કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

Comments (7)

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

– નરસિંહ મહેતા

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે.  નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.  નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

Comments (10)

આપણે અટકી ગયા… – ફારૂક એ. પટેલ

શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
આપણે અટકી ગયા સમજણ સુધી.

નામ સરનામા વગરના માણસો,
લાગણીની સરહદો સગપણ સુધી.

પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

તાડવનમાં છાંવ શોધું છું હવે…
આશ મારી વિસ્તરે છે રણ સુધી.

ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.

– ફારૂક એ. પટેલ

વિષાદની હળવી ઝાંયથી રંગાયેલી ગઝલ.  આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે. અખબારમાં આવતી ગમખ્વાર ઘટનાઓ આપણી આંખ નીચેથી માત્ર પસાર જ થઈ જાય છે, જાણે કે આખી મનુષ્યજાતિનું હવે કોઈ નામ પણ નથી રહ્યું જેનાથી એને સંબોધી શકાય કે નથી કોઈ સરનામું રહ્યું જ્યાં જઈ એને મળી શકાય…

Comments (10)

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

– જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

Comments (7)

સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

છેલ્લો શેર તો આપણે બધાએ સાંભળેલો છે અને આપણા યાદગાર શેરમાંથી એક છે. પ્રેમીઓની સાઈકોલોજીને સરળ શબ્દોમાં બયાન કરવાની મરીઝની હથોટી બીજા શેરમાં દેખાઈ આવે છે. ત્રીજા શેરમાં કવિ મઝાનો વ્યંગ કરી લે છે – જ્યાં મદિરા હલાલ ગણવી પડે એવું તે કેવું સ્વર્ગમાં દુ:ખ હશે ?

Comments (17)

આવ – બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

– બેફામ

Comments (6)

(माफ करना) – ડૉ. નીરજ મહેતા

तू कहाँ है मेरी जानिब ? माफ करना
तू नहीं दिखता है साहिब, माफ करना

अनसुनी कर दी खला की सब सदायें
क्या पता किस से मुखातिब ? माफ करना

बेसबब ही आप पढलें इस ग़ज़ल को
ये नहीं लगता मुनासिब, माफ करना

साफ दिल से एक धेला कम न लूंगा
है हमारा दाम वाजिब, माफ करना

लोग ‘नीरज’ नाम से पहचानते हैं
मैं नहीं हूँ मीर-ग़ालिब, माफ करना

– डॉ. नीरज मेहता

‘ફોર-અ-ચેઇન્જ’ આજે એક ગુજરાતી કવિની એક ઉર્દૂ ગઝલ. માફ કરના જેવી રદીફને પાંચ શેરોમાં કવિએ જે રીતે બહેલાવી છે એ કાબિલે-દાદ છે. કોઈ એક શેર પસંદ કરવો હોય તો તકલીફમાં મૂકી દે એવું સંઘેડાઉતાર કામ આ મૂળ અમરેલીના પણ હાલ રાજકોટમાં વસતા ડોક્ટરસાહેબે કર્યું છે. आज गुजराती ग़ज़ल को छोडकर मैं, उर्दू से हुआ मुक़ारिब, माफ करना ।

(खला = અવકાશ, ખાલી જગ્યા; मुख़ातिब = વાત કરનાર; बेसबब = અકારણ; धेला = અધેલો; અર્ધો પૈસો, मुक़ारिब = સમીપે, નજીક)

Comments (17)

ગઝલ – જાતુષ જોશી

રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?

તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

– જાતુષ જોશી

– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…

Comments (19)

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી…

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી-રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી-તાજી,
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી…

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી…
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી…
અનુભવી-શું માણે કાળ-તણી સૌ લીલી-સૂકી…

– કિરીટ ગોસ્વામી

એક નાનું અમથું છમ્મલીલું ગીત… એમ જ માણીએ…

Comments (14)

થતું કુસુમને – મનસુખલાલ ઝવેરી

થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”

“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”

ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !

– મનસુખલાલ ઝવેરી

ધરતીના રસે રસાઈને બીજ કળી બને અને કાળક્રમે પુષ્પ તરીકે ઊઘડે ત્યારની મુગ્ધાવસ્થાના ભાવ અહીં જે રીતે આલેખાયા છે, એ યૌવનના ઉંબરે પગ મૂકતી કોઈ નવયૌવનાના ચિત્તસંવિતનુંય યથાર્થ પ્રતિબિંબ બની રહે છે. સૉનેટના પહેલા ષટ્કમાં તરુણાવસ્થામાં પ્રવેશતા કુસુમના અંતરમાં ઊમડતી ઊર્મિઓની હેલીનું દર્શન છે તો બીજા ષટ્કમાં પોતાના વિકાસને – પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની અદમ્ય ઝંખના ડોકિયું કરે છે. ઘડીમાં એને શિવની જટામાં સ્થાન મેળવીને ગંગાના પવિત્ર જળના છંટકાવથી કૃતાર્થ થવાના મનોરથ જાગે છે તો વળી નવોઢાના ગળાની માળા બની એના સાસરિયાના નૂતન અનુભવોથી ધડકતા હૈયાનો તાગ મેળવવાના કોડ જાગે છે. વળી નાના બાળકના નિષ્પાપ હાથોમાં રમવાનુંય મન થાય છે અને કો’ક માતાના પાલવમાંના ફૂલડાંની ભાત મહીં એક ફૂલડું બનવુંય એ ચાહે છે.

કોઈ પણ કારણોસર પોતાનું હોવાપણું સાર્થક કરવા માંગતા આ પુષ્પની વાતો પરથી માખનલાલ ચતુર્વેદીની पुष्प की अभिलाषा જરૂર યાદ આવી જાય. પણ અહીં મજા તો ત્યાં છે જ્યારે તીવ્ર મનોમંથનમાં ડૂબી ગયેલા પુષ્પને કોઈ ભ્રમર રજા લીધા વિના જ સ્પર્શે છે અને કુસુમના ચિત્તના તાર-તાર મુગ્ધતાના અને ધન્યતાના રણકારે ગુંજી રહે છે… આ જ છે જીવનનું ખરું સાર્થક્ય…  

પહેલા બે ષટ્કમાં કવિએ પૃથ્વી છંદ વાપર્યો છે અને આખરી બે કડીમાં સાયાસ મંદાક્રાંતા છંદ વાપરીને અજબ ચમત્કૃતિ સાધી છે. પહેલા ષટ્કમાં કુસુમનો વિકાસ અને બીજામાં એની ઉદાત્ત ભાવનાઓનું ચિત્રણ કર્યા પછી ત્રીજા ખંડમાં ભમરાના સ્પર્શથી એના ભાવતંત્રમાં જે પલટો આવે છે એ છંદપલટા વડે કવિએ બખૂબી ઉપસાવ્યો છે !   

Comments (6)

શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

– દિલીપ ઠાકર

સર્જનની પ્રક્રિયા વિશે અઢળક લખાયું છે. છતાં આ ગઝલ નવી વાત કરવામાં સફળ થાય છે. પહેલો જ શેર જુઓ – શબ્દનું સાન્નિધ્ય કેમ કેળવ્યું ? તો કહે, પોતાની જાતને મળવા માટે ! તાનારીરીની ગાયકીના જોરે દીપક રાગ ગાઈને બળી ઉઠેલા તાનસેનને બચાવેલો એ લોકવાયકાનો આધાર લઈને કવિએ બહ મઝાનો શેર કહ્યો છે. તાનસેનોનું મહત્વનો છે જ, પણ એક ખૂણામાં નામ-દામની આશા વગર કલાની સાધના કરે રાખતા તાનારીરી જેવા કલાકારોનું અદકું મહત્વ છે એવો પણ ઈશારો છે. છેલ્લા શેરમાં દરેક શબ્દનું અંતિમ ગંતવ્ય તો નિ:શબ્દમાં ભળવાનું હોઈ શકે એવી ઊંચી વાત કરી છે.

Comments (11)

રાતને આરે – ઈન્દુલાલ ગાંધી

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.

એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.

– ઈન્દુલાલ ગાંધી

લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.

Comments (5)

રિક્ત થઈને – હિતેન આનંદપરા

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.

– હિતેન આનંદપરા

માણસ સાંજે નીચોવાઈને ‘ખાલી’ થઈ જાય પછી જ ફરી વાર ‘સભર’ થવું શક્ય બને છે.

Comments (18)

ચાલને ગોરી ! – અલ્પેશ કળસરિયા

ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !

આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં  રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

– અલ્પેશ કળસરિયા

ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત  ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.

તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…

Comments (16)

ગઝલ – વિહંગ વ્યાસ

Vihang Vyas_Anaayaas ne kalpanaatit
(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)

અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે

ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

અનુમાન તું સાવ ખોટા કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે

સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે

ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનિત થયું છે

-વિહંગ વ્યાસ

ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

Comments (32)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

હારને હાર માની નથી – મકરંદ દવે

જિંદગી ભાર માની નથી
ને  નિરાધાર  માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને  હાર  માની   નથી

– મકરંદ દવે

Comments (8)

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
                                                                     – તારા અક્ષરના સમ

તું મારી વાદળી  શાહીમાંથી  વાદળાં કેવાં   ઉડાડતો   હું   જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

        કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
                                                                     – તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
                                                                       – તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

સુંવાળા મઘમઘતા ગીતોનો રમેશ પારેખનો વારસો મૂકેશ જોશીએ જાળવ્યો છે – ન માનતા હો તો આ ગીત વાંચીને ચોક્કસ માનતા થઈ જશો !

Comments (15)

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

Comments (9)

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
– હેમેન શાહ

કવિ અહીઁ નવા કવિઓ માટે કવિ કેવી રીતે બનવું એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. (હા, કવિ વ્યવસાયે તબીબ જ છે!) કવિતા કરવાની પ્રવૃત્તિ (કે પ્રકૃતિ) આમ તો બયાન કરવી અધરી છે. પણ અહીઁ આછા વ્યંગના આધારે કવિ ધાર્યા નિશાન સર કરે છે. દિવ્યભાસ્કરમાં સુરેશ દલાલે કવિતાનો આસ્વાદ કરાવેલો એ સાથે જોશો. (એ આસ્વાદનું શીર્ષક એમણે ‘કવિતા એટલે પ્રતિક્ષા’ આપેલું.)

Comments (10)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

આદમી થઈને – સુધીર પટેલ

રુએ શું આમ આદમી થઈને !
રાખજે હામ, આદમી થઈને.

વાડ ને વાદથી ઉપર ઊઠી,
ફર સરેઆમ આદમી થઈને.

આવકારો બધે મળી રહેશે,
આવજે આમઆદમી થઈને.

આદમી થઈ જીવી જવાનો તું,
આપ પૈગામ આદમી થઈને.

થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
એવું કર કામ આદમી થઈને.

અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’
કાઢજે નામ, આદમી થઈને.

– સુધીર પટેલ

‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ. આ ગઝલ એ જ વાતને ફરી યાદ કરાવી આપે છે. ‘ઉકેલીને સ્વયંના સળ’ સંગ્રહ મોકલવા માટે સુધીરભાઈનો ખાસ આભાર.

Comments (15)

ગઝલ – દિનકર પથિક

હોય છે ભારોભાર મારામાં,
એક તારો વિચાર મારામાં.

આમ રહીને અજાણ મારાથી,
કોણ મારે લટાર મારામાં ?

પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
ખળભળી એ ધરાર મારામાં.

મોત ને જીંદગીની વચ્ચેનો ,
જીવવાનો પ્રકાર મારામાં

રોજ જન્મે ને રોજ દફનાવું,
આશ તારી મઝાર મારામાં

દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,
થઇ ગઝલ ની બજાર મારામાં.

દિનકર પથિક

(ટાઇપ સૌજન્ય: ડૉ. કલ્પન પટેલ, સુરત)

Comments (11)

કાફલામાં – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !

– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

Comments (6)

દાખલો ખોટો થયો – અશોકપુરી ગોસ્વામી

સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.

જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.

ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.

આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.

– અશોકપુરી ગોસ્વામી

અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે.  એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે.  છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !

Comments (14)

– થી છેતરાયેલના ઉદગાર – રમેશ પારેખ

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

છાંટોપાણી કરનારા કાઢે ગલાસ ને શીશો
સામા જણને કહે : ચલો, થોડીક વ્હીસ્કી પીશો ?

થતી એકલા જણની ઉપર રોવાની બળજબરી

મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં

વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં

હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી

– રમેશ પારેખ

સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !

મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…

Comments (10)

બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ

આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’

અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!  

Comments (7)

લાગણીના રંગથી – વ્રજેશ મિસ્ત્રી

લાગણીના રંગથી દોરી હતી,
એક સગપણ, જેમ રંગોળી હતી.

પ્રેમભીનો એક છાંયો પામવા,
એષણાઓ કેટલું દોડી હતી !

ના હલેસાં, ના કિનારો, ના દિશા,
ને ‘હયાતી’ નામની હોડી હતી.

વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
આંખ મારી જ્યારથી ચોળી હતી.

તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.

– વ્રજેશ મિસ્ત્રી

જિંદગીની નૌકાને કઈ રીતે હાંકવી એ પ્રશ્નનો ઉત્તર શોધવામાં જ મોટાભાગે જિંદગી પૂરી થઈ જતી હોય છે. આ હોડીને હાંકવા વળી નથી કોઈ હલેસાં કે નથી સામે કોઈ દિશા નજરે ચડતી કે નથી જડતો ક્યાંય કોઈ કિનારો… ઈશ્વરના નામનો સઢ અને શ્રદ્ધાનો પવન જ કદાચ એને પાર લગાવી શકે. ‘મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા (સુન્દરમ્)’ કહીને સુકાન એના હાથમાં સોંપી દઈએ એમાં જ કદાચ સાચું શાણપણ રહેલું છે…

Comments (11)

જિંદગી આમ તો – રાહી ઓધારિયા

જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.

આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !

મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !

હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.

– રાહી ઓધારિયા

જિંદગીની તડકી-છાંયડીની વાત આમ તો દરેક સહિત્યકારે પોતપોતાની રીતે કરી છે અને કરતા આવે છે એટલે એમાં કશું નવું ન લાગે એ સ્વાભાવિક છે પણ ગઝલ ક્યારેક ખૂબ જાણેલી વાત સાવ એવા પરિવેશમાં રજૂ કરી આપે છે કે વાંચતા જ મોઢેથી ‘વાહ’ નીકળી જાય… ભાવનગરના કવિ પણ આયખાની એ જ યોગો જૂની વાત માંડે છે પણ વાતમાં કંક્ક એવી તાજગી છે કે મન આહ અને વાહ એક સાથે પોકારી ઊઠે છે. વિશાળ રણની વચ્ચેના એક નાનકડા રણદ્વીપ સાથે જિંદગીને કવિ જે લીલપથી સરખાવે છે એ કાબિલે-તારીફ છે…  ‘છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી (નરસિંહરાવ દિવેટિયા)’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (13)

(એકલો) રાજેશ પંડ્યા

રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.

થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.

ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.

એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.

રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.

-રાજેશ પંડ્યા

ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…

એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…

Comments (7)

(હજીય) – રાજેશ પંડ્યા

આકાશ
હજીય વાદળી છે.

વૃક્ષો
હજીય લીલાં છે.

પંખી
હજીય ઊડે છે.

નદી
હજીય ભીંજવે છે.

માણસ
હજીય રડે છે.

અહીં
હજીય જીવી શકાશે.

– રાજેશ પંડ્યા

માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…

Comments (13)

અનુભવ – કવિ રાવલ

ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી

એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી

ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી

કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”

જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી

– કવિ રાવલ

આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…

Comments (16)

મૃત્યુ : એક સરરિયલ અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)

મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’  અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !

અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે.  જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય.  એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.

આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?

આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….

Comments (12)

કેમ રહો છો મૂંગામંતર – ‘તખ્ત’ સોલંકી

નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !

વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !

શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !

પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !

કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !

– ‘તખ્ત’ સોલંકી

ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ  કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે.  સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…

(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)

Comments (15)

જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)

જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.

– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)

વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..

સાભાર સ્વીકાર:  અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).

Comments (7)

જાત આવી છે – યામિની વ્યાસ

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ

ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!

(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )

Comments (25)

સાંજ – ફિલીપ ક્લાર્ક

શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી

– ફિલીપ ક્લાર્ક

Comments (4)

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (22)

હાથને ચીરો તો – રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.

Comments (19)

સખિ ! જો – – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

(વિયોગિની)

સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !

ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !

જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !

પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !

સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે.  આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.

પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે.  આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!

એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !

(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)

Comments (7)

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

Comments (6)

ગઝલ – જયંત ‘સંગીત’

શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.

શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.

માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.

રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.

સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.

– જયંત ‘સંગીત’

લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…

Comments (17)

ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ

કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.

– સુરેશ દલાલ

સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.

સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !

Comments (10)

લોહીની સગાઈ – ‘શૂન્ય’ પાલનપુરી

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (7)

ઘણીવાર એક વ્યથા – સર્વેશ્વરદયાલ સક્સેના

ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.

ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.

ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના

અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે  એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.

Comments (15)

સાધુ પાછા ક્યાં ફરવાના – શ્યામ સાધુ

મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?

કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !

હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !

આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !

– શ્યામ સાધુ

કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.

Comments (14)

મારા ઉરે કોઈ અબૂઝ વેદના – હરિશ્ચંદ્ર ભટ્ટ

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

-હરિશ્ચંદ્ર ભટ્ટ

સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.

સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.

આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.

(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)

Comments (5)

થંભી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !

એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.

Comments (12)

ગીત – મુકુન્દરાય પારાશર્ય

હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?

હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?

હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?

હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?

હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?

-મુકુંદરાય પારાશર્ય

મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા.  અવસાન:  ૨૦-૦૫-૧૯૮૫.  બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !

Comments (10)