એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
August 28, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાધિકા ટિક્કુ ડૉ.
સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.
– ડૉ. રાધિકા ટિક્કુ
સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.
Permalink
August 27, 2015 at 2:36 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !
અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !
સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !
– નિરંજન ભગત
કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !
Permalink
August 24, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.
નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.
જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.
નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.
ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.
– હિતેન આનંદપરા
Permalink
August 23, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સદા ચાલ્યા કરેછે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !
મળ્યું વ્યાકુળ હ્રદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.
કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર,રડું છું, એ બિચારા પર.
હ્રદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.
અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.
જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.
******
બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.
– ‘ગની’ દહીંવાળા
એક સરળ હ્રદયની વાણી છે આ…..એક સંવેદનશીલ દિલની કથની છે. ગનીચાચાની ખૂબી જ એ હતી કે તેઓના કવનમાં દર્શન સહજ હતું.
Permalink
August 22, 2015 at 2:54 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.
ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.
હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.
પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.
જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.
– મનહર મોદી
મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…
Permalink
August 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.
વેદના સત્વો જે રગરગમાં ભરે,
વેદના એણે વખાણી હોય છે.
શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે.
નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે.
વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે,
ગાલગામાં પણ સમાણી હોય છે.
– નેહા પુરોહિત
એક-એક શેર પાણીદાર… ગઝલ જાણે વેદનાનો વેદ ના હોય !
Permalink
August 20, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાબિર વટવા
ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !
એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !
અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !
ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !
વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !
હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !
આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !
– સાબિર વટવા
જરા રોકાઈ જવા જેવી ગઝલ…
Permalink
August 18, 2015 at 3:51 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.
સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.
પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.
ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.
લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો.
– મુકેશ જોશી
કવિની ઊંચાઈનો ખ્યાલ તેઓ દ્વારા થયેલી વિષયની માવજત આપે છે. પરંપરાગત વિષયને કેટલી અદભૂત તાજગી બક્ષી છે !!!
Permalink
August 16, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, દુષ્યન્ત કુમાર
मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम,
जुए के पत्ते-सा
मैं अभी अनिश्चित हूँ ।
मुझ पर हर ओर से चोटें पड़ रही हैं,
कोपलें उग रही हैं,
पत्तियाँ झड़ रही हैं,
मैं नया बनने के लिए खराद पर चढ़ रहा हूँ,
लड़ता हुआ
नई राह गढ़ता हुआ आगे बढ़ रहा हूँ ।
अगर इस लड़ाई में मेरी साँसें उखड़ गईं,
मेरे बाज़ू टूट गए,
मेरे चरणों में आँधियों के समूह ठहर गए,
मेरे अधरों पर तरंगाकुल संगीत जम गया,
या मेरे माथे पर शर्म की लकीरें खिंच गईं,
तो मुझे पराजित मत मानना,
समझना –
तब और भी बड़े पैमाने पर
मेरे हृदय में असंतोष उबल रहा होगा,
मेरी उम्मीदों के सैनिकों की पराजित पंक्तियाँ
एक बार और
शक्ति आजमाने को
धूल में खो जाने या कुछ हो जाने को
मचल रही होंगी ।
एक और अवसर की प्रतीक्षा में
मन की कंदीलें जल रही होंगी ।
ये जो फफोले तलुओं मे दीख रहे हैं
ये मुझको उकसाते हैं ।
पिंडलियों की उभरी हुई नसें
मुझ पर व्यंग्य करती हैं ।
मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ
कसम देती हैं ।
कुछ हो अब, तय है –
मुझको आशंकाओं पर काबू पाना है,
पत्थरों के सीने में
प्रतिध्वनि जगाते हुए
परिचित उन राहों में एक बार
विजय-गीत गाते हुए जाना है –
जिनमें मैं हार चुका हूँ ।
मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम
मैं अभी अनिश्चित हूँ ।
– दुष्यंत कुमार
યુદ્ધ બાહ્ય રિપુ સામે હોય કે આંતરિક રિપુ સામે, સમર્થ સામે હોય કે કુટિલ સામે, સમોવડિયા સામે હોય કે વિરાટ બળ સામે – પરિણામનો આધાર ઇચ્છાશક્તિ [ will power ] ઉપર છે. આપણો ધર્મ છે પૂર્ણ સામર્થ્યસમેત લડવું…..ન તો જય કાયમી છે ન તો પરાજય, કાયમી છે પોઝિટિવ દ્રષ્ટિકોણ. કાયમી છે ‘ never say die ‘ સ્પિરિટ.
Permalink
August 15, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નૂતન જાની, વિશ્વ-કવિતા, વેદ રાહી
દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.
શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.
પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.
– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની
આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?
Permalink
August 14, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
હિંડોળે હિંચકતાં ખંખેરી પાન
અમે છાંયડાને દેશવટો દીધો;
ટહુકાઓ કોરાણે મૂકીને
કાળઝાળ તડકાને ખોળામાં લીધો.
અડવું ઊભેલ ઝાડ પંખીને ભૂલીને
હવે ખરતાં પીછાંને પંપાળે,
ખરબચડી ડાળેથી લપસેલા નિઃસાસા
લીલીછમ વગડામાં ખાલીપો ઘોળીને
કળકળતો ઘૂંટ એક પીધો.
હિંડોળે…
ફૂલોને હડસેલા મારીને અત્તરિયા
પાસેથી માંગ્યું રે ફાયું,
ચકલીએ નોંધાવી બળવાનો સૂર
એક ચીંચીંયે સુદ્ધાં ન ગાયું,
પીડાનાં પાન પછી વાળીને
ફળિયામાં ડૂમાનો ઓળીપો કીધો.
હિંડોળે…
– જયંત ડાંગોદરા
આધુનિકીકરણ વિશે મબલખ કવિતાઓ લખાઈ ગઈ. પણ અહીં કવિ તટસ્થ માણસ દરિયો નિહાળે એમ માત્ર આધુનિકીકરણનો ચિતાર દોરી આપે છે એ કારણે કવિતા વધુ ઓપી ઊઠે છે. એમનો વિરોધનો સૂર પણ ચીંચીં સુદ્ધાં ન ગાતી ચકલી જેવો નિર્લેપ છે.
Permalink
August 13, 2015 at 12:15 AM by ધવલ · Filed under પ્રકીર્ણ
આ શુક્રવારે સાંજે ૮ વાગ્યે, ઍટલાન્ટામાં પહેલીવાર, ડો.રઇશ મનીઆર સાથે હાસ્ય અને કવિતાના સંગમ સમી સાંજ. એટલાન્ટા નિવાસી મિત્રો, આ પોસ્ટને આપના દોસ્તો સાથે અને ફેસબૂક પર જરૂરથી ‘શેર’ કરશો.

Permalink
August 10, 2015 at 3:23 AM by તીર્થેશ · Filed under પ્રકીર્ણ, વિપિન પરીખ
મંદિર બ્હાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?
[ મંદિરની બહાર ઊભેલો ભિખારી તો ભિખારી છે જ – જગ જાણે છે એ વાત, કિન્તુ મંદિરની અંદર પેસતો હુંય શું ભિખારી નથી !!?? હું ક્યાં મંદિરની અંદર નિ:સ્વાર્થ ભાવે જાઉં છું !!?? ]
માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી !
-વિપિન પરીખ
Permalink
August 9, 2015 at 12:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
ઘણી વેળા ત્રિભેટા પર જે પથ ફંટાઈ જાયે છે,
બધેબધ જઈ શકું, એ ખ્યાલે ત્યાં અટકી જવાયે છે.
પ્રભુ એવું કરે નિ:શ્વાસમાં એની અસર ના હો,
લઉં છું શ્વાસ તો એક આગ ઉર ઠલવાઈ જાયે છે.
હું ઝંખું કે સમેટી લઉં મિલનની આ ક્ષણો હમણાં,
જરા અડકું છું ત્યાં નાજુક સમય વિખરાઈ જાયે છે.
કદી એને મૂલવવાની મને રસમો ન આવડતી,
ફકીરી હાલમાં જે થોડું ધન સચવાઈ જાયે છે.
હવે લાગે છે બાકી જિંદગીનો રાહ ટૂંકો છે,
કે હમણાં હમણાં લાંબા શ્વાસ બહુ લેવાઈ જાયે છે.
– હરીન્દ્ર દવે
બીજો શેર અદભૂત છે. ત્રીજો અત્યંત નાજુક વાત કહી જાય છે. ત્રીજો શેર એક દ્રષ્ટિએ મરીઝના પેલા અત્યંત જાણીતા શેર ‘…….એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે’- ના પ્રતિશેર જેવો છે. રસ પીવામાં જલ્દી ન કરાય…… નહિતર રસ રસ રહે જ નહિ. પરમાનંદની ક્ષણોને અડાય !!!!! જો એવી ગુસ્તાખી કરો તો તે તરત જ અલોપ થઇ જાય. ઉતાવળે રસ પીવા કોશિશ કરી જુઓ, જામમાં પીણું જ રહી જશે……..રસ ઊડી જશે. ચોથો શેર નબળો લાગ્યો.
Permalink
August 8, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સ્ટિફન ક્રેન
એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.
– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)
*
સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.
*
LXV [Once, I knew a fine song]
Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.
– Stephen Crane
Permalink
August 7, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેશ પરમાર
“તું લખે તો હુંય લખું” એવાં બહાને નહિ લખું;
છે પૂરું સામર્થ્ય પણ, ખોટા ઉપાડે નહિ લખું.
વાત પાયાની અને સાર્થક રહે, ત્યાં છે ગઝલ;
એ સમજ છે એટલે, વહેતા વિચારે નહિ લખું.
તુંય જાણે છે કે શું છે ન્યાય ? શું છે સમતુલા ?
એમ જાણી દોસ્ત, ઓછું કે વધારે નહિ લખું.
વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.
‘સૂર’મય બે શબ્દ લઈ, કાને પડું તો ઠીક છે;
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું.
– સુરેશ પરમાર ‘સૂર’
આજના ગઝલકારોએ આંખ સામે ૨૪ કલાક મૂકી રાખવા જેવી ગઝલ…
Permalink
August 6, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.
ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.
ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.
આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.
બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.
તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.
આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે
– ગૌરાંગ ઠાકર
સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…
Permalink
August 3, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
– અનિલ ચાવડા
થોડીક પ્રયોગાત્મક ગઝલ છે. કદાચ શાસ્ત્રીય ગઝલકારની ભૃકુટી તણાય પણ ખરી પરંતુ કલ્પનોની તાજગી કાબિલ-એ-તારીફ છે.
Permalink
August 2, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના, સુશીલા દલાલ
હવે હું કઈ કહેવા નથી માંગતો,
સાંભળવા ઈચ્છું છું એક
સમર્થ સાચો અવાજ
કદાચ ક્યાંક હોય.
નહીં તો
એના પહેલાંનું
મારું પ્રત્યેક કથન
પ્રત્યેક મંથન
પ્રત્યેક અભિવ્યક્તિ
શૂન્ય સાથે ટકરાઈને પાછી ફરી આવે,
એ અનન્ત મૌનમાં સમાઈ જવા ઇચ્છું છું
જે મૃત્યુ છે.
‘જે કહ્યા વગર મરી ગયો’
આ અધિક ગૌરવશાળી છે
આ કહેવાથી –
‘ કારણકે એ મરવાના પહેલાથી
કંઈક કહી રહ્યો હતો
જેને કોઈએ સાંભળ્યું નહીં. ‘
– સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ
” The wasteland grows. Woe to him who hides wasteland within.” – Nietzsche
આ ઉદગાર ઓગણીસમી સદીના અંતભાગે એ વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયા છે કે જેને માટે ખલિલ જિબ્રાને એમ કહ્યું હતું કે Nietzsche પૃથ્વી ઉપર ચાલનાર માનવોમાંનો સૌથી બુદ્ધિમંત માનવ હતો.
આ ઉદગારો Nietzsche ના પુસ્તક ‘ Thus spake Zarathrusta ‘ ના નાયકના મુખેથી બોલાયા છે. અર્થ આમ તો સ્પષ્ટ છે – વેરાની ફેલાઈ રહી છે. ધિક્કાર છે એને જે પોતાની અંદર વેરાની સંઘરીને બેઠો છે. આ વેરાની-ઉજ્જડતા વૈચારિક વેરાની છે…… સ્પષ્ટ-પૂર્વગ્રહમુક્ત-સમ્યક દર્શનના અભાવની વાત છે. અનભિજ્ઞ પ્રદેશે હિંમતભેર વિચરણના સાહસના સદંતર અભાવની વાત છે. વળી, ભયાનક વાત એ છે કે આ વેરાની ફેલાઈ રહી છે……ધીમે ધીમે બધું જ ઉજ્જડ થઇ જશે……
અનેક પ્રજ્ઞાવાન સાહસિકો આવું બધું ઘણું કહી ગયા છે…. શૂન્ય સાથે ટકરાઈને તેઓના સાદ પાછા વળતા રહ્યા છે. માનવજાત સ્વભાવગત પ્રચંડ આળસ અને ડરના અસાધ્ય રોગથી મુક્ત નથી થઇ શકતી.
જે કોઈ પણ ચિંતક વ્યક્તિને પોતાને કંઈક કરવાનું કહે છે તેને માનવજાત તરત જ ક્યાં તો ગુમનામીના અંધારે ગુમ કરી દે છે અથવા ઈશ્વર બનાવીને મંદિર/મસ્જીદ/ચર્ચમાં કેદ કરી દે છે…….
Permalink
August 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નટરાજ બ્રહ્મભટ્ટ
તમે અમારાં ગુરુ મીરાં !
તમે અમારાં ગુરુ
રોજ હવે તો હરિરસ ભાવે, ઘર લાગે છે તૂરું
મીરાં ! તમે અમારાં ગુરુ.
અમે તમારા શબ્દોની આંગળિયું પકડી ચાલ્યા,
અમે તમારા ભાવભુવનમાં ગગન ભરીને મ્હાલ્યા
તમે બતાવ્યું નામ, ઠામ ઠેકાણું પૂરેપૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.
તમે કંઠમાં કેદ કર્યાં’તાં મોરપિચ્છ ને વેણુ
અમે તમારી કંઠી બાંધી, ઘટનું એ જ ઘરેણું
શ્વાસ હવે તો શામળિયો ત્યાં કોણ કરે કંઈ બૂરું !
મીરાં ! તમે અમારાં ગુરુ.
ગુરુ અમોને માંડ મળ્યાં છે ઘટમાં ઘાયલ ઘેલાં
રાત દિવસ બસ રાતામાતા એ જ ચીલામાં ચેલા
બાઈ મીરાંને લખવાનું કે તમે ઝૂર્યાં એમ ઝૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.
– નટરાજ બ્રહ્મભટ્ટ
ગઈકાલે ગુરુપૂર્ણિમા ગઈ… એના ઉપલક્ષમાં આજે એક મજાનું ગીત…
Permalink
July 31, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?
જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.
નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.
સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.
માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.
ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.
બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ?
