જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લાઓઝી

લાઓઝી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




Suchness – Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

The Tao is something vague and undefinable;
How undefinable ! How vague !
Yet in it there is a form.
How vague ! How undefinable !
Yet in it there is a thing.
How obscure ! How deep !
Yet in it there is a substance.
The substance is genuine
And in it sincerity.
From of old until now
Its name never departs,
Whereby it inspects all things.
How do I know all things in their suchness ?
It is because of this.

– Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

આ કાવ્યનું ભાષાંતર કરવા જતાં એની ઓરિજિનાલિટી મરી જશે તેથી ભાષાંતર કરવાને બદલે [ અત્યંત અચકાટ સાથે ] તેનો ભાવાનુવાદ થોડીક કૉમેન્ટ્સ સાથે રજૂ કરું છું…..અચકાટનું કારણ એ કે હું ચોક્કસ નથી કે જે હું સમજ્યો છું તે સાચું છે અને વળી એને શબ્દોમાં મૂકવાનું પણ મારુ ગજું નથી. માત્ર એક પ્રયત્ન કરું છું –

વેસ્ટર્ન ફિલૉસોફી અને ઈસ્ટર્ન ફિલૉસોફીમાં મૂળભૂત તફાવત intellect નો છે. વૅસ્ટર્નમાં intellect સિવાય કંઈ જ નથી અને ઈસ્ટર્નમાં direct experience – immediacy of realization મહત્વનું છે. સરળ શબ્દોમાં ઈસ્ટર્ન ફિલૉસોફી intuition – અંત:સ્ફૂરણાકેન્દ્રી છે જયારે વૅસ્ટર્ન conceptualization-analysis-intellectual dissection ઉપર અવલંબિત છે.

તાઓ નું અત્યંત અશુદ્ધ ભાષાંતર Way / Path / Flow છે. તેનું શુદ્ધ ભાષાંતર શક્ય નથી. જીવનમાર્ગ કહી શકાય. તાઓ કહે છે કે જયારે તમારી અનુભૂતિને તમે શબ્દોમાં વર્ણિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે છટકી જાય છે અને ઠાલાં શબ્દો રહી જાય છે. આપણે જયારે અદભૂત સૌંદર્ય અથવા અકલ્પનીય પ્રચંડ ભયની સન્મુખ થઈએ છીએ ત્યારે જે સંપૂર્ણ શબ્દહીન,વિચારહીન,તર્કહીન અવસ્થા અનુભવીએ છીએ તે સાચી અનુભૂતિ. જેવું આપણે તેનું વિશ્લેષણ કરવાનું શરુ કરીએ એટલે વિચારો – ‘મન’ – પ્રવેશે અને ‘મન’ સાથે તેના સંખ્યાહીન પૂર્વગ્રહો અને ધારણાઓ પ્રવેશે અને તે સાથે જ સત્ય નાસી છૂટે છે. આ વાતને કાવ્યાત્મક રીતે કાવ્યના પ્રથમ ચરણમાં [ પ્રથમ 9 લીટીમાં ] કહી છે. નિર્મળ શાંત સરોવરમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે ન તો ચંદ્રને ખબર છે કે તે પ્રતિબિંબિત થઇ રહ્યો છે કે ન તો સરોવરને ખબર છે કે પોતે કોઈને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બંને માત્ર પોતપોતાના સ્વધર્મને અનુસરી રહ્યા છે અને તે પણ ‘સ્વધર્મ’ જેવા- કર્તુત્ત્વ ના- કોઈ ખ્યાલ વગર ! આ તાઓ છે. તાઓ ભલે અસ્પષ્ટ અને શબ્દ વડે અવર્ણનીય હોય, તે અનુભવી શકાય છે, ચોક્કસ અનુભવી શકાય છે, માત્ર શરત એટલી છે કે સરોવરના કિનારે સાક્ષીભાવે બેસવાનું છે અને ‘મન’ ને દેશનિકાલ કરવાનું છે.

