હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 16, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ચિનુ મોદી, હસ્તપ્રત
(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ. થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ. ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે. સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે. બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે. જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય. કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો. થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂
Permalink
June 11, 2010 at 1:07 AM by વિવેક · Filed under ગઝલ, સુધીર પટેલ
ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !
ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !
– સુધીર પટેલ
ખંખેરી નાખ જેવી અર્થપૂર્ણ રદીફ લઈ કવિ મજાના પાંચ શેર નિપજાવે છે. સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિની સહુથી પહેલી શરત છે સંપૂર્ન અજ્ઞાન ! અધકચરી સમજણના ડાબલાં આંખ ઉપર બંધાયેલા હોય તો જ્ઞાનમાર્ગ નજરે ચડવો સંભવ નથી… ઊભા થવાનું આહ્વાન એ શિક્ષાનું પ્રથમ સોપાન છે અને ધૂળ પેઠે સમજણને ખંખેરી નાંખવી એ બીજું…
Permalink
June 10, 2010 at 1:08 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?
ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?
તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?
– આહમદ મકરાણી
જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?
(તૂર=પર્વત)
Permalink
June 5, 2010 at 3:22 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.
દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.
દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.
કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.
એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
– મરીઝ
મરીઝને ગયાને જમાનો થયો પણ એની ગઝલો આજે પણ સર્વોત્કૃષ્ટ અને સહુથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણા સાહિત્યની અમૂલ્ય જણસ છે…
Permalink
June 1, 2010 at 9:51 PM by ધવલ · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.
આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે!
છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!
એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!
ભીતરે સળગાટ કૈં એવો હતો,
આંખમાંથી આંસુ નહીં, તણખો પડે!
-હરદ્વાર ગોસ્વામી
મારો સૌથી પ્રિય શેર – એક લીલી લાગણીને પામવા, એક માણસ કેટલો ઘરડો પડે. હા, રમૂજ તો છે જ, પણ વાત પણ એટલી જ ઊંચી છે. કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !
કવિની વેબસાઈટ ગુજરાતી છું… પર એમની વધારે રચનાઓ હાજર છે.
Permalink
May 31, 2010 at 12:31 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
– મનોજ ખંડેરિયા
અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !
Permalink
May 29, 2010 at 3:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)
*
ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર
લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર
જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર
અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર
ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર
– પંકજ વખારિયા
નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે. એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે. બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…
Permalink
May 27, 2010 at 1:11 AM by વિવેક · Filed under અલ્પેશ કળસરિયા, ગઝલ
શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !
ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !
ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !
જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !
ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !
માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !
– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩
વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…
Permalink
May 23, 2010 at 11:31 AM by વિવેક · Filed under આકાશ ઠક્કર, ગઝલ
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે .
સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે .
ભગવી ધજાને ફરફરાવે એ રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .
ઈશ્વર , તને જોયા પછી સમજાયું છે
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે .
પાંખો મળી પણ જાત માણસની મળી
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે
– આકાશ ઠક્કર
Permalink
May 20, 2010 at 1:48 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.
ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.
થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.
સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?
ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !
વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.
-ગની દહીંવાલા
‘હૈ તો હૈ’ ફેમ દિપ્તી મિશ્રના સંગ્રહની પ્રસ્તાવનામાં કાલે એક મજાની વાત વાંચી. એ કહે છે કે જીવનના ઋણમૂલક (-)ને જેમ જેમ ઊભી લીટીથી કાપતી ગઈ એમ એમ ધનમૂલક (+) થતું ગયું… નકારાત્મકતાને સકારાત્મક્તામાં ફેરવવાની આ વાત કેવી મજાની છે! આ આખી ગઝલ આજ વાતનો પડઘો નથી?!
Permalink
May 19, 2010 at 10:35 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !
ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !
જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !
નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !
એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !
ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !
લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !
– રાજેન્દ્ર શુક્લ
બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.
ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)
(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)
Permalink
May 18, 2010 at 10:09 PM by ધવલ · Filed under અમર પાલનપુરી, ગઝલ
ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.
ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?
ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !
ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.
મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !
કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !
રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?
– અમર પાલનપુરી
અમર પાલનપુરીને હજુ પણ ઘણા લોકો એક ઉઝરડે શેરથી ઓળખે છે. બીજો શેર પણ એટલો જ પ્રખ્યાત છે. પરંપરાગત શૈલી છતાં ગઝલ આજે ય આકર્ષક લાગે છે.
Permalink
May 17, 2010 at 10:45 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !
નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !
કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !
સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !
સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !
દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !
ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !
– રાજેન્દ્ર શુક્લ
સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.
(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )
Permalink
May 16, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, સુરેશ દલાલ
આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !
બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !
પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.
-સુરેશ દલાલ
ભાગ્યે જ કોઈ કવિએ એકલતા વિષે નહિ લખ્યું હોય….પરંતુ શું ખરેખર એકલતા એ મૂળભૂત સનાતન સત્ય નથી ? એકલતાની પીડાને સાવ નકારી તો ન શકાય પરંતુ જરાક વધુ વિચારતા બુદ્ધની વાત સામે આવ્યા વગર રહેતી નથી- do not be alone to learn but learn to be alone. અત્યંત સમીપનું સ્વજન પણ એક અલાયદું અસ્તિત્વ જ છે-ભલે વીણાના સઘળા તાર એક લયમાં કંપન કરી જીવનને ધન્ય કરતુ સંગીત ઉપજાવતા હોય,પણ પ્રત્યેક તાર શું એકલતાની ફરિયાદ કરતો હશે ? સતત આપણાં મૂળભૂત એકલાપણાના ભાન સાથે જીવનના પ્રવાહોમાં વહેતા રહીએ તો કદાચ જળકમળવત જીવવાનો આદર્શ સાર્થક કરી શકાય. પ્રત્યેક જીવ મૂળભૂત રીતે એકલો જ હોય છે.
Permalink
May 14, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.
-ચિનુ મોદી
ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…
Permalink
May 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ ઉપાધ્યાય
વસંતો તણા દિવસોમાં કદી આપણે છોડી મળતા ગુલાબોની વચ્ચે,
ગયો એ જમાનો ! થતી ક્યાં હવે તો કદીયે મુલાકાત ખ્વાબોની વચ્ચે !
નથી હાસ્ય તારા અધર પર અસલ એ, નથી આંસુઓ આંખ વચ્ચે ખરા એ,
ગયું આવડી જીવવાનું મને પણ છુપાવી સંબંધો નકાબોની વચ્ચે !
ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !
પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.
મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.
– જગદીપ ઉપાધ્યાય
લાંબી બહેરની ગઝલો ટૂંકીટચ રદીફ સાથે આલેખવી હંમેશા અઘરું બની રહે છે પણ અહીં લગાગાના આઠ ધ્વન્યાત્મક આવર્તનોથી નિપજતી લયબદ્ધ સુરાવલિઓની આડે પણ કવિ સરસ કવિકર્મ કરી શક્યા છે અને સરવાળે આપણને એક આસ્વાદ્ય ગઝલ મળી છે. આખી ગઝલમાં ક્યાંય ભારીખમ્મ વાતો નથી કે નથી જોડણીકોશોમાં સંતાઈ રહેલા કલ્પનો… આખી ગઝલ બોલચાલની ભાષાના શબ્દો અને રોજબરોજના પ્રતીકોની મદદથી જ લખાઈ છે પણ બધા જ શેર સોંસરવા ઉતરી જાય એવા સરસ થયા છે…
Permalink
May 12, 2010 at 9:40 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.
પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.
ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.
આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.
મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.
– આદિલ મન્સૂરી
એક પળમાં આખી જિંદગીને બદલી નાખવાની તાકાત હોય છે. એ કાવડમાં એકસાથે, ગઈ પળ અને આવનારી પળ , બન્નેને જતનથી ઊંચકીને ફરવાની કળાનું નામ છે જિંદગી.
Permalink
May 7, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી?
ટોચ પર સડસડાટ પ્હોચીને,
આ હવા કેમ હાંફવા લાગી?
બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.
દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.
વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ શ્રી સવા લાગી.
– દિવ્યા મોદી
પાંચ આંગળી સમાન વળે તો એક મુઠ્ઠીની તાકાત થાય… પાંચ એકસમાન મજબૂત શેર વડે બનેલી એક સફળ-સબળ ગઝલ…
Permalink
May 6, 2010 at 9:52 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું
– મનોજ ખંડેરિયા
આધુનિક ગઝલના એક યાદગાર મુકામ જેવી આ ગઝલ હજુ લયસ્તરો મૂકવાની રહી જ ગયેલી. પીંછું – એ કોમળ પ્રતિક વાપરીને કવિ એક પછી નકશીદાર શેર ઉતારે છે. બીજો શેર મારો સૌથી પ્રિય છે – હવામાં ગોળગોળ ફરતું પીંછું (યાદના, ગમતા ચહેરાના કે પછી ભાવિના ઈગિંત) ઝીણાં શીલ્પ કોતરતું કોતરતું ઉતરતું જાય એ કલ્પના જ નકરી મધમીઠી છે.
Permalink
May 5, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.
આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.
આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.
ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.
ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે. વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ. માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે. આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય. (-સુરેશ દલાલ)
દિવ્ય-ભાસ્કરમાં સુ.દ. દ્વારા આ ગઝલનો સંપૂર્ણ આસ્વાદ અહીં વાંચી શકો છો…
Permalink
April 30, 2010 at 2:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !
એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !
પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !
વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !
કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !
હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !
-હર્ષદ ત્રિવેદી
મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…
Permalink
April 25, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને
સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને
ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને
આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને
હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને
બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને
આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને
– આદિલ મન્સૂરી
પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.
Permalink
April 23, 2010 at 1:16 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
એટલું પણ યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો
એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો
સાત પેઢી દૂરના પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો
એટલું પૂછ્યું કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો ?
એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી
વેદનાથી વલૂરાયેલી ગઝલ. બધા જ શેર ઘેરા રંગના પણ માણવા ગમે એવા થયા છે. વિરસાસન્ન આંખોમાં તરવર્યા કરતી ભીનાશને પ્રિયતમાની યાદનો પ્રાણવાયુ મળે તો ઉજાગરાનો છોડ જ ઊગી આવે ને? પણ મને પાયા અને કાંગરા વચ્ચેનો સંબંધ અને દૂરતાવાળો શેર અને છેલ્લા શ્વાસની વાતનું નાવીન્ય વધુ સ્પર્શી ગયું…
Permalink
April 22, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનિફ રાજા
પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.
કેટલી ગુમ થૈ જતી રણમાં જ નદીઓ આમ તો,
કેમ મારાં આંસુઓની વાત દરિયો થૈ ગઈ ?!
જાન દેવી પણ અમારી માત્ર નાદારી ઠરી;
એમની ચપટીભરી ખેરાત દરિયો થૈ ગઈ.
મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.
એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.
વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.
એક સહરા-શી હતી મારી ગઝલ તો પણ ‘હનિફ’;
જ્યાં મળી એ કંઠની સોગાત દરિયો થૈ ગઈ.
– હનિફ રાજા
દરિયામાં દરિયો થઈ જઈએ ત્યારે નખશિખ તરબતર થઈ જવાય એવી જ રીતે આ ગઝલ સરાબોળ ભીંજવે છે. રદિયો થૈ ગઈ જેવી રદીફને કવિએ કેટલી બખૂબી નિભાવી છે! નદી અને દરિયાના મિલન વિશે કેટલા બધા કવિઓએ કેટલા બધા આયામથી વિચાર્યું હશે!
Permalink
April 21, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
આ ખભે શાથી જમેલો રાખીએ ?
સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.
શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
એક દીપક પેટવેલો રાખીએ.
સંત હોવાનો ન રહે મિથ્યા ભરમ
હાથને બસ સ્હેજ મેલો રાખીએ.
શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.
જીવવા એકાદ કારણ જોઈએ,
જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ.
– રાકેશ હાંસલિયા
રાજકોટના કવિ રાકેશની વધુ એક ગઝલ. ગઝલના મોટાભાગના શેરોમાં કહેવાયેલી વાત કદાચ નવી ન લાગે પણ જે તાજગીથી આખી વાત અહીં કહેવામાં આવી છે એની જ ખરી મજા છે. થોડા અરુઢ કાફિયા અને સાફ અને સરળ બયાનીના કારણે શેર વધુ ઉઠાવ પામે છે. પત્રવાળો શેર વાંચીએ ત્યારે મિર્ઝા ગાલિબ જરૂર યાદ આવે: क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ , मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में |
Permalink
April 20, 2010 at 9:26 PM by ધવલ · Filed under કિસન સોસા, ગઝલ, પ્રકીર્ણ
બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.
સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.
રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.
જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.
– કિસન સોસા
પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.
Permalink
April 18, 2010 at 10:00 PM by ધવલ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર ?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા
મનુષ્યનો સ્વભાવ જ એવો છે – સીધા અઢી અક્ષર બોલવાને બદલે અઢી પગલા આડા માંડવામાં જ એને ચેન પડે છે. મનુષ્યસ્વભાવની ઊણપોને ગઝલમાં કવિએ બરાબર ઝીલી લીધી છે. આ બધાને લાગુ પડે એવી ગઝલ છે. બધાને બંધબેસતી પાઘડી પહેરી લેવાની પૂરેપૂરી છૂટ છે !
Permalink
April 17, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના
ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના
છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના
પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના
સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !
-દિનેશ કાનાણી
રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…
Permalink
April 16, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.
કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.
– હરીશ ઠક્કર
ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…
આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!
Permalink
April 15, 2010 at 1:08 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ
ને શરત છે કે મજાનું જોઈએ
ઘર મળ્યું તો ઝંખના સાથે મળી –
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ
સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ
જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ
એમ સગ્ગા હાથને મરતો દીઠો
જેમ મરવું પારકાનું જોઈએ
ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
જેને સરનામું ર.પા.નું જોઈએ
-રમેશ પારેખ
જે માણસ આખી દુનિયાના સરનામે મળે છે એ માણસની આ ગઝલને કોઈ પૂર્વભૂમિકાની જરૂર ખરી ?
Permalink
April 12, 2010 at 7:51 PM by ધવલ · Filed under ગઝલ, હરેશ લાલ
સદા પથ્થરોના જ અશ્વો પલાણ્યા;
રહ્યા એટલે માર્ગ સઘળા અજાણ્યા.
રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !
તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !
તણખલા સમા થઈ જવાની તકોમાં;
અમે પ્હાડ જેવા થઈને મહાલ્યા !
– હરેશ લાલ
જ્યારે ભાર ઓછો કરી – તણખલા જેવા – થઈ જવાની તક હોય ત્યારે પણ આપણે કારણ વગરનો બધો ભાર ઊભો કરીને – પહાડ જેવા થઈને – જીવે રાખીએ છીએ.
Permalink
April 9, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !
મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !
હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !
આજના સંદર્ભમાં તાજા છતાં –
દર્દના કારણ ઘણાં પડતર હતાં !
ના જવાયું સાવ નજદીક એમની;
એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !
– લક્ષ્મી ડોબરિયા
રાજકોટના કવયિત્રીની સરળ બાનીમાં સંતર્પક ગઝલ… સંબંધમાંથી અહમનો સૂર્ય હટી જાય તો ચૈત્રના તાપની જગ્યાએ અષાઢની ભીનપ અનુભવાય. દુઃખ-દર્દના કારણોના મૂળ તો સદીઓથી એના એ જ હોય છે પણ તોય કોઈ દર્દ કદી વાસી લાગતું નથી… ખરું ને?
Permalink
April 8, 2010 at 1:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ જોગી
સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
છે તો સૌના હૃદયના તારનો રવ.
સાંભળી ચહેકી ઊઠ્યાં પંખીડાં –
ફૂલની શબનમી કુમાશનો રવ.
શું કહું કેટલો એ ગાજે છે –
તારી ચુપચાપ પગની ચાપનો રવ.
જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
સાંભળો સાંભળો પ્રકાશનો રવ.
શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
લાગણીનો અને વિચારનો રવ.
– રતિલાલ જોગી
શબ્દને ભૂલી જઈએ તો જ લાગણી અને વિચારના અવાજને સાંભળી શકાય…. કેવી સાચુકલી વાત !
Permalink
April 5, 2010 at 10:18 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.
સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું.
સનસનાટી એ જ ઘટના ચિત્રમાં સર્જાઈ ગઈ
તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.
તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.
તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.
ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.
– રમેશ પારેખ
કાર્ય-કારણના સિધ્ધાંતોને હળવેકથી મરોડીને કવિ ‘હોવા’ અને’ થવા’ વચ્ચેના આભાસને છતો કરે છે. છેલ્લો શેર – જેને હું ‘બિનવારસી ડૂસકા’ના શેર તરીકે ઓળખું છું 🙂 – મારો ખાસ પ્રિય શેર છે.
Permalink
April 1, 2010 at 8:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, શલ્ય મશહદી
કે’વાનું જેટલું હો તે સઘળું કહી શકો !
ફરિયાદની જ પ્રેમમાં કેવળ મનાઈ છે !
લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.
નયનોએ નીર સિંચ્યાં છે ઉપવનની આશમાં,
જીવનના રણમાં કેટલી નદીઓ સુકાઈ છે !
તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.
જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
દ્રષ્ટિમાં ‘શલ્ય’ની એ કરામત સમાઈ છે.
– ‘શલ્ય’ મશહદી
પ્રેમમાં જો સાચે જ ફરિયાદની મનાઈ હોય તો તો પ્રણય સાવ ‘બોરીંગ’ ના થઈ જાય…? ( જો કે અહીં મીઠી ફરિયાદ નહીં પણ કડવી ને તીખી ફરિયાદ કરવાની મનાઈ ફરમાવાઈ છે. ) 🙂 ધૈર્ય ઉપર જીવનની ઇમારત ચણાવાની વાત ખૂબ જ સુંદર રીતે કહેવાઈ છે.
Permalink
March 30, 2010 at 9:17 PM by ધવલ · Filed under ગઝલ, હેમેન શાહ
ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.
માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.
ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.
ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.
દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.
– હેમેન શાહ
સાંજને બધાએ ખૂબ ગાઈ છે, સવારને કોઈ કોઈએ જ સંભારી છે. ગઝલકારો બધામોડા ઉઠનારા હશે કે શું ? 🙂
Permalink
March 29, 2010 at 9:04 PM by ધવલ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.
સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.
જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.
ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
આવીને કેમ પ્યાસ લાગે છે ?
કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.
શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે !
પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.
– શોભિત દેસાઈ
નવીન કલ્પનોથી શોભતી શોભિત દેસાઈની રમતિયાળ ગઝલ.
Permalink
March 23, 2010 at 8:45 PM by ધવલ · Filed under ગઝલ, પુરુરાજ જોશી
બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
મન મૂકીને વરસવા મજબૂર કરી દે એવી મોહક ગઝલ.
Permalink
March 22, 2010 at 5:00 PM by ધવલ · Filed under કરસનદાસ લુહાર, ગઝલ
એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.
તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.
ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.
ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !
જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.
આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.
આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.
– કરસનદાસ લુહાર
જ્યારે બે માણસ સાથે ઊભા રહે તો એમની વચ્ચે એક આખું વિશ્વ રચાતું હોય છે. પણ જો બેનો સૂર પૂરો ન મળે તો બન્ને વચ્ચે ઘેરો રંગ ઝમતો જાય છે. છેલ્લા બે શેર ખાસ ધારદાર થયા છે : વચ્ચેનું બધું આથમી જવા છતાંય એક ઈચ્છા તગતગ્યા કરતી હોય છે. ઘણી વાર કશુંક ખૂટતું હોવાનો ભ્રમ અને ભય જ આપણને કોરી ખાતો હોય છે.
Permalink
March 18, 2010 at 6:59 PM by ધવલ · Filed under ગઝલ, નીતિન વડગામા
આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.
આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.
ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.
પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.
બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.
આવતીકાલે પછી ઘેઘૂર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.
આખરે તો આપણો આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.
– નીતિન વડગામા
આમ તો કવિનું કામ જ – જેની બીજા કોઈ નોંધ ન લે એ બધાની – નોંધ લેવાનું છે. કવિ ન લે તો આ બધી નાની-નાની જણસોની નોંધ બીજું લેશે પણ કોણ ?
Permalink
March 17, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, જટિલ
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !
ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !
મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર !
– ‘જટિલ’
પ્રભુ સાથે પ્રીત કરવાથી માંડીને છેક મિલન સુધીની કેટકેટલી તકો મળવા છતાંયે એને બરાબર ન પકડી શકવામાં કારણભૂત તો પોતાની અસમર્થતા જ છે, એ વાતનો કવિ અહીં ખુલ્લા દિલે સ્વીકાર કરે છે.
Permalink
March 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
સ્તબ્ધતાએ આદરી દીધી સફર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
શૂન્યતા હસતી રહે અર્થોસભર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને ક્ષણો પીગળ્યા કરે સૂરજ ઉપર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને અહીં શબ્દો ભમે ભીંતો વગર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ઝાંઝવાનું નામ અહીંયા માનસર !
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ક્યાં હવે એમાં મળે ટહુકાનું ઘર ?
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
કોણ પડછાયાને ઉલેચે અરર !
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
છે સ્મરણમાં પણ મરણ, તમને ખબર ?
– રવીન્દ્ર પારેખ
રવીન્દ્રભાઈ સ્વભાવે પ્રયોગશીલ છે. અહીં આખી ગઝલમાં ઉલા મિસરા (પહેલી કડી)ને ગઝલના રદીફની જેમ જાળવી રાખીને બાકીની એક લીટી જેટલી સાંકડી જગ્યામાં એમણે આઠ શેર કહેવાનું સાહસ કર્યું છે જે ભાવકોના (સદ્)ભાગ્યે સફળ થયું છે.
કવિ જે નગરની વાત કરી રહ્યા છે એ રેતી, તડકા અને સ્મરણનું બનેલું છે… ત્રણેય કલ્પનો પર એક સાથે ધ્યાન આપીએ તો કેટલીક અર્થચ્છાયાઓ ઉપસી આવે છે. ત્રણેય પકડી શકાતા નથી, ત્રણેય પકડાય એનાથી વિશેષ છટકતા રહે છે, ત્રણેય સ્થિર નથી રહેતા અને ત્રણેયનો આકાર પણ ક્ષણેક્ષણ બદલાતો રહે છે… ત્રણેય કદાચ ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…
…હવે ગઝલ ફરીથી વાંચીએ?
Permalink
March 11, 2010 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો
જે મને ડસતી રહી સર્પો બની
એવી કૈં પહેરણની સળ વચ્ચે જીવ્યો
લોહનાં પૂતળાં ઘણાં ભાંગી ગયાં
હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો
એક આંસુનું અજબ ઊંડાણ આ
હું અતળ ઈચ્છાના જળ વચ્ચે જીવ્યો
છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો
– મનોજ ખંડેરિયા
પોતાના જ બનાવેલા વમળોની મધ્યે ખેંચતી ઘૂમરાતી પળોની વચ્ચે ક્યારેક જીવન તો પસાર થઈ જાય છે, પરંતુ એ પળોની વચ્ચે ખરેખર કેટલું જીવી શકાય છે? અહીં કવિ બેધડક સ્વીકારે છે કે આવી પળ, પોતાના બનાવેલા વમળ ને બીજાએ દીધેલા છળની વચ્ચે પણ ‘જીવ્યા’. આપણને કોઈ પણ પરિસ્થિતિમાં જો હળવા રહેતા/થતા આવડી જાય તો માત્ર પસાર કરવાની જગ્યાએ જીવનને ખરા અર્થમાં ‘જીવી’ શકાય…
Permalink
March 10, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
– કિરણસિંહ ચૌહાણ
કિરણભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની આ એક ગઝલ. જેના પાંચેપાચ અશઆરમાંથી કયો શે’ર શિરમોર છે, એ મૂંઝવણ તમે ઉકેલી જ ના શકો. જો કે મને અંગત રીતે ત્રીજો શે’ર વધુ ગમે છે… જેને યાદ જ ના કરવી પડે એવી યાદને ‘યાદ’ તો કેમ કહી શકાય? કદાચ ‘ચિરસ્મરણ’ કહી શકાય…!
Permalink
March 5, 2010 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.
એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.
ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.
આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.
શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.
– જયંત સંગીત
ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…
Permalink
March 1, 2010 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !
નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી,
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી!
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!
ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?
તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?
ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.
– રતિલાલ ‘અનિલ’
તમામ વાચકમિત્રોને લયસ્તરો તરફથી ફાગણનાં રંગો અને હોળીની શુભેચ્છાઓ… (એમ પણ અમેરિકામાં જરા મોડી જ આવે છે! 🙂 ) અને પહેલી પ્રીતનાં રંગોથી રંગાયેલી આ રંગીન ગઝલ પણ !
Permalink
February 27, 2010 at 1:24 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.
બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.
હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.
ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.
છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.
– અશરફ ડબાવાલા
આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…
…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…
Permalink
February 26, 2010 at 1:03 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !
રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.
કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !
જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !
-અનિલ ચાવડા
દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…
અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?
Permalink
February 19, 2010 at 12:56 AM by વિવેક · Filed under ગઝલ, સ્મિતા પારેખ
જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?
એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.
કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.
વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.
રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.
– સ્મિતા પારેખ
એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!
Permalink
February 15, 2010 at 8:43 PM by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.
કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?
ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.
એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.
ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે જ વરસાદ પડે તો કાચી ઈંટોની માટી બધી પાણી સાથે વહી જાય. આ વાતને સાંકળી લઈને કવિએ ગઝલનો શીરમોર શેર ઓણ ચોમાસું… બનાવ્યો છે. અને જે કોઈએ એકાદ રાત પણ તાજી ઉદાસીના સથવારે કાપી હોય, એ બધાને છેલ્લો શેર તો પોતીકો જ લાગવાનો.
Permalink
Page 36 of 50« First«...353637...»Last »