ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 12, 2007 at 11:14 AM by ઊર્મિ · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ
આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
એવું કિનારાને થયું શું, ના ખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.
આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?
શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.
-અંકિત ત્રિવેદી
Permalink
November 11, 2007 at 10:54 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનહર મોદી
એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા
જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા
મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા
એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા
એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા
-મનહર મોદી
Permalink
November 9, 2007 at 1:11 AM by વિવેક · Filed under એસ. એસ. રાહી, ગઝલ
વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઇ તું ટપાલમાં.
શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં.
મારી દીવાનગી વિશે લોકોને અદેખાઇ
ને તુંય કેવું કહી ગઇ મુજને વહાલમાં.
કાળો સમુદ્ર યાદ કરી અશ્રુ ના વહાવ
તેમાં તરી રહ્યો છું હજી પણ હું, હાલમાં.
‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં.
-એસ. એસ. રાહી
પાંચ શેર… પાંચ કવિતા… માખણના પિંડમાં છરી જે સરળતા-સહજતાથી ઉતરી જાય એવા મસૃણ કાફિયાઓ અને પ્રણયની ઉત્કટ બળવત્તર ભાવનાઓથી ભર્યા-ભર્યા અશ્આર. કાળા સમુદ્રવાળા શેરમાંથી જે અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉભરી આવે છે એ તો આ ગઝલનો પ્રાણ છે જાણે.
Permalink
November 8, 2007 at 12:06 AM by વિવેક · Filed under કાન્ત, ગઝલ, મણિશંકર રત્નજી ભટ્ટ
તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?
સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?
સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?
–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’
ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.
Permalink
November 2, 2007 at 4:29 AM by વિવેક · Filed under અરુણ દેશાણી, ગઝલ
એક કાગળની મને હોડી મળે,
કોઈ ભીતરથી મને દોડી મળે.
ઊડવાની લાખ ઈચ્છા હોય પણ –
પાંખ ઉછીની અહીં થોડી મળે !
હું નીરખવા જાઉં મારી જાતને,
કોઈ આવી આયનો ફોડી મળે.
સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.
આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.
-અરુણ દેશાણી
ભાવનગરના અરુણ દેશાણીની આ ગઝલ બે જ અક્ષરના ચુસ્ત કાફિયાઓના કારણે વધુ કર્ણપ્રિય બની છે એવું નથી લાગતું? બધા જ શેર સરસ થયા છે પણ ઊડવાની ઈચ્છાવાળો અને ફૂલ અને ફોરમની જેમ વિખૂટા થઈ મળવાવાળો શેર વધુ ગમી ગયા.
Permalink
November 1, 2007 at 2:20 AM by વિવેક · Filed under ગઝલ, દિનકર પથિક
એક પંખી જેમ હળવો થઈ ગયો
આંખ સામે ક્ષણનો માળો થઈ ગયો
જી હજૂરી કેટલી મોંઘી પડી
જાત સાથે કેવો ઝઘડો થઈ ગયો
ચંદ્ર દેખાતો થયેલો બાદમા
તારા મુખ પર પહેલાં પડદો થઈ ગયો
હાંકવા માંડી મેં નૌકા રણ મહીં
ઝાંઝવાઓને ધ્રુજારો થઈ ગયો
મેં અરીસાને પૂછ્યું, “શા કારણે
બિંબ છોડી, કાચ ઠાલો થઈ ગયો?”
મેં ગઝલ પૂરી કરી બસ તે ક્ષણે
હું મટી મારો, બધાનો થઈ ગયો
– દિનકર પથિક
Permalink
October 28, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.
હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.
કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.
કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.
મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.
હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.
મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
– જવાહર બક્ષી
જવાહર બક્ષી (19-2-1947) એટલે ખરા અર્થમાં ગઝલના મર્મજ્ઞ. એમની ગઝલ ઊંડાણ, ચિંતન અને મનનથી સાવ જુદી તરી આવે છે. ચાળીસ વર્ષ સુધી અક્ષરની આરાધના કર્યા પછી ફક્ત 108 મણકાંની માળા આપીને બાકીની છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દે એવો આખો માણસ આજે ક્યાં મળે જ છે? એના જ શબ્દમાં: “ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે. અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ”. નરસિંહ મહેતાના વંશજ જવાહર વ્યક્તિ નથી, વાતાવરણ છે. એક જ સંગ્રહ: ‘તારાપણાના શહેરમાં’.
Permalink
October 27, 2007 at 12:04 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત

(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।
मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।
फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।
जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।
-मुकुल चोक्सी
મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…
Permalink
October 26, 2007 at 1:26 AM by વિવેક · Filed under ગઝલ, પ્રમોદ અહિરે
અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.
નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.
નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.
બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.
ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.
-પ્રમોદ અહિરે
ગુજરાતી ગઝલના મક્કા કે કાશી ગણાતા સૂરતની ગઝલ-સંસ્કૃતિને બરકરાર રાખી શકે અને એનું અજવાળું દિનોદિન ઊજાળી શકે એવા નવી પેઢીના માંજેલા ગઝલકારોમાંના એક એટલે પ્રમોદ અહિરે. સ્મરણને કેન્દ્ર સ્થાને રાખી લખેલી આ ગઝલ વાંચો અને કાયમ માટે સ્મરણમાં ન જડાઈ જાય તો જ નવાઈ.
Permalink
October 25, 2007 at 1:21 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !
– હર્ષદ ત્રિવેદી
સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..
(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)
Permalink
October 21, 2007 at 12:50 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.
ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.
લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.
આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.
દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.
– રઈશ મનીઆર
રઈશભાઈ આજકાલ અમેરિકાને રસતરબોળ કરી રહ્યા છે ત્યારે ‘લયસ્તરો’ બાકી રહી જાય તો કેમ ચાલે? એક મજાની ગઝલ એમના ગણતરીના દિવસોમાં વતન પરત આવવાની તૈયારીની ખુશીમાં…
Permalink
October 19, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.
બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.
જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.
હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.
હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.
ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.
શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.
સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.
ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !
-રવીન્દ્ર પારેખ
આ ગઝલ વાંચી એના વિશે બે શબ્દો લખવા બેઠો તો જબરદસ્ત મુંઝારો થયો. કયા શેરની વાત માંડું અને કયા શેરને છોડી દઉં? ગઝલના આસ્વાદમાં આખેઆખી ગઝલ જ ફરીથી લખી નાંખવી પડે એવી સરળ છતાં પ્રબળ આ રચના છે. વરસાદના અલગ-અલગ રૂપ કવિએ જે રીતે અલગ-અલગ આંખથી જોયા છે એ વાંચતાં-વાંચતાં જ અંદર ક્યાંક કશુંક ગચકાબોળ થઈ જતું અનુભવાય…
Permalink
October 18, 2007 at 2:11 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.
છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
-અહમદ મકરાણી
આંગળીના ટેરવાંમાં સ્પર્શ પરોવાઈ જાય તો ટેરવાં તોરણ બનીને બારસાખ પર સ્થિર લટકી-અટકી જાય-ની વાત કેવી મસૃણતાથી અહીં રજૂ થઈ છે ! અને બાકીના ત્રણ શેર પણ એવા જ મજાનાં નથી?
Permalink
October 17, 2007 at 11:36 PM by ધવલ · Filed under ગઝલ, સરૂપ ધ્રુવ
સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?
અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?
મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?
હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.
કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.
ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !
– સરૂપ ધ્રુવ
જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
(ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું)
Permalink
October 15, 2007 at 11:56 PM by ધવલ · Filed under ઉશનસ્, ગઝલ
ઊંચકો, ઊઠવાની છે,
જામ લ્યો, લ્યો જવાની છે.
આમ તો સાવ ફાની છે,
બુદબુદી જ હવાની છે.
દ્રવ્ય છે, ફાંટ ફાટેલી;
નીતરી જ જવાની છે.
ક્યાય એ અટકી જોઈ ?
