ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.
ગૌરાંગ ઠાકર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 9, 2014 at 12:26 AM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ

તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …
તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …
તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …
તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …
તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …
– પંચમ શુક્લ
જીવ અને શીવઃ આ વિષય પર ઘણા કાવ્યો છે. પણ આ કાવ્યની અલગ મજા છે. કલ્પનોની નવીનતા અને શબ્દોની પસંદગી તો દાદ માંગી લે તેવી છે જ. એ ઉપરાંત, આટલા ગહન-ગંભીર વિષયના કાવ્યમાં પણ સૂક્ષ્મ વિનોદ વણી લીધો છે એ અલગ.
Permalink
September 6, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે .
પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આ ગઝલના મક્તાએ મને ખાસ આકર્ષ્યો….. આ વાત સૂક્ષ્મરૂપે સદીઓથી માનવજાતને લાગુ પડેલો મહારોગ છે. સત્યની આસપાસ એવો અદભૂત લુચ્ચાઈ-ચતુરાઈથી સાત કોઠાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવે છે કે પછી……. કહેવાતા આધ્યાત્મમાર્ગીઓ પણ આમાંથી બાકાત નથી. તટસ્થ આંતરદર્શન અને આમૂલ પરિવર્તન વિના આ રોગનો કોઈ ઈલાજ નથી.
Permalink
August 30, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિસ્મય લુહાર
પ્રથમ તારો ભીનો ભીનો ભીતરથી સાદ આવે છે !
મને મળવા પછી તું પહેરીને વરસાદ આવે છે !
રહ્યાં’તાં કોરાંકટ બસ આપણે એકવાર પલળીને,
હવે તરબોળ તન-મનને એ ઘટના યાદ આવે છે.
નિરંતર વાદળાં ને વીજળી છે આપણામાં પણ,
અને આપણને આડી એજ તો મરજાદ આવે છે.
હવે તો મન મૂકીને ભીંજાઈ જઈએ ચાલ;
અરે વરસાદ આવો કૈંક વરસો બાદ આવે છે.
– વિસ્મય લુહાર
સાથે પલળીને પણ કોરાંકટ રહી જવાય એ મર્યાદા ક્યારેક પલાળે છે, ક્યારેક તરસાવે છે…
Permalink
August 29, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજલાલ દવે
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !
ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !
અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !
હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.
ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.
સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?
મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !
– વ્રજલાલ દવે
જૂના મિજાજની જરા ધીમેથી ખુલતી ગઝલ…
Permalink
August 27, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, શરદ વૈદ્ય

વાતમાંથી વાત તારી નીકળી,
એ પછી બસ એકધારી નીકળી
આંસુઓના શહેરમાં તડકો બની
પાંપણે ઝળહળ સવારી નીકળી
નીકળ્યું મારી કબરમાંથી નગર
ધારણાં સૌની ઠગારી નીકળી
કેટલું હસતા રહ્યાં પડદા સતત
બારીની સંગત નઠારી નીકળી
– શરદ વૈદ્ય
કવિ એટલે યાદોનો પૂજારી.
લોકો રાજા-મહારાજા કે નેતા-અભિનેતાઓની સવારી કાઢે છે. જ્યારે કવિ યાદોની સવારી કાઢે છે. આંસુના શહેરમાં (કદીક જ આવતો) તડકો બનીને એ ઝળહળ સવારી નીકળે છે અને એ ય પાંપણ પર !
જે વિચાર વધારે ન ફેલાય એ ખાતર કવિને કબર ભેગા કરી દેવાયા તે વિચાર આજે આખા શહેરમાં ફેલાઈ ગયો છે. માણસનું વીતી જવું સહ્ય અને સહજ છે પણ એ હસ્તીના અંતે એક આખી વિચારધારાનો જન્મ થાય એવું સૌભાગ્ય કોઈ કોઈને જ મળે છે.
Permalink
August 24, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ?
સેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે ?
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?
પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે ?
મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે ?
અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા !
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો શા માટે ?
તોફાન તો મનમાન્યું કરશે પણ એક વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે ?
વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે ?
– ‘ગની’ દહીંવાળા
હું તો મત્લા પર જ આફરીન થઇ ગયો…….
મક્તાના બીજા ચરણમાં છંદ તૂટતો લાગે છે-જાણકારો પ્રકાશ પાડે……
Permalink
August 22, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,
ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી.
સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
લાગણીનાં કોઈ વાવેતર નથી.
એમ સમજીને તમે કોરાં રહો,
આંખથી વરસે છે તે ઝરમર નથી.
પ્રેમની બારાખડી ક્યાંથી લખું ?
ઘૂંટવા માટે હવે અક્ષર નથી.
ઉપવનોમાં પણ હવે ચર્ચાય છે,
પાનખરનો અમને કોઈ ડર નથી.
હું મને ક્યારેક નડતી હોઉં છું,
એકલી દુનિયા અહીં નડતર નથી.
