પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કવિ
કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
સમંદરમાં થયા કાં લીન, મનવા?
મીઠાં જળનાં તમે છો મીન, મનવા!
જે ભીતર છે તમે એ બ્હાર શોધ્યું,
રહો છો એટલે ગમગીન, મનવા!
ભલે ને, સોડ ટૂંકી તાણવી, પણ,
પછેડી ઓઢવી રંગીન, મનવા!
ઈશારો જોઈ એનો ડોલવાનું,
બજાવે છે મદારી બીન, મનવા!
બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!
હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!
– હર્ષા દવે
સાદ્યંત સુંદર રચના
Permalink
September 12, 2019 at 2:38 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
મંઝિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી.
આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી.
હા, અસર વધતી-ઓછી હોવાની,
લાગણી બેઅસર નથી હોતી.
લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી.
એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી.
મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી.
– દિવ્યા રાજેશ મોદી
સ્ત્રીઓની કવિતા સામાન્યરીતે સીધી દિલમાંથી નીકળતી હોય છે. પરિણામે સીધી જ દિલને પણ સ્પર્શી જતી હોય છે… જુઓ આ રચના! કેવી મજાની! એકદમ હૃદયસ્પર્શી…
Permalink
September 11, 2019 at 10:21 AM by તીર્થેશ · Filed under ગીત, મનુજ દેપાવત
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
मेरी छंदबद्ध वाणी में नहीं किसी कृष्णाभिसारिका के आकुल अंतर की धड़कन;
अरे, किसी जनपद कल्याणी के नूपुर के रुनझुन स्वर पर मुग्ध नहीं है मेरा गायन !
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
मैं न कभी नीरव रजनी के अँचल में छुपकर रोता हूँ;
आँसू के जल से अतीत के धुँधले चित्र नहीं धोता हूँ;
चित्रित करता हूँ समाज के शोषण का वह शोणित प्लावन ।
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
आज विकट कापालिक बनकर !
महाप्रलय के शंखनाद से मरघट के सोए मुर्दों को जगा रहा हूँ !
जगा रहा हूँ अभिनव की वह ज्वाल निरंतर,
जलकर जिसमें स्वयं भस्म हो जाय पुरातन !
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
– मनुज देपावत
કવિ તો એ જ આલેખશે જે એને અંદર સુધી હલાવી દેશે….
Permalink
September 11, 2019 at 3:12 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર ,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુંને થઈ બેઠો વળગાડ…
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ
કમખો ટાંગુ રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ…
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું, બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…
– વિનોદ જોશી
મસ્તમજાનું રળિયામણું ગીત….
Permalink
September 7, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
હું એટલે સમયની રફતારની ઉદાસી,
અજવાસની અણી પર, અંધારની ઉદાસી.
કહેવાય છે કે મનની, શાપિત છે હવેલી,
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી.
એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી.
તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી,
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી.
હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં,
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી.
તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક,
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી.
મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો,
ઓ પાર લઈ જવી છે, આ પારની ઉદાસી.
તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે,
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી.
લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે,
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી.
– મિલિન્દ ગઢવી
ઉદાસી કવિતાનો સદાબહાર રંગ છે અને અહીં તો ગઝલ જ આખી ઉદાસીની છે. આખી ગઝલ સ-રસ થઈ છે… એટલે કોઈ એકાદ શેર પર આંગળી મૂકવાને બદલે સાંગોપાંગ માણીએ.
Permalink
September 6, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.
વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?
નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.
કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?
સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો
ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.
અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ, મટ્યો ગૂંચવાડો.
– સંજુ વાળા
સાદ્યંત સુંદર રચના… વાંચતાવેંત ગમી જાય એવી…
Permalink
September 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…
એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠની ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…
કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…
– અનિલ ચાવડા
કવિ જે કહેવા માંગે છે એ એમણે શીર્ષકમાં કહી જ દીધું છે. અને ગીત એટલું તો સંઘેડાઉતાર થયું છે કે કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…
Permalink
September 3, 2019 at 8:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.
નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.
અહીં બે-ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં ?
જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં ?
જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.
કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં !
પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.
પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.
-‘ મરીઝ ‘
Permalink
September 3, 2019 at 8:33 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.
જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…
સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટો શી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યાં કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…
– પ્રિયકાંત મણિયાર
Permalink
August 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
આમ તો બધા જ શેર સ-રસ થયા છે, પણ આખરી શેરમાં આંખમાં આંસુની ગાંઠોની બિમારી અને એનું કારણ ન કહેવાની કવયિત્રીની રીત તો ભાઈ, વાહ!
Permalink
August 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?
ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં
સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં
ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં
એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં
– લિપિ ઓઝા
આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી. કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.
Permalink
August 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!
– પ્રતિષ્ઠા પંડ્યા
લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…
કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.
એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.
બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…
Permalink
August 28, 2019 at 3:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, દુષ્યન્ત કુમાર
प्रश्न अभिव्यक्ति का है,
मित्र!
किसी मर्मस्पर्शी शब्द से
या क्रिया से,
मेरे भावों, अभावों को भेदो
प्रेरणा दो!
यह जो नीला
ज़हरीला घुँआ भीतर उठ रहा है,
यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है,
यह जो सद्य-जात शिशु सा
कुछ छटपटा रहा है,
यह क्या है?
क्या है मित्र,
मेरे भीतर झाँककर देखो।
छेदो! मर्यादा की इस लौह-चादर को,
मुझे ढँक बैठी जो,
उठने मुस्कराने नहीं देती,
दुनियाँ में आने नहीं देती।
मैं जो समुद्र-सा
सैकड़ों सीपियों को छिपाए बैठा हूँ,
सैकड़ों लाल मोती खपाए बैठा हुँ,
कितना विवश हूँ!
मित्र, मेरे हृदय का यह मंथन
यह सुरों और असुरों का द्वन्द्व
कब चुकेगा?
कब जागेगी शंकर की गरल पान करने वाली करुणा?
कब मुझे हक़ मिलेगा
इस मंथन के फल को प्रगट करने का?
मूक!
असहाय!!
अभिव्यक्ति हीन!!
मैं जो कवि हूँ,
भावों-अभावों के पाटों में पड़ा हुआ
एकाकी दाने-सा
कब तक जीता रहूँगा?
कब तक कमरे के बाहर पड़े हुए गर्दख़ोरे-सा
जीवन का यह क्रम चलेगा?
कब तक ज़िंगदी की गर्द पीता रहूँगा?
प्रश्न अभिव्यक्ति का है मित्र!
ऐसा करो कुछ
जो मेरे मन में कुलबुलाता है
बाहर आ जाए!
भीतर शांति छा जाए!
– दुष्यंत कुमार
સર્જકની આંતરવ્યથા, સર્જનશીલ વ્યક્તિનું મનોમંથન ઉપરોક્ત કવિતામાં સબળ રીતે રજૂ થયાં છે. નવજાત શિશુ જેવું, તાજી કૂંપળ જેવું સર્જન કવિની ભીતર સળવળી રહ્યું છે પણ એની ઉપર કવિની પોતાની મર્યાદાઓ, દુનિયાએ સર્જેલા માપદંડથી જન્મતી મર્યાદાઓ જાણે કે એક લોહની વજનદાર ચાદર બનીને કવિની સર્જનશીલતાને રૂંધતી પડી છે. કવિ પોતાના મિત્રને વિનંતી કરે છે, અહીં મિત્ર એ ભાવક પણ હોઈ શકે, સહ્રદયી વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ મર્મસ્પર્શી ઘટના કે પ્રસંગ જે કવિના અંતરાત્માને ઢંઢોળીને અંદર ગૂંગળાઈ રહેલી રચનાને અભિવ્યક્ત કરે. આપણી આસપાસની દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સર્જકના ભાવજગત પર જુદી રીતે અસર કરતી હોય છે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઇ ની જંગમાં સર્જક કોઈ એકનો પક્ષ લેવાને બદલે એ બંને થી પર થઈ હળાહળ કંઠે ધારણ કરનાર શિવની કરૂણા ધરાવવામાં પોતાની સાર્થકતા ઝંખે છે.
એક મહાન સર્જક એક વિશાળ સાગર જેવો છે જેના પેટાળમાં અનેક કિંમતી રત્નો અને અમૂલ્ય મોતીઓ રૂપી વિચારોનો, સર્જનોનો ખજાનો વણખેડાયેલ, વ્યક્ત થયા વિનાનો પડ્યો છે એને જરૂર છે અભિવ્યક્તિની.
– નેહલ
સૌજન્ય – ડૉ. નેહલ વૈદ્ય [ inmymindinmyheart.com ]
Permalink
August 27, 2019 at 7:29 AM by તીર્થેશ · Filed under ઈન્દિરાબેટીજી, ગીત
રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.
રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવ ના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.
માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.
રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?
એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
~ ઈન્દિરાબેટીજી
There is utter loneliness at the top.
Permalink
August 24, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
એક તમારા નામનું દેરું
એને છાંટયો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં , કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
-પારુલ ખખ્ખર
લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક શ્રી ઉદયન ઠક્કરની કલમે આ ગીતનો આસ્વાદ:
આ ગીતમાં કાવ્યનાયિકા તેના પ્રિય પાત્રને સંબોધે છે. તુંકારે બોલાવી શકાય એવી આત્મીયતા રહી નથી, માટે ‘તમે’ કહીને સંબોધે છે. પ્રિય પાત્રથી વિખૂટા પડી જવાયું છે- ‘અમારું ગામ’ અને ‘તમારું ગામ’ એક થઈ શક્યાં નથી. એક કાળે નદી કિનારે પ્રણયગોષ્ઠિ થઈ હશે, માટે નાયિકા પ્રિય પાત્રને એ જ સ્થળે જવાનું સૂચવે છે. પરંતુ નાયિકા પોતે તો ત્યાં મળવાની નથી, એનું તો ‘કંઈ નક્કી નથી,’ માટે બીજા- ત્રીજાને હળવા- મળવાનું મહેણું મારે છે. ‘જેને મળવું હોય તેને મળજોને, મારે શું?’- એવા રુસણાનો ભાવ અહીં દેખાય છે.
નાયિકા નાયકને ઘરે નથી બોલાવતી, ગલીના છેડે રોકાવાનું કહે છે, કારણ કે બે વચ્ચે હવે અંતર પડી ગયું છે. ઉર્દૂ ગઝલમાં પ્રેયસીની ગલીનું રૂપક પરંપરાથી ચાલ્યું આવે છે, માટે ‘શેરીના નાકે’ નહિ પણ ‘ગલીના છેડે’ કહે છે. નાયકે સાદ તો કરવાનો છે, પણ ‘અમસ્તો’, કારણ કે નાયિકા પ્રતિસાદ આપવાની નથી.આમ છતાં નાયિકાની ઇચ્છા ખરી કે નાયક રાહ જુએ. રાહ જોયા પછી આગળ ‘વધવાનું’ નથી પણ ‘વળવાનું’ છે, કારણ કે ત્યાંથી બન્નેની જિંદગીમાં વળાંક આવે છે.
નાયિકા માટે નાયકનું નામ દેરા જેટલું પવિત્ર છે.’ગેરુઓ’ એટલે મટિયાળો કે ભગવો રંગ, જે વૈરાગ્યસૂચક છે.’એરું આભડવો’ એટલે સાપ ડસવો. નાયિકા શૃંગારમાંથી વૈરાગ્યમાં સરી પડી, કારણ કે મિલનની વેળાને એરું આભડી ગયો.પ્રિય પાત્રે પોતાની ભૂલનું ઝેર ઉતારવું પડશે, પસ્તાવાની જ્યોત જગાવીને પોતે ઓગળવું પડશે. નાયિકાનું તો કાંઈ નક્કી નઇ, કારણ કે ભૂલ એણે નહોતી કરી. નાયિકા નથી ઇચ્છતી કે પ્રિય પાત્ર એકાએક ખાક થઈ જાય, માટે કહે છે, ‘ધીમી આંચે ખુદ ઓગળજો’- જેથી લાંબા સમય સુધી વિરહાગ્નિ વેઠવો પડે.
પ્રણાલિકા છે કે સૂરજની સાખે સાચું જ બોલાય. આ તો ‘આથમતો સૂરજ’ છે, ‘ઝાંખું-પાંખું’ અજવાળું છે- યુવાની ઢળવામાં છે,ઓરતા આથમવામાં છે.શું ન થઈ શક્યું એ સાંભરીને નાયિકા નિશ્વાસ નાખે છે. નાયિકા કહેતી જાય છે- મને વળગવાનો સમય વીતી ગયો, હવે મારા નામને વળગીને ઝળહળજો! બશીર બદ્રનો શેર સાંભરે છે:
ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે
નાયિકા કહે છે, જીવનનું સરવૈયું કાઢતાં જણાશે કે રીસામણાં વધુ હતાં અને મનામણાં ઓછાં, દ્રોહ વધુ હતો અને વફાદારી ઓછી. નાયક-નાયિકાનો સંગાથ આંગળી અને નખ જેવો છે- ભેગાં તોય નોખાં. સંબંધ એવો કે પાસે આવવા ન દે, અને દૂર જવા ન દે.નાયિકા કહી દે છે- આવા સથવારા તમને જ મુબારક!
નાયિકા નથી નકારતી કે નથી સ્વીકારતી. ‘મારું તો કાંઈ નક્કી નઇ’ કહીને નાયકને (અને ભાવકને) બે રમણીય શક્યતાઓ વચ્ચે ઝૂલતો રાખે છે.
કવયિત્રીએ આ ગીતનો આકાર કુશળતાથી ઘડ્યો છે.દરેક અંતરામાં અંત્યાનુપ્રાસવાળી ત્રણ પંક્તિ આવે છે, જે અંજની ગીતના છંદમાં છે. ચોથી પંક્તિનું ત્રણ ટુકડામાં વિભાજન થયું છે, જેમાં પહેલા-બીજા ટુકડાના અંત્યાનુપ્રાસ મળે છે.(જેમ કે નામ લઈને/હામ લઈને.) દરેક અંતરાના અંત્યાનુપ્રાસ પછી ‘મારું તો કાંઈ નક્કી નઇ’ પદનું પુનરાવર્તન થાય છે, જે રચનારીતિ ગઝલની રદીફને મળતી આવે છે.
