દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 29, 2011 at 12:43 AM by તીર્થેશ · Filed under ગીત
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમા,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
– હરીન્દ્ર દવે
ગીતની અનુપમ સુંદરતા વિષે કંઈપણ કહેવું તે સૂરજને ટોર્ચ બતાવવા જેવું છે. ‘આંધી’ નું ગુલઝારનું અમર ગીત યાદ આવી જાય છે-‘ તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ….રાત કો રોક લો….’. આ ગીત સ્વ.દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં લતા મંગેશકરે ગાયું છે અને એને માણવું હોય તો આ આ શબ્દોનું google search કરવા વિનંતી-
Lata – Ruple Madhi Chhe – Rupale Madhi Chhe Saari Raat – Lata …
Permalink
May 25, 2011 at 11:45 AM by ઊર્મિ · Filed under ગીત, રમેશ પારેખ
મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારા સપનામાં આવ્યા હરિ.
સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
– રમેશ પારેખ
રમેશ પારેખનાં ઘણા ગમતીલાં ગીતોમાંનું મારું એક ગમતીલું ગીત… થોડા વખતમાં ઓડિયો સાથે જરૂર મૂકીશ.
ફરમાઈશ ઃ તુલસી ઠાકર
Permalink
May 20, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!
આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !
કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !
– ચંદ્રકાન્ત શેઠ
કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…
Permalink
May 15, 2011 at 2:00 AM by તીર્થેશ · Filed under ગીત
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
– મકરંદ દવે.
હિંમત અને શ્રદ્ધા- આ બે હલેસાં ભવપાર લઈ જવા પૂરતાં છે. મુખ્ય અવરોધ બુદ્ધિનો છે.
Permalink
May 12, 2011 at 3:30 PM by વિવેક · Filed under ગીત, સોનલ પરીખ
જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો
ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો
દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.
– સોનલ પરીખ
ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…
Permalink
May 7, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યોગેશ જોષી
આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !
હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…
આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…
લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…
– યોગેશ જોષી
ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !
Permalink
May 1, 2011 at 12:00 AM by તીર્થેશ · Filed under ઊજમશી પરમાર, ગીત
વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!
ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.
અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.
– ઊજમશી પરમાર.
અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.
Permalink
April 29, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું
સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
-મનોહર ત્રિવેદી
વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!
Permalink
April 25, 2011 at 1:54 PM by ધવલ · Filed under ગીત, પ્રભુલાલ દ્વિવેદી
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.
આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
– પ્રભુલાલ દ્વિવેદી
ગુજરાતી રંગભૂમિનું યાદગાર ગીત. શબ્દોમાં લોકગીત જેટલી મીઠાશ અને સાદગી છે. સાંભળવું હોય તો માવજીભાઈની પરબે એનું વિંટેજ રેકોર્ડિંગ પણ તૈયાર છે.
Permalink
April 19, 2011 at 10:57 PM by ધવલ · Filed under ગીત, નર્મદ
નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…
મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…
– નર્મદ
દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.
Permalink
April 15, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.
કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
– વેણીભાઈ પુરોહિત
આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.
*
( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)
Permalink
March 23, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under ઊજમશી પરમાર, ગીત
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !
– ઊજમશી પરમાર
એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.
Permalink
March 20, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે
અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….
પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….
– મુકેશ જોષી
‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.
Permalink
March 2, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, રમેશ પારેખ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
-રમેશ પારેખ
ર.પા.નાં આ મઘમઘતા ગીત વિશે કશું કહેવાનું હોય ખરું ? આમ પણ એમનાં ગીતો વંચાતા જ નથી હોતા, આપોઆપ જ ગવાઈ જાય છે… મને ખૂબ્બ જ પ્રિય એવા આ ગીતને શ્યામલ-સૌમિલ મુન્શીના સંગીત સાથે અને પાર્થિવ ગોહિલના સ્વરમાં આપ અહીં સાંભળી શકો છો.
Permalink
February 25, 2011 at 12:39 AM by વિવેક · Filed under ઉશનસ્, ગીત
આછા આછા ભાંગતી રાતના ગાળે,
કે આછા આછા ચાંદરણા-અજવાળે
કોણ આ વ્હેલું ઊઠી ગયું છે, ને ઘરઆંગણું વાળે !
વાસીદામાં ખરિયાં તારકફૂલ વળાતાં વાગે !
ગમાણ-ખાણ-કરે ભરવાડણ કો અડવાણે પાગે !
તેજ તણખલાં વીખર્યાં વાળી-ઝૂડી બાંધતી ભારે ! – આછા0
પાછલી રાતનો ટેટી-ટેટીએ લૂમઝૂમ વડ આકાશે,
તેજ-તાર-કસબ વડવાઈ ઝૂલે આંખની પાસે,
ઝોળી બાંધી, પણ હજી જોને નીડ ઊંઘે છે ડાળે – આછા0
નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે ! – આછા0
– ઉશનસ્
Permalink
February 24, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.
મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.
– જયંત પાઠક
Permalink
February 14, 2011 at 9:55 PM by ધવલ · Filed under ગીત, હરીન્દ્ર દવે
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!
– હરીન્દ્ર દવે
વેલેંટાઈન ડેના અવસરે હરીન્દ્ર દવેનું સંગાથનો મહીમા કરતું મધમીઠું પ્રેમગીત.
Permalink
February 3, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, નંદિતા ઠાકોર
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?
સાંજ મને સોનેરી જોઈતી નથી કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.
અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.
ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
– નંદિતા ઠાકોર
Permalink
January 30, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
– હરીન્દ્ર દવે
સૂર્ય એ જ રજકણ અને રજકણ એ જ સૂર્ય-આ વાતની અનુભૂતિ જ્યાં સુધી રજકણને નહિ થાય ત્યાં સુધી તેનું ગંતવ્ય છે અકલ મૂંઝવણ મહીં અટવાવું અને તેનું લોક-ચરણે ટળવળવું. શા માટે તે સામર્થ્ય અન્ય પાસેથી ઝંખે છે ? જે ક્ષણે તે પોતાની અંદર નજર કરશે – તેને પોતાની અને સૂર્યની એકાત્મતા લાધશે.
Permalink
January 28, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગની દહીંવાળા, ગીત
તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો….તમે….
તમે વિહરનારા અજવાળે,હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી;
શીતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઊભા ત્યાં હું પથરાયો….તમે…
રાતદિવસના ગોખે દીવડા નિજ હાથે પ્રગટાવો !
એથી અદકું ઓજસ લૈને અહીં વિહરવા આવો;
લખલખ તેજે નયન ઝગે તમ,
કાજળ થૈને હું અંજાયો….તમે…
આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;
પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
આજ મને સાચો સમજાયો ! તમે….
– ગની દહીંવાળા
Permalink
January 26, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under કાન્ત, ગીત, દેશભક્તિ
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
– કવિ કાન્ત
(સૌજન્ય: ટહુકો)
લયસ્તરોના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રસ્તુત છે, આપણી પાઠશાળાઓમાં ગવાતું એક ખૂબ જ જાણીતું અને માનીતું ગીત… જય હિંદ !
Permalink
January 5, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં !
તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !
– જયંત પાઠક
Permalink
January 2, 2011 at 2:30 AM by તીર્થેશ · Filed under કિસન સોસા, ગીત
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી
આજ ટેરવે સમજણ ફૂટી
એવી કંઈ અણધારી…
પળમાં તાજો થયો અનંતથી
છૂટી ગયેલો નાતો
પસાર થાતો જીવ કનેથી
પવન ઋચાઓ ગાતો
બારણું બાંધી રાખે,બારી
ઉડાન દે અલગારી…
કિરણગૂંથ્યા મોરપિચ્છથી
સજી એવી સંજવારી
ઓરડા સાથે અંતરમનમાં
ફોરી ઓજની ક્યારી
આજ કેટલી કુબેર દૃષ્ટિ
ગતની રંક બિચારી
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી….
– કિસન સોસા
આ નમણા કાવ્યમાં lateral thinkingથી લઈને “ઘૂંઘટકે પટ ખોલ રે,તોહે પિયા મિલેંગે…” સુધીની વાતો વણી લેવાઈ છે…. ‘બારણું બાંધી રાખે,બારી ઉડાન દે અલગારી…’ -પંક્તિ અદભુત સ્પંદનો જગાવે છે.
Permalink
December 25, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
વરસી ગયા રે વાદળમાં વનમાળી;
કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ?
જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,
અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;
રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. – વરસીo
તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી. – વરસીo
-પ્રિયકાન્ત મણિયાર
આમ તો શિયાળો બેસી ગયો છે પણ પ્રેમમાં તો બારે માસ ચોમાસુ જ રહેવાનું… કહ્યા વિના અચાનક જ આવીને પ્રિયતમ રોમે રોમે વરસી જાય પછી કંઈ કણ-કણમાં આગ લાગ્યા વિના રહે ?! હૃદયના કોઈ તપ્ત ખૂણો જરા ભીનો થાય કે મનમાં કેટલીક સ્મૃતિઓ કૂવા સમી છલકી ઊઠે અથવા સંગાથની સરવાણી સમયધારામાં વહી નીકળે, આ બધામાં પણ ખાલીપો ખાલીપો જ રહે છે જ્યાં લગી એ કાયમી વસવાટ કરવા નહીં આવે…
Permalink
December 18, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, કરસનદાસ માણેક, ગીત, પ્રાર્થના
પાણી વહે તો પથ્થરો કોરાય નહીં તોય ભીના તો જરૂર થાય. કવિતા પણ ક્યારેક કોરે પણ ભીંજવે કાયમ. ગૌરાંગ ઠાકરની ગઝલો આંખ મીંચીને કોઈ બીજાના અવાજમાં સાંભળવાની થાય તોય ખ્યાલ આવી જાય કે આ ગૌરાંગ ઠાકરની કલમ છે. એમની રચનાઓમાં ખાસ એમની જ શૈલીમાં ઈશ્વર અને પ્રકૃતિ કેમ ડોકાતા રહે છે એનું રહસ્ય આજે આપણને ખબર પડશે…
*
જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીનદુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન
સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન
વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.
– કરસનદાસ માણેક
ગુજરાતી કવિતાની પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડોટ કોમ એની સ્થાપનાના છ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તેના તમામ સંચાલક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું.
મારી વાત કરું તો મારા માટે આ પ્રશ્ન ખરેખર મુંઝવણ ઉભો કરતો પ્રશ્ન રહ્યો કારણ કે ગુજરાતી ભાષાની કંઈ કેટલીય કવિતાઓ મને સ્પર્શી છે અને મારા જીવનને વળાંક પણ આપ્યો છે, તેમાં માત્ર એક કવિતાની વાત હું કઈ આંગળીને કાપું ને લોહી ના નીકળે એવી વાત છે.તેમ છતાં જીવનના પ્રારંભિક કાળમાં શાળામાં ગવાતી આ કવિતા જીવન અંજલિ થાજો… મને ખૂબ ગમી હતી. આ પ્રાર્થના ગીતના બંધારણને મળતી છે એ તો પછીથી જાણ થઈ અને મારા આનંદનો પાર ન રહ્યો. અને જાણ્યું કે જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા. પછી તો ભણવામાં કલાપીની આપની યાદી ગઝલ ભણ્યો,ને કવિતા તરફની મારી આ માન્યતા વધુ મજબુત થઇ અને આજે પણ હું જીવનના કપરા સંજોગોમાં આ કવિતાઓ ઉપરાંત ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા’ કે ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના’ વાંચું કે સાંભળું તો જીવવાનું બળ મળી રહે છે. આમ કવિતાએ મારા માટે ઈશ્વર આરાધનાનું સ્થાન લીધું છે અને ત્યાર પછીની મારી કવિતાઓમાં પણ મેં મારી ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ કર્યો છે.
– ગૌરાંગ ઠાકર
Permalink
December 12, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગીત, ચંદ્રકાન્ત શાહ
આજે રેખા સિંઘલની કલમે હૃદયના તાર “હચમચાવી” મૂકે એવી કવિતા સાથે મૂળથી અળગા થયાની વેદના માણીએ…
*
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.
શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
– ચન્દ્રકાંત શાહ
અમેરિકા આવ્યાની શરૂઆતના દિવસોમાં જાતની ઓળખના ચૂરેચૂરા થયા પછીની વેદના લગભગ દરેક ઈમીગ્રાંટે અનુભવી છે. નવી ઓળખ ઉભી કરતા પહેલાં અહીંના એટલે કે આ દેશના થવું પડે તે જરૂરી હોવા છતાં અઘરૂં હતું. જ્યાંના હતાં ત્યાંથી ઉખડી રહ્યા હતા અને અહીં હજુ રોપાવાના સંઘર્ષની શરૂઆત હતી. એ સમયમાં હ્રદયના ભાવોને એક વિશાળ ફલક પર મૂકતી આ રચના ચંદુભાઈના સ્વમુખે સાંભળવાનો મોકો મળ્યો ત્યારે સ્વ. શ્રી આદિલ મન્સૂરી અને બીજા કેટલાક નામી કવિઓ પણ આ સંમેલનમાં હતાં તે વાતને આજે પંદરથી વધારે વર્ષો વીતી ગયા છે પણ આ રચના દિલમાં ઊંડી ઉતરી ગઈ. પરમ તત્વ તરફ દ્રષ્ટિપાત કરતી આ રચનાના શબ્દે શબ્દમાં લય અને માધુર્ય નીતરે છે.
– રેખા સિંધલ
Permalink
December 10, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગીત, નાથાલાલ દવે
નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! આજે જોઈએ કે કઈ કવિતા એમને ક્યાં અને કેવી રીતે સ્પર્શી ગઈ છે!
*
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
– નાથાલાલ દવે
જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
-પ્રજ્ઞા વ્યાસ
Permalink
December 1, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, પાર્ષદ પઢિયાર
સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ, ફાળ થૈ હૈયામાં વિસ્તરે
ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર, જોયાનું સુખ રોજ ચીતરે.
ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.
-પાર્ષદ પઢિયાર
આમે ય જ્યારે પ્રિયજનની વાટ જોતાં હોઈએ ત્યારે પ્રિયનાં આવવા પહેલા એના આવવાનાં ભણકારા જ વધુ વાગતા હોય છે…! સાજનનાં આવવાનાં ભણકારા ભાસતી અને અણસારા તાગતી નાયિકાની વધતી જતી અધિરાઈ અને એની ઈચ્છાની વધતી જતી લંબાઈને કવિએ અહીં ખૂબ જ સુંદર વાચા આપી છે.
Permalink
November 29, 2010 at 10:10 PM by ધવલ · Filed under ગીત, દિલીપ ભટ્ટ
એકલો પડું ને તમે સાંભરો.
થાળીમાંથી ચોખા લઈ વીણતાં હો એવે બપોર મને સપનામાં આવે,
બારણામાં ઊભા રહી, ટીકી ટીકી પૂછો, કાચી કેરીનું શાક ભાવે ?
જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી, છાના રહો જીવ, ન ભાંભરો.
એકલો પડું ને તમે સાંભરો.
ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ? એમાં સાત-સાત સમદરનાં જળ,
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતાં અંજળ.
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો.
– દિલીપ ભટ્ટ
દરેક ગીત એક કથા લઈને આવતું હોય છે. ગીતે પહેલા કથાનું વાતાવરણ જમાવવાનું અને સાથે સાથે કથા પણ કહેવાની – આ બેવડી જવાબદારી વચ્ચે ઘણા ગીતો બેવડ વળી જતા હોય છે. પણ આ ગીત જુઓ કેવું સ્નિગ્ધ વાતાવરણ ઊભું કરે છે અને આખી કથા તો જાણે ઘૂંટાતી ધૃવપંક્તિમાં જ બયાન કરી દીધી છે. વર્ષોના સાનિધ્ય પછી પ્રિયજનના જતા રહેવાથી જનમતો મન ફાટી પડે એવો ખાલીપો આ ગીતમાં ઝમતો અનુભવી શકાય છે.
Permalink
November 28, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
જંગલને યાદ નથી કરવું વાલમજી !
ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.
પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.
– મનોજ ખંડેરિયા
પહેલી નજરે સરળ લાગતા આ કાવ્યમાં અત્યંત ખૂબીપૂર્વક નાયિકાના મનોભાવને વાચા અપાઈ છે. જંગલ એ અતીતનું પ્રતિક છે. સૂરજ,ખુલ્લું આકાશ તે આવનારી કાલ છે. વળી જંગલ અને તેને આનુષાન્ગિક રૂપકોને અજ્ઞાનના રૂપક ગણી શકાય અને સૂર્યને જ્ઞાનનું. જોકે અતીતના સંદર્ભમાં અર્થ વધુ બંધબેસે છે.
Permalink
November 19, 2010 at 1:46 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ વર્ષ કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દી વર્ષ તો છે જ પણ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે. તો આ પ્રસંગે ઉમાશંકરના મોઢે શ્રીધરાણીની કવિતા વિશે બે વાત સાંભળીએ તો કેવું ? : “રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર વિશે છે કે પભાતશુક્ર અંગે કે બંને અંગે ? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલક પલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી.“
Permalink
November 14, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, માધવ રામાનુજ
આ શબ્દ હવે છૂટે તો સારું !
આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે-
વાટ ખૂટે તો સારું…
આ સંબોધનમાં,સંબંધોમાં
માયાની માયામાં,
આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે
એના પડછાયામાં !
આ મનમાં પળપળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું…
આ ક્યાં અધવચ્ચે,ક્યાં મઝધારે,
ક્યાં અંતરને આરે!
આ ભીતરથી કોઈ સાદ કરે છે :
પાછા ફરશું ક્યારે !
આ જીવતર જેવું જીવતર અટવાયું છે-
જાળ તૂટે તો સારું….
આ શબ્દ હવે છૂટે તો સારું !
– માધવ રામાનુજ
પગથિયા ઉપર પગ મૂકી ઉપર જતા પગથીયું જ પગની બેડી બની જાય તો શું થાય ?……. મૌનથી શરુ થતી યાત્રા શબ્દની પાંખે માંહ્યલાને ફરી મૌનના પ્રદેશમાં લઇ જતી હોય છે,પરંતુ ક્યાંક પાંખ થંભવાનું નામ જ નથી લેતી અને ચકરાવાઓનો કોઈ અંત જ નથી રહેતો….
Permalink
November 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ખેલ મેં દેખા ખેલનહારા !
અલકમલક સે આયા બાદલ
. બરસત અનરાધારા.
વીજચમક કી પ્રકટ આરતી
ગરજન ઘોર નગારા;
ચલત પવન કી બજત નાગિણી
જલાધારી જલધારા,
. શિવમંદિર સંસારા !
ભમરા ગુંજે કમલ ફૂલ મેં :
ગણ મહિમનસ્તુતિ ગાવે;
નદિયાં નાગ-ફણાસી ફૈલી
ડમરુ બિપિન બજાવે;
. સો નટરાજ નિહારા !
