ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક ટેલર

ઊંડી રજની – નરસિંહરાવ દિવેટિયા

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
.                                          આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
.                                          આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
.                                          આ શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
.                                          આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
.                                          આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
.                                          આ શી ઊંડી રજની!

– નરસિંહરાવ દિવેટિયા

આ ગીત વાંચીએ તો બ. ક. ઠાકોરનું સૉનેટ ‘ભણકારા’ યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતી ભાષાના એ સર્વપ્રથમ સૉનેટમાં બ. ક. ઠાકોરે કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર આપ્યો છે. એ સૉનેટમાં પણ ગાઢ રાત્રિ, અંધકાર, એમાં ડૂબી જતી વૃક્ષોની હારમાળા, નદીના પ્રશાંત જળ, હળુ-હળુ વાતો પવન, અને આ નીરવ શાંતિમાં કવિહૃદયમાં ઊઠતા ભણકારા અને અનાયાસ થતું કાવ્યસર્જન – આ વાતો જોવા મળે છે. અહીં આ ગીતમાં પણ એ બધા જ તત્ત્વો નજરે ચડે છે. અલબત્ત, આ કોઈ ઊઠાંતરી નથી. કાવ્યસ્વરૂપ સાવ અલગ છે, કાવ્યબાની પણ સાવ અલગ છે પણ બે અલગ-અલગ કવિની કલમે એકસમાન અનુભૂતિ અવતરે ત્યારે કવિતા કેવાં બે ભિન્ન-સમાન સ્વરૂપ ધારે એ જોવા-સમજવા માટે જ આ સરખામણી છે.

આકાશની ઘેરી ગુફામાં સૂતેલ ગાઢ રાત્રિના ઊંડા અંધકારમાંથી ઊંડા ભણકારા ઊઠે છે. તારાઓ પણ નજરે ન ચડે એવી આ ગાઢ રાત્રિ કંઈક ગૂઢ સંદેશ લઈને આવી છે. સહુ કોઈ ઠાર મરાયા હોય એવી નિઃસ્તબ્ધતા જન્માવતું  શાંતિનું પૂર અદભુત રેલાઈ રહ્યું છે, માત્ર પવન થોડું થોડું આ શાંતિ સાથે રમી લે છે. અંધારામાં લુપ્ત થઈ ગયેલી વૃક્ષોની હારમાળા પણ લેશ માત્ર અવાજ કરતી નથી. કવિ પોતે પણ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ ઊભા છે. અંધારું એવું છે કે અસંખ્ય ગૂઢ ભેદ-રહસ્યો ન ભીતર ભર્યા-ભંડાર્યા હોય! આ રહસ્યોના ઝણકારથી અચાનક જાગી ઊઠ્યા હોય એમ કવિ દિવ્ય ઓથાર અનુભવે છે અને એમનું હૃદય જાણે કે સો-સો ધારે ફાટે છે અને દિવ્ય કવિતાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

1 Comment »

  1. sandip pujara said,

    August 17, 2019 @ 3:43 AM

    વાહ … સરસ

    આસ્વાદ પણ ગમ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment