આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2006

બે ગઝલ – શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.

***

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

શયદા ( હરજી લવજી દામાણી )

જે જમાનામાં અરબી કે ફારસી શબ્દોથી અને ચીલાચાલુ વિષયોથી ગુજરાતી ગઝલો પ્રચૂર રહેતી તે જમાનામાં શયદા નવો પ્રવાહ લઇ ને આવ્યા હતા. ( કલાપી અને મણિલાલ નભુભાઇની ગઝલો સાથે આ બે રચનાઓને સરખાવીએ તો આપણને આ વાતની પ્રતીતિ થશે. ) ગુજરાતી ગઝલના આ મહાન પ્રણેતાને ‘ગઝલ સમ્રાટ’ યોગ્ય રીતે જ ગણવામાં આવે છે.

Comments (3)

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, ચલો કે.જી. માં –
નાનામોટાં ટાબરિયાં આવ્યાં પ્હેલી, બીજીમાં –

હરિ, માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું,
એડમિશનમાં સ્કૂલો વાતેવાતે પાડે વાંકું,
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?

હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –

સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ,
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ,
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપૂંજીમાં –

હરિ, કરો કન્વેન્ટ નહીં તો ઢોર ગણાશો ઢોર,
કે.જી., પી.જી. ના કરશો તો કહેવાશો કમજોર,
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં –

હરિ, કહે કે કે.જી. કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા, કે.જી. નૈં તો વ્યર્થ ?
કે.જી. ના હો તો ય પલટતો મોહન, ગાંધીજીમાં.

-રવીન્દ્ર પારેખ

પહેલી નજરે રમત ભાસતા આ હરિગીતમાં રવીન્દ્રભાઈ સ્વભાવમુજબ કંઈ નવું અને તરત મનને અડે એવું લઈને આવ્યા છે. સ્કૂલોમાં ભણતરના નામે ફાલી નીકળેલા દૂષણોને ફક્ત દૂરથી અડી લઈને પણ એ મનને ભીનું અને હૃદયને બોજિલ કરી દે છે. ડોનેશન, મોડર્ન નામ, શેરી સંસ્કૃતિનો વિનાશ, ફાસ્ટ ફૂડ, સ્કૂલબેગનું વજન, યુનિફોર્મના જડતાભર્યા નિયમો, કન્વેન્ટનો આંધળૉ મોહ… શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે…

Comments (1)

જીવી ગયો હોત – જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !

– જયન્ત પાઠક

આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.

Comments (2)

મારા ઉરે કોઇ અબૂઝ વેદના – હરિશ્ચન્દ્ર ભટ્ટ

મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.

હરિશ્ચન્દ્ર ભટ્ટ

ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ.

Comments (3)

અંધની ગઝલ – ભગવતી કુમાર શર્મા

હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,

હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.

શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.

સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.

એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.

ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.

રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.

આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?

ભગવતી કુમાર શર્મા

Comments (3)

રસ્તા – રતિલાલ ‘અનિલ’

શહેરોમાં  રહે  છે,  જંગલોમાં  જાય  છે  રસ્તો;
કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા  ધામ  પાસે  કેટલો  વંકાય  છે  રસ્તો !

હું  ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોત,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,
નજરની શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

– રતિલાલ અનિલ

શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે !

Comments (2)

છપ્પા – અખો

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વાણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )

અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.

Comments (21)

ચાલ, અહીંથી ભાગી છૂટીએ – રિષભ મહેતા

આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’

અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

-રિષભ મહેતા

આ સરસ મજાની ગઝલની બીજી એક ખૂબીએની આંતરિક પ્રાસરચના છે. દરેક શેરની પહેલી પંક્તિના બન્ને ટુકડામાં અંત્યાનુપ્રાસ જળવાયો હોવાથી ગઝલમાં એક અનોખો લય ઉપસી આવે છે. રિષભ મહેતા કોલેજમાં આચાર્ય છે. જન્મ: વેડછા ગામ (નવસારી), 16-12-1949. કાવ્યસંગ્રહો: ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.

Comments (2)

રતિલાલ ‘અનિલ’ને ‘આટાનો સૂરજ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.

સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !

એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.

