તું જો આવી હોત તો આ બાંકડો ખાલી ન હોત,
આજીવન સ્થાયી રે’ એ યાદો શું ત્યાં સ્થાપી ન હોત?
હા, સરાજાહેર તો હૈયે તને ચાંપી ન હોત,
પણ હથેળી બે ઘડી શું સ્નેહથી દાબી ન હોત?
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
October 7, 2007 at 12:47 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિ, ઝાકળબુંદ
ચલચિત્રની જેમ
ક્ષણે ક્ષણે
બદલાતી
મારી ઊર્મિનાં
આ
ચિત્રો છે…
જેને મેં
માત્ર
મારા શબ્દોની
ફ્રેમમાં મઢ્યા છે…
એને કાંઈ
કાવ્યો થોડા કહેવાય?!!
– ‘ઊર્મિ’
અમેરિકા સ્થિત આ ‘સદ્યશબ્દેલ’ કવયિત્રીને ગુજરાતી નેટ-જગતના નિયમિત વાચકો ભાગ્યે જ નહીં જાણતા હોય. ‘ઊર્મિનો સાગર‘ નામે વેબસાઈટ હેઠળ એ પોતાની રચેલી અને પોતાને ગમેલી કવિતાઓના બે બ્લૉગ્સ ઉપરાંત સર્વપ્રથમ ઓનલાઈન ગુજરાતી પોએટ્રી વર્કશૉપ પણ ચલાવે છે. છંદના કુછંદે ચડ્યા પછી એમની રચનાઓમાં ઉત્તરોત્તર નિખાર આવી રહ્યો છે પણ આ અછાંદસ કવિતા મને ખૂબ જ ગમી ગઈ. કવિતાની વ્યાખ્યા કરતી ઘણી કવિતાઓ આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ ‘નન્નો’ પરખાવીને રોકડી વાત કરતું આ લઘુકાવ્ય સિદ્ધહસ્ત કવિઓની પંગતમાં બેસી શકે એવું મજાનું અને અર્થસભર થયું છે…
Permalink
October 6, 2007 at 2:00 AM by વિવેક · Filed under ગીત, જગદીપ નાણાવટી, ઝાકળબુંદ
ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મેં અગન સરીખો તડકો
. વાલમ કોણ કહે હું કડકો….
કલરવ છે કલદાર અમારા, ગિરિ કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો
હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
. વાલમ કોણ કહે હું કડકો…
લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય-ચંદ્ર ની સાખે જીવીએ, ભલે રહ્યા સૌ આઘા
ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો
. વાલમ કોણ કહે હું કડકો…
આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
. વાલમ કોણ કહે હું કડકો…..
-જગદીપ નાણાવટી
અમદાવાદમાં મેડીકલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા કવિસંમેલનમાં ડૉ. જગદીપ નાણાવટીના મુખે આ રચના સાંભળીને ખંડમાં ઉપસ્થિત મેદની શબ્દશઃ હિલ્લોળે ચડી હતી. સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે ફિઝિશ્યન (M.D. Medicine) તરીકે સેવા આપતા તબીબ કડકા તો ન જ હોય પણ આ ગીત લખતીવેળા એ એમના મગજમાં સ્પષ્ટ છે: “સામાન્ય રીતે એક એવી યુનિવર્સલ માન્યતા છે કે કવિ એટલે હમેશા ‘કડકો’…! ! તો, હું એક કવિ હોવાને નાતે, સર્વ કવિઓ વતી આ ગીતમાં બધાંને જવાબ આપુ છું કે કવિ પાસે શું શું અમૂલ્ય મિલ્કતો રહેલી છે…..ગમે તો બિરદાવજો, નહીં તો અમથાયે કડકાજ છીએ….”
Permalink
October 5, 2007 at 1:12 AM by વિવેક · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુનીલ શાહ
જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા અજવાળું પાથરશે નહીં તો શું?
– સુનીલ શાહ
સુગંધોના બજારની ખરી કિંમત પવનથી છે. પવન ન અડે તો સુગંધનું વળી મૂલ્ય શું? સૂરતના જ નવા ગઝલકાર સુનીલ શાહની આ ચિંતા પણ વ્યાજબી લાગે છે. ગઝલ તો ઘણી કાળજી રાખીને લખી છે, પણ એ મૃત્યુવેળાએ પ્રકાશ નહીં આપે તો શું અર્થ? દુઆવાળો શેર પણ સરસ થયો છે. એક બાજુ દુઆ કેવી રીતે કરવી તેની સમજ નથી અને બીજી બાજુ કોઈ તારા પણ ખરતા નથી- દુર્ભાગ્ય બે બાજુએથી કરડે ત્યારે માણસ શું કરે?
Permalink
October 4, 2007 at 3:04 AM by વિવેક · Filed under કવિતા મૌર્ય, ગઝલ, ઝાકળબુંદ, મુક્તક
મુકતક
અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.
ગઝલ
કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.
આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.
આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.
કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.
-કવિતા મૌર્ય
કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…
Permalink
October 3, 2007 at 1:06 AM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુધીર પટેલ
પગ પર ચાલવું અખતરો છે,
ત્યાં સુધી પ્હોચવું અખતરો છે.
એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
એમના થૈ જવું અખતરો છે !
ખાતરી જો ના હોય તો કરજો,
મૌનને પાળવું અખતરો છે.
હો ભલે બસ તમે ને દિવાલો,
કંઈ પણ બોલવું અખતરો છે !
મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે.
એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
ખુદ મહીં જાગવું અખતરો છે !
– સુધીર પટેલ
Permalink
October 2, 2007 at 11:23 AM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, હરીશ ઠક્કર ડૉ.
હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે
ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે
કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે
કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે
– ડો. હરીશ ઠક્કર
Permalink
October 1, 2007 at 11:11 PM by ધવલ · Filed under ગઝલ, ઝાકળબુંદ, સુરેશ પરમાર
ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.
વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.
એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે ?
આંખ કેવી, જળકમળવત !
સાવ કોરી રહી, દડી છે.
એ કહે છે: “મૌનને ગા”;
‘સૂર’ સંકટની ઘડી છે.
– સુરેશ પરમાર
એક જ શેર મારે માટે તો ઘણો છે… ખરી વાત છે, પોતાની સમજણ માણસને જેટલી નડે છે એનાથી વધારે કોઈ ચીજ નડતી નથી ! આંખ કેવી… શેર પણ ખૂબ સરસ થયો છે.
Permalink
September 30, 2007 at 7:53 PM by વિવેક · Filed under ઝાકળબુંદ, પ્રકીર્ણ
પુષ્પની પાંખડી પર વહેલી પરોઢે જામતા ઝાકળનાં ટીપાં જેટલી તાજગી સૃષ્ટિમાં બીજે ક્યાંય વર્તાતી જોવા મળે ખરી? વાતાવરણમાં આખી રાત ઘૂંટાયા કરેલ ભેજ થોડો સ્થિર થાય ત્યારે પાંદડીને એક તાજી ભીનાશનું સરનામું બનવાની ધન્ય ક્ષણ સાંપડે છે. તાજી નાહીને નીકળેલ સુંદરી માટે આપણે સદ્યસ્નાતા શબ્દ વાપરીએ છીએ, નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? આખી રાત સરસ્વતીના વરદાનનો ઘૂંટાતો રહેલો ભેજ શબ્દનું ઝાકળ બનીને જ્યારે કાગળ પર ઉતરે છે ત્યારે એક સદ્યશબ્દેલ કવિનો જન્મ થાય છે.
પ્રતિદિન એક નવી કવિતાના ન્યાયે ‘લયસ્તરો’ પર ગુજરાતી ભાષાના ત્રણસોથી વધુ દિગ્ગજ તથા નવોદિત કવિઓની કલમે સર્જાયેલી લગભગ સાડી આઠસો જેટલી સબળ કૃતિઓ આજે ‘માઉસ’ની એક ક્લિક્ માત્ર પર હાજર છે. અવારનવાર તરોતાજા કવિઓની રચનાને પણ યથાર્થ ન્યાય આપવાની અમારી કોશિશ રહી છે. પરંતુ ‘ફૉર અ ચેઈન્જ’ આ બે સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત. તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…
-લયસ્તરો ટીમ
Permalink
September 29, 2007 at 1:12 AM by વિવેક · Filed under ગીત, હિતેન આનંદપરા
એય… મારી પાસે ન આવ
સાચકલી ખોટકલી વાતો ન કર
આંખોમાં આમ રાતવાસો ન કર
મને ભોળીને નાહકનું આમ ના સતાવ
દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
નજરોને જોરૂકી થઈને ન વાળું તો, કોણ જાણે શું થાતું સ્હેજમાં
અણદીઠા સાગરમાં કર ન ગરકાવ
રાતાં રાયણ જેવાં સપોલિયાં ભીંસે-ની લાગણીનું નામ લખું સ્પર્શ
મરજાદી તુલસીના ક્યારામાં માંડ મેં તો સાચવ્યાં છે સોળ સોળ વર્ષ
લચકેલી ડાળીને આમ ના નમાવ
ટળવળતા શ્વાસોને ઝૂલવાનું કે’ એ પહેલાં હકનો હિંડોળો તો બાંધ
આભ લગી ઊડવાના કોલ તો કબૂલું, પણ સગપણની પાંખો તો સાંધ
ત્યાર લગી રમવો ના એક્કેય દાવ
– હિતેન આનંદપરા
પ્રેમમાં પડતી ષોડ્ષીના ગીતો તો આપણી ભાષાના ખજાનામાં કંઈ કેટલાય મળી આવે. પણ આ ગીત તમે એના મધુરા લય સાથે વાંચો ત્યારે ફરીને પ્રેમમાં પડવાનું કે પાડવાનું મન થઈ આવે એવું મજાનું છે. ઉજાગરા માટે આંખોમાં રાતવાસો જેવો મજાનો શબ્દપ્રયોગ કરીને કવિ હિંચકાની હીંચ જેવો હળવો ઉપાડ લે છે. પ્રિયતમની દૃષ્ટિ માત્રથી અંગમાં અનંગના એવા દરિયા તોફાને ચડે છે કે જોરૂકા થઈ નજરોને વાળવી પડે છે નહીંતર જેમાં ગરકાવ થવા માટે મન સદૈવ આતુર જ છે, એવા અણદીઠા પ્રેમસાગરમાં ગરકાવ ન થઈ જવાય ! લચી પડેલી ડાળીને વધુ નમાવવાની વાત હોય કે પછી હકનો હિંડોળો બાંધવાની વાત હોય કે એક્કેય દાવ ન રમવાની વાત હોય, નાયિકા અહીં ના-ના કરીને હા-હા જ કરી રહી છે અને એ નકારમાં છુપાયેલો હકાર જ તો આ ગીતનું ખરું સૌંદર્ય છે.
Permalink
September 28, 2007 at 12:52 AM by વિવેક · Filed under ગઝલ, સરૂપ ધ્રુવ
આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.
ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.
કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.
દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.
અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?
કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.
-સરૂપ ધ્રુવ
સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શે’ર વિશે વાત કરવી એ બાકીના શે’રનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)
Permalink
September 27, 2007 at 2:48 AM by વિવેક · Filed under ગોવિન્દ સ્વામી, સોનેટ
(સ્વતંત્ર સૉનેટસ્વરૂપ, છંદ: પૃથ્વી, ચોથી પંક્તિ: પૃથ્વીતિલક)
પ્રસુપ્ત અહિરાજ આહ ! દઈ ડંખ ચાલ્યો ગયો.
રગેરગ મહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે
બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિઃસ્ત્રવે.
ન હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે
ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.
હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા
વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,
પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની જ દોડી ગયો.
હવે ન કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.
સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.
જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;
વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.
ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.
હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે !
-ગોવિન્દ સ્વામી
અમદાવાદના ગોવિંદભાઈ વાડીભાઈ સ્વામી આયુર્વેદની પદવી ધરાવતા અને વૈદક કરતા હતા. ‘ફાલ્ગુની’નામના ત્રિમાસિકના તંત્રી હતા. (જન્મ:૦૬-૦૪-૧૯૨૧, મૃત્ય:૦૫-૦૩-૧૯૪૪; પુસ્તક: “મહાયુદ્ધ” (પ્રજારામ રાવળ સાથે), મરણોત્તર કાવ્યસંપાદન: “પ્રતિપદા” (ઉમાશંકર જોશી, સુન્દરમ્ અને પ્રજારામ રાવળ દ્વારા)
સર્પ આપણે ત્યાં કામ-વાસનાનું પ્રતિક મનાય છે. વાસનાનો સૂતેલો સાપ અચાનક ડંખ દઈ જતા રગેરગમાં જે ઝેર પ્રસરી ગયું એનાથી આખું શરીર ભાંગી પડ્યું. ન તો નીલકંઠની જેમ એ ઝેરને ગળામાં અટકાવી શકાતું કે નથી એમની જેમ ત્રીજું નેત્ર ખોલીને કામદેવ નામના સાપને બાળીને ભસ્મ કરી શકાતો. લીલું ઘાસ અને ખુશ્બૂદાર પુષ્પોભર્યા વનમાં વિહાર જાણે સૂતેલી વાસનાને જાગૃત કરતા સંજોગોનો નિર્દેશ કરે છે. વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?
કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું બતાવીને પણ કવિએ સૉનેટને ધાર બક્ષી છે.
(પ્રસુપ્ત=સૂતેલું, અહિરાજ=સાપરાજ, વિષદ=સાપ, કાલકૂટ=સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ ઝેર જે શંકરે પીધું હતું અને ગળામાં અટકાવી રાખ્યું હતું જેના કારણે એ નીલકંઠ તરીકે ઓળખાયા.)
Permalink
September 26, 2007 at 11:05 PM by ધવલ · Filed under ગીત, મણિલાલ દેસાઈ
આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.
જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.
વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !
– મણિલાલ દેસાઈ
આ ગીત કાનથી વાંચવાનું ગીત છે. ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.
Permalink
September 25, 2007 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.
સાવ અચાનક.
મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.
મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો
એ
છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.
– પન્ના નાયક
Permalink
September 24, 2007 at 11:48 PM by ધવલ · Filed under મુક્તક, શકીલ કાદરી
એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.
– શકીલ કાદરી
Permalink
September 22, 2007 at 1:26 AM by વિવેક · Filed under ગઝલ, બાલુભાઇ પટેલ
એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.
-બાલુભાઈ પટેલ
ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!
(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)
Permalink
September 21, 2007 at 2:58 AM by વિવેક · Filed under બળવન્તરાય ક. ઠાકોર, સોનેટ
(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)
(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્)
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !
– બળવંતરાય ક. ઠાકોર
અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે.
