ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
March 1, 2008 at 12:47 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…
-પન્ના નાયક
ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…
Permalink
February 29, 2008 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.
ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.
જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.
પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.
દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.
ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.
વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.
-ભગવતીકુમાર શર્મા
ભગવતીકાકા વિશે મારું દૃઢપણે એવું માનવું છે કે સાહિત્યને જે ચીવટાઈ અને ખંતથી એ આરાધે છે એટલી કાળજીથી આજનો અન્ય કોઈ સર્જક આરાધતો નહીં જ હોય. ગઝલ હોય કે ગીત, નવલિકા હોય કે નવલકથા, નિબંધ હોય કે વિવેચન, ભગવતીકાકા એમાં પોતાનો પ્રાણ રેડી દે છે. એમની ગઝલો જેમ-જેમ વધારે વાંચું છું, મારો આ મત વધુ અફર બનતો જાય છે. આ ગઝલના એક-એક શેરને હાથમાં લઈ જુઓ… અહીં ખરા સોના સિવાય બીજું કંઈ મળે તો કહેજો… દર્પ અને દર્પણની દોસ્તી ત્યજીને સભાન થયેલા આ શાયર પસાર થઈ ગયેલી ક્ષણોની કાંચળીનો પણ યાદોની ટાંપ તરીકે ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે જે કુમળી કળીના ખરી જવાથી પણ અકથ્ય વેદના અનુભવી આંખો મીંચી જાય છે જ્યારે આખી શેરી ઝબકીને જાગી જાય એવા ટકોરાં પડે તોય ન ઊઘડે એવા દ્વાર જેવા પણ કેટલાક હોય છે.
Permalink
February 28, 2008 at 1:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.
સાવ અધવચ્ચેય આવે છે પરાકાષ્ઠા કદી,
પહોંચવા ના પહોંચવાના ભાવ પણ સાપેક્ષ છે.
પોતપોતાનું બધાંને પ્રાણપ્યારું છે રટણ,
જે કરે છે તું સતત તે જાપ પણ સાપેક્ષ છે.
હું કદી મારો, કદી તારો, કદી છું સર્વનો,
મારા મનમાં છે તે મારું સ્થાન પણ સાપેક્ષ છે.
મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.
-અશરફ ડબાવાલા
‘સાપેક્ષ છે’ જેવી મજાની રદીફને કવિએ આ ગઝલમાં ખૂબ સુંદર રીતે નિભાવી જાણી છે. સાવ સીધી ભાષામાં લખાયેલા બધા જ શેર વારંવાર ગણગણવાનું મન થાય એવા મજાના થયા છે. મંઝિલ અને મઝલની વાત કરતો બીજો શેર તથા મોકળાશ અને સંકડાશની સાપેક્ષતા આપણા પોતાના મનની જ નીપજ હોવાનું ઈંગિત કરતો આખરી શેર જો કે મને ખૂબ ગમી ગયા.
Permalink
February 27, 2008 at 10:58 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.
ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.
– વિપિન પરીખ
માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.
Permalink
February 27, 2008 at 12:45 AM by ધવલ · Filed under મુક્તક, વિનોદ ગાંધી
કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?
– વિનોદ ગાંધી
Permalink
February 26, 2008 at 12:31 AM by ધવલ · Filed under નીતિન વડગામા, મુક્તક
એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.
– નીતિન વડગામા
Permalink
February 24, 2008 at 3:00 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…
-પન્ના નાયક
પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).
Permalink
February 23, 2008 at 1:50 AM by વિવેક · Filed under અછાંદસ, કિરણસિંહ ચૌહાણ
તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે
એ
એના સમયે આવે.
– કિરણસિંહ ચૌહાણ
Permalink
February 22, 2008 at 12:30 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ
રેતના ઘરમાં રહું છું, રણ નથી
આંસુમાં દેખાઉં છું, દર્પણ નથી.
તું સમયની જેમ ભૂંસાતો ગયો,
મેં તને ધાર્યો હતો એ જણ નથી.
મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય જેવું આમ તો કંઈપણ નથી.
આપણામાં કૈંક તો બાકી બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.
ઊજવી નાખેલ અવસરનું કોઈ
બારણા પર શોભતું તોરણ નથી.