– દિવ્યા મોદી
મજાની ગઝલ. બધા જ શેર સુંદર પણ આખરી શેર હાંસિલ-એ-ગઝલ. મત્લાનો શેર વાંચીને ખૂબ જાણીતી પંક્તિ યાદ આવી જાય: “ઘર એટલે ચાર દીવાલ ? ઘર એટલે ચાર દી’ વહાલ”
Permalink
August 21, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ઉપાડી સહજ એક ક્ષણની ઉદાસી
ખબર નહિ, હશે એક મણની ઉદાસી
નગરમાં બની એક જણની ઉદાસી
ફરે છે છડેચોક રણની ઉદાસી
ઉમેરે છે પીળાશ ચ્હેરામાં મારા
જરા ચીતરું જ્યાં પરણની ઉદાસી
છે જળનાં બધાં રૂપ : આનંદ, આનંદ
ફકત છે આ મૃગજળ હરણની ઉદાસી
છું તરસ્યો છતાં, જળ સુધી પ્હોંચવામાં
મને બહુ નડી છે ચરણની ઉદાસી
– હર્ષદ ચંદારાણા
ગઝલ આમ ઉદાસીની છે પણ વાંચતાવેંત પ્રફુલ્લિત પ્રફુલ્લિત કરી મૂકે એવી. એરિસ્ટોટલનો Katharsisનો સિદ્ધાંત યાદ આવી જાય. (ભીતરની લાગણીઓના ઉદ્રેકનું કળાના માધ્યમથી થતું શમન)
ફક્ત એક ક્ષણની ઉદાસી કવિ ઉપાડે છે. પણ ઉપાડે છે ને ખબર પડે છે કે આ તો એક મણની ઉદાસી છે. નગરમાં એક જણની ઉદાસી બનીને છડેચોક ફરતી રણની ઉદાસીવાળો શેર પણ એતલો જ મનનીય થયો છે.
Permalink
August 19, 2014 at 2:19 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી
ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી
કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’
દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી
ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?
– હરીન્દ્ર દવે
Permalink
August 18, 2014 at 4:07 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
એક ને એક જ સ્થળે મળિયેં અમે,
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
હેત દેખીને ભલે હળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પાંચ ભેળા સાવ શેં ભળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
ઊભરાવું હોય તો શમવું પડે,
ઊગિયેં જો તો જ આથમવું પડે,
મેરું ચળતાયે નહીં ચળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
કૈંક સમજ્યા ત્યારથી બેઠા છિયેં,
હાથમાં હુક્કો લઇ આ ઢોલિયે,
ક્યાંથી મળિયેં કો’કને ફળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
શબ્દના દીવા બળે છે ડેલિયે,
આવતલ આવી મળે છે ડેલિયે,
સ્વપ્ન જેવું શીદ સળવળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!
– રાજેન્દ્ર શુક્લ
Permalink
August 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.

દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
કોઈ માંગે ને આપો કંઈ એ જુદી વાત છે કિન્તુ
પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ,
લગોલગ ચાલતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે;
નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
– મનોજ જોશી
જામનગરના તબીબ-કવિમિત્ર મનોજ જોશી જેટલી ધમધોકાર પ્રેક્ટિસ કરે છે એટલા જ શાંતિથી ગઝલ સાધના કરે છે. સોની દાગીનો ચકાસે એમ જનાબ એક પણ શેર રચનામાં નબળો ન આવી જાય એની બાકાયદા કાળજી રાખે છે. એમની ગઝલ-સંનિષ્ઠતા ઇર્ષ્યા જગાવે એવી છે. મહેફિલમાં સાવ લૉ-પ્રોફાઇલ બેઠા હોય અને પછી એક-એક શેરને તોળી-તોળીને એવી અદાથી રજૂ કરે કે સભા આખી ડોલી ઊઠે.
“ખૂબ અઘરું છે” રદીફ લઈને કવિના હમનામ મનોજ ખંડેરિયાએ પણ એક ગઝલ લખી છે. એ પણ આ સાથે માણવા જેવી છે.
જે શાંતિથી કવિ કવિતા કરે છે એ જ શાંતિથી એમણે પોતાનો ગઝલસંગ્રહ “ભીતરના અવાજો” પ્રકાશિત કરી દીધો. કયા કારણોસર આ સંગ્રહ વિશેની જાણકારી અહીં આપવામાં આટલો વિલંબ થયો એ જણાવવું ખરેખર ખૂબ અઘરું છે…
લયસ્તરો તરફથી કવિને “ભીતરના અવાજો” સંગ્રહ માટે અનેકાનેક શુભકામનાઓ…
Permalink
August 11, 2014 at 3:41 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.
– અનિલ ચાવડા
Permalink
August 8, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંધ્યા ભટ્ટ
એક નક્શીકામ કરવું જોઈએ,
આંસુમાં અક્ષરથી તરવું જોઈએ.
બાગમાં ફૂલોની ગોષ્ઠિ માણવા,
વાયરાની જેમ ફરવું જોઈએ.
ભાવનાથી મેં સજાવ્યું પાત્ર આ,
ધ્રૂજતા હાથે જ ધરવું જોઈએ.
હું સહજતાને જો પામું તો પછી,
નાવ થઈ જળમાં ઊતરવું જોઈએ.
જાણવું છે આપને મૃત્યુ વિશે ?
તો પછી જાતે જ મરવું જોઈએ.
– સંધ્યા ભટ્ટ
વિચારોની સુંદરતા… ભાષાની સહજતા… ભાવની ઉત્કૃષ્ટતા… બીજું શું જોઈએ એક સ-રસ ગઝલ માટે ?
Permalink
August 7, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.
મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?
મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.
બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.
ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.
– ગૌરાંગ ઠાકર
પાંચ શેર. પાંચે-પાંચ ઉત્તમ. જીર્ણોદ્ધારવાળો શેર સહેજ ખોલી શકાય તો શ્રેષ્ઠ છે. ‘ગૂગલ’ શબ્દ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે તો આપણી કવિતામાં ક્યારનો આવી ગયો પણ કવિ ગૂગલનું ‘ગૂગલતા’ કરીને શબ્દને કદાચ પહેલવહેલીવાર ગુજરાતીતા બક્ષે છે. એક નજર છેલ્લા શેર પર પણ. ગઝલના આખરી શેરમાં કવિ પોતાનું નામ અથવા તખલ્લુસ લખે તો એને મક્તા કહે છે. ગઝલના આખરી શેરમાં પોતાનું નામ લખવાનો મોહ ત્યાગી ન શકનાર કવિને ત્યાગની વાતો કરવા પર કવિ કેવી અદ્દલ હુરતી મિજાજમાં ચીમકી આપે છે !
