મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

મારું તો કાંઈ નક્કી નંઈ – પારુલ ખખ્ખર

તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

એક તમારા નામનું દેરું
એને છાંટયો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં , કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

-પારુલ ખખ્ખર

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક શ્રી ઉદયન ઠક્કરની કલમે આ ગીતનો આસ્વાદ:

આ ગીતમાં કાવ્યનાયિકા તેના પ્રિય પાત્રને સંબોધે છે. તુંકારે બોલાવી શકાય એવી આત્મીયતા રહી નથી, માટે ‘તમે’ કહીને સંબોધે છે. પ્રિય પાત્રથી વિખૂટા પડી જવાયું છે- ‘અમારું ગામ’ અને ‘તમારું ગામ’ એક થઈ શક્યાં નથી. એક કાળે નદી કિનારે પ્રણયગોષ્ઠિ થઈ હશે, માટે નાયિકા પ્રિય પાત્રને એ જ સ્થળે જવાનું સૂચવે છે. પરંતુ નાયિકા પોતે તો ત્યાં મળવાની નથી, એનું તો ‘કંઈ નક્કી નથી,’ માટે બીજા- ત્રીજાને હળવા- મળવાનું મહેણું મારે છે. ‘જેને મળવું હોય તેને મળજોને, મારે શું?’- એવા રુસણાનો ભાવ અહીં દેખાય છે.

નાયિકા નાયકને ઘરે નથી બોલાવતી, ગલીના છેડે રોકાવાનું કહે છે, કારણ કે બે વચ્ચે હવે અંતર પડી ગયું છે. ઉર્દૂ ગઝલમાં પ્રેયસીની ગલીનું રૂપક પરંપરાથી ચાલ્યું આવે છે, માટે ‘શેરીના નાકે’ નહિ પણ ‘ગલીના છેડે’ કહે છે. નાયકે સાદ તો કરવાનો છે, પણ ‘અમસ્તો’, કારણ કે નાયિકા પ્રતિસાદ આપવાની નથી.આમ છતાં નાયિકાની ઇચ્છા ખરી કે નાયક રાહ જુએ. રાહ જોયા પછી આગળ ‘વધવાનું’ નથી પણ ‘વળવાનું’ છે, કારણ કે ત્યાંથી બન્નેની જિંદગીમાં વળાંક આવે છે.
નાયિકા માટે નાયકનું નામ દેરા જેટલું પવિત્ર છે.’ગેરુઓ’ એટલે મટિયાળો કે ભગવો રંગ, જે વૈરાગ્યસૂચક છે.’એરું આભડવો’ એટલે સાપ ડસવો. નાયિકા શૃંગારમાંથી વૈરાગ્યમાં સરી પડી, કારણ કે મિલનની વેળાને એરું આભડી ગયો.પ્રિય પાત્રે પોતાની ભૂલનું ઝેર ઉતારવું પડશે, પસ્તાવાની જ્યોત જગાવીને પોતે ઓગળવું પડશે. નાયિકાનું તો કાંઈ નક્કી નઇ, કારણ કે ભૂલ એણે નહોતી કરી. નાયિકા નથી ઇચ્છતી કે પ્રિય પાત્ર એકાએક ખાક થઈ જાય, માટે કહે છે, ‘ધીમી આંચે ખુદ ઓગળજો’- જેથી લાંબા સમય સુધી વિરહાગ્નિ વેઠવો પડે.

પ્રણાલિકા છે કે સૂરજની સાખે સાચું જ બોલાય. આ તો ‘આથમતો સૂરજ’ છે, ‘ઝાંખું-પાંખું’ અજવાળું છે- યુવાની ઢળવામાં છે,ઓરતા આથમવામાં છે.શું ન થઈ શક્યું એ સાંભરીને નાયિકા નિશ્વાસ નાખે છે. નાયિકા કહેતી જાય છે- મને વળગવાનો સમય વીતી ગયો, હવે મારા નામને વળગીને ઝળહળજો! બશીર બદ્રનો શેર સાંભરે છે:

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે

નાયિકા કહે છે, જીવનનું સરવૈયું કાઢતાં જણાશે કે રીસામણાં વધુ હતાં અને મનામણાં ઓછાં, દ્રોહ વધુ હતો અને વફાદારી ઓછી. નાયક-નાયિકાનો સંગાથ આંગળી અને નખ જેવો છે- ભેગાં તોય નોખાં. સંબંધ એવો કે પાસે આવવા ન દે, અને દૂર જવા ન દે.નાયિકા કહી દે છે- આવા સથવારા તમને જ મુબારક!

નાયિકા નથી નકારતી કે નથી સ્વીકારતી. ‘મારું તો કાંઈ નક્કી નઇ’ કહીને નાયકને (અને ભાવકને) બે રમણીય શક્યતાઓ વચ્ચે ઝૂલતો રાખે છે.

કવયિત્રીએ આ ગીતનો આકાર કુશળતાથી ઘડ્યો છે.દરેક અંતરામાં અંત્યાનુપ્રાસવાળી ત્રણ પંક્તિ આવે છે, જે અંજની ગીતના છંદમાં છે. ચોથી પંક્તિનું ત્રણ ટુકડામાં વિભાજન થયું છે, જેમાં પહેલા-બીજા ટુકડાના અંત્યાનુપ્રાસ મળે છે.(જેમ કે નામ લઈને/હામ લઈને.) દરેક અંતરાના અંત્યાનુપ્રાસ પછી ‘મારું તો કાંઈ નક્કી નઇ’ પદનું પુનરાવર્તન થાય છે, જે રચનારીતિ ગઝલની રદીફને મળતી આવે છે.

(આસ્વાદ : શ્રી ઉદયન ઠક્કર)

3 Comments »

  1. Lalit Trivedi said,

    August 24, 2019 @ 4:47 AM

    બહુ સરસ છે
    રાજીપો

  2. suresh shah said,

    August 26, 2019 @ 1:25 AM

    Chi. Parul.
    In last month I come across your 3 very very interesting poems/
    i ahve enjoyed thourourly.
    Keep it up .
    All the Best.

    With Best wishes.

    Suresh Shah
    Super Sr. citizen.
    98212 16391.

  3. Anil Shah.Pune said,

    September 3, 2019 @ 1:14 AM

    ખૂબજ વખાણવા લાયક કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment