને તોડીને એ) ફૂલનો ગુલદસ્તો લઈ જવાની વાત ઝટ લઈને બેસે નહીં. જોકે હવે સમય જતા એ પણ શીખ્યો છું. એટલે આજે આ ફૂલને બદલે હાથ માંગી લેવાની વાતવાળું કાવ્ય હાથમાં આવ્યું તો દીલ અનાયાસ જ ‘બાગ-બાગ’ થઈ ગયું 🙂

Comments (8)

નિરાંત – કુસુમાગ્રજ

જયંતીની
    પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
    પૂતળાએ
    ખંખેરી નાખ્યા
    શરીર પર ભેગા થયેલા
    અસંખ્ય નમસ્કાર 
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
    આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.

– કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

હમણા જ ગાંધી-જયંતી ગઈ છે. ગાંધીને ભૂલવાની મોસમ આવતા વર્ષ સુધી રહેશે. આપણા ઠાલા નમસ્કાર કરતા ગાંધી કાગડાની ‘કંપની’ પંસદ કરે એમા કોઈ શંકા નથી. કુસુમાગ્રજનું આ જ વિષય પરનું બીજું આટલું જ ધારદાર કાવ્ય પણ જોશો.

Comments (5)

હવા – પ્રદીપ પંડ્યા

બારણાં ખુલ્લાં હતાં
ધીમે ધીમે
મંદ પગલે
એ આવી.
જુલ્ફને જરાક
રમાડી…
કોણ છે
જોઉં છું ત્યાં તો
એવી જ રીતે
ચાલી ગઈ
સઢની જેમ ઊડીને
સંકેલાઈ જતા, બારીના
પડદાએ કહ્યું,
‘હવા હતી.’

– પ્રદીપ પંડ્યા

એક કલ્પન એટલું નાજુક-નમણું હતું કે એના ‘હોવા’ અને ‘ન-હોવા’ વચ્ચે મન અટવાયું હતું ! 

Comments (7)

આદિ ધર્મ – અમૃતા પ્રીતમ

મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…

તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.

ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…

– અમૃતા પ્રીતમ

ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.

Comments (10)

સદૈવ – પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!

કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત  નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?

Comments (17)

સંકેત – નીલેશ રાણા

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ? 
                        અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે 
                         ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !

– નીલેશ રાણા

‘પૃથ્વી પરના સ્વર્ગ’ને નરકમાં બદલનારાઓને સમર્પિત.

Comments (17)

એ શહેર – પ્રીતિ સેનગુપ્તા

હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ  પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.

આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.

નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.

– પ્રીતિ સેનગુપ્તા

મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને /  મળતી વિશ્વ તણી વિશાળતા.

Comments (4)

ઓળખાણ – શકૂર સરવૈયા

લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખા દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.

– શકૂર સરવૈયા

કોઈએ ખરૂ જ કહ્યું છે, વહેવારની સમજ એટલે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી 🙂

Comments (4)

આમંત્રણ – ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)

કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…

Comments (7)

ભૂલ – ઓકતે રિફાત

રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.

– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)

હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !

Comments (3)

ભારતમહિમા – ન્હાનાલાલ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)

(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)

Comments (5)

આધુનિક વધસ્તંભ – વાસુદેવ નિર્મળ

મુંબઈની લોકલગાડીના
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી,
તે કડાંને પકડીને ઊભા છે.

ના, ના
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ
સાદો ઈન્સાન,
લાચાર ઈન્સાન,
ઈશુની જેમ,
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધસ્તંભ હોય છે.

– વાસુદેવ નિર્મળ (સિંધીમાંથી અનુવાદ સુજાતા ગાંધી)

સામાન્ય માણસના લાચારીઓના વહેણમાં ખેંચાઈ જવાની ઘટના મહાનગર (કે મહા-મગર) માટે નવી નથી. પણ કવિએ સૌથી અસરકારક વાત છેલ્લી લીટીમાં કરી છે. ફરી વાર વાંચી જુવો – દરેક ઈસુને પોતપોતાનો વધસ્તંભ હોય છે. એ વાક્યએ મને વિચારતા કરી દીધો કે મારો વધસ્તંભ ક્યો છે ? ખરી વાત છે; આપણે બધા આપણા પોતાના અંગત વધસ્તંભને ઊંચકીને જ ચાલી રહ્યા છીએ. કોઈ વધસ્તંભો જોઈ શકાય છે જ્યારે કોઈનું તો ખાલી વજન જ અનુભવી શકાય છે…. છાતી ઉપર.

Comments (5)

અજાણ વિદ્યા – ધીરુ મોદી

ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.

-ધીરુ મોદી

ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.

Comments (3)

ગયા તે ગયા – દિવા ભટ્ટ

ગયા તે ગયા
ઘોડાના ડાબલા પાછા ન ફર્યા.
અહીંથી જે ધૂળ ઊડી હતી
તે પણ આઘી જઈને બેઠી.
હવે સૂરજ લંગડાતો ચાલે છે.
હું રમી તો શકું
પણ સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
જોતરી દે તો ?
તો પછી
ઘોડાના ડાબલાના પાછા ફરવાની વાટ
અહીં કોણ જોશે ?

– દિવા ભટ્ટ

વિતેલા પ્રસંગોની પાછળ ઊડેલી ધૂળ તો સમય જતા શમી જાય છે પણ એની ભૂતાવળ શમાવવી અઘરી છે. કોઈક પ્રસંગો પછી વાટ જોવા સિવાય બીજું કશું કરવાનું ન ગમે એવું આપણે બધાએ અનુભવેલું છે. સૂરજના ઘોડા થવા – એટલે કે ફરી રોજીંદી જીંદગીમાં જોતરાવા – કરતા કવિ ખાલી રાહ જોવાનું વધારે પસંદ કરે છે.

Comments (5)

પૂર – વિપિન પરીખ

હંમેશા સાથે ને સાથે જ વહેતા ને
એકમેકથી એક પળ પણ અળગા ન થતા
કાષ્ટના બે ટુકડા ક્યારેક
એકબીજાથી કેટલા દૂર નીકળી જાય છે ?
જાણે પહેલાં કોઈ પરિચય જ નહોતો !
પણ
નદીને કોઈ એક ક્ષણે
બધું યાદ આવી જાય છે ને
તેના બેઉ કાંઠા
આંસુથી ઉભરાઈ જાય છે.

– વિપિન પરીખ

Comments (6)

(ઈરાદો) – લાભશંકર ઠાકર

ઢાંકી દઈએ છીએ ગમે તેટલું
તોય
એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.
એમાં
જે
છે
તે
છલકાયા વગર રહેતું નથી.
તારો કોઈ ઈરાદો છે ?
હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.

– લાભશંકર ઠાકર
(‘પરબ’માંથી)

નાની કવિતામાં કવિએ બહુ મોટી વાત કરી દીધી છે. મનના પાત્રને ઊંધું વાળીને ખાલી કરી દેવું એ તો ધ્યાનની ચરમસિમાની અવસ્થા છે. આ કવિતા વાંચતા જ આ પ્રખ્યાત ઝેન-કથા યાદ આવે છે. એ સાથે વાંચશો તો કવિતાનું ઊંડાણ વધુ માણી શકશો.

Comments (9)

માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

આજે ઉમાશંકર જોશીનો સત્તાણુંમો જન્મદિવસ છે. એ અવસરે એમની આ યાદગાર રચના.

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

Comments (2)

ફકીર – પ્રીતમ લખલાણી

Scanned Document

ફકીર

વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’

– પ્રીતમ લખલાણી

ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !

Comments (10)

દીકરીનાં તેરમા વર્ષે…! – એષા દાદાવાલા

Esha - Dikri na terma varshe 1 Esha - Dikri na terma varshe 2
( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )

*

એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.

પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?

જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!

પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!

અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!

-એષા દાદાવાલા

એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….

એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…

Comments (22)

ઝેન મુક્તક – અનુ. કિશોર શાહ

તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.

અનુ. કિશોર શાહ

કિશોર શાહે ઓશોના અંગ્રેજી પુસ્તક Signatures on Waterનો ગુજરાતી અનુવાદ ‘જળ પર હસ્તાક્ષર’ નામે કરેલો છે. આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષામાં લખાયેલ ઝેન કાવ્યવારસાને ગુજરાતીમાં માણવાની અનોખી તક છે. ઝેનમાં અનુભૂતિ પ્રધાન છે. એક અંત:સ્ફૂરણાથી આખુ જીવન બદલાઈ શકે છે એ ઝેનની મૂળમાન્યતા છે. સહજને માણવાની, માનવાની અને ઊજવવાની ઝેનમાર્ગમાં પરંપરા છે. ઝેન કવિ-ગુરુઓએ આ નાના નાના સ્ફટિકવત કાવ્યોમાં જગતને નવી દ્રષ્ટિથી જોવાનો કીમિયો છૂપાવેલો છે. જે કાંઈ સમજવા જેવુ છે તે આપણી અંદર જ છે અને દરેક કાવ્ય ખરેખર તો અ-મનમાં પ્રગટેલુ વલય માત્ર છે.

Comments (4)

પછાત માણસ – સર્વેસ્વરદયાલ સક્સેના

બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.

– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.

Comments (7)

દીવાનખાનામાં

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

-પન્ના નાયક

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

Comments (8)

સફળ માણસો – વિપિન પરીખ

એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’

-વિપિન પરીખ

આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !

Comments (19)

તારા પગ – પાબ્લો નેરુદા

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે
,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર
,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.

Comments (6)

ગુણગાન – નગીન મોદી

મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !

-નગીન મોદી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…

Comments (12)

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને – કિશોર મોદી

024_24
(મોરારીબાપુ…..    ….અસ્મિતાપર્વ, મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને
થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને… મગજમાં મારું બેટું કંઈ ઊતરતું નથી.

એ તો વળી એમ પણ કે’ છે કે
અમે તો વરહોવરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
વીહલા ?

– કિશોર મોદી

વરસોથી અમેરિકા રહેતા કિશોર મોદીના લોહીમાંથી સચીન (સુરત) નજીક આવેલા એમના ગામ કનસાડનો કણસાટ ઓગળ્યો નથી. એમના તાજા ‘એઈ વીહલા !’ કાવ્યસંગ્રહમાં અડધોઅડધ કાવ્ય સુરતી ભાષામાં (સૉરી, હુરતી ભાહામાં !) છે. આટલી વિપુલ માત્રામાં સુરતી કાવ્યોનો થયેલો આ કદાચ પહેલો સંચય હશે ! કવિતાના શબ્દે-શબ્દમાં પહેલા વરસાદના સંવનને ઘરતીમાંથી સોડમ ઊઠે એમ ઊઠતી ગામડાંની તળપદી મહેંક સૂંઘી શકાય છે.

કાલ્પનિક મિત્ર વીહલાને સંબોધીને કવિ આપણને સુંદરકાંડનો સંદર્ભ આપી રામાયણમાં પાત્રપ્રવેશ કરાવે છે. નાવિક કેવટનો પ્રસંગ તો યાદ હશે જ. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. તમારા ચરણસ્પર્શથી તો શીલા પણ સ્ત્રી (અહલ્યા) બની ગઈ હતી. મારી નાવડી જો સ્ત્રી બની જાય તો એક તો મારી આજીવિકા જાય, ઉપરથી મારે એનું ભરણપોષણ કરવાનું આવે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને કવિ એક પ્રસંગમાંથી કાવ્યનું સર્જન કરવાનું કવિકર્મ આદરે છે.

મોરારીબાપુની કોઈક કથામાં સાંભળ્યા પ્રમાણે કવિ રોજ રામાયણનું પઠન કરી જાત મઠારવાની મથામણ કરે છે પણ લૂણો લાગી ગયેલ સમજણમાં કંઈ ઉતરતું નથી. મોરારીબાપુએ કદાચ વારંવાર કથા સાંભળવાનું અને રોજેરોજ રામાયણ વાંચવાનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હશે કે આ તો દર વરસે પિત્તળના વાસણને જેમ કલાઈ કરીને આપણે ચમકાવીએ છીએ એવું કામ છે. પણ માત્ર મિત્રની સમક્ષ જ હૈયું ખોલીને જે નબળાઈ છતી કરી શકાય એ છતી કરતાં કવિ નિઃસાસો નાંખી કહે છે કે વાસણ પિત્તળનું હોય તો એને ચમકાવી શકાય, ઊજાળી શકાય પણ આપણી તો કાઠી જ મૂળે એલ્યુમિનિયમની છે. એને કેમ કરીને કલાઈ કરવી?

Comments (14)

સંબંધ નામના વૃક્ષની જાતકકથા – કમલેશ શાહ

તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.

તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.

હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.

– કમલેશ શાહ

કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !

Comments (6)

પ્રેમ – નગીન મોદી

મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.

-નગીન મોદી

સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…

(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )

Comments (9)

સાંભળો રે સાંભળો – ર.કૃ.જોશી

કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું 

      ભાંગીતૂટી
      ત્રણ
      ખુરશી

             ઘોબા પડેલા
             ચારપાંચ
             વાસણો 

                     સનમાયકામાં
                     તડ પડેલું
                     ટેબલ
                     એક

      બે ડિઝાઈનના
           બે કપરકાબી
                     ન ચાલતું લાઈટર
                         લીક
                     થતો 
                         ગેસ

      ભેટ મળેલી બૉલપેન
           ગયા
           વર્ષની
           ડાયરી અને આ કવિતા.

– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)

કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી…  પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.

Comments (7)

અનુભવ – જગદીશ જોષી

સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”

– જગદીશ જોષી

Comments (8)

મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

Comments (4)

આરોપી – હોર્સ્ટ બીનેક

આરોપ તો બધા પર હતો
         પણ એમાંના એક જ જણે 
         પોતાના ગુનાની કબૂલાત કરી

બીજાઓએ મૌનના ધ્વનિને નષ્ટ કર્યો
તેમણે પોતાના બચાવ કર્યા
પણ તેમણે પોતાના શહેરોને બચાવ્યાં નહીં

          ને ન રક્ષ્યું પંખીના શાંત ઉડ્ડયનને –
          કારણકે  ભયે છરીઓથી તેમને અંધ બનાવ્યા હતા

માત્ર એક જ માણસ નિર્દોષ હતો
જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

– હોર્સ્ટ બીનેક (અનુ – યશવંત ત્રિવેદી)

Comments (7)

કલિંગ – શ્રીકાંત વર્મા

અશોક એકલો જ પાછો વળે છે
અને બધાંય
કલિંગ ક્યાં છે એમ પૂછી રહ્યાં છે.

બધાંય વિજેતાની અદાથી ચાલી રહ્યાં છે
અને
એકલો અશોક નતમસ્તક

કેવળ અશોકના કાનમાં કિકિયારી
અને બધાંય
હસીહસીને બેવડ વળી રહ્યાં છે.

કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.

કેવળ અશોક
લડી રહ્યો હતો.

-શ્રીકાંત વર્મા (અનુ. કુમુદ પટવા)

Comments (15)

મેદાનની ઋતુ – (કાશ્મીરી) આગા શાહિદ અલી (અનુ. જ્યોત્સ્ના તન્ના)

કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
પોતાના બચપણની વાત કરી.
લખનૌના મેદાનમાં અને
એ જ ઋતુની
ચોમાસાની, જ્યારે કૃષ્ણની
વાંસળી સંભળાતી જમનાને કિનારે.
તે જૂની રેકર્ડ વગાડતી
બનારસની ઠૂમરી ગાયિકાઓની
સિદ્ધેસ્વરી અને રસૂલન. તેમના
અવાજમાં ઝંખના હતી, જ્યારે વાદળાં
ઘેરાય, ત્યારે ન દેખાતા તે
શ્યામલ દેવ માટે. જુદાઈ
તો વરસાદ આવતાં ન વેઠાય,
દરેક ઊર્મિગીત આ જ કહે છે.
જ્યારે બાળકો બહાર દોડે
ગલીકૂચીમાં, ભરઉનાળે
પ્રેમીઓ વચ્ચે સંદેશાની આપલે
હીર અને રાંઝા અને બીજા
દંતકથાનાં પાત્રો, પ્રેમ તેમનો નિષિદ્ધ
આખી રાત ધૂપ કરી
જવાબની રાહ જોતાં, મારી મા
હીરનો વિલાપ ગણગણતી
પણ મને કદી કહ્યું નહીં કે તેણે
ચમેલીની અગરબત્તી પેટાવી હતી કે નહીં
જે બળીને રાખની સળી થઈ જતી.
હું કલ્પના કરતો
દરેક એવી ગ્રીવાની
જે ભીની હવા પર ટેકા માટે લળે.
તેણે ફક્ત એટલું જ કહ્યું:
ચોમાસું કદી કાશ્મીરના
પહાડો પાર નથી કરતું.

