રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for અછાંદસ
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 15, 2009 at 12:05 AM by ધવલ · Filed under અખિલ શાહ, અછાંદસ
હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.
એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.
એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.
મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’
ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.
સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’
– અખિલ શાહ
જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !
Permalink
January 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમેશ પારેખ, હસ્તપ્રત

(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)
‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’
– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)
Permalink
January 12, 2009 at 10:49 PM by ધવલ · Filed under અછાંદસ, રમેશ પારેખ
પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.
ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…
આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…
– રમેશ પારેખ
ઉતરાણ વિશેની બધી પ્રચલિત માન્યતાઓને ‘કાઈપોચ’ કરીને કવિ ઉતરાણનો તદ્દન નવો અર્થ બતાવે છે.
Permalink
January 8, 2009 at 12:12 AM by વિવેક · Filed under અછાંદસ, રમેશ પારેખ
પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.
એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.
કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.
સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.
-રમેશ પારેખ
ર.પા.નું આ અછાંદસ કાવ્ય ખરી કવિતાની વિભાવના સમજવામાં ખાસ્સી મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.
આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.
ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.
અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.
અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….
Permalink
January 5, 2009 at 10:16 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ, જયા મહેતા
ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…
આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…
એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’
આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.
આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,
પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !
– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)
વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.
કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે. જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.
Permalink
January 3, 2009 at 12:19 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આંખના પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.
-રાજેશ પંડ્યા
ગણિતમાં પ્રમેય ભણતા ત્યારે પ્રથમ પૂર્વધારણા બાંધીને પછી એને સાબિત કરવાનું રહેતું. આ નાનકડા અછાંદસમાં વડોદરાના રાજેશ પંડ્યા પ્રેમનો પ્રમેય સાબિત કરતા હોય એમ લાગે છે. કવિતાની શરૂઆત જ આંખના પાણીનું ઊંડાણ અને એને પાર તરવાની સંપૂર્ણ વિવશતાની પૂર્વધારણા સાથે થાય છે. લાગણીને ઓળંગવી એના કરતાં સાત-સાત દરિયા ઉલેચવા કદાચ વધુ આસાન છે. ‘રાતદિવસ’ વહાણ હંકારવાની અનવરત તૈયારી ચાંદા-સૂરજ-પવન-મોજાંની વચ્ચે થઈને હલેસાંના ‘સતત’ મરાવાના સાતત્ય સુધી પહોંચી કવિતાને એક લય, ગતિ, પ્રવેગ આપે છે. અને આખી દુનિયા તરી જવાનું જેના બાવડાંમાં કૌશલ ભર્યું છે એ કાવ્યનાયક પણ પ્રિયતમાના એક આંસુ સમક્ષ તો પોતાની હાર સ્વીકારી જ લે છે. કદાચ આ હારમાં જ પ્રેમની જીત છુપાયેલી છે !
Permalink
December 30, 2008 at 11:16 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.
એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!
– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)
જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?
(મૂળ અંગ્રેજી કવિતા)
Permalink
December 24, 2008 at 5:11 PM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા… કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!
-ચંદ્રકાંત શેઠ
એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.
Permalink
December 23, 2008 at 11:56 AM by ધવલ · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ
બૉમ્બનો વ્યાસ છે ત્રીસ સેન્ટિમીટર
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
છે લગભગ સાત મીટર.
જેમા પડ્યા છે
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.
અને એમની ચોતરફ઼
સમય અને વેદનાના એક વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.
સો કિલોમીટરથીય વધુ દૂરથી
આવેલી સ્ત્રીને એના શહેરમાં જયાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકલો અટુલો માણસ
જે દરિયાપાર રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.
અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં એ હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.
– યેહુદા અમિચાઈ
બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય, ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય, હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.
(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)
Permalink
December 22, 2008 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !
– એષા દાદાવાળા
તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…
(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)
Permalink
December 15, 2008 at 10:44 PM by ધવલ · Filed under અછાંદસ
( મૂળ કવિતા સાંભળો કવિના પોતાના જ અવાજમા. )
આ વખતે નહીં.