– હરદ્વાર ગોસ્વામી
પહેલો શેર વાંચીને જ હું તો પલળી ગયો… ત્રાંસા કિરણ, શબ્દોની સાસુ, સી.સી. ટીવી- બધા જ શેર મજાના થયા છે.
Permalink
July 30, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું
આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું
ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું
પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું
જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું
– સ્નેહી પરમાર
જાનદાર ગઝલ. ઇચ્છાઓના વાહનની ઘુરર્રાટી અદભુત તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ. ભીતરની હલદીઘાટીનું કલ્પન મજાનું તો છેલ્લા બે શેર પણ એવા જ જોરદાર…
Permalink
July 28, 2015 at 3:46 AM by તીર્થેશ · Filed under અનિલ જોશી, ગીત
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.
સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.
ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…
-અનિલ જોશી
શું classic ગીત છે !!!
Permalink
July 26, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, વિશ્વ-કવિતા
It is as though you have an eye
That sees all forms
But does not see itself.
This is how your mind is.
Its light penetrates everywhere
And engulfs everything,
So why does it not know itself?
-Foyan
[ સરળ કાવ્ય છે તેથી ભાષાંતર નથી કર્યું. ]
અસંખ્ય થોથાંમાં જે વાત કહેવાતી આવી છે તે વાત સાત લીટીમાં કહેવાઈ છે – ઝેન કાવ્યનું આ મુખ્ય લક્ષણ છે. અનાદિકાળથી આ પ્રશ્ન ચિંતકોને કનડતો આવ્યો છે……જે વિચાર કરે છે તે મન, તો મનને કઈ રીતે જાણવું ?? અનંત પ્રશ્ન છે – જો સઘળું ઈશ્વરે સર્જ્યું તો ઈશ્વરને કોણે સર્જ્યો……ઈશ્વરના સર્જનહારને કોણે સર્જ્યો…..etc etc etc
મન શું છે તે જાણ્યા વગર મનની ગતિવિધિ સમજવી કઈ રીતે ?? અને સમજ્યા વગર એને નિયંત્રિત કઈ રીતે કરવી !!?? વ્યવહારમાં મબલખ વપરાતો શબ્દ ‘ધ્યાન’ સાંભળીને ઘણીવાર ખૂબ જ આશ્ચર્ય થાય – લોકો અમુક શારીરિક મુદ્રામાં બેસી આંખો બંધ કરીને એમ માનતા હોય છે કે એ ધ્યાન છે !! એવી પણ માન્યતા છે કે ધ્યાન voluntarily કરી શકાય છે અને કોઈકને શીખવી પણ શકાય છે. ઈચ્છા પ્રમાણે અમુક સમય ધ્યાનમાં બેસી શકાય છે ઈત્યાદી ઈત્યાદી…. ધ્યાન વિષે બે વ્યક્તિવિશેષ દ્વારા આધારભૂત માર્ગદર્શન અપાયું છે – ભગવાન બુદ્ધ અને જે. કૃષ્ણમૂર્તિ . આ વિષય ઘણો બહોળો હોવાથી અહીં તે વિષે વિસ્તૃત વાત નથી કરતો, પરંતુ લોકમાનસમાં ધ્યાન વિષે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે તે મીનમેખ.
ધ્યાન વિષેની પ્રચલિત વાતો કદીપણ મારે ગળે ઉતરી શકી નથી. જ્યાં સુધી ‘વિચાર’ ના ઉદગમસ્થાનને ભલીભાંતિ સમજી નહિ શકાય ત્યાં સુધી વિચારને નિયંત્રિત કરવાની વાત કઈ રીતે સમજી શકાય ? વિચારના ઉદભવ,તેના વિકાસ અને તેની ગતિને સમજવું અર્થાત મનને સમજવું. જે ક્ષણે મન વિચારશૂન્ય થાય છે [ જેને પ્રચલિત પરિભાષામાં ‘ધ્યાન’ કહેવામાં આવે છે ] ત્યારે ‘મન’ જેવું કંઈ રહે છે ખરું !! શું ખરેખર વિચારશૂન્ય અવસ્થા ક્ષણભર માટે પણ શક્ય છે ખરી ? માની લો કે એવી અવસ્થા શક્ય છે તો તે વખતે ‘મન’ની વ્યાખ્યા શી ? જો રેતીનો એક કણ પણ રહે નહીં તો રણનું અસ્તિત્વ રહે ખરું ?? are thought and thinker different ?
ઉપરના તમામ પ્રશ્નોના જવાબ વ્યક્તિ પોતાની પ્રજ્ઞાના સ્તર અનુસાર જ સમજી શકે.
કાવ્ય માત્ર અંગૂલિનિર્દેશ કરે છે……..
Permalink
July 25, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
– મિલિન્દ ગઢવી
ચાર જ શેરની પણ સાદ્યંત અદભુત ગઝલ લઈને ગ.મિ. આજે લયસ્તરોના આંગણે આવ્યા છે. રદીફમાં દોરવાની અને ‘તું નથી’ એવું લખવાની જે વાત કવિ કરે છે એ વાત જ પહેલી નજરે પસંદ પડી જાય છે પણ ગઝલના ચાર શેરમાં જે વિરહ-વિયોગ-પ્રતીક્ષા ઘૂંટાતી રહે છે એનો ઘેરો રંગ આ ગઝલનો ખરો પ્રાણ છે.
રાસ એ ટોળાંની કવિતા છે. પ્રેમીજનોની અંગે-સંગે મ્હાલવાની કળા છે. રાસ શબ્દ સાંભળતાવેંત આપણી આંખ સામે યમુનાકાંઠે વેણુ વગાડતાં શ્રીમુરારિ અને ગોપિકાઓ આવી ઊભે. પણ કવિનો રાસ તો શૂન્યતાનો રાસ છે. આ એક જ કલ્પન પર કવિ આફરીન આફરીન પોકારાવી દે છે. કેવી ઘેઘૂર અને ભરચક્ક શૂન્યતા હશે જે પ્રિયજનના વિરહમાં રાસે ચડી છે ! અને પછી ખાલી પડેલી ભીંતો અટ્ટહાસ્ય ન કરે તો બીજું શું! આંખનો ઉપવાસ અને સાંજને ચાખવાના કલ્પનનું નાવિન્ય પણ એવું જ હૃદયંગમ…
Permalink
July 24, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.
ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.
નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.
જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.
મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.
– પરાજિત ડાભી
બદલાવ વિશેની મજાની ગઝલ…
Permalink
July 23, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.
શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !
ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?
માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !
પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.
– વિવેક કાણે ‘સહજ’
મત્લાના શેરમાં સાચા કવિનું સરનામું જડે છે. ખુદ, ખુદના વિચારો, અભિમાન, સંપર્કો – બધાથી અળગા થઈ જઈએ એ પછી હોવાહીનતા જ્યાં આપણને લઈ આવે ત્યાં જ કવિ બેઠક જમાવી બેસે છે બાકી તો મજૂરિયાની જેમ શ્વાસ પર શ્વાસ સતત લાદતા જઈને આપણે આપણેરે જાતને દબાવવા-કચડવા સિવાય બીજું કર્યું જ શું છે ?
Permalink
July 20, 2015 at 1:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.
કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો,અને ટીપું ન પડે ?!
ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.
પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?!
જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.
એક આ પાન ! જે ફરક્યા કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.
દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’ , ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.
– ‘ગની’ દહીંવાળા
Permalink
July 19, 2015 at 3:44 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર
I must launch out my boat.
The languid hours pass by on the shore—Alas for me!
The spring has done its flowering and taken leave.
And now with the burden of faded futile flowers
I wait and linger.
The waves have become clamorous,
and upon the bank in the shady lane
the yellow leaves flutter and fall.
What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air
with the notes of the far-away song
floating from the other shore?
~ Rabindranath Tagore
મારે નાવ લઇ નીકળી પડવું જ રહ્યું.
મારી કમબખ્તી ! – ….કે કિનારે સુસ્ત સમય વીતતો જાય છે
વસંત પોતાનો નિખાર ફેલાવી ને ચાલી ગઈ.
અને હવે હું મુરઝાયેલા-વ્યર્થ ફૂલોના ભાર સહ
રાહ જોઉં છું, વ્યર્થ વિલંબ કર્યા કરું છું.
મોજાંઓ હવે ગરજી રહ્યા છે
અને કિનારે છાંયામાં
પીળા પર્ણો ખડખડી અને ખરી રહ્યા છે.
તું કયા ખાલીપાને તાકી રહ્યો છે !
નથી અનુભવી શકતો તું વાયરામાં વહેતો રોમાંચ
દૂરસુદૂરના ગીતના સૂરો સાથેનો
અન્ય કિનારેથી પ્રતરતો ?
-રવીન્દ્રનાથ ઠાકુર
કાવ્યનું માધુર્ય તો અસીમ છે જ કિન્તુ અર્થગહનતા જુઓ ! ભૂતકાળને વળગીને નિ;સાસા નાખતા રહેવું કે એ બધું ખંખેરીને ઉત્સાહભેર આગળ વધવું તે આપણાં જ હાથમાં છે. નિષ્કર્મણ્યતા,અવૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા ભારતવર્ષના અત્યંત જૂના અને હઠીલા રોગ છે…..
Permalink
July 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under અલ્પેશ 'પાગલ', ગઝલ
ખૂબ તાતાં તીર થાતાં જાય છે !…
શબ્દ બહુ શાતિર થાતાં જાય છે !
આજકલ ઈશ્વર મટી ઈશ્વર બધા,
મસ્જિદો-મંદિર થાતાં જાય છે !
હાથને ચહેરો નથી તો શું થયું…?
લેખ સૌ તસવીર થાતાં જાય છે !
તું હસે તો કોણ જાણે કેમ આ…
આઈના ગંભીર થાતા જાય છે !
દોડવાની હોડમાં છે માણસો…
ને સંબંધો સ્થિર થાતા જાય છે !
લાગણીના માણસોનું શું કરું…?
કાચની સમશીર થાતા જાય છે !
આ જૂના આલબમના ફોટાઓ હવે
દર્દની જાગીર થાતા જાય છે !
હા, હયાતીની દવા લેખે હવે,
ઝાંઝવાં અક્સીર થાતાં જાય છે !
– અલ્પેશ ‘પાગલ’
એક સે બઢકર એક…
Permalink
July 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણય જામનગરી
મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?
તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?
ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?
ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?
આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.
પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.
રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.
ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?
– પ્રણય જામનગરી
મજાની ગઝલ… ત્રણેક શેર નબળા થયા છે, કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત એમ લાગે છે.
Permalink
July 16, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શિવજી રૂખડા
આંગણામાં આપણે ભૂલા પડ્યા,
આપણામાં આપણે ભૂલા પડ્યા.
એક હળવી વાતને મોટી કરી
હુંપણામાં આપણે ભૂલા પડ્યા.
આમ તો ત્યાં એકલા ફરતાં હતાં,
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા.
રોજ દિવસ ધારવામાં જાય છે,
ધારણામાં આપણે ભૂલા પડ્યા.
તાર સીધા હોય તો ચાદર બને,
તાંતણામાં આપણે ભૂલા પડ્યા.
દ્વાર ઝાઝાની હવેલી આપણી,
બારણાંમાં આપણે ભૂલા પડ્યા.
– શિવજી રૂખડા
માત્ર બેજ અક્ષર જેટલા નાના કાફિયાને લાંબી રદીફ સાથે જોડીને પણ કવિ નાનાવિધ અર્થચ્છાયાની ભારે કમાલ કરી શક્યા છે…
Permalink
July 12, 2015 at 1:00 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર
My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.
Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked—this sky and the light, this body and the
life and the mind—saving me from perils of overmuch desire.
There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.
Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.
– Rabindranath Thakur
મારી ઈચ્છાઓ ઘણી છે અને આર્તનાદ હ્રદયદ્રાવક,
પરંતુ હંમેશા તેં મને તારા કઠોર અસ્વીકારથી બચાવ્યો છે;
અને તારી આ પ્રબળ કરુણાએ મને ઘડ્યો છે
વારંવાર.
પ્રતિદિન તું મને લાયક બનાવે છે
વણમાંગે તેં મને આપેલા સાદા,ભવ્ય ઉપહારો માટે-
આ વ્યોમ અને આ પ્રકાશ, આ દેહ અને જીવન અને મન –
રક્ષે છે મને અત્યાભિલાષાના જોખમોથી.
કોઈકવાર હું સુસ્તીથી આળસ્યા કરું છું
અને ક્યારેક હું જાગૃત થઈને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું;
કિન્તુ ક્રુરતાથી તું છૂપી જાય છે મારાથી.
પ્રતિદિન તું મને તારા પૂર્ણતય: સ્વીકાર માટે યોગ્યતર બનાવતો રહે છે
મને વખતોવખત અસ્વીકૃત કરીને,
બચાવતો રહે છે મને તું નબળી અને ધૂંધળી ઇચ્છાઓના જોખમોથી.
– રવીન્દ્રનાથ ઠાકુર
ગીતાંજલિનું આ ચૌદમું કાવ્ય ગુરુદેવની અગાધ પ્રજ્ઞાનું પ્રતિક છે…….
Permalink
July 11, 2015 at 1:31 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગીત
તળાવનાં પાણીની ઉપર કોનાં છે આ કોરાં કુમકુમ પગલાં ?
પરવાળાની પાનીવંતું કોણ હતું એ કહો, કાનમાં કાંઠે ઊભાં બગલાં
જળ કરતાં જણ હશે પાતળું, ઝળહળ જળળળ જળ-કેડી આ કોરી ?
તળનાં જળને એમ થયું કે આજ સપાટી ઉપર કોઈ ફૂલ રહ્યું છે દોરી ?
લયબદ્ધ છતાં લજ્જાળું કોણે ભર્યાં હળુળુ હવા સરીખાં ડગલાં ?
પરવાળાંની પાનીવંતું કોણ હતું એ – કહો, કાનમાં કાંઠાનાં હે બગલાં !
– કરસનદાસ લુહાર
ફક્ત એક જ અંતરાવાળું અલ્લડ ગીત… તળાવનાં પાણી પર અંકાતા ચિત્રની વાત પણ કેવી અસરદાર ! સાવ ટચુકડા ગીતમાં સતત સંભળાયા કરતો ‘જ’કાર, ‘ળ’કાર અને ‘હ’કાર ગીતનું જળની ગતિ સાથે કેવું સાયુજ્ય સ્થાપે છે !
Permalink
July 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ રાવળ
આપણી આટલી અરજ સાંઈ,
ના પડે કાંઈ પણ ગરજ સાંઈ.
આપ આપો મને સમજ સાંઈ,
કઈ રીતે રહી શકું સહજ સાંઈ.
આપણે સાવ એક રજ સાંઈ,
આપણો ઈશ છે સૂરજ સાંઈ.
શ્વાસ લેવા ને જીવતા રહેવું,
આપણી આટલી નીપજ સાંઈ.
એની ઇચ્છાની નોબતો વાગે,
આપણાં વાગશે શું ગજ સાંઈ.
એક અંધાર રાત આવી તો,
ઊગશે કંઈક નવા સૂરજ સાંઈ.
તું હી તું નો જો સૂર લાગે તો,
આપણી પણ બને તરજ સાંઈ.
– દિલીપ રાવલ
Permalink
July 9, 2015 at 2:03 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર,
તો દૃશ્ય પણ વહી શકે, નસનસની આરપાર.
અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે,
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર.
એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.
પૂછો નહીં કે એ પછી આકાર શો થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર.
સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં,
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર.
સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.
– કુલદીપ કારિયા
સંઘેડાઉતાર રચના… એક એક શેર બળકટ…
Permalink
July 7, 2015 at 2:56 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીંગડા લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એક વાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે
અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીના માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે….ફાટ્યા ને તૂટ્યા…..
પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે…… ફાટ્યા ને તૂટ્યા…
– મુકેશ જોષી
એકદમ કરારી વાત………
Permalink
July 6, 2015 at 2:41 AM by તીર્થેશ · Filed under ગીત, શુકદેવ પંડ્યા
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
– શુકદેવ પંડ્યા
Permalink
July 4, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઉષા શાહ, ગઝલ
હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.
આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.
સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.
એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.
રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.
– ઉષા શાહ
આમ તો બધા જ શેર સ-રસ છે પણ આંખમાં ભીનાશવાળી વાત અને રેતમાં ત્રોફેલ નામવાળી વાત તો ભઈ, વાહ !
Permalink
July 3, 2015 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
પાંખ વીંઝતો ડાળ ઝુલાવી કાકડિયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર.
વાદળાં હતાં તે બધાં વરસી ગયાં હવે પાણીમાં નથી રહ્યાં જૂથ;
કાગડાના માળામાં તરણાં હતાં તે કહે : ‘સૂગરીની ચાંચ, મને ગૂંથ’
કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યાં તણખલાં અટવાયાં જઈ થોર
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન;
નીલ ગગનમાં કુંજડીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડી ઊડતું એક વિમાન…
સ્હેજ અમસ્તી ડાળ હલી કે પડછાયાના હડસેલાથી ફર્રક કરતો ખડી ગયો ખડમોર !
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
– અનિલ જોશી
એક સવારનું આવુંં મજાનું લયબદ્ધ વર્ણન જડવું મુશ્કેલ છે… કવિના કેમેરામાં ઝાડ, સવારમાં ઊઠતાં પંખીઓ, વાદળ, મેદાનથી માંડીને વિમાન સુદ્ધા આવી જાય છે અને સરવાળે આપણને હાથ લાગે છે એક મજાનું ગીત… સવાર જ નહીં, આખો દિવસ અજવાળી દે એવું…
Permalink
July 2, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સોનલ પરીખ
ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું
ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું
બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક એસલામતીનો
મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી
મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ?
– સોનલ પરીખ
એક પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કશાયના ખટકા વિના સડસડાટ આગળ વધતી કવિતા અંતે જ્યારે પ્રશ્ન પર આવીને અટકે છે ત્યારે બે ઘડી આપણને પણ સવાલ થાય કે આ પ્રશ્ન તે ખાલી કવયિત્રીનો કે આપણા સહુનો ?
Permalink
June 30, 2015 at 3:18 AM by તીર્થેશ · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે
તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે
પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે
થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે
ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે
– ઉર્વીશ વસાવડા
Permalink
June 28, 2015 at 9:27 PM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.
– રમેશ પારેખ
Permalink
June 27, 2015 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?
બહુ બહુ તો લઈ જવાશે પણે બાંકડે તને,
વાતાવરણ પછીનું નહીં પરવડે તને.
તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.
તું વૃક્ષ છે તો ભીંતની માફક રજૂ ન થા,
ટહુકાઈ નામનીયે નહીં સાંપડે તને.
હું બસ એ વાતની જ ‘જિગર’ રાહ જોઉં છું,
મારા સ્મરણની ક્યારે જરૂરત પડે તને ?
– જિગર જોષી ‘પ્રેમ’
સાદ્યંત સુંદર રચના…. એક એક શેર સો ટચનુ સોનું…
Permalink
June 26, 2015 at 1:19 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
હું જાણું છું,
અત્યારે મારી નજર સામેથી
આ ખિસકોલીની જેમ,
બેધડક સરકી રહ્યો છે એ સમય,
ફરી પાછો નહીં આવે.
પણ એક કવિ તરીકે
મારે હવે ખાસ કંઈ કહેવાનું બાકી નથી રહ્યું.
સાંજે હું ચાલવા નીકળું ત્યારે
ઘણીવાર જોઉં છું,
ધૂળમાં બનાવેલા પોતાના દરમાં
અંદર સરી જતા જીવ-જંતુઓને.
સાંજ ઢળવા લાગે, અંધારું ઘેરું બને
અને હું ઘર તરફ પાછી વળતી હોઉં ત્યારે,
વિચાર આવે,
શું કરતા હશે,
આ જીવ-જંતુઓ અત્યારે, અંદર, પોતાના દરમાં ?
અને કોઈવાર ઇચ્છા થઈ જાય કે
પગથી થોડી ધૂળ ખસેડીને
આ બધા, મારા રસ્તામાં આવતા દર પૂરી દઉં.
શું કરવા આ સરિસૃપો રોજ બહાર નીકળે છે ?
હું કવિ છું,
અને હવે મારે કંઈ લખવું નથી.
– મનીષા જોષી
દરેક સર્જકના જીવનમાં એકાધિકવાર એવા મુકામ જરૂર આવે છે જ્યારે એને એવું લાગે કે હવે એની પાસે નવું સર્જવા માટે કશું બચ્યું નથી. અને આ ખાલીપાની લાગણીમાંથી જ ફરી એકવાર સર્જક ફિનિક્સ પંખીની જેમ બેઠો થતો હોય છે. કવિ જાણે છે કે જે સમય પસાર થઈ રહ્યો છે એ પાછો નહીં આવે અને છતાં આ પસાર થતા સમયનો સદુપયોગ સિસૃક્ષાના અભાવે કરી શકાતો નથી એ પીડા રોજિંદી દિનચર્યા સાથે બસ, વણાયેલી રહી જાય છે. પણ આખરે તો દરેક સર્જક એક સરિસૃપ સમો છે… લાખ ઇચ્છા થતાં એના ઘર ધૂળથી ઢાંકી શકાતા નથી અને બહારથી ભીતર અને ભીતરથી બહારની એની યાત્રા -સર્જન- યેનકેન પ્રકારે ચાલુ જ રહે છે…
Permalink
June 25, 2015 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.
એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.
તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !
જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !
લાખ તું જલવા બતાવે જિંદગી,
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.
કોઈ એવા પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.
આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.
– નિનાદ અધ્યારુ
ગઝલનો મક્તા વાંચતાવેંત કહેવું પડ્યું કે ‘બિલકુલ દાદ આપું છું, ઉસ્તાદ… તમતમારે નિનાદ જ નામ રાખજો…’ બધા જ શેર કાબિલ-એ-દાદ !
Permalink
June 24, 2015 at 1:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –
ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –
વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –
કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –
આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –
એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –
એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –
– મકરંદ દવે
તદ્દન અલગ જ તરહની ગઝલ…..કટાક્ષ સૂક્ષ્મ પણ છે અને ડંખહીન પણ છે….
Permalink
June 21, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મહેશ દવે
સ્થળસમયનું ચક્ર છેદી હું તને ઝંખ્યા કરું
તારો નથી કંઈ વાંક એમાં હું મને ડંખ્યા કરું
યાદોનો અજગર મને એવો વળ્યો વીંટળાઈને
કે મારી પાસેનાં બધાં ફૂલ ખર્યા ચીમળાઈને
રંગો વિનાની આ છબીને હું સદા રંગ્યા કરું
હું તને ઝંખ્યા કરું-
કેવળ સ્મૃતિથી જીવવાનું કેટલું મુશ્કેલ છે !
ભાંગ્યા ઝરૂખાથી ભરેલો ખાલી ખાલી મહેલ છે
પથ્થરોમાં શૂન્યતાનું શિલ્પ હું કોર્યા કરું
હું તને ઝંખ્યા કરું-
– મહેશ દવે
મિલનની કોઈ આછી-પાતળી શક્યતા સુદ્ધાં નથી……..નકરી નિ:સીમ ઝંખના છે…….
Permalink
June 20, 2015 at 12:30 AM by વિવેક · Filed under બાળકાવ્ય, વિવેક મનહર ટેલર

*
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)
*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

Permalink
June 19, 2015 at 2:28 AM by વિવેક · Filed under અછાંદસ, શીતલ મહેતા
કાલે કાળા તળાવમાંથી
એક જૂની ઘટના ઉપાડી.
એ પહેલાં જેવી ન હતી
લીસી અને ભીની હતી
ને વળી ચીકણી પણ!
વધારે પડતી સમજણની
લીલ જામી હતી ઉપર
ને થોડી જૂની વેદનાઓની
ફૂગ બાઝી ગયેલી…
પડી રહેલા સમયની શેવાળમાં
લપેટાયેલી હતી..
એક પળ થયું નાખી દઉં પાછી
પણ તોયે એ તો હશે જ તળિયે!
ઠરી જશે ત્યાં પાછી …
એટલે છોડું કે ન છોડું એમ વિચારતી
હાથમાં પકડીને જ ઊંઘી ગઈ.
આંખ ખુલી ત્યારે હથેળીમાં
એક સફેદ પીંછું હતું ને
સૂરજનું કિરણ સીધું તે પર પડતું હતું.
– શીતલ મહેતા
ફેસબુક પર નજર ફેરવતો હતો એવામાં “કાલે કાળા તળાવમાંથી એક જૂની ઘટના ઉપાડી” આટલું જ એક કવયિત્રીના પ્રોફાઇલ પર વાંચ્યું અને આ બે પંક્તિઓએ આખી રચના વાંચવા મજબૂર કરી દીધો…
મધ્યભાગમાં થોડી મુખર થઈ ગઈ છે એ વાત બાદ કરીએ તો આખી રચના અદભુત થઈ છે…
Permalink
Page 49 of 118« First«...484950...»Last »