જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગદ્ય સોનેટ

ગદ્ય સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ

કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.

– સુરેશ દલાલ

સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.

સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !

Comments (10)

હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.
હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”
પછી – થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.
મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.
શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?
પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

શરીર હવે સાવ ઉદાસીન થઈ ગયું છે – આગથી ને આંસુથી.
ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે,
પણ બહેરા કાનથી સંભળાશે નહીં. સ્મશાનમાં પ્રવેશતાં જ
મંદિર આવશે પણ મને દેખાશે નહીં અને હાથ જોડાશે નહીં,
સ્મશાનની બહાર વહી જતાં વહાનોની ભીડ કાયમને માટે ક્રોસ કરીને આવ્યો છું…

છાપામાં યુદ્ધના, ખૂનના, વિમાન પડવાના, આગના સમાચાર હશે:
પણ, એથી શું? મારું પાંચ માળનું મકાન થોડી જ વારમાં ભસ્મીભૂત થઈ જશે
અને એની નોંધ છાપામાં ‘ન્યૂઝ વેલ્યુ’ વિનાની.

– જગદીશ જોષી

કાવ્ય મૃત્યુનું છે પણ એમાં શોક નથી. એમાં બસ ઉદાસીનતા છે. જીવવાનો કંટાળો જાણે મરણમાં પણ છલકાયો હોય એમ. જીવનનો ખાલીપો મોતને પણ નડશે. મોત પૂર્ણવિરામ તરીકે નહીં પણ એક વધુ ખાલીપાની શરૂઆત તરીકે આવશે. કાવ્ય પોતે ખૂબ સશક્ત છે પણ વાંચ્યા પછી વિચાર આવે છે કે પોતાના મૃત્યુનું આવું ખાલીખમ વર્ણન કરતું કાવ્ય કવિએ કેવી મનોસ્થિતીમાં લખ્યું હશે ?

Comments (1)