આ વખતે એ નાની છોકરી મારી પાસે ઘસરકો લઈને આવશે
તો હું ફૂંક મારીને એને ખુશ નહીં કરું,
એની પીડાને હું વધવા દઈશ.
આ વખતે નહીં.
આ વખતે જ્યારે ચહેરાઓ પર દર્દ લખાયેલા જોઈશ,
નહીં ગાઉં પીડા ભૂલાવી દે એવાં ગીત.
દર્દને પચવા દઈશ, અંદર ઊંડે ઊતરવા દઈશ.
આ વખતે નહીં.
આ વખતે હું મલમ નહીં લગાડું.
નહીં લઉં હાથમાં રૂના પૂમડાં
અને નહીં કહું કે તું આંખ મીચી લે,
જરા માથું એ તરફ કરી લે, હું દવા લગાડી આપું છું.
જોવા દઈશ બધ્ધાને, આપણા બધ્ધાને, ઉઘાડા નગ્ન ઘા.
આ વખતે નહીં.
આ વખતે તકલીફો જોઈશ. તડફડાટ જોઈશ. નહીં દોડું ગૂંચવાયેલી દોરીને ઉકેલવા.
ગૂંચવાવા દઈશ જેટલી ગૂંચવાઈ શકે.
આ વખતે નહીં.
આ વખતે કર્તવ્યની આણ આપીને હથિયાર નહીં ઉઠાવું.
નહીં કરું ફરીથી એક નવી શરૂઆત.
નહીં બનું એક કર્મયોગીનું ઉદાહરણ.
નહીં ચડવા દઉં જીંદગીને આટલી આસાનીથી પાટા પર.
એને કાદવમાં ઊતરી જવા દઈશ, વાંકા ચૂંકા રસ્તા પર.
નહીં સૂકાવા દઉં દિવાલ પરનું લોહી,
નહીં ઝાંખો થવા દઉં એનો રંગ.
આ વખતે એને એટલું લાચાર નહીં થઈ જવા દઉં
કે પાનની પિચકારી અને લોહીનો ફરક જ મટી જાય.
આ વખતે નહીં.
આ વખતે ઘાને જોવા છે,
ધ્યાનથી,
લાંબા સમય સુધી.
થોડા નિર્ણય
અને એના પછી હિંમત.
ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે
આ વખતે તો નક્કી કર્યું છે.
– પ્રસૂન જોશી
મુંબઈ આતંકકાંડનો ખરો જવાબ શું હોઈ શકે ?
આજે તો ગુસ્સો તમને છે એટલો મને પણ છે અને અકળામણ તમને છે એટલી મને પણ છે. પણ થોડા જ વખતમાં આપણે દર વખતની જેમ આપણે આ બધુ ભૂલી જઈશું.
વહેલા લોહીનું ઋણ ખરેખર ચૂકવવું હોય તો ચાલાક થવું પડશે. આ ઘા કદી ન ભૂલાય એની કાળજી લેવી પડશે. આ ભસ્મને રાષ્ટ્રના લલાટમાં એવી લગાડવી પડશે કે કેટલીય પેઢીઓ સુધી દેખાયા કરે. એક દેશના સ્વમાનને જગાડવું પડશે. એક પીડાને ઉછેરવી પડશે. એક પ્રજાની હિંમતને કંડારવી પડશે. ગમે તે કિંમત ચૂકવવાની તૈયારી કરવી પડશે.
આ બધુ કરવા માટે આપણે લાંબો વિચાર કરવો પડશે. આપણા ગુસ્સાને આપણે કાબૂમાં કરવો પડશે. અને પછી એને કેન્દ્રિત કરવો પડશે. એક દેશ તરીકે ને એક પ્રજા તરીકે આપણે આ અંગારને સતત હાથમાં રાખીને વિચારતા શીખવું પડશે. બલિદાન આપતા શીખવું પડશે. આટલું રાષ્ટ્રમંથન કરવું પડશે. આ રાષ્ટ્રમંથનમાંથી જે જ્વાળા નીકળશે એ જ આ હુમલાનો ખરો જવાબ હશે.
એરિસ્ટોટલે સદીઓ પહેલા કહેલી વાત આજે યાદ રાખવાની છે :
Anyone can become angry. That is easy. But to be angry with the right person, to the right degree, at the right time, for the right purpose and in the right way – that is not easy.