Permalink
August 1, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
પવન લઈને આવ્યો સમાચાર કેવા ?
અને થઈ ગયા વૃક્ષ બીમાર કેવા ?
ઉઠાવ્યા છે તેં પણ ઝૂકી હું ગયો છું,
છે તારા સવાલો વજનદાર કેવા ?
હું મંદિર ગયો છું ફકત દેખવા કે,
નિરાકારના હોય આકાર કેવા ?
ન ઊડી શકાયું ગગનમાં કોઈથી,
આ વળગી ગયા સૌને ઘરબાર કેવા ?
મને એટલે એ ગુનેગાર લાગ્યો,
ખુલાસા કરે છે લગાતાર કેવા ?
ઘણી ભીડ વચ્ચેય રસ્તો કરે છે,
તમારા ઈશારા છે વગદાર કેવા ?
મૂકો ક્યાંક છુટ્ટા જો અંધાર પાછળ,
તો થઈ જાય દીવાઓ ખૂંખાર કેવા ?
ઘણાં વર્ષથી રાતપાળી કરે છે,
હૃદયને રજા શું ? રવિવાર કેવા ?
– ભાવિન ગોપાણી
વજનદાર સવાલોની વજનદાર રજૂઆત…
Permalink
July 28, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
– ભગવતીકુમાર શર્મા
Permalink
July 26, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે
રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા
‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, ‘કુમળો એક… અંતરાત્મા રાખું કે?’
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, ‘રાખને દસ-બાર…’ જેવી વાત છે
વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?
કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
પંચતંત્રની છ વાર્તાઓ ગઝલના છ શેરમાં ગૂંથીને કવિ લઈ આવ્યા છે. એ બધી વાર્તાઓને આજના પરિપ્રેક્ષ્યમાં મૂકીને કવિ અખાની જેમ ચાબખાવેધ સાધી શક્યા છે…
Permalink
July 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા

*
તારા હોઠે જે અજબ મુસ્કાન છે,
મારા માટે એ જ તો ભયસ્થાન છે.
આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.
જેઓ તારા નામની રચના કરે.
એ બધા અક્ષર ખરા ધનવાન છે.
ઓરડો ભરચક છે તારી યાદથી,
એ જ મારો કિંમતી સામાન છે.
પ્રેમથી તું ના નિહાળે કોઈને,
એમાં તો તારું ફકત નુકસાન છે.
સાવ છેલ્લી પંક્તિમાં બેસું ભલે,
કેટલાંના દિલમાં મારું સ્થાન છે.
– રાકેશ હાંસલિયા
લયસ્તરો તરફથી કવિશ્રીને એમના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ….
Permalink
July 19, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેઘજી ખટાઉ ડોડેયા 'મેઘબિન્દુ', મેઘબિન્દુ
એમનું ધાર્યું થશે તો શું થશે
જિંદગીના શ્વાસ પૂરા થઈ જશે
હા, નથી, સંબંધનો એ માનવી
જાણ છે બસ એટલી એના વિશે
છૂટવું મુશ્કેલ છે સંબંધથી
લાગણીનાં કેટલાં બંધન હશે
મૌન એનું જીરવી શકતો નથી
એ છતાં બોલે નહીં એ શું હશે
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે
– મેઘબિંદુ
સરળ ભાષા અને સીધી વાત…
Permalink
July 18, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ગોહિલ 'મર્મર'
વાત કેવળ ઝાડવું ઉજેરવાની છે,
હા, પછી તો ડાળ ટૌકા વેરવાની છે.
લાવ, ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,
ફક્ત પ્રસંગ પૂરતી એ પ્હેરવાની છે !
તાર તો ઔરંગઝેબી જીવ છે પાક્કો,
જે કલા છે એ તો કેવળ ટેરવાની છે.
સાબદા સૌ થાવ સપનાં વીણવા માટે,
રાત એની પાંખને ખંખેરવાની છે.
સ્હેજ અડક્યાનો થયો આરોપ, તેથી તો –
ફૂલની સુગંધ વાને ઘેરવાની છે.
પોતપોતાના ઘરોમાં બંધ રે’જો સૌ,
એક ઇચ્છા શ્વાસને ઉશ્કેરવાની છે.
– હેમંત ગોહિલ ‘મર્મર’
એક-એક શેર ટકોરાબંધ. कर्मण्येवाधिकारस्तेની વાત કવિએ કેવી સરસ રીતે મત્લાના શેરમાં ઝાડ અને ટહુકાના પરિપ્રેક્ષ્યમાં કહી છે ! બધા જ શેર સુંદર છે પણ મને ફૂલની સુગંધ હવાનો ઘેરાવ કરવાની છે એ વાત સવિશેષ ગમી ગઈ….