નામ જેનું રવાની છે.
આ જ છે, આટલી છે, ને
એ ય ક્યાં રુકવાની છે ?
છે ક્ષત્યું, કાકવંઝા છે,
ક્યાં ફરી ફૂટવાની છે ?
ઊંચકો, વાર શાની છે ?
સામટી પી જવાની છે.
– ઉશનસ
બેફામને શોભે એવી મગરૂરીથી લખેલી ગઝલ તરત જ ગમી ગઈ. બુદબુદી શબ્દ પણ તરત જ દીલમાં વસી ગયો ! ફરી ફરી ગણગણવાની અને ટાંકવાની ગમે એવી ગઝલ થઈ છે.
(કાકવંઝા=એક જ વાર ફળે એવી વનસ્પતિ)
Permalink
October 14, 2007 at 1:11 AM by વિવેક · Filed under ગઝલ, ઝાકળબુંદ, હેમંત પૂણેકર
મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે
અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે
સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે
એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે
એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે
–હેમંત પૂણેકર
હેમંત પૂણેકરે આ ગઝલ જ્યારે એમના બ્લૉગ પર મૂકી હતી, ત્યારે પ્રતિભાવમાં મેં લખ્યું હતું, “…અને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલા આ થોડા અઘરા અને ખાસ્સું કૌશલ્ય માંગી લેતા છંદમાં આટલા ઊંડા અર્થવાળી રચના એ કવિની સજ્જતાનું પ્રમાણ છે.” રઈશભાઈએ પણ એમાં સૂર પૂરાવ્યો હતો એ કવિ અને કવિતાનું ખરું પ્રમાણપત્ર!
હેમંતભાઈની આ રચના સાથે ‘સદ્યશબ્દેલ’ કવિઓની સંગતના બે સપ્તાહ આજે પૂરા થાય છે. પુષ્પની પાંદડી પર ઝાકળબુંદનું અવતરણ કદી અંત પામતું નથી એ જ રીતે આ વિરામને પૂર્ણ ન ગણતાં, અલ્પ જ ગણવો… આ બે અઠવાડિયામાં લયસ્તરો પર વાચકમિત્રો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી એ વાતની પ્રતીતિ થઈ કે તાજગી એ કવિતામાં ભાવકને સ્પર્શી જતી પહેલી બાબત છે. અહીં એક જ મંચ પર કેટલાક નીવડેલા તો વળી કેટલાક સાવ જ નવા કવિ-કવયિત્રીઓને સાંકળવાની કોશિશ કરવા પાછળનો અમારો મૂળ ઉદ્દેશ એકમેકને પરસ્પર પ્રોત્સાહન મળે એજ હતો એટલે કોઈ મોટા ગજાના કવિને પોતાનું નામ અહીં જોઈ દુઃખ થયું હોય તો ફરી એકવાર અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.
અને ઝાકળબુંદોના આ મહોત્સવદને ફૂલની ફોરમની જેમ વધાવી લેવા બદલ સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ફરીથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…
-લયસ્તરો ટીમ
Permalink
October 13, 2007 at 5:24 AM by વિવેક · Filed under ગઝલ, ગુંજન ગાંધી, ઝાકળબુંદ
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?
જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
-ગુંજન ગાંધી
અમદાવાદના ગુંજન ગાંધીની એક ગઝલ કોઈ પૂર્વભૂમિકા વિના જ માણીએ.
Permalink
October 11, 2007 at 5:36 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ, ઝાકળબુંદ
મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો
સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો
નભ બનીને વિસ્તરે છે
આ ક્ષિતિજ લગ છેક પડઘો
કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો
જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો
–કવિ રાવલ
કવિ રાવલની કૃતિઓ લયસ્તરો પર આપણે અગાઉ પણ માણી ચૂક્યા છીએ. આજે એક ટૂંકી બહેરની ફિલસૂફીસભર રચના વાંચીએ. પહેલા શેરની ફક્ત પહેલી જ લીટી (ઉલા મિસરો) વાંચો અને…
Permalink
October 8, 2007 at 10:34 PM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, હિમાંશુ ભટ્ટ
લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે
ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
– હિમાંશુ ભટ્ટ
Permalink
October 5, 2007 at 1:12 AM by વિવેક · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુનીલ શાહ
જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા અજવાળું પાથરશે નહીં તો શું?
