પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
July 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.
થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.
ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.
એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.
રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.
-રાજેશ પંડ્યા
ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…
એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…
Permalink
July 13, 2009 at 6:00 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આકાશ
હજીય વાદળી છે.
વૃક્ષો
હજીય લીલાં છે.
પંખી
હજીય ઊડે છે.
નદી
હજીય ભીંજવે છે.
માણસ
હજીય રડે છે.
અહીં
હજીય જીવી શકાશે.
– રાજેશ પંડ્યા
માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…
Permalink
July 12, 2009 at 10:46 PM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી
એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી
ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી
કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”
જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી
– કવિ રાવલ
આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…
Permalink
July 11, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
– સિતાંશુ યશશ્ચન્દ્ર
(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)
મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’ અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !
અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે. જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય. એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.
આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?
આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….
Permalink
July 10, 2009 at 12:45 AM by વિવેક · Filed under લોકગીત
દુહો કે દોહરો પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. દુહો એ એક જાતનો છંદ છે અને સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ છંદને જે અગત્યતા અપાઈ છે કે પ્રાકૃત સાહિત્યમાં ગાથાનું જે મહત્ત્વ છે એવું જ આગવું અને ગરવું સ્થાન મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્યમાં દુહાનું છે. દુહામાં લોકગીતની જેમ જ જિંદગીના અલગ-અલગ પાસાંઓ આવરી લેવાય છે પણ અહીં ચિંતનાત્મક અને ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ હૃદ્ય બને છે. દુહા ચોટદાર અને માર્મિક હોવાથી એ વધુ આસ્વાદ્ય પણ બને છે. સોરઠના ચારણોએ દુહાની સૌથી વધુ એકનિષ્ઠ ભક્તિ કરી છે…
આભ ઉકેલે ભોં ભખે, વેધનકો હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહો દસમો વેદ.
દુહાને દસમો વેદ કહ્યો છે કેમકે એ અગોચરને પણ ગોચર બનાવી શકે છે. જ્યાં લોકગીતમાં લંબાણના કારણે કાવ્યભાવ પાતળો થઈ જવાની ભીતી રહે છે ત્યાં દુહો એ ગાગરમાં સાગર સમો છે. કવિ મકરન્દ દવે એને દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થમાં ઘટાવે છે.
દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?
દસમા વેદ સમા દુહાને તો સમજદાર જ પામી શકે છે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. પ્રસુતિની વેદના વાંઝણી સ્ત્રી શી રીતે સમજી શકે ?
લેતાં ફળ જન વૃક્ષથી, કડવાં પાન ત્યજંત;
ત્હોય મહાદ્રુમ સુજનશાં તેને અંક ધરંત. (દ્રુમ=વૃક્ષ, અંક= ખોળો)
લોકો વૃક્ષ પરથી ફળ તોડે છે પણ પાન ત્યાગે છે છતાં વૃક્ષ એને પોતાનો ખોળો આપે છે.
શો ગુણ સુત જન્મ્યા થકી, મૃતથી અવગુણ થાય ?
જો બાપીકી ભોમકા અવર થકી ચંપાય ! (સુત=પુત્ર, અવર = બીજા)
બાપદાદાની ભૂમિ કોઈ બહારનો આવીને રોળવાનો હોય તો એવા કપૂત જેવા દીકરા જન્મવાનો શું ફાયદો? એના કરતાં તો મરેલો સારો કે મરેલા દીકરાથી અવગુણ તો ન થાય.
કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ;
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.
કુળદીપક થવું કપરું છે, તેથીય વધું આકરું છે દેશના પ્રકાશ બનવું પણ જગ આખાને અજવાળે એવો તો કોઈક અલભ્ય જ હોય છે !
સિંદોર ચડાવે સગાં, દીવાં ને નાળિયેર દોય,
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા.
– આ વિલાપનો દુહો છે એને મરસિયા કે તુંવેરીના દુહા પણ કહેવાય છે. લોડણ એટલે ખીમરા નામના એક પ્રેમીનું પ્રેમપાત્ર. કાઠિયાવાડમાં લોડણ ખીમરાના દુહા સારા પ્રમાણમાં ગવાય છે.
ચાયે ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો ?
– દુહામાં માત્ર વીરરસ કે શૃંગારરસની જ વાત નથી આવતી. જે કવિતા સમયની સાથે સામયિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરવાનું ચૂકે એ કવિતા નથી. દુહામાં ચા-બીડી જેવા વ્યસનો પણ સમય સાથે સાંકલી લેવાયા છે. બીડી ઉપર એક બીજો દુહો-
બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં મરદ મૂછાળી જાતને.
