ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
કિરણ ચૌહાણ

નિરખને ગગનમાં – નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
.                નિરખને ગગનમાંo

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
.                નિરખને ગગનમાંo

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
.                નિરખને ગગનમાંo

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
.                નિરખને ગગનમાંo

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
.                નિરખને ગગનમાંo

– નરસિંહ મહેતા

જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.

1 Comment »

  1. જયેન્દ્ર ઠાકર said,

    August 23, 2019 @ 1:23 PM

    આજની રળિયામણી ઘડીએ જેનો આજે જન્મદિન છે તેનું સ્મરણ કરવું એ એક સદ્ભાગ્ય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment