વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુકુલ ચૉકસી

મુકુલ ચૉકસી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાદ છે? (દીર્ઘ ગઝલ) – મુકુલ ચોકસી

આપણી વચ્ચે ક્ષણિક ઘટના બનેલી, યાદ છે?
કિન્તુ એ સદીઓની સદીઓ વિસ્તરેલી, યાદ છે?

પ્રેમ નામે એક વસાહત મેં રચેલી, યાદ છે?
જેમાં તારી સાથે કેવળ હું વસેલી, યાદ છે?

તારી સાથે રાત અગાશીમાં વીતેલી, યાદ છે?
ચાંદની ચાહતમાં ઘૂંટીને પીધેલી, યાદ છે?

તે હવા આપી તો હું કેવી છકેલી, યાદ છે?
આભમાં ઊડતા પતંગો શી ચગેલી, યાદ છે?

તારી વીંટી તેં મને આપી દીધેલી, યાદ છે?
સોનાથી નહીં, તારે પરસેવે મઢેલી, યાદ છે?

ફોન તૂટ્યો તોય અપસેટ નહીં થયેલી, યાદ છે?
મેં બધી તસ્વીરો દિલમાં સંઘરેલી, યાદ છે?

જિંદગીમાંથી મને કાઢી મૂકેલી, યાદ છે?
તોય સપનાઓમાં તારા હું બચેલી, યાદ છે?

બહારથી મજબૂત કિલ્લો હું બનેલી, યાદ છે?
કિન્તુ આખેઆખી અંદરથી તૂટેલી, યાદ છે?

રોજ સાંજે જઈ નદી કાંઠે ઊભેલી, યાદ છે?
ડૂબતા સૂરજને જોઈ બહુ રડેલી, યાદ છે?

એ ઘડી વીતી ગઈ પહેલી ને છેલ્લી, યાદ છે?
હું ફરી છલકાઈ ખુશીઓથી ભરેલી, યાદ છે?

મારા ઉપનામોથી શરમાઈ ગયા’તા ફૂલ સૌ,
રાતરાણી, જૂઈ, જાસૂદ ને ચમેલી, યાદ છે?

હાથ ઝાલી હાથમાં જયારે નીકળતાં આપણે,
ધૂમ આખી શેરીમાં કેવી મચેલી, યાદ છે?

હોળી, દિવાળી અને ઊતરાણ તો બહાના હતાં,
આપણે તકલીફને પણ ઉજવેલી યાદ છે?

દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?

આપણે નહીં હોઈએ તો સાવ મૂરઝાઈ જતાં,
એ બગીચો, એ જ ખૂણો, એ જ વેલી, યાદ છે?

તારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે…
મારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી, યાદ છે?

– મુકુલ ચોકસી

ગઈ કાલે આપણે કવિએ વર્ષો પૂર્વે લખેલી ગઝલ માણી. એ ગઝલના વિષયવસ્તુ દીકરીએ ભજવવાના નાટકમાં કામ લેવાના હેતુથી કવિપિતાએ પાંત્રીસ શેરની નવી દીર્ઘ ગઝલ લખી નાંખી. મૂળ ગઝલ પુરુષની ઉક્તિ હતી, આ ગઝલ એક સ્ત્રી વડે રચાતા સંવાદનો એકતરફી આલેખ છે. દરેક સવાલની સાથે સામેથી જવાબમાં હકાર ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. પાંત્રીસ શેરની દીર્ઘ રચનામાંથી સોળ શેર લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ… આખરી શેર મૂળ ગઝલની જ પ્રતિકૃતિ છે, કેવળ સર્જકોદ્ગાર બદલાયા છે.

Comments (11)

(—યાદ છે?) – મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી —યાદ છે?
એક દી એ મારી ગઝલોને અડેલી —યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે,
એ જ વાતો તેં બીજા કોને કરેલી? —યાદ છે?

મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?