– સુનીલ શાહ
સુગંધોના બજારની ખરી કિંમત પવનથી છે. પવન ન અડે તો સુગંધનું વળી મૂલ્ય શું? સૂરતના જ નવા ગઝલકાર સુનીલ શાહની આ ચિંતા પણ વ્યાજબી લાગે છે. ગઝલ તો ઘણી કાળજી રાખીને લખી છે, પણ એ મૃત્યુવેળાએ પ્રકાશ નહીં આપે તો શું અર્થ? દુઆવાળો શેર પણ સરસ થયો છે. એક બાજુ દુઆ કેવી રીતે કરવી તેની સમજ નથી અને બીજી બાજુ કોઈ તારા પણ ખરતા નથી- દુર્ભાગ્ય બે બાજુએથી કરડે ત્યારે માણસ શું કરે?
Permalink
October 4, 2007 at 3:04 AM by વિવેક · Filed under કવિતા મૌર્ય, ગઝલ, ઝાકળબુંદ, મુક્તક
મુકતક
અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.
ગઝલ
કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.
આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.
આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.
કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.
-કવિતા મૌર્ય
કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…
Permalink
October 3, 2007 at 1:06 AM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુધીર પટેલ
પગ પર ચાલવું અખતરો છે,
ત્યાં સુધી પ્હોચવું અખતરો છે.
એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
એમના થૈ જવું અખતરો છે !
ખાતરી જો ના હોય તો કરજો,
મૌનને પાળવું અખતરો છે.
હો ભલે બસ તમે ને દિવાલો,
કંઈ પણ બોલવું અખતરો છે !
મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે.
એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
ખુદ મહીં જાગવું અખતરો છે !
– સુધીર પટેલ
Permalink
October 2, 2007 at 11:23 AM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, હરીશ ઠક્કર ડૉ.
હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે
ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે
કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે
કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે
– ડો. હરીશ ઠક્કર
Permalink
October 1, 2007 at 11:11 PM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુરેશ પરમાર
ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.
વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.
એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે ?
આંખ કેવી, જળકમળવત !
સાવ કોરી રહી, દડી છે.
એ કહે છે: “મૌનને ગા”;
‘સૂર’ સંકટની ઘડી છે.
– સુરેશ પરમાર
એક જ શેર મારે માટે તો ઘણો છે… ખરી વાત છે, પોતાની સમજણ માણસને જેટલી નડે છે એનાથી વધારે કોઈ ચીજ નડતી નથી ! આંખ કેવી… શેર પણ ખૂબ સરસ થયો છે.
Permalink
September 28, 2007 at 12:52 AM by વિવેક · Filed under ગઝલ, સરૂપ ધ્રુવ
આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.
ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.
કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.
દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.
અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?
કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.
-સરૂપ ધ્રુવ
સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શે’ર વિશે વાત કરવી એ બાકીના શે’રનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)
Permalink
September 22, 2007 at 1:26 AM by વિવેક · Filed under ગઝલ, બાલુભાઇ પટેલ
એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.
-બાલુભાઈ પટેલ
ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!
(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)
Permalink
September 20, 2007 at 12:49 AM by વિવેક · Filed under ગઝલ, હિતેન આનંદપરા
પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
– હિતેન આનંદપરા
મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” હિતેન આનંદપરાને એનાયત કરાયો છે. આ પ્રસંગે એમની એક સુંદર ગઝલ… ગાલ પરના ખંજનોને ટેરવાંનો સ્પર્શ ગણવાની કલ્પના પોતે જ કેટલી રૉમેન્ટિક છે ! અને તું બધીયે વાતનો સંદર્ભ છે વાળી વાત પણ ખૂબ ગમી જાય એવી છે. “શયદા પુરસ્કાર” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હિતેનભાઈ!
Permalink
September 17, 2007 at 12:16 AM by ધવલ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?
તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.
– ખલીલ ધનતેજવી
કેટલીક પરંપરાગત ગઝલ પરંપરાને અકબંધ રાખીને એને અતિક્રમી જતી હોય છે. આ એવી જ એક ગઝલ છે. વિષય તો ગઝલનો સૌથી જૂનો વિષય છે. પણ કેવા મઝાના શેર કર્યા છે એ તો જુઓ… પહેલો જ શેર દિલ જીતી લે એવો થયો છે. મૌનની મસ્તીથી રંજાડવાની વાત પણ સરસ રીતે આવી છે. કવિ ‘યાદ વળગાડું તને’ જેવો પરાણે મીઠો લાગે એવો પ્રયોગ પણ સહજતાથી કરે છે. ‘ઘર નથી’માં ચમત્કૃતિ છે. અને છેલ્લો શેર વિવિધ રીતે મૂલવી શકાય એવો થયો છે.
Permalink
September 15, 2007 at 1:29 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)
હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?
બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
-મુકુલ ચોક્સી
આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…
Permalink
September 14, 2007 at 3:01 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.
ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.
બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.
મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.
હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.
-આદિલ મન્સૂરી
‘અમેરિકન ફેડરેશન ઑફ મુસ્લિમ ઑફ ઈન્ડિયન ઑરીજીન’ના ઉપક્રમે ઉર્દૂ-ગુજરાતીના જાણીતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરીને “લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” એનાયત થયો એ હકીકતે તો પુરસ્કારનું જ બહુમાન થયું છે. કવિશ્રીને અભિનંદન કે શુભેચ્છા પાઠવવા માટે “લયસ્તરો”ના હાથ ખૂબ નાના છે, છતાં મોકળા મને આ મોટા ગજાના આદમીને અમારી અદની શુભકામનાઓ… આ મુબારક મોકાને એમની જ કાવ્યપંક્તિથી બિરદાવવો હોય તો આ જ ગઝલની આ પંક્તિઓ વાપરી શકાય ને? –બધાય પંથ વળી જાય છે તમારી તરફ, તમારા પંથે બધાયે વળાંક લાગે છે.
Permalink
September 13, 2007 at 2:07 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.
શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.
-અશરફ ડબાવાલા
સરહદપારના કવિઓમાંથી ઊઠતા એક અગ્રિમ અવાજનું બીજું નામ એટલે અશરફ ડબાવાલા. મૂળે ગુજરાતના અમરેલીમાં જન્મેલા, વ્યવસાયે તબીબ અને શિકાગો-અમેરિકામાં સ્થાયી. “શિકાગો આર્ટ્સ સર્કલ”ના સ્થાપક. ગીત, ગઝલ અને અછાંદસ પર એમની ખાસ હથોટી છે. એમની કાવ્યશક્તિનું હાલમાં જ યોગ્ય મૂલ્યાંકન “કલાપી પુરસ્કાર” વડે સન્માનિત કરીને કરવામાં આવ્યું છે. લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન…
(જન્મ તારીખ: ૧૩-૦૭-૧૯૪૮, કાવ્યસંગ્રહો: “અલગ”, “ધબકારાનો વારસ”)
Permalink
September 8, 2007 at 1:06 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર, હસ્તપ્રત

(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)
હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.
આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.
ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.
મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.
હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો
સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.
-રઈશ મનીઆર
માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.
Permalink
September 6, 2007 at 7:28 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર છે થાકવું.
તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
જેમ અવકાશમાં હોય છે ચાલવું.
તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે,
લોહ-ચુંબક સુધી લોહ માફક જવું.
તારી શેરી જ છે કેન્દ્ર બ્રહ્માંડનું,
સૂર્યના તેજનું સાવ ઝાંખું થવું.
એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.
