નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક
શોભિત દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ગઝલ – પારુલ ખખ્ખર

બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.

હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.

હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.

ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.

અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.

—પારુલ ખખ્ખર

ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.

Comments (11)

ગઝલ – પ્રફુલ્લા વોરા

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.

હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.

Comments (13)

ગઝલ – પ્રિયાંશુ ડી. પટેલ

નાહક ગળે વળગી પડી પગથારની દિવાનગી,
મોંઘી પડી છે બહુ મને આ દ્વારની દિવાનગી.

મૂકી દીધાં છે સ્વપ્ન તો અભરાઈ પર મેં ક્યારના,
સૂવા નથી દેતી હવે અંધારની દિવાનગી.

તું લાપતા એ નાવની ઘટના વિશે ના પૂછ મને,
છોડી દીધી છે ક્યારની મઝધારની દિવાનગી.

તું મીણ માફક સૌ પ્રથમ તો ઓગળીને જો જરા,
છૂટી જશે જડમૂળથી આકારની દિવાનગી.

– પ્રિયાંશુ ડી. પટેલ

મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય…

Comments (6)

સુરતી બોલી – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી અદાથી નજર એણે ફેંકી,
જગત આખું જાણે ઊઠયું મ્હેકી-મ્હેકી.

દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.

પછી આપણામાં જ વરસાદ ન્હાયો,
તમે બ્હાર આવ્યા – અમે છત્રી ફેંકી.

સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
કબૂતરની આ ખાનદાની ને નેકી.

‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.

– જિગર જોષી ‘પ્રેમ’

બીજો શેર વાંચો !!!! કુરબાન કુરબાન……..

Comments (9)

રણમાં તરે છે ! – હર્ષ બ્રહ્મભટ્ટ

બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !

મજા આવે કશું ત્રીજું કરે તો,
ફક્ત લોકો જીવે છે ને મરે છે.

અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે !

નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !

ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે !

બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

કવિના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી. આખો મુશાયરો ડોલી ઉઠ્યો હતો….બીજો શેર ત્રણ થી ચારવાર સૌએ ફરમાઈશ કરી કરી સાંભળ્યો હતો. વાણી સરળ છે પણ ભેદક છે.

Comments (11)

ગઝલ – સ્નેહી પરમાર

કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે.

અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.

નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે,
સમય જાય છે એમ આંખોય આંખો મટી જાય છે.

ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.

મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વતી જાય છે !

– સ્નેહી પરમાર

મજાની ગઝલ…

Comments (6)

ગઝલ – સુનીલ શાહ

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

– સુનીલ શાહ

દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.

Comments (10)

કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…

ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

– રમેશ પારેખ

અદભૂત…….. !!!!

Comments (7)

તો સારું…- નાઝિર દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…

એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…

જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…

– નાઝિર દેખૈયા

 

શું નઝાકત છે !!!!

Comments (5)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !

આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું !

નોખી રીતે તરસને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું !

સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !

થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !

– લક્ષ્મી ડોબરિયા

ગઝલના પહેલા ચાર શેર તો જાણે મરીઝનો આત્મા કવયિત્રીમાં પ્રવેશ્યો હોય એવા ઉત્તમ… સરળ બાનીના તીરથી માર્મિક લક્ષ્યવેધ !

Comments (11)

ચંદ્રમા – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે

અસીમ આતુરતાથી.

– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?

Comments (1)

ગઝલ – પરાજિત ડાભી

લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.

ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.

ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.

સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.

ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.

આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.

– પરાજિત ડાભી

ગઝલની લાંબી રદીફ ક્યારેક મરાલીની ડોકમાં અધમણ દાગીનાની જેમ ગઝલ પર ચડી બેસતી હોય છે. પણ કવિ અહીં લાંબી રદીફની હારોહાર કાફિયા બેવડાવીને ધારી અસર ઉપજાવવામાં અને ગઝલનું અંતર્ગત સૌંદર્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.

Comments (6)

ગભરાઈ જાય – હર્ષ બ્રહ્મભટ્ટ

ભીડ દેખીને સદા હરખાઈ જાય,
જો મળે ખુદને જ તો ગભરાઈ જાય.

વીજળીને ક્યાં હવે તકલીફ દઉં ?
તું મને કારણ વગર વીંટળાઈ જાય.

સ્વર્ગમાં બસ એટલે આવ્યો નહીં,
એને ના કહેવાનું કંઈ કહેવાઈ જાય.

રોજ નીકળે છે મને મળવા અને,
ક્યાંક રસ્તામાં કશે રોકાઈ જાય !

ફૂલ આપે કોઈ દર્પણ ના ધરો,
ક્યાંક એવું ના બને કરમાઈ જાય.

– હર્ષ બ્રહ્મભટ્ટ

મત્લાનો શેર જુઓ – આ હકીકત આપણે રોજિંદા જીવનમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જરૂર વગરનું બોલવું, કારણ વગર મોબાઈલ ચેક કાર્ય કરવો, ફેસબુક પર બેસી રહેવું……આ બધી પોતાની જાત થી ભાગવાની પ્રવૃત્તિઓ નથી તો બીજું શું છે ! ક્યારેક એરપોર્ટ ઉપર દીર્ઘ રોકાણ હોય ત્યારે નવરાશમાં માણસો હું શું કરતા હોય છે તેનો અભ્યાસ રોચક હોય છે !

Comments (2)

રાત્રિ – રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

I have been one acquainted with the night.
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.

I have looked down the saddest city lane.
I have passed by the watchman on his beat
And dropped my eyes, unwilling to explain.

I have stood still and stopped the sound of feet
When far away an interrupted cry
Came over houses from another street,

But not to call me back or say good-bye;
And further still at an unearthly height,
One luminary clock against the sky

Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.

ખબર છે મને રાત્રિની
વરસાદમાં બહાર ગયો છું – ને પાછો ફર્યો છું
શહેરના છેક છેલ્લા દીવાની પર ગયો છું હું.

શહેરની સૌથી ઉદાસ શેરીમાં નજર નાખી છે મેં.
પહેરો ભરતા ચોકીદારની પડખેથી પસાર થયો છું હું
અને ખુલાસા ટાળવા આંખો નીચી ઢાળી છે મેં.

હું શાંત ઊભો રહી ગયો છું, પગલાંનો અવાજ દબાવી દીધો છે મેં.
જયારે દૂર-દૂરથી કોઈ અચકાતો અવાજ
બાજુની શેરીમાંથી ઘરો પરથી કૂદીને આવતો હતો.

પણ મને પાછો બોલવવા કે આવજો કહેવાને નહીં.
અને એનાથીયે દૂર કોઈ ઊર્ધ્વ અ-ધર સ્થાને
આકાશમાં એક ઉજ્જવળ ઘડિયાળે

ઉદઘોષ કર્યો હતો કે કાળ ન’તો ખોટો કે ન’તો ખરો.
ખબર છે મને રાત્રિની.

– રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

અનુવાદ સાથે સંમત થઇ શકાતું નથી. મૂળ અંગ્રેજી કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ સરળતાથી પકડાય છે. નીચે ટિપ્પણ અંગ્રેજી મૂળ કાવ્યને આધારે લખ્યું છે :-

પ્રથમ પંક્તિનો શબ્દ ‘one’ અનુવાદમાં ધ્યાનમાં લેવાયો જ નથી તેથી આખો અર્થ જ ફેરવાઈ જાય છે. કૈંક આવો શબ્દાર્થ બેસે છે – ‘ રાત્રિથી પરિચિત હોય એવો એક હું છું.’ પરંતુ આ શબ્દાર્થ મૂકતાં ભાવાર્થ બેસતો નથી. પ્રથમ છ પંક્તિઓમાં એક એકલતા, નિરાશા, કિંકર્તવ્યમૂઢતા, ઉદ્દેશ્યહીનતા અને ઉદાસીનું ભાવવિશ્વ નિર્માય છે. વરસાદી રાતે એકલા નિરુદ્દેશે ચાલવું, કોઈ સાથે આંખો ન મેળવવી, નિર્જન શહેર-ગલીઓ ઈત્યાદિ આ ભાવવિશ્વ નિર્મિત કરે છે. સાતમી પંક્તિથી ભાવ બદલાય છે – દૂર-સુદૂર થી એક ધ્વનિ કવિને અટકાવી દે છે. કવિને ઉદ્દેશતો એ સાદ નથી. આકાશનો ચન્દ્ર એક ઘડિયાળની જેમ સમયની ગતિ ઈંગિત કરતો ઉદઘોષે છે કે – કાળ કદી સાચો કે ખોટો હોતો નથી……અર્થાત આપણું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કાળ નિરપેક્ષ છે. પ્રથમ પંક્તિ અંતે પાછી repeat થાય છે મતલબ એનો કૈંક ચોક્કસ સૂચિતાર્થ હોવો જ જોઈએ, પણ મને એ સમજાતો નથી. રોબર્ટ ફ્રોસ્ટ એકપણ શબ્દ બિનજરૂરી ન જ લખે.

આખા કાવ્યની સુંદરતા જે ભાવવિશ્વ ઊભું કરવામાં આવ્યું છે તેમાં જે નિપુણતાથી કાવ્યનો કેન્દ્રીય વિચાર સુપેરે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે- વણી લેવામાં આવ્યો છે- તેમાં છે. પ્રત્યેક પંક્તિ એકબીજીની પૂરક છે.

Comments (2)

ગઝલ – દિનેશ ડોંગરે ‘નાદાન’

દર્દનું અસ્તિત્વ પૂછી જાય છે,
કોણ મારાં અશ્રુ લૂછી જાય છે ?

સ્હેજ અમથી એ બતાવે લાગણી
(ને) આખેઆખું અંગ ધ્રુજી જાય છે.

મૌન રહું તો મારો આતમ ડંખે છે,
બોલું તો વિશ્વાસ ઊઠી જાય છે.

સુપ્ત ઇચ્છા સપનું થઈને જાગે છે,
મારું હુંપદ જ્યારે ઊંઘી જાય છે.

હું લખું છું રોજ મારું ભાગ્ય ને –
રોજ આવી કો’ક ભૂંસી જાય છે.

જ્યાં જઉં છું ત્યાં ઉદાસી હોય છે,
કોણ મારાં પગલાં સૂંઘી જાય છે ?

– દિનેશ ડોંગરે ‘નાદાન’

બધા શેર સ-રસ પણ છેલ્લા બે શિરમોર.

Comments (2)

માળો – કૃષ્ણ દવે

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

– કૃષ્ણ દવે

સાવ સીધી લાગતી વાત પણ કવિના હાથમાં આવે એટલે કેવી અદકેરી બની જાય છે ! એક લાકડાનો ટુકડો સુથારના હાથમાં આવે ને એમાંથી ખુરશી-ટેબલ બની જાય એ કસબ આ ગીતમાં સુપેરે અનુભવી શકાય છે. (એક જમાનામાં કૃષ્ણ દવે પણ લાકડાંમાંથી ફર્નિચર બનાવવાનું કામ કરતાં હતાં, આજે સંવેદનો સાથે કામ કરીને કવિતાનું ફર્નિચર બનાવે છે)

Comments (11)

(-) – કિશોર શાહ

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

– કિશોર શાહ

છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.

Comments (11)

કરવું હતું – હેમેન શાહ

આખરી ને એક નાનકડું કથન કરવું હતું ,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.

પ્રેમની એકાદ કવિતાનું પઠન કરવું હતું,
એમને તો રોજ એનું એ ભજન કરવું હતું.

જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.

એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ?

રાહમાં મળતા રહ્યા’તા નાનામોટા છાંયડા,
બેફિકર લહેરી મુસાફરને સહન કરવું હતું.

શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.

સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.

– હેમેન શાહ

ચોથા શેર થી ગઝલ ઉંચકાય છે. પહેલા ત્રણ શેર નબળા લાગ્યા.

Comments (3)

સત્યનું ગાન – મકરંદ દવે

આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

પ્રાણ, તેં ગીત ગાયાં સુધા-સોમનાં,
સ્વપ્ન જોયા કર્યાં નીલઘન વ્યોમનાં,
આજ તું દેખ, ભડકા જરા ભોમના,
આંખમાં જેમને મેઘ માતો નથી
પેટ પણ તો ય ટાઢું ના થાતું-
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

આયખું અંધકારે રડે દુઃખણું,
એ ન મને કદી થાય મોંસૂઝણું,
કિરણ એકાદ પ્રગટાવ તો યે ઘણું,
આપબળનું બતાવી દે એમને
છોગલું ફરકતું રંગ-રાતું –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

વ્યર્થતા આજ વાજું વગાડી રહી,
ફૂલનાં જખ્મ ફોરમ ઉઘાડી રહી,
આજ તો ચાંદની ચીસ પાડી રહી,
લાવ, સૌન્દર્યને સફળ કરવા હવે
ભાગ્યહીણાં તણું કોઈ ભાતું ! –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

– મકરંદ દવે

કહેવાય છે કે ‘ સત્ય સુંદર હોય છે ‘ – વિનયપૂર્વક અસંમત થાઉં છું……..સત્ય એ સત્ય છે…સુંદરતા-અસુંદરતા-કુરૂપતા પરત્વે તે નિરપેક્ષ છે.

Comments (2)

ઉદાસીની આરપાર – પ્રણવ પંડ્યા

ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
કેવી રીતે પૂજારી પછી આરતી કરે

થોડી અસર છો કામદેવ ને રતિ કરે
બાકી ઘણુંય કામ મધુમાલતી કરે

નાવિક તું નાવનો, હું પવન થઈ વહું છતાં
ખાલી પવન તો માત્ર નાવ ડોલતી કરે

મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી
ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે

તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે

જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

– પ્રણવ પંડ્યા

છ શેરની ગઝલમાં એકને બાદ કરતાં પાંચ-પાંચ શેર ઉત્તમ મળે એ ઘટના જવલ્લે જ બનતી હોય છે. કામદેવ અને રતિથીય મધુમાલતીને વિશેષ ગણતો શેર, ન્હોતી-હતી જેવો કાફિયો ગોઠવવાની કવિસૂઝ, સ્મરણ સમક્ષની શરણાગતિ જેવું કથન અને ઉદાસીની આરપાર જોવાની વાત – વાહ કવિ!

Comments (6)

ગઝલ – અશરફ ડબાવાલા

દૃશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.

એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.

તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.

નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.

જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.

તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.

– અશરફ ડબાવાલા

ગઝલની રદીફ આખા શેરને દેખીતા અર્થની આગળ એક નવો જ અર્થ આપે છે… પહેલી નજરે વાંચતા જે સમજાય છે તેનાથી આગળ છે કશું…

Comments (6)

અંટાતા પ્રશ્નોનું ગીત – પ્રફુલ્લ પંડ્યા

મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
.            પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે…
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
.            બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે…

એવું લાગે છે કૈંક ખોટ્ટું બન્યું છે
.            સતત ખોટ્ટાને પાડી છે “હા”
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
.            પાછી હિંમત પણ પાડતી’તી “ના !”
સંજોગોમાંથી બધા નીકળી ગ્યા યોગ
.            બધા સંબંધ વિખરાઈ ગયા એટલે…

તોડફોડ આટલી મોટી નીકળશે
.            એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ…
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
.            લૂંટાયા અઘરા સવાલ…

નીકળી ગ્યા એમાંથી સઘળા જવાબ
.            અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે…

-પ્રફુલ્લ પંડ્યા

જરા નોખી ભાતનું ગીત… કવિ કહે છે કે આ ગીત અંટાતા પ્રશ્નોનું ગીત છે પણ સહજ સમજાય છે કે આ ગીત આપણા બધાનું જ છે.. આપણી જિંદગીનું જ ગીત છે…

Comments (3)

પળની છાયા – મનોજ ખંડેરિયા

પળની છાયા તે હોય આવડી !

વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.

ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……

– મનોજ ખંડેરિયા

અત્યંત મુલાયમ શબ્દોમાં ગહેરી વાત કીધી છે – પળની છાયા અર્થાત કોઈક action અથવા inaction – જેના પરિણામ લંબાતા જતા પડછાયા જેવી છે…..સ્મૃતિમાં સુગંધ પણ છે અને ભીનાશ પણ છે…..કેદ કરતી દિવાલોય છે અને સ્મરણોનો નિ:સીમ વ્યાપ પણ છે…….

Comments (3)

બુઝાવી નાખો – મકરંદ દવે

– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !

અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.

– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]

જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.

જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.

જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?

Comments (4)

મળવા આવ્ય – લોકગીત

મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.

(લોકગીત)

લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે.  કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…

આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…

Comments (5)

પ્રભુજીને – ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

 

કવિની ખૂબ જાણીતી આ રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે.

અંતરના દીવડાની સાચી માવજત એ ઈશ્વર સાથેની પારદર્શિતા જ હોઈ શકે પણ આપણને ડગલે ને પગલે જીવનમાં પડદાંઓ જ ઊભા કરતા રહેવાની કુટેવ પડી ગઈ છે…

 

Comments (9)

સુરતાના રંગે રમતાં… – ઊજમશી પરમાર

અમલ ચડે જો અસલ,
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.

મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.

રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.

અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.

આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.

– ઊજમશી પરમાર

આંખથી નહીં, અંતરથી વાંચવાની વાત… સંસારના ભ્રમ ત્યાગીને, દુન્યવી ઉપાધિઓમાં અટવાયા કરવાને બદલે દેહના દરવાજા ખોલીને ‘અસલી’ અમલ કરી, સુરતા સાધીએ તો આતમરામ સાચા સરનામે પહોંચે…

(પરહરવું = ત્યાગ કરવો; પગતાશ = મોકળાશ; ઝરડું = (દુન્યવી) લફરાં; સુરતા = લગની, અંતર્વૃત્તિ)

Comments (3)

મને આવો ખ્યાલ પણ નહોતો – પન્ના નાયક

IMG_0491

 

હું જ
      એક ઝાડ છું 
હું જ
      એ ઝાડની ડાળી પર બેઠેલો
      કાગડો
હું જ
      એ કાગડાની ચાંચમાંની
      પૂરી
હું જ
      એ ઝાડની નીચે ઊભેલું
      શિયાળ પણ.

મને કોઈ ખ્યાલ પણ નહોતો
      કે     
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!

– પન્ના નાયક

 

શેક્સપિયર કહી ગયેલો કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય છે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય !

Comments (2)

સૃષ્ટિ છે એક કોયડો – રમેશ પારેખ

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું – કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

                                                                                            – રમેશ પારેખ

 

આમ તો બધા શેર અલગ અલગ રીતે ચોટદાર છે, પરંતુ ત્રીજો શેર ખાસ માર્મિક છે –  ‘ એવું અમે તો સંત વિષે સાંભળેલ છે. ‘ –   અર્થાત, અમને ચોક્કસ જાતમાહિતી નથી, માત્ર આવી વાત સાંભળી છે….

Comments (6)

સપનાં – રાજેન્દ્ર શુક્લ

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

– રાજેન્દ્ર શુક્લ

આખી સુંદરતા શબ્દોના અદભૂત પ્રયોગની છે……

Comments (4)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાના નાના-વિધ shades ઉપસાવી આપતું મજાનું કાવ્ય. અછાંદસ હોવા છતાં કવિતાની ઘણીખરી પંક્તિઓમાં લય જળવાયેલો હોવાથી અંધારાનું સંગીત સાચે જ મંદ, મધુર વાયોલિન જેવું સંભળાય છે. કવિતાનો ઉપાડ વાંચતા જ તાઓ પંથનું મહાન વાક્ય યાદ આવે: “Darkness is eternal, light is a disturbance”

Comments (5)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

તારા વિચારથી ન અહીં મારા વિચારથી
સૃષ્ટિનું ચક્ર ચાલે છે સારા વિચારથી

કોઈ ફૂલ એમાં ખીલશે, સુગંધ આપશે –
ચારે તરફ મેં મૂક્યા છે ક્યારા વિચારથી

મીઠાં પરિણામો મળે મીઠા વિચારના
ખારા રિઝલ્ટ આવશે ખારા વિચારથી

નાહકની વાહ-વાહી લૂંટી રહ્યો છું હું –
ઉંચક્યા છે મેં વિચારો તારા વિચારથી

– મેહુલ પટેલ ‘ઈશ’

કવિનું નામ ન લખ્યું હોય તો મરીઝની ગઝલમાંથી પસાર થયાની અનુભૂતિ થાય એવી સરળ ભાષા અને એવા જ ચોટદાર શેર. પણ ક્યારાવાળો શેર વાંચીએ ત્યારે સહજ વિચાર આવે કે કવિએ કેટલા વિચારપૂર્વક વિચારથી રદીફ ગોઠવી છે !

