મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!
ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!
રિષભ મહેતા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 23, 2019 at 2:29 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જીદ હારીને પછી.
ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.
તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.
એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.
લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.
જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.
– હિમલ પંડ્યા
સહજ ભાષામાં જે વાત ગઝલ કરી શકે છે, એ વિદ્વત્તાસભર વાણી ઘણીવાર કરી નથી શકતી. આ ગઝલ એનું ઉત્તમ ઉદાહરણ છે. બધા જ શેર સરળ ભાષામાં ગહન વાત કરે છે…
Permalink
September 21, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
રાચી નથી રહ્યું ને ઝાકળ એ ખ્યાલમાં?
સૂરજ ન મોકલાવે તડકો ટપાલમાં.
ભમરાએ કાનમાં જઈ એવું તે શું કહ્યું?
ખંજન પડી રહ્યાં છે ફૂલોના ગાલમાં.
નીકળી છે પાયમાલી બાંધીને બિસ્તરા
સીધી અહીં જ આવશે એ આજકાલમાં.
પીડા મટીને પીડા અવસર બની ગઈ,
એવું તે શું ભેળવ્યું’તું એણે વહાલમાં?
દાટી દીધી ઉદાસી ઓઢીને કામળો
બાળી દીધાં ફટાફટ ડૂસકાં મશાલમાં.
– ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’
કેવી મજાની સ્વયંસિદ્ધા ગઝલ!
Permalink
September 20, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
તબીબો જે રીતે પકડે મરીઝના હાથની નાડી,
સિફતપૂર્વક તમે પણ એ જ રીતે વાત ઉપાડી.
પ્રતીક્ષાઓ છુપાવી તોય જાહેરાત થઈ ગઈ છે,
તમારી આંખ ભીનાં જાગરણની ખાય છે ચાડી.
નથી ઊભા રહી શકતા અમારા પગ ઉપર આજે;
અમારા પર આ કેવી જિંદગીએ ધાક બેસાડી!
પહેલાં તો મિલન વખતે સખી મેંદી મૂકી આવે;
પછી તો રીતસર એ હાથમાં મેંદી જ ઊગાડી!
ચૂલો સળગ્યો નહીં ને આગ પણ લાગી નહીં ભીતર;
‘પવન’ તેં અમથે અમથી આંગણામાં રાખ ઊડાડી.
– ભરત ભટ્ટ ‘પવન’
‘લયસ્તરો’ પર કવિમિત્રે શ્રી ભરત ભટ્ટ ‘પવન’ના નવા ગઝલ સ6ગ્રહ ‘યાદ તો આવે જ ને!’નું સપ્રેમ સહૃદય સ્વાગત!
સંગ્રહમાંની એક સરસ મજાની સહજ સમજાઈ જાય એવી પણ અર્થગાંભીર્યસભર ગઝલ…
Permalink
September 17, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.
સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.
અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
September 14, 2019 at 3:01 AM by વિવેક · Filed under કિસ્મત કુરેશી, ગઝલ
ભ્રમરના સંગના રંગે નથી થાતાં સુમન કાળાં
ગિરિની શ્યામ છાયાથી કદિ ના થાય વન કાળા.
ગળ્યા જે અંધારે, રંગ પાછા કાઢવા પડશે,
અમાસી રાતથી ના થઈ શકે નીલાં ગગન કાળા.
ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.
નિહાળી હું શકું છું ઉજળાં મન ઓથમાં એની,
નથી ભરમાવી શકતાં મારી દૃષ્ટિને વદન કાળાં.
કહે છે કોણ કે કાળાશ પણ મોહક નથી હોતી?
રૂપાળા હર વદન પરનું આકર્ષણ નયન કાળાં.
રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને ,
જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.
તિખારાને રુપાળા રંગ સાથે શી અદાવત છે?
કે ‘કિસ્મત’, આગ ચાંપી એ કરી દે છે ચમન કાળાં.
– કિસ્મત કુરેશી
પરંપરાના શાયરની સાદ્યંત સુંદર રચના…
Permalink
September 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
સમંદરમાં થયા કાં લીન, મનવા?
મીઠાં જળનાં તમે છો મીન, મનવા!
જે ભીતર છે તમે એ બ્હાર શોધ્યું,
રહો છો એટલે ગમગીન, મનવા!
ભલે ને, સોડ ટૂંકી તાણવી, પણ,
પછેડી ઓઢવી રંગીન, મનવા!
ઈશારો જોઈ એનો ડોલવાનું,
બજાવે છે મદારી બીન, મનવા!
બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!
હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!
– હર્ષા દવે
સાદ્યંત સુંદર રચના
Permalink
September 12, 2019 at 2:38 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
મંઝિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી.
આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી.
હા, અસર વધતી-ઓછી હોવાની,
લાગણી બેઅસર નથી હોતી.
લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી.
એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી.
મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી.
– દિવ્યા રાજેશ મોદી
સ્ત્રીઓની કવિતા સામાન્યરીતે સીધી દિલમાંથી નીકળતી હોય છે. પરિણામે સીધી જ દિલને પણ સ્પર્શી જતી હોય છે… જુઓ આ રચના! કેવી મજાની! એકદમ હૃદયસ્પર્શી…
Permalink
September 7, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
હું એટલે સમયની રફતારની ઉદાસી,
અજવાસની અણી પર, અંધારની ઉદાસી.
કહેવાય છે કે મનની, શાપિત છે હવેલી,
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી.
એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી.
તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી,
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી.
હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં,
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી.
તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક,
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી.
મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો,
ઓ પાર લઈ જવી છે, આ પારની ઉદાસી.
તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે,
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી.
લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે,
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી.
– મિલિન્દ ગઢવી
ઉદાસી કવિતાનો સદાબહાર રંગ છે અને અહીં તો ગઝલ જ આખી ઉદાસીની છે. આખી ગઝલ સ-રસ થઈ છે… એટલે કોઈ એકાદ શેર પર આંગળી મૂકવાને બદલે સાંગોપાંગ માણીએ.
Permalink
September 6, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.
વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?
નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.
કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?
સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો
ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.
અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ, મટ્યો ગૂંચવાડો.
– સંજુ વાળા
સાદ્યંત સુંદર રચના… વાંચતાવેંત ગમી જાય એવી…
Permalink
September 3, 2019 at 8:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.
નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.
અહીં બે-ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં ?
જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં ?
જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.
કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં !
પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.
પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.
-‘ મરીઝ ‘
Permalink
August 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
આમ તો બધા જ શેર સ-રસ થયા છે, પણ આખરી શેરમાં આંખમાં આંસુની ગાંઠોની બિમારી અને એનું કારણ ન કહેવાની કવયિત્રીની રીત તો ભાઈ, વાહ!
Permalink
August 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?
ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં
સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં
ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં
એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં
– લિપિ ઓઝા
આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી. કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.
Permalink
August 22, 2019 at 1:34 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
– મિલિન્દ ગઢવી
લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.
ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.
પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.
Permalink
August 21, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
જીવનના સૌ અભાવોએ વગાડ્યો ઢોલ એવો ધમધમાવીને,
ઉદાસી નાચવા લાગી તરત પોતાનાં ઝાંઝર ઝણઝણાવીને.
હવે જો આંખમાંથી લોહીના ટશિયા ન ફૂટે તો બીજું શું થાય?
ઘણાં વર્ષોથી એક તસવીર એ જોયા કરે છે કચકચાવીને.
પ્રવાસે નીકળો, ને માર્ગમાં આવે અચાનક ફૂલનાં ખેતર,
ઘણા જીવનમાં આવે એ જ રીતે, ને જતા રહે મઘમઘાવીને.
અમારા ગામના પુજારી એવું શહેરમાં લેવા શું આવ્યા ‘તા?
મને જોયો બજારે કે તરત ભાગ્યા એ ત્યાંથી રમરમાવીને.
અગર જો છોડવા જઉ તો હૃદયની પોટલી તૂટવાનો ખતરો છે,
મેં મારી દીધી છે સંબંધની એક ગાંઠ એવી કસકસાવીને.
જુએ છે સાવ ઝીણી આંખથી એ મેં ધરેલી ચાની પ્યાલીને,
છે કારણ એ જ કે હું પી ગયો છું ઝેર એનું ગટગટાવીને.
– અનિલ ચાવડા
Permalink
August 16, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.
માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.
આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.
બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.
આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.
– રાકેશ હાંસલિયા
લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી રાકેશ હાંસલિયાના ગઝલસંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’નું સહૃદય સ્વાગત છે…
નાની અમથી ગઝલ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે. સરલ સહજ ભાષામાં ગઝલ ઊંડી વાત કરી રહી છે.
Permalink
August 8, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિતેન્દ્ર પ્રજાપતિ
ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.
શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.
આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.
એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.
આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.
– જિતેન્દ્ર પ્રજાપતિ
સરળ. સહજ. સંતર્પક.
Permalink
July 24, 2019 at 3:11 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.
નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.
પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !
ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.
ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.
– શ્યામ સાધુ
Permalink
July 20, 2019 at 2:41 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,
વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની
સરખામણીની રીત સફળ શી રીતે થશે?
લાગે છે આપનાથી જુદી છાયા આપણી.
ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી
મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ
જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?
પાંખો હજી છે મારી બેય આંખને વિષે
ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?