Permalink
July 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
ઝાડવું ને સ્ટ્રીટલાઇટ પાસપાસે છે
જોઈએ કે કોને કોનો ચેપ લાગે છે
વાદળા આકાશમાં વ્યાપેલ ખેતર છે
કોઈ એને ખેડીને પાણી ઉગાડે છે
બારી પાસે જો નથી કાતર તો શેનાથી
એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે
વ્હેતા પડછાયામાં નાહી લો ધરાઈને
સારું છે તમને નદીનું સપનું આવે છે
બારણા પાસે બધા દૃશ્યો થયાં ભેગાં
જલ્દી અંદર ઘૂસવા સૌ ધક્કા મારે છે
એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ
ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે
હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે
– કુલદીપ કારિયા
આજની ગઝલનો એક અલાયદો અવાજ… કુલદીપ કારિયા… સાવ નવા નક્કોર કલ્પન અને અનૂઠા શબ્દચિત્રો… ફેસબુક તો ગુજરાતી ગઝલમાં ઘણીવાર જોવા મળે છે પણ એફબી શબ્દ તો કદાચ પ્રથમવાર જ પ્રયોજાયો હશે… બધા શેર મજાના પણ છેલ્લો શેર… દૂધમાં મેળવન નાંખીએ ને દહી જામતું જાય્વાળી વાત હૂંફ અને ઊંઘમા પરિપ્રેક્ષ્યમાં કમાલ કરીને કવિ દિલ જીતી લે છે…
Permalink
July 8, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
દરિયાની ભીડમાં અને મોજાંની ભીડમાં;
મોતી મને મળ્યાં નહીં છીપલાંની ભીડમાં.
ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
તમને ભૂલી ગયો છું હું ઈચ્છાની ભીડમાં.
પકડીને મારી આંગળી હું નીકળ્યો હતો;
ખોવાઈ ખુદ ગયો છું તમાશાની ભીડમાં.
શોધી રહ્યો છું શબ્દ અનાઘ્રાત પુષ્પ શો;
લાધ્યો નથી મને એ કુહાડાની ભીડમાં.
વૈશાખની બપોરે ઉઘાડાં ચરણ લઈ;
જોયા ન છાંયડાઓ મેં રસ્તાની ભીડમાં.
પહોંચી શક્યો ન વાવના તળિયા સુધી કદી;
અટવાઈ હું ગયો છું પગથિયાંની ભીડમાં.
મારી પ્રતીક્ષા ધૂંધળી પડશે નહીં કદી;
કેડી નહીં કળાય ઝરૂખાની ભીડમાં.
-ભગવતીકુમાર શર્મા
પહેલો અને છઠ્ઠો શેર એકસમાન જ નથી લાગતા ??
આખી ગઝલ સશક્ત છે. તમામ શેરમાં એક મધ્યવર્તી વિચાર પ્રવર્તે છે. તમામ distractions ને જ્યાં સુધી તિલાંજલિ નહીં અપાય ત્યાં સુધી મોતી મળવાનું નથી.
Permalink
July 7, 2014 at 2:01 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી
ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી
કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’
દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી
ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?
-હરીન્દ્ર દવે
તદ્દન નોખી ભાતની ગઝલ…… જાણે કવિ સ્વગત બોલતા હોય તેવું લાગે છે. વેદના ઘેરી છે….છેલ્લા બે શેરમાં સૂર બદલાય છે. બે ઘડી વિચારમાં પાડી દે છે છેલ્લા બંને શેર…..
Permalink
July 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, ગઝલ
(શિખરણી-ગઝલ)
સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કે
રહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે;
કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;
અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;
કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?
અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?
છૂટાં તત્ત્વો ભેગાં કરી જ બનું છું એકમ, છતાં
વિભાજ્યા અંશે શી અણુ અણુ અખિલાઈ ઝબૂકે !
તૂટ્યો, કિન્તુ છૂટ્ટા કણ કણ મહી દર્દ દૂઝતું
અખિલાઈનું, તે ઉશનસ્, કરી રુઝાય ખરું કે ?
– ઉશનસ્
ગઈકાલે ઉશનસ્ ની ગઝલકવિ તરીકેની મર્યાદાઓ વિશે વાત કરી. પણ ઊંચા ગજાનો કવિ તો કોઈપણ સ્વરૂપે ઊંચા ગજાનો જ રહેવાનો… કવિના પ્રિય છંદ શિખરિણીમાં કવિની આ ગઝલ આજે માણીએ. ગઝલનું પ્રાણતત્ત્વ વિરોધાભાસ છે. કવિ શીર્ષકમાં જ અખિલાઈ અને વિભાજનને juxtapose કરીને ચમકારો બતાવે છે. ગઝલના અર્થઘટનમાં ન પડતાં હું તો બહિર્રંગની જ વાત કરીશ. સંસ્કૃત વૃત્તોના સ્વામી અહીં હમરદીફ-હમકાફિયા ગઝલ લઈને આવ્યા છે અને પડ્યું પત્તું નખશિખ નિભાવી પણ બતાવે છે. મૂકે, ઝૂકે, ઝબૂકે જેવા કાફિયા તો કોઈપણ ગઝલકાર વાપરી શકે પણ હમરદીફ-હમકાફિયા ગઝલમાં અચૂક પરથી અચૂકે અને ખરું કે કાફિયા વાપરીને કવિ પોતાનું કવિત્વ સિદ્ધ કરે છે.
Permalink
July 4, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, ગઝલ
તારું બધું સરસ, તો સરસને જ પી ગયો,
સુધા-સુરા, પૂછ્યું ન, કળશને જ પી ગયો;
રણની તરસને માપવા સહરા સુધી ગયો,
પણ ઝાંઝવાં મળ્યાં, તો તરસને જ પી ગયો;
મારે નસીબ જામ તો મયનો હતો જ ક્યાં ?
તેં આપિયો જે સ્પર્શ, પરસને જ પી ગયો.
તું, દર્દ ને તેની દવા, બધુંય એકમેક,
પણ ચડસ તારો, તો ચડસને જ પી ગયો;
તેં વળી ક્યારે પૂરો તવ દાખવ્યો ચ્હેરો ?
એક વીજ ઝબકી તો દરસને જ પી ગયો;
તું અને આ જામ મારે નામ ક્યાં જુદાં ?
અંજામ એ કે, જામ ઉશનસ્ ને જ પી ગયો !
– ઉશનસ્
ગઝલ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી અને ઝડપભેર લોકપ્રિય થવા માંડી ત્યારે ભલભલા સાહિત્યસ્વામીઓએ નાક ચડાવીને ખુલ્લેઆમ ગઝલને ઊતારી પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ ગઝલનો જાદુ જ એવો હતો કે સિદ્ધહસ્ત કવિઓ પર પણ ગઝલની લોકપ્રિયતાની ભૂરકી કંઈ એવી ઊડી કે ઉશનસ્ જેવા સૉનેટ-સ્વામીએ “ગઝલની ગલીમાં” નામનો આખો સંગ્રહ આપ્યો. તકલીફ એ કે ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે આખા સંગ્રહમાંથી ગઝલ કહી શકાય એવી કોઈ રચના શોધવી હોય તો પારાવાર મુશ્કેલી પડે છે. ઘણી બધી ગઝલો એમણે એમના પ્રિય શિખરિણી છંદમાં અને અન્ય સંસ્કૃત વૃત્તોમાં લખી છે અને દરેક રચના સાથે એમણે છંદ નિર્દેશ્યો છે. પણ બાકીની તમામ રચનાઓના મથાળે એમણે રચનાના શીર્ષકની નીચેની લીટીમાં છંદના નામની જગ્યાએ “ગઝલ” લખ્યું છે… કવિ શું ગઝલને છંદનું નામ ગણતા હશે? આખું પુસ્તક જ ગઝલસંગ્રહ નથી?
ગઝલનો છંદ નખશિખ જળવાયો હોય એવી રચનાઓ અપવાદરૂપ પણ અહીં જડતી નથી. મતલબ સંસ્કૃત વૃત્તોને પચાવી ગયેલા કવિને ફારસી છંદ પચ્યા નથી. કાફિયા-રદીફ પણ મોટાભાગની રચનામાં જળવાયા નથી.
આ ગઝલમાં પણ પ્રથમ ત્રણ શેર સુધી છંદ બરોબર જળવાયા પછીના શેરોમાં છંદ કડાકાભેર તૂટી પડે છે. ગયો રદીફ કવિ બીજા શેરમાં પણ ઉલા મિસરામાં કાફિયા વગર પ્રયોજે છે જે કઠે છે. એક જ મિસરામાં સ્પર્શ અને એનું જ અપભ્રંશ સ્વરૂપ ‘પરસ’ અડખે-પડખે માત્ર છંદ સાચવવા કવિ પ્રયોજે છે જે પ્રશ્નો ઊભા કરે છે. જો કે આ રચનામાં ગઝલના શેર શેરિયતની જમીન પર મજબૂતીથી ઊભા રહી શક્યા છે એ પ્રસન્નતા !
Permalink
June 28, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
શરીરાઈને ગહન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદ ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પ્હેલાં !
કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પ્હેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પ્હેલાં !
ખુશબૂ ખુશબૂ ઇજન કરી લઉં પરથમ પ્હેલાં !
કળી કળી પર લિખન કરી લઉં પરથમ પ્હેલાં !
એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં…
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી આળખું પાંખડીઓ પર ટશર સખીની…
પતંગિયાનું સ્તવન કરી લઉં પરથમ પ્હેલાં !
ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની…
સવ્વાવ્હાલથી શુકન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી અખા સોનીની એ ડેલી રણકાવું…
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી લઉં…
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પ્હેલાં !
– લલિત ત્રિવેદી
ગઝલ વિશેની ગઝલો તો આપણે અવારનવાર વાંચતા જ રહીએ છીએ પણ આ ગઝલ પર આંગળી મૂકતાવેંત સમજી જવાય કે આ જરા ‘હટ કે’ ગઝલ છે. જાતને ઊંડી કરીને શબ્દનું સ્મરણ (ગણેશની જેમ) કરીને કવિ ગઝલ કરવાની વાત આદરે છે. સખીવાળો શેર વાંચીએ તો એમ લાગે કે આખી ગઝલના બધા શેર ગઝલ વિશેના છે એમાં આ આગંતુક શેર ક્યાંથી આવી ચડ્યો? પણ તરત યાદ આવે કે ગઝલની તો વ્યાખ્યામાં જ પ્રિયતમા-સખી સામેલ છે. અને અંતે હલ્દીઘાટીના યુદ્ધ પરથી કવિ સબદીઘાટી શબ્દ ‘કોઇન’ કરીને કવિ કમાલ કરે છે અને પોતાના ‘હું’નું હનન કરવા માટે પોતાના નામ લલિત પરથી કવિ ‘લલિતાસુર’ સર્જે છે એ ગઝલની પરાકાષ્ઠા છે.
Permalink
June 27, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
અશ્રુઓના ડાઘને જોતો રહ્યો,
હું ઠરેલી આગને જોતો રહ્યો.
વ્યર્થ હો બાકી બધું નિહાળવું,
એવી રીતે આભને જોતો રહ્યો !
આપવાની હો તું ગુલદસ્તો મને,
એમ તારા હાથને જોતો રહ્યો.
ધૂળિયો મારગ મને રોકી ન લે,
દૂરથી બસ ગામને જોતો રહ્યો.
જાણે લાગી હોય મારી ભીતરે,
એવી રીતે આગને જોતો રહ્યો.
ઊતરીને આવવાની હોય તું,
એમ અપલક ચાંદને જોતો રહ્યો !
મ્હેંકતા શબ્દો હતા સામે ઘણાં,
હું તો તારા નામને જોતો રહ્યો !
કોઈનીયે સ્હેજ પણ પરવા વગર,
આજ તારા ભાલને જોતો રહ્યો.
– રાકેશ હાંસલિયા
મનનીય રચના…
Permalink
June 26, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનિફ રાજા
છે અત્ર-તત્ર મિત્ર, પ્રણયનાં જ ચિત્ર જો,
ઋતુ જ જાણે થઈ ગઈ છે પ્રેમપત્ર જો !
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પ્હેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
જાજમ છે લીલાં ઘાસની રસ્તે વસંતનાં,
માથે ધરે છે વહાલથી કેસૂડાં છત્ર જો.
નેત્રોય સૂર્ય-ચંદ્રનાં વિસ્મિત છે આભમાં,
પાલવ વસુંધરાનો ચૂમે છે નક્ષત્ર જો.
કેવી રીતે જિતાય છે હૈયાની સલ્તનત,
હુમલો કરે છે કઈ રીતે નયણોનાં શસ્ત્ર જો !
ભજવે છે પવન પાત્ર અહીં મેઘદૂતનું,
પુષ્પો લખી સુગંધની લિપિમાં પત્ર જો.
સર્વત્ર છે વસંતનાં ઉત્સવની ઉજવણી,
ઉલ્લાસનું, ઉમંગનું બેઠું છે સત્ર જો.
મારી ગઝલ વસંતનો પમરાટ છે ‘હનિફ’,
અસ્તિત્વ મારું થઈ ગયું છે ઈત્ર-ઈત્ર જો.
– હનિફ રાજા
મજાની ગઝલ… પવન ખુશબૂના કપડાં પહેરીને મ્હાલતો હોય એ કારણે હવામાં જાણે હજારો ગુલાબ વિખરાયેલાં ન હોય એ ચિત્ર તો અદભુત થયું છે. જો કે “નક્ષત્ર” કાફિયામાં કવિ છંદ ચૂકી ગયા છે એ ન ગમ્યું.
Permalink
June 23, 2014 at 9:21 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !
પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !
આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !
એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !
પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !
વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !
– ગૌરાંગ ઠાકર
Permalink
June 20, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.
વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.
હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.
ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.
પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.
આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.
– સ્નેહી પરમાર
કેવા અદભુત કલ્પન અને કેવી મજાની ગઝલ…
Permalink
June 19, 2014 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર
અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર
છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર
મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે
પડછાયા ઓતપ્રોત છે કોના દીવાલ પર
– આદિલ મન્સૂરી
આદિલ મન્સૂરીના ગઝલસંગ્રહ “ગઝલના આયનાઘરમાં” ટૂંકી ગઝલ શોધવી હોય તો શ્વાસ ચડી જાય એ રીતની લાંબી ગઝલો વચ્ચે એક આ ગઝલ મળી આવી. ‘રે મઠ’ના અગ્રણી પ્રણેતા જનાબ આદિલની આ ગઝલ મનહર મોદીની ગઝલોની જેમ થોડી એબ્સર્ડ પણ લાગે. ગઝલમાં વપરાયેલા પ્રતીકો પણ મગજને ચકરાવે ચડાવી દે એવા લાગે. પણ ગઝલમાંથી પસાર થઈએ તો સરવાળે ગઝલનો મિજાજ આપણને સ્પર્શી જાય છે. સમજી ન શકાય એવી મજા આવે છે અને એ જ આ ગઝલની મજા છે.
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર – ધ્યાન રહે, અહીં ધોળું વિશેષણ બળદ માટે નહીં, ખોપરી માટે છે. ધોળી ખોપરી અને કાળી દીવાલ શું મનુષ્યનો ચહેરો અને વાળ સૂચવે છે? એ સંદર્ભમાં બળદ એ ઘાણી ફરતે નિર્હેતુક ચક્કર કાપતો દેખાય અને આપણે આ ભવાટવિમાં ચોર્યાસી લાખ ફેરા કરતાં હોઈએ એવું અભિપ્રેત થાય. કાળી દીવાલ એ મૃત્યુનું પણ ઇંગિત હોઈ શકે.
આ રીતે એક પછી એક બધી પંક્તિઓ ઉકેલી શકાય અથવા આ ગઝલ સાવ બકવાસ છે એમ કહીને હાથ પણ ખંખેરી નાંખી શકાય…
Permalink
June 16, 2014 at 3:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કોણ અહીંયાં સત્યવકતા હોય છે,
બોલવું પોતે જ મિથ્યા હોય છે.
એ ખરું કે શબ્દ ખોટા હોય છે,
વાત જેની કહું છું સાચા હોય છે.
માર્ગ ખુદ ખોવાય જેની રાહમાં
કૈં સગડ સપનામાં મળતા હોય છે.
સ્વપ્ન પાછળ દોટ મૂકી ક્યાં જવું,
સ્વપ્ન સરનામાં વિનાનાં હોય છે.
એક ઘર મનમાંથી ખાલી થાય….ને,
શ્હેર આખું સૂનકારા હોય છે.
શૂન્યતા ક્યાં વારતાનો અંત છે,
શૂન્યનો પણ કોઈ દ્રષ્ટા હોય છે.
-જવાહર બક્ષી
છેલ્લેથી બીજા શેરમાં ‘ સૂનકારા ‘ શબ્દ કઠ્યો.
મત્લા અને મક્તા ઉપર વારી ગયો…..
Permalink
June 14, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે
છો ને એ હોઠ નામની સંસ્થાને માન્ય છે
અક્ષર તો આંગળીનો અમસ્તો જ તર્ક છે
કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે
– મુકુલ ચોક્સી
માત્ર ત્રણ જ શેરની ગઝલ. એમાં પણ બે કાફિયા તો એકના એક. ને તો પણ ગઝલની ફ્લેવર એવી કે એકવાર માણો તો કાયમ માટે જીભે સ્વાદ રહી જાય. પહેલા શેરમાં કરાયેલી માણસની વ્યાખ્યા અને આખરી શેરનો ઇંતેજાર તો અદભુત છે !!!
Permalink
June 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં
ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં
હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં
એ તો સાક્ષાત્ સમય છે પોતે
મારી એકાંતની ક્ષણ લૈ જાઉં
જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં
– આદિલ મન્સૂરી
આખી ગઝલ મજબૂત પણ હું તો પહેલા શેરનો જ આશિક બની ગયો… યાદોના હરણ જાણે કે આખું રણ… અસીમ…. અનંત… ધગધગતું… બળઝળતું… સૂક્કુંભઠ્ઠ… આભાસથી ભરપૂર… અને આ બધું પોતાની જ પીઠ પર વેંઢારવાનું… વાહ કવિ!
Permalink
June 8, 2014 at 1:16 AM by તીર્થેશ · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.
જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.
દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.
બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.
જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !
યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.
સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !
– આબિદ ભટ્ટ
‘readgujrati.com’ ના સંચાલક શ્રી મૃગેશભાઈને શોકાંજલિ સમાન આ ગઝલ તેઓની વેબસાઈટ ઉપરથી સાભાર…..
પ્રથમ શેર…………………
Permalink
June 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે
એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે
હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !
ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે
– શોભિત દેસાઈ
કહતે હૈં કિ શોભિત કા હૈ અંદાઝ-એ-બયાઁ ઓર….
Permalink
June 1, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.
પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.
મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.
આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.
કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.
સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.
મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
– ખલીલ ધનતેજવી
સાંગોપાંગ મજબૂત ગઝલ……..માત્ર ખુમારી નથી પણ દર્શન સાથેની ખુમારી છે…….
Permalink
May 25, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…
બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…
ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…
બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…
રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
-બરકત વિરાણી ‘બેફામ’
Permalink
May 22, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ શ્રીમાળી
ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?
ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.
રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.
ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !
– દિલીપ શ્રીમાળી
ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !
એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !
Permalink
May 19, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
-શૂન્ય પાલનપુરી
આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….
Permalink
May 18, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી
વાતમાં ખુમારી છે પરંતુ………..
Permalink
May 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે
– ઉદયન ઠક્કર
સાયન્ટિફિક ગઝલ એમ કહીને સંબોધવાનું મન થાય એવી ગઝલ… પહેલા શેરમાં બાયોલોજી… બીજામાં ઝૂલોજી… ત્રીજા-ચોથામાં ફિઝિક્સ… છેલ્લા શેરમાં વિજ્ઞાનની કોઈ શાખા ભલે નથી, પણ ફેફસાં તો આવી જ ગયા…
જો કે આવું કશું ન વિચારો તો પણ આ ગઝલ સાવ અનૂઠી ફ્લૅવરવાળી અને વારંવાર વાગોળવાનું (બાયોલોજી!) મન થાય એવી છે !
Permalink
May 15, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
આ ધરા એક ગ્રંથ આલિશાન છે,
તમને લખવા-વાંચવાનું જ્ઞાન છે ?
ઈસવીસન પૂર્વેથી ચાલી આવતો,
કોનો મારા શીશ પર અહેસાન છે ?
કાષ્ઠની તલવાર જેવો દેહ છે,
ને જગત તો એક રણમેદાન છે.
છોકરો બગડી ગયો’તો સાવ જે,
એનું તો જાહેરમાં સન્માન છે.
જ્યાં વિચારોને પૂરી રાખી શકો,
એવું કોઈ ખાસ આંદામાન છે ?
– હેમેન શાહ
સન્માનવાળા શેરને બાદ કરીએ તો આખેઆખી ગઝલ અફલાતૂન. બધા જ શેર બે ઘડી વિચાર માંગી લે એવા અને સ્મરણમાં લાંબો સમય ઘુમરાયા કરે એવા. પણ આંદામાનની સેલ્યુલર જેલ અને કાળા પાણીની યાદ અપાવતો આખરી શેર તો શિરમોર છે…
Permalink
May 11, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
अक्स आईने में आकर भी न आया हुआ है
सबने अपने में कहीं खुद को छुपाया हुआ है
जिंदगी तो कभी आई ही नहीं पर हमने
कब से जीने का ये इल्ज़ाम उठाया हुआ है
दिल के जलने की खबर दुनिया को लगने हि न दी
राख के नीचे धुँआ हमने दबाया हुआ है
कब ख़ज़ाना ये लुटाया है किसी ने ह्म पर
अपनी आँखों का हर इक मोती कमाया हुआ है
थरथराती ही रहेगी मेरी लौ बुज़ने तक
वो दिया हूँ जो हवाओं का सताया हुआ है
नाशनासाई का क्या ज़िक्र शनासाओं की [ नाशनासाई = अपरिचय , शनासा = परिचित ]
अब तो बेगाना यहाँ अपना हि साया हुआ है
खूब वाक़िफ़ है हकीक़त से तेरी सोहरत की
हमने भी थोड़ा-बहुत नाम कमाया हुआ है
रोज़ ही ताज़ा सुखन होता है नाज़िल हम पर [ नाज़िल = अवतार ]
रोज़ ही ताज़ा सितम वक़्त न ढाया हुआ है
– राजेश रेड्डी
આજે નાવીન્યને ખાતર એક હિન્દી ગઝલ…. આમ તો સરળ ગઝલ છે. છેલ્લેથી બીજો શેર જરા નબળો લાગ્યો,બાકી બધા ગમ્યા.
Permalink
May 10, 2014 at 2:10 AM by વિવેક · Filed under આદિત્ય જામનગરી, ગઝલ
એની સાથે ન ખેલ, ચીસો છે,
મૌન ઘરડી થયેલ ચીસો છે.
ગાલ પરની ભીનાશને વાંચો,
પાંપણોએ લખેલ ચીસો છે.
વૃક્ષ પરથી ખરેલ પર્ણો સૌ,
મૂળમાંથી ઊઠેલ ચીસો છે.
માણસો પ્રાર્થના કહે જેને,
એ પ્રભુને ધરેલ ચીસો છે.
સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
છાતીમાંથી છૂટેલ ચીસો છે.
– આદિત્ય જામનગરી
આદિત્ય આમ તો મારો મિત્ર છે. પણ એની રચનાઓનો વિગતે કદી પરિચય થયો જ નહોતો. આજે આ ગઝલ વાંચી અને હું આજીવન એનો ‘ફૅન’ બની ગયો… નાની બહેરના પાંચ જ શેરમાં કેવી અદભુત કમાલ !
મૌન એટલે ઘરડી થઈ ગયેલી ચીસો, ગાલ પરના આંસુની ભીનાશ એ પાંપણોના ચિત્કાર – આ કવિ કેવો જાદુ કરે છે !
Permalink
May 9, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.
હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.
એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.
કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.
ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.
– હર્ષવી પટેલ
તદ્દન અલગ જ મિજાજની ગઝલ પણ વાંચતાવેંત મનમાં ઘર કરી જાય એવી. એક-એક શેર ખરા સોના જેવા. ‘કાન્ત’ અને ‘ભ્રાન્ત’ જેવા કાફિયાવાળો મત્લાનો શેર અને વાનરોને ચાક્ષુષ કરી આપતો ‘ઉત્ક્રાંત’ કાફિયાવાળો શેર તો ચિરસ્મરણીય થયા છે.
Permalink
May 5, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under કિસન સોસા, ગઝલ
ધૂપથી નીકળ્યો, અને હું ધૂપમાં ઊતરી ગયો,
તો ય મુજ પડછાયો કેવા છાંયડા ચીતરી ગયો !
પૂર્વાજન્માશ્રમ મહીં હોઈશ હું ગુલમહોર તે,
આ ભવે પણ જો, સહજ ભાવે, સૂરજ ઝીલી ગયો.
એ નદી સૈકા પછી થઈ શહેર વચ્ચેથી પસાર
ને રૂપાંતર પામતો હું પથ્થરે અટકી ગયો.
અંધકારે રહીને પણ આપી છે મુજ ઓળખ અલગ,
ફૂલ બેલાનું થઈ પધરાવમાં મ્હેકી ગયો.
એ પ્રતિમા પર ઝીણેરો પડદો ઝલમલતો હતો ,
કોઈને હાથે અચાનક આજ લો , સરકી ગયો.
રાતને ત્રીજે પ્રહર જાગી ઊઠી છે આ ગઝલ,
શું કરું, તું સાંભરી ને હું મને સ્ફૂરી ગયો.
– કિસન સોસા
ચોથો શેર બહુ ન ગમ્યો, બાકી બધાં જ સુંદર છે.
Permalink
May 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં
બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં
એના બાહુપાશમાંથી ના છૂટ્યા
પ્રેમમાં કેવા ફસાઈને મર્યાં
ક્યાંક વાદળમાંથી વરસે છે ફરી
જળ જે અહીંયાથી સુકાઈને મર્યાં
કોઈ ખાલી પેટે જીવતું હોય છે
ને અમે તો બહુ ધરાઈને મર્યાં
ઝાંઝવા પાછળ તમે દોડ્યા કર્યા
ને અમે એમાં તણાઈને મર્યાં
– ભરત વિંઝુડા
આમ તો આ ગઝલ વાત કરે છે મરવાની પણ છે વાંચતા જ જીવી જવાનું મન થાય એવી…
સૂર્યના તાપથી બાષ્પીભૂત થઈ વાદળમાં ઘનીભૂત થઈ ક્યાંક બીજી જ જગ્યા પર જઈ વરસી પડતા જળનું કલ્પન એવું તો ગમી ગયું કે હું આગળ જ વધી શકતો નથી….
Permalink
April 28, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૌમ્ય જોશી
આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.
બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.
ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.
ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.
આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?
– સૌમ્ય જોશી
Permalink
April 26, 2014 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
અરે હાલ મારા તો એવા થયા છે
પરાયા પૂછે છે કે છે કે ગયા છે?
હતી સાયબી કંઈ અમારી નવાબી
હવે યાદના થોડા સિક્કા બચ્યા છે
વમળમાં હતી જોકે કશ્તિ છતાંયે
ડૂબી કે તરી કંઈયે વાવડ મળ્યા છે?
સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?
ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
અમે શબ્દને એટલે તો પૂજ્યા છે
ધરા જેમ કાયમ જે અહીંયાં તપ્યા છે
ગગનને નીચે એ ઊતારી શક્યા છે
– ભરત ત્રિવેદી
એક મજાની ગઝલ… બધા જ શેર મનનીય…
Permalink
Page 25 of 50« First«...242526...»Last »