– મુકુલ ચોક્સી

ગયા અઠવાડિયે આપણે ‘યાદ છે? રદીફવાળી ગઝલ વાંચી. વરસો પહેલાં મુકુલ ચોકસીએ આ જ રદીફ અને પ્રશ્ન સાથે આ જ રીતે લખેલી એકતરફી સંવાદ ગઝલ લખી હતી એ પણ સાથોસાથ માણીએ. ચાર જ શેરની આ દાયકાઓ જૂની ગઝલ પૂર્વ મુકુલ ચોકસીની પિછાન છે. આજે આ મુકુલ ચોકસી ક્યાં મળશે એ કોઈને યાદ છે? કહેજો તો…

Comments (7)

હાસ્યમેવ જયતે : ૧૧ : કબર-કાવ્યો – મુકુલ ચોકસી

આજે એક નવતર હાસ્ય-કવિતાના પ્રયોગની વાત કરાવી છે જેના વિષે બહુ લોકો જાણતા નથી. છેક 1984ની સાલમાં મુકુલભાઈએ કબર-કાવ્યોનો આ પ્રયોગ કરેલો. સાહિત્યકારો ગુજરી જાય (ભગવાન કરે એવું ન થાય) અને એમની કબર બનાવવામાં આવે તો એ કબર પર epitaph એટલે કે સમાધીલેખ તરીકે શું લખી શકાય એની કવિએ રમૂજમાં કલ્પના કરી છે. દરેક સાહિત્યકારની લાક્ષણિકતાને પકડીને એને નાનકડી કવિતાના રૂપમાં ઢળવાનું કામ બારીક નિરીક્ષણ-શક્તિ, વિચક્ષણ વિનોદવૃત્તિ અને ભાષાની જડબેસલાક હથોટી માંગી લે છે. મુકુલભાઈની રચનાઓ આ ત્રિવિધ કસોટી પર ખરી ઉતારે છે. વધારે જોવાની વાત એ છે કે આ હાસ્ય-કવિતાઓ જેટલી માર્મિક છે એટલી જ નિર્દંશ પણ છે.

સ્નેહરશ્મિનો હાઈકુ-પ્રેમ, સુરેશ દલાલનું કવિ કરતા વધારે કાવ્ય-પ્રચારક હોવું, લાભશંકરની એબ્સર્ડ કવિતાઓ, જયંત પાઠકનું ‘વનાંચલ’માં વણાયેલું શૈશવ, રાજેન્દ્ર શુક્લના અલગ જ શબ્દ ને શૈલી, ઉશનસનું વિપુલ સર્જન, સુમન શાહનો આક્રમક સ્વભાવ, રઘુવીર ચૌધરીની ખુમારી, ચંદ્રકાન્ત ટોપીવાલાનો વિવેચન-પ્રેમ, સ્ત્રીઓની એકમત થવાની અક્ષમતા, ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાઓના અણધાર્યા વળાંકો અને ચિનુ મોદીનો નિરાંતનો જીવ એ બધું અહીં વણી લીધું છે.

કબર-કાવ્યોને જે સ્વરૂપે પ્રગટ થયેલા એ જ મૂળ સ્વરૂપમાં અહીં રજુ કર્યાં છે. ‘કર્સર’ને નીચે કવિતા પર લઇ જશો એટલે ડાબી અને જમણી બાજુ ‘એરો’ દેખાશે. એને દબાવશો એટલે એક પછી એક કબર-કાવ્ય દેખાતા જશે.

(આ કાવ્યો મેળવીને મોકલી આપવા બાદલ રઈશભાઈ અને મુકુલભાઈ બંનેનો ખાસ આભાર.)

 

Comments (2)

(લીલુંછમ મૌન) – મુકુલ ચોક્સી

‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’
– એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.

મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હેાય છે.

સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે

ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.

– મુકુલ ચોક્સી

સ્મિત બે અલગ વ્યક્તિઓને એકમેક સાથે જોડતો સેતુ છે, એ આપણે જાણીએ છીએ પણ આ જ વાત કવિ કહે ત્યારે કેવી બદલાઈ જાય છે! ભલે ક્ષીણ થઈ ગયું હોય તોય સંબંધોને પુનર્જીવન આપવાની, જોડી આપવાની સ્મિતની ક્ષમતા કદી ઓછી થતી નથી. ચાર જ શેરની ગઝલ પણ કેવી મજબૂત! બબ્બે ગામનું વેરાન તો મારો અતિપ્રિય શેર!

Comments (8)

(કેવું થશે?) – મુકુલ ચોક્સી

છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે,
તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે?

તે ક્ષણે ખૂલી જવા ખુદ પિંજરું તત્પર થશે,
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે.

આપને અજવાસને બદલે વિકલ્પી જોઉં તો,
સૂર્યને બદલે તમારું મારા પર દેવું થશે

લોહીના પોલાણમાં વૈશાખના અડ્ડા ઉપર,
બોલ, છાપો મારતાં આષાઢને કેવું થશે?

– મુકુલ ચોક્સી

અનુભૂતિની ગઝલ… એકવાર વાંચો, બે વાર વાંચો, ત્રણવાર વાંચો અને જે અનુભૂતિ થાય એ આ ગઝલની સાચી ઉપલબ્ધિ…

આ મુકુલ ચોક્સી કોઈને ક્યાંય મળી જાય તો તાત્કાલિક જાણ કરવા વિનંતી. ખબર આપનારને ઝોળી ભરાય જાય એટલું મોટું ઈનામ આપવામાં આવશે…

Comments (4)

કરુણાંત થઈ ચાલ્યા – મુકુલ ચોક્સી

લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા,
અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા.

આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !

સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.

થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.

– મુકુલ ચોક્સી

આ કવિની સિદ્ધહસ્તતા જોઈને કાયમ રંજ થાય કે ગુજરાતી કાવ્યજગતને કેટલું પારાવાર નુકસાન થયું છે તેઓના શસ્ત્રત્યાગથી !!!!!

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૭ : મુકુલ ચોક્સી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

નાની સરખી વાતને કવિએ કેટલી આસાનીથી સમજાવી છે! કાશ, કે એ વાતને એટલી જ આસાનીથી ‘બેઉ વ્યક્તિ’ સમજી શકે તો પલ્લું નમ્યાનાં અને ઊંચે ગયાના આનંદની સીમાઓ એક થઈ જાય…. અને પછી તો જીવન મધુબન હો જાયે…

 

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વણકહ્યે કૃષ્ણ-સુદામાની મૈત્રીની ચરમસીમા આલેખતું સુંદર મૈત્રી-મુક્તક… આથી વિશેષ કોઈ પિષ્ટપેષણની જરુરત ખરી?!

Comments (4)

લોહી વહે ત્યારે – મુકુલ ચોકસી

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

– મુકુલ ચોકસી

ક્લાસિક મુકુલભાઈ……….

Comments (3)

ભીતર રહે – મુકુલ ચોકસી

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.

– મુકુલ ચોકસી

Comments (7)

મળે….- મુકુલ ચોકસી

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….

Comments (11)

ગઝલ – મુકુલ ચોક્સી

ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા.

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુઃખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

‘મુકુલ’ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

-મુકુલ ચોક્સી

કયો શેર વખાણવો અને કયો નહીં એવી મીઠી મૂંઝવણ થાય ત્યારે કવિનું નામ જોઈ લેવું… મુકુલ ચોક્સી જ હોઈ શકે…

Comments (10)

ગઝલ – મુકુલ ચોક્સી

કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે,
લ્યો, ગઝલના નામનો છેલ્લો સહારો જાય છે.

આમ ચંચળ થઈને જળ માફક નથી વહેતો છતાં,
જળની સાથોસાથ છેવટ લગ કિનારો જાય છે.

અવનતિમાં યે જુઓ મંઝિલ મળી કેવી વિશાળ !
કે ખરીને કોઈ પણ સ્થળ પર સિતારો જાય છે.

કોઈ જોનારું નથી ને કો’ ભજવનારું નથી,
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.

આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,
આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.

– મુકુલ ચોક્સી

ગુજરાતી ગઝલને મુકુલ ચોક્સીની નિષ્ક્રિયતાથી મોટી ખોટ કદી પડનાર નથી. ગુજરાતી ગઝલનો છેલ્લો નહીં તોય અગ્રસ્થ સહારો બની શકે એવા આ કવિના વિચારો માત્ર નિર્દયતાપૂર્વક કાગળને કોરો જ કચડતા જાય છે.

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

હવે તો એ જ મને બાગથી બચાવી શકે,
જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે.