નર્મદા નદીના શાંત સૂતેલા જળ – સ્તનયુગ્મની જેમ- ઊંચાનીચા થાય છે અને સ્તન પરનો તલ પણ છાતીની સાથે જેમ પડે-ઊપડે એમ કવિની નાવ પણ ધીમીધીમી હાલકડોલક થાય છે. દૂર કિનારે ધુમ્મસમાં હજી વૃક્ષો ઊંઘી રહ્યા છે અને સ્વપનમાં જેમ સુંદરી મીઠું મલકે એમ નર્મદા શોભી રહી છે. માથે ઊગેલી ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે છુપાઈ રહી છે. અને સૌંદર્યઘેલો થઈ બીડાતા કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો જેમ નાજુક પગલે ડોલે એમ આ પવન ધીમો-ધીમો વાઈ રહ્યો છે.
ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદો બોલે છે જાણે કે આ ડોલતી ગતિ પર બીનના તાર મંદ-મંદ સજાવી રહ્યા છે. સૃષ્ટિના આ પ્રસ્ફુટ અપાર સૌંદર્યમાં આળોટતી વેળાએ આ ભણકારા શેના થાય છે? પ્રકૃતિના હૈયામાંથી જાણે રજનિ સરતી હોય, કે નર્મદાના વ્હેણમાંથી કોઈ અગમ વાણી ફૂટતી હોય, ચાંદની રાતે આકાશગંગામાંથી જાણે ચાંદીની રજ સરી રહી હોય કે ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યા છે ત્યારે કવિના અંતરમાં છાનીછપની કંઈક એવી જ ભીની-ભીની બાની નીતરી અર્હી છે, નીંગળી રહી છે… કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર કવિએ પોતાને ઉદ્દેશીને અહીં આપ્યો છે. (‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો 1890 પછીથી એમણે ત્યાગ કરી દીધો હતો.)
(દ્રુમો=વૃક્ષો, સુહાવે=શોભે, વારિ=પાણી, નિજ=પોતાનું, કાંતિ=તેજ, જ્યોત્સ્ના=ચાંદની, અલિ=ભમરો, પદે=પગલે, લવું=લવારા કરવા, સ્વર્ગંગા=આકાશગંગા, રજત=ચાંદી, ફેન=ફીણ, વિમલ=શુદ્ધ)
Permalink
September 20, 2007 at 12:53 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.
હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”
લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….
(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)
Permalink
September 20, 2007 at 12:49 AM by વિવેક · Filed under ગઝલ, હિતેન આનંદપરા
પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
– હિતેન આનંદપરા
મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” હિતેન આનંદપરાને એનાયત કરાયો છે. આ પ્રસંગે એમની એક સુંદર ગઝલ… ગાલ પરના ખંજનોને ટેરવાંનો સ્પર્શ ગણવાની કલ્પના પોતે જ કેટલી રૉમેન્ટિક છે ! અને તું બધીયે વાતનો સંદર્ભ છે વાળી વાત પણ ખૂબ ગમી જાય એવી છે. “શયદા પુરસ્કાર” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હિતેનભાઈ!
Permalink
September 18, 2007 at 11:44 PM by ધવલ · Filed under અછાંદસ, દિનેશ કોઠારી
ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમતો વગડાઉ તોય ફૂલ છું,
કાંટો નથી.
-દિનેશ કોઠારી
Permalink
September 17, 2007 at 12:16 AM by ધવલ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?
તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.
– ખલીલ ધનતેજવી
કેટલીક પરંપરાગત ગઝલ પરંપરાને અકબંધ રાખીને એને અતિક્રમી જતી હોય છે. આ એવી જ એક ગઝલ છે. વિષય તો ગઝલનો સૌથી જૂનો વિષય છે. પણ કેવા મઝાના શેર કર્યા છે એ તો જુઓ… પહેલો જ શેર દિલ જીતી લે એવો થયો છે. મૌનની મસ્તીથી રંજાડવાની વાત પણ સરસ રીતે આવી છે. કવિ ‘યાદ વળગાડું તને’ જેવો પરાણે મીઠો લાગે એવો પ્રયોગ પણ સહજતાથી કરે છે. ‘ઘર નથી’માં ચમત્કૃતિ છે. અને છેલ્લો શેર વિવિધ રીતે મૂલવી શકાય એવો થયો છે.
Permalink
September 16, 2007 at 11:08 PM by ધવલ · Filed under અછાંદસ, કાસા
મને એવું સપનું આવ્યું
કે મેં મારી જ સામે
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ.
-કાસા
(અનુ. સુરેશ દલાલ)
Permalink
September 15, 2007 at 4:07 PM by ધવલ · Filed under રઈશ મનીયાર, સાહિત્ય સમાચાર
સુરતના કવિ રઈશ મનીઆર આજકાલ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. એમના કાર્યક્રમો આજથી શરૂ થઈ રહ્યા છે. એમના કાર્યક્રમની રૂપરેખા અને સંપર્કની માહિતી આ સાથે છે.
- હ્યુસ્ટન -15, 16 સપ્ટેમ્બર. દીપ માલી: (832) 265-2026
- ફિલાડેલ્ફીયા-21 સપ્ટેમ્બર. કિશોર દેસાઇ: (215) 272 0152
- ડેટ્રોઇટ-22 સપ્ટેમ્બર. ચન્દ્રેશ ઠાકોર : (248) 344-7895
- ન્યુ જર્સીમાં એક કાર્યક્રમ 6 ઓક્ટોબરે યોજાવાની શક્યતા છે. સંપર્ક: શ્રી આદિલ મંસૂરી (201) 868-6991
- આ ઉપરાંત કાર્યક્રમો બોસ્ટન અને એટલાંટામાં યોજાવાની શક્યતા છે. એટલાંટા કાર્યક્ર્મ માટે તમે મારો -ધવલ શાહ (mgalib@hotmail.com) – સંપર્ક કરી શકો છો. તારીખ / સ્થળ નક્કી થયે હું અહીં વધુ માહિતી મૂકીશ.
રઈશભાઈનું ઈ-મેલ એડ્રેસ amiraeesh@yahoo.com છે.
Permalink
September 15, 2007 at 1:29 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)
હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?
બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
-મુકુલ ચોક્સી
આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…
Permalink
September 14, 2007 at 3:01 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.
ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.
બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.
મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.
હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.
-આદિલ મન્સૂરી
‘અમેરિકન ફેડરેશન ઑફ મુસ્લિમ ઑફ ઈન્ડિયન ઑરીજીન’ના ઉપક્રમે ઉર્દૂ-ગુજરાતીના જાણીતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરીને “લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” એનાયત થયો એ હકીકતે તો પુરસ્કારનું જ બહુમાન થયું છે. કવિશ્રીને અભિનંદન કે શુભેચ્છા પાઠવવા માટે “લયસ્તરો”ના હાથ ખૂબ નાના છે, છતાં મોકળા મને આ મોટા ગજાના આદમીને અમારી અદની શુભકામનાઓ… આ મુબારક મોકાને એમની જ કાવ્યપંક્તિથી બિરદાવવો હોય તો આ જ ગઝલની આ પંક્તિઓ વાપરી શકાય ને? –બધાય પંથ વળી જાય છે તમારી તરફ, તમારા પંથે બધાયે વળાંક લાગે છે.
Permalink
September 13, 2007 at 2:07 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.
શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.
-અશરફ ડબાવાલા
સરહદપારના કવિઓમાંથી ઊઠતા એક અગ્રિમ અવાજનું બીજું નામ એટલે અશરફ ડબાવાલા. મૂળે ગુજરાતના અમરેલીમાં જન્મેલા, વ્યવસાયે તબીબ અને શિકાગો-અમેરિકામાં સ્થાયી. “શિકાગો આર્ટ્સ સર્કલ”ના સ્થાપક. ગીત, ગઝલ અને અછાંદસ પર એમની ખાસ હથોટી છે. એમની કાવ્યશક્તિનું હાલમાં જ યોગ્ય મૂલ્યાંકન “કલાપી પુરસ્કાર” વડે સન્માનિત કરીને કરવામાં આવ્યું છે. લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન…
(જન્મ તારીખ: ૧૩-૦૭-૧૯૪૮, કાવ્યસંગ્રહો: “અલગ”, “ધબકારાનો વારસ”)
Permalink
September 12, 2007 at 11:21 PM by ધવલ · Filed under અછાંદસ, ડીક સટફેન, સુરેશ દલાલ
સદીઓ સુધીનો પુરાયેલો
દરિયાનો ઘૂઘવાટ –
દિવાલોમાં શંખલાની …
એને મેં ધર્યું
મારે કાને
અને તેણે
પડઘા પાડ્યા
તારા નામના.
– ડીક સટફેન
(અનુ. સુરેશ દલાલ)
Permalink
September 11, 2007 at 12:52 PM by ધવલ · Filed under ગીત, દીવા ભટ્ટ
કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…
સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…
મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…
સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…
સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…
– દીવા ભટ્ટ
કવિએ ‘દેખાય લીલુંછમ લીલુંછમ‘ નો એવો જાદૂભર્યો પ્રયોગ આ ગીતમાં કર્યો છે કે બધી પંક્તિઓને સોનાવરણી કરી નાખી છે. ‘દેખાય લીલુંછમ’ કાઢી નાખો તો બધા કલ્પનો પહેલા સાંભળેલા જ લાગે પણ આખી રચના વાંચો તો તરબતર થયા વિના રહેવાય નહીં એટલો સરસ પ્રયોગ થયો છે. કવિ ઉપાડ જ અદભૂત કરે છે… કહે છે કે મારા મનની નજર ઉતારો કારણ કે મને બધું લીલુંછમ દેખાય છે ! આ Self deception થી શરુ કરીને, self destruction ના અંશ (પાણી દેખાય લીલુંછમ) બતાવીને, છેવટે self realization (પાનું દેખાય લીલુંછમ) સુધીની સફર કવિ તદ્દન સહજ રીતે કરાવે દે છે. છેલ્લે વાંચનારના દિલને લીલુંછમ થવા સિવાય કોઈ છૂટકો જ રહેતો નથી !
