રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.
પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !
– જગદીશ જોષી
એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.
પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે
June 13, 2016 at 2:13 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત
કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત
જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ
છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
-સંજુ વાળા
અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.
અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !
તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !
ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?
– વીરુ પુરોહિત
ગુજરાતી ગીતોની ફૂલછાબમાં વીરુ પુરોહિત ઉદ્ધવ ગીતોના સાવ નોખી તરેહના પુષ્પો લઈને આવ્યા છે. એમાંનું વધુ એક પુષ્પ આજે આપ સહુ માટે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ની મીરાંબાઈની વ્યથા ગોપીઓની વિરહવેદના સાથે એકરસ થઈ ગઈ છે જાણે. ગીતના લયને વખાણવો કે સરળ શબ્દોમાં રજૂ થતા ઊંડાણને કે બખૂબી ઉપસી આવતા વિપ્રલંભ-શૃંગારને એ કહેવું દોહ્યલું છે.
May 22, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
[નીંભર – મૂંઝાઈ ગયેલું, મૂઢ ]
– સંજુ વાળા
ઊંડી વાત છે. કવિની શબ્દગૂંથણી તો અદભૂત છે જ, પરંતુ પ્રત્યેક શબ્દ કાવ્યને આગળ ધપાવે છે અને અનિવાર્ય છે. ખૂબ ટૂંકમાં કહું તો નિત્ય-અનિત્યના ભેદની વાત છે. realisation ની તક અત્યંત અલ્પજીવી – વીજળીના ઝબકારા જેવી હોય છે. જળ પર પડતી ભાતની તળને કશી તમા નથી. જળ ઉપર થતી તમામ પ્રવૃત્તિ અનિત્ય છે. અક્ષરજ્ઞાન કામનું નથી, ગેબી સંકેત છળમય છે અને તેને ઉકેલવાનું ગજું નથી…..કશું સમજાતું નથી….
May 17, 2016 at 8:03 AM by તીર્થેશ · Filed under ગીત, ધ્રુવ ભટ્ટ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….
– ધ્રુવ ભટ્ટ
ફકીર પોતાની ફાકામસ્તીને મસ્ત મસ્ત રૂપકો આપીને ચીતરે છે….જે કંઈ ખજાનો છે તે ભીતરના વિશ્વમાં છે અને કવિની મસ્તી તેની જ છે. છેલ્લા ચરણમાં કાવ્ય સૂફી-ઉચ્ચતાને પૂગી જાય છે…..
ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતુંઅને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.
આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:
Swan song
Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…
Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…
A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…
– Ravji Patel
(Translated by Pradip Khandwala)
*
The Song of Illusive Death
Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes
Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes
By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.
May 9, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉમાશંકર જોશી, ગીત
ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.
કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્ઝવર્થનું.’
વિજ્ઞાની ક્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’
વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’
ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.
વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’
‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’
કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’
‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’
મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
. ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
. રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
– ઉદયન ઠક્કર
મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.
ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
– અમૃત ‘ઘાયલ’
કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.
અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.
કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:
*
An ant cleared its throat
An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?
Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?
Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?
– English Translation by Pradip N Khandwalla
(અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)
ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…
February 29, 2016 at 3:10 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે :
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.
કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છો નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !
લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા :
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે !
– જગદીશ જોષી
તદ્દન મૌલિક કલ્પનો એક અલગ જ ભાત પડે છે. આખું કાવ્ય એકવાર વાંચતા ખુલતું નથી. વક્રોક્તિઓ ભારોભાર છે. સંબંધમાં ક્યાંક એક સૂક્ષ્મ ગાંઠ પડી છે અને અત્યંત સંવેદનશીલ પ્રેમી એનાથી અનભિજ્ઞ નથી. એ ફરિયાદ નથી કરતો, માત્ર જાણે કે એક હળવી, કોમળ ચેતવણી આપે છે, મૃદુ ઉપાલંભ આપે છે…. કાવ્યસર્જનને એક નવું શિખર સાંપડે છે.
February 20, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
ભીતરનાં અંધાર વચાળે હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું.
માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,
કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી ?
રણકારે પરખાય ઘડૂલો.. લોટી ..માણસ માળું,
મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .
અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,
પછી ય રોજેરોજ દીધાં છે અંધારું અજવાસ !
દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,
કહો પ્રભુજી શું કરવું , જ્યાં હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .
ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્હોરું,
આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,
સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .
મને ઓઢાડો અજવાળું .
– નેહા પુરોહિત
નકલી આધ્યાત્મિક કવિતાઓનો આપણે ત્યાં આજકાલ લીલો દુકાળ પડ્યો છે એવામાં નકરી ‘પોઝિટિવિટિ’ વાળી આવી મજાની સો ટચની રચના હાથ જડે તો દિવસ સુધરી જાય. સંસારની સહુથી મોટી સમસ્યા મનુષ્ય એક-બીજાને ઓળખી નથી શકતો એ નથી પણ કદાચ મનુષ્ય પોતાની જાતની અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરી શકતો નથી એ છે. ઘડો-લોટી વગરેને તો કદાચ રણકારથી પારખી શકાય પણ માળું આ માણસજાતને કેમ કરીને પારખવી? કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય.
February 11, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જીતેન્દ્ર જોશી
અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
February 1, 2016 at 2:46 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ
અને ઉઘાડી એક એક બારી
જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે
કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !
આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ
એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી
ઝાડના આ લીલા તળાવણા તળિયે તો
ભૂરું આકાશ ગયું જંપી !
વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો
એને તારલાથી દીધો શણગારી.
ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ
એની પછવાડે જોઉં એક દેરી
તુલસીના ક્યારાની જેમ મારા મનને હું
રાત-દિવસ રહું છું ઉછેરી :
રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ
જોયા કરે છે ધારી-ધારી.
– જગદીશ જોષી
જગદીશભાઈની આ typical શૈલી છે. તેઓ અર્થગંભીર વાતને પ્રકૃતિના સુંદર આલેખન સાથે વણી લે છે. ઘણીવાર આખા કાવ્યમાંથી એક સૂર ન નીકળતો હોય એવું લાગે પરંતુ એ જ તેઓની શૈલી છે. ઘણીવાર આખું કાવ્ય સ્વગતોક્તિ જેવું હોય !
પ્રસ્તુત કાવ્યમાં એક મીઠા ઝૂરાપાને પ્રકૃતિનો શણગાર રચીને મઢાયો છે.
અમેરિકાથી સ્નેહીમિત્ર દેવિકા ધ્રુવ આ રચના મોકલવાની સાથે કહે છે, “સુરેશ દલાલ સંપાદિત ‘કાવ્યકોડિયાં’( માર્ચ,૧૯૮૧ )માંથી લા.ઠા. નું એક ‘સ્તવન’ કાવ્ય ‘લયસ્તરો’ માટે મોકલું છું. સાચા સારસ્વતની એક આરઝુ ‘શબ્દ વિના હું દીન’માં સુપેરે સંભળાય છે તો ‘મુખનું મહોરું હઠાવી મોહન’માં નિરાકારના ગહન અર્થના કંઈ કેટલાય દીવાઓ પ્રગટાવી દીધા છે! પ્રાચીન ગુજરાતી ગીત શૈલીમાં ગૂંથાયેલ આ કાવ્યના પદોમાં શબ્દ-સંગીત અને નાદ સૌન્દર્ય પણ છલોછલ ઉભરાયું છે..”
કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…
December 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
– તેજસ દવે
કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…
સંસારના સેંકડો ઘાથી ઘવાયા પછી જાગતા વૈરાગ્યનું ગીત. બધું છોડીને ચાલી નીકળીએ તો પણ સુનકારા અને મુંઝારા પીછો નથી છોડતા ને પરિણામે પરમધામપ્રાપ્તિ થતી નથી. ચોર્યાસી લાખના ચકરાવામાંથી નીકળીને દૂર ઊડી શકાય એ ઘડીએ જ તેજ પ્રવેશ શક્ય છે.
વાત જરાય નવી નથી પણ અંદાજ-એ-બયાં મેદાન મારી જાય છે. બે અંતરાની સાંકડી ગલીમાં વૈરાગ્યની વાતની ગતિ સ્પર્શી જાય એવી થઈ છે. અને ધામ અને રામના ત્રણ અંતરામાં કે-બે શબ્દોની ફેરબદલથી કવિ ઊંચું નિશાન તાકી શક્યા છે. વાહ !
चाह नहीं, मैं सुरबाला के
गहनों में गूँथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध
प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर
हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर
चढूँ भाग्य पर इठलाऊँ,
मुझे तोड़ लेना बनमाली,
उस पथ पर देना तुम फेंक!
मातृ-भूमि पर शीश- चढ़ाने,
जिस पथ पर जावें वीर अनेक!
– माखनलाल चतुर्वेदी
લયસ્તરોની हिन्दी मधुशालाનું આ આજે આખરી પુષ્પ. હિન્દી કવિતાઓની વાત આવે અને આ અમર કાવ્ય ચૂકી જવાય એ કેમ ચાલે ? સાવ ટચુકડું ગીત પણ એનો ઊંડો ભાવ યુગયુગાંતર સુધી પુષ્પિત રહેવા સર્જાયો છે.
एक लहर उठ—उठकर फिर—फिर
ललक—ललक तट तक जाती है
किंतु उदासीना युग—युग से
भाव—भरी तट की छाती है,
भाव—भरी यह चाहे तट भी
कभी बढे, तो अनुचित क्या है?
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
बंद कपाटों पर जा—जा कर
जो फिर—फिर सांकल खटकाए,
और न उत्तर पाए,उसकी
लाज—व्यथा को कौन बताए,
पर अपमान पिए पग फिर भी
उस ड़योढी पर जाकर ठहरें,
क्या तुझमें ऐसा जो तुझसे मेरे तन—मन—प्राण बंधे से
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे
जाहिर और अजाहिर दोनों
विधि मैंने तुझको आराधा
रात चढाए आंसू, दिन में
राग रिझाने को स्वर साधा
मेरे उर में चुभती प्रतिध्वनि
आ मेरी ही तीर सरीखी
पीर बनी थी गीत कभी,अब गीत हृदय के पीर बने से
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
-हरिवंशराय बच्चन
મૂર્તિપૂજાનું રહસ્ય એ છે કે ભક્ત અજ્ઞાન નથી કે તે એક પથ્થરને પોકારી રહ્યો છે, પણ એ જાણે છે કે એના નાદથી જયારે પથ્થર પીગળશે ત્યારે જ એ પથ્થરને અતિક્રમીને પદાર્થ સુધી પહોંચશે – તત્વ સુધી પહોચશે. શરૂઆત અત્યંત કઠિન છે. શ્રદ્ધા ટકાવી રાખવી અતિકઠિન છે. પણ એ નિશ્ચિત છે કે સામે પરથી પ્રતિધ્વનિ આવશે જ. જો તાર્કિક રીતે વિચારીએ તો જે કોઇપણ માર્ગે દ્વંદ્વોમાંથી મુક્તિ મળે તે માર્ગ સાચું સાંખ્ય.
કવિ કહે છે કે હું વાચાળ અને તું મૌન ! મને તારી ભાષા સમજાતી નથી. મારા તમામ પ્રયત્નો વિફળ થતા લાગે. તારી અનુકંપા તો લહેર બનીને મારા સુધી આવે જ છે, કાંઠાસમાન મારી છાતી જ ઉદાસીનતાથી ભરેલી છે…… ઘણીવાર મારું અપમાન થતું અનુભવાયું, પણ મારી તારા પ્રત્યેની પ્રીતમાં લગીરે ઓટ ન આવી….મેં તારા વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને આરાધ્યા છે….. બસ, હવે આંખો આગળથી પડદો ખસવાની વાર છે…….
वृक्ष हों भले खड़े,
हों घने, हों बड़े,
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु, स्वेद, रक्त से
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
– हरिवंश राय बच्चन
આ નાનકડી કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. મૂળ સ્વાતંત્ર સંગ્રામની આબોહવામાં લખાયેલી રચના આજે પાણ એટલી જ પ્રસ્તુત છે. એક માણસે, એકલા હાથે, વિપરીત પરિસ્થિતિને અતિક્રમી જવા કેવી રીતે સંગ્રામ કરવો એનો આખો ઉપનિષદ કવિએ થોડી જ પંક્તિઓમા રચી દીધો છે. જ્યારે જ્યારે સંઘર્ષ કરવાની પોતાની શક્તિ પર શંકા જાગે ત્યારે આ કવિતા વાંચુ છું (હવે યુ ટ્યુબ હાથવગુ હોવાથી અમિતાભના અવાજમાં સાંભળું છું) ને ફરી હિમ્મત આવી જાય છે.
વિવેકે આ કવિતાનો સરસ અનુવાદ આગળ કરેલો છે. એ પણ જોશો.
જેનાં એકે એક ખૂણામાં નિશ્વાસોની ગન્ધ ભળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
તારી આંખોમાં સળવળતા..
સૂનકારના એરુ
મારા ખાલીપાનું પહોચે..
ક્યાંનું ક્યાય પગેરું
(જ્યાં)પાંપણ સાથે સપનાં..સપનાં સાથે ભડ ભડ રાત બળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
હાલ અને હમણાં કરતાં
વરસોનાં વાણાં વાયાં
ગયાં સુકાઈ ઝાડ ધીરજનાં
છેટા થઇ ગ્યા છાંયા
તો પણ સાલ્લી સમ ખાવા પણ એકે ઇચ્છાં કદી ફળી છે ?
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
કોઈ પણ પૂર્વભૂમિકા વિના લોહીના લયમાં અનુભવી શકાય એવું ભારઝલ્લું ગીત…
November 2, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
– જગદીશ જોષી
નિષ્ફળ પ્રેમ એટલે શું ? તેમાં વેદનાનું ઉદગમસ્થાન કયું ? અહંકાર ઘવાય તે – હાર સ્વીકારી ન શકાય તે ? હાંસી ઊડે તે ? પોતાની ન્યૂનતા નગ્ન થઈને સામે ઊભી રહી જાય તે ? જે ચીજ અપ્રાપ્ય લાગે તે માટે નો તલસાટ અનેકગણો થઇ જાય એવું મનોવૈજ્ઞાનિકો કહે છે તે ? અસંખ્ય સ્વપ્નોની લાશ લઇને જીવવું પડે તે ? આ સઘળી વેદના છતાં વ્યવહાર નિભાવવો પડે તે ?
મને એવું લાગે છે કે વ્યક્તિની પ્રજ્ઞા અને સંવેદનશીલતા અનુસાર ઉત્તર ભિન્ન હોઈ શકે. હ્રદય ધબકતું તો રહે, પણ પ્રત્યેક ધબકારા સાથે કોઈને ઝંખતું રહે…..ઝૂરતું રહે…..
કદાચ ગુલઝારસાહેબે બહુ ખૂબીપૂર્વક જવાબ આપ્યો છે – ‘ તેરે બીના ઝીંદગી સે શિકવા તો નહીં, તેરે બીના ઝીંદગી ભી લેકિન ઝીંદગી તો નહીં……’
October 25, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
मौन रात इस भांति कि जैसे, कोई गत वीणा पर बज कर,
अभी-अभी सोई खोई-सी, सपनों में तारों पर सिर धर
और दिशाओं से प्रतिध्वनियाँ, जाग्रत सुधियों-सी आती हैं,
कान तुम्हारे तान कहीं से यदि सुन पाते, तब क्या होता?
तुमने कब दी बात रात के सूने में तुम आने वाले,
पर ऐसे ही वक्त प्राण मन, मेरे हो उठते मतवाले,
साँसें घूमघूम फिरफिर से, असमंजस के क्षण गिनती हैं,
मिलने की घड़ियाँ तुम निश्चित, यदि कर जाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
उत्सुकता की अकुलाहट में, मैंने पलक पाँवड़े डाले,
अम्बर तो मशहूर कि सब दिन, रहता अपने होश सम्हाले,
तारों की महफिल ने अपनी आँख बिछा दी किस आशा से,
मेरे मौन कुटी को आते तुम दिख जाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
बैठ कल्पना करता हूँ, पगचाप तुम्हारी मग से आती,
रगरग में चेतनता घुलकर, आँसू के कणसी झर जाती,
नमक डलीसा गल अपनापन, सागर में घुलमिलसा जाता,
अपनी बाँहों में भरकर प्रिय, कण्ठ लगाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
हरिवंश राय बच्चन
[source – ઓશો – અથાતો ભક્તિ જીજ્ઞાસા]
પ્રતીક્ષાનું અત્યંત મધુર ચિત્રણ ! નખશિખ પ્રેમમાર્ગ……
September 14, 2015 at 3:07 AM by તીર્થેશ · Filed under ગીત, બેફામ
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
August 31, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, સરૂપ ધ્રુવ
કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….
કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….
એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….
સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….
-સરૂપ ધ્રુવ
આ કાવ્ય નેટ ઉપર વાંચ્યું. કવયિત્રીનો મને ઝાઝો પરિચય નથી, તેઓનું કોઈ પુસ્તક પણ પાસે નથી. જે સ્વરૂપમાં નેટ ઉપર વાંચ્યું તે જ સ્વરૂપમાં મૂકું છું.
કાવ્ય પ્રત્યે આકર્ષાવાનું કારણ એ કે ભલે વિષય જૂનો છે પણ કવયિત્રીના શબ્દોમાં એક અનોખી સચ્ચાઈ વંચાય છે……કાવ્ય દિલમાંથી બહાર આવ્યું છે….ઈમાનદાર આક્રોશ છે……
August 29, 2015 at 1:25 AM by વિવેક · Filed under ગીત, યોસેફ મેકવાન
આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !
ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !
ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,
સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,
ધરતી સાથે પ્રીત એવી કે
. ખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ !
. – આભમાં૦
ડાળ ભરેલાં પાન એવાં ત્યાં કોઈ રહે ના પંખી,
એટલે સકલ સૃષ્ટિ એણે ઉરથી ઝાંઝી ઝંખી !
ઝંખના મારી એટલી કે એ
. ફાળ ભરે ને તોય તે મને ડગલું લાગે માંડ !
. આભમાં ફોર્યાં જળનાં વિશાળ ઝાડ !
– યોસેફ મેકવાન
વાદળને જળનાં મોટાં ઝાડની સાવ નવીનતર ઉપમા આપ્યા પછી કવિ આકાશમાં વરસાદનું એક નવું જ દૃશ્ય દોરી આપે છે.