– (કાશ્મીરી) આગા શાહિદ અલી
(અનુ. જ્યોત્સ્ના તન્ના)

Comments (3)

એક પંખીને કંઈક – ઉમાશંકર જોષી

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…

-ઉમાશંકર જોષી

હાથ છોડીને સાઈકલ ચલાવવી હોય તો પહેલાં હેંડલ હાથમાં પકડીને જ શીખવું પડે. ઈંટ-રેતીથી મકાન બાંધતા આવડે તોજ અનિયમિત આકારના ઢેફા વાપરીને કળાકૃતિ બનાવવાનો વિચાર કરી શકાય. છાંદસ કાવ્ય સિદ્ધ ન કર્યું હોય એવા લોકો અછાંદસમાં સીધી ડૂબકી મારે તો ડૂબી જવાનો ગળાબૂડ ભય રહેલો છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલી શકે છે કેમકે અછાંદસ એ આખરે તો કવિનો પોતીકો છંદ છે. ઉમાશંકર જોષીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

કવિતાની પહેલી કડી છાંદસ છે (ગાલગાગા ગાલગાગા ગાલગા). અછાંદસ કવિતામાં કોઈપણ કડીનું છંદમાં હોવું જરૂરી નથી તો પછી કવિએ અહીં પહેલી કડીમાં છંદ કેમ સિદ્ધ કર્યો હશે? પંખીને કહેવાની વાતો તરન્નુમમાં જ આવે માટે?

અહીં પંખીને કંઈક કહેવું છે પણ એ માણસ પાસે આવતાં ખમચાય છે એ બે જ વાક્યમાં કવિએ નગરજીવનના મનુષ્યની સંકીર્ણ અને અવિશ્વાસપાત્ર માનસિક્તા તરફ ઈંગિત કરી કવિતામાં પ્રવેશવાનો દરવાજો રચી દીધો છે. ત્રીજી કડીમાં પંખીના દૂ…ર ઊડી જવાની ક્રિયા સાથે પર્વતનો ઉલ્લેખ અંતર અને ઊંચાઈ – બંને સ્થાપિત કરે છે. ટેકરી પરનું ઊંચું વૃક્ષ અને પાછી એના પરની ટગડાળ-ઊંચી ડાળ એ ઊંચાઈનો વ્યાપ વધુ દીર્ઘ બનાવે છે. કવિતામાં જ્યાં છંદની ઉપસ્થિતિ ન હોય ત્યાં શબ્દ-ચિત્ર આલેખવામાં ક્યારેક બિનજરૂરી લંબાણ કવિતાની ગતિને વ્યવધાનરૂપ બનતું હોય છે. અહીં આ એક જ લીટી ઓછા શબ્દોથી મોટું ચિત્ર શી રીતે આલેખી શકાય એ સમજાવે છે.