આ કવિતા જાણીતા ગીતકાર અને એડવર્ટાઈઝીગ-ગુરુ પ્રસૂન જોશીની હિન્દી કવિતાનો અનુવાદ છે.
Permalink
December 3, 2008 at 8:48 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીનાથ જોશી
હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:
તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે
અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.
હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.
-શ્રીનાથ જોશી
કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !
Permalink
December 1, 2008 at 10:43 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રિયકાંત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
– પ્રિયકાંત મણિયાર
કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા
Permalink
November 30, 2008 at 12:15 AM by વિવેક · Filed under અછાંદસ, કૃષ્ણ દવે
નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
-કૃષ્ણ દવે
આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?
આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?
Permalink
November 26, 2008 at 12:54 AM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ, સુરેશ ભટ્ટ
તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.
તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.
તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.
તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.
તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.
તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.
તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.
– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)
એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.
(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)
Permalink
November 24, 2008 at 10:30 PM by ધવલ · Filed under અછાંદસ, વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.
– વાડીલાલ ડગલી
ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.
Permalink
November 22, 2008 at 2:23 AM by વિવેક · Filed under અછાંદસ, ચિનુ મોદી
આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.
-ચિનુ મોદી
એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…
Permalink
November 11, 2008 at 1:11 PM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.
તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.
તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.
કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.
– સુરેશ દલાલ
આ કાવ્ય જરા અટપટુ છે. સંબંધ-વર્તુળ અને એકાન્ત-વર્તુળની પરિમિતિ ટકરાય ત્યારે શું કરવું તેનો તો કોઈ ખરો જવાબ નથી. જીબ્રાને કહેલી વાત યાદ આવે છે : But let there be spaces in your togetherness. બીજાઓ સામાન્ય રીતે પ્રિયજનની સરખામણી ચાંદ-તારા-મેઘધનુષ સાથે કરે છે જ્યારે અહીં કવિ પોતાના પ્રિયજનની સરખામણી, પોતાની સૌથી મહામૂલી મિલકત, પોતાના એકાન્ત અને એકલતા સાથે કરે છે.
કાવ્યને ઉપર કરતા તદ્દન જુદી રીતે, એકથી વધારે રીતે, મૂલવી શકાય એમ છે. અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી.
Permalink
November 9, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?
Permalink
November 5, 2008 at 10:33 PM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
મારે માટે જીવ
પવને કહ્યું
મારે માટે જીવ
વરસાદે કહ્યું
મારે માટે જીવ
રાત્રિ એ કહ્યું
મેં માથું નમાવ્યું
ને કૉલર ઊંચો કર્યો.
– ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)
પ્રતિકૂલ મોસમમાં પ્રકૃતિના પરિબળો એક પછી એક આવીને કહે છે, મારે માટે જીવ – એટલે કે મારી આગળ નમી જા. માણસ એમની આગળ માણસ સહેજ માથું નમાવે છે – એમનું ગૌરવ કરવા. પણ પછી જાત પરના વિશ્વાસના પ્રતીક-સમ કોલર ઊંચો કરે છે. પ્રકૃતિ ગમે તેટલો મથાવે તો પણ માણસ એની સામે એક હદથી વધારે ઝુકવા તૈયાર નથી.
Permalink
October 22, 2008 at 8:52 PM by ધવલ · Filed under અછાંદસ
આખી સવારથી હું કામ કરું છું
મધરાતથી તે ઠેઠ અગિયાર સુધી
પહાડ પરના પહેલા બરફને જોતો
હવે હું બેઠો છું ‘માઉરી’ આસવ પીતો
આસાવની રાતાશ કે શિખરોની ધવલતા
– બેમાંથી કશાને હું વર્ણવી શકું એમ નથી.
– કેનેથ વ્હાઈટ
(અનુ. સુરેશ દલાલ)
દરેક અસાધારણ પળ એ વિશ્વવિજયની પળ હોય એ જરૂરી નથી. રોજબરોજની કેટલીક પળો એવી હોય છે કે મનની અંદરથી આનંદ ઊગી આવે – એવી એક અસાધારણ પળની આ વાત છે. માણસ આવી જ પળો માટે જીવતો હોય છે ને ?