આ ઠૂંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે
પરણવા જેવડી મોસમનું માંગુ આવી શકે

ને ચોમાસું તો હજી બેસવાનું બાકી છે
હજી યે બારીઓને રંગ તું કરાવી શકે

હા, એટલે જ તને વૃક્ષ રૂપે સ્થાપ્યો છે
કે જેથી પગ તું કદી પણ નહીં હલાવી શકે

ને હસવું આવે ત્યારે હળવો થઈ હસી જે શકે
એ આદમી આ નગરમાં કદી ન ફાવી શકે

જમાનો એનો છે ભૂતકાળને જે થૂંકી શકે
ને સઘળી યાદને ગુટખાની જેમ ચાવી શકે

જીવનની વ્યાખ્યાઓ કરવા દો એ જ લોકોને
જે જિન્દગાનીઓ ફૂટપાથ પર વિતાવી શકે

આ તારા શબ્દો બરફ છે એ ફ્રીજમાં શોભે
કોઈના ઘરમાં એ ચૂલોય નહીં જલાવી શકે

બની જા કોઈ પણ મોસમ તું એટલા માટે
ફરી ફરીને દરેક વર્ષે પાછી આવી શકે

– મુકુલ ચોક્સી

એક પછી એક શેર હાથમાં લેતાં જઈએ તેમ તેમ કવિની કલ્પનોની પસંદગી આપણને વધુને વધુ ચકિત કરતી રહે છે.

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો

પૂરો ભલે ન થાય એ કોઈ જગા ઉપર
કિસ્સો શરૂ તો થાય છે ચોક્કસ અનંતનો

કોના તરફ વધારે વફાદાર છે નદી ?
આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો

– મુકુલ ચોક્સી

વૃદ્ધાવસ્થા અને સમીપ સરતા મૃત્યુ વિશે કેવો સચોટ શેર કવિ લઈ આવ્યા છે? કાળ શબ્દનું પ્રયોજન સમયની પછીતે છુપાયેલ મૃત્યુને પણ ઇંગિત કરે છે. વસંતનો કોટ ઉતારીને ઊભેલા વૃક્ષનું ચિત્ર ઠંડોગાર ડામ દેતું હોય એમ લાગે છે. અને “અનંતતા” વિશેનો આવો ક્રિએટિવ શેર અગાઉ ક્યાંય વાંચ્યો હોવાનુંય ધ્યાનમાં નથી…

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે

છો ને એ હોઠ નામની સંસ્થાને માન્ય છે
અક્ષર તો આંગળીનો અમસ્તો જ તર્ક છે

કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે

– મુકુલ ચોક્સી

માત્ર ત્રણ જ શેરની ગઝલ. એમાં પણ બે કાફિયા તો એકના એક. ને તો પણ ગઝલની ફ્લેવર એવી કે એકવાર માણો તો કાયમ માટે જીભે સ્વાદ રહી જાય. પહેલા શેરમાં કરાયેલી માણસની વ્યાખ્યા અને આખરી શેરનો ઇંતેજાર તો અદભુત છે !!!

Comments (8)

ચાલ્યા જુઓ – મુકુલ ચૉકસી

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

કોઇને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યા જુઓ.

– મુકુલ ચૉકસી

Comments (3)

નીકળ્યો’તો – મુકુલ ચોકસી

લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.

-મુકુલ ચોકસી

Comments (8)

ગઝલ – મુકુલ ચોકસી

ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય,
ગુનો એ છે કે આંખોએ કર્યો આકાશનો દુર્વ્યય.

ને તે જગ્યાએ લીટી દોરી થઈએ આપણે નિર્ભય,
તમે જીરવી શકો સરેરાશ બોલો, કેટલો પરિચય.

દિલાસાના અધૂરા અર્થ જેવી આ અગાશીમાં,
નહીં ઉકલેલી ભાષા જેવા અંધારાનો શો આશય ?

દીવાલો હોય કે તું હોય કે ઈશ્વર કોઈ પણ હોય,
મને ચૂપ રહેતી વસ્તુઓ વિષે પહેલેથી છે સંશય.

પછી તો વ્યગ્રતાની વાત હસતા હસતા કરવાની,
અને તક હોય તો થોડુંક તરફડવાનું પણ સવિનય.

-મુકુલ ચોકસી

Comments (10)

ગઝલ-મુકુલ ચોકસી

શાનાં સ્તવન સ્તવું અને ક્યાંના કવન કવું ?
ઉન્માદ ! લાગણીથી વધારે તો શું લવું ?

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું ?
તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું….

પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું
ચૂમો તો ચીસ પાડું ને કાપો તો ક્લરવું !

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું ?

-મુકુલ ચોકસી

Comments (10)

ગઝલ – મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

– મુકુલ ચોક્સી

આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે…  વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે.  અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?

Comments (4)

તારી દૂરતા – મુકુલ ચોકસી

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

– મુકુલ ચોકસી

Comments (12)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

એટલે તું કૌંસમાં… – મુકુલ ચોકસી

શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,
એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજી બાકી છે તે કંકોતરી,
એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચાલે નહીં,
એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.

– મુકુલ ચોકસી

અર્થને આગળ વધારવા કૌંસમાં વધારાની માહિતી મૂકીએ એવું કવિએ આ ગઝલમાં કર્યું છે.

Comments (8)

મુક્તક – મુકુલ ચોકસી

આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાના હતાં?
તેં લૂંટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.

– મુકુલ ચોકસી

Comments (5)

ગઝલ – મુકુલ ચોક્સી

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક,તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

– મુકુલ ચોકસી.

છ શેરની આ ગઝલમાં એક સળંગ સૂર સંભળાય છે. અસ્તિત્વના વર્તુળનું કેન્દ્ર ‘સ્વ’ છે. વાસ્તવિક બંધનોની જાળ કરતા ભ્રમણાના બંધનોની જાળ જાણે વધુ વ્યાપક હોય છે !

Comments (14)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

ગઝલ – મુકુલ ચોકસી

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

– મુકુલ ચોકસી.

માણસ સુખની શોધમાં ભટકે છે,છલનાઓને સત્ય સમજી વળગે છે. પણ તે માટે માણસને દોષ કેમ કરી દેવો ? સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..

Comments (13)

યાદગાર ગીતો :૨૯: પ્રેમ એટલે કે – મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

(જન્મ: ૨૧-૧૨-૧૯૫૯)

સંગીત અને સ્વર : સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/01 Prem Aetle Ke.mp3]

 મુકુલ મનહરલાલ ચોક્સી.   જન્મે ને કર્મે સુરતી.  કવિ અને હાસ્ય કવિ.  મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ.  પિતા જાણીતા સાહિત્યકાર.  વિવેક કહે છે કે– સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ એટલે મુકુલભાઈ.  કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે.  આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

‘પ્રેમ એટલે કે’ ગીતનો પર્યાય એટલે મુકુલ ચોક્સી.  એમણે આ એક જ ગીત લખ્યું હોત તોય પ્રેમીઓનાં જગતમાં તેઓ ચિરસ્મરણીય રહેત.  આ ગીતની સફળતામાં આપણા સોલીભાઈનો ફાળો પણ અગત્યનો છે કે જેમણે એને સ્વરબદ્ધ કર્યું અને માત્ર લોકોનાં હોઠો પર જ નહીં, પરંતુ હૈયામાંય રમતું કર્યું.  પ્રેમની વ્યાખ્યા સંજોગો-સમય-વ્યક્તિ પ્રમાણે બદલાતી જ રહે છે, પરંતુ સંવેદના તો કાયમ એવી જ લીલીછમ્મ રહેતી હોય છે.  પ્રિયતમાનાં ગાલોના ખંજન પર પ્રેમીને ચોર્યાસી લાખ જન્મો કુરબાન કરી દેવાનું મન થાય, એ પણ પ્રેમ…  અને દાઢી કરવા જેવી સાવ સામાન્ય દૈનિકક્રિયામાંથી પ્રિયજનનું અસામાન્ય સ્મરણ થાય, એય પ્રેમ જ છે.  વળી, કવિએ ખૂબ મજાની અને સાવ સત્ય વાત કરી છે કે આપણા આ હૃદયરૂપી ઘરમાં તમામ સંવેદનાઓરૂપી ઓરડામાંથી પ્રેમની સંવેદનાનો ઓરડો સદાનો સાવ અલાયદો જ રહેવાનો.  મને અત્યારે એમનાં બીજા બે ગીતો પણ યાદ આવે છે, જે મને ખૂબ જ પ્રિય છે- તારા વિના કશે મન લાગતું નથી અને પ્રિય પપ્પા, હવે તો તમારા વગર

Comments (2)

(હયાતી છે) – મુકુલ ચોકસી

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– મુકુલ ચોકસી

માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…

Comments (16)

લાઈન લગાવો ! – મુકુલ ચો કસી, મેહુલ સુરતી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે.  આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું?  પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે?  બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…!  પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!  તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો…  તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની  તાકાતથી  રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને  છલકાવી  દઈ  મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક  બટન  દાબીને  આખે  આખો  દેશ  બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

Comments (12)

મુક્તક – મુકુલ ચોકસી

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

Comments (10)

આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા – મુકુલ ચોક્સી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા

છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા

આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)

મુકુલભાઈનું નામ આવે એટલે લાગણીથી લથબથ એવી એમની બે ગઝલો મને તરત જ યાદ આવી જાય; ‘સજનવા’ અને ‘ચૂમી છે તને’.  ‘સજનવા’ એ મુકુલભાઈનું દીર્ઘ-કાવ્ય છે, દીર્ઘ-ગઝલ છે.  અને સાંભળ્યું છે કે આ ગઝલનાં એટલા જુદા જુદા ભાગો છે કે કો’કવાર મુકુલભાઈ પાસે જ મારે એના કુલ શેરની સંખ્યા જાણવી પડશે. અને મુકુલભાઈ કદાચ મને કુલ પાનાનો આંકડો જ આપશે; કારણકે એવીયે ખબર પડી છે કે ‘સજનવા’નાં શેરનો ગણતરી કરવા કરતાં એનાં પાનાની ગણતરી કરવી જ સહેલી પડે… શેરનો આંકડો લગભગ 3 આંકડાની પાસે પાસે પહોંચી ગયો હોય તોય નવાઈ નહીં.  ‘સજનવા’ની વાત કરીએ તો એના દરેક મિસરામાં ‘સજનવા’ રદીફને લીધે આ મત્લા ગઝલ જેવી પણ લાગે છે, તો એ જ રદીફ કોઈ ધુર્વપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલનાં ગીત હોવાનો પણ ભાસ થાય છે.  ગાલગાગાનાં ચાર આવર્તનોવાળી આ ગઝલનાં દરેક શેરનાં અલગ-અલગ કાફિયાને લીધે એને કદાચિત્ ગીતઝલ જેવું પણ કહી શકાય…?!

મુકુલભાઈને આ ગઝલનું પઠન* કરી આપવાની જ્યારે મેં ફરમાઈશ કરેલી ત્યારે મેં એમને બે સવાલો પણ પૂછાવ્યા હતા: ૧) તમે આ ગઝલ આટલી દીર્ઘ કેમ લખી?  ૨) આ ગઝલ લખવા પાછળ શું અને કોની પ્રેરણા હતી ? …તો લયસ્તરોને પાઠવેલી શુભેચ્છાઓ અને ‘સજનવા’નાં થોડા શેરનાં પઠનની સાથે મુકુલભાઈએ મારા સવાલોનાં જવાબો પણ મોકલાવ્યા છે, પણ એ હું તમને નહીં કહું.  એ તો તમારે જાતે જ સાંભળવાં પડશે !

સ્વર: મુકુલ ચોક્સી

શુભેચ્છાઓ…
[audio:http://urmisaagar.com/saagar/audio/layastaro-4th-hbd-shubhechha_by_mukul_choksi.mp3]

ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;
લયનાં સ્તરો ઘણા છે ને એને અનુભવું છું,
હું લયસ્તરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મુકુલભાઈની વાત સાવ સાચી છે. ‘સજનવા’ કે પ્રેમની અનુભૂતિ વિશે તો જેટલું લખો એટલું ઓછું જ પડે.  એના વિશે આપણે જો કશુંક લખવા બેસીએ ત્યારે શેરોની સંખ્યા કે લીટીઓ નહીં ગણાય, નોટબુકનાં પાના પણ નહીં ગણાય અને આપણી લખવાની આધુનિક શૈલીને ધ્યાનમાં રાખીને કહું, તો એ લખવામાં તો કમ્પયુટરની કેટલી યાદદાસ્ત (RAM) વપરાય છે એ પણ નહીં ગણાય !  🙂  પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે.  અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે.  હવે ‘સજનવા’નું વધુ વિશ્લેષણ કર્યા વગર મુકુલભાઈએ જ પસંદ કરેલા ‘સજનવા’નાં થોડા શેરોને આપણે સાંભળીએ, માણીએ અને મમળાવીએ…

‘સજનવા’નું પઠન…

[audio:http://urmisaagar.com/saagar/audio/sajanva_pathan_by_mukul_choksi.mp3]

લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. 🙂

*ગઝલ-પઠનનો ઓડીયો બનાવીને સત્વરે મોકલવા બદલ મેહુલ સુરતી અને મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…!

Comments (8)

ગઝલ – મુકુલ ચોક્સી

ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.

જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.

કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈની એક ખુશનુમા ગઝલ જે કશી પણ પૂર્વભૂમિકાની મહોતાજ નથી… બધા જ શેર ગમી જાય એવા છે…

Comments (13)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

કથા મુક્તક – મુકુલ ચોકસી

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

– મુકુલ ચોકસી

ચાર લીટીના ચમત્કારો રજૂ કરવાની વાત અનાયાસ જ ગોઠવાઈ ગઈ. ઝેન મુકતક અને કાવ્યો છેલ્લે મૂકેલા એટલે આ મુક્તક તરત યાદ આવ્યું. મુક્તક જેવા ચાર લીટીના નાનકડા પ્રકારમાં આખી કથા કેટલી સહજતાથી અને વળી તીણી અસર સાથે આવી છે. અંગ્રેજીમાં તો આવો – અત્યંત નાની વાર્તાનો પ્રકાર પ્રચલિત છે – જેને flash fiction કહે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દોમાં એક વાર્તા લખેલી જે આનું ઉત્તમ ઉદાહરણ છે – “For sale: baby shoes, never worn.”

Comments (10)

કેમ ? – મુકુલ ચોકસી

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

– મુકુલ ચોકસી

એક એક પંક્તિએ અર્થછાયાઓમાં જે પરિવર્તન આવે છે એ જોવા જેવું છે. છેલ્લો શેર વાંચતા જો કહી ગયી ન મુઝસે વો જમાના કહ રહા હૈ, કે ફસાના બન ગયી હૈ મેરી બાત ચલતે ચલતે તરત જ યાદ આવે છે.

Comments (4)

ખામોશી જેવું હોય છે – મુકુલ ચોકસી

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

– મુકુલ ચોકસી

એક વ્યહવારિક વાત. તન-મનનો સંઘર્ષ. અને એક સ્નિગ્ધ ઉદાસી. જુઓ આ એક ગઝલ મનના ક્યા ક્યા ખૂણાને અડકીને આવી છે !

Comments (7)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ચિર વિરહિણીની ગઝલ – મુકુલ ચોક્સી

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈનું ભાષાકર્મ મને હંમેશા આકર્ષતું રહ્યું છે. જેના નસીબમાં વિરહ સિવાય બીજું કાંઈ જ નથી એવી એક સ્ત્રીની આ ચાર જ શેરની ગઝલ. પ્રતીક્ષાના આ ઘરમાં જ્યાં કોઈ કદી આવવાનું જ નથી અને આંખે નેજવું બનીને માત્ર રાહ જ જોયા કરવાની છે ત્યાં બારણાંની અનુપસ્થિતિ અને સામે હજ્જારો બારીઓની હાજરી ખૂબ સૂચક છે. પ્રતીક્ષાની પીડાને અખંડ સૌભાગ્યવતી કહેવાનું કવિકર્મ મુકુલ જ કરી શકે. પ્રિયજનની રાહ જોતી એક આંખ જાણે છે કે એ કદી આવનાર નથી અને બીજી આંખમાંથી તોય એના આવવાની આશા મરી પરવારતી નથી એટલે કવિ બંને આંખોને વારાફરતી વિધવા અને કુંવારી કહીને માથે મૂકે છે અ.સૌ. પ્રતીક્ષાની પીડાઓ, જે કદી મરવાની નથી…અખંડ છે!

મુકુલભાઈ, આજે એકવીસમી ડિસેમ્બરે તમને અમારા સૌ તરફથી ‘વર્ષગાંઠ મુબારક‘ કહીએ કે?

Comments (7)

ગઝલ – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।

मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।

फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।

जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।

-मुकुल चोक्सी

મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…

Comments (11)

ખબર છે તને ? – મુકુલ ચોક્સી

(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી

આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…

Comments (9)

દોસ્ત – મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

– મુકુલ ચોકસી

આજે જ ધ્યાન પર આવ્યું કે આ ગઝલ તો લયસ્તરો પર છે જ નહીં. આ ગઝલની ઓળખાણ મોટા ભાગના લોકોને એના છેલ્લા શેર પરથી હોય છે, જે ઘણો જાણીતો છે. પણ એટલા જ સરસ શેર જીરવી શકાશે… અને દરિયા-પહાડ-આભ... પણ થયા છે. જે પ્રેમ આખી દુનિયામાં ક્યાંય ન સમાય એ પ્રેમને નાની ચબરખીમાં સમાવવાના જાદૂની વાત કવિએ અદભૂત રીતે કરી છે !

Comments (7)

ગઝલ લખાતી નથી – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

-મુકુલ ચોક્સી.

ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…

Comments (14)

થઈ બેઠા – મુકુલ ચોકસી

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

– મુકુલ ચોકસી

સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.

Comments (3)

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું ! 

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું 

– મુકુલ ચોકસી

મુકુલ મનહરલાલ ચોક્સી. (જ. 21-12-1959). જન્મે ને કર્મે સુરતી. કવિ. હાસ્ય કવિ. મનોચિકિત્સક. સેક્સોલોજીસ્ટ. સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. તરસનું તાપણું અને અશ્યામ રાતો એ મુકુલની કવિતામાં જ આવી શકે.  પરસ્પરને અત્યંત તીવ્રતાથી મળવાની ઘડીમાં કદાચ આપણા બાહુઓ પણ આડખીલી લાગે. બાહુને વહાવી દઈને એકમેક વચ્ચેનું અંતર શૂન્ય કરવાની વાત ગઝલને અ-લૌકિક અનુભૂતિના સ્તરે મૂકે છે. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

Comments (15)

શબ્દોત્સવ – ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા – મુકુલ ચોકસી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોકસી

સૌથી મોઘાં વાઈનની બાટલી લોકો વર્ષો સુધી સંઘરી રાખે છે. અને કોઈ ખાસ અવસરના દિવસે જ એને ખોલે છે. આ ગઝલનું મારાં માટે એવું છે. મુકુલ ચોકસીની આ ગઝલ મારા માટે ખૂબ ખાસ છે. અમે આ ગઝલ સ્કૂલકાળમાં મહિનાઓ સુધી રોજ થોડી થોડી માણતા. દોસ્તો આના શેર અવારનવાર ટાંકતા. એ રીતે અમારા દોસ્તોમાં બધાની ખાસ ગઝલ થઈ ગયેલી. એના એક એક શેર સાથે કેટલીય યાદો સંકળાયેલી છે. મૂળ ગઝલ તો લગભગ પચ્ચીસ પાના લાંબી છે. એમાં ગહનચિંતનથી માંડીને તદ્દન રમતિયાળ એવા બધા પ્રકારના શેર છે. અહીં તો માત્ર થોડા શેર ટાંકુ છું. આ ગઝલ, એ દિવસોની યાદમાં જ્યારે ગઝલ એ વાંચવાની નહીં પણ જીવવાની ચીજ હતી !

Comments (6)

મુક્તક – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

– મુકુલ ચોકસી

Comments

છેવટે – મુકુલ ચોકસી

એક  ઠંડી   નજરથી   થીજે  છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત  સાગર  તરી જનારા પણ
છેવટે     લાંગર્યા    અખાતોમાં

– મુકુલ ચોકસી

Comments (2)

એ વર્ષો – મુકુલ ચોકસી

એ  વર્ષોમાં  જો  હું  ટાંકું  ઉદાહરણ  તારાં,
ચહલપહલ શી મચી  ઊઠતી’તી  પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને     ફરી     રચી     આમ્રમંજરીઓમાં…

એ   વર્ષો  જેમાં  હતાં  ટોળાબંધ સપનાંઓ
ને  મોડી  રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને  થોકબંધ   સમસ્યાની   આવજા   વચ્ચે
સમયનો   ઝાંપો  ઉઘાડો  રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો  રચાઈ નહોતી ભાષા  છતાં
હું બૂમ પાડી બધું બોલતો,  ખબર છે તને?
સમયની  શોધ થઈ  તેની  આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો  મેં ઉછેર  કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે  બાકી  રહેલી  બે’ક  વાત  કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને  પ્રાણવાયુની  ટાંકીમાં  આપઘાત કરીશ.

– મુકુલ ચોકસી

મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે. ૩૦ ચોપદીઓની પૂરી નઝમ ફરી કોઈ વાત આખી અહીં મૂકીશ. આ નઝમમાં પ્રિયજનથી જુદાઈના વર્ષોની વાત એવી સહજીકતા અને સચ્ચાઈથી વણી છે કે એ વેદના આપણને પોતીકી લાગે છે. અહીં વેદનાનો દેખાડો નથી, વેદનાની માત્ર સહજ રજૂઆત છે; જાણે એક દોસ્ત બીજા દોસ્તને કહેતો હોય એમ.

Comments (4)

ચૂમી છે તને – મુકુલ ચોકસી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

Comments (10)