Permalink
September 10, 2007 at 11:50 PM by ધવલ · Filed under અછાંદસ, પલ્લવી ભટ્ટ
હસ્તરેખાઓમાં રેખાયું છે ઘણુંઘણું,
વાસરપોથી ઉકેલનારે, કંઈક પ્રગટ-અપ્રગટ
વાચ્ય-અવાચ્ય વચ્ચે ગૂંથ્યું છે ગૂંફન …
રોજ રોજ ઉકેલાતા ભાવિને પણ …
અકથિત રહેવું ઘટે… સહદેવક્ષણે…
ક્ષણ… પ્રમાણ… ઘટના બધું જ અગોચર,
બે બિન્દુ વચ્ચે મૂકી છે
અલ્પ સમજ
દાવ જે આવે
માત્ર ખેલૈયો જ બનવું…
– પલ્લવી ભટ્ટ
જીવનની બાજીને રમી લેવા સિવાય આપણો એના પર કોઈ હક નથી. વિતેલી કે આવનારી ક્ષણો તો આપણી પહોંચની બહારની વાત છે. હાથમાંથી સરી જતી સમયની રેતીને બે ઘડી રમાડી લેવી એ જ આપણો તો ખરો ખેલ છે !
Permalink
September 9, 2007 at 1:25 AM by ધવલ · Filed under અછાંદસ, જિજ્ઞાસુ દક્ષિણી
એક ખીલીને
ભણવા બેસાડી…
ગ્રેજ્યુએટ થઈને આવી
ત્યાં સુધીમાં તો
એ
સ્ક્રૂ બની ગઈ !
– જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’
આ કવિ વિષે મને કાંઈ ખબર નથી. અને આ કવિતા ક્યા સંદર્ભે લખી છે એ પણ ખબર નથી. પણ કવિતા એટલા બધા વિવિધ અર્થ -હકારાત્મક અને નકારાત્મક બન્ને- નીકળી શકે છે કે એ તરત જ વિચાર કરવા મજબૂર કરી દે છે. માણસને ‘ખીલી’ માંથી ‘સ્ક્રૂ’ બનાવી દે એ કેળવણી – કેટલી નવી વાત છે ! કેળવણી વિષે તો અઢળક લખાયું-વિચારાયું છે … આવા ‘ચવાઈ ગયેલા’ વિષય પર અને તે પણ માત્ર સવા પાંચ લીટીમાં માણસને વિચારતા કરી દેવો એ પોતે પણ એક સિદ્ધિ છે.
Permalink
September 8, 2007 at 1:06 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર, હસ્તપ્રત

(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)
હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.
આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.
ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.
મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.
હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો
સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.
-રઈશ મનીઆર
માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.
Permalink
September 7, 2007 at 1:47 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના

(લીમડાની એક ડાળ મીઠી… … ચિત્રાંકન: પ્રદ્યુમ્ન તન્ના)
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ફટ્ ભૂંડી ! હું છળી મરું ને તમીં હસો ફરી આડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
– પ્રદ્યુમ્ન તન્ના
જે દિવસે સૌપ્રથમવાર પ્રદ્યુમ્ન તન્નાનું એક ગીત વાંચ્યું એ જ દિવસથી એમના તરફ અનોખો પક્ષપાત થઈ ગયો. અને કેમ ન થાય? આ એક સાવ સરળ સીધ્ધું-સટ્ટ ગીત જ જોઈ લ્યો ને ! આ ભાષાના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… ખરું ને ?
Permalink
September 6, 2007 at 7:28 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર છે થાકવું.
તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
જેમ અવકાશમાં હોય છે ચાલવું.
તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે,
લોહ-ચુંબક સુધી લોહ માફક જવું.
તારી શેરી જ છે કેન્દ્ર બ્રહ્માંડનું,
સૂર્યના તેજનું સાવ ઝાંખું થવું.
એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.
-હર્ષદ ચંદારાણા
પ્રિયતમાની શેરીમાં જવાની વાત પણ જુદી-જુદી કેટલી રીતે -ખાસ તો ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં- મમળાવી શકાય છે તે જોવા જેવું છે. અગાઉ આજ રીતે એક ગઝલ (અમર પાલનપુરીની) આપણે મકાન વિશે માણી હતી એ પણ અહીં જોવા જેવી છે.
Permalink
September 5, 2007 at 11:01 PM by ધવલ · Filed under અછાંદસ
આ દેશમાં
ગાંધી-હ્રદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.
– કીર્તિકુમાર પંડ્યા
Permalink
September 4, 2007 at 11:00 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.
જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.
દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.
તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
– મુકુલ ચોકસી
આજે જ ધ્યાન પર આવ્યું કે આ ગઝલ તો લયસ્તરો પર છે જ નહીં. આ ગઝલની ઓળખાણ મોટા ભાગના લોકોને એના છેલ્લા શેર પરથી હોય છે, જે ઘણો જાણીતો છે. પણ એટલા જ સરસ શેર જીરવી શકાશે… અને દરિયા-પહાડ-આભ... પણ થયા છે. જે પ્રેમ આખી દુનિયામાં ક્યાંય ન સમાય એ પ્રેમને નાની ચબરખીમાં સમાવવાના જાદૂની વાત કવિએ અદભૂત રીતે કરી છે !