પૂછો મને તો હુંય બતાવી નહીં શકું
પહેલાં હતો હું ક્યાંક, પણ હમણા કશે નથી.
– મનહર મોદી
સામાન્યરીતે દુર્બોધ ગણાતા કવિ પાસેથી ક્યારેક આવી સરસ મજાની સહજ-સરળ રચના પણ મળી આવે. બધા જ શેર સાર્થક થયા છે.
Permalink
July 19, 2019 at 4:18 AM by વિવેક · Filed under ગઝલ, બેન્યાઝ ધ્રોલવી
ફૂલમાં થોડી જગા લીધી અમે,
મ્હેકને પીવી હતી, પીધી અમે.
દૃશ્યની ભરચક નજાકતને ભરી
આંખમાં આંજી હવા લીલી અમે.
ચિત્રનો ઉઠાવ સુંદર લાગશે,
રંગમાં ડૂબ્યાં તમે, પીંછી અમે.
પ્રેમપત્રોની હવેલી ખોલ મા,
બારીમાં ફેંકી હતી ચીઠી અમે.
શબ્દની ખલકત પડી છે ચોતરફ,
જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે.
– બેન્યાઝ ધ્રોલવી
મત્લા પર જ કુરબાન કુરબાન પોકારી જવાય એવી ગઝલ. મત્લામાં ચુસ્ત કાફિયા વાપર્યા પછી ગઝલમાં પ્રયોજાયેલ મુક્ત કાફિયાઓ અને ચિઠ્ઠીના સ્થાને ચીઠી શબ્દ જરા ખટકે છે પણ ગઝલનું સૌંદર્ય એને મનભર માણવા જબરદસ્તી કરે એવું છે.
Permalink
July 17, 2019 at 10:32 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
બહુરૂપી ! તમારાં નયનોનાં બે રૂપ બરાબર લાગે છે,
મીંચાય તો બીડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે.
છે પુણ્ય પ્રતાપ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે,
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે.
લો ટૂંકમાં દોરી દેખાડું, મારી આછી જીવનરેખા,
તે વાત ખરી માની લઉં છું, જે જૂઠ સરાસર લાગે છે.
પડતીમાં પડે છે જે મુજ પર ઉત્કર્ષ ગણી લઉં છું તેને,
તે મારા જીવનનું ઘડતર છે, જે ચોટ હૃદય પર લાગે છે.
તોફાનમાં મુજને જોનારો ! એ દોષ છે તારી દૃષ્ટિનો,
નૌકા તો હિંડોળે હીંચે છે, તોફાનમાં સાગર લાગે છે.
માનું છું જીવનના ઉંબર પર વેરાય કંઈ પ્રીતિ-પુષ્પો,
સત્કાર યુવાનીનો એ વિણ મુજને તો અનાદર લાગે છે.
દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,
આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.
– ગની દહીંવાલા
માસ્ટર કલાકારની ખુમારી જુઓ……!!!
Permalink
July 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિરેન ગઢવી
વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.
જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.
દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.
બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.
નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.
પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.
કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.
-હિરેન ગઢવી
કેવી ઉત્તમ ગઝલ! એક-એક શેર મમળાવી-મમળાવીને માણવા જેવા. એક જ ગઝલ પરથી સમજી શકાય કે આ કવિ પાસે પોતીકો અવાજ છે. એ ઉછીનું સીધુ લાવીને રોટલી ઘડનાર કવિઓમાંના એક નથી. આ નિસબત જળવાઈ રહેશે તો ગઝલકારોની હકડેઠઠ જામેલી ભીડમાંથી એક સાચો ગઝલકાર ગુજરાતી ભાષાને સાંપડે એવી એંધાણી આ રચનામાંથી વર્તાય છે.
જો કે હકીકતદોષ, તર્કદોષ કે સમજણદોષ ભલભલા ગઝલકારોને ક્યારેક નડતા હોય છે. હીરેન ગઢવીની આ ગઝલનો આ એક મિસરા લાંબા સમયથી મનમાં વમળ જન્માવ્યે રાખે છે. પ્રસ્તુત ગઝલના બીજા શેરનો સાની મિસરો જરા ધ્યાન દઈ ચકાસવો પડે એમ છે:
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ
– આ મિસરામાં હકીકતદોષ થયો હોવાનું પ્રતીત થાય છે. કબીર કદી તુલસીદાસ કે મીરાંબાઈ, સિદ્ધાર્થ કે મહાવીરની જેમ ગૃહત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ માટે નીકળી પડ્યા નહોતા. એ ગૃહસ્થ હતા અને એમની મોટાભાગની જિંદગી બનારસમાં વણકરકામ કરતાં-કરતાં જ વીતી હતી.
