ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છે આ,
શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ.
લલિત ત્રિવેદી

કોણ – કૃષ્ણ દવે

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?

ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

-કૃષ્ણ દવે

1 Comment »

  1. saryu parikh said,

    August 21, 2019 @ 9:23 AM

    સુંદર રચના.
    સરયૂ પરીખ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment