રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
June 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિજ્ઞા ત્રિવેદી
મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.
કંકુ ચોખાથી વધાવ્યાં સંસ્મરણ ત્યાં
આંખમાં વરસી ગયાં વાદળ અષાઢી.
જે અદાથી દૃશ્ય ઝીલાતું રહ્યું એ
જોઈને લાગે નજર જાણે નવાબી.
શાન છે સંધ્યા સમયના હોઠની કે,
કોઈએ ઉન્માદની લાલી લગાડી ?
કંટકોને રોકડું પરખાવવામાં,
ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી.
– જિજ્ઞા ત્રિવેદી
ભાવનગરના કવયિત્રી જિજ્ઞા ત્રિવેદી એમનો બીજો ગઝલ સંગ્રહ “શુકન સાચવ્યાં છે” લઈને આવ્યાં છે. એક મજાની ગઝલ સાથે લયસ્તરોના આંગણે એમનું સસ્નેહ સ્વાગત છે.
Permalink
June 15, 2015 at 2:57 AM by તીર્થેશ · Filed under ગીત, ભાગ્યેશ જહા
આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.
આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.
આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા
પરંપરાગત વિષય છે પરંતુ માવજત સુંદર છે….
Permalink
June 14, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મૂકેશ જોષી
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે
-મુકેશ જોષી
શું બળકટ રચના છે !!! આ કવિ સતત મજબૂત રચના આપતા રહે છે…….
Permalink
June 13, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે
પહોંચી નથી હું શકતો અંદર.. બહુ નડે છે
આ આસપાસ સ્થાપ્યા ઇશ્વર બહુ નડે છે
વિસ્તરવું રોડને છે, તરુવર બહુ નડે છે
ઊગવું છે તૃણને પણ ડામર બહુ નડે છે
નૌકાને આમ જો કે પાણી વગર ન ચાલે
એમાં જ એ ડૂબે છે, સાગર બહુ નડે છે
સાથી બની બનીને જોડાય જે શરૂમાં
યાત્રામાં એ જ સઘળાં આખર બહુ નડે છે
બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે
થઈને સહુના અંતે તો એકલું જ લાગે
જ્યાં પ્રેમ જોઈએ ત્યાં આદર બહુ નડે છે
– રઈશ મનીઆર
પરંપરાના મિજાજને જાળવીને ઉઘડતી મજાની ગઝલ.
Permalink
June 12, 2015 at 12:30 AM by વિવેક · Filed under આસિફખાન 'આસિર', ગઝલ
બ્હાવરી આંખો, ન મટકી પાંપણો,
શું કહું, આવી પડી એવી ક્ષણો.
આંચ લાગે ને પીગળતો જાય છે,
મીણ સમ સંબંધ કેવો આપણો !
વાંચતા આંખોય શીખો લોકની,
આ શું લઈ ફરતા રહો છો દર્પણો ?!
પૂછ ના અવસર પછીની રિક્તતા,
બારસાખે બસ, સૂકા છે તોરણો.
છોડને તું પામવાની ઘેલછા,
બે ઘડીનો છે વિસામો આપણો.
લાગણીથી તરબતર ‘આસિર’ થયો,
એ હતા નજરોના ઠાલા કારણો.
– આસિફખાન ‘આસિર’
સુરતના શાયર આસિફખાન સ્વભાવે જેવા સરળ છે એવી જ ગઝલ પણ લઈને આવ્યા છે. આંખો-પાંપણોને અવાચક કરી દે એવી ક્ષણોની વાત મત્લામાં કરીને એ ગઝલના દરવાજા ઊઘાડે છે અને એ જ નજરોમાં મનગમતું પણ ઠાલું વાંચી લઈને તરબતર થઈ જવાની વાત સાથે મક્તા સુધી આપણને કવિ લઈ જાય છે. ગઝલની વચ્ચે પણ કવિ આંખોની વાત સરસ રીતે લઈ આવે છે. આપણે લોકોની આંખો વાંચવું ભૂલી ગયા છીએ. જ્યાં જઈએ ત્યાં આપણે દર્પણો જ લઈને જઈએ છીએ. બીજાને વાંચવા-સમજવાને બદલે દરેકમાં આપણે માત્ર આપણી જ જાતને શોધતા ફરીએ છીએ…
Permalink
June 11, 2015 at 2:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, હાઈકુ
ટ્રેનની સાથે
શરૂ થૈ મુસાફરી
મારા મનની
*
ટ્રેનમાં છું ને
વિચારો ઘરના જ –
ઘરમાં જ છું.
*
ટ્રેન કહે, “હો
ખેડવી બીજી દિશા”,
પાટો બદલ.
*
સ્મરણ તારું
સફરમાં સાથે જ.
એની ટિકિટ ?
*
એવુંય બને
હૈયું સ્ટેશન વિના
ઊતરી પડે
*
ક્યાં પહોંચાશે
શી ખબર ? જિંદગી
ટ્રેન થોડી છે !
*
પાટાનો સાથ
છોડ્યો ને ટ્રેન તો
રઝળી પડી !
*
દોડતી ટ્રેન
થાકે નૈ, એમાં બેસી
થાકે છે લોકો
*
ટ્રેનની બંધ
બારી વિચારે… ઘણાં
દૃશ્યો ગુમાવ્યાં.
– કિરણસિંહ ચૌહાણ
વિવિધસૂત્રી વિચારો એક જ ગઝલમાં લખવાને ગઝલકાર ટેવાયેલા હોય છે. ભાગ્યે જ કોઈ ગઝલ મુસલસલ હોવાની. આવામાં એક લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર હાઈકુ જેવા સૂક્ષ્મ પ્રકારને હાથમાં લે અને એ પણ વિષય નક્કી કરીને તો કેવું! કિરણસિંહ ટ્રેન વિષયક હાઈકુઓની ટ્રેન દોડાવે છે એ વાત પોતે જેટલી રોચક છે એથી વધુ આ હાઈકુઓમાંથી ઊભરી આવતી કવિતાઓ વધુ રોચક અને રોમાંચક છે. બધા જ હાઈકુ આસ્વાદ્ય થયા છે…
Permalink
June 8, 2015 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મહેશ દાવડકર
પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.
પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.
ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.
રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.
જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.
મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.
ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.
– મહેશ દાવડકર
Permalink
June 7, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં.
પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ,
ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં.
લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી,
એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં.
હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં,
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં.
તારા ઘરમાંથીય ફરક બહુ નથી મારા ઘરથી,
ત્યાંય બેસી રહ્યો’તો તારી પ્રતીક્ષા કરતાં.
-જવાહર બક્ષી
ગઝલ પસંદ કરી લીધી એના ચોથા શેરને લીધે !! વાતનું ઊંડાણ તો જુઓ !! શુદ્ધ પ્રેમ !!!
Permalink
June 6, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીલેશ પટેલ
જાતથી બ્હાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે !
મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.
ટીકા કરવાનું છોડ, ટેકો કરે,
એ પૂજા કરતાં પણ સવાયું છે.
આપણી પાસે શું હતું પહેલાં ?
ને શું હજુ સંઘરી શકાયું છે ?
આવો, પરવાનગી વગર આવો,
જે રીતે સ્વપ્નમાં અવાયું છે.
ધૂળ ચાલી ગઈ પવન સાથે,
કાંકરાથી રહી જવાયું છે.
– નીલેશ પટેલ
સરળ ભાષા. મજાની વાત. સુંદર ગઝલ. બધા જ શેર મનનીય.
Permalink
June 5, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
સૌ સતત બેલગામ દોડે છે,
રામ જાણે શું કામ દોડે છે ?
દોડવું થઈ ગયું વ્યસન એવું,
ઊંઘમાં પણ તમામ દોડે છે.
પીઠ પર સૂર્ય સળગતો મૂકી,
સ્વપ્નનાં સૌ ગુલામ દોડે છે.
થોભશું તો રહી જશું પાછળ,
ગામનાં ગામ આમ દોડે છે.
મૂળમાં એય બળદ ઘાંચીના,
રોજ જે ચારધામ દોડે છે.
લક્ષ્યની કે ખબર દિશાની ક્યાં ?
દોડવું છે દમામ, દોડે છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વયંસ્પષ્ટ ગઝલ… કયા શેરને હાથમાં લેવો અને ક્યાને પડતો મૂકવો એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે.