Comments (9)

Divorcee !! – નેહા પુરોહિત

સવારે એક ચકલી આવીને શાંત ઘરમાં શોર ભરી ગઈ.
ને ગાય આંગણે ઊભીને ભાંભરી,
રાતની વધેલી રોટલીની આશાએ.
કાછિયાએ શાકભાજી વાજબી ભાવે આપ્યા,
ધોબી ઇસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.
સાંજ પણ સમયસર પડેલી,
રાત પણ !
એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી, પણ…..
એટલું કહે
આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?

– નેહા પુરોહિત

છૂટાછેડાનો અર્થ પુરુષ માટે ગમે તે હોય, સ્ત્રી માટે કંઈક અલગ જ છે. નેહાની આ કવિતામાં આ સમ્-બંધવિચ્છેદમાં સ્ત્રી-સમ્-વેદન નગ્ન છરીની જેમ આપણા અહેસાસને આરપાર ચીરીને લોહી નીંગળતો કરી મૂકે છે…. ‘એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય !

Comments (9)

ગઝલ – વજેસિંહ પારગી

શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.

આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.

હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.

દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.

– વજેસિંહ પારગી

કોઇ કોઇ કવિતા ગાઢ સંતોષમાંથી જન્મતી હોય છે. સંતોષ જ્યારે એક હદ વટાવી જાય ત્યારે માણસ અમીર-પીર-કબીર થઇ જાય છે. અમીર પછી પીર ને પછી કબીર – દિલ તર થઈ જવાની આ ત્રણ અવસ્થાઓ છે. છેલ્લા થોડા દીવસથી આ ગઝલને રોજ વાંચી રહ્યો છું. માણસ આગળના સ્તર પર જવા માટે તૈયાર થઇ જાય ત્યારે કેવી લાગણી થતી હશે એનો આછો અનુભવ આ પંક્તિઓથી પામી રહ્યો છું.

Comments (7)

જિન્દગીનો તરાપો – -મકરંદ દવે

કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.

લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.

આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !

-મકરંદ દવે

સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……

Comments (8)

અરે, કોઈ તો….. – જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”

અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

-જગદીશ જોષી

પ્રત્યેક પંક્તિમાં સૂચિતાર્થો છે. પ્રત્યેક નામમાં પણ ગુહ્યાર્થ ભર્યા છે. ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે……. – અદભૂત satire…..

ગંભીર વ્યંગ છે. ડંખીલો કે મારકણો વ્યંગ નથી. વિચારતા કરી દે એવો વ્યંગ છે. વાત માત્ર કવિના દેશને લાગુ પડતી નથી. સમગ્ર વિશ્વને સુપેરે લાગુ પડે છે. મીણબત્તી એટલે જેને બુદ્ધ ‘સમ્યક દર્શન’ કહે છે તેવી unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરાઈપૂર્વક ટાળતી આવી છે.

Comments (12)

ગઝલ – નીરજ મહેતા

ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર

દ્વન્દ્વમાં અસ્તિત્વ જીત્યું હોત, જો તેં
એક ઇચ્છાને પછાડી હોત ભીતર

પીગળે પાષાણ ‘હું’પદના સમૂળાં
આગ થોડી પણ લગાડી હોત ભીતર

એ થયું સારું કે ઉગ્યાં ફૂલ એમાં
થડ ઉપર નહિતર કુહાડી હોત ભીતર

તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર

– નીરજ મહેતા

આમ તો આખી ગઝલ સુંદર પણ હું તો આખરી શેર પર સમરકંદો-બુખારા ઓવારી બેઠો. ફિલસૂફીના કૃત્રિમ શેરોની ત્સુનામી આપણે ત્યાં બધા કાંઠા તોડીને ચડી બેસી છે એવામાં આવો સાવ જ સરળ-સહજ પણ અર્થગંભીરતાથી પરિપૂર્ણ શેર હાથ જડી આવે એ તો મોટી ઉપલબ્ધિ જ ને !

ડૉ. નીરજ મહેતાને એમના પ્રથમ ગઝલસંગ્રહ “ગરાસ”ના પ્રાગટ્યટાણે લયસ્તરો.કોમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (7)

ગઝલ – હિમલ પંડ્યા

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર.

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર.

જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બહાર, બધું સરખું છે ભીતર.

આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદુમંતર ?

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહીંયા અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા

મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

આ ગઝલ આપ ગુજરાતી કાવ્ય-સંગીતની શિરમોર વેબસાઇટ ટહુકો.કોમ પર માણી શક્શો.

 

Comments (4)

ચ્હેરાઓ – હર્ષદ ચંદારાણા

કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો
ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો

એટલે ચૂંટ્યો હતો, ખોસ્યો હતો મારે ખમીસ
પુષ્પ ઉર્ફે વિશ્વનો ચહેરો જ ગમતીલો હતો

ખૂબ વરસેલો હતો વરસાદ ચુંબનનો અહીં
તો લચ્યા ખેતર સમો ચ્હેરો પછી લીલો હતો

દાઝવાના ડરથી એને ના કદી સ્પર્શી શક્યો
એક ચ્હેરો જે હિમાલય જેમ બર્ફીલો હતો

ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો

– હર્ષદ ચંદારાણા

ચહેરા વિશે પાંચ મધુરા કલ્પન… આપને કયો ચહેરો વધુ ગમ્યો, કહો તો…

Comments (5)

સ્વપ્ન – લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

એનો વિચાર કરતાં
મારી આંખો મળી ગઈ
અને એ આવ્યો :
જો મને ખબર હતે કે આ
માત્ર સ્વપ્ન છે
તો હું કદી જાગી ન હોત.

– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

જાપનીઝ કાવ્ય તેના લાઘવ માટે પ્રખ્યાત છે. ઉર્દુના શેરની જેમ ગાગરમાં સાગર ભરે જાપનીઝ કવિઓ…. આ ટચૂકડા કાવ્યમાં નઝાકત સાથે વાંઝણી ઝંખનાની ઉત્કટતા ઝલકે છે.

Comments (5)

સાંજ – પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

આપણે આ સંધ્યા પણ ગુમાવી,
આ સાંજે જયારે નીલ રાત્રિ પૃથ્વી પટે ઊતરી
ત્યારે કોઈએ આપણને આંકડિયા ભીડી ફરતાં ન જોયા

મારી બારીએ મેં જોયો
દૂરના પર્વતો પરનો સાંધ્ય ઉત્સવ.

કવચિત સૂર્યનો એક
મારા હાથ વચ્ચેના સિક્કાની માફક સળગી ગયો.
તને પરિચિત એવા વિષાદમાં ડૂબેલા
આત્મા વડે મેં તને યાદ કરી.

તું ક્યાં હતી ત્યારે ?
બીજું કોણ હતું ત્યાં ?
શું કહેતું હતું ?
જયારે હું ઉદાસ છું અને તું દૂરસુદૂર છે એ અનુભવું છું
ત્યારે જ કેમ આ પ્રેમ એક સપાટામાં મને ચકરાઈ વળે છે ?

હંમેશાં હંમેશાં તું સાંજમાં ઓસરતી જાય છે –
જ્યાં સાંધ્ય પ્રકાશ સ્મારક પ્રતિમાઓને ભૂંસતો જાય છે ત્યાં.

-પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

એક ભાવવિશ્વ સર્જાય છે જયારે આપણે આ કાવ્યને બે-ત્રણ વાર ધીમેથી વાંચીએ છીએ ત્યારે….. ઉદાસી ઘેરી વળે છે…..વિખૂટી પડી ચૂકેલી પ્રિયતમા જાણે વધુ ને વધુ દૂરને દૂર સરકતી જાય છે……

Comments (3)

મુંબઈ – વિપિન પરીખ

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો
હું તને ચાહતો નથી, મુંબઈ !
તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી.
તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છું
રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને
હું માંડમાંડ છૂટી પાડું છું.
રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું
છતાંય જો,
હું ફરી પાછો આવ્યો છું !

– વિપિન પરીખ

મહાનગરના અનિષ્ટ અને એમાં જીવન જીવવાની મજબૂરીના બે સમાંતર વચ્ચેથી ચપ્પુની ધારની જેમ ચીરતું જતું કાવ્ય…

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા.

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુઃખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

‘મુકુલ’ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

-મુકુલ ચોક્સી

કયો શેર વખાણવો અને કયો નહીં એવી મીઠી મૂંઝવણ થાય ત્યારે કવિનું નામ જોઈ લેવું… મુકુલ ચોક્સી જ હોઈ શકે…

Comments (10)

સ્ત્રી – જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

છેલ્લે તીર્થેશે “સ્ત્રી” વિશેની મનીષા જોષીની કવિતા મૂકી એટલે મને આ રચના યાદ આવી… બંને રચના સ્ત્રી વિશેની અને બંને રચના કવયિત્રીઓ વડે લખાયેલી…

તમે પુરુષ હોવ કે સ્ત્રી, જો તમારી છાતીના પિંજરામાં એક સહૃદય હૈયું ધબકતું હોય તો આ કવિતા વિશે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી…

આખી કવિતા કવયિત્રી એકીશ્વાસે બોલતા સંભળાય છે એ આ કવિતાનો વિશેષ છે. સ્ત્રી વિશેના બધા વિશેષણ પૂરા થાય ત્યાં સુધી કવિતામાં ક્યાંય પણ એકે અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ઉદગારચિહ્ન આવતા જ નથી. સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ હોય છે? પંક્તિઓ એકમાંથી બીજામાં પાણીની જેમ દડી જાય છે, બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.

Comments (10)

સ્ત્રી – મનીષા જોષી

મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાનાં
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.

-મનીષા જોષી

દરેક ઉગતા સૂર્યને જોતા મારી તમામ નિરાશાઓ ખરી પડે છે……નિરાશ થવા સુદ્ધાં બદલ શરમ આવે છે…..

Comments (4)

રુમી

Are you searching for your soul?
Then come out of your prison.
Leave the stream and join the river
that flows into the ocean.
Absorbed in this world
you’ve made it your burden.
Rise above this world.
There is another vision…

– રુમી
[ સૌજન્ય – નેહલ ]

ભાષા સરળ છે અને વળી આ પોતે પણ અનુવાદ જ છે તેથી ત્રીજો અનુવાદ કરતો નથી.

કેદખાનામાંથી બહાર આવવાનું આહવાન છે….સ્વરચિત કેદખાનામાંથી. બાળપણથી જ અસંખ્ય રૂઢિઓ વડે થતાં conditioning ના કેદખાનામાંથી…. ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે….. વ્યવહારુ રીતે આમ કરવું કઈ રીતે ? – એક જ ઉપાય છે – સંપૂર્ણપણે open mind રાખીને honest inquiry કરતા રહેવાનો…..સતત…….

Comments (5)

ગઝલ – ધ્રુવ ભટ્ટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા
એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું
ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા

મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં

માંડો હિસાબ કોઈ કસર રાખશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

– ધ્રુવ ભટ્ટ

નવલકથા અને ગીતોનો કસબી ગઝલમાં પણ કેવું મજાનું કામ કરી લે છે !

Comments (7)

ગઝલ – કરસનદાસ લુહાર

આંખમાં આકાશને પ્રસરાવ મા !
વ્યર્થ હે વિશાળતા, લલચાવ મા !

ચિત્રમાં દરિયા બતાવીને પછી –
ભવ્યતાના અર્થને ભરમાવ મા !

ના ભલે આંબો ઉગાડે એક પણ –
બીજ બાવળનાં કદાપિ વાવ મા !

આવી છે લઈને ઉદાસી રેશમી,
સાંજને ચૂંગી મહીં સળગાવ મા !

આગ મારામાં અને તું બાગ છે,
ધીમે ધીમે પણ નિકટ તું આવ મા !

મન હજી મુશાયરા જેવું નથી,
દોસ્ત ! હમણાં તું ગઝલ સંભળાવ મા !

– કરસનદાસ લુહાર

કેવી મજાની ગઝલ ! છેલ્લો શેર વાંચતા જ હેમેન શાહ યાદ આવી જાય: તો દોસ્ત ! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે

Comments (1)

છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

– ધૂની માંડલિયા

Comments (8)

વાત છે – હિમાંશુ ભટ્ટ

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

– હિમાંશુ ભટ્ટ

ભાષા સરળ છે…….અને એ જ ખૂબી છે….

Comments (6)