કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે
સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?
જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે
કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે
સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે
– હેમંત પુણેકર
સુંદર ગઝલ…
Permalink
November 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
સમયના સુકાતાં ઝરણમાં ઊભો છું,
કે હું રાખના કોઈ કણમાં ઊભો છું.
ને ત્યાં કોઈનો હાથ લંબાય ક્યાંથી ?
હું સૂરજની પાછળ કળણમાં ઊભો છું.
કમળ જેમ ખીલ્યાં છે સ્વપ્નો પરંતુ,
તિમિરના સઘન આવરણમાં ઊભો છું.
અનાગતની વાતો કરું કેવી રીતે ?
હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું.
ને અણસાર મારો મળી પણ ગયો છે,
હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.
ભવન આપણું સાવ જર્જર પુરાણું,
હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું.
– હેલ્પર ક્રિસ્ટી
એકે-એક શેર ખરા સોના જેવા…
Permalink
November 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
– મનોજ ખંડેરિયા
Permalink
November 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.
સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.
સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.
ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.
કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.
– નીતિન વડગામા
આજે ભીડની વચ્ચે આમ જોઈએ તો માણસ સાવ એકલો પડી ગયો છે પણ શું એ સાચે જ એકલો પડી શકે છે ખરો? એકલતા અને એકાંત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કવિ આ ગઝલમાં સરસ રીતે ખોલી આપે છે.
Permalink
November 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.
હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.
-મરીઝ
મરીઝની ગઝલને વળી ટિપ્પણીની શી જરૂર? શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે.
કોઈ ‘તબીબ’ ઉપનામ ધરાવતા શાયરને શરાબના પૈસા સાટે એ ગઝલો લખી આપતા હતા એ વાત અહીં કેવી વક્રોક્તિ બનીને રજૂ થઈ છે !
Permalink
November 17, 2013 at 1:17 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
-ચિનુ મોદી
Permalink
November 16, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.
આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ,
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.
માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.
ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.
રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.
– હેલ્પર ક્રિસ્ટી
મજાની ગઝલ… આપણને સહુને આપણી બંધ બારી ખોલી અજવાસ આણતાં વર્ષો નથી લાગી જતાં ? વર્ષો વહી ગયાં રદીફ મનોજ ખંડેરિયાની ગઝલ વરસોના વરસ લાગે યાદ આવી જાય…
Permalink
November 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રિપદી, સંજુ વાળા
ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો
વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો
નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો
હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો
ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો
તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો
– સંજુ વાળા
જેમ મનુષ્ય પોતાના અસ્તિત્વનો એમ કવિ પોતાના કવિપણાનો તાગ સતત લેતો આવ્યો છે. કવિમિત્ર સંજુ વાળા ગઝલ ત્રિપદીના સ્વરૂપમાં અહીં પાકા કવિના લક્ષણ તાગવાની મથામણ કરે છે…
Permalink
November 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે
મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે
પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે
ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે
વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે
– કુમાર જૈમિની શાસ્ત્રી
મનનીય ગઝલ…
Permalink
November 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.
હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.
વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભળે ભેદી અવાજો રોજ પાણીમાં.
નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જાય પાંખો રોજ પાણીમાં.
વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં ?
– વારિજ લુહાર
આંસુભીની આંખ દુખસાગરમાંથી પાર થવા સતત કોઈક સહારાની શોધમાં છે પણ આ આંસુમાં રોજ કંઈ કેટલી આશાઓ- કેટલા શ્વાસ ડૂબી મરે છે ! વરસાદની આગાહી તો હોય પણ નિર્વસ્ત્ર વરસાદ તરસનુંય માન ન રાખીને આવે જ નહીં એ કેવો અભિશાપ ! સરવાળે મજાની ગઝલ…
Permalink
November 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી.
કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને,
બાકી હે આપનાર સમસ્યા કશી નથી.
પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે,
આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી.
આશા છે એકની અને આદત બીજાની છે,
હા હોય કે નકાર સમસ્યા કશી નથી.
ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે,
યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.
ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.
વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.
મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.
-રઈશ મનીઆર
Permalink
October 31, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
તમે ગયાં તે પછી શબ્દ સાધના જ રહી
વિયોગ-યોગની કેવળ વિભાવના જ રહી
હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી
છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના જ રહી
નથી ઉતારી શક્યો ચાંદને હું ધરતી પર
મેં કલ્પના જ કરેલી તે કલ્પના જ રહી
રૂંવે રૂંવે જે પીડા થઈ રહી છે તેનું શું
રહ્યું શરીર અને એમાં ચેતના જ રહી.
– ભરત વિંઝુડા
આખી ગઝલના ઉઠાવની ખરી ચાવી રદીફમાં આવતો “જ” જ છે…નહીં ?
એક પંક્તિ બીજી પંક્તિમાં દડે એ પ્રક્રિયા સોનેટમાં સામાન્યતઃ જોવા મળે છે. અંગ્રેજીમાં એને enjambment કહે છે… પ્રસ્તુત ગઝલના ત્રીજા શેરમાં જરા વિપરિત પ્રક્રિયા જોવા મળે છે. બીજી પંક્તિનો ‘નથી’ પહેલી પંક્તિના અંતે આવ્યો છે. આને reverse-enjambment ગણી શકાય?
Permalink
October 28, 2013 at 10:53 PM by ધવલ · Filed under ગઝલ, પ્રકીર્ણ, હિમાંશુ ભટ્ટ
આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. એ બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)
Permalink
October 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
હોવાનો આ ખયાલે છે મૂળમાંથી ખોટો,
હોઈ તો તે શકે કે જેનો ન હોય જોટો .
આરંભ જો કહો તો આરંભ સાવ એમ જ
કંઈ નહીં- ના બીજમાંથી કંઈ નહીં- નો ફૂટે કોટો .
જોનારું કો રહે ના, જોવાનું છંઈ રહે ના,
જોવુંય એક અમથો અડધો ચણેલ ઓટો .
પકડી શકે જો કોઈ, પકડી શકે એ પોતે,
આકાશ પણ નથી એ કે એ નથી લિસોટો .
શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,
જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો .
-રાજેન્દ્ર શુક્લ
આ ગઝલમાં ‘nothingness’ જેવા અતિગૂઢ વિષય ઉપર વાત કરવા જતાં જાણે કવિ પોતાના જ રચેલા જાળામાં જાણે કે ભેરવાઈ ગયા છે એવો મારો અંગત અભિપ્રાય છે. આ ગઝલ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ એ કે આવા વિષય ઉપર સિદ્ધહસ્ત કલમ પણ ભૂલી પડી જાય એવું બની શકે. દર્શનની અદભૂત સ્પષ્ટતા હોય તો જ – કદાચ – આ વિષયે ગઝલ સહજતાથી બહાર નીકળે, અન્યથા………
Permalink
October 27, 2013 at 1:48 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં
એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં
એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં
પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં
જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં
-શેખાદમ આબુવાલા
Permalink
October 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
આ નવો રંગ-રાગ છે જાનાં
કાળા કંબલની શાન છે જાનાં
આખી દુનિયા ઉદાસ લાગે છે
દિલની દુનિયા ઉદાસ છે જાનાં
શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં
ખૈર ચાહું છું તારા કમખાની
પયરહન તાર-તાર છે જાનાં
એક તારો વિચાર ઝળહળ છે
બાકી અંધાર રાત છે જાનાં
‘મીર’ના અર્થમાં મહત્તા શી ?
મીર તારો ગુલામ છે જાનાં
– રશીદ મીર
એક પછી એક શેરના પડળ ખુલતા જાય છે અને આ આખી ગઝલ પ્રિયતમાની જેમ આપણને આશ્લેષબદ્ધ કરતી અનુભવાય છે…
Permalink
October 24, 2013 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, ગઝલ
યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.
તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.
આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.
પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.
તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.
– અદમ ટંકારવી
ગુજલિશ ગઝલોથી આપણી ભાષામાં એક અલગ જ ચોકો ચાતરનાર અદમ ટાંકારવીની એક રમતિયાળ ગઝલ… આજે તો જો કે ટાઇપરાઇટર પણ રિટાયર્ડ થઈ ગયા છે પણ ગઝલનું પર્ફ્યુમ હજી પણ એવું જ મઘમઘ થાય છે…
Permalink
October 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?
દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?
સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?
Permalink
October 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વજ્ર માતરી
દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?
ગમની છે રામબાણ દવા ઘુંટ મદિરા,
એ સંતનું વિધાન હતું કોણ માનશે ?
જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે ?
જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું કોણ માનશે ?
ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું કોણ માનશે ?
બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું કોણ માનશે ?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે !
તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું કોણ માનશે ?
– વજ્ર માતરી
તરહી મુશાયરાના જમાનામાં આપેલી પંક્તિ ઉપર બધા ગઝલકારો ગઝલ લખીને લાવતા. એવા જ કોઈ તરહી મુશાયરામાં કદાચ આ ગઝલ સર્જાઈ હોય… ત્રણેક ગઝલ મને જડી છે… બીજી આપને જડે તો અમને જણાવજો…
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? – રૂસ્વા https://layastaro.com/?p=432
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? -શૂન્ય પાલનપુરી https://layastaro.com/?p=466
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે – મરીઝ http://maagurjari.com/2012/07/25
Permalink
October 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શશિકાન્ત ભટ્ટ 'શૈશવ'
સતત એષણાઓનું રણ વિસ્તરે છે,
મને કોઈ મૃગજળ બની છેતરે છે.
હરણ-ફાળ મંઝિલ તરફ હું ભરું છું,
ને મારો જ રસ્તો મને આંતરે છે.
હથેળીમાં વિસ્તાર રેતીનો કાયમ,
હથેળીમાં ઇચ્છાનાં હરણાં મરે છે.
નસીબે ફકત ઝાંઝવાં છે લખાયાં,
છતાં પ્યાસ મારી બધે કરગરે છે.
નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે.
– શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’
આ કવિના નામની અડફેટે હું તો પહેલી જ વાર ચડ્યો પણ ગઝલ વાંચતા જ આહ નીકળી ગઈ. કયા શેરને વધુ ગમાડવો એ પ્રાણપ્રશ્ન થઈ રહે છે…
Permalink
October 17, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનસુખ વાઘેલા
હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે,
ને સર્પ વાત કરે છે હજીય ફળ વિશે !
થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
બધા જ વાત કરે છે હવે કમળ વિશે !
ચરણમાં તીર લઈ શ્યામ ઘૂમતા આજે,
કદાચ ગોપીઓ કહે આ લીલા-છળ વિશે !
ફરીથી પૃથ્વી આ ફાટે તો જાનકી નીકળે ?
છતાં છે રામને ચિંતા હવે અકળ વિશે !
બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ ?
હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે !
હવેથી દંતકથાઓનું નામ ‘મનસુખ’ છે,
હરેક સ્થળ મને ચર્ચે હરેક પળ વિશે !
– મનસુખ વાઘેલા
‘પ્રિયજન સાથેની ગુફ્તેગૂ ‘થી શરૂ થઈ ગઝલની યાત્રા કોઈપણ પ્રકારની કવિતાના સાહજિક ગુણધર્મને અનુસરતી સમષ્ટિ સાથે એકરસ થઈ ગઈ… આજે માણીએ એક મિથિકલ ગઝલ… બધા જ પાત્રો અને વાત સ્વયંસ્પષ્ટ છે… જો કે એક વાત જે આ મત્લા વિનાની ગઝલમાં મને સમજાઈ નહીં તે ઈવ અને આદમની વાત… બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?
Permalink
October 13, 2013 at 2:41 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૌમ્ય જોશી
વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.
તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.
એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.
શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.
આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.
-સૌમ્ય જોશી
Permalink
October 11, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
છીપ-મોતીની કણસ, મેં સાચવી છે !
બંધ મુઠ્ઠીની જણસ, મેં સાચવી છે !
ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા..પણ,
સાત દરિયાની તરસ, મેં સાચવી છે !
ફૂલ, કૂંપળ, પાંદડા..તેં સાચવ્યા, ને –
પાનખર વરસો-વરસ, મેં સાચવી છે !
લાલ-પીળા રંગ ઘોળી ને..નજરમાં,
સાંજની પીડા સરસ, મેં સાચવી છે !
આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ, મેં સાચવી છે !
– લક્ષ્મી ડોબરિયા
આ ગઝલ વાંચો અને ભીતર સાચવી રાખેલી “વાહ” અનાયાસ સરી ન પડે તો જ નવાઈ… બધા જ શેર અદભુત! મત્લા અને મક્તા તો ભઈ, તોબા !
Permalink
October 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?
સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !
હજી ઝાકળના કૂણાં સ્પંદને ઝળકી રહ્યાં’તાં જે,
પ્રખર તડકાના તીખા તેજમાં ફૂલો ખરી બેઠાં !
તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં !
કદી જ્વાળામુખી જેવી બળતરા ભીતરે ઊઠી,
અને પાંપણ ઉપર બે આંસુ આવીને ઠરી બેઠાં !
– દિવ્યા રાજેશ મોદી
કવિ અને કવયિત્રી, પુરુષ અને સ્ત્રી – આ બંનેના ઊર્મિજગતમાં જમીન-આસમાનનો ફરક હોવાનો જ. સ્ત્રીની સંવેદના કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જોવું હોય તો આ ગઝલના બીજા અને છેલ્લા શેર પર નજર નાંખો. સૃષ્ટિ આખીના કેન્દ્રબિંદુ સમો સૂર્ય જરા જેટલો વ્યાકુળ લાગે એવામાં દીવો ઓફર કરી બેસે એ માત્ર સ્ત્રી જ હોઈ શકે. કૃષ્ણની ટચલી આંગળી અને ગોવાળિયાની લાકડીઓના ટેકા યાદ આવી જાય. છેલ્લો શેર પણ એક સ્ત્રીના ચિત્તતંત્રમાંથી જ સંભવી શકે…. સૂર્ય અને દીવાની જેમ અહીં જ્વાળામુખી અને બે બુંદ આંસુ બ-ખૂબી juxtapose કરવામાં આવ્યાં છે !
Permalink
October 7, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ચકલીએ ચાંચ મારીને ફોટો પડી ગયો,
દીવાલ પરથી આખો કબીલો પડી ગયો !
વરસાદમાંય આવીને તેઓ મળી ગયાં,
આંગણમાં થોડો સોનેરી તડકો પડી ગયો.
સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં,
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો.
એને તો ફૂટવાની હતી ટેવ તે છતાં,
અદ્ક્યું પીંછું ને કાચ પર ગોબો પડી ગયો.
લૂંટી ગયું’તું કોઈ ફક્ત લાગણી છતાં,
શ્વાસોના આખા શહેરમાં સોપો પડી ગયો !
ભારે પડી ગઈ બહુ સૂરજની દોસ્તી,
પડછાયો અંધકારમાં ખુલ્લો પડી ગયો.
જીવન સમા જીવનની કશી ના રહી વિસાત,
સોદો કર્યો જે મોતથી, મોંઘો પડી ગયો.
– ભગવતીકુમાર શર્મા
Permalink
October 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત યાજ્ઞિક
પાંપણ પર ચોમાસું પહેરી અમે પછી વરસાદે ચાલ્યા
ધસમસ ધસમસ સોળ વરસની થઈ નદી વરસાદે ચાલ્યા
ભીંજાવાનો ભેજ ભયાનક પ્રસરી બેઠો આંખો વચ્ચે
તમે ઉઘાડા નીકળ્યા કોરી લઈ છત્રી વરસાદે ચાલ્યા
કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા
અંગરખું ઝરમર ટીપાનું વાંકી ટોપી મેઘધનુનું,
છેલછબીલા ઘરવાળાના ધણી બની વરસાદે ચાલ્યા
ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા
હવે ચલમ, તમાકુ તાણો વરસ થયું છે સોળ આનીનું
માઝમ કાળી ડીબાંગ રાતો મળી-ભળી વરસાદે ચાલ્યા
– ભરત યાજ્ઞિક
ગઈકાલે જ ર.પા.નું ‘વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી’ ગીત મૂક્યું ને આજે સવારે તો સુરતનું આકાશ ગોરંભે ચડ્યું ને સવાર સવારમાં જાણે રાત થઈ ગઈ ને વરસાદ માઝા મૂકીને વરસી પડ્યો. વરસતા વરસાદમાં સાઇકલ ચલાવવાની મજા-મજા આવી ગઈ ને સાથે યાદ આવી ગઈ આ ભીની ભીની ગઝલ…
ગાગાગાગાના લયમાં જાણે વરસાદનું પડવું આંખોને સંભળાય એ રીતે આ ગઝલ ધસમસ ધસમસ વરસે છે… કોરી છત્રી બાજુએ મૂકી આપણે તો બસ, ભીંજાઈએ જ ભીંજાઈએ…
Permalink
September 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !
ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.
ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.
કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !
ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !
ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.
કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?
– નીતિન વડગામા
વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…
Permalink
September 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –
રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…
તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.
નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…
બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…
શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !
– હેલ્પર ક્રિસ્ટી
માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!
Permalink
September 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી

*
હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.
જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?
ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?
બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.
દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.
વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !
સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !
– દિવ્યા રાજેશ મોદી
સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…
પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…
કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…
Permalink
September 20, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો
સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !
મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.
સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.
કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.
– જિગર જોષી ‘પ્રેમ’
ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.
કવિને ખૂબ ખૂબ અભિનંદન !
Permalink
September 19, 2013 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…
Permalink
September 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
– ભાવેશ ભટ્ટ
છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…
Permalink
September 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.
નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.
બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.
એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.
એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.
-મરીઝ
Permalink
September 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !
વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.
મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.
પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.
‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ
આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…
Permalink
September 6, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ
શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ
વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્
હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્
– સુરેન્દ્ર કડિયા
ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!
Permalink
September 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !
ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
August 31, 2013 at 1:44 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !
એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !
આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !
પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !
– રતિલાલ ‘અનિલ’
એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે. “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !
Permalink
August 30, 2013 at 1:24 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'

(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯ થી ૨૯-૦૮-૨૦૧૩)
*
રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત. ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…
૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !
*
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.
પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !
મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .
હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !
નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !
ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .
લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !
વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !
મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !
ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
August 29, 2013 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.
એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.
સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.
એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.
હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !
– ભરત વિંઝુડા
આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.
હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.
ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.
Permalink
August 25, 2013 at 1:06 AM by તીર્થેશ · Filed under ગઝલ, નિર્મિશ ઠાકર
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
-નિર્મિશ ઠાકર
હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….
Permalink
August 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.
– આદિલ મન્સૂરી
સો ટચનું સોનું !
Permalink
August 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.
પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.
રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.
ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.
ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.
-રઈશ મનીઆર
આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।
ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…
Permalink
August 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દેશભક્તિ, શેખાદમ આબુવાલા
(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)
હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય
સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય
ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય
કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય
આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય
મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય
આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય
-શેખાદમ આબુવાલા
આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !
જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !
Permalink
August 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા
શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા
હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા
બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા
કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા
એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા
– શેખાદમ આબુવાલા
અમુક શેર નબળાં લાગ્યા પણ બાકીનાં ગઝલને સરસ ઉપાડે છે.
Permalink
August 5, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે
વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે
એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે
ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે
જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે
મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે
– રઇશ મનીઆર
Permalink
August 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
अच्छा मैं दूसरों से बुरा दूसरों से हूँ
मैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?
अपने में अपने आपको जब ढूँढने गया
मालूम ये हुआ मैं भरा दूसरों से हूँ
जब तक न बन सका है मेरा अपना कोई कद
छोटा मैं दूसरों से बड़ा दूसरों से हूँ
अर्से से कुछ अजीब है इस दिल की कैफियत
नाराज़ खुद से हूँ मैं खफ़ा दूसरों से हूँ
हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ
– राजेश रेड्डी
જરાક change ખાતર આજે આ હિન્દી ગઝલ …. રાજેશ રેડ્ડી નવા યુગના બહુ પ્રતિભાશાળી શાયર છે. પ્રમાણમાં સરળ હિન્દી છે જેથી તરજુમો કરતો નથી.
Permalink
August 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાપુભાઈ ગઢવી
ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !
શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !
બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?
તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?
ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?
– બાપુભાઈ ગઢવી
પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !
Permalink
July 29, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
-જલન માતરી
Permalink
July 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાળા
Permalink
July 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?
નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?
સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?
લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?
– શોભિત દેસાઈ
પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?
લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…
બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…
Permalink
Page 27 of 50« First«...262728...»Last »