(આસ્વાદ : શ્રી ઉદયન ઠક્કર)
Permalink
August 23, 2019 at 1:31 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
. નિરખને ગગનમાંo
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
. નિરખને ગગનમાંo
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
. નિરખને ગગનમાંo
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
. નિરખને ગગનમાંo
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
. નિરખને ગગનમાંo
– નરસિંહ મહેતા
જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.
Permalink
August 22, 2019 at 1:34 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
– મિલિન્દ ગઢવી
લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.
ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.
પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.
Permalink
August 21, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
જીવનના સૌ અભાવોએ વગાડ્યો ઢોલ એવો ધમધમાવીને,
ઉદાસી નાચવા લાગી તરત પોતાનાં ઝાંઝર ઝણઝણાવીને.
હવે જો આંખમાંથી લોહીના ટશિયા ન ફૂટે તો બીજું શું થાય?
ઘણાં વર્ષોથી એક તસવીર એ જોયા કરે છે કચકચાવીને.
પ્રવાસે નીકળો, ને માર્ગમાં આવે અચાનક ફૂલનાં ખેતર,
ઘણા જીવનમાં આવે એ જ રીતે, ને જતા રહે મઘમઘાવીને.
અમારા ગામના પુજારી એવું શહેરમાં લેવા શું આવ્યા ‘તા?
મને જોયો બજારે કે તરત ભાગ્યા એ ત્યાંથી રમરમાવીને.
અગર જો છોડવા જઉ તો હૃદયની પોટલી તૂટવાનો ખતરો છે,
મેં મારી દીધી છે સંબંધની એક ગાંઠ એવી કસકસાવીને.
જુએ છે સાવ ઝીણી આંખથી એ મેં ધરેલી ચાની પ્યાલીને,
છે કારણ એ જ કે હું પી ગયો છું ઝેર એનું ગટગટાવીને.
– અનિલ ચાવડા
Permalink
August 20, 2019 at 7:28 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?
ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
-કૃષ્ણ દવે
Permalink
August 17, 2019 at 1:50 AM by વિવેક · Filed under ગીત, નરસિંહરાવ દિવેટિયા
આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!
ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
. આ શી ઊંડી રજની!
શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
. આ શી ઊંડી રજની!
ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
. આ શી ઊંડી રજની!
મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
. આ શી ઊંડી રજની!
જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
. આ શી ઊંડી રજની!
ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
. આ શી ઊંડી રજની!
– નરસિંહરાવ દિવેટિયા
આ ગીત વાંચીએ તો બ. ક. ઠાકોરનું સૉનેટ ‘ભણકારા’ યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતી ભાષાના એ સર્વપ્રથમ સૉનેટમાં બ. ક. ઠાકોરે કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર આપ્યો છે. એ સૉનેટમાં પણ ગાઢ રાત્રિ, અંધકાર, એમાં ડૂબી જતી વૃક્ષોની હારમાળા, નદીના પ્રશાંત જળ, હળુ-હળુ વાતો પવન, અને આ નીરવ શાંતિમાં કવિહૃદયમાં ઊઠતા ભણકારા અને અનાયાસ થતું કાવ્યસર્જન – આ વાતો જોવા મળે છે. અહીં આ ગીતમાં પણ એ બધા જ તત્ત્વો નજરે ચડે છે. અલબત્ત, આ કોઈ ઊઠાંતરી નથી. કાવ્યસ્વરૂપ સાવ અલગ છે, કાવ્યબાની પણ સાવ અલગ છે પણ બે અલગ-અલગ કવિની કલમે એકસમાન અનુભૂતિ અવતરે ત્યારે કવિતા કેવાં બે ભિન્ન-સમાન સ્વરૂપ ધારે એ જોવા-સમજવા માટે જ આ સરખામણી છે.
આકાશની ઘેરી ગુફામાં સૂતેલ ગાઢ રાત્રિના ઊંડા અંધકારમાંથી ઊંડા ભણકારા ઊઠે છે. તારાઓ પણ નજરે ન ચડે એવી આ ગાઢ રાત્રિ કંઈક ગૂઢ સંદેશ લઈને આવી છે. સહુ કોઈ ઠાર મરાયા હોય એવી નિઃસ્તબ્ધતા જન્માવતું શાંતિનું પૂર અદભુત રેલાઈ રહ્યું છે, માત્ર પવન થોડું થોડું આ શાંતિ સાથે રમી લે છે. અંધારામાં લુપ્ત થઈ ગયેલી વૃક્ષોની હારમાળા પણ લેશ માત્ર અવાજ કરતી નથી. કવિ પોતે પણ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ ઊભા છે. અંધારું એવું છે કે અસંખ્ય ગૂઢ ભેદ-રહસ્યો ન ભીતર ભર્યા-ભંડાર્યા હોય! આ રહસ્યોના ઝણકારથી અચાનક જાગી ઊઠ્યા હોય એમ કવિ દિવ્ય ઓથાર અનુભવે છે અને એમનું હૃદય જાણે કે સો-સો ધારે ફાટે છે અને દિવ્ય કવિતાનો અવાજ સંભળાઈ રહ્યો છે.
Permalink
August 16, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.
માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.
આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.
બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.
આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.
– રાકેશ હાંસલિયા
લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી રાકેશ હાંસલિયાના ગઝલસંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’નું સહૃદય સ્વાગત છે…
નાની અમથી ગઝલ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે. સરલ સહજ ભાષામાં ગઝલ ઊંડી વાત કરી રહી છે.
Permalink
August 10, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લિન્ડા પાસ્ટન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.
– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
Ethics
In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.
– Linda Pastan
Permalink
August 9, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.
ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.
વરસોથી દરવાજા ખખડાવી ખખડાવી દેતાં’તાં સાદ અજવાળાં
અક્કલની ઓથમીર આંખ્યુંએ જાતને વાસીને માર્યાં’તાં તાળાં
ઘટનાની કૂંચીએ ખોલ્યા બે આંટા ત્યાં તાળાનાં તાળવાં ફૂટ્યાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.
લાભ-શુભ ચોઘડિયાં ભેગાં થતાં’તાં એ ક્ષણવંતી વહેલી સવારે
તેજના ત્રાંસા ને સમજણની શરણાયું રમઝટ બોલાવે બજારે
મોંઘા રતનને ઢાંકીને બેઠેલા ઝાળાના લેણદેણ ખૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.