Comments (3)

તઝમીન – ‘રાઝ’ નવસારવી

ચીનુ મોદીનો પ્રખ્યાત શેર :

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

આ શેર પરથી રચેલ તઝમીન :

રાત દિવસ દિલથી માલિકને ભજી,
ક્યારથી બેઠો છું દુનિયાને તજી,
મારી નિષ્ઠામાં છે તમને શક હજી?
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

‘રાઝ’ નવસારવી

તઝમીન એટલે કોઈ બે પંક્તિઓ લઈને એના અર્થને અકબંધ રાખીને ત્રણ પંક્તિઓ ઉમેરીને બનાવેલી કુલ પાંચ પંક્તિની રચના. નવસારીમાં 9 ડીસેમ્બર 1935 ના રોજ જન્મેલા, નવસારીમાં જ હાલ રહેતા અને નિવૃત્ત શિક્ષક એવા આ શાયરનું નામ છે સૈયદ સગીરઅહમદ અલીજાન. તેમણે ઉપરોક્ત તખલ્લુસથી ગઝલો, મુક્તકો અને તઝમીન લખ્યાં છે. તઝમીન તેમની ખાસ વિશેષતા છે.

Comments (1)

અજવાળું, હવે અજવાળું – દાસી જીવણ ( જીવણ સાહેબ)

અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.

સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ

જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ

ખીમ*ને ભાણ* રવિ* રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ

દાસી જીવણ સત ભીમ*નાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . – ગુરુ આજ

દાસી જીવણ ( જીવણ સાહેબ)

( *= ગુરુઓના નામ )
18મી સદી ઉત્તરાર્ધના, રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.

Comments (1)

કહેવાય નહી – અમૃત ઘાયલ

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

આ ગઝલ મોકલવા માટે આભાર વિરલ બુટાણી.   

Comments (4)

માણસ ખોવાયો છે – શ્યામ સાધુ

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !

જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !

અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !

માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !

– શ્યામ સાધુ

Comments (2)

પૂર્વજન્મ – પ્રીતમ લખલાણી

બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!

-પ્રીતમ લખલાણી

અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.

Comments (4)

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ)

પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

પ્રેમનું શું કરવું, નિજમાં જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના લાજે ?
બુંદને શું કરું જે પ્રસરે , ના વહે ?

પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને બાળતો.

ઉશનસ્

Comments (5)

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી  જાતાં  ચરણને શું કરું.
કાળમીંઢી  શક્યતા પલળે નહીં,
તો  ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

Comments (3)

રાજેન્દ્ર શુક્લ આપે છે ‘કવિતાના શબ્દ’ની ઓળખાણ

ગુજરાતી ભાષાના સૌથી સમર્થ સર્જકોમાંથી એક એવા શ્રી રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં ‘કવિતાનો શબ્દ’ એ વિષય પર વક્તવ્ય આપેલું. જેણે શબ્દની ધૂણી ધખવીને જીંદગી કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર  વાંચવાનું રખે ચૂકતા.

ઉમેરો :  દિવ્ય-ભાસ્કરમાં કવિશ્રી સાથે સંવાદનો અહેવાલ વાંચો.

Comments (1)

કોણ રોકે? – સ્નેહરશ્મિ

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

સ્નેહરશ્મિ

Comments (2)

દ્વિધા – જાવેદ અખ્તર

કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?

નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ 
મને ખબર છે
હું આમ અટકી ગયો તો

પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો

હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું

હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?

જાવેદ અખ્તર 

અનુવાદ – રઈશ મનીઆર

Comments (2)

શબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ

પાણીમાં   હરીફોની   હરીફાઈ   ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.

*

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું  છે  એ કે  છે  જનમ  કે  અવતાર;
મયખાનામાં  યે  સાચા  શરાબી  છે જૂજ,
મસ્જિદમાં  યે  છે  સાચાં નમાઝી બે-ચાર.

*

શ્રદ્ધાથી   બધો    ધર્મ વખોડું  છું હું,
હાથે  કરી  તકદીરને   તોડું  છું  હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – અમૃત ઘાયલ

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં  જામ,  આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. 

( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )

*

ઉલ્લાસની   ઉમંગની  અથવા  વિષાદની,
ફરિયાદની   હો  વાત, કે હો વાત યાદની;
થાતી  નથી  મુરખને કોઇ વાતની  અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

અમૃત ઘાયલ

Comments

શબ્દોત્સવ – ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? – શેખાદમ આબુવાલા

આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી  સડકો પર એ  લાંબા કદમ  ભરે છે.
એ  કેવી રીતે ભૂલે પોતાની  પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !

– શેખાદમ આબુવાલા

Comments

આજે છે ‘રૂસ્વા’ મઝલૂમીનો 91મો જન્મ દિન

આજે પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી –  ‘રૂસ્વા’ મઝલૂમી – નો જન્મદિન છે. 91 વર્ષના આ શાયર ગુજરાતી સાહિત્યનું એક ઘરેણું છે. જેને માણસ કહી શકાય તેવા આ માણસે પોતે તો બહુ જ ઉચ્ચ કક્ષાની ગઝલો સરજી છે, પણ તેથી પણ વધારે સારું કામ તેમણે આપણા સાહિત્યના અણમોલ રત્ન જેવા બે ગઝલકારો અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઘડતરનું કર્યું છે. તેમના જ બાગમાં આ બે છોડ પાંગર્યા હતાં. આ ઉપરાંત તેમણે લખેલી સ્વાનુભવ આધારિત વાર્તાઓ પણ અણમોલ રત્ન જેવી છે.

નવાબી ઠાઠમાં ઉછરેલા અને નવાબી શોખવાળા આ ‘માણસ’ને નવાબી જતાં જીવનના સંઘર્ષોનો ઘણો સામનો કરવો પડ્યો. છતાં 91 વર્ષની ઉમ્મરે પણ જળવાઇ રહેલી તેમની મગરૂરી અને જિંદાદિલી આ ગઝલોમાં બહુ સરસ રીતે ઉપસી છે.

આજના શુભ દિને આપણે તેમને શુભ કામનાઓ અર્પીએ અને કમ સે કમ આપણી ભાષાના આ પ્રેમને ટકાવી રાખી તેમને એહસાસ આપીએ કે, તેમણે ગુજરાતી સાહિત્યની કરેલી સેવા આપણે હંમેશાં યાદ રાખીશું.

તેમના જીવન વિશે વધુ જાણવા અહીં ‘ક્લીક’ કરો.

તેમની રચનાઓ – તેમના જ શબ્દોમાં – તેમના જીવન વિશે કેટલું બધું કહી જાય છે?

જીવન સિધ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.  

*** વધુ આગળ વાંચો…

Comments (7)

શબ્દોત્સવ – ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ  ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.

કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.

Comments (1)

શબ્દોત્સવ – ૬: ભજન: સમય મારો સાધજે વ્હાલા !

સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….

જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….

કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….

આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા …. 

–  સંત પુનીત

Comments

શબ્દોત્સવ – ૬: ભજન: સાધો, તંબૂર પણ તરફડશે – હરીશ મીનાશ્રુ

સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.

મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.

ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે.  જ્યારે જાતમાં  તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે.  ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે !  જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.

Comments

શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.

કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.

Comments (4)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – સ્નેહરશ્મિ

બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે

*

વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.

*

આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે

*

પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.

***

ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે

–  સ્નેહરશ્મિ

Comments (1)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – પન્ના નાયક

અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં

– પન્ના નાયક

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…

Comments (12)

શબ્દોત્સવ – ૪: ગીત: ફુલ વીણ સખે! – કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

કલાપી

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: અનુભૂતિ – જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
                  કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
                  જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
                  એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
                  રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
                  આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
                  જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
                  જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને  ઠરવાનો
                  જળને છે ઝીણો સંતોષ !

– જગદીશ જોષી

Comments (1)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.

ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

Comments (6)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: છેલ્લી મંજિલ – સુંદરમ્

સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!
સલામ, દિન કો ઊગે, દિન તણી ઊગે કેડી–ઓ
પ્રલમ્બ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;
ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.

અહો સુખ ઉરે ઘણું – ભવન તાહરે, મંજિલ !
હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,
સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-
સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.

અરે, પણ સદા ન મંજિલ કદાપિ વાસો બને.
નિશા સમયની ઘડી અબઘડી અહીં ગાળવી :
પ્રભાત કૂકડાની બાંગ સહ વાટને ઝાલવી.
સદા સફરી કાજ તો સ્વ-પથ એ જ સંગાથ હા,

સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :
ફરી ન મુખ તાહરું દૃગપથે કદી આવશે.

સુંદરમ્

(25-1-1952)

Comments

શબ્દોત્સવ – ૩: સૉનેટ: સખી મેં કલ્પી’તી – ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)

આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !

Comments (1)

શબ્દોત્સવ – ૨: અછાંદસ: એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.

મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.

Comments (5)

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને….રમેશ પારેખ

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

ખેતર ઉપર કંકુવરણું આભ ઊગે
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાનાં ટોળાં ઊડે
ફરફરતી કૈં પવનકોરને લયની ઝાલર બાંધે

ચાસચાસમાં વાંભ વાંભનો કલરવ ઝૂલે

મને થાય કે હમણાં ભૂરી પાંખ સમેટી આભ ઊતરશે
કૂવાના મંડાણ લગી
ને કલબલ કલબલ માનસરોવર પીશે

હમણાં –
કોરાભસ કૂવાથાળે કૈં જળના દીવા થાશે

હમણાં –
ખાડાખૈયા સૂકાં પાનની જેમ તણાતા જાશે

હમણાં –
તરબોળાશે કેડી ત્યારે તરબોળાતી કેમ કરી રોકાશે મારી લાલ પછેડી ?