Permalink
October 20, 2008 at 11:30 PM by ધવલ · Filed under અછાંદસ, જગદીશ જોષી
જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !
સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !
ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.
એક સ્વીચ ઑન :
– અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.
પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !
દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !
મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …
… … પણ
કોઈ તો કહો
– હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?
– જગદીશ જોષી
We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.
Permalink
October 14, 2008 at 8:20 PM by ધવલ · Filed under અછાંદસ, અનિલ જોશી
સાજન !
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર
એના
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
નિર્મલ
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર.
– અનિલ જોશી
છલકાતી આંખ એ ગીત-સરોવર જેમાં (સુંદર પણ દેશવટો ભોગવતી!) જિન્દગી ઝરમર ઝરમર ન્હાય. કરૂરણતા નો કોમળતા સાથે નાજુક પ્રાસ બેસાડતું, ટચુકડુ, ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માણતું સ્નિગ્ધ કલ્પન.
Permalink
October 12, 2008 at 12:35 AM by વિવેક · Filed under અછાંદસ, અરુણા જાડેજા, વર્જેશ સોલંકી, વિશ્વ-કવિતા
આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.
-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા
જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…
Permalink
October 9, 2008 at 2:56 AM by વિવેક · Filed under અછાંદસ, ઉશનસ્
In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.
*
વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.
-ઉશનસ્
કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…
(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)
Permalink
October 8, 2008 at 10:15 PM by ધવલ · Filed under અછાંદસ, ગુલાબ દેઢિયા
તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.
– ગુલાબ દેઢિયા
અમેરિકા આવ્યો તો બધે ફૂલ આપવાનો મહિમા જોયો – વર્ષગાંઠ પર ફૂલ, લગ્ન પર ફૂલ, પ્રેમના પ્રસંગે ફૂલ અને મરણ-પ્રસંગે પણ ફૂલ. દેસી મગજમાં ફૂલ માણવાની વાત સમજાય પણ (ફૂલને તોડીને એ) ફૂલનો ગુલદસ્તો લઈ જવાની વાત ઝટ લઈને બેસે નહીં. જોકે હવે સમય જતા એ પણ શીખ્યો છું. એટલે આજે આ ફૂલને બદલે હાથ માંગી લેવાની વાતવાળું કાવ્ય હાથમાં આવ્યું તો દીલ અનાયાસ જ ‘બાગ-બાગ’ થઈ ગયું 
Permalink
October 7, 2008 at 10:26 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ
જયંતીની
પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
પૂતળાએ
ખંખેરી નાખ્યા
શરીર પર ભેગા થયેલા
અસંખ્ય નમસ્કાર
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.
– કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)
હમણા જ ગાંધી-જયંતી ગઈ છે. ગાંધીને ભૂલવાની મોસમ આવતા વર્ષ સુધી રહેશે. આપણા ઠાલા નમસ્કાર કરતા ગાંધી કાગડાની ‘કંપની’ પંસદ કરે એમા કોઈ શંકા નથી. કુસુમાગ્રજનું આ જ વિષય પરનું બીજું આટલું જ ધારદાર કાવ્ય પણ જોશો.
Permalink
September 23, 2008 at 11:41 PM by ધવલ · Filed under અછાંદસ
બારણાં ખુલ્લાં હતાં
ધીમે ધીમે
મંદ પગલે
એ આવી.
જુલ્ફને જરાક
રમાડી…
કોણ છે
જોઉં છું ત્યાં તો
એવી જ રીતે
ચાલી ગઈ
સઢની જેમ ઊડીને
સંકેલાઈ જતા, બારીના
પડદાએ કહ્યું,
‘હવા હતી.’
– પ્રદીપ પંડ્યા
એક કલ્પન એટલું નાજુક-નમણું હતું કે એના ‘હોવા’ અને ‘ન-હોવા’ વચ્ચે મન અટવાયું હતું !
Permalink
September 22, 2008 at 11:19 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…
તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.
ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…
– અમૃતા પ્રીતમ
ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.
Permalink
September 20, 2008 at 1:41 AM by વિવેક · Filed under અછાંદસ, પાબ્લો નેરુદા, વિશ્વ-કવિતા, સુરેશ હ. જોશી
તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.
ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.
-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)
પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!
કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?
Permalink
September 17, 2008 at 10:18 PM by ધવલ · Filed under અછાંદસ
ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ?
અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે
ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !
– નીલેશ રાણા
‘પૃથ્વી પરના સ્વર્ગ’ને નરકમાં બદલનારાઓને સમર્પિત.
Permalink
September 8, 2008 at 9:50 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.
આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.
નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.
– પ્રીતિ સેનગુપ્તા
મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને / મળતી વિશ્વ તણી વિશાળતા.
Permalink
September 7, 2008 at 10:30 PM by ધવલ · Filed under અછાંદસ
લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખા દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.
– શકૂર સરવૈયા
કોઈએ ખરૂ જ કહ્યું છે, વહેવારની સમજ એટલે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી
Permalink
September 4, 2008 at 4:46 AM by વિવેક · Filed under અછાંદસ, ઋષભ પરમાર, ઓરિયાહ માઉન્ટન ડ્રીમર, વિશ્વ-કવિતા
તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.
તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?
મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?
મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?
મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?
તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?
મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)
કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…
Permalink
August 21, 2008 at 10:31 PM by ધવલ · Filed under અછાંદસ, ઓકતે રિફાત, પ્રકીર્ણ
રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.
– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)
હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !
Permalink
August 15, 2008 at 12:36 AM by વિવેક · Filed under અછાંદસ, દેશભક્તિ, ન્હાનાલાલ દ. કવિ
પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.
જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.
એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.
યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.
નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.
સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.
પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.
– ન્હાનાલાલ
લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !
છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.
(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)
(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)
Permalink
August 12, 2008 at 8:20 PM by ધવલ · Filed under અછાંદસ, વાસુદેવ નિર્મળ
મુંબઈની લોકલગાડીના
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી,
તે કડાંને પકડીને ઊભા છે.
ના, ના
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ
સાદો ઈન્સાન,
લાચાર ઈન્સાન,
ઈશુની જેમ,
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધસ્તંભ હોય છે.
– વાસુદેવ નિર્મળ (સિંધીમાંથી અનુવાદ સુજાતા ગાંધી)
સામાન્ય માણસના લાચારીઓના વહેણમાં ખેંચાઈ જવાની ઘટના મહાનગર (કે મહા-મગર) માટે નવી નથી. પણ કવિએ સૌથી અસરકારક વાત છેલ્લી લીટીમાં કરી છે. ફરી વાર વાંચી જુવો – દરેક ઈસુને પોતપોતાનો વધસ્તંભ હોય છે. એ વાક્યએ મને વિચારતા કરી દીધો કે મારો વધસ્તંભ ક્યો છે ? ખરી વાત છે; આપણે બધા આપણા પોતાના અંગત વધસ્તંભને ઊંચકીને જ ચાલી રહ્યા છીએ. કોઈ વધસ્તંભો જોઈ શકાય છે જ્યારે કોઈનું તો ખાલી વજન જ અનુભવી શકાય છે…. છાતી ઉપર.
Permalink
August 8, 2008 at 1:02 AM by વિવેક · Filed under અછાંદસ, ધીરુ મોદી
ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.
-ધીરુ મોદી
ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.
Permalink
August 6, 2008 at 3:58 PM by ધવલ · Filed under અછાંદસ, દીવા ભટ્ટ
ગયા તે ગયા
ઘોડાના ડાબલા પાછા ન ફર્યા.
અહીંથી જે ધૂળ ઊડી હતી
તે પણ આઘી જઈને બેઠી.
હવે સૂરજ લંગડાતો ચાલે છે.
હું રમી તો શકું
પણ સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
જોતરી દે તો ?
તો પછી
ઘોડાના ડાબલાના પાછા ફરવાની વાટ
અહીં કોણ જોશે ?
– દિવા ભટ્ટ
વિતેલા પ્રસંગોની પાછળ ઊડેલી ધૂળ તો સમય જતા શમી જાય છે પણ એની ભૂતાવળ શમાવવી અઘરી છે. કોઈક પ્રસંગો પછી વાટ જોવા સિવાય બીજું કશું કરવાનું ન ગમે એવું આપણે બધાએ અનુભવેલું છે. સૂરજના ઘોડા થવા – એટલે કે ફરી રોજીંદી જીંદગીમાં જોતરાવા – કરતા કવિ ખાલી રાહ જોવાનું વધારે પસંદ કરે છે.
Permalink
July 30, 2008 at 8:16 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હંમેશા સાથે ને સાથે જ વહેતા ને
એકમેકથી એક પળ પણ અળગા ન થતા
કાષ્ટના બે ટુકડા ક્યારેક
એકબીજાથી કેટલા દૂર નીકળી જાય છે ?
જાણે પહેલાં કોઈ પરિચય જ નહોતો !
પણ
નદીને કોઈ એક ક્ષણે
બધું યાદ આવી જાય છે ને
તેના બેઉ કાંઠા
આંસુથી ઉભરાઈ જાય છે.
– વિપિન પરીખ
Permalink
July 28, 2008 at 9:33 PM by ધવલ · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
ઢાંકી દઈએ છીએ ગમે તેટલું
તોય
એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.
એમાં
જે
છે
તે
છલકાયા વગર રહેતું નથી.
તારો કોઈ ઈરાદો છે ?
હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.
– લાભશંકર ઠાકર
(‘પરબ’માંથી)
નાની કવિતામાં કવિએ બહુ મોટી વાત કરી દીધી છે. મનના પાત્રને ઊંધું વાળીને ખાલી કરી દેવું એ તો ધ્યાનની ચરમસિમાની અવસ્થા છે. આ કવિતા વાંચતા જ આ પ્રખ્યાત ઝેન-કથા યાદ આવે છે. એ સાથે વાંચશો તો કવિતાનું ઊંડાણ વધુ માણી શકશો.
Permalink
July 21, 2008 at 10:37 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)
માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
– ઉમાશંકર જોશી
કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !
આજે ઉમાશંકર જોશીનો સત્તાણુંમો જન્મદિવસ છે. એ અવસરે એમની આ યાદગાર રચના.
(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)
Permalink
July 8, 2008 at 9:48 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી, હસ્તપ્રત

ફકીર
વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’
– પ્રીતમ લખલાણી
ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !
Permalink
July 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા, હસ્તપ્રત

( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )
*
એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
-એષા દાદાવાલા
એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….
એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…
Permalink
July 2, 2008 at 9:09 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ
તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.
અનુ. કિશોર શાહ
કિશોર શાહે ઓશોના અંગ્રેજી પુસ્તક Signatures on Waterનો ગુજરાતી અનુવાદ ‘જળ પર હસ્તાક્ષર’ નામે કરેલો છે. આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષામાં લખાયેલ ઝેન કાવ્યવારસાને ગુજરાતીમાં માણવાની અનોખી તક છે. ઝેનમાં અનુભૂતિ પ્રધાન છે. એક અંત:સ્ફૂરણાથી આખુ જીવન બદલાઈ શકે છે એ ઝેનની મૂળમાન્યતા છે. સહજને માણવાની, માનવાની અને ઊજવવાની ઝેનમાર્ગમાં પરંપરા છે. ઝેન કવિ-ગુરુઓએ આ નાના નાના સ્ફટિકવત કાવ્યોમાં જગતને નવી દ્રષ્ટિથી જોવાનો કીમિયો છૂપાવેલો છે. જે કાંઈ સમજવા જેવુ છે તે આપણી અંદર જ છે અને દરેક કાવ્ય ખરેખર તો અ-મનમાં પ્રગટેલુ વલય માત્ર છે.
Permalink
June 30, 2008 at 9:31 PM by ધવલ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના
બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.
– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.
Permalink
June 28, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.
-પન્ના નાયક
પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.
અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…
સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?
Permalink
June 23, 2008 at 10:04 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
-વિપિન પરીખ
આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !
Permalink
June 22, 2008 at 12:29 AM by વિવેક · Filed under અછાંદસ, પાબ્લો નેરુદા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.
તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.
-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)
થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.
Permalink
June 5, 2008 at 1:19 AM by વિવેક · Filed under અછાંદસ, નગીન મોદી
મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !
-નગીન મોદી
આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…
Permalink
Page 15 of 19« First«...141516...»Last »