– પારુલ ખખ્ખર
જીવન જીવવા માટે આપણને કંઈ કેટલાંય ઉપકરણોની આદત પડી જતી હોય છે. ગૂગલ મેપ્સ નહોતા ત્યારે કોઈક નવી જગ્યાએ જવા માટે આપણે પાંચ-દસ જગ્યાએ થોભીને અજાણ્યા લોકો પાસે માર્ગદર્શન લેવું પડતું હતું અને નવી જગ્યાએ પહોંચીએ ત્યારે અવનવા અનુભવજડિત આ યાત્રા જાતને એક જાતની સંતુષ્ટિ આપતી સંપન્ન થતી હતી. મિત્રો કે સ્વજનો સાથે બેઠાં હોય ત્યારે પહેલાં જે ટોળટપ્પાં થતાં હતાં એ મોબાઇલની મહેરબાનીથી લગભગ મરણાસન્ન છે. ઉપકરણો આપણી ધારણા બહાર બહુ ઝડપથી આપણા લોહીમાં વણાઈ જતાં હોય છે. ચશ્મા આવી જ એક વસ્તુ છે. સવારે ઊઠીએ એટલે પહેલું કામ આંખ પર ચશ્મા ચડાવવાનું જ હોય. ચશ્માના કાચમાંથી દુનિયા જોવાની એવી આદત પડી જાય છે કે એના વિનાની દૃષ્ટિની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ચશ્મા અચાનક તૂટી જાય અને બીજી જોડી બનાવડાવી ન હોય તો નવા ચશ્મા આવવા સુધીનો સમય આપણો ઘાંઘોવાંઘો વીતે છે…
પણ કવિ પાસે દરેક વસ્તુને જોવા માટે વળી અલગ જ ચશ્મા હોય છે. બિલકુલ અલગ જ પ્રકારના વિષય પર મજાનું હળવું ગીત લઈને પારૂલદે આજે ઉપસ્થિત છે. પચાસની વયે પહોંચ્યાની વેળાએ અચાનક ચશ્મા તૂટી જાય છે ત્યારે કવયિત્રી અકળાઈ જવાના બદલે ચક્ષુદેવ પ્રસન્ન થયા હોવાનું અનુભવે છે. ચશ્મા સાથે સંકળાયેલી તમામ વિભાવનાઓ કવયિત્રી આલેખે છે પણ એક સવાલ થાય છે. સાચે જ શું આ ચશ્માનું ગીત છે? કે અકુદરતી ઉપકરણોની ગુલામીમાંથી પળભરની આઝાદીના ઓચ્છવનો ગુલાલ છે?!
જો કે એક તબીબ હોવાના નાતે આ ગીતને હું એ રીતે પણ જોઈ શકું કે પારૂલદેને પચાસની નાની વયે મોતિયો આવ્યો હોવો જોઈએ અને મોતિયા ઉતરાવી નાંખ્યા પછીની સાફ દૃષ્ટિ અને ચશ્માની આઝાદીનું આ ગીત છે… 😉
Permalink
August 8, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિતેન્દ્ર પ્રજાપતિ
ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.
શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.
આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.
એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.
આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.
– જિતેન્દ્ર પ્રજાપતિ
સરળ. સહજ. સંતર્પક.
Permalink
August 7, 2019 at 3:49 AM by તીર્થેશ · Filed under ગીત, રાજેન્દ્ર શુક્લ
સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.
વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
હોય કોળામણ સામટું આવ્યું.
કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.
સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.
– રાજેન્દ્ર શુક્લ
ઘણા વરસો પહેલા આ કાવ્ય કવિના કંઠે સાંભળેલું. અચાનક જડી આવ્યું. ઘણાબધા સ્મરણો જોડાયેલા છે કવિના એક ચોમાસા સાથે….
Permalink
August 3, 2019 at 1:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોનેટ
ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !
સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. એમાંય વરસો સુધી સાથ નિભાવનાર જીવનસાથી જિંદગીના પથ પર અચાનક એકલા મૂકીને ચાલી નીકળે એની વેદના તો ભલભલાને હચમચાવી દે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ નો પોતાની જીવનસંગિનીના મૃત્યુને નિહાળવાનો અભિગમ સામાન્ય કરતાં બિલકુલ અલગ જ છે…
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો જી…
Permalink
August 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under સ્નેહરશ્મિ, હાઈકુ
રાત અંધારી:
તેજ-તરાપે તરે
નગરી નાની.
*
સૂકેલી ડાળે
પોપટ બેઠો: પાન
ચોગમ લીલાં.
*
અંધારે ગાતાં
જાય ઝરણાં: વ્હેતું
તારકતેજ.
*
ગીત આકાશે:
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.
*
ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!
– સ્નેહરશ્મિ
સત્તર અક્ષરની નાનકડી અંજલિમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ. ત્રણ નાનકડી પંક્તિમાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ આખેઆખું ચિત્ર કુશળ ચિતારા પેઠે દોરી બતાવે છે. હાઈકુની કવિતા એની ચિત્રાત્મક્તામાં જ સમાઈ હોય છે.
Permalink
August 1, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લક્ષ્મી ડોબરિયા
ઝાડ દિલાસો વાવે
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે
પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે
ઝાડ દિલાસો વાવે
ચૈતરની લૂને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે
ઝાડ દિલાસો વાવે
નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
ઝાડ દિલાસો વાવે
– લક્ષ્મી ડોબરિયા
પ્રથમ પંક્તિ જ વિચારતાં કરી દે એવી છે. ઝાડને તો કોઈ વાવે અને ઝાડ ઊગે. પણ અહીં તો ઝાડ દિલાસો વાવી રહ્યું છેઅને ચારે દિશાઓમાં લંબાઈ રહેલી ડાળીઓ જાણે કે સધિયારો દેવા માટે ફેલાવેલી બાહુ છે. વૃક્ષના પાન ‘રિટાયર’થવાની ઉંમર થાય પછી પણ ટકી રહેવાની જિદ કદી કરતાં નથી. એ આવનારાંઓ માટે માર્ગ પ્રશસ્ત કરી આપીને પોતાના અસ્તિત્વનું માન વધારે છે. વૃક્ષની ફિલસૂફી ગીતમાં બહુ સુંદર રીતે કવિએ ઉજાગર કરી છે. આપણે એની પાસેથી કંઈ ધડો કદી લઈશું ખરાં?
લયસ્તરોના આંગણે કવયિત્રી લક્ષ્મી ડોબરિયા અને એમના તરોતાજા ગીતસંગ્રહ ‘છાપ અલગ મેં છોડી’નું સહૃદય સ્વાગત છે…
Permalink
July 31, 2019 at 3:13 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
એક પહેલા વરસાદ સમી છોકરી હતી
ને સાવ સૂક્કો રેતાળ એક છોકરો
લીલુંછમ ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
સાવે વગડાઉ એક છોકરીની વાત કરે
સીધો સડાક એક છોકરો
વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે
કોરાં આકાશ સમો છોકરો
નખશિખ ગુલાબી એક છોકરી હતી
ને એક કોરાં રૂમાલ સમો છોકરો
રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
આંખોથી પીધેલી છોકરીની વાત કરે
તરસી હથેલીને છોકરો
ગુલમ્હોરે ખીલેલી છોકરીની વાત કરે
બપોરે બળબળતો છોકરો
ધોધમાર ધોધમાર છોકરી હતી
ને સાવ પાણીમાં બેઠેલો છોકરો
અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
બે કાંઠે ઊછળતી છોકરીની વાત કરે
કોરો કડાક એક છોકરો
મધદરિયો વ્હાણ સમી છોકરીની વાત કરે
કાંઠે ઊભેલ એક છોકરો
નાળિયેરી પાન સમી છોકરી હતી
ને સાવ બાંધ્યા પવન સમો છોકરો
ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો
પછી ટહૂકાની ભાષામાં છોકરીની વાત કરે
મૂંગો રહેનાર એક છોકરો
પછી ઉમટેલાં પૂર સમી છોકરીની વાત કરે
માટીના કૂબા શો છોકરો
વહી જાતાં વ્હેણ સમી છોકરી હતી
ને એમાં ઓગળતો પીગળતો છોકરો
ભીના સંબંધ તણું ગીત મારે લખવું’તું
રસ્તો મળ્યો છે મને જોઈતો.