-અંકિત ત્રિવેદી
સમય જીવનની નોટબુકમાં પડતો રહેતો એવો અક્ષર છે જે સતત ભૂંસાતો રહે છે અને અવિરત ઘૂંટાતો રહે છે. મનુષ્યજાતનું પણ એવું જ નથી? સામા માણસને ઓળખવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય અને અંતે જાણ થાય, અરે, આ તો મેં ધાર્યો હતો એનાથી સાવ વિપરીત જ નીકળ્યો ! અંકિત ત્રિવેદીની આ ગઝલનો મને ગમતો અન્ય શેર છે સૂર્યને “પોતાના ” પડછાયાનું પ્રતિબિંબ ધારવાની રોચક કલ્પના. અને છેલ્લો શેર એવો બન્યો છે કે જેટલીવાર એને મમળાવો, વધુ ને વધુ મીઠો અને અર્થગહન લાગે.
જે મિત્રો અંકિત ત્રિવેદીના શેરોની રમઝટ માણવાનું અગાઉ ચૂકી ગયા હોય એમને અહીં કડી-૧ અને કડી-૨ પર ક્લિક્ કરવા ગઝલપૂર્વક આમંત્રણ આપું છું.
Permalink
February 21, 2008 at 1:21 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.
ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?
જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.
-આહમદ મકરાણી
સાવ સહજ બાનીમાં કવિ ફ્રિજમાં ઠરી ગયેલી વાસી ક્ષણોનું તરોતાજા કલ્પન લાવી આપણી રુગ્ણ માનસિક્તા પર જનોઈવઢ ઘા કરે છે. અને સામે કાળ સામે બાંયો ચડાવવાની બાળમમત ત્યજવા પણ કહે છે. કાળ સામે કોનું ચાલ્યું જ છે કે આપણું ચાલવાનું? મહાભારત યાદ આવે છે: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.
Permalink
February 20, 2008 at 9:04 PM by ધવલ · Filed under અછાંદસ, રમેશ પારેખ
(1)
ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !
(2)
ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
શી ખબર ?
જીવનો ખોબો અમે
અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…
(3)
જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !
(4)
ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?
– રમેશ પારેખ
ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.
Permalink
February 20, 2008 at 12:08 AM by ધવલ · Filed under મધુકર શ્રોફ, હાઈકુ
પતંગિયું તો
ભમતું ફૂલે ફૂલે
થઈ ટપાલી.
– મધુકર શ્રોફ
Permalink
February 19, 2008 at 12:20 AM by ધવલ · Filed under અછાંદસ, ગુલાબ દેઢિયા
રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?
– ગુલાબ દેઢિયા
ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )
Permalink
February 17, 2008 at 12:32 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
-વેણીભાઇ પુરોહિત
વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.
જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?
‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.
અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.
(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)
Permalink
February 16, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અજ્ઞેય, શકુન્તલા મહેતા
ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.
-અજ્ઞેય
(અનુવાદ: શકુન્તલા મહેતા)
કવિતામાં પહેલા જ શબ્દમાં ‘રાજા’નું ચિત્ર દોરાય છે. રાજાનું આગમન તો કેવું ભપકાદાર હોય! પણ અહીં રાજા આવે છે ધીમા અને દબાયેલા પગલે. (અહીં પગલાંની ગતિ પણ ઓછી છે અને પગલાંમાં વજન પણ નથી, જે કવિતાની ઉદાસીના રંગને ઓર ઘેરો કરી દે છે!) કેમકે એ વસંત છે અને કમનસીબે શહેરમાં પ્રવેશી રહી છે. સિમેન્ટ-ડામરની સંસ્કૃતિએ એનો પરિચય ગુમાવી દીધો છે અને સામા પક્ષે વસંત પણ હવે એના આગમન સાથે આપણને હવે હળવો હરિત આંચકો આપતી નથી. કોઈ ઘાટના (કદાચ ત્યજી દેવાયેલા કેમકે દુઃખી વિશેષણ વપરાયું છે) કોઈ ઢોળાવ પર સ્વયંભૂ ઊગી આવેલી અનામી જંગલી વેલ જોકે વસંતથી હજી પરિચિત છે કેમકે ત્યાં હજી વસંતના આવણાંઓ હરિયાળા નાદમાં ગવાય છે. વસંત ચૂપ રહે છે પણ એનો પ્રભાવ કદી ચૂપ રહેતો નથી… (‘વસંત’ને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બન્ને તરીકે લઈ શકાય એ જાણકારી આજે જ થઈ…)
Permalink
February 15, 2008 at 12:30 AM by ધવલ · Filed under ઉશનસ્, ગઝલ
છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !
ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !
હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?
બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.
કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !
આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?
– ઉશનસ
Permalink
February 14, 2008 at 12:14 AM by વિવેક · Filed under ઉમર ખૈયામ, રુબાઈયાત, શૂન્ય પાલનપુરી
ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.
*
ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.
*
એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.
*
અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.
-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી
ઈસવીસનની અગિયારમી સદીમાં ઈરાનમાં થઈ ગયેલા ઉમર ખૈયામની રુબાઈયાત આજે પણ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોખરે સ્થાન પામે છે. એમનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ખૈયામ એમનું તખલ્લુસ. ખૈયામનો એક અર્થ તંબુ સીવનાર પણ થાય છે. (એમના પૂર્વજોનો એ ધંધો હતો). જન્મ ઈરાનના ખોરાસન મુકામે નીશાપુર ગામે. યાદદાસ્ત તીવ્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વાયુશાસ્ત્રમાં નિષ્ણાત. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે રહ્યા. હિજરી સન ૫૦૬માં પ્રાર્થનાના શબ્દો હોઠ પર રાખીને ૧૦૯ વર્ષની વયે દેહત્યાગ. એમની રુબાઈઓમાં ઈશ્વરીય પ્રેમ અને જીવન જીવવાની ફિલસૂફી સાકી, સનમ, શરાબના પ્રતીકો બનીને ઉપસી આવે છે.
આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે એક તરફ રૂમીની દાર્શનિક રુબાઈઓ માણીએ અને બીજી તરફ ખૈયામની પ્રણયોર્મિથી ચકચૂર રુબાઈઓનો ગુલાલ પણ કરીએ. શૂન્ય પાલનપુરીએ એમની રુબાઈઓના કરેલા અનુવાદ વિશે એવું પણ કહેવાય છે કે જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે.
Permalink
February 14, 2008 at 12:14 AM by વિવેક · Filed under રુબાઈયાત, રૂમી, સુરેશ દલાલ
અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.
*
જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…
*
તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.
*
તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.
*
તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.
*
પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.
– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)
તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…
આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…
(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)
Permalink
February 13, 2008 at 12:32 AM by ધવલ · Filed under મરીઝ, મુક્તક
દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.
– મરીઝ
(તદબીર=પેરવી, ઉકેલ)
Permalink
February 12, 2008 at 12:51 AM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
એના સહજ સરલ સૌ પ્રાસ,
જાણે જમુનાતટનો રાસ;
એનો અનંતને પટ વાસ,
અણજાણ વિના આયાસ જડી.
એનો એક જ અંતરભાવ,
બસ ‘તુહિ, તુહિ’નો લ્હાવ,
એ તો રટણ રટે : પ્રિય આવ,
આવ, આવ અંતરા જેમ ચડી !
– નિરંજન ભગત
છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.
Permalink
February 10, 2008 at 12:56 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગીત
એવું એકાદ કોઈ ગામ હોય…!
. ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
. અને નક્શામાં જેનું ના નામ હોય !
સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
. સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
. હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
. સૂરજની ખોજ અવિરામ હોય !
. એવું એકાદ કોઈ ગામ હોય !
ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
. ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
. ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
. જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
. એવું એકાદ કોઈ ગામ હોય !
-કરસનદાસ લુહાર
ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?
Permalink
February 9, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
જાત સાથે ગુફ્તગૂ કરવી હતી,
એક સુંદર શાયરી કરવી હતી.
એટલે તો મનભરી ચાહ્યો તને,
કાળજાની કાળજી કરવી હતી.
પ્રેમના કારણ કદી પૂછો નહીં,
જિંદગીભર બંદગી કરવી હતી.
છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને મારે પરત કરવી હતી.
ડૂબતા આ સૂર્યને રોકો જરી,
સાંજને વાતો હજી કરવી હતી.