Permalink
June 4, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઋશીરાજ જાની, ગઝલ
આવ્યાં છે આજ વાદળ દુનિયાને ન્યાલ કરવા,
આકાશની સભામાં મસ્તીધમાલ કરવા…
તડકાની ગેંગ કરતી દાદાગીરી ઉનાળે,
ઘૂસી ગયાં છે વાદલ સામે બબાલ કરવા…
કાળાશ આભનીયે ધોવાઈ થાય ઉજળી,
ચમકે છે વીજળીઓ ‘સત્ શ્રી અકાલ’ કરવા…
આંખો મહીંનું કાજળ આષાઢ થઈ વહે છે,
વિરહીજનોના મનને ભીનાં રૂમાલ કરવા…
બાળકની આંગળીશાં ફોરાં પડે છે ટપટપ,
દાદાની ટાલ ઉપર હળવેથી વહાલ કરવા…
ક્યાં, કેટલી ને કેવી, ક્યારે થઈ છે વૃષ્ટિ
પલળો, તમે જવા દો ખોટા સવાલ કરવા…
– ઋશીરાજ જાની
કવિતામાં એકની એક વાતો અને એકના એક કલ્પનો માણી-વાંચીને આપણું મન ઘણીવાર ઓચાઈ જતું હોય છે. ઘણીવાર એવુંય લાગે કે આટલું બધું લખાઈ ચૂક્યું છે આ દુનિયામાં. હવે નવું કોઈ શી રીતે લખે ? પણ ક્યારેક આવી ગઝલ નજરે ચડે ત્યારે દસે આંગળીએ કવિ અને કવિતાના બલાયાં લેવાનું સહેજે મન થઈ આવે. જેટલી “ફ્રેશ” ગઝલ ! આ કવિનું નામ પણ મેં પહેલવહેલીવાર જ જાણ્યું પણ ફીદા ફીદા થઈ જવાયું…
Permalink
June 3, 2015 at 2:56 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો
છાનો છપનો કાગળ લખ્યો’તો પહેલવહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા’તા
ફાગણિયો મલક્યો જ્યાં પહેલો … છાનો છપનો
સંબોધન જાણે કે દરિયાનાં મોજાંઓ
આવી આવીને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો
ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લઈ બેઠા ને, પહેલો મણકો જ ના ફરેલો …છાનો છપનો
પહેલા ફકરાની એ પહેલી લીટી તો
અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જ્યાં માંડ્યા તો
લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય, બે’ક લાગણીનાં ટીપાં તરસેલો…છાનો છપનો
ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીંયાં મઝામાં સહુ ઠીક છે
અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું :
સાચું લખવામાં શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની,ને ચોકિયાત એક ત્યાં ઊભેલો….છાનો છપનો
લખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપકયું રે બિંદુ
પળમાં તો કાગળ પર માય નહીં એમ
જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બીડેલો…. છાનો છપનો
– મુકેશ જોષી
વિષયની માવજત તો જુઓ !!!!!!
Permalink
June 2, 2015 at 7:41 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૈફ પાલનપુરી
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
– ‘સૈફ’ પાલનપુરી
Permalink
May 30, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
વાંક તારો નથી, ન મારો છે,
એ જ સધિયારો છે, ને સારો છે.
સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
પ્રિયનો કેટલો પથારો છે !
જે દીવાલો મેં તોડવા ચાહી,
આજ એનો જ બસ સહારો છે.
કેમ આજે બહુ સતાવે મને ?
મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”
ભીતરે વ્યસ્તતા વધી ત્યારે,
અર્થ છોડો, મરમનો મારો છે.
– નેહા પુરોહિત
આ ગઝલ વાંચો અને પાકિસ્તાનથી પરવીન શાકિર ગુજરાતમાં આવી ઊતરી હોય એવું ન લાગે તો કહેજો…
આ ગઝલમાં છે એવા ઉત્તમ મત્લા આપણે ત્યાં બહુ જોવા મળતા નથી. સરળમાં સરલ કાફિયા, સરળમાં સરળ છંદ, સરળમાં સરળ શબ્દો વાપરીને બે જ પંક્તિમાં ચાર કાફિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને કવયિત્રી જે વાનગી આપણને પીરસે છે એનો સ્વાદ શબ્દાતીત છે…
Permalink
May 29, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.
એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.
તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.
સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.
વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.
સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.
કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.
– હનીફ સાહિલ
જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…
Permalink
May 28, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !
એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !
તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !
તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !
પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !
– ભરત વિંઝુડા
રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…
ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…
Permalink
May 25, 2015 at 2:23 AM by તીર્થેશ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
-અમૃત ‘ઘાયલ’
એક વધુ ક્લાસિક…..
Permalink
May 24, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.
હે પરવશ પ્રેમ ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?
એ બોલાવે મને, ને હું કહું : ‘આવી નથી શકતો.’
ક્ષમા કર હે જગત ! છે કર મહીં બેડી મહોબ્બતની,
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો.
ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું,
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો.
હે, દીપક ! બોધ લે કંઈ સ્વાર્પણનો મારા જીવનથી,
હું સળગું છું, કદી બીજાને સળગાવી નથી શકતો.
સમજ હે વેદના ! એને તો ઠરવા દે વિરહ – રાતે,
કઝાનાં દ્વાર હું જઈ જઈને ખખડાવી નથી શકતો.
પરાધીનતાની અંતિમ હદ હવે આવી ગઈ હે દિલ !
હું તારા હાલ પર પણ શોક દર્શાવી નથી શકતો.
દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દ્રષ્ટિ,
‘ગની’, પાનાં જીવન-પુસ્તકના ઉથલાવી નથી શકતો.
– ગની દહીંવાલા
ક્લાસિક……….
Permalink
May 23, 2015 at 2:00 AM by વિવેક · Filed under ગઝલ, હરકિશન જોષી
જઈએ ક્યાં ને કોને મળીએ ?
બહેતર છે કે પાછા વળીએ.
રોજ અનિદ્રા આવી પીડે,
કહે, સ્વપ્નમાં ક્યાંથી, મળીએ !
સૂક્યા તો પથ્થર થઈ બેઠા,
બરફ જેમ ના તો ઓગળીએ !
અંધકારને અંધકાર છે,
કંઈ ના સૂઝે, કંઈ ન કળીએ !
રણથી ભાગી ઘર આવ્યા તો,
મૃગજળ દોડી આવ્યા ફળિયે !
મોજાંને નાહક ઉથલાયો,
મોતી તો પથરાયા તળિયે !
પુષ્પ લૂંટાતા જોઈ કુંવારી –
મ્હેક લપાઈ કળીએ કળીએ !
– હરકિસન જોષી
મજાની ગઝલ…
Permalink
May 22, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ મકવાણા
તું અમસ્તો આટલું ગભરાય છે,
જો ઉદાસીમાંય રસ્તો થાય છે.
ફક્ત હાથેથી નથી સરતો સમય,
તુંય સામે એટલો ખર્ચાય છે.
એટલે નારાજ છું હું, હાથથી-
ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.
પાસપાસે છો ને ઊભાં હો છતાં
વૃક્ષથી ક્યાં કોઈ દી ભેટાય છે?
એટલે ઊડતી રહે છે રેત અહીં,
એક મારામાં નદી સુકાય છે.
– પંકજ મકવાણા
ફેસબુક પર લટાર મારતાં-મારતાં અચાનક આ મજાની ગઝલ જડી આવી. કવિના નામનો ખાસ પરિચય નથી પણ કવિની સાચી ઓળખ તો એની કવિતા જ. મરીઝ જેવી સાદગી અને મનોજ જેવું અર્થગાંભીર્ય અહીં સાયુજ્ય પામ્યું નજરે ચડે છે. આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે એ બાદ કરીએ તો આખેઆખી ગઝલ સો ટચનું સોનું !
Permalink
May 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને,
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને.
આયખું આખું નીરખવામાં વહી જાશે હવે,
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને.
છે…ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી,
એ જ પીડા – આજે પણ ક્યાં યાદ છે દુષ્યંતને
જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને
કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને
– નીરજ મહેતા
રાજકોટના તબીબ-કવિ ગઝલોનો “ગરાસ” લઈને ઉપસ્થિત થયા છે. કવિના પ્રથમ સંગ્રહમાંથી આ એક સંઘેડાઉતાર ગઝલ… એક-એક શેર અર્થગહન. એક-એક વાત પાણીદાર. કવિ અને સંગ્રહનું બા-અદબ બા-મુલાહિજા સ્વાગત.
Permalink
May 20, 2015 at 7:42 AM by તીર્થેશ · Filed under ગીત, યોસેફ મેકવાન
શબ્દે શબ્દે જેમ વસ્યો છે અક્ષરનો સહવાસ,
હતા આપણા એમ ભળેલા શ્વાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
રજકણ અણસમજણની ક્ષણમાં
ચિત્તમહીં છવાઈ,
વેરણ-છેરણ દ્રશ્ય થયાં સૌ
ગયું બધું પલટાઈ !
રાત સરીખા દિવસો લાગે
જાણે સદા અમાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
જીવતરના હાંસિયે જઈ બેઠા
સ્મરણોનાં સૌ વ્હાલ,
કશું નથી કૈં ગમતું દોસ્તો,
હાલ થયા બેહાલ !
હવે કોઈને માનવતા પણ
નથી આવતી રાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
– યોસેફ મેકવાન
સીધું દિલમાંથી કાવ્ય બહાર આવ્યું છે જાણે…… !!
Permalink
May 18, 2015 at 1:15 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી
ખરું સોનું…….
Permalink
May 16, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.
હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.
હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.
ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.
અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.
—પારુલ ખખ્ખર
ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.
Permalink
May 15, 2015 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.
આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .
નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.
શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?
– પ્રફુલ્લા વોરા
કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.
હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.
Permalink
May 14, 2015 at 1:35 AM by વિવેક · Filed under ગઝલ, પ્રિયાંશુ ડી. પટેલ
નાહક ગળે વળગી પડી પગથારની દિવાનગી,
મોંઘી પડી છે બહુ મને આ દ્વારની દિવાનગી.
મૂકી દીધાં છે સ્વપ્ન તો અભરાઈ પર મેં ક્યારના,
સૂવા નથી દેતી હવે અંધારની દિવાનગી.
તું લાપતા એ નાવની ઘટના વિશે ના પૂછ મને,
છોડી દીધી છે ક્યારની મઝધારની દિવાનગી.
તું મીણ માફક સૌ પ્રથમ તો ઓગળીને જો જરા,
છૂટી જશે જડમૂળથી આકારની દિવાનગી.
– પ્રિયાંશુ ડી. પટેલ
મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય…
Permalink
May 11, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
આ કેવી અદાથી નજર એણે ફેંકી,
જગત આખું જાણે ઊઠયું મ્હેકી-મ્હેકી.
દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.
પછી આપણામાં જ વરસાદ ન્હાયો,
તમે બ્હાર આવ્યા – અમે છત્રી ફેંકી.
સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
કબૂતરની આ ખાનદાની ને નેકી.
‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.
– જિગર જોષી ‘પ્રેમ’
બીજો શેર વાંચો !!!! કુરબાન કુરબાન……..
Permalink
May 10, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !
મજા આવે કશું ત્રીજું કરે તો,
ફક્ત લોકો જીવે છે ને મરે છે.
અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે !
નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !
ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે !
બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.
-હર્ષ બ્રહ્મભટ્ટ
કવિના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી. આખો મુશાયરો ડોલી ઉઠ્યો હતો….બીજો શેર ત્રણ થી ચારવાર સૌએ ફરમાઈશ કરી કરી સાંભળ્યો હતો. વાણી સરળ છે પણ ભેદક છે.
Permalink
May 9, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે.
અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.
નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે,
સમય જાય છે એમ આંખોય આંખો મટી જાય છે.
ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.
મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વતી જાય છે !
– સ્નેહી પરમાર
મજાની ગઝલ…
Permalink
May 8, 2015 at 1:22 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.
જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?
રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?
અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
– સુનીલ શાહ
દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.
Permalink
May 4, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…
ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
– રમેશ પારેખ
અદભૂત…….. !!!!
Permalink
May 3, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, નાઝિર દેખૈયા
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…
એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…
જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…
– નાઝિર દેખૈયા
શું નઝાકત છે !!!!
Permalink
May 2, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !
આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું !
નોખી રીતે તરસને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું !
સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !
થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !
– લક્ષ્મી ડોબરિયા
ગઝલના પહેલા ચાર શેર તો જાણે મરીઝનો આત્મા કવયિત્રીમાં પ્રવેશ્યો હોય એવા ઉત્તમ… સરળ બાનીના તીરથી માર્મિક લક્ષ્યવેધ !
Permalink
May 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઇંડિથ સોય્ડરગ્રાન, વત્સરાજ ભણોત 'ઉદયન', વિશ્વ-કવિતા
કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે
અસીમ આતુરતાથી.
– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)
મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?
Permalink
April 30, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરાજિત ડાભી
લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.
ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.
ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.
સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.
ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.
આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.
– પરાજિત ડાભી
ગઝલની લાંબી રદીફ ક્યારેક મરાલીની ડોકમાં અધમણ દાગીનાની જેમ ગઝલ પર ચડી બેસતી હોય છે. પણ કવિ અહીં લાંબી રદીફની હારોહાર કાફિયા બેવડાવીને ધારી અસર ઉપજાવવામાં અને ગઝલનું અંતર્ગત સૌંદર્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.
Permalink
April 27, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
ભીડ દેખીને સદા હરખાઈ જાય,
જો મળે ખુદને જ તો ગભરાઈ જાય.
વીજળીને ક્યાં હવે તકલીફ દઉં ?
તું મને કારણ વગર વીંટળાઈ જાય.
સ્વર્ગમાં બસ એટલે આવ્યો નહીં,
એને ના કહેવાનું કંઈ કહેવાઈ જાય.
રોજ નીકળે છે મને મળવા અને,
ક્યાંક રસ્તામાં કશે રોકાઈ જાય !
ફૂલ આપે કોઈ દર્પણ ના ધરો,
ક્યાંક એવું ના બને કરમાઈ જાય.
– હર્ષ બ્રહ્મભટ્ટ
મત્લાનો શેર જુઓ – આ હકીકત આપણે રોજિંદા જીવનમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જરૂર વગરનું બોલવું, કારણ વગર મોબાઈલ ચેક કાર્ય કરવો, ફેસબુક પર બેસી રહેવું……આ બધી પોતાની જાત થી ભાગવાની પ્રવૃત્તિઓ નથી તો બીજું શું છે ! ક્યારેક એરપોર્ટ ઉપર દીર્ઘ રોકાણ હોય ત્યારે નવરાશમાં માણસો હું શું કરતા હોય છે તેનો અભ્યાસ રોચક હોય છે !
Permalink
April 26, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નિરંજન ભગત, રોબર્ટ ફ્રોસ્ટ
I have been one acquainted with the night.
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.
I have looked down the saddest city lane.
I have passed by the watchman on his beat
And dropped my eyes, unwilling to explain.
I have stood still and stopped the sound of feet
When far away an interrupted cry
Came over houses from another street,
But not to call me back or say good-bye;
And further still at an unearthly height,
One luminary clock against the sky
Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.
ખબર છે મને રાત્રિની
વરસાદમાં બહાર ગયો છું – ને પાછો ફર્યો છું
શહેરના છેક છેલ્લા દીવાની પર ગયો છું હું.
શહેરની સૌથી ઉદાસ શેરીમાં નજર નાખી છે મેં.
પહેરો ભરતા ચોકીદારની પડખેથી પસાર થયો છું હું
અને ખુલાસા ટાળવા આંખો નીચી ઢાળી છે મેં.
હું શાંત ઊભો રહી ગયો છું, પગલાંનો અવાજ દબાવી દીધો છે મેં.
જયારે દૂર-દૂરથી કોઈ અચકાતો અવાજ
બાજુની શેરીમાંથી ઘરો પરથી કૂદીને આવતો હતો.
પણ મને પાછો બોલવવા કે આવજો કહેવાને નહીં.
અને એનાથીયે દૂર કોઈ ઊર્ધ્વ અ-ધર સ્થાને
આકાશમાં એક ઉજ્જવળ ઘડિયાળે
ઉદઘોષ કર્યો હતો કે કાળ ન’તો ખોટો કે ન’તો ખરો.
ખબર છે મને રાત્રિની.
– રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત
અનુવાદ સાથે સંમત થઇ શકાતું નથી. મૂળ અંગ્રેજી કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ સરળતાથી પકડાય છે. નીચે ટિપ્પણ અંગ્રેજી મૂળ કાવ્યને આધારે લખ્યું છે :-
પ્રથમ પંક્તિનો શબ્દ ‘one’ અનુવાદમાં ધ્યાનમાં લેવાયો જ નથી તેથી આખો અર્થ જ ફેરવાઈ જાય છે. કૈંક આવો શબ્દાર્થ બેસે છે – ‘ રાત્રિથી પરિચિત હોય એવો એક હું છું.’ પરંતુ આ શબ્દાર્થ મૂકતાં ભાવાર્થ બેસતો નથી. પ્રથમ છ પંક્તિઓમાં એક એકલતા, નિરાશા, કિંકર્તવ્યમૂઢતા, ઉદ્દેશ્યહીનતા અને ઉદાસીનું ભાવવિશ્વ નિર્માય છે. વરસાદી રાતે એકલા નિરુદ્દેશે ચાલવું, કોઈ સાથે આંખો ન મેળવવી, નિર્જન શહેર-ગલીઓ ઈત્યાદિ આ ભાવવિશ્વ નિર્મિત કરે છે. સાતમી પંક્તિથી ભાવ બદલાય છે – દૂર-સુદૂર થી એક ધ્વનિ કવિને અટકાવી દે છે. કવિને ઉદ્દેશતો એ સાદ નથી. આકાશનો ચન્દ્ર એક ઘડિયાળની જેમ સમયની ગતિ ઈંગિત કરતો ઉદઘોષે છે કે – કાળ કદી સાચો કે ખોટો હોતો નથી……અર્થાત આપણું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કાળ નિરપેક્ષ છે. પ્રથમ પંક્તિ અંતે પાછી repeat થાય છે મતલબ એનો કૈંક ચોક્કસ સૂચિતાર્થ હોવો જ જોઈએ, પણ મને એ સમજાતો નથી. રોબર્ટ ફ્રોસ્ટ એકપણ શબ્દ બિનજરૂરી ન જ લખે.