– તુષાર શુક્લ
રળિયામણું ગીત…..લાજવાબ…
Permalink
July 30, 2019 at 9:41 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ધૂમિલ
मैं रोज देखता हूँ कि व्यवस्था की मशीन का
एक पुर्जा़ गरम होकर
अलग छिटक गया है और
ठण्डा होते ही
फिर कुर्सी से चिपक गया है
उसमें न हया है
न दया है
नहीं-अपना कोई हमदर्द
यहाँ नहीं है। मैंने एक-एक को
परख लिया है।
मैंने हरेक को आवाज़ दी है
हरेक का दरवाजा खटखटाया है
मगर बेकार…मैंने जिसकी पूँछ
उठायी है उसको मादा
पाया है।
वे सब के सब तिजोरियों के
दुभाषिये हैं।
वे वकील हैं। वैज्ञानिक हैं।
अध्यापक हैं। नेता हैं। दार्शनिक
हैं । लेखक हैं। कवि हैं। कलाकार हैं।
यानी कि-
कानून की भाषा बोलता हुआ
अपराधियों का एक संयुक्त परिवार है।
-‘धूमिल’
ઘણા વર્ષો પહેલાની આ કવિતા આજે પણ કેટલી પ્રાસંગિક છે !!!!!
Permalink
July 27, 2019 at 1:35 AM by વિવેક · Filed under માઇકલ ડ્રાઇટન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.
મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.
પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.
જ્યારે એના નામનું નાહી હવે નાખ્યું છે, ત્યારે પણ તું જો ધારે,
મોતના મોઢેથી એને તું પરત જીવન તરફ લાવી જ શકશે.
જ્યારે એના નામનું નાહી જ નાંખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.
– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર
*
સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલ રણ દૂર કરવાની સમજણ આપતી માઇકલ ડ્રાઇટનની આ રચનાનો વિશદ આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે.
*
Since There’s No Help
Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.
– Michael Drayton
Permalink
July 26, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાહુલ તુરી
હંઅ ન્ ઓવ્અ, મારી દશમન મારી હોશ તમોંન્ ફુટે કાળો કોડ, તમોંન્ જુઅ મારો રોમ,
તમારું જાય મૂળથી…
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ જલમની પેટ બળેલી,કરમ ફૂટેલી,
અભાગણી આ કંકુવરણી કાયા ઇમાં હુંય કરું શું?
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ એટલે મેલાઘેલા લુગડે
ઈંન્ જેમતેમ હું ઢોકી રાખી જગ આખાથી બહુ બીવું સુ
હંઅ ન્ ઓવ્અ, મારા રંડાપા પર કરી ઓંગળી ચીયા ભવોનું વેર વાળવા કરો તમે રે ઓમ,
તમારું જાય મૂળથી…
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી હાહરવેલે એક રહ્યુ ના પોન લીલુંડુ,
મર્યા માવતર પિયરવાટે ધૂળ ઉડે રે
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી લીલુંડી કાયાની માથે
જાત જાતની વાત ભરેલું કાળમીંઢ આકાશ તુટે રે
હંઅ ન્ ઓવઅ,મારી ખૂટી ગયેલી ધરપત ઉપર પીઠ પસવાડે ખડખડ ખડખડ દાંત કાઢતા ગોમ,
તમારુ જાય મૂળથી…
– રાહુલ તુરી
ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં એક અત્યંત ભાવવાહી ગીત. સ્ત્રીની સંવેદના, પુરુષની જબાને. સ્ત્રીનો એકમાત્ર સાથી એનો પતિ. સ્ત્રીની ગોદ ભરાય એ પહેલાં જ એ અકાળે ગુજરી ગયો. મા બનવાના સુખથી વંચિત રહી ગયેલી આ વિધવા વળી સુંદર પણ છે ને આ સૌંદર્ય જ એનું દુશ્મન છે. ગીતની દરેક કડી ‘હંઅ ન્ ઓવઅ’થી પ્રારંભાય છે. સીધી ભાષામાં આનો મતલબ ‘હા અને હોવ્વે’ કરી શકાય પણ આ લટકણિયું દરેક પંક્તિની આગળ લગાડીને કવિ ન માત્ર વાતચીતનો કાકુ સિદ્ધ કરે છે, પુનરોક્તિના શસ્ત્ર વડે સ્ત્રી-સંવેદનાની ધાર પણ યથેચ્છ કાઢે છે. વળી, ‘તમારું જાય મૂળથી’ પછી ‘નખ્ખોદ’ શબ્દ ન લખીને કવિ એ ન કીધેલા શબ્દને વધુ અસરદાર બનાવી શક્યા છે.
એક તરફ પોતાની દુશ્મન સ્ત્રીઓને કાળો કોઢ ફૂટે એવો શ્રાપ પણ એ આપે છે તો બીજી બાજુ મારો રામ તમને જોઈ લેશે એવી ચીમકી પણ આપે છે. મારી બૈ યાને મારી બાઈ. વિધવા પોતાની સખી કે સાથી સ્ત્રી આગળ આજે પેટછૂતી વાત કરવા બેઠી છે એટલે એને સંબોધીને વાત કરે છે. એ પોતાને જનમથી પેટ બળેલી, કરમ ફૂટેલી કહે છે. અભાગણીને ખબર છે કે એની કાયા કંકુવરણી છે, ને એટલે જ લોકોની મેલી દૃષ્ટિ ન પડે એ ખાતર પોતે મેલા લૂગડે એને ઢાંકી રાખે છે. તોય વેરી દુનિયા એના તરફ આંગળી કરી ભગવાન જાણે કયા જનમનું વેર વાળે છે એ એને સમજાતું નથી. સાસરામાં એકેય જુવાનિયા નથી, જે એને હિંમત-સાથ આપે અને માવતર પણ પરણાવી દીધા પછી જાણે કે મરી પરવાર્યા છે. એટલે પિયરની વાટ પણ લઈ શકાય એમ નથી. લોકો જાતજાતની વાત કરે છે, જાણે લીલા ઝાડ ઉપર કાળમીંઢ આભ ન તૂટી પડતું હોય! એકલવાયી બાઈની ધરપત ખૂટી ગઈ છે પણ ગામ પીઠ પાછળ દાંતિયા કરવાનું ચૂકતું નથી.
કહે છે કે જમાનો બદલાઈ ગયો છે. લોકો વધુ સમજદાર થયા છે પણ અંતરિયાળ ગામોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. એમની દુર્દશામાં ભાગ્યે જ સુધારો આવ્યો છે. વૈધવ્યને હજી આજેય સ્ત્રીનો ગુનો માણીને એને ચૂંથવા સુધરેલા ગીધડાંઓ ટાંપીને જ બેઠાં છે… રાહુલ તૂરીનું ગીત વિધવા સ્ત્રીની કરુણતાને હૃદયવિદારક રીતે રજૂ કરે છે…
Permalink
July 25, 2019 at 2:44 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ પંડ્યા, સોનેટ
વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?
“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”
– ભાનુપ્રસાદ પંડ્યા
ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…
Permalink
July 24, 2019 at 3:11 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.
નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.
પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !
ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.
ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.
– શ્યામ સાધુ
Permalink
July 24, 2019 at 3:02 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
તણખો તણખો રમતાં રમતાં આગ લગાડી બેઠા
ફૂલો ફૂલો મૂકતાં મૂકતાં બાગ ઉગાડી બેઠા
ભલે ધગે એ આગ કશુંય છાંટો ના
ભલે ઊગે એ બાગ કશુંય નાખો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક
શબ્દો શબ્દો કાગળ કાગળ, વ્હાલ વ્હાલ બસ આગળ પાછળ
તારું મળવું ઝાકળ ઝાકળ, છુટ્ટા પડવું વાદળ વાદળ
હવે શબદને વાણી રૂપે છાપો ના
હવે આંખ પર તડકા જેવું ચાંપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક
કારણ કારણ શોધો કારણ, પ્રીત પ્રીતનું મારણ મારણ
નથી નથી કો’ એનું વારણ બે હૈયાં બસ હૈયાધારણ
હવે પ્રીતનો વ્યાપ કશાથી આંકો ના
હવે હૃદયની ઇચ્છાઓને માપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક
– મુકેશ જોષી
રમતિયાળ લાગતી પરંતુ અર્થગંભીર રચના….
Permalink
July 20, 2019 at 2:41 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,
વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની
સરખામણીની રીત સફળ શી રીતે થશે?
લાગે છે આપનાથી જુદી છાયા આપણી.
ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી
મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ
જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?
પાંખો હજી છે મારી બેય આંખને વિષે
ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?
પૂછો મને તો હુંય બતાવી નહીં શકું
પહેલાં હતો હું ક્યાંક, પણ હમણા કશે નથી.
– મનહર મોદી
સામાન્યરીતે દુર્બોધ ગણાતા કવિ પાસેથી ક્યારેક આવી સરસ મજાની સહજ-સરળ રચના પણ મળી આવે. બધા જ શેર સાર્થક થયા છે.
Permalink
July 19, 2019 at 4:18 AM by વિવેક · Filed under ગઝલ, બેન્યાઝ ધ્રોલવી
ફૂલમાં થોડી જગા લીધી અમે,
મ્હેકને પીવી હતી, પીધી અમે.
દૃશ્યની ભરચક નજાકતને ભરી
આંખમાં આંજી હવા લીલી અમે.
ચિત્રનો ઉઠાવ સુંદર લાગશે,
રંગમાં ડૂબ્યાં તમે, પીંછી અમે.
પ્રેમપત્રોની હવેલી ખોલ મા,
બારીમાં ફેંકી હતી ચીઠી અમે.
શબ્દની ખલકત પડી છે ચોતરફ,
જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે.
– બેન્યાઝ ધ્રોલવી
મત્લા પર જ કુરબાન કુરબાન પોકારી જવાય એવી ગઝલ. મત્લામાં ચુસ્ત કાફિયા વાપર્યા પછી ગઝલમાં પ્રયોજાયેલ મુક્ત કાફિયાઓ અને ચિઠ્ઠીના સ્થાને ચીઠી શબ્દ જરા ખટકે છે પણ ગઝલનું સૌંદર્ય એને મનભર માણવા જબરદસ્તી કરે એવું છે.
Permalink
July 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જગદીશ જોષી
…તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઈ ગઈ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં ઍરકન્ડીશનરનો અવાજ ગૂંચવાઈ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ…
મારાં બૂટ, મોજાં, ટાઈ, રૂમાલ –ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઈ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.
– જગદીશ જોષી
લગ્ન પછી થોડાં વર્ષ તો જીવન બહુ મજાનું લાગે છે પણ પછી સમયના ભેજના હાથે એને કટાતાંય બહુ વાર નથી લાગતી. પ્રેમની વાતો ધીમે ધીમે વ્હેમની વાતો બની જાય છે. પુરુષ આમ આરસ જેવો ઠંડો પણ આમ સિંહની જેમ ત્રાડવાનું ચૂકતો નથી. નરમ હૃદય સ્ત્રીની અંદરનું ભોળું પારેવડું પણ ક્યાંક ઊડી જાય છે. બે શરીર તો ભેગાં થાય છે પણ સમ્-ભોગ વિષમ-ભોગ બનીને રહી જાય છે. ચરમસીમાની પરિતૃપ્તિની પણ કલ્પના કરવાની રહે છે. જીવન એક routine બનીને રહી જાય છે. ચાવી દીધેલા પૂતળાંની જેમ સ્ત્રી સ્ત્રીની અને પુરુષ પુરુષની ફરજ બજાવ્યે રાખે છે. પોતાના અસ્તિઓત્વ અંગે પ્રશ્ન થાય અને પ્રેમનાં સ્વપ્નો પણ આંખમાંથી ગાયબ થઈ જાય ત્યારે પડખું ફરીને પસાં ઘસવાથી વિશેષ જીવનમાં કંઈ બચતું નથી. જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…
Permalink
July 17, 2019 at 10:32 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
બહુરૂપી ! તમારાં નયનોનાં બે રૂપ બરાબર લાગે છે,
મીંચાય તો બીડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે.
છે પુણ્ય પ્રતાપ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે,
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે.
લો ટૂંકમાં દોરી દેખાડું, મારી આછી જીવનરેખા,
તે વાત ખરી માની લઉં છું, જે જૂઠ સરાસર લાગે છે.
પડતીમાં પડે છે જે મુજ પર ઉત્કર્ષ ગણી લઉં છું તેને,
તે મારા જીવનનું ઘડતર છે, જે ચોટ હૃદય પર લાગે છે.
તોફાનમાં મુજને જોનારો ! એ દોષ છે તારી દૃષ્ટિનો,
નૌકા તો હિંડોળે હીંચે છે, તોફાનમાં સાગર લાગે છે.
માનું છું જીવનના ઉંબર પર વેરાય કંઈ પ્રીતિ-પુષ્પો,
સત્કાર યુવાનીનો એ વિણ મુજને તો અનાદર લાગે છે.
દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,
આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.
– ગની દહીંવાલા
માસ્ટર કલાકારની ખુમારી જુઓ……!!!
Permalink
July 16, 2019 at 2:53 AM by તીર્થેશ · Filed under ગીત, સૌમ્ય જોશી
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,
મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,
ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઉગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,
દરિયો બનીને મારે આપવો છે એક વાર છીપલીને આછો સંગાથ.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
દરિયાનેય કો’ક વાર છીપલાની સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.
ભરતીની હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે
મારા બે હોઠમાંથી ઓસરશે નીર, ને દરિયાની ઓટમાંથી ખુલશે પ્રભાત,
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
આવે કિનારે જે પાણીની છાલક ને છાલકને દરિયો કહેવાય નઈ,
સાચુકલા દરિયાનું દૂર કુઆંક ઘૂઘવતું, છીપલાંથી કાંઠો સહેવાય નઈ,
એકે જગાએ એ પૂરો મળે નઈ, દરિયાનાં સરનામાં સાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
આથમતાં અંધારે દરિયો છોડીને મને ઊગેલા સૂરજમાં તરશે
કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી ઘૂઘવાટ વાગોળ્યા કરશે
મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
-સૌમ્ય જોશી
સૌમ્ય જોશીની લાક્ષણિક રચના…એક ચેતના દ્વારા થતું વિશ્વચેતનાનું દર્શન…..