– જયન્ત પાઠક
વરસાદના ખેલમાં ખેલનહાર પણ નજરે નથી ચડતો? અને વરસાદની લીલા પણ કેવી! એક પછી એક કલ્પન કવિ સાવ અનોખી રીતે પેશ કરીને આંખ આગળ આખું માતીલું ચોમાસું લઈને આવી ચડે છે… આજ કવિ ક્યારેક એમ પણ કહે, અજબ કરામત કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી…
નાગિણી= નાગ આકારનું એ વાદ્ય; બિપિન= ઉપવન, વાટિકા;
Permalink
November 12, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…
મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…
-દલપત પઢિયાર
અંદરના અજવાળાને આકાર આપતું ધનમૂલક ગીત.
(ચરો= ગૌચર તરીકે અલાયદી રાખેલી પડતર જમીન, દને=દિવસે, માંયલી= માંહ્યની, ભીતરની)
Permalink
November 7, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, પન્ના નાયક
તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.
મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.
– પન્ના નાયક
નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે… વળી આ કાવ્યમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ક્યાંય ઉદગારચિહ્નનો ઉપયોગ નથી. કોઈ હકીકત પંડ્યમાં નિ:શંક રીતે અને કાયમી ધોરણે ઉતરી ગઈ હોય અને અનહદ દર્દને લીધે જે એક કારમી તટસ્થતા આવી ગઈ હોય,તે રીતે સીધાસાદા statements of fact છે…. છતાં કાવ્યની ઊંચાઈ તેમાં રહેલા કડવાશના સદંતર અભાવમાં છે.
Permalink
November 6, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરસિંહરાવ દિવેટિયા, પ્રાર્થના
પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo
દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo
ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo
કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo
રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo
– નરસિંહરાવ દિવેટિયા
16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !
Permalink
October 31, 2010 at 4:30 AM by તીર્થેશ · Filed under ગીત
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
માફો ને સાફો ને ગજવેલી આંખોમાં,
રમ્યા કરે છે કંઈક બોલ,
મીઠું મલક્યા ને કૈંક લીધા રિસામણે,
જીવ્યા કર્યું છે કૈંક લોક,
ફળિયાના શ્વાસોની આછેરી પાંખોથી,
શેણે બંધાયો સંબંધ ?
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
પાદરથી દૂરે પેલા આભલાની પાળે,
પદરવની વારતાઓ ડૂબી.
ચાલ્યા તણો સાદ કોણ હવે દેતું ?
ગયા ઢીંગલાંની વાતને ભૂલી.
સ્હેજ ભલે વારતાઓ માંડો અધૂરી,
હૈયું તો બાંધે સંબંધ.
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
– દલપત ચૌહાણ
[ માફો = ગાડાને ઉપરથી વીંટાળવામાં આવતું કપડું જેથી ગાડામાં બેઠેલી વ્યક્તિ દેખાય નહિ.]
Permalink
October 16, 2010 at 12:40 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત

(1966-67માં કોલેજ (SY BA)ના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ કાવ્યપઠન સ્પર્ધામાં તૃતીય વિજેતા નીવડેલ શ્રીમતિ દેવિકાબેન ધ્રુવનું કવિશ્રી ઉમાશંકર જોશીના વરદ હસ્તે સન્માન)
*
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
– ઉમાશંકર જોશી
(તા. 31 ઓગષ્ટ, 1947)
*
કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની વધુ એક કડી… બ્લૉગજગતમાં જાણીતા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવના આલ્બમમાંથી એક તસ્વીર અને સાથે જ એમણે મોકલાવેલ કવિશ્રીની એમની પસંદગીની એક રચના આજે સાથે સાથે માણીએ…
Permalink
October 12, 2010 at 8:59 PM by ધવલ · Filed under ગીત, દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો: ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો !!
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!
– દીપક ત્રિવેદી
પોતાના વ્હાલા પણ વટના કટકા જેવા પ્રિતમ સામે આ ગીત મીઠ્ઠી ફરિયાદ છે. (પ્રિયતમાના લટકા ઉપર ઘણા ગીત જોવા મળશે, પણ અહીં ઊંધી જ વાત છે !) અડિયલ સાંવરિયો હંમેશ આડો ચાલે. ઘડી ઘડીમાં એની કમાન છટકે. અડધે રસ્તે કહી દે કે ‘અટકો’. પ્રેમકહાણી અચાનક જ પાંપણમાંથી વરસતા ચોમાસાની કહાણી થઈ જાય. અને આંખમાં વ્હાલા ખટકાની જેમ આ વટના કટકાને જાળવવો પડે. આ બધી મીઠ્ઠી ગડમથલ આ ગીતમાં વણાઈને આવે છે.
Permalink
September 27, 2010 at 9:43 PM by ધવલ · Filed under કેશુભાઈ પટેલ, ગીત
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.
ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.
એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.
સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
– કેશુભાઈ પટેલ
દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.
Permalink
September 26, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!
તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!
હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
– મનસુખલાલ ઝવેરી
અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..
Permalink
September 24, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
– રમેશ પારેખ
પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે. ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’. પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…
Permalink
September 12, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….
આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?
હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
– રવીન્દ્ર પારેખ
શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….
Permalink
September 5, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
આ મારી છાતીમાં ફાટફાટ એકલતા
તારે શું કરવું છે જોઈને.
આખું આકાશ મારી અંદર હિજરાય
સાવ નવોનક્કોર ચાંદ ખોઈને…
હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
ઓઢાડે કાશ્મીરી શાલ.
એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
મને મફલર વીંટાળશે કે વ્હાલ.
તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
કોઈ નથી ઓળખતું કોઈને.. આખું આકાશ……
ટુકડો જમીનનો દરિયામાં હોય
એમ મારુંય નામ કોઈ ટાપુ,
મારી તારીખ સહુ વાંચીને કહી દેતા
પસ્તીમાં મૂકો આ છાપું.
દુઃખના આ ડાઘ નથી ભૂંસાતા:
થાક્યો છું ગંગાથી જખ્મોને ધોઈને. આખું આકાશ…..
– મુકેશ જોષી
રૂપકોનું નાવીન્ય અતિખેડાયેલા વિષયમાં નવા પ્રાણ ફૂંકે છે……
Permalink
September 2, 2010 at 9:34 PM by ધવલ · Filed under ઓડિયો, ગીત, હરીન્દ્ર દવે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
– હરીન્દ્ર દવે
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ
[audio:
http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]
મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.
(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)
Permalink
September 1, 2010 at 8:48 PM by ઊર્મિ · Filed under ગીત, હેમન્ત દેસાઇ
આજ મન મોરલીમાં માઢ નહીં છેડું;
. હાં જોઉં હવે
કહાન મને મથુરાથી મોકલે છે તેડું?
ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
. જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
. અત્તરિયા અંતરમાં પૂરી;
આભ મહીં ઊગ્યા વૈશાખને હું વેડું;
કે કહાન મને મથુરાથી મોકલે છે તેડું!
ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
. કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
. ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે અધરાતના હું અજવાળું બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!
-હેમંત દેસાઈ
માઢ = રાગ
Permalink
August 20, 2010 at 2:00 AM by તીર્થેશ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
– હરિકૃષ્ણ પાઠક
બુદ્ધ ન હોવા નો ફાયદો !! અજંપાનો આ આનંદ બુદ્ધત્વ સાથે અલોપ થઇ જાય ! 
Permalink
August 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત, દેશભક્તિ

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
. ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
. ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
. ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
. જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
. ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
. અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
. વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
. વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
. કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
. મનુકુલ-મનનની ધારા.
– ઉમાશંકર જોશી
‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!
કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ. આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?
(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)
Permalink
August 11, 2010 at 10:07 PM by ઊર્મિ · Filed under ગીત, વિનોદ જોશી, હસ્તપ્રત

(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
Permalink
August 10, 2010 at 3:50 PM by ધવલ · Filed under કરસનદાસ માણેક, ગીત
એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !
તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !
– કરસનદાસ માણેક
શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.
Permalink
Page 19 of 26« First«...181920...»Last »