આખા કાવ્યની સુંદરતા જે ભાવવિશ્વ ઊભું કરવામાં આવ્યું છે તેમાં જે નિપુણતાથી કાવ્યનો કેન્દ્રીય વિચાર સુપેરે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે- વણી લેવામાં આવ્યો છે- તેમાં છે. પ્રત્યેક પંક્તિ એકબીજીની પૂરક છે.
Permalink
April 25, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ ડોંગરે 'નાદાન'
દર્દનું અસ્તિત્વ પૂછી જાય છે,
કોણ મારાં અશ્રુ લૂછી જાય છે ?
સ્હેજ અમથી એ બતાવે લાગણી
(ને) આખેઆખું અંગ ધ્રુજી જાય છે.
મૌન રહું તો મારો આતમ ડંખે છે,
બોલું તો વિશ્વાસ ઊઠી જાય છે.
સુપ્ત ઇચ્છા સપનું થઈને જાગે છે,
મારું હુંપદ જ્યારે ઊંઘી જાય છે.
હું લખું છું રોજ મારું ભાગ્ય ને –
રોજ આવી કો’ક ભૂંસી જાય છે.
જ્યાં જઉં છું ત્યાં ઉદાસી હોય છે,
કોણ મારાં પગલાં સૂંઘી જાય છે ?
– દિનેશ ડોંગરે ‘નાદાન’
બધા શેર સ-રસ પણ છેલ્લા બે શિરમોર.
Permalink
April 24, 2015 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.
સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
– કૃષ્ણ દવે
સાવ સીધી લાગતી વાત પણ કવિના હાથમાં આવે એટલે કેવી અદકેરી બની જાય છે ! એક લાકડાનો ટુકડો સુથારના હાથમાં આવે ને એમાંથી ખુરશી-ટેબલ બની જાય એ કસબ આ ગીતમાં સુપેરે અનુભવી શકાય છે. (એક જમાનામાં કૃષ્ણ દવે પણ લાકડાંમાંથી ફર્નિચર બનાવવાનું કામ કરતાં હતાં, આજે સંવેદનો સાથે કામ કરીને કવિતાનું ફર્નિચર બનાવે છે)
Permalink
April 23, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, કિશોર શાહ
મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’
– કિશોર શાહ
છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.
Permalink
April 20, 2015 at 3:29 AM by તીર્થેશ · Filed under ગઝલ, હેમેન શાહ
આખરી ને એક નાનકડું કથન કરવું હતું ,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.
પ્રેમની એકાદ કવિતાનું પઠન કરવું હતું,
એમને તો રોજ એનું એ ભજન કરવું હતું.
જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.
એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ?
રાહમાં મળતા રહ્યા’તા નાનામોટા છાંયડા,
બેફિકર લહેરી મુસાફરને સહન કરવું હતું.
શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.
સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.
– હેમેન શાહ
ચોથા શેર થી ગઝલ ઉંચકાય છે. પહેલા ત્રણ શેર નબળા લાગ્યા.
Permalink
April 19, 2015 at 2:47 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
પ્રાણ, તેં ગીત ગાયાં સુધા-સોમનાં,
સ્વપ્ન જોયા કર્યાં નીલઘન વ્યોમનાં,
આજ તું દેખ, ભડકા જરા ભોમના,
આંખમાં જેમને મેઘ માતો નથી
પેટ પણ તો ય ટાઢું ના થાતું-
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
આયખું અંધકારે રડે દુઃખણું,
એ ન મને કદી થાય મોંસૂઝણું,
કિરણ એકાદ પ્રગટાવ તો યે ઘણું,
આપબળનું બતાવી દે એમને
છોગલું ફરકતું રંગ-રાતું –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
વ્યર્થતા આજ વાજું વગાડી રહી,
ફૂલનાં જખ્મ ફોરમ ઉઘાડી રહી,
આજ તો ચાંદની ચીસ પાડી રહી,
લાવ, સૌન્દર્યને સફળ કરવા હવે
ભાગ્યહીણાં તણું કોઈ ભાતું ! –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
– મકરંદ દવે
કહેવાય છે કે ‘ સત્ય સુંદર હોય છે ‘ – વિનયપૂર્વક અસંમત થાઉં છું……..સત્ય એ સત્ય છે…સુંદરતા-અસુંદરતા-કુરૂપતા પરત્વે તે નિરપેક્ષ છે.