કાવ્યના બીજા ચરણમાં [અંતિમ 5 લીટીમાં ] વિચારબીજ થોડું ગહન બને છે. સરળ ભાષામાં તેને રજૂ કરવું મારી તાકાત બહારનું કામ છે, પરંતુ વાત અત્યંત મહત્વની છે. અહીં ભાષાની [ communication ની ] મર્યાદાની વાત છે. Name એટલે મૂળ તત્વ. શુદ્ધ તત્વ. ઉદાહરણ તરીકે પ્રેમ. એવું મૂળ તત્વ કે જેનું નામ લેતા જ એક સમગ્ર વૈશ્વિક ભાવ – [ પ્લેટો ની ભાષામાં Ideal Form ] અભિપ્રેત થાય છે. એ મૂળ તત્વ અને તેનું નામ પડતા જ આપણી અંદર અનુભવાતી અનૂભૂતિ અવિભાજ્ય છે. આમ મૂળ તત્વો અનાદિકાળથી જડબેસલાક અને નિત્યસત્ય છે. જયારે આપણે, આપણી ભાષા [ કોઈપણ સ્વરૂપમાં – in any form of communication ] તે તત્વને વર્ણવવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે મૂંઝવણો અને ગેરસમજોનો પર નથી રહેતો. આથી જ હું પ્રત્યેક વસ્તુ ને તેની ‘suchness’ [ તથતા – અર્થાત મૂળભૂત સ્વરૂપમાં ] માં કઈ રીતે જાણી શકું ? – ત્યારે કે જયારે પ્રચલિત ભાષામાંથી કોઈપણ મૂળ તત્વના સાચા નામને ઓળખીને તે દ્વારા તે મૂળતત્વની અનુભૂતિ કરી શકું ત્યારે. આ માટે ‘નેતિ નેતિ ‘ નો માર્ગ શ્રેષ્ઠ છે જેમાં વ્યક્તિ ભાષાના[expressions ના ] આવરણો દૂર કરતી કરતી અંતે મૂળ તત્વ સુધી પહોંચી શકે છે જ્યાં ‘શૂન્યતા’ છે….. Emptiness છે….. અર્થાત કોઈપણ ‘મન’ નો કલબલાટ નથી, વ્યાખ્યાઓ નથી,પૂર્વધારણાઓ નથી, માત્ર મૂળ તત્વ છે કે જે અસ્તિત્વથી ભિન્ન નથી. Direct experience છે.

હું મારી મર્યાદા માટે ખેદસહિત સભાન છું, ખૂબ જ અસ્પષ્ટ રીતે હું રજૂઆત કરી શક્યો છું. સૌના સૂચનોની રાહ જોઇશ……

Comments (3)

પ્રકરણ 36 – તાઓ-તે-ચિંગ – લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

સંકોચવું હોય પહેલાં વિસ્તારવું પડે છે.

નબળું પાડવું હોય તો મજબૂત બનાવવું પડે છે.

પાડવું હોય તો પહેલાં ઊંચે ચડાવવું પડે છે.

લેવું હોય તો પહેલાં આપવું પડે છે.

આનું નામ ‘સૂક્ષ્મ દ્રષ્ટિ ‘ :

મૃદુ કઠોર ઉપર વિજય મેળવે છે અને

દુર્બળ સબળ ઉપર વિજય મેળવે છે.

માછલીને દરિયા બહાર કાઢવી ન જોઈએ . રાજ્યના ઉપયોગી સાધનો લોકોને બતાવવાં ન જોઈએ.

[ Lin Yutang નામના સ્કોલરના મતે અંતિમ વાક્ય આ પ્રકરણનું નથી. તે પ્રકરણ 43 અથવા 78 માં બંધબેસતું છે. વાત સાચી લાગે છે ]

– લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

તાઓ-તે-ચિંગ મારી અતિપ્રિય બુક છે. ઈતિહાસમાં કોઈક આટલી નાનકડી પુસ્તિકા આટલી બધી controversy ઊભી કરે તે વાત પોતે જ અજોડ છે. એક વર્ગે એની અત્યંત તીખી આલોચના કરી છે. એક વિદ્વાન સમીક્ષક ઓગણીસમી સદીના માથાના ફરેલા ફિલોસોફર Nietzsche ને ટાંકે છે – ‘ Those who know that they are profound strive for clarity. Those who would like to seem profound strive for obscurity. ‘ સામે પક્ષે ચાહક વર્ગ પણ એટલો જ મોટો છે. એ વાત ખરી કે પુસ્તકમાં મહદઅંશે ગુહ્ય ભાષા જ વપરાઈ છે અને અમુક પ્રકરણ બિલકુલ અસંબદ્ધ લાગે-જરાય ન સમજાય એવા છે, પરંતુ એનું કારણ સમય સાથે પ્રવેશેલી વિકૃતિઓ લાગે છે. એમ તો એક પ્રમાણભૂત અભ્યાસ અનુસાર ભગવદ ગીતા ખરેખર માત્ર 200 જ શ્લોકની છે, બાકીનું બધું repetition જ છે જે કાળક્રમે ઉમેરાતું ગયું.

આ પ્રકરણ 36નું ભાષાંતર છે.

અર્થઘટન સૌ ભાવક પોતપોતાની રીતે કરે તો જ આ પુસ્તકનો મૂળભૂત હેતુ સચવાય તેથી અર્થઘટન કરવાની ધ્રુષ્ટતા હું નહીં કરું.

Comments (2)

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

Comments (11)

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

Comments (4)