મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
– હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

होगी नहीं – દુષ્યંતકુમાર

पक गई हैं आदतें बातों से सर होंगी नहीं
कोई हंगामा करो ऐसे गुज़र होगी नहीं

इन ठिठुरती उँगलियों को इस लपट पर सेंक लो
धूप अब घर की किसी दीवार पर होगी नहीं

बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं

आज मेरा साथ दो वैसे मुझे मालूम है
पत्थरों में चीख़ हर्गिज़ कारगर होगी नहीं

आपके टुकड़ों के टुकड़े कर दिये जायेंगे पर
आपकी ताज़ीम में कोई कसर होगी नहीं             [ ताज़ीम = સન્માન ]

सिर्फ़ शायर देखता है क़हक़हों की अस्लियत
हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं

– દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર એ naked reality ના કવિ છે. પહેલો શેર તો એની મજબૂતાઈથી વ્યવહારની ભાષામાં વપરાતો થઇ ગયો છે, પરંતુ બાકીના બધા પણ અત્યંત મજબૂત છે. ઉદાહરણ તરીકે ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!

Comments (7)

અઘરી પડી – બિનિતા પુરોહિત

એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.

લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.

હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.

પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?

લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.

અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?

– બિનિતા પુરોહિત

સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !

Comments (12)

શબ્દની ધજા – મીનાક્ષી ચંદારાણા

Minaxi

છલકતાં ફરે ચોક, છત ને છજાં,
ગઝલમાં પલળવાની કેવી મજા !

ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પુછે રજા !

નગર બ્હાર જાતાં જડ્યાં જંગલો,
છું હદપાર, કેવી મજાની સજા !

ઊડ્યાં મનભરી અંતહીન આ નભે,
અમે છોડી સરહદ, વળોટ્યાં ગજા !

અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.

– મીનાક્ષી ચંદારાણા

વડોદરાના કવિ-દંપતિ શ્રી અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા એકીસાથે પોતપોતાના પ્રથમ ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની મીનાક્ષીબેનના “સાંજને સૂને ખીણે”માંથી એક કૃતિ માણીએ…

આખી ગઝલ મજાની પણ ગઝલનો આખરી શેર કદાચ માત્ર હાંસિલે-ગઝલ જ નહીં, હાંસિલે-જીવન સમો !

Comments (5)

ગઝલ – અશ્વિન ચંદારાણા

Bhitar chale aari

ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.

તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.

વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.

ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.

ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.

– અશ્વિન ચંદારાણા

વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.

Comments (4)

રોજ સાંજે પંખીઓના – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’

– ઉદયન ઠક્કર

મક્તાનો શેર આખી ગઝલને ઊંચકી કાઢે છે……

Comments (4)

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

Comments (4)

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

Comments (6)

ઈજન – જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

– જગદીપ ઉપાધ્યાય

મજાનું લયાન્વિત ગીત… દરેક બંધની પોતાની એક અલગ જ મજા છે પણ છેલ્લો બંધ શિરમોર…

Comments (3)

ઉથલાવ ને – હર્ષા દવે

હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !

સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !

ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!

આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!

સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!

-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)

“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.

Comments (4)

મળે – મનોજ ખંડેરિયા

કાયમી સમજણથી બસ રુખસદ મળે
થાય છે કે આ પીડા અનહદ મળે

ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે

ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો?
ગામ આખું આંસુમાં ગારદ મળે

સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,
ખોદતાં એ ઘર નીચે પારદ મળે       [ પારદ = પારો , અહીં mercurial અર્થ વધુ બેસે છે ]

શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે

આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે

 

– મનોજ ખંડેરિયા

 

મત્લો જ કેટલો મજબૂત છે !!! મરીઝ યાદ આવી જાય – ‘ દે એક મહાન દર્દ અને પારાવાર દે….’  કવિને અનહદ પીડા જોઈએ છે, કારણકે પીડા વ્યક્તિને સતત વર્તમાનમાં રાખે છે. કવિને ભગવાન બુદ્ધની વાતમાં રસ નથી. શુદ્ધ અનુભૂતિ સિવાય કશામાં કવિને રસ નથી.

Comments (1)

નડે – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

– રઈશ મનીઆર

રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……

Comments (4)

એકલવાયા – વજેસિંહ પારગી

માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.

શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.

એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.

બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.

તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.

– વજેસિંહ પારગી

કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.

Comments (3)

સફર થાય છે – રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે

– રઈશ મનીઆર

કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”

રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

Comments (10)

ગણાવ તું – મેગી આસનાની

જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.

તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.

ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.

માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.

– મેગી આસનાની

પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.

Comments (8)

લખો ! – રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

– રમેશ પારેખ

અલગ ઢાળની ગઝલ છે. ક્યાંક રમતિયાળપણું છે તો ક્યાંક વેધક કટાક્ષ છે તો ક્યાંક વક્રોક્તિ છે….આપઘાતની વાત બહુ માર્મિક રીતે આલેખી છે.

Comments (1)

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता – નિદા ફાઝલી

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीं तो कहीं आसमाँ नहीं मिलता

बुझा सका है भला कौन वक़्त के शोले
ये ऐसी आग है जिसमें धुआँ नहीं मिलता

तमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो [ ख़ुलूस = purity of heart ]
जहाँ उमीद हो सकी वहाँ नहीं मिलता

कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता

ये क्या अज़ाब है सब अपने आप में गुम हैं [ अज़ाब = torment, pain ]
ज़बाँ मिली है मगर हमज़बाँ नहीं मिलता

चिराग़ जलते ही बीनाई बुझने लगती है [ बीनाई = vision ]
खुद अपने घर में ही घर का निशाँ नहीं मिलता

जिसे भी देखिये वो अपने आप में गुम है
ज़ुबाँ मिली है मगर हमज़ुबा नहीं मिलता

तेरे जहान में ऐसा नहीं कि प्यार न हो
जहाँ उम्मीद हो इस की वहाँ नहीं मिलता

– નિદા ફાઝલી

સ્વાતંત્ર્ય દિવસે આ ગઝલ હેતુપૂર્વક મૂકુ છું. શેનું મહત્વ વધારે – માણસાઈનું કે રાષ્ટ્રીયતાનું ? હું જો દેશ સાથે છેતરપીંડી કરું તો હું નઠારો અને મારો સમગ્ર દેશ અન્ય દેશ સાથે છેતરપીંડી કરે તો તે સફળ વિદેશનીતિ…. રાષ્ટ્રીયતા વિભાજક બળ છે, સંયોજક નથી. નાગરિકત્વ કરતા વિશ્વનાગરિકત્વ અનેકગણું અધિક છે. જે રીતે ધર્મ અને જાતિના વાડાઓ સમાજને વિભાજે છે તે કરતા અત્યંત વધુ જડતાપૂર્વક રાષ્ટ્રીયતા વિભાજે છે. જ્યાં સુધી વ્યક્તિની આંતરિક conflict દૂર નહિ થાય ત્યાં સુધી શાયરનો પ્રત્યેક શેર વ્યક્તિમાત્રની struggle પ્રતિબિંબિત કરતો જ રહેશે.

Comments (3)

પુનઃ ! – વીરુ પુરોહિત

(મંદાક્રાંતા)

આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !

કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !

કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !

કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !

– વીરુ પુરોહિત

“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !

Comments (4)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.

Comments (9)

સત કહો કે ભ્રમણા – વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા.
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા.

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા.
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દૃશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
ટહુકા કરશે હમણાં.
સત કહો કે ભ્રમણા.

– વિમલ અગ્રાવત

શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.

Comments (11)

ભીતર રહે – મુકુલ ચોકસી

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.

– મુકુલ ચોકસી

Comments (7)

એવી ખબર થોડી જ હોય? – અનિલ ચાવડા

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ

Comments (9)

વાત ક્યાં સમજાય છે ! – નેહા પુરોહિત

આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

– નેહા પુરોહિત

આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.

કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે…  ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….

Comments (8)

સૂતી હતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં :
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા :

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ :

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી :
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી :

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી !

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!

– કૃષ્ણલાલ શ્રીધરાણી

દેશ આખો ગાંધીજીના પ્રભાવમાં અને પ્રવાહમાં કેદ હતો એવા ટાણે ૧૯૩૨ની સાલમાં શ્રીધરાણી પાસેથી આવું ઉમદા રતિરાગનું કાવ્ય મળે છે.

સંભોગની ચરમસીમા પછીની આરામની પળોમાં જોવા-બોલવાનું કશું હોતું નથી, મનોભાવ વાંચવાનુંય વ્યર્થ છે. બે દેહ એક થઈ જાય એનું પ્રેમગાન જ અબોલ સાદ કરતું હોય છે. આવામાં ચંદ્રની ચાંદની પ્રિયાના હોઠ પર પડતી જોઈ કવિની ‘પઝેસિવનેસ’ જાગૃત થાય છે. પણ ચાંદનીને હટાવવા ચંપાના પાંદડાનો પડછાયો કામમાં આવે છે એ પણ બીજી જ ક્ષણે પ્રિયાના અધરોષ્ઠ ચુંબનમાં ભાગ પડાવી કવિને હરાવી જતો હોય એમ લાગે છે.

કવિતા વાંચીએ ત્યારે આધિભૌતિક કવિતા (મેટાફિઝિકલ પોએટ્રી)ના પિતા જોન ડૉનની “ધ સન રાઇઝિંગ” કવિતા યાદ આવી જાય જેમાં રતિરત પ્રિયતમાને બારીના પડદા વચ્ચેથી પ્રવેશીને ખલેલ પહોંચાડતા સૂર્યને કવિ ખખડાવે છે.

 

Comments (3)

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

Comments (11)

કારણ વગર – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

Comments (5)

નાપાસ વિધાર્થીઓને ! – નિર્મિશ ઠાકર

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

– નિર્મિશ ઠાકર

ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં ભણતરના નામે જે નિષ્ઠુર મજાક ચાલી રહી છે તેવામાં આ ગીત એક મસ્ત તોફાની તાજગી લઈને આવે છે…..

Comments (2)

ખારવણ – વિમલ અગ્રાવત

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

-વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત કોઈ મહેફિલમાં હાજર હોય અને શ્રોતાગણ ‘ખારવણ’ની ડિમાન્ડ ન કરે એવું બને જ નહીં એટલી લોકપ્રિય આ રચના થઈ છે.

મહાભારતની મત્સ્યગંધા ઘ્રાણેન્દ્રિયને ઉત્તેજતી, પણ આ ગીતની નાયિકા ખારવણ સીધી સ્વાદેન્દ્રિય પર જ હલ્લો કરે છે. ભલે ને માથા પરની ટોકરીમાં બૂમલાંનો ભાર કેમ ન હોય, ખારવણના પગ જમીનને અડતા નથી. ખારવણ જાણે કે દરિયાનો જ એક હિસ્સો છે પણ ખરાબાની જમીન જેવા છીછરા ખારવાને બટકા-કટકામાં તે શાનો કંઈ રસ હોય? ભલે મોતીના બદલે માછલી કેમ ન મળે, ખારવણની આંખોમાં દરિયા ભરીને સપનાં ઉછરી રહ્યાં છે ને સપનાંની આડે આવતા દારૂના કેફને ગાળ ભાંડીને ઉતારી નાંખવાની એનામાં તાકાત છે. કાશ ! ખારવો આ ખારી ખારી ખારવણના જિંદગીના નશાને જોઈ-ચાખી-માણી શક્યો હોત!

ડો. ફિરદૌસ દેખૈયાના સ્વરાંકન, સ્વર તથા સંગીતમાં આ ગીત આપ અહીં માણી શક્શો.

બાંસિયું = ટોપલો, તગારુ.
ફૂગ્ગી = દારૂની કોથળી
ભાઠોડું = ખરાબાની જમીન; છીછરૂં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન; છીછરા પાણીવાળી જગ્યા.
શીનો = શાનો, શેનો

Comments (11)

જાહોજલાલી – કાલિન્દી પરીખ

image

મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.

હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.

દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.

ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ,
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.

ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ,
અમારે તો અંદરની જાહોજલાલી.

– કાલિન્દી પરીખ

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર કાલિન્દી પરીખ “ક્યાંક વચ્ચે દીવાલ” ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે એ ટાંકણે ટીમ લયસ્તરો તરફથી એમનું સહૃદય અભિવાદન અને સ્નેહકામનાઓ…

રાચરચીલાથી ભર્યુંભાદર્યું ઘર પણ માણસ અને સ્નેહ ન હોય તો ખાલી મકાન જ છે. ઘર વિશેનો આ શેર વાંચતાં જ જાણીતી કાવ્યકણિકા યાદ આવે:
ઘર એટલે ચાર દીવાલ ?
ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !

Comments (12)

જિંદગી ખર્ચાય છે – મેગી આસનાની

image

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.

હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.

રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.

મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.

– મેગી આસનાની

દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….

ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…

Comments (13)

ગગન પણ ઉદાસ છે – મરીઝ

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

– મરીઝ

Comments (6)

આંખોમાં દરિયો – રવીન્દ્ર પારેખ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

– રવીન્દ્ર પારેખ

ભાષા રમતિયાળ છે, પણ વેદના ભારોભાર છે…..

Comments (9)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

શક્યતાનું દ્વાર છે – હર્ષા દવે

એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.

લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.

આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?

રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.

એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.

– હર્ષા દવે

કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.

બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !

Comments (15)

ભીંજાઈએ – પંકજ વખારિયા

છે દિવસ ઓછા, હજી પણ ચલ, પ્રિયે! ભીંજાઈએ
આ છલોછલ આંખના છે સમ તને, ભીંજાઈએ

સાવ સૂકીભઠ્ઠ ધરા જેવા અધર પર લીલાંછમ
ગીત ઊગી જાય પાછાં એ હદે ભીંજાઈએ

મેહ વરસે છે સરાજાહેર તો શા કારણે
ખાનગીમાં, એકલાં છૂપાઈને ભીંજાઈએ?

પીઢ લોકોને ભલે રહી ના પલળવાની ગરજ,
પણ ફરજ છે આપણી તો, આપણે ભીંજાઈએ.

બે ઘડી શંકા-દુવિધાને ફગાવી દઈ, ચલો
કોઈ અનરાધારે અનહદ ભીંજવે, ભીંજાઈએ

રહી ગયા રંક ઓરડાની કોરીકટ ભીંતો સમા
દે ખુદા ! વરસાદ છપ્પર ફાડકે, ભીંજાઈએ

– પંકજ વખારિયા
(૧૩-૦૭-૨૦૧૬)

આવું-આવું કરીને વરસાદ સતત હાથતાળી દઈ જતો હોય એવામાં આવી જ ગઝલ સૂઝે ને? બધા જ શેર સરાબોળ ભીંજવી જાય એવા. આવી પાણીદાર મેઘ-મલ્હારી ગઝલ વાંચીને પણ જો વરસાદ આપણને ભીંજવવા ન આવે તો જ નવાઈ…

Comments (3)

મળે….- મુકુલ ચોકસી

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….

Comments (11)

મને છોકરીઓ ના રે સમજાતી – તુષાર શુક્લ

આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –

પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી

આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –

ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

– તુષાર શુક્લ

સાલ્લું તદ્દન સાચી વાત !!!!!!

Comments (9)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

Comments (7)

સ્વીકારી લીધું છે – ભાવિન ગોપાણી

ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.

તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.

સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.

તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.

હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.

– ભાવિન ગોપાણી

કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.

Comments (4)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

Comments (5)

એક અમસ્તી શક્યતા – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

Comments (4)

પતંગ – કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)

કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી

-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)

ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.

How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.

– Kobayashi Issa

Comments (6)

કેમ કરીને – જગદીશ જોષી

આટલા બધા સંબંધ : એને કેમ કરીને રાખું ?
શબરીની જેમ એક પછી એક બોરને જાણે ચાખું !

નહિ જાણું હું કઈ ઘડીએ આવશે છેવટ રામ
રાતાં રાતાં બોરની પાછળ ધબકે કોનું નામ ?

પહેલાં મને રામજી, ચાખો : લાગણી મારી લીલી
ઝૂંપડીની આસપાસમાં જુઓ, વાડી કેવી ખીલી !

રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.

પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !

– જગદીશ જોષી

એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.

Comments (5)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

હવે આંખોનું નામ નહીં આંખો – રમેશ પારેખ

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન, વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !

એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં, આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

– રમેશ પારેખ

કોઈ જ અર્થ કાઢવાની ઝંઝટ વગર માત્ર ગણગણાવીને મનભરીને માણવા જેવું મધુરું ગીત…..

Comments (5)

હું શમણાંઓને ગાળું છું – મિલિંદ ગઢવી

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.

– મિલિંદ ગઢવી

Comments (11)

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

Comments (5)

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…

Comments (9)

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)

What will you do, God, when I die? – Rainer Maria Rilke

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once —
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

— Rainer Maria Rilke

શું કરશે તું, પ્રભુ ! મારા મૃત્યુ બાદ ?
તારી સુરાહી સમાન હું જ્યારે ભાંગીને વેરાયેલો હોઈશ ?
મારારૂપી તારી મદિરા જ્યારે વાસી-બેસ્વાદ થઈ જશે ?
હું તારું રોજીંદુ પહેરણ છું,
મને ગુમાવતાં તું તારો અર્થ ગુમાવી બેસે છે.

મારા વગરનો બેઘર તું ગુમાવી બેસશે
મધુરું ઉમળકાભેર સ્વાગત
પગરખાં છું હું તારા, મારા વિના
કલાન્ત નગ્ન ચરણો તારા ભટકતા રહેશે.

ભવ્ય ડગલો ઉતરી જશે તારો,
કરુણાસભર દ્રષ્ટિપાત તારો કે જે મારા ગાલ પર
રમતો રહેતો, તે શોધતો ફરશે એ ઉષ્મા
જે તેને નિત્ય હું ધરતો-
તે દ્રષ્ટિપાત, સૂર્યાસ્તની અદભૂત રંગસભા બરખાસ્ત થતાં,
અફળાતો રહેશે કાળમીંઢ ખડકોના ઉષ્માહીન ખોળામાં.

શું કરીશ તું, પ્રભુ ? ચિંતિત છું હું…..

આ વાત મને બહુ જ ગમી. અત્યંત હિંમતપૂર્વક કવિએ ઈશ્વરના અસ્તિત્વ અંગે મૂળભૂત પ્રશ્ન ઊભો કર્યો છે. શું ઈશ્વર માનવમનના એક ભ્રામક સર્જનથી વિશેષ કંઈ જ નથી ? ઉત્તર દરેકનો પોતીકો હોઈ શકે. અંગત રીતે હું તો દ્રઢપણે માનું છું કે માનવ ઈશ્વરનું સંતાન નથી, ઈશ્વર માનવનું સંતાન છે.I think, therefore I am. – Rene Descartes

Comments (4)