અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
April 20, 2008 at 12:30 AM by વિવેક · Filed under દુષ્યન્ત કુમાર, શેર, સંકલન
હિંદી ગઝલની પરંપરામાં સમકાલીન સમાજનો તારસ્વર સૌપ્રથમ દુષ્યન્ત કુમારની ગઝલોમાં મુખર થતો દેખાય છે. હિંદી ગઝલ પહેલવહેલીવાર સાકી, શરાબ, સનમ, બુલબુલ- અને એ રીતે ઉર્દૂ ગઝલની અર્થચ્છાયાઓ – છોડીને આમ-આદમીના ફાટેલા કપડાં અને ભૂખ્યા પેટ સુધી આવી. સમાજના છેડાના માણસનો આર્તસ્વર એ રીતે એમની ગઝલોમાં ગવાયો છે કે આંખમાં આંસુ આવી જાય. કવિએ પોતે પોતાની ગઝલ વિશે આમ કહ્યું હતું: “जिन्दगी में कभी-कभी ऐसा दौर भी आता है जब तकलीफ गुनगुनाहट के रास्ते बाहर आना चाहती है। उस दौर में गमे जानाँ और गमे दौराँ तक एक हो जाते हैं। मैंने गजल उसी दौर में लिखी है।” ૩૦-૦૯-૧૯૩૩ના રોજ પૃથ્વીના પટ પર પ્રથમ શ્વાસ લેનાર આ શાયર માત્ર બેતાળીસ વર્ષની નાની વયે ૩૦-૧૨-૧૯૭૫ના રોજ કાયમી અલવિદા કહી ગયા પણ એમના શબ્દોમાં કંડારાયેલા આ ‘કોમન-મેન’ની વેદનાના શિલ્પ यावत् चद्रोदिवाकरौ અમર રહેશે…
* * *
अब सबसे पूछता हूँ बताओ तो कौन था,
वो बदनसीब शख़्स जो मेरी जगह जिया ।
मैं भी तो अपनी बात लिखूँ अपने हाथ से,
मेरे सफ़े पे छोड़ दे थोडा़ सा हाशिया ।
(सफ़ा=कागज़)
इस सड़क पर इस क़दर कीचड़ बिछी है,
हर किसी का पाँव घुटनों तक सना है ।
रक्त वर्षों से नसों में खौलता है,
आप कहते है क्षणिक उत्तेजना है ।
दोस्तो ! अब मंच पर सुविधा नहीं है,
आजकल नेपथ्य में सम्भावना है ।
किसी भी क़ौम की तारीख़ के उजाले में,
तुम्हारे दिन हैं किसी रात की नक़ल लोगो ।
हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए ।
(पीर=पीडा)
सिर्फ़ हंगामा खडा करना मेरा मक़सद नहीं,
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए ।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए ।
वे सहारे भी नहीं अब, जंग लड़नी है तुझे,
कट चुके जो हाथ, उन हाथों में तलवारें न देख ।
दिल को बहला ले, इजाज़त है, मगर इतना न उड़,
रोज़ सपने देख, लेकिन इस क़दर प्यारे न देख ।
ये धुँधलका है नज़र का, तू महज़ मायूस है,
रोजनों को देख, दीवारों में दीवारें न देख ।
(रोजन=छेद, सुराख)
मरघट में भीड़ है या मज़ारों पे भीड़ है,
अब गुल खिला रहा है तुम्हारा निज़ाम और ।
(मरघट=समशान, मज़ार=कब्र)
घुटनों पे रख के हाथ खडे़ थे नमाज़ में,
आ-जा रहे थे लोग ज़ेहन में तमाम और ।
(ज़ेहन=समज़, दिमाग)
मेले में भटके होते तो कोई घर पहुँचा जाता,
हम घर में भटके हैं, कैसे ठौर-ठिकाने आएँगे ।
ज़िन्दगी एक खेत है,
और साँसें जरीब है ।
(जरीब=जमीन नापने का साधन)
उफ़ नहीं की उजड़ गए,
लोग सचमुच गरीब है ।
जिन आँसुओं का सीधा तआल्लुक़ था पेट से,
उन आँसुओं के साथ तेरा नाम जुड़ गया ।
बहुत क़रीब न आओ यक़ीं नहीं होगा,
ये आरज़ू भी अगर कामयाब हो जाए ।
इस तरह टूटे हुए चेहरे नहीं हैं,
जिस तरह टूटे हुए ये आइने है ।
आपके क़ालेन देखेंगे किसी दिन,
इस समय तो पांव कीचड़ में सने हैं ।
– दुष्यन्त कुमार
Permalink
April 19, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રહલાદ પારેખ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
. આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
. પમરતી પાથરી દે પથારી. આજ 0
આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
. મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
. મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
. ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
. હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
. આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0
-પ્રહલાદ પારેખ
ભાવનગરમાં જન્મેલા પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મ:૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ:૦૨-૦૧-૧૯૬૨) ટૂંકા જીવનગાળામાં અવિનાશી કવિકર્મ કરી ગયા. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. આજીવન શિક્ષક. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી.
પ્રસ્તુત કાવ્યમાં રાત્રિના સૌંદર્યને એમણે સ્પર્શક્ષમ પરિમાણ આપી અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરે રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે?
(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)
Permalink
April 18, 2008 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો
ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો
વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો
થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો
જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો
-આદિલ મન્સૂરી
ગઈકાલે આપણે મનોજ ખંડેરિયાની આટલા જ શેરવાળી, આ જ છંદ, આ જ રદીફ અને બહુધા આવા જ કાફિયાવાળી એક શબ્દ-ગઝલ માણી. આજે વાંચીએ આદિલ મન્સૂરીના શબ્દને…
અવાજને જ્યારે અર્થ મળ્યો ત્યારે એ શબ્દ થયો પણ એજ શબ્દને જ્યારે દુન્યવી ‘અર્થ’નો-વિનિમયનો સ્પર્શ થયો ત્યારે એનું સૌંદર્ય મરી પરવાર્યું. પહેલી કડીમાં કવિ જ્યારે શબ્દના વિસ્તારના વધતા જવાની વાત કરે છે ત્યારે ક્ષણાર્ધભર માટે લાગે છે કે કવિ શબ્દનો મહિમા કરી રહ્યા છે પણ બીજી કડી કવિએ કરેલા ઉપાલંભને ખુલ્લો કરે છે. શબ્દની શક્તિથી અજાણ લોકો જ્યારે શબ્દને શસ્ત્ર બનાવી દુનિયાના મેદાનમાં ઊતરે છે ત્યારે કેવા દુષ્પરિણામ આવી શકે છે ! અને વાત શબ્દની હોય અને કવિ મૌનનો ઉલ્લેખ ન કરે એમ કેમ બને ? પણ આજે આપણો માંહ્યલો એટલો છીછરો બની ગયો છે કે કોઈ વાત માંડીને ન કહેવામાં આવે તો આપણને ટપ્પી પડતી નથી.
નાછૂટકે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે પણ એમાં કેટલી પીડા છે એ તો આ શેર વાંચતા જ અનુભવાય છે. અને આખરે કવિ ફરીથી શબ્દના વહેવારની વાત પર આવી જાણે કે એક વર્તુળ પૂરું કરે છે. આજનો શબ્દ અર્થના અંધારાઓમાં એ રીતે ગુમાઈ ગયો છે કે એનું પોતીકું ગૌરવ જ ગુમાવી બેઠો છે…
Permalink
April 17, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
-મનોજ ખંડેરિયા
शब्द ब्रह्मને પામવાની કવિની મથામણ ઘણા સુંદર કાવ્યોમાં જનમતી આવી છે. ગયા અઠવાડિયે રઈશ મનીઆરની એક શબ્દ-ગઝલ માણી. આજે એવી જ એક ગઝલ મનોજ ખંડેરિયાની કલમે. પહેલા જ શેરથી કવિ શબ્દનો મહિમા પ્રસ્થાપિત કરી દે છે. પણ કવિને જે વાત વધુ અભિપ્રેત છે એ છે મૌનની તાકાત. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” શબ્દોના અંધારા કોલાહલમાં અટવાઈ ગયેલું હૈયું અંતે તો મૌનનો અજવાસ જ ઝંખે છે. છેલ્લો શેર પણ સુંદર સંદેશો લઈને અવ્યો છે. સાંજનું સૌંદર્ય માણવું હોય તો દૃષ્ટિ પરના બધા પડળ ઓગાળીને ખુદ સાંજને જ આંખમાં આંજવી ઘટે. કૃત્રિમ સાજ-શણગાર ત્યજી દીધા બાદ જ સાચું સૌંદર્ય પ્રમાણી-માણી શકાય. અને સાંજના ગગનને ‘ભગવો’ રંગ આપીને કવિ આ શેરની અર્થચ્છાયાનો વ્યાપ અ-સીમ કરી દે છે…
(આવતી કાલે માણીએ આજ છંદ, આજ વિષય, આજ રદીફ, આજ આધારવાળા કાફિયા અને સંખ્યાની દૃષ્ટિએ પણ આટલા જ શેર ધરાવતી આદિલ મન્સૂરીની એક ગઝલ)
Permalink
April 16, 2008 at 11:01 PM by ધવલ · Filed under ગઝલ, માવજી મહેશ્વરી
ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા
લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા
સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી
આજે આ તદ્દન નોખી જ ગઝલ અચાનક વાંચવામાં આવી. કબીર પર ગઝલ એમણે કબીરને શોભે એવા શબ્દોનો ઉપયોગ કરીને લખી છે. પહેલો જ શેર જબરજસ્ત ચોટદાર થયો છે. ખાંપણ સરખો ખેસ કબીરા ! જેમના મૃત્યુ વિષે અનેક વાયકાઓ પ્રચલિત છે એવા કબીરના જીવન માટે કવિએ અદભૂત પ્રયોગ કર્યો છે. કબીરની ફકીરી, બેફીકરાઈ, સાદી વાણી અને નિરપેક્ષતાની વાત એક પછી એક શેરમાં આવે છે. ધીમે ધીમે મોર કળા કરતો હોય એમ કબીરના વ્યક્તિત્વમાં કવિ એક પછી એક શેરથી રંગ પૂરતા જાય છે. કવિએ કબીરના વિશાળ વ્યક્તિત્વને માત્ર દશ લીટીમાં પણ પૂરતો ન્યાય કર્યો છે. કોઈને કવિ વિષે વધારે માહિતી હોય તો જણાવશો.
Permalink
April 16, 2008 at 12:02 AM by ધવલ · Filed under મનહરલાલ ચોકસી, મુક્તક
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
– મનહરલાલ ચોકસી
Permalink
April 14, 2008 at 11:30 PM by ઊર્મિ · Filed under અછાંદસ, આગા શાહિદ અલી, જ્યોત્સ્ના તન્ના, વિશ્વ-કવિતા
કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
પોતાના બચપણની વાત કરી.
લખનૌના મેદાનમાં અને
એ જ ઋતુની
ચોમાસાની, જ્યારે કૃષ્ણની
વાંસળી સંભળાતી જમનાને કિનારે.
તે જૂની રેકર્ડ વગાડતી
બનારસની ઠૂમરી ગાયિકાઓની
સિદ્ધેસ્વરી અને રસૂલન. તેમના
અવાજમાં ઝંખના હતી, જ્યારે વાદળાં
ઘેરાય, ત્યારે ન દેખાતા તે
શ્યામલ દેવ માટે. જુદાઈ
તો વરસાદ આવતાં ન વેઠાય,
દરેક ઊર્મિગીત આ જ કહે છે.
જ્યારે બાળકો બહાર દોડે
ગલીકૂચીમાં, ભરઉનાળે
પ્રેમીઓ વચ્ચે સંદેશાની આપલે
હીર અને રાંઝા અને બીજા
દંતકથાનાં પાત્રો, પ્રેમ તેમનો નિષિદ્ધ
આખી રાત ધૂપ કરી
જવાબની રાહ જોતાં, મારી મા
હીરનો વિલાપ ગણગણતી
પણ મને કદી કહ્યું નહીં કે તેણે
ચમેલીની અગરબત્તી પેટાવી હતી કે નહીં
જે બળીને રાખની સળી થઈ જતી.
હું કલ્પના કરતો
દરેક એવી ગ્રીવાની
જે ભીની હવા પર ટેકા માટે લળે.
તેણે ફક્ત એટલું જ કહ્યું:
ચોમાસું કદી કાશ્મીરના
પહાડો પાર નથી કરતું.
– (કાશ્મીરી) આગા શાહિદ અલી
(અનુ. જ્યોત્સ્ના તન્ના)
Permalink
April 13, 2008 at 12:35 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર


ગુજરાતી ભાષાનો દુર્લભ અને અમૂલ્ય ખજાનો – ભગવદ્ગોમંડલ – ફરી એકવાર ભાષાના સદનસીબે ઉપલબ્ધ થયો છે. જે ભાષા પાસે પોતાનો ‘એન્સાઈક્લોપીડિયા’ નથી એ કેમ જીવી શકે ? ગુજરાતી ભાષાના લલાટે લખાયેલું આ મહેણું ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ પહેલ-પહેલીવાર તોડ્યું. એક બાજુ દેશભરમાં આઝાદીની લડતનો જુવાળ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રાજવીએ શબ્દયજ્ઞ આદર્યો. પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ એમણે વિશાળ શબ્દકોશ રચવાના ભગીરથ કાર્યના શ્રીગણેશ કર્યા અને લાગલગાટ છવ્વીસ વર્ષોની એકધારી તપશ્ચર્યાના અંતે જ્ઞાનગંગાનું અવતરણ મા ગુર્જરીના ખોળે કરી શક્યા. મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો પણ સમાયા છે. ૧૯૪૮માં પ્રથમવાર છપાયેલા આ જ્ઞાનકોશનું પુનર્મુદ્રણ ઠેઠ ૧૯૮૬માં શક્ય બન્યું અને આજે પુનઃપુનર્મુદ્રણ ૨૦૦૭-૦૮માં કરવામાં આવ્યું છે. આ મહાકાય અને લગભગ આકાશકુસુમવત્ ભાસતા, માથે દેવાનો ડુંગર ખડકી શકે એવા ખર્ચાળ સાહસ કરવાનું ગાંડપણ રાજકોટના ‘પ્રવીણ પ્રકાશને’ કર્યું છે એ બદલ ‘લયસ્તરો’ ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન…
પરંતુ એક દુઃખની વાત એ પણ છે કે કબાટનું એક આખું ખાનું રોકી લે એવા આ મહાગ્રંથની માત્ર ૧૦૦૦ પ્રત જ છાપવામાં આવી છે. કદાચ પ્રકાશક પણ જાણે છે કે ભાષાને જીવાડવાના બણગાં ફૂંકતી દાળભાતખાઉં પ્રજા કાગળ પરના વાઘની ગર્જનાથી વિશેષ કંઈ નથી. આપણામાંથી ઘણાના ઘરે ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જરૂર હશે, પણ ભગવદ્ગોમંડલ ખરીદવાનો તો વિચાર પણ નહીં આવે. રૂ. ૧૦૦૦૦ જેવી આજના જમાનામાં મામૂલી ગણાતી રકમમાં વેચાતી આ જ્ઞાનની બહુમૂલ્ય સરિતા 30મી એપ્રિલ સુધીમાં તો માત્ર રૂ. ૭૫૦૦માં જ મળશે.
ગુજરાતમાં, ગુજરાત બહાર અને દૂર દેશાવરોમાં પાણીના રેલાની માફક પથરાઈ ગયેલ કરોડો ગુજરાતીઓની વચ્ચે ૧૦૦૦ પુસ્તકોની સંખ્યા પણ કેમ વધુ પડતી લાગે છે ? રિબોકના ૩૦૦૦-૪૦૦૦ રૂ.ના જોડા પગમાં ઘાલીને કે રેબનના ૨૫૦૦-૩૦૦૦ના ગૉગલ્સ આંખે ચઢાવી થિયેટર-રેસ્ટૉરન્ટની એક મુલાકાતમાં જ ૫૦૦-૧૦૦૦ રૂપરડીની ચટણી કરતી પ્રજાના ખિસ્સામં સાડા-સાત હજાર રૂપરડી પણ નથી? કે મરતી માને પાણી પૂછવાનું પણ હવે આપણે સાવ જ વિસારી દીધું છે ?

(‘રાગ’ શબ્દનો અર્થ ત્રણ-ત્રણ પાનાં ભરીને કેવી રીતે આ ગ્રંથોમાં આપ્યો છે એ આ નમૂનામાં જોઈ શકાય છે. રાગ વિશે કોઈ પણ જાતની જાણકારી ન ધરાવનાર પણ આ પૃષ્ઠોમાંથી પસાર થઈ સંતોષનો ઓડકાર ખાઈ શકે છે. આ એક નમૂનો છે. આપણી ભાષાના કોઈ પણ શબ્દના અર્થની જે વિશદતાથી અને વિસ્તારથી અહીં છણાવટ કરવામાં આવી છે એ અભૂતપૂર્વ છે…) (Click on the photograph to get an enlarged view)
Permalink
April 13, 2008 at 12:30 AM by વિવેક · Filed under દુષ્યન્ત કુમાર, શેર, સંકલન
હિંદી કાવ્ય-જગતમાં દુષ્યન્ત કુમાર એક એવું નામ છે જે ઉર્દૂના મહાકવિ ગાલિબની સમકક્ષ નિઃશંક માનભેર બેસી શકે છે. ખૂબ જ ટૂંકી જિંદગીમાં ખૂબ જ ઓછી ગઝલો લખી જનાર દુષ્યન્ત કુમારની ગઝલોએ જે સીમાચિહ્ન હિંદી સાહિત્યાકાશમાં સર્જ્યું છે એ न भूतो, न भविष्यति જેવું છે. એમની ગઝલોમાં જે મિજાજ, સમાજની વિષમતાઓ અને વિસંગતતાઓ સામે જે આક્રોશ અને જે મૌલિક્તા જોવા મળે છે એ એક અલગ જ ચીલો ચાતરે છે. ગઝલને હિંદીપણું બક્ષવામાં એમનો જે સિંહફાળો છે એ કદી અવગણી શકાય એમ નથી. એમના જ શબ્દોમાં જોઈએ તો, “मैं स्वीकार करता हूँ…. …कि उर्दू और हिंदी अपने-अपने सिंहासन से उतरकर जब आम आदमी के पास आती हैं तो उनमें फ़र्क कर पाना बडा़ मुश्किल होता है । मेरी नीयत और कोशिश यह रही है कि इन दोनों भाषाओं को ज्यादा से ज्यादा करीब ला सकूँ । इसलिये ये गज़लें उस भाषा में कही गयी है, जिसे मैं बोलता हूँ ।” માત્ર બાવન જ ગઝલોનો રસથાળ ધરાવતો એમનો એકમાત્ર ગઝલ-સંગ્રહ “साये में धूप” આજે પણ હિંદી ભાષાની સહુથી મૂલ્યવાન અસ્ક્યામત કેમ ગણાય છે એ જાણવા માટે ચાલો, એક લટાર મારીએ એમની ગઝલોની ગલીઓમાં…
कहाँ तो तय था चिरागाँ हरेक घर के लिए,
कहाँ चिराग़ मयस्सर नहीं शहर के लिए ।
(मयस्सर=उपलब्ध)
न हो कमीज़ तो पाँवो से पेट ढँक लेंगे,
ये लोग कितने मुनासिब हैं, इस सफ़र के लिए ।
वे मुतमइन हैं कि पत्थर पिघल नहीं सकता,
मैं बेकरार हूँ आवाज़ में असर के लिए ।
(मुतमइन=संतुष्ट)
अब तो इस तालाब का पानी बदल दो,
ये कँवल के फूल कुम्हलाने लगे हैं ।
ये सारा जिस्म झुककर बोझ से दुहरा हुआ होगा,
मैं सजदे में नहीं था, आप को धोखा हुआ होगा ।
(सजदा = इबादत में झुकना)
यहाँ तक आते-आते सूख जाती हैं कई नदियाँ,
मुझे मालूम है पानी कहाँ ठहरा हुआ होगा ।
एक चिनगारी कहीं से ढूँढ लाओ दोस्तो,
इस दिये में तेल से भीगी हुई बाती तो है ।
दुख नहीं कोई कि अब उपलब्धियों के नाम पर,
और कुछ हो या न हो, आकाश-सी छाती तो है ।
कितना अच्छा है कि साँसों की हवा लगती है,
आग अब उनसे बुझाई नहीं जाने वाली ।
हमने तमाम उम्र अकेले सफ़र किया,
हम पर किसी खुदा की इनायत नहीं रही ।
(इनायत=मेहरबानी)
हमको पता नहीं था हमें अब पता चला,
इस मुल्क में हमारी हुकूमत नहीं रही ।
ग़ज़ब है सच को सच कहते नहीं वो,
कुरानो-उपनिषद खोले हुए है ।
हमारा क़द सिमट कर घिंट गया है,
हमारे पाँव भी झोले हुए है ।
मौत ने तो धर दबोचा एक चीते की तरह,
ज़िन्दगी ने जब छुआ तब फ़ासला रखकर छुआ ।
खडे़ हुए थे अलावों की आँच लेने को,
सब अपनी अपनी हथेली जलाके बैठ गये ।
(अलावों=आग का ढेर)
लहू-लुहान नज़ारों का जिक्र आया तो,
शरीफ़ लोग उठे दूर जाके बैठ गये ।
वो देखते हैं तो लगता है नींव हिलती है,
मेरे बयान को बंदिश निगल न जाए कहीं ।
(बंदिश=प्रतिबंध)
चले हवा तो किवाडों को बंद कर लेना,
ये गर्म राख शरारों में ढल न जाए कहीं ।
– दुष्यन्त कुमार
Permalink
April 12, 2008 at 1:27 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
(એક તરોતાજા અક્ષુણ્ણ ગઝલ… …રઈશ મનીઆરના સ્વહસ્તે ખાસ લયસ્તરોના વાચકો માટે)
આ અનુનય વિનય શું સતત શબ્દમાં
મારે કહેવું હતું કંઈ સખત શબ્દમાં
રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
મારે નામે થઈ એક છત શબ્દમાં
જીવતાં જાગતાં આંખ મીંચી દીધી
ને પછી ઊઘડ્યું એક જગત શબ્દમાં
જાવ રમવું નથી કહી કલમ કર ગ્રહી
ને પછી માંડી કેવી રમત શબ્દમાં
આવે એક લખલખું, થાય એને લખું
વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં
માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં
આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
-ડૉ. રઈશ મનીઆર
“શબ્દ” કવિનું ઓજાર… પથ્થર પણ એ જ અને શિલ્પ પણ એ જ. જેમ માણસ જન્મ્યો ત્યારથી હોવાપણાંનો તાગ મેળવવા મથતો આવ્યો છે એજ રીતે કવિતાનો પહેલો શબ્દ લખાયો ત્યારથી કવિ શબ્દનો પાર પામવા સતત મથતો રહ્યો છે. રઈશભાઈની આ ગઝલ પણ આ મથામણની જ ઉપજ છે. આમ તો આખી ગઝલ તરફ વાંચતા જ પક્ષપાત થઈ જાય એમ છે પણ એમણે જે ઘડીએ આ ગઝલ સંભળાવી ત્યારથી મારું ધ્યાન તો આખરી શેર પર જ રહી રહીને જયા કરે છે…
Permalink
April 11, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રતિમા પંડ્યા
ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.
લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.
ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.
ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.
પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.
સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.
-પ્રતિમા પંડ્યા
પ્રતિમા પંડ્યા ગઈકાલે આપણે જેમની ગઝલ અહીં માણી હતી એ સંજય પંડ્યાના અર્ધાંગિની છે પણ અહીં આપણે એ ઓળખાણ નહીં આપીએ. પુરુષ કરતાં સ્ત્રી વધુ લાગણીસભર અને ઋજુહૃદય હોય છે એ બાબતમાં કોઈને શંકા હોય તો આ ગઝલ પર નજર કરે. કવિની સંવેદનાનું પોત કેટલું મસૃણ હોય છે એ અહીં સમજી શકાય છે. ઓવારણાં લેવાની ક્રિયા સુખદ વધામણાં લેવાનો પ્રસંગ છે પણ કવિને જે સ્પર્શે છે એ ટાચકાંને થતું દુઃખ છે. આંગળીથી પણ આગળ વધીને કવયિત્રી ઠેઠ ટાચકાંની અનુભૂતિના મર્મમાં પહોંચે છે. અને શિલ્પ જન્માવતા પથ્થરોની પીડા વિશે તો આપણે ઘણું બધું કહી દઈએ છીએ પણ કવયિત્રીને જે વાત અભિપ્રેત છે એ છે હથોડીની પીડા. કેવી મુલાયમ વાત !
“નો’તી ખબર”નો રદીફ લઈ આગળ વધતી આ ગઝલની સર્થક્તા તો એ વાતમાં છે કે દરેક શે’ર વાંચતી વખતે જ્યારે જ્યારે કવિ કહે છે કે ખબર નહોતી ત્યારે-ત્યારે આપણને અહેસાસ થયા વિના રહેતો નથી કે કવિને તો આ વાત ખબર જ છે.
Permalink
April 10, 2008 at 1:18 AM by વિવેક · Filed under ગઝલ, સંજય પંડ્યા
નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.
હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.
ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.
ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.
તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.
-સંજય પંડ્યા
સંજય પંડ્યાની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે એક ગઝલ ઓર. પહેલા શેરનું ‘ડિસેક્શન’ કરીએ. હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે. ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે ! નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે. નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકી દીધા બાદ હસ્તરેખાઓને કાયમી સાચવી રાખવાના વલણને પણ ‘સાચવી’ને હાથમાં મૂકવાની વાત કરીને કવિ નદીની સૌંદર્યસમૃદ્ધિ હસ્તગત કરવા કહે છે. ખેર, આ તો થયું મારું અર્થઘટન ! આ શે’રનો અર્થવિન્યાસ કોઈ ઓર પણ હોઈ શકે છે…
હાથમાં મૂકવાની આ ગઝલમાં કવિ પાંચેય શેરમાં જળના જ અલગ-અલગ આયામ બખૂબી ઉપસાવે છે. એમાંય ઢળતી સાંજે ચોસલાસોતા મળતા સરોવરના નવાનક્કોર શિલ્પ કોતરવાની વાત મને ખૂબ ગમી ગઈ…
Permalink
April 9, 2008 at 1:33 AM by ધવલ · Filed under મકરન્દ દવે, મુક્તક
ભલે રક્ષજે નાથ સંહારકોથી
પરંતુ વધુ તેથી ઉદ્ધરકોથી
મને બીક છે કે અમે ડૂબવાના
અમારા બની બેસતા તારકોથી
– મકરંદ દવે
Permalink
April 8, 2008 at 1:16 AM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.
તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.
નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.
દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે ગઝલ.
એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.
માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.
લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ
ઘાયલની ગઝલની વ્યાખ્યા કરતી ગઝલ. કલ્પનો એ યુગના છે એટલે થોડા અલગ લાગી આવે છે. સમય સાથે ગુજરાતી ગઝલ કેટલી બદલાઈ છે એનો ખ્યાલ આ ગઝલ વાંચતા આવે છે. પહેલો અને છેલ્લો શેરનો અવારનવાર જોવામાં આવે છે પણ આખી ગઝલ ઘણા વખતે જોવામાં આવી.
(માલમી=નાવિક, navigator)
Permalink
April 7, 2008 at 1:08 AM by ધવલ · Filed under ગઝલ, મનહર મોદી
ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.
એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું.
મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું
થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું.
બંધ થઈ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું.
– મનહર મોદી
જાતને શોધવાની રમત બધી કલાઓની જનની છે. આ રમતમાં જે જીતી ગયા એ દુનિયા જીતી ગયા. કવિ પોતાની જાતને શોધવાની રમત આદરે તો આવી ગઝલ મળે.
Permalink
April 5, 2008 at 11:51 PM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !
કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!
સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!
ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!
ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!
આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!
-યામિની ગૌરાંગ વ્યાસ
યામિની વ્યાસ આમ તો સુરતની પૃષ્ઠભૂ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે પણ કવયિત્રી તરીકે પણ એ ખાસ્સું કાઠું કાઢી રહ્યા છે. આ ગઝલ જુઓ. બધા જ શેર શું મજાના નથી થયા? નાવ, ટેરવાં અને વાદળવાળા શેર તો સ્વયંસ્ફુટ અને હાંસિલે-ગઝલ છે જ પણ સિંજારવ જેવો શબ્દ સહજતાથી વેંઢારીને ચાલતો શેર પણ જોવા જેવો થયો છે. સિંજારવ એટલે ધાતુના ઘરેણાંનો ખણખણાટ. સામસામે બે મન મોકળાશથી મળે ત્યારે જે સંગીત આપોઆપ રચાય છે એ મીંઢળજોડ્યા સંબંધોમાં બહુધા સંભળાતું નથી. જ્યાં આ રણકારનું સંગીત નથી ત્યાં વળી કેવો મનમેળાપ? અને છેલ્લો શેર પણ એજ રીતે કાબિલે-દાદ થયો છે. આગ લાગે ત્યારે ધુમાડો જરૂર ઊઠે છે. પણ મનમાં તો ઘણીવાર દાવાનળ ઊઠતો હોય તોય કોઈ ચિહ્ન બહાર જણાય નહીં એવું શક્ય છે.
Permalink
April 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
-ઉમાશંકર જોષી
હાથ છોડીને સાઈકલ ચલાવવી હોય તો પહેલાં હેંડલ હાથમાં પકડીને જ શીખવું પડે. ઈંટ-રેતીથી મકાન બાંધતા આવડે તોજ અનિયમિત આકારના ઢેફા વાપરીને કળાકૃતિ બનાવવાનો વિચાર કરી શકાય. છાંદસ કાવ્ય સિદ્ધ ન કર્યું હોય એવા લોકો અછાંદસમાં સીધી ડૂબકી મારે તો ડૂબી જવાનો ગળાબૂડ ભય રહેલો છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલી શકે છે કેમકે અછાંદસ એ આખરે તો કવિનો પોતીકો છંદ છે. ઉમાશંકર જોષીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.
કવિતાની પહેલી કડી છાંદસ છે (ગાલગાગા ગાલગાગા ગાલગા). અછાંદસ કવિતામાં કોઈપણ કડીનું છંદમાં હોવું જરૂરી નથી તો પછી કવિએ અહીં પહેલી કડીમાં છંદ કેમ સિદ્ધ કર્યો હશે? પંખીને કહેવાની વાતો તરન્નુમમાં જ આવે માટે?
અહીં પંખીને કંઈક કહેવું છે પણ એ માણસ પાસે આવતાં ખમચાય છે એ બે જ વાક્યમાં કવિએ નગરજીવનના મનુષ્યની સંકીર્ણ અને અવિશ્વાસપાત્ર માનસિક્તા તરફ ઈંગિત કરી કવિતામાં પ્રવેશવાનો દરવાજો રચી દીધો છે. ત્રીજી કડીમાં પંખીના દૂ…ર ઊડી જવાની ક્રિયા સાથે પર્વતનો ઉલ્લેખ અંતર અને ઊંચાઈ – બંને સ્થાપિત કરે છે. ટેકરી પરનું ઊંચું વૃક્ષ અને પાછી એના પરની ટગડાળ-ઊંચી ડાળ એ ઊંચાઈનો વ્યાપ વધુ દીર્ઘ બનાવે છે. કવિતામાં જ્યાં છંદની ઉપસ્થિતિ ન હોય ત્યાં શબ્દ-ચિત્ર આલેખવામાં ક્યારેક બિનજરૂરી લંબાણ કવિતાની ગતિને વ્યવધાનરૂપ બનતું હોય છે. અહીં આ એક જ લીટી ઓછા શબ્દોથી મોટું ચિત્ર શી રીતે આલેખી શકાય એ સમજાવે છે.
થાકેલું-હારેલું પંખી શારીરિક વિટંબણાઓથી ગ્રસ્ત-ત્રસ્ત થઈ કહેવાની વાત અંતે બબડી નાંખે છે અને કવિ ત્યાં કવિતાનું પહેલું પૂર્ણવિરામ મૂકે છે પણ કવિતાની કડી ત્યાં બદલાતી નથી, આગળ ચાલે છે. કવિની વાત અને એમ પંખીની વાત હજી પૂરી નથી થઈ એનું ચાક્ષુષ અનુસંધાન સાધતું હોય એમ આગળનું વાક્ય પૂર્ણવિરામ સાથે જોડાઈને કવિતાની ગતિને અનવરત આગળ વધારે છે. કવિતાના આ નવા ખંડની શરૂઆત થાય છે નદીના સાંભળી જવાથી. પણ ફક્ત ‘સરતી સરિતા’ એમ બે જ શબ્દો વાપરીને કવિ પુનઃ કવિતાના શબ્દને ગતિનો બોધ અર્પે છે. અને કાવ્ય આગળ વધતું નથી, સરસર વહી નીકળે છે. નદી પણ ગબડતી, રસળતી થાકીને સમુદ્રમાં પરપોટાના અવાજોમાં કંઈક કહેવા મથતી ભળી જાય છે એ ઘટના પર કવિ બીજું પૂર્ણવિરામ મૂકે છે. અને અપેક્ષિતરીતે જ કવિતાનો આ ત્રીજો ખંડ પણ પૂર્ણવિરામ બાદ એ જ કડીમાં શરૂ થઈ કવિતાની ગતિ ચાલુ રાખે છે. સમુદ્ર પણ ખડકો પર અનવરત માથાં પછાડતાં-પછાડતાં કહેવાની વાત ભૂલી જાય છે ત્યારે કવિ પ્રથમ કડીની પુનરોક્તિ કરે છે પણ આ વખતે સાયાસ પંક્તિના અંતને અધૂરો છોડી દઈ ઘટનાક્રમનું પુનરાવર્તન ભાવકના ચિત્તમાં સતત થતું રહે એવી ગોઠવણ કરે છે…
મારી દૃષ્ટિએ અછાંદસ કાવ્યસ્વરૂપને પામવા મથતા સાચા તપસ્વી માટે આ કવિતા ઉદાહરણરૂપ છે.
(ચંદ્રકાંત ટોપીવાળા કૃત ‘અછાંદસ મીંમાસા’ના આધારે)
Permalink
April 4, 2008 at 2:07 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ
જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ
નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.
(અનામી)
-અનુવાદ: સુરેશ દલાલ
કેટલું સુંદર અને સચોટ પ્રેમકાવ્ય ! કોણે લખ્યું એની તો જાણ નથી પણ એનો અનુવાદ કરાવીને સુરેશભાઈએ પ્રેમીઓ પર જાણે ઉપકાર કર્યો છે.ચાક પર ગૂંદાતી માટીમાં નંખાતું પાણી પોતાનું અસ્તિત્વ ગુમાવીને માટીના કણ-કણને પલાળે છે ત્યારે એમાંથી ઘડાનું સર્જન થાય છે. જાત ન ઓગળે ત્યાં સુધી કોઈ પણ પ્રાપ્તિનો ચમત્કાર કદી શક્ય જ નથી…
Permalink
April 3, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંદીપ ભાટિયા
લીલાશના વણજારા રે
અમે બહુ દોડીને ઊભા
તરસમાં પગ બોળીને ઊભા
કૂંપળના, કલરવના, ફોરમના જે છૂટ્યાં ગામ રહ્યાં એ ઝાંખાઝાંખા દૂર
હૂંફને કાંઠે હજી તો નાખ્યા ડેરા ત્યાં તો કોઈ નથીનાં ઊમટ્યાં ઝળઝળ પૂર.
રાવટી રગદોળીને ઊભા
અમે બહુ દોડીને ઊભા
થડ ઉપર ચડતી કીડીના પગરવનો રોમાંચ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
દાણા લઈને ઊડતી આવે માળામાં એ સાંજ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
ગઠરિયા સૌ છોડીને ઊભા
અમે બહુ દોડીને ઊભા
-સંદીપ ભાટિયા
કવિતા ક્યાં-ક્યાંથી જન્મ લેતી હોય છે ! આ ગીતનું લાંબુલચ્ચ શીર્ષક વાંચતાં જ આંખ સામે હાથમાં ફોટોગ્રાફ લઈ બેઠેલા કવિનું દૃશ્ય જાણે ખડું થઈ જાય છે. કવિ સંવેદનાનો દ્યોતક છે. અને સંવેદન કઈ ઘડીએ કઈ જગ્યાએ અને કયા પ્રસંગે જેમ સમુદ્રમાં ચંદ્ર તેમ લોહીમાં ખળભળાટ મચાવી દે, કંઈ કહેવાય નહીં. શીર્ષક વાંચીને પછી કવિતામાં પ્રવેશીએ તો કવિએ જે-જે કલ્પનો પ્રયોજ્યા છે તે બધા જ એક પછી એક આંખ સામે ખડા થતા જાય છે અને ગીત પૂરું થતાં સુધીમાં તો જો તમે સારા ચિત્રકાર હો તો કવિએ જે ફોટોગ્રાફ જોઈને આ ગીત લખ્યું હશે એ ફોટોગ્રાફનું હૂબહૂ ચિત્રણ કરી શકો એવું રમણીય વર્ણન અહીં કરાયું છે.
Permalink
April 2, 2008 at 8:05 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.
એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.
– મુકુલ ચોકસી
એક વ્યહવારિક વાત. તન-મનનો સંઘર્ષ. અને એક સ્નિગ્ધ ઉદાસી. જુઓ આ એક ગઝલ મનના ક્યા ક્યા ખૂણાને અડકીને આવી છે !
Permalink
April 1, 2008 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.
કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ?
અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ.
એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.
ઓ વિધાતા! આંસુઓથી તો નથી એને લખ્યું,
એ કહે કે કેમ લાગે છે મને ખારું નસીબ ?
એ દયાળુ કેટલો અંધકાર દીધા બાદ પણ,
ના દીધું રાત્રિને જેણે છેક અંધારું નસીબ.
બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.
-રિષભ મહેતા ‘બેતાબ’
આજે જ રિષભ અંકલનો ગઝલ સંગ્રહ ‘તિરાડ’ હાથમાં આવ્યો અને ત્યારે જ મને ખબર પડી કે એમનું તખલ્લુસ ‘બેતાબ’ છે, જે એમને ડૉ. રશીદ મીરે આપેલું છે. એમની ઘણી બધી ગઝલો મને આમ તો ઘણી જ ગમી ગઈ, પરંતુ આ ગઝલ જરા વધુ ગમી ગઈ. એમાંયે પાંચમા શેરમાં રાત્રિને છેક અંધારું નસીબ ન દેવાની વાત તો એકદમ સ્પર્શી ગઈ.
Permalink
March 31, 2008 at 11:30 AM by ધવલ · Filed under ગોવિંદ ગઢવી, મુક્તક
કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
– ગોવિંદ ગઢવી
Permalink
March 30, 2008 at 11:38 PM by ધવલ · Filed under ગઝલ, મધુમતી મહેતા
જાત ઓળંગ્યા પછીની વારતા,
એક ભ્રમ ભાંગ્યા પછીની વારતા.
હુંપણાના ગામની તારાજગી,
મેં તને માગ્યા પછીની વારતા.
એ શહીદ થૈને વસ્યા ઈતિહાસમાં,
આપણી ભાંગ્યા પછીની વારતા.
ને હરણ આંખો મીચી બેસી ગયું,
ઝાંઝવા તાગ્યા પછીની વારતા.
બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
– મધુમતી મહેતા
પહેલા બે શેર તો ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ જાય એટલા સરસ થયા છે. ‘હુંપણાના ગામની તારાજગી’ જેવો સરસ પ્રયોગ શેરને અલગ જ આભા આપે છે. છેલ્લા બે શેર તો હું હજી મમળાવી રહ્યો છું. એમાંથી હજુ વધુ અર્થ છૂટશે એવી આશા છે એટલે એના પર વાત આગળ ફરી કદીક.
Permalink
March 29, 2008 at 3:14 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, સુન્દરમ, સુન્દરમ્-સુધા

અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
– સુન્દરમ્
કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…
ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…
(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)
Permalink
March 28, 2008 at 2:15 AM by ઊર્મિ · Filed under સુન્દરમ, સુન્દરમ્-સુધા, સોનેટ

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
– સુંદરમ્
(27, જુલાઇ 1939)
Permalink
March 27, 2008 at 2:27 AM by વિવેક · Filed under સુન્દરમ, સુન્દરમ્-સુધા, સોનેટ

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.
ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !
-‘સુન્દરમ્’
દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.
“હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!
(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)
Permalink
March 26, 2008 at 7:59 PM by ઊર્મિ · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
Permalink
March 25, 2008 at 9:27 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ, સુન્દરમ્-સુધા

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
. તોડીફોડી પુરાણું,
. તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
– સુન્દરમ્
જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.
Permalink
March 24, 2008 at 11:04 PM by ધવલ · Filed under ભક્તિપદ, સુન્દરમ, સુન્દરમ્-સુધા

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
. ઢૂંઢ ઢૂંઢ તોહે…
બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
– સુન્દરમ્
મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)
Permalink
March 23, 2008 at 11:30 AM by ધવલ · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.
Permalink
March 22, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’
૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…
કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.
જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…
(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)
Permalink
March 21, 2008 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
પહેલી નજરના પ્રેમ પેઠે આ શાયરને પહેલીવાર શબ્દોના રસ્તે મળ્યો ત્યારથી જ એ મને ગમી ગયો છે. એની ગઝલમાં રોજિંદી બોલચાલની વાત એવી સહજતાથી ઊતરી અને ઊપસી આવે છે કે ગમતા શેરોની આગળ નિશાની કર્યા સિવાય આગળ વધાતું નથી. હું માત્ર બે જ શેર -ત્રીજા અને ચોથા- ની વાત કરીશ.
જાહોજલાલીનો ઢોળ ચડેલી આપણી આ જિંદગી અંદરથી તો હકીકતે સાવ ખાલીખમ થઈ ગઈ છે. ચારે તરફ વૈભવી ચમકદમકથી વીંટળાયેલા હોવા છતાં એવું કોઈ ઓશિકું નથી જેના પર ચિંતાની, અજંપાની, બેચેનીની કરચલીઓ ન પડતી હોય. કવિ આપણી અંદરના ખોખલાપણા સાથે સીધો જ સંવાદ સાધે છે. અહીં ઘર અને બારણાંની વિભાવનામાં કશું પણ ‘ફીટ’ બેસી શકે છે. ભીતરનો ખાલીપો જ્યારે તીવ્રતમ વેદના બનીને ભોંકાતો હોય અને એ દૂર કરનાર કશાકના કોઈ એંધાણ માત્ર પણ ક્યાંય દૃષ્ટિગોચર ન થતા હોય ત્યારે જ એ ખાલીપણા સાથે સીધો વાર્તાલાપ જન્મે છે. જે દરવાજે કોઈ આવ્યું નથી અને કોઈના આવવાની આશા પણ હવે દેખાતી નથી, એ દરવાજાને આ ખાલીપો ખુદ જઈને ખખડાવે તો ય ઘણું હવે તો…. ‘ખખડાવ’ કાફિયાની પાછળ સાવ અડોઅડ કવિતાની ભાષા બહારની, નકરી બોલચાલની એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે…
એ પછીના શેરમાં હું માત્ર આંસુની સાવ નવી વ્યાખ્યા કરી આપવાના કવિકર્મને છૂટ્ટે હાથે દાદ દઈ આખા શેરને અને એ રીતે આખી ગઝલના મુશાયરાને અનુભવવાનું ભાવક પર છોડી દઈશ…
Permalink
March 20, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !
નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !
ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !
નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !
કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !
ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !
– ડૉ. મહેશ રાવલ
નેટ-ગુર્જરીના ચાહકો ડૉ. મહેશ રાવલના નામથી અજાણ્યા નહીં જ હોય. એમના ગઝલસંગ્રહને ઈ-સ્વરૂપ આપતા એમના નવેસર અને ગઝલોનો ગુલદસ્તો બ્લૉગ્સ ઓછા સમયમાં બહોળા લોકપ્રિય બની રહ્યા છે. રાજકોટના આ તબીબ-કવિ મિત્ર લાંબા સમયથી શબ્દોના શિલ્પ કોતરી રહ્યા છે. એમની ગઝલોમાં બહુધા જોવા મળે છે એ જ રીતે પ્રસ્તુત ગઝલમાં પણ મનુષ્યની પ્રકૃતિની વિસંગતતાની વેદના અને પૂર્ણતાના અભાવની વ્યથા સાંગોપાંગ નજરે ચડે છે. આપણી ગતિનો અને પ્રગતિનો મુખ્ય અવરોધક કોણ હોઈ શકે? દોસ્ત? દુશ્મન? કે દુનિયા? કવિ જુદી જ પણ સાવ સાચી વાત કરે છે. આપણી વિકાસયાત્રામાં અવર નહીં પણ પોતીકી જાત જ વિશેષતઃ વ્યવધાનરૂપ સાબિત થાય છે. આપણે આપણા અહમ્ ને વટાવી શકતા નથી. અહમ્ નો ઉંબરો વટાવે તે જ સોહમ્ ના વિશ્વમાં પ્રવેશે. જાત વળોટાતી નહીં હોવાની હકીકત જ અંતે તો સૌને નડે છે. ઈતિહાસની સચ્ચાઈ બે જ લીટીમાં આલેખતો શેર પણ એવો જ ચોટદાર થયો છે.
(લયસ્તરોને એમનો ગઝલસંગ્રહ ‘નવેસર’ ભેટ આપવા બદલ ડૉ. રાવલનો ખૂબ-ખૂબ આભાર…)
Permalink
March 19, 2008 at 11:23 PM by ધવલ · Filed under મુક્તક, મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી
Permalink
March 18, 2008 at 5:33 PM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
– બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
ભારેખમ એ ખડક,
નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
છતાંય એનો સઢ ન હવા પકડતો !
લંગર પકડી એ તો લટક્યા કરતો !
શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.
ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને અહીંથી સાફ કરી દો વ્હેલાં પ્હેલાં :
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત છે :
ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …
– ચંદ્રકાંત શેઠ
કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે.
ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !
(ગલ = માછલી પકડવાનો આંકડો)
Permalink
March 17, 2008 at 11:59 PM by ધવલ · Filed under અછાંદસ, ગુલામમહોમ્મદ શેખ
(નીલિમા, સમીરાને)
હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.
– ગુલામમોહમ્મદ શેખ
કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !
Permalink
March 16, 2008 at 7:06 PM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.
મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !
પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.
રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?
શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.
ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.
– વિવેક મનહર ટેલર
લયસ્તરો પર આજે આ કવિમહાશયનાં જન્મદિવસે મારા તરફથી એમની જ એક રચના. છેલ્લો શેર તો મારો એકદમ ફેવરીટ શેર છે… 🙂
Permalink
March 15, 2008 at 12:54 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
-મનોજ ખંડેરિયા
અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.
મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.
મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…
હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?
Permalink
March 14, 2008 at 1:15 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રભુ પહાડપુરી, લઘુકાવ્ય
તે આથમી ગયો
પછી
અંધારું સોળે કળાએ ઊગ્યું.
-પ્રભુ પહાડપુરી
ઠાલાં શબ્દો ન વેડફે એ કવિ ઉત્તમ. શબ્દોની કરકસરના પહાડ પાછળ કવિતાનો જે સૂર્યોદય અહીં થયો છે એ ભાવકને કવિતા પૂરી થયા પછી આગળ ન વધવા મજબૂર કરી દે એવો ઝળાંહળાં છે. ગાંધીજીને આપવામાં આવેલી કેટલીક ઉત્તમ અંજલિઓમાંની એક આ ગણી શકાય એવું હું માનું છું.
Permalink
March 13, 2008 at 11:49 PM by ધવલ · Filed under ગઝલ, મરીઝ
જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
– મરીઝ
શેર એટલા સરળ છે કે સમજાવવા પડે જ નહીં. ચાર શેરમાં વામન-મરીઝ કેટલું લાંબું અંતર માપી લે છે એ જોવા જેવું છે. આજનો દિવસ તો આ ચાર શેર મમળાવવામાં જ જશે !
Permalink
March 12, 2008 at 12:17 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી, દેશભક્તિ

(દાંડીકૂચ…. …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)
“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !
-કૃષ્ણલાલ શ્રીધરાણી
આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!
(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)
Permalink
March 11, 2008 at 11:46 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
– શેખાદમ આબુવાલા
Permalink
March 10, 2008 at 11:19 PM by ધવલ · Filed under ગઝલ, હસમુખ મઢીવાળા
છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે
રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ
સિંહ, સસલાં, મોર તે શું ? હું તમે ને આપણે
તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું
શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું તમે ને આપણે
ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં
થાંભલી, આ મોભ તે શું ? હું તમે ને આપણે
વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ
એ બધાનું કેન્દ્ર તે શું ? હું તમે ને આપણે
ઊર્મિઓ, આ લાગણી, આ હર્ષ ને આ વેદના
દર્દનાયે અર્થ તે શું ? હું તમે ને આપણે
હું તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું તમે ને આપણે
– હસમુખ મઢીવાળા
ગઝલ તો હું વાંચી ગયો અને ગમી ગઈ એટલે અહીં મૂકી પણ રહ્યો છું. પણ આ ગઝલમાં કોઈ મને એ કહેશો કે, આ ‘હું તમે ને આપણે’ એટલે કોણ ? એક રીતે વિચારતા આ એક સંબધની કથા લાગે છે ( હું, તમે અને ‘આપણે’ ) તો બીજી રીતે જુવો તો કવિ સમગ્ર વિશ્વની એકાત્મતાની વાત કરતા હોય એમ પણ વિચારી શકાય ( હુ, તમે અને આપણે બધા ) અને પહેલા થોડા શેર તો ‘અમૂર્ત’ (એબસ્ટ્રેક્ટ) ગઝલ જેવા પણ લાગે છે… તમને શું લાગે છે ?
એક દોસ્તારને પૂછી જોયું તો કહે કે, “આખી દુનિયા સરસ મઝાના ચોરસ ટુકડા કરીને ખમણ ખાય પણ મઢી ગામ તો આકાર વગરની ખમણી માટે જાણીતું છે. આ મઢીવાળા કવિ પણ એવી લોચા વાળી ખમણી-ટાઈપની ગઝલ લાવ્યા છે. જેમ ખાવી હોય એમ ખાવ !” 🙂
Permalink
March 9, 2008 at 11:22 PM by ધવલ · Filed under ગની દહીંવાળા, મુક્તક
સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !
– ગની દહીંવાળા
જીંદગીની સફરના અટપટા રસ્તા કાપતા કાપતા બીજું બધું થાય ચાલે, પણ ગીત હોઠ પરથી હટી જાય એ ન જ ચાલે. રસ્તો ભલે આકરો હોય પણ એનેય મન ભરીને માણી લેવો જ જોઈએ. આ વાંચતા જ એક ઝેન-કથા યાદ આવી ગઈ : લીંક.
Permalink
March 8, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
-સુરેશ દલાલ
આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…
Permalink
March 7, 2008 at 1:06 AM by વિવેક · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ
સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે,
અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે !
તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !
રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !
છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ‘કિરીટ’,
સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !
-કિરીટ ગોસ્વામી
Permalink
March 6, 2008 at 12:35 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?
ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.
કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?
એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
-અનિલ ચાવડા
સંબંધમાં પડેલી તડ જોડાય તોય સાંધો તો જરૂરથી રહી જ જાય છે. આ વાતમાં કશું નવું નથી. પણ કવિનો શબ્દ વર્ષોથી જાણેલી-જીવેલી વાતમાં પણ નાવીન્ય છલકાવી શકે છે એની પ્રતીતિ આ ગઝલનો મત્લાનો શેર કરાવી જાય છે. ઘરના બારણાંને તો દુરસ્ત કરાવી શકાય છે, પણ ઘરના વાતાવરણને ? આમ તો બધા શેર મજાના થયા છે પણ મને સાંભળતાવેંત જ જે ગમી ગયો એ છે બીજા ક્રમનો શેર. ગઈકાલમાં પાછા ન ફરી શકાવાની વિવશતાને કેવી સરસ રીતે કવિ ઓરડા સાથે સાંકળી લે છે. (અનિલના મોઢે અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાંભળેલી કેટલીક ગઝલોમાંની આ એક યાદગાર ગઝલ…. એક આવી જ ગઝલ આવતા અઠવાડિયે પણ…)
Permalink
March 5, 2008 at 6:40 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!
પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું
પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું
માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું
પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું
ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.
– રમેશ પારેખ
એક સોનાવરણી સવારના કીરણો સાથે એક શેરીમાં જીંદગી કેવી જાગી ઊઠે છે એ વર્ણવતી પરાણે મીઠી લાગે એવી ગઝલ.
Permalink
March 5, 2008 at 12:40 AM by ધવલ · Filed under મુક્તક, રાજેશ વ્યાસ મિસ્કીન
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
March 3, 2008 at 11:25 PM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
– નિરંજન ભગત
કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !
Permalink
Page 97 of 118« First«...969798...»Last »