પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ

(નથી ‘ચોર’ હું) – ભાનુપ્રસાદ પંડ્યા

વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?

“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”

– ભાનુપ્રસાદ પંડ્યા

ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…

1 Comment »

  1. Parbatkumar said,

    April 2, 2021 @ 12:26 AM

    વાહ
    ખૂબ સરસ સોનેટ
    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment