જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
February 8, 2008 at 12:55 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા
કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!
-એષા દાદાવાલા
એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?
Permalink
February 7, 2008 at 2:00 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
-રમેશ પારેખ
ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.
કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…
ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.
પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?
કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…
છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?
Permalink
February 6, 2008 at 12:57 AM by ધવલ · Filed under ગીત, સંદીપ ભાટિયા
નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.
મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.
સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે
ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.
પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.
– સંદીપ ભાટિયા
ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.
Permalink
February 4, 2008 at 11:08 AM by ધવલ · Filed under અછાંદસ, શ્રીકાંત માહુલીકર
નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.
– શ્રીકાંત માહુલીકર
Permalink
February 3, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગુણવંત ઠક્કર, ગુલ અંકલેશ્વરી, જનક નાયક, જય નાયક, દિલીપ ઘાસવાલા, પંકજ વખારિયા, પ્રકાશ મહેતા, પ્રજ્ઞા વશી, પ્રફુલ્લ દેસાઈ ડૉ., પ્રભાકર ધોળકિયા, મનસુખ નારિયા, મહેશ દેસાઈ, યામિની વ્યાસ, રમેશ ગાંધી, રીના મહેતા, વિપિનકુમાર કિકાણી, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સુરેશ વિરાણી, સુષ્મા અય્યર ડૉ., હરીશ ઠક્કર ડૉ.
ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…
શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા
ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા
રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી
માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી
સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક
બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ
આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ
ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી
આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ
હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા
વધુ આગળ વાંચો…
Permalink
February 2, 2008 at 12:30 AM by વિવેક · Filed under અમર પાલનપુરી, આસીમ રાંદેરી, એચ. એન. કેશવાણી 'અચલ', કિરણસિંહ ચૌહાણ, કિસન સોસા, ગૌરાંગ ઠાકર, દિલીપ મોદી, ધ્વનિલ પારેખ, નયન દેસાઈ, નિર્મિશ ઠાકર, બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, મંગળ રાઠોડ, મનુબેન ચોક્સી, મહેશ દાવડકર, મુકુલ ચૉકસી, રઈશ મનીયાર, રતિલાલ 'અનિલ', રમેશ પટેલ, રવીન્દ્ર પારેખ, વિજય સેવક, શેર, સંકલન

(“ગઝલે સુરત”…. …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)
૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી
હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા
શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ
વધુ આગળ વાંચો…
Permalink
February 1, 2008 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, દીના શાહ
ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
મ્હેંકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી, ને તું ખુદા,
જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.
ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું એ ગજું થઈ જાય છે ?
જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.
એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
પ્હાડ પર પાણીને જોઈ થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે !
-દીના શાહ
વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !
(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)
Permalink
January 31, 2008 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
કોઈ પણ હો ડગર કબૂલ મને,
એની સાથે સફર કબૂલ મને.
એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ હો કે સહર કબૂલ મને.
કોઈ પણ સ્થાન તને મળવાનું
કોઈ પણ હો પ્રહર કબૂલ મને.
તારી ખુશ્બૂ લઈને આવે જે
એ પવનની લહર કબૂલ મને.
જે નશાનો ન હો ઉતાર કોઈ
એ નશીલી નજર કબૂલ મને.
ખૂબ જીવ્યો છું રોશનીમાં હું
આ તિમિરતમ કબર કબૂલ મને.
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
-હનીફ સાહિલ
નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે? પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?
Permalink
January 31, 2008 at 12:28 AM by ધવલ · Filed under મરીઝ, મુક્તક
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
– મરીઝ
Permalink
January 29, 2008 at 1:15 AM by ધવલ · Filed under ગઝલ, હરકિશન જોષી
હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી
નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી
છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
– હરકિસન જોષી
રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.
Permalink
January 29, 2008 at 12:09 AM by ધવલ · Filed under અછાંદસ, થોભણ પરમાર
કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.
– થોભણ પરમાર
Permalink
January 27, 2008 at 11:19 PM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઉપાધ્યાય
તમારા શહેરની આબોહવામાં
સતત છું વ્યસ્ત આંસુ લૂછવામાં.
તમારી વ્યગ્રતા વધવાનું કારણ
તમે નિર્મમ છો સરહદ આંકવામાં.
સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને રસ ફકત છે તોડવામાં.
પ્રયત્નો લાખ એળે જઈ રહ્યા છે
તમારા મન સુધી પહોંચવામાં.
તમારી જાતમાં જાતે સમાઉં
પછી આગળ કશું શું બોલવાનાં ?
– ગુણવંત ઉપાધ્યાય
Permalink
January 26, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બંકિમ રાવલ
હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
. મેલ કાતરિયે વચકો ને વાયદો
થીજે કે ઓગળે આંસુના પ્હાડ
. પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
. પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
. ખરો મારગ છે સાવ જ અલાયદો.
વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
. સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
. ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
. પગપાળા જાતરાનો કાયદો !
– બંકિમ રાવલ
લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…
Permalink
January 25, 2008 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત પાઠક
ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.
નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.
પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.
આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.
પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.
-જયન્ત પાઠક
આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…
(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)
Permalink
January 24, 2008 at 1:25 AM by વિવેક · Filed under ગઝલ, બેફામ
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’
બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…
Permalink
January 23, 2008 at 9:42 AM by ધવલ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
– રતિલાલ ‘અનિલ’
વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.
Permalink
January 23, 2008 at 9:00 AM by ધવલ · Filed under ગીત, પુનશી શાહ 'રંજનમ'
સાઠ ઘડી હું ગોપાલકની
એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
એક ઘડી હું તારી,
સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,
માધવ ગિરિધર
લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
એક ઘડી હું તારી રે !
– પુનશી શાહ ‘રંજનમ’
મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા
Permalink
January 21, 2008 at 11:44 PM by ધવલ · Filed under પ્રિયકાંત મણિયાર, લઘુકાવ્ય
ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.
– પ્રિયકાંત મણિયાર
બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !
Permalink
January 20, 2008 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, ક્રિસ્ટીન બર્કી-એબટ
સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.
પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.
એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.
જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.
– ક્રિસ્ટીન બર્કી-એબટ
શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?
Permalink
January 19, 2008 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ઘોર કાવ્ય, ચંદ્રકાન્ત ટોપીવાળા
સૂરજને કહ્યું ઊગ, સૂરજ ઊગી ગયો
ચન્દ્રને કહ્યું આથમ, ચન્દ્ર આથમી ગયો
ફૂલને કહ્યું ખીલ, ફૂલ ખીલી રહ્યું
પવનને કહ્યું વા, પવન વાવા લાગ્યો.
સમુદ્રને કહ્યું ગરજ, સમુદ્ર ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ, આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ, મન દુઃખી દુઃખી થઈ ગયું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!
Permalink
January 18, 2008 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !
હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !
જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!
સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય
કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !
વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.
-રિષભ મહેતા
આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?
Permalink
January 17, 2008 at 12:29 AM by વિવેક · Filed under ગઝલ, નૈસર્ગી મુસળે
આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.
વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.
ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.
ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.
ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.
પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.
-નૈસર્ગી મુસળે
પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?
અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.
અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.
નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…
Permalink
January 16, 2008 at 12:00 AM by ધવલ · Filed under અછાંદસ, મણીન્દ્ર રાય
જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.
– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)
Permalink
January 14, 2008 at 1:41 AM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ જોશી
આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.
મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.
હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.
ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.
જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?
– પ્રવીણ જોશી
ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !
મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.
Permalink
January 13, 2008 at 1:37 AM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ
ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.
‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.
વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.
Permalink
January 13, 2008 at 1:33 AM by ધવલ · Filed under ગીત, મૂકેશ જોષી
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…
– મૂકેશ જોશી
ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.
Permalink
January 12, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, વિશ્વ-કવિતા, શાન મેઈ
વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી
શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.
(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)
Permalink
January 11, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી, વિષમ છંદ ગઝલ
એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો
ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો
આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો
આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો
મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો
-જવાહર બક્ષી
ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો…
બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.
બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…
Permalink
January 10, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ન્હાનાલાલ દ. કવિ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.
આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
-ન્હાનાલાલ
મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…
(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)
Permalink
January 9, 2008 at 9:43 PM by ધવલ · Filed under ગઝલ, ધૂની માંડલિયા
છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.
નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.
આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.
જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.
જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.
– ધૂની માંડલિયા
શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.
Permalink
January 8, 2008 at 11:47 PM by ધવલ · Filed under અછાંદસ, કીર્તિકાંત પુરોહિત
પ્રથમ એપિસોડ:
દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.
દ્વિતીય એપિસોડ:
દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.
તૃતીય એપિસોડ:
મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.
ચતુર્થ એપિસોડ:
– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.
– કીર્તિકાંત પુરોહિત
સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.
આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !
Permalink
January 7, 2008 at 5:06 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…
– વિપિન પરીખ
વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.
Permalink
January 6, 2008 at 11:34 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.
– જયન્ત પાઠક
પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !
( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )
Permalink
January 5, 2008 at 1:17 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ, હસ્તપ્રત

(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.
તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.
હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
-અનિલ ચાવડા
માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Permalink
January 4, 2008 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, તુષાર શુક્લ
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
-તુષાર શુક્લ
ગઈકાલે શૂન્ય પાલનપુરીની એક ગઝલ આજ છંદમાં, આજ રદીફ અને આજ કાફીયા સાથે આપણે માણી. એટલે સુધી કે મત્લાની પહેલી કડી (ઉલા મિસરા)માં પ્યાલી અને સુરા પણ યથાવત્ રહ્યા છે. પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?
‘હસ્તાક્ષર’ આલ્બમના આધારે લીધેલી આ ગઝલમાં શક્ય છે કે અન્ય શેર પણ હોય. કોઈ મિત્ર જો ખૂટતાં અશ્આર (જો હોય તો!) મોકલી આપશે તો ઋણી રહીશું. (આ ગઝલને વિષમ-છંદ ગઝલ કહી શકાય ખરી? મત્લાના શેરની બંને કડીમાં ‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તન વપરાયા છે જ્યારે પછીના ત્રણે ય શે’રમાં ઉલા મિસરામાં ચાર આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં ત્રણ આવર્તન વપરાયા છે).
(આવતા અઠવાડિયે એક વિષમ-છંદ ગઝલ માણીએ…)
Permalink
January 3, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા !
બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !
સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !
ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરા;
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને, લો અમે તો આ ચાલ્યા !
ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી, વેલ છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !
થાય તે કરે ઈશ્વર ! ભાન થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ વિનાના શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !
શૂન્યમાંથી આવ્યા’તા, શૂન્યમાં ભળી જાશું, કોણ રોકનારું છે ?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !
-શૂન્ય પાલનપુરી
‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો આ ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?
કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.
(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)
Permalink
January 2, 2008 at 1:14 AM by ધવલ · Filed under અછાંદસ, હસમુખ પાઠક
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !
તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
– હસમુખ પાઠક
હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.
Permalink
January 1, 2008 at 1:06 AM by ધવલ · Filed under અછાંદસ, રાધેશ્યામ શર્મા
મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.
– રાધેશ્યામ શર્મા
અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.
Permalink
December 31, 2007 at 7:06 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
– પ્રીતિ સેનગુપ્તા
સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !
Permalink
December 30, 2007 at 3:56 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.
અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !
ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.
ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.
પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.
ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !
શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?
-ભગવતીકુમાર શર્મા
ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !
Permalink
December 29, 2007 at 12:50 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ, હસ્તપ્રત

(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)
શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.
મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.
સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.
શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.
આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.
-ઉર્વીશ વસાવડા
આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?
Permalink
December 28, 2007 at 1:24 AM by વિવેક · Filed under ગરબી, દયારામ
કિયે ઠામે મોહની ન જાણી રે,
. મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo
ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
. કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo
ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
. કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo
શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
. કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo
કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
. કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo
ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
. કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo
દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
. તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo
– દયારામ
ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.
Permalink
December 27, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
-ગની દહીંવાલા
ગનીચાચાની એક જાણીતી ગઝલ મમળાવીએ આજે. હોઠના ગોખલાંમાં શબ્દોના કબૂતર ચૂપચાપ બેઠાં હોય અને એ ખામોશી જ પાંખોનો ફફડાટ બનવા માંડે ત્યારે સમજાય કે મૌનની ભાષા શબ્દની ભાષા કરતાં વધુ સશક્ત હોય છે. એક પછી એક શેર જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ગઝલપંખીની પાંખોનો વ્યાપ વિસ્તરતો જતો સહેજે અનુભવાય અને ખુલતું જાય એક અસીમ આભ.
Permalink
December 26, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રેશ ઠાકોર
કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.
એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…
– ચંદ્રેશ ઠાકોર
લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.
સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.
પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?
એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.
પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.
Permalink
December 25, 2007 at 1:09 AM by ધવલ · Filed under નિર્મિશ ઠાકર, પ્રતિકાવ્ય
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
– નિર્મિશ ઠાકર
એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.
Permalink
December 24, 2007 at 12:58 AM by ધવલ · Filed under અછાંદસ, વિંદા કરંદીકર
જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.
અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.
– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)
Permalink
December 23, 2007 at 12:30 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
– નરસિંહ મહેતા
દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.
Permalink
December 22, 2007 at 12:31 AM by વિવેક · Filed under ગઝલ, વિશ્વ-કવિતા, સુધીર પટેલ, હસ્તપ્રત

(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)
ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !
मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !
उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !
लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !
मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !
जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल
અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.
Permalink
December 21, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે
હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે
છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે
પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.
-મુકુલ ચોક્સી
મુકુલભાઈનું ભાષાકર્મ મને હંમેશા આકર્ષતું રહ્યું છે. જેના નસીબમાં વિરહ સિવાય બીજું કાંઈ જ નથી એવી એક સ્ત્રીની આ ચાર જ શેરની ગઝલ. પ્રતીક્ષાના આ ઘરમાં જ્યાં કોઈ કદી આવવાનું જ નથી અને આંખે નેજવું બનીને માત્ર રાહ જ જોયા કરવાની છે ત્યાં બારણાંની અનુપસ્થિતિ અને સામે હજ્જારો બારીઓની હાજરી ખૂબ સૂચક છે. પ્રતીક્ષાની પીડાને અખંડ સૌભાગ્યવતી કહેવાનું કવિકર્મ મુકુલ જ કરી શકે. પ્રિયજનની રાહ જોતી એક આંખ જાણે છે કે એ કદી આવનાર નથી અને બીજી આંખમાંથી તોય એના આવવાની આશા મરી પરવારતી નથી એટલે કવિ બંને આંખોને વારાફરતી વિધવા અને કુંવારી કહીને માથે મૂકે છે અ.સૌ. પ્રતીક્ષાની પીડાઓ, જે કદી મરવાની નથી…અખંડ છે!
મુકુલભાઈ, આજે એકવીસમી ડિસેમ્બરે તમને અમારા સૌ તરફથી ‘વર્ષગાંઠ મુબારક‘ કહીએ કે?
Permalink
December 20, 2007 at 12:46 AM by વિવેક · Filed under ગીત, પ્રફુલ્લા વોરા
કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી… કે શોધું…
યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
એકલદોકલ વાત નથી આ,
બંધ ગઠરિયાં છૂટી…. કે શોધું…
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
-પ્રફુલ્લા વોરા
મઘઈ પાનનું બીડું મોઢામાં મૂકીએ અને ધીમે ધીમે ચાવતાં જઈ એનો રસ ખૂટી જવાનો કેમ ન હોય એવી અધીરપથી શક્ય એટલા સમય સુધી માણવાની કોશિશ જેમ કરીએ એમ જ ખૂબ આહિસ્તે-આહિસ્તે મમળાવવા જેવું આ ગીત. દરેક કલ્પનો પર અટકીને વિચાર કરવો પડે કે આ માત્ર શબ્દોના પ્રાસ છે કે પ્રાસથી ય કંઈક આગળ… ઘોડાની આગળ ગાજર બાંધીએ અને ઘોડો દોડતો રહે એવી પરિસ્થિતિ આપણા સહુની છે પણ કવયિત્રી કેવા કમનીય શબ્દો લઈને આવે છે! એમણે ભ્રમણાઓ અને એ પણ ભૂરી અને તૂરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂરો રંગ આકાશનો રંગ છે એ અર્થમાં એ ભ્રમણાઓની વિશાળતાનો સંકેત કરે છે તો તૂરો શબ્દ ગમે એવી વિશાળ કેમ ન હોય, ભ્રમણાનો સ્વાદ તો આવો જ રહેવાનો એમ ઈંગિત કરતો ભાસે છે. અને કઈ ભ્રમણાઓ માણસને દોડતો રાખે છે? આજે નહીં તો કાલે, સુખના વાદળ ઊગશે એજ ને? અહીં કવયિત્રી કદાચ અજાણતાં જ બીજી અર્થસભર વ્યંજનાનો કાકુ સિદ્ધ કરે છે. સુખ માટે એ વાદળનું કલ્પન વાપરે છે. પણ વાદળની જિંદગી કેટલી? વાદળે ક્યાં તો પવન સાથે વહી જવાનું ક્યાં સમય સાથે વરસી જવાનું, પણ એનું હોવું તો ક્ષણભંગુર જ ને… આ તો બે લીટીની વાત થઈ. આખું કાવ્ય જ મઘઈ પાનના બીડાંની જેમ ચગળવું પડશે…
Permalink
Page 99 of 118« First«...9899100...»Last »