આ સિવાય મને એમ લાગે છે કે કોઈ પણ સંતના નામ સાથે કોઈ પ્રતીક પ્રયોજવામાં આવે તો એ સુસંગત જણાવું જોઈએ. જેમ કે, નરસિંહ સાથે કરતાલ કે હાથનું મશાલ બની સળગવું, મીરાંબાઈ સાથે એકતારો કે ઝેરનો પ્યાલો; કબીર સાથે ઝીણી ચદરિયા વગેરે. દરેક સંતની એક આભા હોય છે. કવિ એને નવી દૃષ્ટિથી જોઈ જરૂર શકે કે એને નવો અર્થ જરૂર આપી શકે પણ એને અણસમજથી ખરડી તો ન જ શકે. કબીરનું જીવન, વ્યક્તિત્વ, સાલસતા અને વિનમ્રતા એવા હતા કે ‘લઠ’ શબ્દ બિલકુલ આઉટ ઑફ કન્ટેક્સ્ટ લાગે છે. એક દોહો આવો કબીરના નામ પર છે:
કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ.
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ
-અહીં લુકાઠી એટલે સળગતી લાકડી અથવા મશાલ, જેનાથી પોતાનું ઘર –મોહ,માયાના બંધનો- ફૂંકવાનું છે. લુકાઠીનો અર્થ લઠ કરાયો હોય તો એ અયોગ્ય જણાય છે.
જાણકાર મિત્રો વધુ પ્રકાશ નાંખશે તો ગમશે.
Permalink
July 3, 2019 at 9:28 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !
શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !
પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !
દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !
દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત, દુનિયાના અંધારને રોશન કોણ કરે !
કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !
ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે !
– ગની દહીંવાલા
પ્રત્યેક શેર એક કહાની….ક્લાસિક ગઝલ….
Permalink
June 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી, વિશ્વ-કવિતા
हम अपनी मस्ती में गाया करते हैं
दुनिया वाले आया-जाया करते हैं |
जब भी उनकी यादें मिलने आती है
आँसू अपना धर्म निभाया करते हैं |
तन्हाई पास आकर बैठा करती है,
हम भी उसको शेर सुनाया करते हैं |
– मिलिन्द गढ़वी
મૂળે ગુજરાતી પણ બધી ભાષાને છાતી ફાડીને ચાહી શકે એવો આ કવિ હિંદી ગઝલ પણ કેવી અફલાતૂન કહે છે તે જુઓ! મુક્તકથી થોડી વધારે અને ગઝલથી થોડી ઓછી કહી શકાય એવી માત્ર ત્રણ જ શેરની ગઝલ, ને તોય કેવી સર્વાંગ સંપૂર્ણ! કવિ એની મસ્તીનો માલિક છે. દુનિયા એને ચાહીનેય દખલ ન પહોંચાડી શકે. પહેલો શેર વાંચીએ ત્યારે બાળાશંકરની પંક્તિ યાદ આવ્યા વિના નહીં રહે: ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે.’
Permalink
June 26, 2019 at 2:01 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
બહુ બહુ તો એક્ કરું ઈશારો બીજું તો હું શું સમજાવું ?
બની રહે જે ધોરણ – ધારો બીજું તો હું શું સમજાવું ?
હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું ?
વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું ?
ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી
ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું ?
પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની
નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?
શબદબીજને શબદનું સિંચન શબદ નીપજ ‘ને સાળ શબદની
શબદ રંગ ‘ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?
ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા ! તું ભેરે રહેજે
ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું ?
ઇચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો
એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું ?
– સંજુ વાળા
ચોથો શેર જુઓ !! આમ તો બધા જ મજબૂત છે પણ ચોથો સવિશેષ વેધક છે….
Permalink
June 22, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે,
તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે?
તે ક્ષણે ખૂલી જવા ખુદ પિંજરું તત્પર થશે,
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે.
આપને અજવાસને બદલે વિકલ્પી જોઉં તો,
સૂર્યને બદલે તમારું મારા પર દેવું થશે
લોહીના પોલાણમાં વૈશાખના અડ્ડા ઉપર,
બોલ, છાપો મારતાં આષાઢને કેવું થશે?
– મુકુલ ચોક્સી
અનુભૂતિની ગઝલ… એકવાર વાંચો, બે વાર વાંચો, ત્રણવાર વાંચો અને જે અનુભૂતિ થાય એ આ ગઝલની સાચી ઉપલબ્ધિ…
આ મુકુલ ચોક્સી કોઈને ક્યાંય મળી જાય તો તાત્કાલિક જાણ કરવા વિનંતી. ખબર આપનારને ઝોળી ભરાય જાય એટલું મોટું ઈનામ આપવામાં આવશે…
Permalink
June 19, 2019 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.
સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?
ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.
બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.
અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.
– નયન દેસાઈ
Permalink
June 18, 2019 at 9:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?
પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?
આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?
ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?
બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?
હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?
– રમેશ પારેખ
દરેક શેર એક કહાની છે……સમર્થ સર્જકની આ નિશાની છે….ત્રીજો શેર અંતર વલોવી નાખે છે, તો પાંચમો શેર આંખના ખૂણા ભીના કરે છે. છેલ્લો શેર શિરમોર છે – નિ:શબ્દ કરી દે છે….
Permalink
June 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે
એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે
એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે
એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે
– મિલિન્દ ગઢવી
સાદ્યંત સંતર્પક ગઝલ. પ્રિયતમાના વિચારમાં જવા જેટલાથી પણ પ્રવાસ થઈ ગયો હોવાની વાત તો ગઢવી જ કરી શકે!!
Permalink
June 11, 2019 at 7:33 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સૂરજને દાટી રહ્યું છે?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઈ સૂરજને કાઢી રહ્યું છે!
ખબર છે બધી વૃક્ષને પોટલીમાં શું લાવ્યું ઘણાં વર્ષે આવેલ પંખી,
જુઓ વૃક્ષ રઘવાયું થઈ કૃષ્ણ જેમ જ આ ટહુકાના તાંદુલને ચાખી રહ્યું છે!
તમારી પ્રતીક્ષામાં વાવ્યું’તું એ વૃક્ષ દિવસે ને દિવસે થતું જાય ઉજ્જડ,
તમે એમ કીધું કે, ‘આવું છું મળવા’ તો લાગ્યું કે ફળ કોઈ પાકી રહ્યું છે!
મનાવી, પટાવી અને ફોસલાવી મને લઈ ગયું સુખ ફરવાને બ્હાને,
મેં જોયું મને એકલો સાવ ભેંકાર જગ્યામાં છોડી એ નાસી રહ્યું છે.
ઉપાડ્યાં છે સ્મરણોની રેતીના થેલા અને માર્ગમાં એક લાંબી નદી છે,
હું બેવડ વળી સાવ ચાલું છું તોયે હજી ભાર પીઠે કોઈ લાદી રહ્યું છે.
– અનિલ ચાવડા
ખાસ તો મક્તો જુઓ……!
Permalink
June 7, 2019 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
યાદ આવ્યા તું અને તારી વફા
એટલે મેં હોઠ બે સીવી લીધા.
સાંજ સાથે રોજ ઢળતી એષણા
સૂર્ય ઉગતા રોજની પાછી જફા !
શું કીધું ? એની કથા બેદાગ છે ?
કેટલા ભ્રમ પાળશો રોજે નવા !
એક મિસરો માંડ જ્યાં બોલ્યા અમે
સ્તબ્ધતામાં જઈ સરી આખી સભા
જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!
– શબનમ
સરળ અને સહજ. ગઝલમાંથી પસાર થતાં સમજાય છે કે ગઝલ સહજભાવે આવી હશે અને આયાસ ઓછા કરવા પડ્યા હશે, એટલે ટાંકા-ટેભા ઓછા નજરે ચડે છે. વફાની વ્યાખ્યા કવયિત્રી ખૂબ સરસ રીતે બે જ પંક્તિમાં આપે છે : સામું પાત્ર વફા નિભાવી જાણે કે ન જાણે, નાયિકા નિભાવી જાણે છે -બખૂબી…!
Permalink
June 4, 2019 at 8:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે !
તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે !
દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,
શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે ?
પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,
પછી સિતારા બધા એના છેદ હોઈ શકે !
પલાંઠીવાળીને બેઠું છે તત્વ જે – એનું,
આ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે !
તમારું શ્હેર તો જાદૂગરીનું શ્હેર ‘જિગર’ !
અહીં તો કાગડાઓ પણ સફેદ હોઈ શકે !
– જિગર જોષી ‘પ્રેમ’
આખી ગઝલમાં શિરમોર મત્લો છે…..બીજો અને છેલ્લો શેર નબળા લાગ્યા.
Permalink
June 1, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
જાણ્યું એવું જડ્યું નહીં કૈં,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં.
-સંજુ વાળા
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં
બીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં
સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાં
કરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં
પલળીને બળવું ને બળબળતાં ભીંજાવું
સતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં
ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તો
ઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં
સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પી
ખરે વખત તો એકે ટીપું દડ્યું નહીં કૈં
ભીંત ભૂલ્યા’તા તમે, અમે નીસર્યા સોંસરવા
ભીંતપણું અમને તો સ્હેજે નડ્યું નહીં કૈં
મન મારું મક્તામાં મઘમઘ મૌન ધરે છે
નામ હતું જે હૈયે, હોઠે ચડ્યું નહીં કૈં
– હરીશ મીનાશ્રુ
સંજુ વાળાની પંક્તિનો હાથ ઝાલીને કવિ શ્રી હરીશ મીનાશ્રુ મજાની તરહી ગઝલ રજૂ કરે છે. કવિનું ભાષાકર્મ સ-વિશેષ ધ્યાનાર્હ છે. કરમફૂટલી, છિપોલી, અમરતકુપ્પી જેવા શબ્દો તો ગુજરાતી ગઝલમાં દીવો લઈને શોધવા નીકળો તોય નહીં જડે. પણ અહીં જે પ્રવાહિતાથી આ શબ્દો વહી આવ્યા છે, એ કવિની સિદ્ધહસ્તતાના દ્યોતક છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink
May 30, 2019 at 2:26 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.
જાય છે તો બધું જ લઇ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.
ઢાંક ચહેરો, ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ, રહેવા દે.
કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.
તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.
આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.
– ગૌરાંગ ઠાકર
મજાની ગઝલ. છેલ્લો શેર તો દરેક સર્જકે પોતાના ડેસ્ક પર ચોવીસ કલાક નજર સામે જ રાખવા જેવો…
Permalink
May 29, 2019 at 3:47 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ,
કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ.
સાવ ખાલી આંખનું કેવું ગજું,
ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ.
કો’ક જન્મે આપણે પંખી હશું,
લાગણીઓ પાંખ ફફડાવી ગઈ.
જિંદગી આખી ગઝલ લખતો રહ્યો,
વાત જે ચુપકીદી સમજાવી ગઈ.
કેટલા, કેવા ખજાના નીકળ્યા ?
યાદ તાળાં એમ ઉઘડાવી ગઈ.
-હર્ષ બ્રહ્મભટ્ટ
Permalink
May 23, 2019 at 2:13 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં
જરાંક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તને ય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં
જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા
હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં
સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા
– સંજુ વાળા
કવિતા હોય કે વિચાર, જે સહજ આવે એ જ ઉત્તમ. વિચારોને વલોવી વલોવીને ખૂબ ઉમદા ભાષામાં પંડિતોય બે ઘડી માથું ખંજવાળતાં થઈ જાય એવું લખાણ કેમ ન કર્યું હોય, એ એટલું અસરદાર બનતું નથી, જેટલી અસરકારકતા સહજ અભિવ્યક્તિમાં જોવા મળે છે. આયાસવાળા વિચાર જન્મજાત બૂઠાં તીર જેવા હોય છે. છેલ્લા શેરમાં રેવડી પામીનેય પ્રસન્નતાની ડબલ રિસિપ્ટ આપતા ફકીરના મિજાજનો મહોત્સવ પણ સામેલ થવા જેવો છે. એકતરફ સ્વભાવગત ફકીરી છે અને એના મિજાજનો વળી મહોત્સવ- સમર્થ કવિને ભાષા વશવર્તી ચાલે છે તે આનું નામ… અરે હા! વચ્ચેના ત્રણ શેર? એ બધાય સવાશેર છે… મમળાવી મમળાવીને માણો અને કહો કે ત્રુઠા.. ત્રુઠા…
Permalink
May 22, 2019 at 8:13 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
જુદી જ તાસિર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે,
જુદી ગઝલ ને મિજાજ જુદો!
રસમ શબદની અહીં અનોખી,
અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે,
જુદી સમજ ને સમાજ જુદો!
જૂની પુરાણી અસલની ઓળખ,
અમે અકારણ જુદા ગણાયા,
અમારે મન તો ન કોઈ જુદું,
શું કરિયેં પામ્યા અવાજ જુદો!
મલક બધોયે ફરીફરીને
અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા,
નથી દરદથી ઈલાજ જુદો!
ગઝલ આખરી ગવાઈ રહી આ,
અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ,
રહ્યો ન બંદાનવાજ જુદો!
– રાજેન્દ્ર શુક્લ
તમામ શેર સંકળાયેલા છે, પ્રથમ બે શેરમાં એક પશ્ચાદભૂ બને છે અને પછી મુદ્દો આવે છે – એકરૂપતા…..ભક્ત,ભક્તિ અને ભગવાન અલગ નથી એ realisation ઊભરે છે….
Permalink
May 4, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.
કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.
વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.
આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.
વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .
ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .
– ગૌરાંગ ઠાકર
ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.
સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.
Permalink
May 3, 2019 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?
લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !
એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !
મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !
– કિરણસિંહ ચૌહાણ
મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.
Permalink
May 1, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.
કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.
પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.
– અનિલ ચાવડા
Permalink
April 30, 2019 at 3:31 AM by તીર્થેશ · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ
જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.
જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.