Permalink
September 3, 2007 at 11:02 PM by ધવલ · Filed under અશોકપુરી ગોસ્વામી, ગઝલ
દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.
એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.
રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.
જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.
ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.
– અશોકપુરી ગોસ્વામી
વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.
Permalink
September 2, 2007 at 11:27 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !
– પ્રીતમ લખલાણી
આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.
Permalink
September 1, 2007 at 6:17 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર, હસ્તપ્રત

(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.
એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.
ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
-ગૌરાંગ ઠાકર
થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!
Permalink
August 31, 2007 at 3:18 AM by વિવેક · Filed under ગીત, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
પ્રભુનો સ્પર્શ થાય તો કેવો નશો ચડે એનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે આ ગીત. ઈશ્વર અમથા અમથા અડે તોય આખા શરીરમાં રણઝણાટી થઈ જાય એવો કેફ ચડે છે. કવિ કહે છે કે અમે તો એક ખૂણામાં મૂંગામંતર પડી રહેલા તંબૂરા હતા. અમને ચાનક ચડી હતી કે વાગવું તો સૂરમાં નહિંતર નહીં. બસ, છાના-માના અબોલ રડ્યા કરતા હતા. જન્મજન્માંતરો વહી ગયા. કેટલાય ખોળિયા બદલાઈ ગયા પણ અમે કદી રણઝણવાનો ઢોંગ કર્યો નહીં. અઘોરી જેમ સ્મશાનમાં પડીને સાધના કર્યા કરે એમ અમે પણ કદી કોઈને નડ્યા નહીં. પણ આ જન્મારે કોઈના હાથ એવા અડ્યા કે એ અમારા તાર-તારના નાથ બની ગયા. અંગ-અંગથી વહેતા રહે એવા સામટા સૂર અમારા તારે-તારમાંથી ઊઠવા માંડ્યા. અને હવે તો લાખ કોશિશ કરીએ તો યે અમારું હૃદય ચૂપ રહી શકે એમ નથી. એ તો સાંવરિયાનું સામૈયું કરવા સુરાવલિઓ લઈને ઊમડ્યું છે. જુગ-જુગોથી જેને ગોતતા હતા એ સ્વામી આજે મળ્યા છે ત્યારે અમને કદી માણ્યો ન્હોતો એવો કેફ ચડ્યો છે.
(મીણા ચડવા= કેફ ચડવો; ખટક = ચાનક; ખોળ=કાંચળી; સંચરી=વ્યાપી જવું, પ્રસરી જવું)
Permalink
August 30, 2007 at 2:33 AM by વિવેક · Filed under ગઝલ, બી. કે. રાઠોડ 'બાબુ'
મને વેદના એટલે સાંપડી છે,
થયો જેમનો, એમને ક્યાં પડી છે ?
સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે,
પછી શબ્દની એ સરાણે ચડી છે.
નસીબે નથી પ્રેમની બુંદ એકે,
છતાં પ્યાસ મારી બધે આથડી છે.
સિતમ સજ્જનોના મને યાદ છે સૌ,
છતાં આંખ મારી કદી ના રડી છે.
નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું,
હૃદયની કચેરી બધાંથી વડી છે.
ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’
નાની અમથી પણ મજાની ગઝલ… બધા શેર ગમી જાય એવા થયા છે. પ્યાસના આથડવાની વાત વધુ સ્પર્શી ગઈ. હૃદયની કચેરીની વાત પણ. (લયસ્તરો માટે એમનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘અહીંથી ત્યાં સુધી’ પ્રેમભાવે મોકલવા માટે કવિશ્રીનો ખૂબ આભાર…)
Permalink
August 29, 2007 at 10:29 PM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ
ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.
પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !
ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.
જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.
છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !
– સુધીર પટેલ
Permalink
August 28, 2007 at 5:59 PM by ધવલ · Filed under ગીત, જગદીશ જોષી
વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?
સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.
ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?
બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.
રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !
– જગદીશ જોષી
Permalink
August 27, 2007 at 5:43 PM by ધવલ · Filed under મુક્તક, લાભશંકર દવે
એને સૃજનનો મોહ કંઈ લાગે ન એટલે,
આકાર આપીને એ નિરાકાર થઈ ગયો !
એણે ખુશી થઈને કરી સ્વર્ગની સજા,
હું પુણ્ય કમાઈને ગુનેગાર થઈ ગયો !
પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.
મને શાબાશીના બે શબ્દ કહેનારા નથી મળતા,
તો હું પોતે જ હાથે પીઠ મારી થાબડી લઉં છું.
– લાભશંકર દવે
Permalink
August 26, 2007 at 12:24 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ
શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ
દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.
ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ
સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.
-અનિલ જોષી
અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):
ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.
જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.
કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).
ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે…
Permalink
August 25, 2007 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, હસ્તપ્રત

(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.
કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.
જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.
ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !
ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.
-નયન હ. દેસાઈ
નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !
Permalink
August 24, 2007 at 2:12 AM by વિવેક · Filed under ગીત, દેશભક્તિ, નર્મદ, પ્રકીર્ણ
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..
-કવિ નર્મદ
કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…
Permalink
August 23, 2007 at 3:25 AM by વિવેક · Filed under ગઝલ, ધૂની માંડલિયા
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.
આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.
આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?
રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.
-ધૂની માંડલિયા
Permalink
August 22, 2007 at 1:36 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ વ્યાસ
વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !
નથી રંગ એકાંત પર કોઈ ટક્તો,
સહુ રંગ આવે છે જાણે ફટકવા !
લિપિબદ્ધ થાતી રહી મૂંઝવણ પણ,
કહે, કેટલા પ્રશ્ન મારે ખડકવા ?
હવે વેદનાનો કયો આ તબક્કો ?
અવસ્થા ઉદાસીની લાગી છટકવા.
-દિલીપ વ્યાસ
માત્ર ચાર શે’રની બનેલી આ ગઝલ ચાર દિવાલોની મજબૂતાઈથી અર્થનું જે મકાન રચી આપે છે એની આગળ ભાવકે માત્ર નતમસ્તક થવાનું જ રહે છે.
Permalink
August 21, 2007 at 2:32 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,
માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.
દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,
પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.
ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?
લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર
એક સાથે કંઈ પરિબળ કાર્યરત્ ક, ખ, કે ગ.
આ ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,
બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’
-હેમેન શાહ
પ્રતિભા કોટેચાએ મુંબઈ સમાચાર (૧૪-૦૫-૧૯૮૯)માં કરાવેલ આ ગઝલના સુંદર રસાસ્વાદને સંક્ષિપ્તમાં માણીએ:
આપણી ઉમર ગમે એટલી લાંબી હોય છતાં જેમ કક્કામાં સ્વર-વ્યંજનની સંખ્યા નિયત છે એમ એક નિયત આંકડે એનો અંત નિશ્ચિત છે. અને આ લંબી ઉમરમાં સારી વીતેલી ક્ષણો કેટલી? વીસ, બાવીસ કે પચ્ચીસ… માત્ર ક, ખ, કે ગ-આંગળીને વેઢે ગણાય એટલી.
આપણી તરસનાં અનેકાનેક રૂપ હોય છે. આ તરસ મિત્ર પાસે સ્નેહની હોય કે હૉટલમાં ઠંડા પીણાંની હોય. ‘જળાશય જાદુઈ’માં મહાભારતનો સંદર્ભ યાદ આવે. યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના વનમાં જળાશયનું પાની પીનાર ચારે પાંડવો મૃત્યુ પામે છે. યુધિષ્ઠિર યક્ષને ઉત્તર આપી બધાને બચાવી લે છે. આપણે પણ દરવખતે તરસ છિપાવતાં પહેલાં ઘણા સવાલોનું સમાધાન કરવું પડે છે.
રાત્રે ઊંઘ આવતાં આપણે નાઈટ-લેમ્પ ઓલવીને પુસ્તક ધડ્ દઈને બંધ કરી દઈએ છીએ ત્યારે બિચારા અક્ષરો ક, ખ, કે ગ કશું બોલી શક્તા નથી. ચૂં કે ચાં પણ કરી શક્તા નથી.
આપણા લોહકણ પર તો એક જ ચુંબકીયક્ષેત્ર અસર કરે છે પણ આપણા પર તો કેટલાંયે પરિબળો કામ કરતાં હોય છે-ઘર,આડોશપાડોશ, ઑફિસ, સમાજ…. આપણે કેટલીયે દિશાઓમાં ખેંચાવું પડે છે. આ દિશાઓ અને પરિબળો પછી ક હોય, ખ, કે ગ હોય…
જીવનના દરેક ક્ષેત્રે માણસ સામે વિકલ્પોની જટાજાળ ફેલાયેલી હોય છે. આ વિકલ્પો ખોટા જ હોય એવું નથી, પરંતુ આ બધાની તકલીફ એ છે કે માણસને કોઈ એક ચોક્કસ માર્ગ તરફ વધતાં અટકાવે છે. અને ક્યારેક આપણને એવા રૂંધી નાંખે છે કે આપણે ચિત્કારી ઊઠીએ છીએ: બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’
Permalink
August 20, 2007 at 1:52 AM by વિવેક · Filed under મનસુખલાલ ઝવેરી, મુક્તક
દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.
-મનસુખલાલ ઝવેરી
Permalink
August 19, 2007 at 12:12 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર….. ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના)
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો !
અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો !
ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?….
તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું !
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો એ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
– પ્રદ્યુમ્ન તન્ના
તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે.(ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે)
(ખાંત-ઉમંગ, જોરાળો-જોરાવર)
Permalink
Page 101 of 118« First«...100101102...»Last »