જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર
– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કવિ
કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 4, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.
આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.
આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.
જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.
એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.
– હરદ્વાર ગોસ્વામી
ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !
Permalink
November 3, 2011 at 10:00 PM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.
ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.
મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.
પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.
– વારિજ લુહાર
છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…
(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)
Permalink
November 2, 2011 at 11:34 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ
ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.
– કિશોર શાહ
મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.
તો પછી આ કવિતા કહે છે શું ?
આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો ? – શક્ય છે કે આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂
Permalink
November 1, 2011 at 10:08 PM by ધવલ · Filed under ગઝલ, સંદીપ ભાટિયા
બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?
હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?
પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.
– સંદીપ ભાટિયા
આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.
Permalink
October 29, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત વસોયા
પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
આંસુની ઇજ્જત વધારી છે અમે.
હું ફસાયો છું ભલે મઝધારમાં;
કૈંકની નૌકા ઉગારી છે અમે.
ફૂલ આપે, કંટકો આપે કદી;
હર અદા એની સ્વીકારી છે અમે.
ઉમ્રભર જો સાથ આપો તો કહું;
કેટલી વાતો વિચારી છે અમે.
જાણી બૂઝી એમને જીતાડવા;
બાજી ખુદની પણ સુધારી છે અમે.
શક્ય છે કોઠું કદી દેશે ગઝલ;
જિંદગીને બહુ મઠારી છે અમે.
-જયન્ત વસોયા
Permalink
October 28, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયન્ત પાઠક
(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.
(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !
(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !
– જયન્ત પાઠક
જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.
Permalink
October 27, 2011 at 9:00 AM by ઊર્મિ · Filed under કિસ્મત કુરેશી, મુક્તક
એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.
– કિસ્મત કુરેશી
Permalink
October 26, 2011 at 5:52 PM by ધવલ · Filed under ગઝલ, રશીદ મીર
શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.
છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.
અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર
બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.
ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.
‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.
– રશીદ મીર
નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.
બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !
Permalink
October 24, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રઘુવીર ચોધરી
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?
પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?
લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?
Permalink
October 23, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રૂમી, વસંત પરીખ
હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.
રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.
દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.
Permalink
October 22, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લ નાણાવટી
સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.
નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.
ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.
ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.
હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.
– પ્રફુલ્લ નાણાવટી
વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!
Permalink
October 21, 2011 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.
મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.
હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.
કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.
ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.
– ડૉ. મનોજ જોષી ‘મન’
મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…
Permalink
October 20, 2011 at 11:00 PM by ઊર્મિ · Filed under જમિયત પંડ્યા, મુક્તક
આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.
– જમિયત પંડ્યા
Permalink
October 19, 2011 at 7:28 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !
ચાખી ચાખીને મેં તો ભોજનીયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
. દૂધનો દાઝેલ, છાસ ફૂંકુ !
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
. લીલાને સળગાવે સુકું !
છોડું છેડો તો એક, દુજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
. પડઘા લાંબા ને વેણ ટુકું !
– જયન્ત પાઠક
ગમે તેટલી કાળજી રાખવા છતાં પોતાની અંદરની મર્યાદાને કવિ ઓળંગી શકતા નથી.
Permalink
October 17, 2011 at 12:45 AM by તીર્થેશ · Filed under કિશોર શાહ, મણિલાલ ગાલા
ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી
અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે
મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]
લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?
મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.
જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.
આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..
Permalink
October 16, 2011 at 12:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, ફૈઝ અહમદ ફૈઝ, હરીન્દ્ર દવે
બંને જગતને તારી મહોબ્બતમાં હારીને
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.
વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.
તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.
દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.
એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.
दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के
वीरां है मैकदा ख़ुमो-साग़र उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के
इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के
दुनियां ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के
भूले से मुस्कुरा जो दिये थे वो आज फ़ैज़
मत पूछ वलवले दिले-नकर्दाकार के
બેગમ અખ્તરના કંઠે અદભૂત રીતે ગવાયેલી આ ગઝલ સાંભળીને nostalgia માં અનાયાસ જ સરી જવાય છે. ફૈઝ અહમદ ફૈઝનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘ सारे सुखन हमारे ‘ હવે ઉપલબ્ધ છે.
Permalink
October 15, 2011 at 1:12 AM by વિવેક · Filed under અછાંદસ, જગદીશ જોષી, લેનર્ડ કોહેન, વિશ્વ-કવિતા
દુનિયાએ જુઠાણું હાંક્યું હોય તો મને ખબર નથી
મેં હાંક્યું છે
દુનિયાએ પ્રેમ સામે કાવતરાં કર્યાં હોય તો મને ખબર નથી
મેં કાવતરાં કર્યાં છે
જુલ્મના વાતાવરણમાં ચેન ક્યાંય નથી
મેં જુલ્મો કર્યાં છે
વાદળના ખીચોખીચ ખડકલા વગર પણ
મેં તો ધિક્કાર કર્યો જ હોત.
સાંભળી લ્યો:
મૃત્યુ જેવું કંઈ ન હોત તો પણ
મેં તો જે કૈં કર્યું… એ જ કર્યું હોત
કોઈ દારૂડિયાની માફક
હકીકતના ઠંડા નળ નીચે
મને નહીં રાખી શકો
એ સર્વસામાન્ય બહાનું મને ખપતું નથી.
રાત્રે પસાર કરી ગયેલા ખાલી ટેલિફોન-બૂથની જેમ,
સિને-ગૃહમાંથી બહાર નીકળતાં-નીકળતાં સંતલસ કરી લેવા માટે,
છેક છેલ્લી પળે યાદ આવી જતાં લૉબીના અરીસાઓ જેમ,
સેંકડોને વિચિત્ર બંધુભાવે સાંકળતી કોઈ નિમ્ફોમેનિઍકની જેમ,
હું પ્રતીક્ષા કરી રહ્યો છું –
તમારામાંનો પ્રત્યેક… એકરાર કરે તેની.
– લ્યૉનાર્ડ કોહેન (કેનેડા)
(અનુ. જગદીશ જોષી)
*
પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય…
*
What I’m doing here
I do not know if the world has lied
I have lied
I do not know if the world has conspired against love
I have conspired against love
The atmosphere of torture is no comfort
I have tortured
Even without the mushroom cloud
still I would have hated
Listen
I would have done the same things
even if there were no death
I will not be held like a drunkard
under the cold tap of facts
I refuse the universal alibi
Like an empty telephone booth passed at night
and remembered
like mirrors in a movie palace lobby consulted
only on the way out
like a nymphomaniac who binds a thousand
into strange brotherhood
I wait
for each one of you to confess
Permalink
October 14, 2011 at 3:20 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી
હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..
– લતા હિરાણી
વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !
Permalink
October 13, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under અવિનાશ વ્યાસ, ગરબો, ગીત
આવી ન્હોતી જાણી, .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.
દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
. તને કોણ કહે રાતની રાણી ?
. પૂનમ, તને આવી ન્હોતી જાણી.
– અવિનાશ વ્યાસ
હમણાં જ નવારાત્રિ પૂરી થઈ. અને બે દિવસ પહેલા જ શરદપૂનમ પણ ગઈ, જેની આપ સૌને જરા મોડી મોડી શુભકામનાઓ. જો કે અહીં અમેરિકામાં અમારે તો નવરાત્રિ અને રાસનું એક week-end હજી બાકી છે એટલે થયું કે આજે અવિનાશભાઈને યાદ કરીએ. કારણ કે અવિનાશભાઈને યાદ કર્યા વગરનાં કોઈ પણ ગુજરાતી ગીત-ગરબા-રાસ અધૂરા જ ગણાય… અવિનાશભાઈનાં ગીતોની ખાસિયત એ છે કે એને વાંચતા વાંચતા આપણા કાન પણ સળવળવા જ માંડે !
Permalink
October 12, 2011 at 8:16 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
(ફોટો:જગન મહેતા)
આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.
માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.
સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.
દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.
વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.
– રાજેન્દ્ર શુક્લ
કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ !
Permalink
October 11, 2011 at 8:29 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ, જયા મહેતા
મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી
મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.
સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.
– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !
Permalink
October 10, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે
પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે
ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘
સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે
બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે
મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે
ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે [ * સ્મરણ : મરીઝ ]
ગઈકાલે જ હજી જેનું વિમોચન થયું તે રઈશભાઈના નવાંનક્કોર ગરમ ભજીયા જેવા ગઝલસંગ્રહ – ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – માંથી લીધેલી એક ઉત્કૃષ્ટ રચના….પહેલો શેર અમર થવા સર્જાયો છે……
Permalink
October 9, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો
હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો
મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો
મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો
ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો
લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો
આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
– રઈશ મનીઆર
આપણાં સૌના ચહીતા રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન આજે રાત્રે થશે. નિખાલસ અને પ્રામાણિક વાણીથી તેમણે સદા ગઝલને શોભાવી છે. તેઓ કહે છે – ‘ મેં ગઝલને રચી, ગઝલે મને રચ્યો…’. ટીમ-‘લયસ્તરો’ તરફથી રઈશભાઈને અઢળક શુભેચ્છાઓ…..
પ્રસ્તુત ગઝલ તેઓના આ નવપ્રકાશિત સંગ્રહમાંથી લીધી છે. બીજો અને ત્રીજો શેર તેમની સર્જકતાનો વ્યાપ દર્શાવે છે.
Permalink
October 8, 2011 at 2:15 AM by વિવેક · Filed under અછાંદસ, ગીતાંજલિ, રવીન્દ્રનાથ ઠાકુર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.
I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.
I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.
And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.
– Ravindranath Tagore
*
હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.
બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.
હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.
અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
આપણા જીવનનું સાચું ચેતન ખુદ ઈશ્વર જ છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…
Permalink
October 7, 2011 at 1:21 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.
જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.
પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.
સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.
મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.
ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.
આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.
– સુનીલ શાહ
સ્વાભિમાનના ભોગે સોનાની લંકા મળે તોય નકામી… રોટલો ભલે અડધો જ હોય પણ જાત તોડ્યા વિનાનો હોવો જોઈએ એ મતલબનો હાંસિલે-ગઝલ ગણી શકાય એવો આ શેર ગૂંઠે બાંધી શકીએ તો ઘણું.
Permalink
October 6, 2011 at 12:48 PM by ઊર્મિ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.
હમણા તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.
તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.
ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.
હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.
– શોભિત દેસાઈ
પ્રેમીજનને આવવાનું આહ્વાન કરતી આ ગઝલ મને આજે જ ‘ચહેરાપોથી’ પર વાંચવા મળી… મને લાગ્યું કે જાણે મને પણ આપ સૌની સાથે એને અહીં વહેંચવાનું આહ્વાન મળ્યું ! 🙂
Permalink
October 5, 2011 at 11:08 PM by ધવલ · Filed under મુક્તક, મુસાફિર પાલનપુરી
જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું
– મુસાફિર પાલનપુરી
Permalink
October 4, 2011 at 10:35 PM by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
અથડાયા-કુટાયા મનજી,
રહ્યા તોય રઘવાયા મનજી.
સમજણ કાયમ હાથવગી પણ,
જ્યાં ને ત્યાં સલવાયા મનજી.
નહીં ઠામ ઠેકાણું તોયે,
પાંચ મહીં પુછાયા મનજી.
દુઃખમાં ડગલે પગલે સાથે,
સુખ જોઈ સંતાયા મનજી.
એ જ વાર કરતાતા તોયે,
લાગ્યું વ્હારે ધાયા મનજી.
રસ ભીતરથી બાહર મૂકી,
ભરમાયા-પસ્તાયા મનજી.
બોજ બધા કહેતા’તા મિસ્કીન
કુંભાર કરતાં ડાહ્યા મનજી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મનજીને મોજ કરાવે એવી મઝાની ગઝલ.
(છેલ્લા શેરમાં (કાચા કાનના) કુંભાર, એનો દીકરા અને ગધેડાની વાર્તાનો સંદર્ભ છે.)
Permalink
October 3, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
મધમીઠાં શબ્દો મઢ્યું મનોરમ ગીત……આવા સુંદર ગરબાઓ કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે નવરાત્રિની ભીડ-ભાડમાં !
Permalink
October 2, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગાલિબ, હરીન્દ્ર દવે
જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.
આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!
હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.
હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.
દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !
દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !
દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.
ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !
ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !
ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.
કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?
કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !
जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!
એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.
.
Permalink
October 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગીતાંજલિ, રવીન્દ્રનાથ ઠાકુર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

I know not how thou singest, my master! I ever listen in silent amazement.
The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.
My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!
– Ravindranath Tagore
*
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.
મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે, બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈ રેલાય છે અને ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે. એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે…
Permalink
September 30, 2011 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, કુમાર અંબુજ, વિશ્વ-કવિતા
જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ… આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે…
– કુમાર અંબુજ (હિંદી)
આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે. વાસ્તવિક જીવનમાં તો…
Permalink
September 29, 2011 at 4:45 PM by ઊર્મિ · Filed under ગરબો, તુષાર શુક્લ
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં
માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય
માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…
તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ
પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…
– તુષાર શુક્લ
ગઈકાલથી શરૂ થયેલી નવરાત્રિની આપ સૌને શુભેચ્છાઓ, આજે આ ગરબાના રૂપમાં.
Permalink
September 27, 2011 at 11:07 PM by ધવલ · Filed under જવાહર બક્ષી, ત્રિપદી
જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું
*
ચહેરાના વાદળોમાં
જન્મોજનમનો ફેરો
બસ એકબે પળોમાં
*
વાદળ અજળ સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે
– જવાહર બક્ષી
ત્રણે ત્રિપદીમા વાદળ આવે છે. નાનકડી નાજુક રચનાઓમાંથી અર્થ ધોધમાર વરસતો નથી, ઝરમર ઝરમર ઝરે છે.
Permalink
September 26, 2011 at 3:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અજ્ઞેય, હસમુખ દવે
કાનુડાએ કર્યો પ્યાર
કેટલીય ગોપીઓને કેટલીય વાર !
પણ જેના પર ઊભરાતું રહ્યું
એનું સમસ્ત વ્હાલ
પામ્યો નહિ તે
હાથ આવ્યું નહિ તેને એવું રૂપ !
કદાચ, કોઈ પ્રેયસીમાં
પામ્યો હોત,
તો ફરી કોઈનેય પ્રેમ કર્યો હોત ?
કવિએ ગીત લખ્યાં નવાં નવાં
કેટલીય વાર !
પણ જે એક વિષયનો કરતો રહ્યો એ વિસ્તાર
તેને તે પૂરો પામ્યો નહિ
કોઈ ગીતમાં સમાવી શક્યો નહિ
કદાચ, કોઈ ગીતમાં એનો
પાર પામ્યો હોત,
તો ફરી ક્યારેય ગીત લખ્યું હોત ?
સરળ લાગતું કાવ્ય ઘણું ગહન છે-આખી વાત કાર્ય કરવા માટેના કારણની છે,પ્રેરક બળની છે,મૂળભૂત life force ની છે. બુદ્ધત્વ પામ્યાં પછી બુદ્ધ શા માટે પાછાં સમાજમાં આવે છે ? ઇસુ શા માટે પાછાં ફરે છે ? ‘ગાવું’ એ પંખીનો સ્વ-ભાવ છે,તેની essence છે-તે માટે તેને કોઈ કારણની જરૂર નથી….તેને કોઈ મંઝીલ પર પહોચવાનું નથી.
Permalink
September 25, 2011 at 2:19 AM by તીર્થેશ · Filed under ઉશનસ્, ગીત
પ્રેમનું તો એમ છે, ભાઈ !
એ તો મળે, ના યે મળે,
– કોઈ ના કશું કળે;
એમનું તો એમ છે,ભાઈ !
એ કઈ ગમ વળે, કઈ ગમ ઢળે
-કોઈ કશું ના કળે.
પ્રેમ તો એક લતા છે, ભાઈ !
એનું નામ જ એકલતા !
એ તો ફળે, ના ય ફળે,
-કોઈ કશું ના કળે
પ્રેમ એ તો ભોંયરું છે, ભાઈ !
એ તો ભૂગર્ભમાં જ ભળે
એ તો ક્યાંથી ક્યાં નીકળે
-કોઈ કશું ના કળે
પ્રેમ એ તો આભનું બીજ છે, ભાઈ !
કઈ માટીમાં ઊભરે
કઈ છીપમાં જૈ ઠરે
-કોઈ કશું ના કળે
પ્રેમ એ તો સિંહણનું દૂધ, ભાઈ !
આપણે તો થવું માત્ર
સ્વરણ- ધાતુ- પત્ર,
ત્યાં ય એ તો ઝરે, ના ય ઝરે.
-કોઈ કશું ના કળે.
પ્રેમ એ શક્યતાઓ [ અને અશક્યતાઓનો ] પ્રદેશ છે. નિર્બંધતા તેની મૂળભૂત ભૂમિ….unpredictability એની ખાસિયત….
લયલા-મજનુંની original આખી રચના વાંચવા જેવી છે-તે મૂળ અરબીમાં ‘નિઝામી’ એ બારમી સદીમાં લખી હતી. તેનું english ભાષાંતર સરળતાથી મળે છે. રૂવાં ઊભા કરી દેતી એ કથા વિશુદ્ધ પ્રેમની જાણે કે ભગવદ્ ગીતા છે.
Permalink
September 24, 2011 at 2:43 AM by વિવેક · Filed under અછાંદસ, ગીતાંજલિ, રવીન્દ્રનાથ ઠાકુર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.
All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.
I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.
I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.
Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.
– Shri Ravindranath Tagore
જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.
મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.
હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.
મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.
ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.
-અનુ. વિવેક મનહર ટેલર
આપણી પ્રાર્થના કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?
Permalink
September 23, 2011 at 1:35 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?
પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?
નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?
નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?
ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?
નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?
– મનહર મોદી
જીવનનો ખાલીપો, અભાવ એ બહુધા કવિતાઓનો પ્રાણ બની રહે છે…
Permalink
September 22, 2011 at 6:00 PM by ઊર્મિ · Filed under ગીત, હરીન્દ્ર દવે
ભાગ્ય અજબ, કે વિધિએ મારો કાગળ રાખ્યો કોરો,
શ્યામ, તમે મનફાવે તેવું ભાગ્યચક્ર ત્યાં દોરો.
સઘન મેઘની રાત, આંગણે રાહ હજી હું જોતી,
મનગમતો દશનો તારો લઉં વાદળ વચ્ચે ગોતી,
ધખતી વિરહઅગનની શૈયા પર હું લેતી પો’રો.
પરણ પરણ પર જળનાં બિંદુ રચે કુંડળી કોની?
લહરલહર મનના આકાશે કથે કથા અનહોની,
ફૂલ બધાં વીંટળાઈ બનાવે સુંદરવરનો તોરો.
– હરીન્દ્ર દવે
ધખતી વિરહઅગનની શૈયા પર પો’રો લઈ શકવા સમર્થ ગોપીનું ભાગ્ય કદી કોરું હોય ખરું?
Permalink
September 21, 2011 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, રાજેન્દ્ર પટેલ
ઊડવાની
પહેલી જ પળે
તેણે, નક્કી કરી નાખ્યું હોય છે
ઊતરાણ.
હાડેહાડમાં છુપાયેલાં
હજાર હજાર હલેસાં
તેને ઊડવા હડસેલે.
છતાં, દરેક ફેરે
તેને ઊડવાનો હાંફ.
ગમે તેટલું ઊંચું ઉડે
ધરતી પર પડતો પડછાયો
ના છોડે.
ઊડવાના આવેગમાં
ભુલતું નથી પાંખોનો ભાર
ઊડતું નથી અપરંપાર.
એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.
ને ઊડ્યું હોય છે ક્યારેક
ઘણું ઘણું દૂર
પણ પાછું ફર્યું હોય છે
ત્યારે જ, જ્યાંથી
માંડી હોય છે શરૂઆત.
એક દિવસ તેણે જોયું
ઉતરાણમાં કપાયેલા પતંગમાંથી
કેટલાક બની જતા હોય છે
આકાશ.
તેના પીંછેપીંછામાં
પરસેવાનાં ટીપેટીપાંમાં
ક્ષિતિજો એ પ્રસારી પાંખ.
જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.
ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.
-રાજેન્દ્ર પટેલ
ઊડવું જાતમાં ઊંડા ઉતારવાની કશ્મકશના પ્રતીકરૂપ છે. માણસ એટલી વાત સમજે કે કપાયેલો પતંગ આકાશ બની જાય છે, ત્યારે જ એને ખરા અર્થમાં ઊડવાની ગડ બેસે છે.
Permalink
September 20, 2011 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, હેમંત ઘોરડા
કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો
કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો
કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો
નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો
હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો
– હેમંત ધોરડા
અશક્ય છે એને ભૂલી જવું જે સ્પર્શ, સાંજ, જળ, પવન, શબ્દ અને મૌનમાં સહજ ભળી ગયું હોય.
Permalink
September 19, 2011 at 3:28 AM by તીર્થેશ · Filed under ગઝલ, પરવીન શાકિર, હિતેન આનંદપરા
કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી
આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી
બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી
એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી
હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી
હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી
જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.
પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-
आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું……]
Permalink
September 18, 2011 at 2:33 AM by તીર્થેશ · Filed under અછાંદસ, વસંત આબાજી ડહાકે, સુરેશ દલાલ
હવે મેં છાતીમાં ભરી લીધો છે ઠંડો અંધકાર
અને આંખો થઈ છે નિર્જન રસ્તાઓ
આ કૌટુંબિક ઘરોનાં શહેરો
છોડીને નીકળ્યા છે મારાં વિરક્ત પગલાં.
આ વાટ તારી કને આવતી નથી
અને ઉદાસ એવો હું ભટકું છું
તે તારા માટે નહીં.
હવે પગલાં ફર્યાં કરે છે તે
ફક્ત રસ્તાઓ છે માટે
અને રસ્તાઓ ક્યાં જાય છે
તે હું ભૂલી ગયો છું.
રૂંવાડા ઉભા કરી દેતું dejection નું ચિત્ર…..
Permalink
September 17, 2011 at 1:44 AM by વિવેક · Filed under અછાંદસ, ગીતાંજલિ, રવીન્દ્રનાથ ઠાકુર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…

1
Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.
This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.
At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.
Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.
– Ravindranath Tagore
તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.
વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.
તારા હાથોના અમૃત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.
તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.
Permalink
September 16, 2011 at 1:46 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
સાધે જો કાયાકલ્પ તો ભમરો કમળ બને;
સૂર્યાસ્ત-સૂર્યોદયની સફર તો સફળ બને.
શોષાયેલાં નવાણ નયનમાં ફૂટે કદી;
ખાબોચિયુંયે ત્યારે સમન્દર સકળ બને.
થીજી જવાનું ભાગ્ય બરફને મળ્યું છતાં
સૂરજ ઊગી શકે તો હિમાલય સજળ બને.
દૃષ્ટિના ભેદ પર બધો આધાર છે અહીં;
સ્થળ ત્યાં બને જ જળ અને જળ ત્યાં જ સ્થળ બને.
તૂટી પડે જો વૃક્ષની ટોચેથી પાંદડું;
મારી હયાતી મૂલથી આકળવિકળ બને.
– ભગવતીકુમાર શર્મા
(નવાણ=કૂવો, વાવ, તળાવ વગેરે જળાશય)
Permalink
September 14, 2011 at 9:10 PM by ઊર્મિ · Filed under આસીમ રાંદેરી, મુક્તક
જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !
– ‘આસિમ’ રાંદેરી
સ્મિત અને ઉદાસી બંને વિરોધાભાસી હોવા છતાં કદાચ એકીસાથે રહી શકે છે.
Permalink
September 13, 2011 at 11:08 PM by ધવલ · Filed under એસ. એસ. રાહી, ગઝલ
ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક
શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક
નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક
હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક
હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક
– એસ.એસ. રાહી
સૂફી વાણી-વિચારની સુવાસ વાળી ગઝલ. શબ્દોની મીઠાશ જ મન મોહી લેવા માટે પૂરતી છે.
Permalink
September 12, 2011 at 1:46 PM by ધવલ · Filed under ગઝલ, સંજુ વાળા
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
– સંજુ વાળા
ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂
(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)
Permalink
September 10, 2011 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં
ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં
સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં
સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં
સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં
જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં
– સાહિલ
Permalink
September 9, 2011 at 12:05 AM by વિવેક · Filed under ગઝલ, ગુલઝાર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद
आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद
दिल अगर है तो दर्द भी होगा
इसका कोई नहीं है हल शायद
राख़ को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद
– गुलज़ार
કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.
આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.
દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.
જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.
– અનુ. વિવેક મનહર ટેલર
SMS મારફતે આ ગઝલ મળી. મોકલનારે કવિ તરીકે સુરૈયાનું નામ લખ્યું હતું એટલે વધુ આશ્ચર્ય થયું અને ગઝલનો સાછંદ તરજૂમો પણ કરી નાંખ્યો. પણ પછી વધુ ચોક્સાઈ માટે ગૂગલદેવતાની આરાધના કરી તો જાણ થઈ કે આ ગઝલ તો ગુલઝારની છે… હજી કોઈ મિત્રો પાસે પુસ્તકાકારે આ ગઝલની માલિકીનો વધુ સબળ પુરાવો હોય તો જણાવવા વિનંતી…
Permalink
Page 70 of 113« First«...697071...»Last »