-દિવ્યા મોદી
દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.
દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…
Permalink
February 8, 2008 at 12:55 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા
કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!
-એષા દાદાવાલા
એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?
Permalink
February 7, 2008 at 2:00 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
-રમેશ પારેખ
ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.
કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…
ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.
પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?
કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…
છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?
Permalink
February 6, 2008 at 12:57 AM by ધવલ · Filed under ગીત, સંદીપ ભાટિયા
નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.
મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.
સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે
ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.
પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.
– સંદીપ ભાટિયા
ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.
Permalink
February 4, 2008 at 11:08 AM by ધવલ · Filed under અછાંદસ, શ્રીકાંત માહુલીકર
નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.
– શ્રીકાંત માહુલીકર
Permalink
February 3, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગુણવંત ઠક્કર, ગુલ અંકલેશ્વરી, જનક નાયક, જય નાયક, દિલીપ ઘાસવાલા, પંકજ વખારિયા, પ્રકાશ મહેતા, પ્રજ્ઞા વશી, પ્રફુલ્લ દેસાઈ ડૉ., પ્રભાકર ધોળકિયા, મનસુખ નારિયા, મહેશ દેસાઈ, યામિની વ્યાસ, રમેશ ગાંધી, રીના મહેતા, વિપિનકુમાર કિકાણી, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સુરેશ વિરાણી, સુષ્મા અય્યર ડૉ., હરીશ ઠક્કર ડૉ.
ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…
શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા
ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા
રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી
માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી
સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક
બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ
આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ
ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી
આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ
હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા
વધુ આગળ વાંચો…
Permalink
February 2, 2008 at 12:30 AM by વિવેક · Filed under અમર પાલનપુરી, આસીમ રાંદેરી, એચ. એન. કેશવાણી 'અચલ', કિરણસિંહ ચૌહાણ, કિસન સોસા, ગૌરાંગ ઠાકર, દિલીપ મોદી, ધ્વનિલ પારેખ, નયન દેસાઈ, નિર્મિશ ઠાકર, બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, મંગળ રાઠોડ, મનુબેન ચોક્સી, મહેશ દાવડકર, મુકુલ ચૉકસી, રઈશ મનીયાર, રતિલાલ 'અનિલ', રમેશ પટેલ, રવીન્દ્ર પારેખ, વિજય સેવક, શેર, સંકલન

(“ગઝલે સુરત”…. …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)
૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી
હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા
શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ
વધુ આગળ વાંચો…
Permalink
February 1, 2008 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, દીના શાહ
ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
મ્હેંકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી, ને તું ખુદા,
જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.
ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું એ ગજું થઈ જાય છે ?
જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.
એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
પ્હાડ પર પાણીને જોઈ થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે !
-દીના શાહ
વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !
(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)
Permalink
January 31, 2008 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
કોઈ પણ હો ડગર કબૂલ મને,
એની સાથે સફર કબૂલ મને.
એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ હો કે સહર કબૂલ મને.
કોઈ પણ સ્થાન તને મળવાનું
કોઈ પણ હો પ્રહર કબૂલ મને.
તારી ખુશ્બૂ લઈને આવે જે
એ પવનની લહર કબૂલ મને.
જે નશાનો ન હો ઉતાર કોઈ
એ નશીલી નજર કબૂલ મને.
ખૂબ જીવ્યો છું રોશનીમાં હું
આ તિમિરતમ કબર કબૂલ મને.
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
-હનીફ સાહિલ
નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે? પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?
Permalink
January 31, 2008 at 12:28 AM by ધવલ · Filed under મરીઝ, મુક્તક
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
– મરીઝ
Permalink
January 29, 2008 at 1:15 AM by ધવલ · Filed under ગઝલ, હરકિશન જોષી
હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી
નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી
છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
– હરકિસન જોષી
રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.
Permalink
January 29, 2008 at 12:09 AM by ધવલ · Filed under અછાંદસ, થોભણ પરમાર
કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.
– થોભણ પરમાર
Permalink
January 27, 2008 at 11:19 PM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઉપાધ્યાય
તમારા શહેરની આબોહવામાં
સતત છું વ્યસ્ત આંસુ લૂછવામાં.
તમારી વ્યગ્રતા વધવાનું કારણ
તમે નિર્મમ છો સરહદ આંકવામાં.
સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને રસ ફકત છે તોડવામાં.
પ્રયત્નો લાખ એળે જઈ રહ્યા છે
તમારા મન સુધી પહોંચવામાં.
તમારી જાતમાં જાતે સમાઉં
પછી આગળ કશું શું બોલવાનાં ?
– ગુણવંત ઉપાધ્યાય
Permalink
January 26, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બંકિમ રાવલ
હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
. મેલ કાતરિયે વચકો ને વાયદો
થીજે કે ઓગળે આંસુના પ્હાડ
. પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
. પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
. ખરો મારગ છે સાવ જ અલાયદો.
વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
. સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
. ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
. પગપાળા જાતરાનો કાયદો !
– બંકિમ રાવલ
લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…
Permalink
January 25, 2008 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત પાઠક
ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.
નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.
પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.
આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.
પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.
-જયન્ત પાઠક
આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…
(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)
Permalink
January 24, 2008 at 1:25 AM by વિવેક · Filed under ગઝલ, બેફામ
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’
બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…
Permalink
January 23, 2008 at 9:42 AM by ધવલ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
– રતિલાલ ‘અનિલ’
વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.
Permalink
January 23, 2008 at 9:00 AM by ધવલ · Filed under ગીત, પુનશી શાહ 'રંજનમ'
સાઠ ઘડી હું ગોપાલકની
એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
એક ઘડી હું તારી,
સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,
માધવ ગિરિધર
લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
એક ઘડી હું તારી રે !
– પુનશી શાહ ‘રંજનમ’
મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા
Permalink
January 21, 2008 at 11:44 PM by ધવલ · Filed under પ્રિયકાંત મણિયાર, લઘુકાવ્ય
ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.
– પ્રિયકાંત મણિયાર
બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !
Permalink
January 20, 2008 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, ક્રિસ્ટીન બર્કી-એબટ
સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.
પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.
એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.
જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.
– ક્રિસ્ટીન બર્કી-એબટ
શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?
Permalink
January 19, 2008 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ઘોર કાવ્ય, ચંદ્રકાન્ત ટોપીવાળા
સૂરજને કહ્યું ઊગ, સૂરજ ઊગી ગયો
ચન્દ્રને કહ્યું આથમ, ચન્દ્ર આથમી ગયો
ફૂલને કહ્યું ખીલ, ફૂલ ખીલી રહ્યું
પવનને કહ્યું વા, પવન વાવા લાગ્યો.
સમુદ્રને કહ્યું ગરજ, સમુદ્ર ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ, આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ, મન દુઃખી દુઃખી થઈ ગયું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!
Permalink
January 18, 2008 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !
હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !
જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!
સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય
કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !
વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.
-રિષભ મહેતા
આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?
Permalink
January 17, 2008 at 12:29 AM by વિવેક · Filed under ગઝલ, નૈસર્ગી મુસળે
આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.
વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.
ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.
ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.
ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.
પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.
-નૈસર્ગી મુસળે
પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?
અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.
અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.
નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…
Permalink
January 16, 2008 at 12:00 AM by ધવલ · Filed under અછાંદસ, મણીન્દ્ર રાય
જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.
– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)
Permalink
January 14, 2008 at 1:41 AM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ જોશી
આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.
મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.
હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.
ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.
જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?
– પ્રવીણ જોશી
ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !
મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.
Permalink
January 13, 2008 at 1:37 AM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ
ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.
‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.
વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.
Permalink
January 13, 2008 at 1:33 AM by ધવલ · Filed under ગીત, મૂકેશ જોષી
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…
– મૂકેશ જોશી
ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.
Permalink
January 12, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, વિશ્વ-કવિતા, શાન મેઈ
વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી
શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.
(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)
Permalink
January 11, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી, વિષમ છંદ ગઝલ
એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો
ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો
આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો
આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો
મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો
-જવાહર બક્ષી
ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો…
બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.
બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…
Permalink
Page 98 of 118« First«...979899...»Last »