-હર્ષદ ચંદારાણા
પ્રિયતમાની શેરીમાં જવાની વાત પણ જુદી-જુદી કેટલી રીતે -ખાસ તો ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં- મમળાવી શકાય છે તે જોવા જેવું છે. અગાઉ આજ રીતે એક ગઝલ (અમર પાલનપુરીની) આપણે મકાન વિશે માણી હતી એ પણ અહીં જોવા જેવી છે.
Permalink
September 4, 2007 at 11:00 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.
જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.
દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.
તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
– મુકુલ ચોકસી
આજે જ ધ્યાન પર આવ્યું કે આ ગઝલ તો લયસ્તરો પર છે જ નહીં. આ ગઝલની ઓળખાણ મોટા ભાગના લોકોને એના છેલ્લા શેર પરથી હોય છે, જે ઘણો જાણીતો છે. પણ એટલા જ સરસ શેર જીરવી શકાશે… અને દરિયા-પહાડ-આભ... પણ થયા છે. જે પ્રેમ આખી દુનિયામાં ક્યાંય ન સમાય એ પ્રેમને નાની ચબરખીમાં સમાવવાના જાદૂની વાત કવિએ અદભૂત રીતે કરી છે !
Permalink
September 3, 2007 at 11:02 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.
એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.
રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.
જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.
ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.
– અશોકપુરી ગોસ્વામી
વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.
Permalink
September 1, 2007 at 6:17 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર, હસ્તપ્રત

(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.
એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.
ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
-ગૌરાંગ ઠાકર
થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!
Permalink
August 30, 2007 at 2:33 AM by વિવેક · Filed under ગઝલ, બી. કે. રાઠોડ 'બાબુ'
મને વેદના એટલે સાંપડી છે,
થયો જેમનો, એમને ક્યાં પડી છે ?
સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે,
પછી શબ્દની એ સરાણે ચડી છે.
નસીબે નથી પ્રેમની બુંદ એકે,
છતાં પ્યાસ મારી બધે આથડી છે.
સિતમ સજ્જનોના મને યાદ છે સૌ,
છતાં આંખ મારી કદી ના રડી છે.
નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું,
હૃદયની કચેરી બધાંથી વડી છે.
ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’
નાની અમથી પણ મજાની ગઝલ… બધા શેર ગમી જાય એવા થયા છે. પ્યાસના આથડવાની વાત વધુ સ્પર્શી ગઈ. હૃદયની કચેરીની વાત પણ. (લયસ્તરો માટે એમનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘અહીંથી ત્યાં સુધી’ પ્રેમભાવે મોકલવા માટે કવિશ્રીનો ખૂબ આભાર…)
Permalink
August 29, 2007 at 10:29 PM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ
ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.
પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !
ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.
જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.
છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !
– સુધીર પટેલ
Permalink
August 25, 2007 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, હસ્તપ્રત

(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.
કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.
જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.
ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !
ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.
-નયન હ. દેસાઈ
નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !
Permalink
August 23, 2007 at 3:25 AM by વિવેક · Filed under ગઝલ, ધૂની માંડલિયા
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.
આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.
આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?
રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.
-ધૂની માંડલિયા
Permalink
August 22, 2007 at 1:36 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ વ્યાસ
વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !
નથી રંગ એકાંત પર કોઈ ટક્તો,
સહુ રંગ આવે છે જાણે ફટકવા !
લિપિબદ્ધ થાતી રહી મૂંઝવણ પણ,
કહે, કેટલા પ્રશ્ન મારે ખડકવા ?
હવે વેદનાનો કયો આ તબક્કો ?
અવસ્થા ઉદાસીની લાગી છટકવા.
-દિલીપ વ્યાસ
માત્ર ચાર શે’રની બનેલી આ ગઝલ ચાર દિવાલોની મજબૂતાઈથી અર્થનું જે મકાન રચી આપે છે એની આગળ ભાવકે માત્ર નતમસ્તક થવાનું જ રહે છે.
Permalink
August 21, 2007 at 2:32 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,
માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.
દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,
પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.
ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?
લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર
એક સાથે કંઈ પરિબળ કાર્યરત્ ક, ખ, કે ગ.
આ ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,
બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’
-હેમેન શાહ
પ્રતિભા કોટેચાએ મુંબઈ સમાચાર (૧૪-૦૫-૧૯૮૯)માં કરાવેલ આ ગઝલના સુંદર રસાસ્વાદને સંક્ષિપ્તમાં માણીએ:
આપણી ઉમર ગમે એટલી લાંબી હોય છતાં જેમ કક્કામાં સ્વર-વ્યંજનની સંખ્યા નિયત છે એમ એક નિયત આંકડે એનો અંત નિશ્ચિત છે. અને આ લંબી ઉમરમાં સારી વીતેલી ક્ષણો કેટલી? વીસ, બાવીસ કે પચ્ચીસ… માત્ર ક, ખ, કે ગ-આંગળીને વેઢે ગણાય એટલી.
આપણી તરસનાં અનેકાનેક રૂપ હોય છે. આ તરસ મિત્ર પાસે સ્નેહની હોય કે હૉટલમાં ઠંડા પીણાંની હોય. ‘જળાશય જાદુઈ’માં મહાભારતનો સંદર્ભ યાદ આવે. યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના વનમાં જળાશયનું પાની પીનાર ચારે પાંડવો મૃત્યુ પામે છે. યુધિષ્ઠિર યક્ષને ઉત્તર આપી બધાને બચાવી લે છે. આપણે પણ દરવખતે તરસ છિપાવતાં પહેલાં ઘણા સવાલોનું સમાધાન કરવું પડે છે.
રાત્રે ઊંઘ આવતાં આપણે નાઈટ-લેમ્પ ઓલવીને પુસ્તક ધડ્ દઈને બંધ કરી દઈએ છીએ ત્યારે બિચારા અક્ષરો ક, ખ, કે ગ કશું બોલી શક્તા નથી. ચૂં કે ચાં પણ કરી શક્તા નથી.
આપણા લોહકણ પર તો એક જ ચુંબકીયક્ષેત્ર અસર કરે છે પણ આપણા પર તો કેટલાંયે પરિબળો કામ કરતાં હોય છે-ઘર,આડોશપાડોશ, ઑફિસ, સમાજ…. આપણે કેટલીયે દિશાઓમાં ખેંચાવું પડે છે. આ દિશાઓ અને પરિબળો પછી ક હોય, ખ, કે ગ હોય…
જીવનના દરેક ક્ષેત્રે માણસ સામે વિકલ્પોની જટાજાળ ફેલાયેલી હોય છે. આ વિકલ્પો ખોટા જ હોય એવું નથી, પરંતુ આ બધાની તકલીફ એ છે કે માણસને કોઈ એક ચોક્કસ માર્ગ તરફ વધતાં અટકાવે છે. અને ક્યારેક આપણને એવા રૂંધી નાંખે છે કે આપણે ચિત્કારી ઊઠીએ છીએ: બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’
Permalink
August 18, 2007 at 5:21 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ

(ઉર્વીશ વસાવડાએ ખાસ લયસ્તરો માટે સ્વહસ્તે લખી મોકલાવેલ અપ્રગટ ગઝલ)
સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર
આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર
એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર
છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર
એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર
-ઉર્વીશ વસાવડા
સહજતા એ ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. શેર વાંચતા જ સરલ અને અનુભવતા અતલ લાગે એ એમની વિશેષતા. સાવ નાની અમથી આ ગઝલમાં ક્યાંક ઊંડી વાતો કહેવાઈ ગઈ છે…(લયસ્તરો માટે આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ ઉર્વીશ વસાવડાનો ખૂબ ખૂબ આભાર!)
Permalink
August 14, 2007 at 9:29 AM by ધવલ · Filed under ઉશનસ્, ગઝલ
આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢધન હોય;
ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;
જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;
ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;
સિમેન્ટમાં ઢુંઢું છું :
એકાદ મીટ્ટીકણ હોય;
ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;
બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.
-ઉશનસ્
Permalink
August 12, 2007 at 4:01 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ઈશ્વર
પથ્થર
બિંદુ
સાગર
પ્રશ્નો
ઉત્તર
માનવ
પામર
આદિલ
શાયર
-આદિલ મન્સૂરી
છંદનું એક જ આવર્તન હોય અને એક જ શબ્દનો મિસરો હોય એવી સાવ જ ટૂંકી-ટચ ગઝલ થોડા સમય પહેલાં આપણે અમૃત ઘાયલની કલમે વાંચી. અન્ય સાહિત્યકારોએ પણ આવા પ્રયોગ કર્યા છે. આજે માણીએ આદિલ મન્સૂરીની એવી જ વાંચતા પહેલાં જ પૂરી થઈ જાય એવી છતાં થોભો તો ચમત્કૃતિ અનુભવાય એવી એક ગઝલ…
Permalink
August 11, 2007 at 12:18 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત

(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.
ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.
કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.
આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.
થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
-વિવેક કાણે ‘સહજ’
ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને સંલગ્ન આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.)
Permalink
August 9, 2007 at 1:07 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
(કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- એક પ્રયોગ)
ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.
બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?
હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.
જાય છે કોણ કોણ અંદરથી ?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.
હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.
-મનહર મોદી
ધ્યાનથી જોતાં આ ગઝલમાં ‘અંદર’ અને ‘ઉપર’ એમ બે અલગ-અલગ કાફિયાઓને વારાફરતી ગઝલની શરૂઆતથી અંત સુધી એક-બીજા સાથે સાંકળીને કવિએ જાણે ઉપર-અંદર-અંદર-ઉપર-ઉપર-અંદર એમ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કર્યો છે.
Permalink
August 7, 2007 at 11:01 PM by ધવલ · Filed under ગઝલ, વિનોદ ગાંધી
બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
આંખ ખોલી તો હવે બુદ્ધ છું.
હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.
મોતની વિકરાળ હરદમ બીકથી,
જિંદગીથી કેટલો હું કૃદ્ધ છું.
આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું, હવે હું વૃદ્ધ છું.
– વિનોદ ગાંધી
અલગ જાતના વિચાર લઈને આવેલી ગઝલ. બીજો શેર ખાસ સરસ થયો છે. કવિને કહે છે કે હું અર્જુન (એટલે કે યુદ્ધ કરવાથી કચવાતો = કર્મી ) કે કૃષ્ણ ( યુદ્ધની અનિવાર્યતા જાણનારો = જ્ઞાની) નથી, હું તો સ્વયં યુદ્ધ જ છું. હું જ પોતે સકળ ઘટના છું, હું કાંઈ પ્રેક્ષક નથી. આ વાત બહુ બખૂબી પકડાઈ છે.
Permalink
August 4, 2007 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત

(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.
હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.
‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.
-વિવેક કાણે ‘સહજ’
પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.
‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…
Permalink
August 3, 2007 at 1:30 AM by વિવેક · Filed under કપિલરાય ઠક્કર 'મજનૂ', ગઝલ
જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.
કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.
વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.
-કપિલરાય ઠક્કર ‘મજનૂ’
‘બીજું પ્યાલું ધરી જોજો’ની આ ખુમારી ક્યાં મળે છે આ જમાનામાં? વીતેલા યુગના કવિશ્રી કપિલરાય ઠક્કર પરંપરાના ગઝલકાર હતા. એમની ગઝલો ઈશ્કે-મિજાજી (પ્રણયરંગ) અને ઈશ્કે-હકીકી (ભક્તિરંગ)થી છલકાતી જોવા મળે છે. જે જમાનામાં ગઝલને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી એ જમાનામાં મજનૂ જેવા શાયરોએ આજે આપણી ભાષાનો પર્યાય બની ગયેલી કાવ્યરચનાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. (જન્મ: ૦૩/૦૪/૧૮૯૨, મૃત્યુ: ૧૯/૦૨/૧૯૫૯; મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘સ્વપ્નમંદિર’)
Permalink
Page 44 of 50« First«...434445...»Last »