અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
December 4, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, બ્લોગજગત, વર્ષગાંઠ, સાહિત્ય સમાચાર


“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.
જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.
અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..
લિ.
ટીમ લયસ્તરો
Permalink
December 3, 2015 at 1:00 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નજર કાણીસવી
(શિખરિણી)
નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.
પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.
– ‘નજર’ કાણીસવી
કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !
Permalink
December 1, 2015 at 3:00 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
લંબચો૨સ ઓ૨ડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આ ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા
કોઈ ઇચ્છે તોય અહીંથી બા’૨ ક્યાં નીકળાય છે.
ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?
યાદ આવે છે ગણિતશિક્ષકના સોટીઓના સૉળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે
હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડીઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે?
– નયન દેસાઈ
Permalink
November 30, 2015 at 2:53 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.
બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.
ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી?
જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક!
એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું છું પણ ને હું નથી પણ;
આ ત્રણેમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક.
આમ લોહીઝાણ એ ના થાય તો એ થાય શું, બોલ?
ખૂબ સમજાવ્યો હતો સૌએ ન શ્રદ્ધા આંધળી મૂક.
આબરુ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું-
એક રણ છું; હે ગગન મારા શિરે તું વાદળી મૂક.
– અનિલ ચાવડા
હું તો બીજા શેર પર ઓવારી ગયો !!!!!!
Permalink
November 28, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લાલજી કાનપરિયા
શેતલ ! તારા તીરે
મૂક્યાં’તાં મેં શમણાં ચપટીક રમતાં તારાં નીરે !
વીરડા ગાળી પાયાં જેણે અમરત જેવાં પાણી,
ખબર નથી કે આજ હશે ક્યાં રુદિયાની એ રાણી !
જનમજનમની તરસ કદાચ લખાઈ હશે તકદીરે !
. શેતલ ! તારા તીરે.
તું સુકાણી, અમે સુકાયા, સમય પણ સુકાયો,
બારે મહિના ઘોર ઉનાળો, ફરી ન ફાગણ આયો !
અસ્તાચળે સૂરજ હવે આ ડૂબે ધીરે ધીરે
. શેતલ ! તારા તીરે.
– લાલજી કાનપરિયા
હૈયામાં કોઈ ક્રૌંચવધ થયો હોય ત્યારે જ આવું ગીત સંભવે. સલામ, કવિ !
Permalink
November 27, 2015 at 12:30 AM by વિવેક · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.
અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.
રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.
બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.
બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.
– અશોકપુરી ગોસ્વામી
કેવી મજાની ગઝલ ! બધા જ શેર શાનદાર…
Permalink
November 26, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
જેનાં એકે એક ખૂણામાં નિશ્વાસોની ગન્ધ ભળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
તારી આંખોમાં સળવળતા..
સૂનકારના એરુ
મારા ખાલીપાનું પહોચે..
ક્યાંનું ક્યાય પગેરું
(જ્યાં)પાંપણ સાથે સપનાં..સપનાં સાથે ભડ ભડ રાત બળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
હાલ અને હમણાં કરતાં
વરસોનાં વાણાં વાયાં
ગયાં સુકાઈ ઝાડ ધીરજનાં
છેટા થઇ ગ્યા છાંયા
તો પણ સાલ્લી સમ ખાવા પણ એકે ઇચ્છાં કદી ફળી છે ?
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
કોઈ પણ પૂર્વભૂમિકા વિના લોહીના લયમાં અનુભવી શકાય એવું ભારઝલ્લું ગીત…
Permalink
November 24, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.
-અમૃત ઘાયલ
Permalink
November 23, 2015 at 12:50 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…
નેહથી મેં ઝાઝી વાત માંડી,
તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં,
વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો,
લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ રે…
મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…
સપનું મેં રાતભરી જોયું,
ને એણે એક મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી,
એણે લીધું હાથમાં સુકાન, બેડો પાર,
એક રે સિતારો મેં માગ્યો’તો,
આપ્યું એણે આખું આકાશ આ અમૂલ રે…
મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…
– હરીન્દ્ર દવે
જગન્નીયંતાને સંબોધીને લખાયેલું એક ઉત્તમ ભજન/ઊર્મિકાવ્ય…..
Permalink
November 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under અરવિંદ મહર્ષિ, વિશ્વ-કવિતા, સુન્દરમ, સોનેટ
ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.
વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.
હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,
શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.
– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)
*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.
*
The Stone Goddess
In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.
The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.
Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,
One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.
– Sri Aurobindo
Permalink
November 20, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.
– મનીષા જોષી
પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…
Permalink
November 19, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરેન્દ્ર મહેતા
હજી ઉતારું કાગળ પર કૈં ત્યાં કાગળ પર દેખું છું રણ :
ઊડ્યા એવા આંધી થઈને અક્ષર જાણે રેતીના કણ !