– કિરીટ ગોસ્વામી
એક ચોક્કસ હેતુથી આ રરચના મૂકી છે – કવિ તો પોતાની સ્ફૂરણાને આધારે કાવ્ય કરે છે, કવિ સામાન્ય રીતે પોતાની વાતને logic ના ત્રાજવે જોખતો નથી હોતો, પણ મારુ સડેલું મગજ logic સિવાય કશું સમજતું નથી…..હું સ્વભાવે પ્રશ્નકર્તા છું – મને તરત સવાલ થાય કે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુના આરે ઊભેલા કેદીને આવી ફીલિંગ થતી હશે ખરી ? ન્યુઝીલેન્ડમાં બંદૂકધારી ગોળી વરસાવતો હોય ત્યારે તે મસ્જિદમાં હાજર વ્યક્તિને આ લાગણી થઇ શકે ??
Life is never fair……
Permalink
April 24, 2019 at 3:40 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં
પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં
કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં
ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં
કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં
કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં
નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં
-મનોજ ખંડેરિયા
Permalink
April 20, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ હિંગુ
ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।
એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।
ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।
મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।
હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।
– રાજેશ હિંગુ
કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?
આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..
Permalink
April 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ ઉપાધ્યાય
આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!
– જગદીપ ઉપાધ્યાય
કવિતાને વિષયનો છોછ નથી. મહાભારતમાં ભાઈઓને મૃત્યુના અંકમાંથી બચાવવા માટે યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે, એ સવાલો યક્ષપ્રશ્નો તરીકે મશહૂર છે. કવિ જગદીપ યક્ષ અને પોતાની વચ્ચે સંવાદ-સ્વરૂપે આ પ્રશ્નોને આધુનિક સ્પર્શ આપીને રજૂ કરે છે. લાંબી બહેરની આ ગઝલ સાદ્યંત આસ્વાદ્ય થઈ છે. ભાષાકર્મ વધુ પ્રવાહી થયું હોત તો સોનામાં સુગંધ ભળત.
Permalink
April 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી
એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી
માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી
હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી
થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી
– મયંક ઓઝા
નખશિખ સો ટચનું સોનું. આવી ગઝલ આજકાલ જવલ્લે જ હાથ ચડે છે. એક-એક શેર અદભુત. એક-એક શેર વિશાળ ભાવવિશ્વ લઈને આવ્યો છે…
Permalink
April 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું?
બેઉનું એક હોય સરનામું,
તું અહીં આવ કે હું ત્યાં આવું!
આ હથેળી ઉપરથી વાંચી દે,
કઈ દિશામાં હું હાથ લંબાવું?
એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,
માર્ગમાં એને કેમ અટકાવું?
તારી સમજણની હદમાં ઊભો છું,
હું તને શું નવીન સમજાવું?
– ભરત વિંઝુડા
ભરત વિંઝુડા ગઝલકારોની સહજ ભીડથી અલગ રહીને ગઝલ લખતા અને ગઝલપાઠ કરતા કવિ છે. એમની રચનાઓ બહુધા સરળ છેતરામણી હોય છે. એમની ગઝલો સ્કુબા ડાઇવિંગ કરતાં વધુ સ્નોરકેલિંગનો અનુભવ કરાવતી અનુભવાય પણ આ એવું સ્નોરકેલિંગ છે જેમાં મોતી હાથ લાગવાની સંભાવના સ્કુબા કરતાં વધુ રહેલી છે. સુરતના કવિમિત્ર ડૉ. હરીશ ઠક્કર કવિ શ્રી ભરત વિંઝુડાની અત્યાર સુધીના ગઝલોમાંથી વીણી વીણીને પસંદગીની ગઝલોનો રસથાળ –એક સુખ નીકળ્યું કવિતાનું– માં લઈને આવ્યા છે…. લયસ્તરોના આંગણે આ સંપાદનનું સહજ સ્વાગત છે.
Permalink
April 9, 2019 at 9:18 AM by તીર્થેશ · Filed under ગઝલ, હિરેન ગઢવી
તુજથી મળેલ ખૂણે મસ્તી વધી રહી છે,
જાણે બધે’જ ખૂણે મસ્તી વધી રહી છે !
વરસાવતી’તી આંસુ તારા ગયા પછી જે,
મોસમના તે જ ખૂણે મસ્તી વધી રહી છે.
દેખાતું કંઈ નથી પણ મહેસૂસ થઈ રહ્યું છે,
અણકથ, અભેદ ખૂણે મસ્તી વધી રહી છે.
ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.
ઊગ્યા હતા ભરમ જ્યાં, દાટી હતી જ્યાં દ્રષ્ટિ,
સમજણના એ જ ખૂણે મસ્તી વધી રહી છે !
સઘળા અચેત ખૂણા છે દંગ આ નિહાળી,
ચિત્તના સચેત ખૂણે મસ્તી વધી રહી છે !