અને છેલ્લે કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-
કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા. (સરગ=-સ્વર્ગ)
(… આ સાથે પર્વ ૧૫૦૦ની ઉજવણી નિમિત્તે આદરેલ લોકગીત-વિશેષની યાત્રા અહીં અટકાવીએ છીએ… )
Permalink
July 10, 2009 at 12:30 AM by વિવેક · Filed under લોકગીત
લીલી લીલી ઈંઢોણી હીરની રે,
મને પાણી ભર્યાની ઘણી હોંશ રે;
લીલી ઈંઢોણી હીરની રે.
સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે,
મને લાજ કાઢ્યાની ઘણી હોંશ રે. – લીલીo
સાંકડી શેરીમાં જેઠજી સામા મળ્યા રે,
મને ઝીણું બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo
સાંકડી શેરીમાં જેઠાણી સામા મળ્યા રે,
મને ઠેકડી કર્યાની ઘણી હોંશ રે. – લીલીo
સાંકડી શેરીમાં દેરજી સામા મળ્યા રે,
મને હસ્યા-બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo
સાંકડી શેરીમાં નણદી સામા મળ્યા રે,
મને માથું ગૂંથ્યાની ઘણી હોંશ રે. – લીલીo
સાંકડી શેરીમાં વાલમ સામા મળ્યા રે,
મને મોઢું મલકાવ્યાની હોંશ રે. – લીલીo
સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે. પણ જેમ પ્રબળ પ્રવાહી લય લોકગીતનું જમા પાસું છે તેમ એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક અને ગીતમાં અંતરાનો અભાવ એ લોકગીતની ઉધાર બાજુ છે.
પ્રસ્તુત લોકગીતમાં આપણા કુટુંબજીવનની મધુરપ તાજગીપૂર્ણરીતે આલેખાઈ છે. નવોઢાના લાડભર્યા સાહજિક ઉદગારમાં કૌટુંબિક સ્નેહસંબંધનો ઉલ્લાસભાવ અહીં પ્રગટ્યો છે. માથે રેશમની ઈંઢોણી મૂકી સીમથી પાણી ભરી લાવતી નવપરિણીતાને સાંકડી શેરીમાં ઘરના બધા સભ્ય વારાફરતી સામે મળે ત્યારે એના હૈયમાં ઊઠતા અલગ-અલગ પ્રેમભાવ લોકબોલીમાં અહીં આલેખાયા છે. લોકગીતની લાક્ષણિક શૈલીમાં એક જ પંક્તિના પુનરાવર્તનમાં બે-ત્રણ શબ્દની ફેરબદલીથી નવવધૂની હોંશને રમણીય અનુભૂતિ સાંપડે છે અને આપણી નજર સમક્ષ એ સમયના ગ્રામ્યજીવનનું આખું ચિત્ર તાદૃશ બને છે !
Permalink
July 9, 2009 at 12:00 PM by ઊર્મિ · Filed under લોકગીત
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ,
સૈયર મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ,
સૈયર મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
સૈયર મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સૈયર મેંદી લેશું રે.
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.
આ ગીત અમે નાના હતા ત્યારે એટલું ગાતા, એટલું ગાતા, એટલું ગાતા… કે બસ, પૂછો ન વાત ! ખાસ કરીને અલૂણાં વ્રત વખતે હાથમાં મ્હેંદી મૂકતી વખતે… એમાંયે દરેક પંક્તિનાં છેડે ‘મેલ’ શબ્દનો ઉચ્ચાર તો અમને ખૂબ જ ગમતો. સાસરે આવેલી સ્ત્રીનાં મનની તરંગી સ્થિતી આ લોકગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે. મ્હેંદી લેવાની વાત કરતાં કરતાં ઘરમાં પોતે કરેલી મૂર્ખામીની વાત પણ એ કેટલી મજાથી અને ગર્વથી પોતાની સાહેલીને વર્ણવે છે ! 🙂
Permalink
July 9, 2009 at 6:00 AM by ઊર્મિ · Filed under લોકગીત
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…
આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
તળાવે પાણી ભરવા ગયેલી સ્ત્રીનું જરાક જ જો બેડું નંદવાઈ તો એને ઘરમાં કોણ કોણ લોકો વઢશે એની ચિંતા થઈ જતી. સાસરે ગયેલી દરેક સ્ત્રીનું મન ઘરમાં બધું પોતીકું લાગે એ પહેલા (અને પછી પણ) થોડેવત્તે અંશે આવું જ થોડું થોડું બીકણ બની જાય છે (કમ સે કમ શરૂ શરૂમાં 🙂 )… કે ઘરમાં મારાથી જો આ ફૂટી ગયું કે ફલાણું તૂટી ગયું કે કોકનું મન સાચવવાનું છૂટી ગયું, તો સાસુમા કે જેઠાણીજી શું કહેશે… સસરાજી કે જેઠજી કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ… વગેરે જેવી અટકળોમાં અટવાયા કરે છે. પરંતુ દિવસે બધાના મન સાચવવામાંથી ઊંચી ન આવતી સ્ત્રીને જ્યારે રાતે એનો પતિ પ્રેમથી જરાક જ જો કંઈ પૂછે ત્યારે એ પોતાનું બધું દુખ ભૂલી જાય છે. હજી આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રી માટે ઘરનું આવું વાતાવરણ જોવા મળે જ છે. મને લાગે છે કે કદાચ આવી સ્ત્રીઓએ જ આવા લોકગીતો બનાવી કાઢ્યા હશે અને સાસરાનાં દુ:ખની વાતોને ગીતમાં ગાઈને ખંખેરી નાંખીને હળવી થઈ ગઈ હશે. આવા લોકગીતોમાં આપણને જે તે સ્થળ અને સમયની સંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે.
લોકગીતોની એક વિશેષતા એ છે કે લોકોની જીભે સહજ રીતે ચડી ગયેલાં આ લોકગીતો મોટેભાગે નારીપ્રધાન જ જોવા મળે છે. કદાચ ખૂબ જ જૂજ લોકગીતો પુરુષપ્રધાન જોવા મળશે (મને તો જો કે કૃષ્ણગીતો સિવાય એકેય યાદ નથી આવતું!). એનું એક કારણ- પુરુષપ્રધાન સમાજમાં લોકગીતો એ સ્ત્રીઓ માટે પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે… કદાચ…
Permalink
July 8, 2009 at 7:49 PM by ધવલ · Filed under લોકગીત
કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે.
આજની રાત અમે રંગભર રમીએ,
પરભાતે પાછો માગી લેને જશોદા મૈયા. …કાનુડો…
તલભાર અમે ઓછો ન કરીએ
ત્રાજવે તોળી લેને જશોદા મૈયા. …કાનુડો…
હાથી ઘોડા, માલખજાના
હાર હૈયાનો લેને જશોદા મૈયા. …કાનુડો…
કડલાં ને કાંબી અણવટ વીંછિયા
વેઢ વાંકિયા લેને જશોદા મૈયા. …કાનુડો…
ગોપીઓ એક રાત માટે કનૈયાને જશોદા માતા પાસેથી ‘ઊછીનો’ લેવા આવે છે. ને તે ય વળી સવારે ‘પૂરેપૂરો’ પાછો તોલીને આપવાની શરતે ! છતાંય જશોદા ન માને તો ગોપીઓની પૂરતી ‘લાંચ’ આપવાની પણ તૈયારી છે 🙂
(કડલાં, કાંબી, અણવટ, વીંછિયા, વેઢ, વાંકિયા = બધા જુદી જુદી જાતના ઘરેણા)
Permalink
July 8, 2009 at 7:35 PM by ધવલ · Filed under લોકગીત
આસો માસો શરદ પૂનમની રાત જો,
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.
સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો,
સાસુ રે ઓલ્યા જલમની માવડી.
જેઠ મારો અષાઢિલો મેઘ જો,
જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.
દેર મારો ચાંપલિયાનો છોડ જો,
દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.
નણંદ મારી વાડી માયલી વેલ્ય જો,
નણદોઈ મારો વાડી માયલો વાંદરો.
પરણ્યો મારો સગી નણંદનો વીર જો,
તાણીને બાંધે રે નવરંગ પાઘડી.
શરદ પૂનમનો ચાંદો મનમાં જે આનંદ-ભરતી લાવે છે એ આ ગીતમાં છલકાઈ છે. ગીત ભલે લોકગીત હોય કવિકર્મમાં પાછું પડતું નથી.
Permalink
July 7, 2009 at 11:02 PM by ધવલ · Filed under લોકગીત
તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમે નવાનગરના ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?
તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમે પોરબંદરથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?
તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમે સાતે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?
તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમને શામળી કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?
એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?
એ કાળી ને કામણગારી રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?
ક્ન્યા અને વરપક્ષ વચ્ચે નોકઝોંકના આ ગીતમાં સમય આવે લોકો મનગમતી પંક્તિઓ ઉમેરીને -એને વધારે ‘રસદાર’ બનાવીને- ગાતા હોય છે.
Permalink
July 7, 2009 at 2:46 PM by ધવલ · Filed under લોકગીત
હો મને કેર કાંટો વાગ્યો
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો…
હો રાજ રે, વડોદરાના વૈદ તેડાવો
મુને પાટડિયા બંધાવો
મારાં ઓસડિયા કરાવો
મને કેર કાંટો…
હો રાજ રે, ધોરાજીના ઢોલિયા મંગાવો
મહીં પાથરણા પથરાવો
આડા પડદા બંધાવો
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો
રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો
એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો
આ લોકગીતમાં નાયિકા કાંટો વાગવાના બહાને બળજબરીથી ‘સિક લીવ’ લઈને ઘરના કામકાજમાંથી સરસ મઝાની બારી કાઢે છે. આટલા સરસ બહાના હોય તો સાસુમાના મોઢા પર પણ ચોક્કસ મલકાટ આવી જ જાય !
Permalink
July 6, 2009 at 12:40 AM by વિવેક · Filed under લોકગીત
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાં’તાં રે.
ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.
જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.
પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.
લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે.
પ્રસ્તુત લોકગીતમાં કોડભરી કન્યાના ઢગલાબંધ અરમાન નાનાવિધ સ્વપ્નોના પ્રતીક દ્વારા વ્યક્ત થયા છે. ડોલતા ડુંગરથી શરૂ કરીને ગુલાબના ગોટા અને એની ફોરમ સુધી નવોઢાના સપનાંનો વ્યાપ વિસ્તરે છે અને પાછળથી આ સૌંદર્યદૃશ્યો સાથે સસરાથી માંડીને પતિ અને પોતાની જાત સુધીનો આકર્ષક સંબંધ જોડવામાં આવ્યો છે.
Permalink
July 6, 2009 at 12:30 AM by વિવેક · Filed under લોકગીત
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! – આભમાંo
સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આ ગીતોનો કોઈ સર્જક નહીં. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્ત્વ નહીં. રચાતાની સાથે જ એ તો લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાઈ જાય અને પેઢે દર પેઢી ગળામાં જ સચવાય.આ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે.
પ્રસ્તુત લોકગીતમાં દરબારની ચાકરીને વહાલી ગણતા વહાલમને નોકરીએ ન જવા દેવા માટે લાખ-લાખ વાનાં કાઢતી નવોઢાના મનોભાવોનું ચિત્રણ અદભુત રીતે થયું છે. એક પછી એક અસબાબને વરસાદમાં ભીંજાતો બતાવી અંતે નાજુક તબિયતનો પાતળિયો અસવાર ભીંજાય તો એના જીવને નાહક જોખમ થાય એમ બહાનું બતાવી છેલ્લે સુધી ‘કેમ કરી જાશો ‘નો ઉપાલંભ કરતી અર્ધાંગિની ‘નહીં જાવા દઉં ‘નો રોકડો રૂપિયો ખણખણાવે છે ત્યારે લોકગીતની મીઠાશ હૈયામાં અંકાઈ જાય છે…
Permalink
July 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
૪ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ધવલે ‘લયસ્તરો.કોમ’ની શરૂઆત એકલા હાથે કરી ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લૉગ્સની હજી શરૂઆત થઈ નહોતી પણ ‘ટ્રેડિશનલ’ ફોન્ટ્સવાળી કેટલીક વેબસાઈટ્સ અસ્તિત્વ ધરાવતી હતી. લયસ્તરો શરૂ થયું એના ગણતરીના મહિનાઓમાં બ્લૉગ્સની સંખ્યા વધવી શરૂ થઈ અને આજે અધિકારપૂર્વક ગણવું દોહ્યલું થઈ પડે એ હદે ગુજરાતી બ્લૉગ્સ ફૂલ્યા-ફાલ્યા છે.
પ્રતિદિન એક કવિતા ટૂંકા રસાસ્વાદ અથવા કવિપરિચય સાથે મૂકવાના નિયમ સાથે આ યાત્રામાં હું ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬થી જોડાયો અને અમારી આ સહિયારી સફરના આજે લગભગ સાડા પાંચ વરસે ૫૦૦થી વધારે કવિઓની ૧૫૦૦ જેટલી રચનાઓ અહીં માઉસની એક ક્લિક્ પર હાથવગી થઈ છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે અને આજે જ્યારે અમે બે મિત્રો ૧૫૦૦ના જાદુઈ આંકનો અક્ષુણ્ણ સ્પર્શ કરી રહ્યા છીએ ત્યારે શું કહેવું એ સમજાતું નથી…
…‘આભાર’ શબ્દ આ પહેલાં આટલો વામણો કદી લાગ્યો નહોતો !
ધવલ – વિવેક
(તા.ક. : પંદરસો પોસ્ટનો આ સોનેરી અવસર આવવાનું એકમાત્ર કારણ આપ સહુ ‘લોકો’નો અનવરત સ્નેહ જ છે અને એટલે જ અમે આવતીકાલથી પાંચ દિવસ સુધી રોજ બે લોકગીતો અહીં પીરસીશું.)
Permalink
July 4, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તખ્ત સોલંકી
નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !
વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !
શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !
પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !
કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !
– ‘તખ્ત’ સોલંકી
ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે. સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…
(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)
Permalink
July 3, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, શેરકો બીકાસ, હિમાંશુ પટેલ
જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.
– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)
વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..
સાભાર સ્વીકાર: અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).
Permalink
July 2, 2009 at 4:21 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે
ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે
કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે
ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે
ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે
-યામિની ગૌરાંગ વ્યાસ
ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!
(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )
Permalink
July 1, 2009 at 7:37 PM by ધવલ · Filed under ફિલીપ ક્લાર્ક, મુક્તક
શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી
– ફિલીપ ક્લાર્ક
Permalink
June 30, 2009 at 6:49 PM by ધવલ · Filed under ઓડિયો, રાજેન્દ્ર શુક્લ, સોનેટ
[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]
(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)
વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!
તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!
છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!
જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!
– રાજેન્દ્ર શુક્લ
વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.
Permalink
June 29, 2009 at 9:55 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.
– રમેશ પારેખ
ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.
Permalink
June 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રામનારાયણ વિ. પાઠક, શેષ
(વિયોગિની)
સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !
સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !
– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે. આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.
પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે. આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!
એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !
(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)
Permalink
June 27, 2009 at 1:15 AM by વિવેક · Filed under અરવિંદ મહર્ષિ, સુન્દરમ, સોનેટ
I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.
– Maharshi Arvind
રાત્રિનો યાત્રી
નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.
પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.
હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.
છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.
– અનુ. સુન્દરમ્
રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…
Permalink
June 26, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.
શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.
માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.
રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.
સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.
– જયંત ‘સંગીત’
લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…
Permalink
June 25, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગદ્ય સોનેટ, સુરેશ દલાલ
કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.
– સુરેશ દલાલ
સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.
સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !
Permalink
June 24, 2009 at 8:36 PM by ધવલ · Filed under મુક્તક, શૂન્ય પાલનપુરી
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
– ‘શૂન્ય’ પાલનપુરી
Permalink
June 23, 2009 at 9:42 PM by ધવલ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના
ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.
ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.
ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.
– સર્વેશ્વરદયાલ સક્સેના
અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.
Permalink
June 22, 2009 at 9:38 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !
ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?
કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !
હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !
આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !
– શ્યામ સાધુ
કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.
Permalink
June 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
-હરિશ્ચંદ્ર ભટ્ટ
સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.
સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.
આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.
(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)
Permalink
June 20, 2009 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !
એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.
મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !
– હર્ષ બ્રહ્મભટ્ટ
તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.
Permalink
June 19, 2009 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, મુકુન્દરાય પારાશર્ય, મુકુન્દરાય વિ. પટ્ટણી
હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?
હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?
હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?
હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?
હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?
-મુકુંદરાય પારાશર્ય
મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા. અવસાન: ૨૦-૦૫-૧૯૮૫. બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !
Permalink
June 18, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
શ્વાસ તો વ્હેતા પવન છે,
ને હૃદય જલતી અગન છે.
ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.
શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે,
આખરે તો પાનખર કવિઓનું મન છે.
સાંજનું એવું ગગન છે-
કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે.
ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે,
કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે.
કારણોની છાતીમાં વિશ્વાસની નદીઓ નથી
કોઈ કહો કેવી તરસનું આ જતન છે ?
તું જળ બનીને આવ, હું તો રેત છું :
ભીનાશને પંપાળવાનું આ સપન છે.
હે શ્વાસ મારા કોઈ ચઢાવે તેમ ના ચઢશો તમે
પ્રેમ તો શાપિત વન છે.
લાગણીઓ લૂંટવા ટોળે મળે :
થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે.
પાનખર મેં તો લીધી, અર્પણ વસંતો છે તને
સુખ નામ લે તને મારું વચન છે.
– મણિલાલ હ. પટેલ
ગઝલમાં પ્રયોગખોરી ક્યારથી શરૂ થઈ એવો પ્રશ્ન કોઈ પૂછે તો મને જવાબ આપવાનું મન થાય કે પહેલી ગઝલ લખાઈ ત્યારથી. ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે. શરૂઆતની ગઝલોમાં ભાવાભિવ્યક્તિના પ્રયોગ હતા, કદાચ નવ્યતર કલ્પનના પ્રયોગ હતા… સમયની સાથે છંદ-કાફિયા-રદીફ-મત્લા-મક્તાના પ્રયોગો શરૂ થયા… ગઝલમાં આકારના પ્રયોગ થયા… ત્રિકોણ ગઝલ, કુંભગઝલ, હાઈકુ ગઝલ અને યાદી બનાવવા બેસો તો આંગળીના વેઢા ખૂટી પડે… મણિલાલ પટેલની આ ગઝલમાં છંદના ગાલગાગાના અનિયત આવર્તનનો પ્રયોગ ધ્યાનાર્હ બન્યો છે.
Permalink
June 17, 2009 at 10:56 PM by ધવલ · Filed under ભગવતીકુમાર શર્મા, મુક્તક
સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંઘ છું
– ભગવતીકુમાર શર્મા
Permalink
June 16, 2009 at 9:15 PM by ધવલ · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
And very luckily for you and me,
the uncivilised sun mysteriously shines
on good and bad alike, he is an artist.
પોષની શીતલ સવારે
આંખમાં કાજળ અને
મુખ પર લપેડા શ્વેત.
ત્યાં
પડતો
(ઈશુની આંખ જેવો)
સૂર્ય.
જે
થોડા દિવસ પર
સાંજના
ગંગાતટે
પાણી ભરી
પશ્ચિમ જનારી
કો’ક કન્યાના
ઘડા પર
શ્રમિત શો
બેઠેલ …
ને આજે અહીં.
– લાભશંકર ઠાકર
કાવ્યની શરૂઆત ઈ.ઈ.કમિંગ્ઝની પ્રખ્યાત પંક્તિઓથી કરી છે. કાવ્ય એ પંક્તિની મિમાંસા સમાન છે. બે તદ્દન અલગ ચિત્રો દોરીને કવિ વિરોધાભાસ ઊભો કરે છે – પહેલું ચિત્ર બજારુ સ્ત્રીનું છે. અને બીજુ ચિત્ર ગંગાતટે પાણી ભરવા આવેલી કન્યાનું છે. સૂર્ય તો બન્ને પર સરખો પ્રકાશે છે. બન્ને સૂર્યની નજરમાં સમાન છે. કદાચ એની નજરમાં બધા સમાન છે એટલે જ એ સૂર્ય છે.
જોવાની વાત એ છે કે સૂર્યને કમિંગ્ઝ કલાકાર કહે છે. કલાકારને બધુ સરખું – ન સમાજના નિયમ, ન ઊંચ-નીચના વાડા, ન ધરમ-કરમનો ભેદભાવ. જ્યાં બધા સિમાડા ઓગણી જાય તે જ કલા એવો ગર્ભિત ઈશારો પણ એમા સમાયેલો છે.
Permalink
June 15, 2009 at 9:47 PM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.
– ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)
પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો સ્ફુલિંગ !
(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )
મૂળ કવિતા અહીં જુઓ.
Permalink
June 14, 2009 at 4:20 AM by વિવેક · Filed under ગીત, ગૌરાંગ દિવેટિયા
આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.
ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.
-ગૌરાંગ દિવેટિયા
ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !
Permalink
June 13, 2009 at 2:55 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
નેટ-ગુર્જરીનું આકાશ અને પ્રિન્ટ મિડીયાની ધરતી હવે વધુ ને વધુ એકાકાર થઈ રહ્યા છે. લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ સાથે અહીં પ્રકાશિત થઈ છે…

(ઓપિનિયન- મે-2009… …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)
*
આવતા વર્ષે સોળ વરસની સળંગ યાત્રા પછી બંધ થનાર લંડનથી પ્રગટ થતા આ માસિકમાં તંત્રીનોંધ ખાસ વાંચવા જેવી છે. વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી. તંત્રી લખે છે: “ભાષા સારી માઠી હશે તેને વિશે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમારી ફરજ સમજશું“…
…આ નોંધ સામે નતમસ્તક થયા વિના રહી શકાય એમ નથી…
Permalink
June 12, 2009 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.
હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.
જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે.
તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.
શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.
– ભરત ભટ્ટ ‘પવન’
શબ્દના આરાધકને શોભે એવા મત્લા સાથે ગઝલની શરૂઆત કરી કવિ જિંદગીની નકારાત્મક અને હકારાત્મ- બંને બાજુઓને બે કાંઠાની જેમ વાપરી વચ્ચે નદીની જેમ અસ્ખલિત વહે છે. એક તરફ પ્રેમના અભાવમાં અશ્રુ જેવા અશ્રુની હૂંફ લેવા જેવો સાવ તરોતાજા અને લવચીક વિચાર છે તો બીજી તરફ હાસ્યની મૂડી પર આખી જિંદગી જીવી લેવાનો શ્રેષ્ઠતમ ઉપદેશ છે…
Permalink
June 11, 2009 at 1:00 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.
ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.
મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
– કૈલાસ પંડિત
આજે કૈલાસ પંડિતની એક ખૂબ જાણીતી ગઝલ… બસ એમ જ ધીમે ધીમે મમળાવીએ…
Permalink
June 10, 2009 at 9:59 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
દિવાનાએ એક વાત કહી મુજને નવીન
અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !
– મરીઝ
Permalink
June 9, 2009 at 10:16 AM by ધવલ · Filed under ગીત, રઘુવીર ચોધરી
પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !
કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !
ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે. ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.
(કારા=કેદખાનું)
Permalink
June 8, 2009 at 8:02 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ, સુરેશ દલાલ
સો સો સ્મિતોના
આગળિયા તને
વાસ્યા તો પણ
આંખની કટારના
કઠોર પહેરા
રાખ્યા તો પણ
ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ
બાંધ્યા તો પણ
ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી
ભરી તો પણ
તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ
તોડી નાખીશ ?
લલાટનો લેખ
વિનાશ થવાનો :
ભૂંસી નાખીશ ?
– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)
કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી… જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.
Permalink
June 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયના જાની
બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું ઊગે અકબંધ !
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?
રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !
-નયના જાની
બે ક્ષણની વચ્ચેના સૂક્ષ્મતમ અવકાશને પણ પકડે એ કવિતા… આગત અને અનાગતની વચ્ચે જે નાનકડી ખાઈ છે એનો આગત કે અનાગત સાથે ખરે જ કોઈ સંબંધ ખરો ? ગઈકાલનો પડછાયો આજ પર પડ્યા કરતો હોય કે પછી આવતીકાલનો વર્તારો આજમાં ડોકાયા કરતો હોય ત્યારે સાચા અર્થમાં આજ મૃત્યુ પામે છે. આજને પૂરા અર્થમાં જીવવી હોય તો ગઈકાલ અને આવતીકાલથી મુક્ત ન થવું પડે ?
Permalink
June 6, 2009 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
– રઈશ મનીઆર
ધીમે ધીમે વાંચીએ તો પહેલી નજરે જ ગમી જતી આ ગઝલ ના બહુઆયામી અર્થ માનસપટ પર વધુ ને વધુ ઉપસતા જાય છે. ગઝલના ગામમાં જવું હોય તો વાદળ જેવી હળવાશ કાંખમાં લઈને જવું પડે અને તૈયારી હોવી જોઈએ સમૂચા વરસી જવાની, નિચોવાઈ જવાની… અને વાત મંઝિલની હોય, પ્રિયતમાની હોય કે ઈશ્વરની હોય, ઉતાવળ ક્યાંય કામ લાગતી નથી અને આપણું દુર્ભાગ્ય તો એ છે કે આ હકીકત ભૂલ કરી દીધા પહેલાં બહુધા સમજાતી પણ નથી… આમતો બધા જ શેર પરંપરાની કેડી પર આધુનિક્તાના ખીલેલા પુષ્પ જેવા છે અને વિજ્ઞાનથી આદરીને જ્ઞાનની વાત કરે છે પણ છેલ્લા બે શેર આપણી ભાષાના ચિરંજીવ શેર થયા છે.
Permalink
June 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરમી કવિ
હતું તો હણાણું મને એ ખબર છે,
ગહન આ ઉખાણું મને એ ખબર છે.
અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
હતું પાત્ર કાણું મને એ ખબર છે.
તડપતું-તડપતું જખે મૃગ ઝરણને,
તૃષાથી મરાણું મને એ ખબર છે.
દડી જાય સ્મરણોય પાંપણ ઉપરથી,
સરી જાય ટાણું મને એ ખબર છે.
મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
કિનારે ડૂબાણું મને એ ખબર છે.
-મરમી કવિ
“जातस्य ही ध्रुवो मृत्यु” ની ફિલસૂફી ગઝલના મત્લામાં કેવી રમતિયાળ રીતે કવિએ કહી દીધી છે ! ‘હતું’ એટલે જ ‘હણાયું’….
Permalink
June 4, 2009 at 12:30 AM by વિવેક · Filed under અલ્પેશ 'પાગલ', ગઝલ
આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
– અલ્પેશ ‘પાગલ’
(અલ્પેશ પી. પાઠક)
લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ… દુઃખની નાડ સુધી પહોંચવાની કોશિશ. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા એ દરેક દુઃખનું કારણ હોય છે. આ રદીફને ઊલટી વાંચીએ તો ? એક ‘હું’… હોવાપણું… હોવાનો અહમ્… ‘હું’ના હોવાપણાંના કારણે ઊપજતાં વળગણ… વળગણ પછી પલોટાય ઈચ્છામાં અને ઈચ્છા બને કારણ પીડાનું…
Permalink
June 3, 2009 at 9:20 PM by ધવલ · Filed under ગઝલ
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !
કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.
– જમિયત પંડ્યા
વાંચતા વેંત જ પાનો ચડી આવે એવી આ ખુમારીથી નિતરતી આ ગઝલના પહેલા બે શેર વારંવાર મુક્તક તરીકે ટંકાતા જોવા મળે છે.
Permalink
June 1, 2009 at 11:18 PM by ધવલ · Filed under ગઝલ, રાજીવ ભટ્ટ 'દક્ષરાજ'
જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.
આ હવાને તેં કર્યું ચુંબન હશે,
આંગણામાં એટલે ઝાકળ મળે.
રાતરાણી થઈ અને પથરાઈ જો-
જીવતાં અંધારને પણ બળ મળે !
એમણે ધાર્યો મને સૂરજ સમો –
રોજ એથી આવવા જળ મળે !
હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.
– રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’
આજે આ તરત ગમી જાય એવી ગઝલ માણો. અઢી અક્ષરની વાતને કદી કોઈને સમજાવવી પડતી નથી !
Permalink
May 31, 2009 at 10:35 PM by ધવલ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
સૂરજને તો ટેવ છે
લાલ રંગની લૉલીપૉપ આપીને માણસને ફોસલાવવાની.
દિવસ તો માનો ખોળો – એના રંગબેરંગી છાપેલા સાળુમાં
મોં સંતાડીને પડ્યા રહેવાનું ગમે.
આખો દિવસ
નાની મોટી ચીજોની આડાશ લઈને આપણે સંતાઈ રહીએ છીએ.
પણ રાત.
મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
I love you, but I don’t like you.
રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.
શાશ્વત તારાઓની વચ્ચે
વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
કેટલી શરમથી રહેતો હશે !
અને તોપણ
વદ ચૌદશની રહીસહી આડશ પણ ફેંકી દઈને
અમાસની રાત
તારાઓના અઢળક રૂપથી ભરી ભરી પોતાની કાયાને
મારી સામે નિર્લજ્જતાથી ધરી દે છે.
ત્યારે મારીયે ભીતરથી પ્રગટી પડે છે
અરે મનેયે ના ગણકારતો
માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ;
આવતા પરોઢ સુધી પંજો લંબાવીને
ઝડપી લે છે એ તાજા સૂરજને
ને રાત્રિના કમનીય પણ અગોચર અવકાશમાં
કરે છે એનો ઘા…
– સિતાંશુ યશશ્ચંદ્ર
અમુક કવિતાઓનું પોત અંગત વાત જેવું હોય છે જે કોઈ તમને કાનમાં કહેતું હોય. આ એવી કવિતા છે. વળી સિ.ય.નું કાવ્ય છે એટલે બહુઆયામી જ હોવાનું.
રાત્રિની કમનીયતાના આ કાવ્યનું નામ કવિ શાશ્વતી આપે છે. કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. રાત્રિના સથવારે પોતાની અંદરથી જે ઊગે છે એને કવિ ‘માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ’ કહે છે… એના હાથે જ રાત્રિનો – અને રાત્રિ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓનો – અંત લખાયેલો હોય છે.
Permalink
May 30, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
-નીતિન વડગામા
થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !
Permalink
Page 88 of 118« First«...878889...»Last »