દોડ્યું આ શું થઈ બા’વરું ફાળ ભરીને ગળે શોષને બાંધી,
હાંફી ચત્તીપાટ પડીને ઊડી ગઈ ક્યાં રણની કાંધી !
સન્નાટો-સૂનકાર સૂસવે, જોડીઆ પાવાના ચંગ,
સૂરો મૂંગા થઈને ઊભા, આંગળિયું થઈ તંગ.
આભ નિમાણું પડતું મૂકે, ઝાકળ-પલળ્યો ચંદ,
કાગળ માથે ખાબકવાનો અવાજ પોકળ આવે મંદ.
ત્યાં તો લેખન-અણીએ તબક્યું તાતું તીણું કેવું તીર !
સ્યાહી સ્યાહી થઈ દશે દિશા બચ્યું ન એમાં કાંઈ લગીર.
– ધીરન્દ્ર મહેતા
રણેરણ અલગ હોય છે. અહીં કવિ કોરા કાગળ પર વરસું-ન વરસું કરતાં ગોરંભાનું રણ લઈ આવ્યા છે. અક્ષરો આંધી થઈ જાય, ગળામાં શોષ બંધાઈ જાય, રણની કાંધી ઊડી જાય, ચાંદો કાગળમાં પડતું મેલે ને એવી કોઈ ઘડીએ એકાદું તીર છૂટે ને દશે દિશાઓ સ્યાહીસભર થઈ જાય એમ કવિતા રણની વચ્ચે રણદ્વીપ થઈ ફૂટી નીકળતી હોય છે. ‘ગાગાગાગા’ના લયબદ્ધ આવર્તનવાળો કટાવ છંદ અને પંક્તિ-પંક્તિએ બદલાતો વર્ણાનુપ્રાસ કવિતાને વધુને આસ્વાદ્ય બનાવે છે.
Permalink
November 14, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સોનલ પરીખ
ઇચ્છાઓની જાળ, જાળમાં
હું ને મારી હોડી
સપનાંઓના સઢ ફુલાવી
આ કાંઠેથી છોડી
વચમાં જળની પાળ
કાંગરે ચમકે સો-સો છીપ
ખોબે ખોબે ઝલકે મોતી
જેમ ગભારે દીપ
અડકું તો ઝાકળ થઈ જળની
સાથે જાતી દોડી
ઝલમલ ઝિલમિલ લહેરો
તડકો નાચે તાતા થૈ
કયા દેશથી કિરણો આવે
ચમકે ક્યાં ક્યાં જઈ
વહેતી જાતી હેમની ધારા
ક્ષિતિજને ઝબકોળી
– સોનલ પરીખ
મજાનું રમતિયાળ ગીત…
Permalink
November 13, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી
પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….
– લતા હિરાણી
ખરતાં પાનની લીલી વાતો…
Permalink
November 12, 2015 at 12:30 AM by વિવેક · Filed under મુક્તક, વિવેક મનહર ટેલર
છુપાયું છે ભીતર એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોના હૃદય હરપળ ઉજાળીને;
કોઈની આંખમાં એકાદ–બે સ્વપ્નોની રોનક થાય,
મનાવીએ એ રીતે આ વરસ, ચાલો દિવાળીને !
– વિવેક મનહર ટેલર
ટીમ લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો-વાચકમિત્રો અને ભાવકમિત્રોને દિવાળી તથા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન !
Permalink
November 7, 2015 at 12:30 AM by વિવેક · Filed under બાલમુકુન્દ દવે, રીટા કોઠારી, વિશ્વ-કવિતા, સુગુણા રામનાથન, સોનેટ
અંગ્રેજી અને દેશી-વિદેશી કવિતાઓના ગુજરાતી અનુવાદ આપણે અવારનવાર વાંચતા સાંભળતા આવ્યા છીએ. આપણી કવિતાઓ વિશ્વ સુધી પહોંચી શકતી નથી એનો વસવસો પણ આપણે ઘણીવાર કરતાં હોઈએ છીએ. ગુજરાતી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ થતો નથી એટલે આપણી ભાષાના કોઈ કવિને નોબલ મળતું ન હોવાની હૈયાવરાળ કાઢનાર પણ દરેકને ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે… તો થોભો… તમારી આ ફરિયાદોનો એક અક્સીર જવાબ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉદયન ઠક્કરના નેજા હેઠળ શરૂ થયેલ poetryindia.com પર આપ ૩૦૦ થી વધુ ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ માણી શકો છો.
MOVING HOUSE
Rummaging through the house again we found
Scraps of Lux soap, a toothbrush, an old broom,
a leaking bucket, tin box, and lidless bottles,
thread and needle, specs (broken), clips and pins!
Taking down the name-plate on the door,
we placed it face down in the departing lorry.
We looked around again one last time at where
those first ten years of married life went by:
our son, a boon so long desired, was born;
from where we took him to the fire’s last embrace.
Suddenly from some corner came a voice:
‘Ba-Bapu, you’ve left nothing here but me-‘
Our eyes were full of pricking grains of grass;
our leaden feet tired down with iron weights.
– Balmukund Dave
(Translated by Suguna Ramanathan & Rita Kothari)
*
અરે હા… આ છે મૂળ ગુજરાતી કવિતા… એ પણ માણી લ્યો…
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
– બાલમુકુન્દ દવે
Permalink
November 6, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને,
તોડવા સઘળાં જ સગપણ, હોય એ આપો મને.
છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું જે નિવારણ હોય, એ આપો મને.
રાતનું લઈ ચેન, આખો દિ’ જે આંસુ દઈ જતી,
એવી પ્રીતિનું વળામણ હોય એ આપો મને.
ભૂખનો મતલબ રહ્યો ના, ને તરસ કોઠે પડી,
શુષ્ક દરીયો કે સભર રણ, હોય એ આપો મને !
આજીવન દેતી રહી છું, આજીવન દેતી રહીશ,
એકદા આંસુ કે કંઈ પણ હોય એ આપો મને.
કૃષ્ણ માફક કોઇને તરછોડી દે, એ હું નથી,
ગાયધણ, વ્રજકણ કે માખણ… હોય એ આપો મને.
– નેહા પુરોહિત
સુન્દરમ્ ના ‘ઘણ ઉઠાવ મારી ભુજા’ની યાદ આપે એવા ઉઠાવ સાથે એરણ અને ઘણની માંગ સાથે ગઝલ પ્રારંભાય છે પણ અહીં કવયિત્રીને કશું જૂનું તોડી નવસર્જન અપેક્ષિત નથી. તમામ પ્રકારના સગપણથી તમામ મોરચે ત્રસ્ત થઈ ગયેલ મનુષ્યના હૈયાનો ભારોભાર આક્રોશ બીજા શેરમાં પણ તરસના નિવારણ માટે છાતી-હોઠ સળગાવવાના વિરોધાભાસ સાથે વધુ બળવત્તર બને છે. મુસલસલ કહી શકાય એવી આ રચનામાં આજીવન દેતા રહેવાની વાત અને કૃષ્ણની જેમ દગાબાજ ન હોવાની પ્રકૃતિ સ્ત્રીસહજ સંવેદન પણ ઉજાગર કરે છે.
Permalink
November 5, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.
મંજરીની મહેકના ભારે લચું
એક આંબો જાણે કે મ્હોર્યો મને.
ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.
આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.
ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
– મનોજ ખંડેરિયા
કેવી અદભુત ગઝલ ! શગને યોગ્ય રીતે સંકોરવામાં ન આવે તો દીવો બરાબર પ્રગટી જ ન શકે. દરેકે-દરેક શેરનું નક્શીકામ એવું બારીક થયું છે કે આખી ગઝલ વારંવાર વાંચતા જ રહેવાનું મન થાય.
Permalink
November 2, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
– જગદીશ જોષી
નિષ્ફળ પ્રેમ એટલે શું ? તેમાં વેદનાનું ઉદગમસ્થાન કયું ? અહંકાર ઘવાય તે – હાર સ્વીકારી ન શકાય તે ? હાંસી ઊડે તે ? પોતાની ન્યૂનતા નગ્ન થઈને સામે ઊભી રહી જાય તે ? જે ચીજ અપ્રાપ્ય લાગે તે માટે નો તલસાટ અનેકગણો થઇ જાય એવું મનોવૈજ્ઞાનિકો કહે છે તે ? અસંખ્ય સ્વપ્નોની લાશ લઇને જીવવું પડે તે ? આ સઘળી વેદના છતાં વ્યવહાર નિભાવવો પડે તે ?
મને એવું લાગે છે કે વ્યક્તિની પ્રજ્ઞા અને સંવેદનશીલતા અનુસાર ઉત્તર ભિન્ન હોઈ શકે. હ્રદય ધબકતું તો રહે, પણ પ્રત્યેક ધબકારા સાથે કોઈને ઝંખતું રહે…..ઝૂરતું રહે…..
કદાચ ગુલઝારસાહેબે બહુ ખૂબીપૂર્વક જવાબ આપ્યો છે – ‘ તેરે બીના ઝીંદગી સે શિકવા તો નહીં, તેરે બીના ઝીંદગી ભી લેકિન ઝીંદગી તો નહીં……’
Permalink
November 1, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રઘુવીર ચોધરી
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
-રઘુવીર ચૌધરી
વાંચતાવેંત ગમી ગઈ આ કવિતા……અદભૂત ભાવવિશ્વ રેખાંકિત થયું છે !!
Permalink
October 31, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
મનનો મુકામ ક્યાંય કાયમનો નહીં,
ભલે દરિયાનો આલો દિલાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
કોને કહેવું અહીં મંડપ હતો
ને હતાં કેવડાંનાં મઘમઘતાં વન,
ફૂલ જેવાં ફૂલ અને ખરતાં કમાડ
પછી હળવેથી વાસો ના વાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
ચંદન તલાવડીમાં તારા ખર્યા
ને પછી તીર ઉપર ટાંપીને બેઠા,
ખોબો ભર્યો એ તો ખાલી ખુલાસો
જળ જેવા જળમાં લ્યો જાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
અડધો પંથક લીધો ઉંબરની બહાર
અને અડધો આ પાંગથને છેડે,
જીવતરની વાયકાનું ઝાઝું શું કહેવું ?
વણછામાં વાઢ્યો જવાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
– દલપત પઢિયાર
તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત.
Permalink
October 30, 2015 at 1:59 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
એ જ તારી યાદના રસ્તે ચડીને,
રોજ હું પાછો ફરું છું લડથડીને.
નામ તારું નીકળે છે મૌનમાંથી,
જો પ્રતિબંધિત કરું બારાખડીને.
ડાઘ મનનો સ્હેજ પણ દેખાય છે ક્યાં?
તેં રૂપાળી બહુ કરી છે ચામડીને.
ઓરડો આખો ભરાયો હીબકાંથી,
ભીંત પર કોણે પછાડી બંગડીને ?
જેમણે દોરાને પણ હોળી રમાડી,
તે બધા પામી ગયા નાડાછડીને.
બાળપણ સાચું હતું ને એટલે તો,
એ સમજતું’તું નિસરણી ઠાઠડીને.
– ભાવિન ગોપાણી
ભાષા પ્રતિબંધિત થાય અને મૌન પ્રિયજનનું નામ ઉચ્ચારે એ પ્રણયનો સાચો તબક્કો. સાદા સફેદ દોરાને પણ જે હોળી રમાડી શકે, બેરંગ જિંદગીમાં જે રંગ ભરી શકે એ જ લોકો જિંદગીને સાચા અર્થમાં ઉત્સવ બનાવી ઉજવી શકે.
Permalink
October 29, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
સહેજ અંતર જરૂર રહેવા દો
સુખને થોડુંક દૂર રહેવા દો
માણો અંગત અમાસનો વૈભવ
સાવ ઉછીનું નૂર રહેવા દો
જિંદગીનો જ ખોલી દો ઘૂંઘટ
શેખ! જન્નતની હૂર રહેવા દો
એમ અગ્નિપરીક્ષા પાર કરો
આગ પાસે કપૂર રહેવા દો
ગીત ગમતીલું ઝૂંટવે જો સમય
શબ્દ આપી દો, સૂર રહેવા દો
જો ને! ચોમેર કેવી ઝળહળ છે!
આયનો ચૂરચૂર રહેવા દો
આંખ, હૈયું, દિમાગ, હાથ ‘રઈશ’!
કૈંક તો બેકસૂર રહેવા દો
રઈશ મનીઆર
આખી જ ગઝલ મનનીય પણ મક્તાનો શેર તો લાજવાબ !
Permalink
October 26, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.
એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.
કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.
પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો
ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.
કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.
Permalink
October 25, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
– અનિલ ચાવડા
નવતર પ્રયોગ, પણ બળકટ……..
Permalink
October 24, 2015 at 1:54 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું
આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.
આપણાંથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું
હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?
કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદું થયું
નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું
આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું
-પંકજ વખારિયા
શાનદાર ગઝલ…
Permalink
October 23, 2015 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, ગઝલ
અરૂપરુ અજવાળું છે.
તારું રૂપ નિરાળું છે.
એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.
ક ખ ગ નું કીડિયારું
કરોળિયાનું જાળું છે.
ઝળઝળાં તારા પગલે
પાદર પણ ઉજમાળું છે.
કુલટા પેન કુટિલ કાગળ
પાછું એ જ છિનાળું છે.
અર્થો પણ નાદાર અને
શબ્દોનું દેવાળું છે.
જીભાજોડી છોડ “આદમ”
કજિયાનું મોં કાળું છે.
– અદમ ટંકારવી
બંને પક્ષે બોલી શકાય એવી ગઝલ… ગમે તો વખાણી લ્યો, ન ગમે તો…
Permalink
October 22, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,
નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.
હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.
પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.
મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.
અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.
– હર્ષદ ચંદારાણા
વાત તો એ જ છે. વરસાદની. વર્ષાઋતુની. પણ જે કમાલ છે એ અંદાજે-બયાંનો. ઘનઘોર વાદલ ગરજતો મેઘ લઈને આવે એ એક-એક વાદળમાં કવિને ક્યારેક કવિવર ટાગોર દેખાય છે તો ક્યારેક વહાલનો કાગળ લખતી કલમ નજરે ચડે છે.
ચાટુક્તિભરી સપાટબયાની અને સભારંજની એકવિધતાના ખાબોચિયામાં ડૂબવા પડેલી ગઝલ વિશે ચિંતિત થવાની ક્ષણે આવી કોઈ રચના હાથ લાગે ત્યારે સહજ હાશકારો અનુભવાય.
Permalink
October 21, 2015 at 1:36 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.
– મનોજ ખંડેરિયા
Permalink
October 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.
એમ ક્યાંથી વાત એની નીકળે ?
વાતમાંથી વાત થાતી હોય છે.
બોલવામાં ધ્યાન તો રાખો જરા
સાવ ઉઘાડી જાત થાતી હોય છે.
કોઈનો કેમે દિવસ જાતો નથી
મારે સીધી રાત થાતી હોય છે.
એમ પ્રત્યેક વાતનો ઉત્તર ન વાળ,
કરવા ખાતર વાત થાતી હોય છે.
– હરીશ ઠક્કર
સોની જેમ દાગીનાને એકદમ બારીકાઈથી ઘડે, બરાબર એમ જ ગઝલ કરતા ગઝલકારોની યાદી બનાવવાની હોય તો હરીશ ઠક્કરનું નામ મારે મોખરાની યાદીમાં મૂકવું પડે. આ ગઝલ જુઓ… સાવ સીધા ને સટાક કાફિયા… એકદમ સહજ અને સરળ ભાષા… પણ ગઝલ જુઓ તો ? એક-એક શેર પાણીદાર. સંઘેડાઉતાર.
Permalink
October 16, 2015 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.
ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.
દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.
પથ્થરોના દિલને પ્હોંચે ઠેસ, તો
ડુંગરોના દેશમાં દવ થાય છે.
કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ ?!
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.
– હરદ્વાર ગોસ્વામી
સરળ ભાષામાં હૃદયસ્પર્શી વાતો… પણ આખરી શેર તો શિરમોર. ગઝલ સિવાય કોઈ બીજાને ચાહવું માત્ર એ કવિ માટે તો એક ભવમાં બે ભવ કરવા જેવું પાતક છે… આનાથી ચડિયાતી ગઝલ પરસ્તી બીજે ક્યાં જોઈ શકાય? વાહ કવિ…
Permalink
October 15, 2015 at 1:29 AM by વિવેક · Filed under ગઝલ, પ્રશાંત સોમાણી
કહો કોણે કોની સજાવટ કરી છે ?
ધરા સાથ આભે કરામત કરી છે.
હા, મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.
અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.
હતા સત્યને ચાહનારા, છતાં પણ
તમે મારી સાથે બનાવટ કરી છે.
ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.
– પ્રશાંત સોમાણી
સહજ-સરળ અને મજાની ગઝલ. છંદ સાથેની શરારતવાળો શેર મારા જેવા દુરાગ્રહી માટે જ લખાયો હોય એમ લાગે.
🙂
Permalink
October 13, 2015 at 10:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, વિશ્વ-કવિતા
In this way and that
I tried to save the old pail
Since the bamboo strip was weakening
And about to break
Until at last the bottom fell out.
No more water in the pail !
No more moon in the water !
– Chiyono [ ઝેન સાધ્વી ]
આ કાવ્યની ભૂમિકા એવી છે કે ઝેન સાધ્વી ચિયોનો વર્ષો સુધી તપસ્યા કરતી રહી પરંતુ આત્મસાક્ષાત્કાર [ satori ] દુર્લભ હતો. એક ચાંદની રાતે સાધ્વી એક જૂનો ઘડો વાંસ સાથે બાંધીને પાણી લઈને મઠ તરફ જતી હતી. વાંસ તૂટી ગયો…..ઘડો ફૂટી ગયો……તત્ક્ષણ ચિયોનો ને આત્મસાક્ષાત્કાર થઇ ગયો….. સાધ્વીએ આ કવિતા તે ક્ષણને વર્ણવતી લખી છે.
અહીં વાંસ એ મન અને અ-મન વચ્ચેનો અંતરાય – અર્થાત વિચારજન્ય બંધનો. પાણીમાં પ્રતિબિમ્બિત ચંદ્રનું પ્રતિબિંબ એ જેવું પાણી ઢોળાઈ જાય તેવું જ અદ્રશ્ય થઇ જાય છે, છલના ભાંગી જાય છે. વ્યક્તિની ઘણી જિંદગી આ છલનાનો તાગ પામવામાં જ વ્યતિત થઇ જાય છે. એક ચમત્કારિક ક્ષણે વાંસ તૂટે છે, પાણી ઢોળાઈ જાય છે અને છલના ભાંગી જાય છે.
Permalink
October 13, 2015 at 3:11 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.
કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન….
સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન….
ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન….
પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન….
– મુકેશ જોશી
મધમીઠું ગીત…….
Permalink
October 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ધવલ શાહ, વિશ્વ-કવિતા, હાવર્ડ ઓલ્ટમેન
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.
– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)
*
આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.
શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.
*
Holding Posture
History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.
– Howard Altmann
“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann
Permalink
October 9, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
આમ ભરચક આમ ખાલી,
મન તો છે જાદૂઈ પ્યાલી.
એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી.
છે સવાલો સાવ નક્કર,
પણ, જવાબો છે ખયાલી.
ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી.
સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુ:ખતી રગને ઝાલી.
તું ગણિત એવું ગણે કે,
મૂડી મુદ્લ, વ્યાજ પાલી.
કેફિયત મારી સૂણીને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.
– લક્ષ્મી ડોબરિયા
અન્ય કવિઓ સાથે ભાગીદારીમાં બબ્બે સંગ્રહ આપ્યા બાદ રાજકોટના કવયિત્રી લક્ષ્મી ડોબરિયા પોતાનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ “તાસીર જુદી છે” લઈને આવ્યા છે. સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે…
લયસ્તરો તરફથી કવયિત્રીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
October 8, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહા પટેલ
મહેંદીમાં એક નામ લખ્યું છે,
કેવું ખુલ્લેઆમ લખ્યું છે !
ચિઠ્ઠીમાં શરૂઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.
દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.
પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.
દ્રાક્ષાસવ જેવું જિહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.
જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે.
– સ્નેહા પટેલ
અમદાવાદના લેખિકા-કવયિત્રી સ્નેહા પટેલ પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “અક્ષિતારક” લઈને પધાર્યા છે. કવયિત્રીનો મિજાજ પ્રસ્તુત ગઝલમાં સુપેરે પકડી શકાય છે.
સુસ્વાગતમ્, સ્નેહા !
Permalink
October 5, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, પ્રકીર્ણ, વિશ્વ-કવિતા
From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found? – Shun-tsung
From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear. – Ju-man
Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon. -Shun-tsung
Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left. -Ju-man
આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.
સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.
પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].
બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.
આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.
Permalink
October 4, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે
એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે
મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !
વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે
ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે
એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.
– ભગવતીકુમાર શર્મા
બધા માત્ર બોલે જ છે……’સાંભળે’ છે જ કોણ !!??
Permalink
October 3, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
ગુજરાતી કવિતા-સંગીતના ચાહકો માટે ટહુકો.કોમ નામ અજાણ્યું હોય એવું ખબર પડે તો મારા જેવાને કદાચ હાર્ટ-એટેક આવી જાય. ઉત્તમ કવિતાઓ અને ગુજરાતી સંગીતના ખજાનાના એક-એકથી ચડિયાતાં અને દુર્લભ-અણમોલ રત્નો જયશ્રી વરસોથી ટહુકો.કોમ પર પીરસતી આવી છે…
આ વખતે એક સાવ નવતર ખ્યાલ સાથે ટહુકો આપણી સમક્ષ કવિતા અને કાવ્યાસ્વાદને વિડિયો સ્વરૂપમાં લઈને આવે છે. એટલે વાંચવાની ઝંઝટ નહીં. જેમને ગુજરાતી વાંચતા આવડતું ન હોય એવા ગુજરાતીઓ માટે તો આ નવતર પ્રયોગ વરદાન સાબિત થવાનો.
હા, જો કે આ પ્રયોગ નિમિત્તે કેટલાંક સૂચન કરવાનું મન જરૂર થાય.
- એક જ વ્યક્તિ બધા આસ્વાદ કરાવે એના કરતાં અલગ-અલગ વ્યક્તિઓ આ કામ ઉપાડે તો વૈવિધ્ય જળવાઈ રહે.
- બધા વિડિયો પોણા કલાકથી બધુ લાંબા છે. વિડિયોની લંબાઈ નોંધનીય રીતે ઓછી કરી શકાય તો પ્રયોગ વધુ આસ્વાદ્ય બની શકે.
- સાતત્ય જળવાઈ રહે.
વધુ ને વધુ ગુજરાતીઓ આ નવતર પ્રયોગનો લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.
Permalink
October 2, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જુગતરામ દવે
એનું જીવનકાર્ય અખંડ તપો
. અમ વચ્ચે બાપુ અમર રહો !
એના જીવનમંત્ર સમો ચરખો
. પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !
અમ જીવનમાં અમ અંતરમાં
. એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
. એની પાવક આતમજ્વાળ દહો !
એનો સત્યનો સૂર્ય સદાય તપો
. અમ પાપ-નિરાશાના મેલ દહો !
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
. અમ ભારતનાં સહુ ક્લેશ વહો !
એણે જીવતાં રામ સદાય રટ્યા,
. એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા
. નિજ લોહી અશેષ વહાવી ગયા.
– જુગતરામ દવે
વરસમાં બે વાર બાપુને યાદ કરવાનો ‘ભારતીય’ રિવાજ અમે પણ બરકરાર રાખીએ છીએ.
Permalink
October 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક સોમેશ્વર
કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.
– રમણીક સોમેશ્વર
રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.
Permalink
September 29, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?
એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!
ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ
સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?
– શ્યામ સાધુ
કેટલાં સરળ શબ્દોમાં કેટલી સુંદર વાત…….!
Permalink
September 28, 2015 at 1:04 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૈફ પાલનપુરી
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
– ‘સૈફ’ પાલનપુરી
Permalink
September 26, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રા
તમે તો ધારી લીધું છે ને કે હું
માત્ર ભીના રૂમાલ, લાલ ગુલાબ અને ઉઝરડા વિશે જ લખું છું
કાં તો ડિસ્પ્રિન વિશે લખીશ
ને બહુ બહુ તો તૂટ્યાં ચંપલ, વિત્યો સમય ને અધૂરાં કાવ્યો વિશે.
જોરથી વરસાદનો એક છાંટો પડવાથી
દરિયાઈ મોજામાં પડેલ ગોબામાં ડૂબેલા વિષયને
હું ના જ લખી શકું, કેમ!?
બે દિવસ પે’લા
દાદીમાએ ત્રોફાવેલ છૂંદણામાંથી મેં એક મોર ચોરી લીધો
ને એના ગળામાંથી ટહૂકો ખેંચી કાઢીને ફંગોળ્યો
તો હવામાં ‘યુ આર સો રોમેન્ટિક’ ના ક્રિસ્ટલ ક્લિઅર પડઘા ઊડવા
માંડ્યા
હજી ગઈ કાલે રાતે જ,
કિ-બૉર્ડ પર ફરી વળેલ અક્ષરો પાછા એકઠા થઈને
કાંઈક કાવતરું કરતા રંગે હાથ પકડાયા,
મને જોતાવેંત કહે, ‘રૂમાલ આપો તો રડવું છે’
આ તો ખાલી વાત થઈ,
બાકી આજે સવારે જ પાડોશીની સંસ્કાર ચૅનલમાંથી એક હકીકત
રવેશ પર આવી ચડી, ‘વ્યક્તિ જે ધારે તે કરી શકે’
ને આમેય તમે તો ધારી જ લીધું છે ને કે હું…..
– ચંદ્રા
ચંદ્રા તળાવિયા કોલેજમાં પ્રાધ્યાપિકા છે અને વિદેશી સાહિત્યના ઊંડા ભાવક પણ. એટલે અનુઆધુનિક કવિતા અને જૉન ડૉનની મેટાફિઝિકલ પોએટ્રીની પરિકલ્પનાઓ એમના શબ્દોમાં સતત વમળાતાં અનુભવાય તો નવાઈ નહીં.
“તમે તો ધારી લીધું છે ને” ~ આ પ્રથમોક્તિ પ્રસ્તુત રચનાનો દરવાજો છે. આ દરવાજો જરા માટે ચૂક્યા નથી કે કોઈ બીજા જ ઘરમાં તમે ઘૂસ્યા નથી. કવિતા આવી હોવી જોઈએ, કવિતા તેવી હોવી જોઈએ, કવિતામાં કાવ્યતત્ત્વ તો હોવું જ જોઈએ, કવિતાનો કોઈક અર્થ તો હોવો જ જોઈએ, કવિતા આમે કે તેમ – આવી એકેય પૂર્વધારણા મનમાં રાખી નથી કે તમે આ કવિતામાંથી “આઉટ” થયા નથી.
તમામ પ્રકારના, I repeat, તમામ પ્રકારના ‘માઇન્ડ સેટ’ બાજુએ મૂકીને જ તમે કવયિત્રી શું કહેવા માંગે છે એ સમજી શકશો. આ માણસ તો આમ જ કરી શકે અને આ માણસ તો તેમ જ – એવી ધારણાઓમાં આપણે આપણી આસપાસના દરેક વ્યક્તિને તો બાંધી જ દેતાં હોઈ છીએ પણ આપણે પોતે પણ આપણા પોતાના વિશે આવા જ વાડા રચી દેતાં હોઈએ છીએ.
કવયિત્રી બહુ સિફતપૂર્વક અલગ-અલગ સંદર્ભોથી ધારણાઓની વિશાળ દુનિયા તરફ ઇંગિત કરે છે અને એક બાહોશ કલાકારની જેમ સમાંતરે જ પોતાની ખૂબી પણ છતી કરતાં જાય છે. સરવાળે આસ્વાદ્ય રચના.
Permalink
September 25, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોગેશ જોષી
એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.
શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?
– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)
કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…
Permalink
September 24, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.
હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.
ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.
માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.
– સ્નેહી પરમાર
કેવી મજાની ગઝલ ! નજર લાગી જાય એવી…
Permalink
September 21, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, કેદારનાથ સિંહ, સુશી દલાલ
પ્રતીક્ષા ન કરો
જે કહેવું હોય
એ કહી નાખો
કારણકે શક્ય છે
પછી કહેવાનો કોઈ અર્થ જ ન રહે.
વિચાર કરો
જ્યાં ઊભા છો ત્યાંથી જ વિચાર કરો
ભલે રાખથી જ શરૂ કરો
પણ વિચાર કરો.
એ જગાની તલાશ વ્યર્થ છે
જ્યાં પહોંચીને આ દુનિયા
એક અફીણના ડોડામાં બદલાઈ જાય છે.
નદી સૂઈ રહી છે
એને સૂવા દો
એના સૂવાથી
દુનિયાના હોવાનો અંદાજ મળી રહે છે
પૂછો
જેટલીવાર પૂછવું પડે એટલી વાર પૂછો
ભલે પૂછવામાં ગમે તેટલી તકલીફ પડે
પણ પૂછો
પૂછો કે ગાડી હજી કેટલી લેટ છે
પાણી એક રોશની છે
અંધારામાં આ જ એક વાત છે
જે તમે પૂરા વિશ્વાસથી
કહી શકો છો બીજાને.
– કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ
આ કાવ્યના ગુહ્યાર્થ બાબતે હું બહુ ચોક્કસ નથી છતાં મને જે સમજાયું છે તે કંઈક આ પ્રમાણે છે –
વિચારશૂન્યતા – ભયાનક જડતા – ઉપર વેધક કટાક્ષ છે અહીં. Bertrand Russel નું એક વાક્ય યાદ આવે છે – ‘ People would rather die then think. And they actually do ! ‘
‘સૂતી નદી’ એ દુનિયાની પ્રવાહહીનતા-જડતા નું પ્રતિક છે. પાણીને રોશની સાથે કોઈ સંબંધ નથી છતાં અંધારામાં – અર્થાત અગાધ અજ્ઞાનના અંધારે – રહેલા આપણે કેટલા વ્યર્થવિશ્વાસ સાથે બીજાને અભિપ્રાય આપી દઈએ છીએ !! અણજાણ મુલકે આંધળો અજાણ્યાને દોરે….!!
ભાવાર્થ બાબતે સૌ પોતપોતાના વિચારો મૂકશે તો આભારી થઈશ…..
Permalink
September 20, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ઓશો, ગીત, હરિવંશરાય બચ્ચન
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
मौन रात इस भांति कि जैसे, कोई गत वीणा पर बज कर,
अभी-अभी सोई खोई-सी, सपनों में तारों पर सिर धर
और दिशाओं से प्रतिध्वनियाँ, जाग्रत सुधियों-सी आती हैं,
कान तुम्हारे तान कहीं से यदि सुन पाते, तब क्या होता?
तुमने कब दी बात रात के सूने में तुम आने वाले,
पर ऐसे ही वक्त प्राण मन, मेरे हो उठते मतवाले,
साँसें घूमघूम फिरफिर से, असमंजस के क्षण गिनती हैं,
मिलने की घड़ियाँ तुम निश्चित, यदि कर जाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
उत्सुकता की अकुलाहट में, मैंने पलक पाँवड़े डाले,
अम्बर तो मशहूर कि सब दिन, रहता अपने होश सम्हाले,
तारों की महफिल ने अपनी आँख बिछा दी किस आशा से,
मेरे मौन कुटी को आते तुम दिख जाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
बैठ कल्पना करता हूँ, पगचाप तुम्हारी मग से आती,
रगरग में चेतनता घुलकर, आँसू के कणसी झर जाती,
नमक डलीसा गल अपनापन, सागर में घुलमिलसा जाता,
अपनी बाँहों में भरकर प्रिय, कण्ठ लगाते तब क्या होता?
मधुर प्रतीक्षा ही जब इतनी,
प्रिय तुम आते तब क्या होता?
- हरिवंश राय बच्चन
[source – ઓશો – અથાતો ભક્તિ જીજ્ઞાસા]
પ્રતીક્ષાનું અત્યંત મધુર ચિત્રણ ! નખશિખ પ્રેમમાર્ગ……
Permalink
September 19, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
ખાલીપામાં ખાલીપો પૂરાય છે
આપણે મળીએ તો એવું થાય છે !
આ ક્ષણે થોડું ઘણું સમજાય છે
જાય તે શું કામ અહીંથી જાય છે ?
ચીજ વસ્તુઓ ઘણી ખોવાય છે
ને ફકત તારા સ્મરણ સચવાય છે !
જાઉં તો એ ત્યાં જ પોતાના સ્થળે
છે અને અહીંયાથી ન નીકળાય છે !
તારી પાસે આવી ઊભો રહું અને
ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !
– ભરત વિંઝુડા
બધા જ શેર સરસ પણ રહી પડવાનું મન થઈ આવે એવું ગઝલનું ઘર જરા વધુ ગમી ગયું.
Permalink
Page 49 of 119« First«...484950...»Last »