ધિક્કાર વેઠી જગના ભેટી પડ્યો સ્વયંને,
છેવટ દરેક ખૂણે મસ્તી વધી રહી છે.
– હિરેન ગઢવી
કાવ્યનો આસ્વાદ મિલિન્દ ગઢવીના શબ્દોમાં –
મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમારા મતે સારી કવિતા કઈ? અને હું કહું કે જેને વાંચીને એમ થાય કે – આ મેં લખી હોત તો – એ કવિતા સારી. અને ક્યારેક એવું પણ બને કે કવિતા વાંચતી કે સાંભળતી વખતે એનામાં ઓગળીએ, એકાદ પંક્તિ સાથે રીતસર પ્રેમમાં પડી જઈએ. ત્યારે પછી મૂલ્યાંકનમાં ય પડવા જેવી ઈચ્છા ન રહે. એના કલાસંદર્ભ કે કાવ્યકૌશલને પણ બાજુએ મૂકીને, એની સાથે જોડાયેલા આપણા મનન કે ચિંતન ને પણ કોરાણે મૂકીને એને મમળાવતા રહેવાની ઈચ્છા થયા કરે. એ કવિતા ઉત્તમ.
ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.
આ શેર વાંચું છું, ફરીફરીને વાંચું છું અને અંતરના ખૂણે મસ્તીને વધતી જોઉં છું. પછી આના સંદર્ભે ‘મારો એક શેર યાદ આવી ગયો’ એમ કરીને પોતાપણું ઠાલવીએ કે પછી એકાદ શબ્દ પકડીને મેળ વગરના context ઊભા કરીએ ને કહીએ કે ‘જવાહર બક્ષી યાદ આવી ગયા’ ત્યારે આ મસ્તી ચૂકી જવાય. અને કવિતા ચૂકી જવા માટે નહીં, ચોંકી જવા માટે હોય છે.
-મિલિન્દ ગઢવી
[ મને મત્લો બરાબર ન સમજાયો જો કે…. ]
Permalink
April 6, 2019 at 6:01 AM by વિવેક · Filed under ગઝલ, નઝીર ભાતરી
હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ,
છું હું નશામાં ચૂર અને બેકરાર પણ.
હું કાંઈ પણ ન હોઉં તો કંઈએ નહીં રહું,
તું કાંઈ પણ નથી અને પરવરદિગાર પણ !
છે ઈન્તઝાર એમાં દિવસ શું ને રાત શું ?
છે રાત પણ દિવસ પણ અને ઈન્તઝાર પણ !
સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં ?
પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ !
તારા હરીફ ક્યાંથી ભલા કોઈ હોઈ શકે ?
તું યાદ આવનાર ને ભૂલી જનાર પણ.
જ્યાં ત્યાં પ્રકાશ એનો નહિતર ન વેડફે,
સૂરજના માર્ગમાં શું હશે અંધકાર પણ ?
જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે,
દુઃખ દઈ ગયો મને તો ‘નઝીર’! એ વિચાર પણ.
– ‘નઝીર’ ભાતરી
પરંપરાના શાયરની કલમે અદભુત રચના… પાનખરને પોષવાની અને વસંતને નિભાવી લેવાની વાત કરતો શેર તો ઉત્તમોત્તમ…
Permalink
April 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!
ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં..
જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..
ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં..
ના, અગોચરની કથા આ તો નહિ,
ગેબની કોઈ ઝલક મારામાં!
– નેહા પુરોહિત
ખૂબ હળવેથી હાથમાં લેવાની રચના… ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા પ્રયોજાતા છંદમાં મજાનું કામ…
Permalink
April 4, 2019 at 1:31 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!
કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું; જીવવું પડ્યું!
સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.
એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.
પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો,
કાંધે ઊપાડી ખુદનું મડું જીવવું પડ્યું.
અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!
– ભગવતીકુમાર શર્મા
આપણામાંથી મોટા ભાગના લોકો જીવન મળ્યું છે માટે જીવ્યે રાખે છે. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એની ગતાગમ વિના જ લોકો શ્વાસની ગાડી હંકાર્યે રાખે છે. ઇચ્છાનું ગળું ટૂંપીને જ્યારે જીવવું પડે છે ત્યારે જીવન કેમે કરી પૂરું જ ન થતું અનુભવાય છે. સાર્થક પળો તો આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ બે-ચાર જ હોય છે, બાકીની પળો તો પોતાની લાશ પોતાના ખભે વેંઢારવા જેવી કઠિન અને બોજલ જ હોય છે…
Permalink
April 3, 2019 at 10:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.
હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.
આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.
હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.
કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.
પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.
– ભગવતીકુમાર શર્મા
Permalink
Page 12 of 50« First«...111213...»Last »