Permalink
July 13, 2019 at 2:04 AM by વિવેક · Filed under અછાંદસ, ઇવ મેરિઅમ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.
તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.
કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.
– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. પણ મૂળ સવાલ કવિતાનો સ્વાદ કેવી રીતે લેવો એ છે. કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…
કવિતાના વિગતવાર આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…
*
How to eat a poem
Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.
You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.
For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.
– Eve Merriam
Permalink
July 12, 2019 at 1:12 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, લિન્ડા પાસ્ટન, વિશ્વ-કવિતા
મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈયાસુખ માટે ‘બી પ્લસ.’
મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
‘સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.
મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’
એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.
– લિન્ડા પાસ્ટન
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)
આ મજાની કવિતાનો અનુવાદ કરાવનાર કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં જ આ કવિતાનો આસ્વાદ પણ માણીએ:
‘ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે.’પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.
‘પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય છે.ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.
‘શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.’
એ સાથે જ, આ કવિતા વિશે કવિશ્રી સંજુ વાળાનો પ્રતિભાવ પણ મમળાવવા જેવો છે: ‘કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાવ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.‘
Permalink
July 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાલમુકુન્દ દવે
રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?
વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !
કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !
દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !
બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !
સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !
– બાલમુકુંદ દવે
પોતાને જીવતેજીવ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. પોતાના સંતાનના અકાળ અવસાન પછી કવિએ લખેલું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ જેણે ન વાંચ્યું હોય એવો ગુજરાતી કાવ્યરસિક મળે તો એક તો એના ગુજરાતી હોવા વિશે અને બીજું, એના કાવ્યરસિક હોવા અંગે અવશ્ય શંકા સેવવી. જીવનની આ એક જ દારુણતમ ઘટના પર કવિ સૉનેટ લખે અને એ જ કવિ ગીત લખે ત્યારે સ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે.
ગરીબની વાડીએ તો ઘાસ-ફૂસ કે આવળ-બાવળ ઊગે પણ અહીં તો સોનચંપા જેવું મજાનું સંતાન મ્હોર્યું હતું. એનું જતન કરવામાં પોતે નિષ્ફળ ગયા હોવાનો અહેસાસ કવિને કોરી ખાય છે. નંદનવનના નિવાસી છોડને ગરીબની ઉજ્જડ ભૂમિ ક્યાંથી ગોઠે? કૂવાથાળે કાથીના ઘસારા સમય સાથે પડતા જાય એમ મા-બાપના હૈયે ઘાનાં ઘારાં સર્જાય છે. દેશદેશાવરનો મુસાફર અંધારે ભમવા ગયો ને મા-બાપ માટે તો ગામની ભાગોળ કાયમી રાત જેવી બની ગઈ, બાવરી મા જીવતરની આ કાળી રાતમાં ઠેબાં ખાતી જીવી રહી છે. બાવળના કાંટા જેવી વેદનાસિક્ત બનેલી ભવભુલામણીના આ કાંઠે મા-બાપ એકલા ઝૂરે છે, ને સામે કાંઠે સ્વર્ગમાં અકાળે મરણ પામેલ દીકરાના-સોનચંપાના બગીચા હોવાનું કલ્પે છે; બે વચ્ચે આંસુના અખાત છે!
Permalink
July 10, 2019 at 2:39 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
સળવળ સળવળ સરતી ફરતી વૃતિ કહેતાં કીડી કહેતાં ચીંટી
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી
એક્કે એવું નહીં જોવાનું સપનું
જેમાં આકાશી ફૂલોની હો સુગંધ,
વીજળીઓનાં તોરણ બાંધી શણગાર્યા હો ઘર
પરંતુ હોય બારણાં બંધ,
ભલો આપણો કૂબો જેમાં ભાર ઝીલવા હોય અધીરી ખીંટી,
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી
ઝીણેરું ઝિલાય તો એને મોતી કહીએ
પણ, મબલખ ને શું કહેવું એ કહો !
ગુપ્ત વહો કે લુપ્ત રહો પણ હે સરસત્તી
દિવસ-રાત કાં મૃગજળ થઈને દહો ?
શું પહેરાવું? શું ઓઢાડું? કઈ જાતરમાં જઈ પધરાવું વીંટી ?
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી
– સંજુ વાળા
The greatest truths in the world are the simplest.
Permalink
July 9, 2019 at 9:33 AM by તીર્થેશ · Filed under ગીત, જવાહર બક્ષી
વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું
તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું,
એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?
ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ
તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના,
મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ?
ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું.
પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે ? કાયા કે
પડછાયા કે માયા કે નહીં કૈ પણ કે હું ?
પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે
ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું
બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?
અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો,
જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો* [ *નાદ પ્રગટ કરવો. ચચરી ચચરીને બળવું ]
તો આમ ઠંડું પડ્યું તે કોણ ?
ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું ?
– જવાહર બક્ષી
સ્વગતોક્તિનો ઉત્તમ પ્રયોગ ! થોડીક ધીરજથી વાંચતા રચના સરળતાથી ખૂલે છે, કોઈ ટિપ્પણીની મહોતાજ નથી. ત્રીજો અંતરો ખાસ આકર્ષક છે….
Permalink
July 6, 2019 at 1:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, સોનેટ
યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.
જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?
– ઉમાશંકર જોશી
કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. મોહન અને મોહનદાસ જેવી બે સાવ વિઅપ્રિત વિભૂતિઓને એક જ રંગે રંગવાનું કામ કવિતા સિવાય શક્ય જ નથી. એક ભાગમાં મોહન અને બીજામાં મોહનદાસ –એમ બે ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી આપી છે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લૉબલ કવિતામાં રજૂ કરે છે.
સવિસ્તાર વિશ્લેષણ અને આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.
Permalink
July 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિરેન ગઢવી
વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.
જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.
દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.
બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.
નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.
પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.
કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.
-હિરેન ગઢવી
કેવી ઉત્તમ ગઝલ! એક-એક શેર મમળાવી-મમળાવીને માણવા જેવા. એક જ ગઝલ પરથી સમજી શકાય કે આ કવિ પાસે પોતીકો અવાજ છે. એ ઉછીનું સીધુ લાવીને રોટલી ઘડનાર કવિઓમાંના એક નથી. આ નિસબત જળવાઈ રહેશે તો ગઝલકારોની હકડેઠઠ જામેલી ભીડમાંથી એક સાચો ગઝલકાર ગુજરાતી ભાષાને સાંપડે એવી એંધાણી આ રચનામાંથી વર્તાય છે.