Permalink
April 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
કેવી રીતે પૂજારી પછી આરતી કરે
થોડી અસર છો કામદેવ ને રતિ કરે
બાકી ઘણુંય કામ મધુમાલતી કરે
નાવિક તું નાવનો, હું પવન થઈ વહું છતાં
ખાલી પવન તો માત્ર નાવ ડોલતી કરે
મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી
ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે
તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે
જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે
– પ્રણવ પંડ્યા
છ શેરની ગઝલમાં એકને બાદ કરતાં પાંચ-પાંચ શેર ઉત્તમ મળે એ ઘટના જવલ્લે જ બનતી હોય છે. કામદેવ અને રતિથીય મધુમાલતીને વિશેષ ગણતો શેર, ન્હોતી-હતી જેવો કાફિયો ગોઠવવાની કવિસૂઝ, સ્મરણ સમક્ષની શરણાગતિ જેવું કથન અને ઉદાસીની આરપાર જોવાની વાત – વાહ કવિ!
Permalink
April 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
દૃશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.
એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.
તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.
નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.
આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.
જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.
તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.
– અશરફ ડબાવાલા
ગઝલની રદીફ આખા શેરને દેખીતા અર્થની આગળ એક નવો જ અર્થ આપે છે… પહેલી નજરે વાંચતા જે સમજાય છે તેનાથી આગળ છે કશું…
Permalink
April 16, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રફુલ્લ પંડ્યા
મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
. પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે…
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
. બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે…
એવું લાગે છે કૈંક ખોટ્ટું બન્યું છે
. સતત ખોટ્ટાને પાડી છે “હા”
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
. પાછી હિંમત પણ પાડતી’તી “ના !”
સંજોગોમાંથી બધા નીકળી ગ્યા યોગ
. બધા સંબંધ વિખરાઈ ગયા એટલે…
તોડફોડ આટલી મોટી નીકળશે
. એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ…
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
. લૂંટાયા અઘરા સવાલ…
નીકળી ગ્યા એમાંથી સઘળા જવાબ
. અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે…
-પ્રફુલ્લ પંડ્યા
જરા નોખી ભાતનું ગીત… કવિ કહે છે કે આ ગીત અંટાતા પ્રશ્નોનું ગીત છે પણ સહજ સમજાય છે કે આ ગીત આપણા બધાનું જ છે.. આપણી જિંદગીનું જ ગીત છે…
Permalink
April 13, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
પળની છાયા તે હોય આવડી !
વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.
ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……
– મનોજ ખંડેરિયા
અત્યંત મુલાયમ શબ્દોમાં ગહેરી વાત કીધી છે – પળની છાયા અર્થાત કોઈક action અથવા inaction – જેના પરિણામ લંબાતા જતા પડછાયા જેવી છે…..સ્મૃતિમાં સુગંધ પણ છે અને ભીનાશ પણ છે…..કેદ કરતી દિવાલોય છે અને સ્મરણોનો નિ:સીમ વ્યાપ પણ છે…….
Permalink
April 12, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !
અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.
– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]
જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.
જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.
જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?
Permalink
April 11, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લોકગીત
મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.
(લોકગીત)
લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે. કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…
આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…
Permalink
April 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દુલાલ ગાંધી, ગીત
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
– ઇન્દુલાલ ગાંધી
કવિની ખૂબ જાણીતી આ રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે.
અંતરના દીવડાની સાચી માવજત એ ઈશ્વર સાથેની પારદર્શિતા જ હોઈ શકે પણ આપણને ડગલે ને પગલે જીવનમાં પડદાંઓ જ ઊભા કરતા રહેવાની કુટેવ પડી ગઈ છે…
Permalink
April 9, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઊજમશી પરમાર, ગઝલ
અમલ ચડે જો અસલ,
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.
મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.
રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.
અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.
આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.
– ઊજમશી પરમાર
આંખથી નહીં, અંતરથી વાંચવાની વાત… સંસારના ભ્રમ ત્યાગીને, દુન્યવી ઉપાધિઓમાં અટવાયા કરવાને બદલે દેહના દરવાજા ખોલીને ‘અસલી’ અમલ કરી, સુરતા સાધીએ તો આતમરામ સાચા સરનામે પહોંચે…
(પરહરવું = ત્યાગ કરવો; પગતાશ = મોકળાશ; ઝરડું = (દુન્યવી) લફરાં; સુરતા = લગની, અંતર્વૃત્તિ)
Permalink
Page 50 of 118« First«...495051...»Last »