થાકેલું-હારેલું પંખી શારીરિક વિટંબણાઓથી ગ્રસ્ત-ત્રસ્ત થઈ કહેવાની વાત અંતે બબડી નાંખે છે અને કવિ ત્યાં કવિતાનું પહેલું પૂર્ણવિરામ મૂકે છે પણ કવિતાની કડી ત્યાં બદલાતી નથી, આગળ ચાલે છે. કવિની વાત અને એમ પંખીની વાત હજી પૂરી નથી થઈ એનું ચાક્ષુષ અનુસંધાન સાધતું હોય એમ આગળનું વાક્ય પૂર્ણવિરામ સાથે જોડાઈને કવિતાની ગતિને અનવરત આગળ વધારે છે. કવિતાના આ નવા ખંડની શરૂઆત થાય છે નદીના સાંભળી જવાથી. પણ ફક્ત ‘સરતી સરિતા’ એમ બે જ શબ્દો વાપરીને કવિ પુનઃ કવિતાના શબ્દને ગતિનો બોધ અર્પે છે. અને કાવ્ય આગળ વધતું નથી, સરસર વહી નીકળે છે. નદી પણ ગબડતી, રસળતી થાકીને સમુદ્રમાં પરપોટાના અવાજોમાં કંઈક કહેવા મથતી ભળી જાય છે એ ઘટના પર કવિ બીજું પૂર્ણવિરામ મૂકે છે. અને અપેક્ષિતરીતે જ કવિતાનો આ ત્રીજો ખંડ પણ પૂર્ણવિરામ બાદ એ જ કડીમાં શરૂ થઈ કવિતાની ગતિ ચાલુ રાખે છે. સમુદ્ર પણ ખડકો પર અનવરત માથાં પછાડતાં-પછાડતાં કહેવાની વાત ભૂલી જાય છે ત્યારે કવિ પ્રથમ કડીની પુનરોક્તિ કરે છે પણ આ વખતે સાયાસ પંક્તિના અંતને અધૂરો છોડી દઈ ઘટનાક્રમનું પુનરાવર્તન ભાવકના ચિત્તમાં સતત થતું રહે એવી ગોઠવણ કરે છે…

મારી દૃષ્ટિએ અછાંદસ કાવ્યસ્વરૂપને પામવા મથતા સાચા તપસ્વી માટે આ કવિતા ઉદાહરણરૂપ છે.

(ચંદ્રકાંત ટોપીવાળા કૃત ‘અછાંદસ મીંમાસા’ના આધારે)

Comments (13)

– (અનામી) (સંસ્કૃત) અનુ. સુરેશ દલાલ

જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ

જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ

નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.

(અનામી)
-અનુવાદ: સુરેશ દલાલ

કેટલું સુંદર અને સચોટ પ્રેમકાવ્ય ! કોણે લખ્યું એની તો જાણ નથી પણ એનો અનુવાદ કરાવીને સુરેશભાઈએ પ્રેમીઓ પર જાણે ઉપકાર કર્યો છે.ચાક પર ગૂંદાતી માટીમાં નંખાતું પાણી પોતાનું અસ્તિત્વ ગુમાવીને માટીના કણ-કણને પલાળે છે ત્યારે એમાંથી ઘડાનું સર્જન થાય છે. જાત ન ઓગળે ત્યાં સુધી કોઈ પણ પ્રાપ્તિનો ચમત્કાર કદી શક્ય જ નથી…

Comments (16)

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ… – ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,

                     – બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
              દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
                      ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

ભારેખમ એ ખડક,
              નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
              છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
               છતાંય એનો સઢ ન હવા પકડતો !
               લંગર પકડી એ તો લટક્યા કરતો !

શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.

ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
                         જલમાં ઝેર પ્રસરશે.

એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને   અહીંથી   સાફ   કરી   દો   વ્હેલાં  પ્હેલાં :

એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
                અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
                                      ખોટી રાત છે :

ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …

– ચંદ્રકાંત શેઠ

કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે. 

ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.

કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !

(ગલ = માછલી પકડવાનો આંકડો)

Comments (5)

સ્વજનને પત્ર – ગુલામમોહમ્મદ શેખ

(નીલિમા, સમીરાને)

હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

– ગુલામમોહમ્મદ શેખ

કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !

Comments (5)

ગાંધીજી – પ્રભુ પહાડપુરી

તે આથમી ગયો
પછી
અંધારું સોળે કળાએ ઊગ્યું.

-પ્રભુ પહાડપુરી

ઠાલાં શબ્દો ન વેડફે એ કવિ ઉત્તમ. શબ્દોની કરકસરના પહાડ પાછળ કવિતાનો જે સૂર્યોદય અહીં થયો છે એ ભાવકને કવિતા પૂરી થયા પછી આગળ ન વધવા મજબૂર કરી દે એવો ઝળાંહળાં છે. ગાંધીજીને આપવામાં આવેલી કેટલીક ઉત્તમ અંજલિઓમાંની એક આ ગણી શકાય એવું હું માનું છું.

Comments (9)

– સુરેશ દલાલ

કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.

-સુરેશ દલાલ

આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…

Comments (8)

મૃત્યુને – પન્ના નાયક

તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…

-પન્ના નાયક

ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…

Comments (4)