જો કે હકીકતદોષ, તર્કદોષ કે સમજણદોષ ભલભલા ગઝલકારોને ક્યારેક નડતા હોય છે. હીરેન ગઢવીની આ ગઝલનો આ એક મિસરા લાંબા સમયથી મનમાં વમળ જન્માવ્યે રાખે છે. પ્રસ્તુત ગઝલના બીજા શેરનો સાની મિસરો જરા ધ્યાન દઈ ચકાસવો પડે એમ છે:
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ
– આ મિસરામાં હકીકતદોષ થયો હોવાનું પ્રતીત થાય છે. કબીર કદી તુલસીદાસ કે મીરાંબાઈ, સિદ્ધાર્થ કે મહાવીરની જેમ ગૃહત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ માટે નીકળી પડ્યા નહોતા. એ ગૃહસ્થ હતા અને એમની મોટાભાગની જિંદગી બનારસમાં વણકરકામ કરતાં-કરતાં જ વીતી હતી.
આ સિવાય મને એમ લાગે છે કે કોઈ પણ સંતના નામ સાથે કોઈ પ્રતીક પ્રયોજવામાં આવે તો એ સુસંગત જણાવું જોઈએ. જેમ કે, નરસિંહ સાથે કરતાલ કે હાથનું મશાલ બની સળગવું, મીરાંબાઈ સાથે એકતારો કે ઝેરનો પ્યાલો; કબીર સાથે ઝીણી ચદરિયા વગેરે. દરેક સંતની એક આભા હોય છે. કવિ એને નવી દૃષ્ટિથી જોઈ જરૂર શકે કે એને નવો અર્થ જરૂર આપી શકે પણ એને અણસમજથી ખરડી તો ન જ શકે. કબીરનું જીવન, વ્યક્તિત્વ, સાલસતા અને વિનમ્રતા એવા હતા કે ‘લઠ’ શબ્દ બિલકુલ આઉટ ઑફ કન્ટેક્સ્ટ લાગે છે. એક દોહો આવો કબીરના નામ પર છે:
કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ.
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ
-અહીં લુકાઠી એટલે સળગતી લાકડી અથવા મશાલ, જેનાથી પોતાનું ઘર –મોહ,માયાના બંધનો- ફૂંકવાનું છે. લુકાઠીનો અર્થ લઠ કરાયો હોય તો એ અયોગ્ય જણાય છે.
જાણકાર મિત્રો વધુ પ્રકાશ નાંખશે તો ગમશે.
Permalink
July 4, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
ક્યારેક ખડક જ અદૃશ્ય થઇ ગયો છે.
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઇ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો
ખડક ચઢી શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો
અધવચ્ચે અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો
મંદિર જડ્યું નથી.
મંદિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
માણસને તીર્થસ્થાનનો મોહ પહેલેથી રહ્યો છે. તીર્થસ્થાનો પર રહેલો ઈશ્વર આપણને હંમેશા વધુ નજીક લાગ્યો છે. ઘરમાં દસ ભગવાનની મૂર્તિઓ હોય તોય તીર્થસ્થાન પર જઈને ઈશ્વરની કરેલી પૂજા વધુ ફળે એ આશામાં આપણે સહુ તક મળ્યે જ તીર્થયાત્રાએ નીકળી પડીએ છીએ. મન ચંગા તો કથરોટમેં ગંગા બોલનાર પણ ગંગામાં સદેહે ન્હાઈ નહીં ત્યાં સુધી પોતાને શુદ્ધ થયેલો અનુભવતો નથી. અને માત્ર હિંદુઓ કે ભારત દેશની જ આ વાત નથી, દુનિયાના બધા દેશોમાં બધા ધર્મોમાં ધર્મસ્થાનોનું હંમેશા સ-વિશેષ મહત્ત્વ રહ્યું છે. માણસ હોંશનો માર્યો તીર્થસ્થાનોએ અવારનવાર જતો રહે છે, પણ ઈશ્વર ક્યાંય સાંપડતો નથી. કેટલાક લોકો પોતે દર વરસે વૈષ્ણવદેવી કે તિરૂપતિ અચૂક જાય છે, દર પૂનમે ડાકોર થાળ ભરવા જાય છે એવી પોતાની ધાર્મિકતાની ચરમસીમાની ડીંગ હાંકતા હોય છે, પણ એમનો ચહેરો જોતાં જ સમજી શકાય છે કે ઈશ્વર એનાથી જોજનો દૂર છે.
જો કે આ કવિતા કોઈ ધર્મતીર્થની નહીં, પક્ષીતીર્થની કવિતા છે. શીર્ષક જ વાચકને વિસ્મિત કરવા માટે પૂરતું છે. પણ ધર્મ અને પક્ષી – આ બે શબ્દોની ફેરબદલ કરીએ તો ઉપરની બધી વાત આ કવિતાને લાગુ પડે છે. પક્ષી ઉડ્ડયનનું, આઝાદીનું, સીમાહીનતાનું પ્રતિક છે. વાસ્તવનું હોય કે સ્વપ્નનું, આકાશમાં ઊડવા માટે પાંખ જરૂરી છે. ઊડવાની ઇચ્છા જ ન હોય તો ક્યાંય પહોંચી શકાતું નથી. કવિને પણ ઊડવાની ઇચ્છા છે. એ પોતાના પક્ષીનો સાક્ષાત્કાર કરવા માંગે છે. પણ જે રીતે અધૂરી આસ્થા લઈ-લઈને ગામ આખાના તીર્થસ્થાનોએ રખડતા ‘પત્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન’ પ્રકૃતિના મૂર્ખાઓ કદી ઈશ્વરને પામી શકતા નથી, એ જ રીતે કવિ આ પક્ષી સાથે રૂ-બ-રૂ થઈ શકતા નથી. આ કારણોસર કે પેલા કારણોસર એ દર વખતે પંખીને ચૂકી જ જાય છે, બાકી પંખી તો અવશ્ય આવે જ છે…
Permalink
July 3, 2019 at 9:28 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !
શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !
પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !
દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !
દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત, દુનિયાના અંધારને રોશન કોણ કરે !
કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !
ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે !
– ગની દહીંવાલા
પ્રત્યેક શેર એક કહાની….ક્લાસિક ગઝલ….
Permalink
July 2, 2019 at 2:35 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
વ્હાલાથી વેગળાં થઈ રહેવાનું ભાગ્યમાં
સીતા કે રાધિકા કે મીરાં
વિરહની વેદનાને જીરવતાં શીખવ્યું કે
પ્રેમી ન હોય કૈં અધીરાં.
વિરહની આગ એ જ વ્હાલપનો બાગ
એમાં પ્રેમી તો મસ્ત થઈ મ્હાલે
પંચવટી, વૃંદાવન, મેવાડી ધરતી પર
ચાલે એ મનગમતી ચાલે
વ્હાલપનાં વારિ કૈં છીછરાં ન હોય
એ તો વહી રહ્યાં ગહન ગભીરાં…
મળવાની ઝંખના તો એનામાં જાગે
જે હોય એકબીજાંથી આઘાં
વેગળાં ન હોય એને ભેગાં શું થાવું ?
એને કેવાં વિઘન, શેની બાધા ?
સરયુ કે યમુનાનો કાંઠો કે બળબળતા
રણ કેરી રેતીને તીરાં !
– તુષાર શુક્લ
Permalink
Page 29 of 113« First«...282930...»Last »