ત્યાં તો –
ઝળહળ ઝરતો પ્હોર
આભના ઘુમ્મટ પર ચીતરાય
પીળું ઘમરખ બપોરટાણું ધોમ તપે તડકો એવું કે
પડછાયાઓ વેંતવેંત પથ્થરમાં ઊતરી જાય
આંખ અને નભ વચ્ચે અંતરિયાળ ઓગળે
પસાર થાતા એકલદોકલ વનપંખીની કાય

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

રમેશ પારેખ

Comments

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ઘર – ઉદયન ઠકકર

મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.

હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.

ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’

ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?

– ઉદયન ઠકકર

મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર  તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !

Comments

શબ્દોત્સવ – ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! – ‘ગની’ દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

-‘ગની’ દહીંવાળા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17-08-1908, મૃત્યુ: 05-03-1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’

Comments (5)

શબ્દોત્સવ – ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ – જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

જવાહર બક્ષી

Comments (6)

શબ્દોત્સવ – ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા – મુકુલ ચોકસી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોકસી

સૌથી મોઘાં વાઈનની બાટલી લોકો વર્ષો સુધી સંઘરી રાખે છે. અને કોઈ ખાસ અવસરના દિવસે જ એને ખોલે છે. આ ગઝલનું મારાં માટે એવું છે. મુકુલ ચોકસીની આ ગઝલ મારા માટે ખૂબ ખાસ છે. અમે આ ગઝલ સ્કૂલકાળમાં મહિનાઓ સુધી રોજ થોડી થોડી માણતા. દોસ્તો આના શેર અવારનવાર ટાંકતા. એ રીતે અમારા દોસ્તોમાં બધાની ખાસ ગઝલ થઈ ગયેલી. એના એક એક શેર સાથે કેટલીય યાદો સંકળાયેલી છે. મૂળ ગઝલ તો લગભગ પચ્ચીસ પાના લાંબી છે. એમાં ગહનચિંતનથી માંડીને તદ્દન રમતિયાળ એવા બધા પ્રકારના શેર છે. અહીં તો માત્ર થોડા શેર ટાંકુ છું. આ ગઝલ, એ દિવસોની યાદમાં જ્યારે ગઝલ એ વાંચવાની નહીં પણ જીવવાની ચીજ હતી !

Comments (6)

લયસ્તરો પર દરેક પાને સદાનવીન કાવ્યકણિકાઓ !

લયસ્તરોની બીજી વર્ષગાંઠના પ્રસંગે એક નવી સવલત ઊમેરી છે. આ વાંચતા પહેલા જ મોટે ભાગે આપે જોઈ જ લીધું હશે કે દરેક પાનાના મથાળે હવે એક કાવ્યકણિકા – શેર, મુક્તક કે કાવ્યપંક્તિ -દેખાય છે. મઝાની વાત તો એ છે કે દરેક વખતે પેજ રીફ્રેશ થતા નવી જ કાવ્યકણિકા દેખાશે. દરેક પાને અને દરેક ક્લીકે ગુજરાતી સાહિત્યની યાદગાર કાવ્યકણિકાઓમાંથી એક આપનું સ્વાગત કરશે !

Comments (4)

શબ્દોત્સવ : લયસ્તરોની બીજી વર્ષગાંઠની ઊજવણી

લયસ્તરોની બીજી વર્ષગાંઠની ઊજવણી માટે શબ્દોત્સવથી વધારે સારી રીત કઈ હોઈ શકે. આવતી કાલથી એક અઠવાડિયા સુધી રોજ અમે એક નવો કાવ્ય પ્રકાર આપની સામે રજૂ કરીશું. આવતી કાલે શરૂઆત ગઝલથી કરીશું. એ પછી અછાંદસ, સોનેટ, ગીત, હાઈકુ, ભજન અને છેલ્લે મુક્તકનો વારો. રોજ અમે ત્રણે જે તે કાવ્યપ્રકારની ત્રણ રચનાઓ મૂકીશું. એટલે કે સાત દિવસમાં કુલ એકવીસ રચનાઓ. તો આવતી કાલથી જોડાઓ અમારી સાથે લયસ્તરોની બીજી વર્ષગાંઠ નિમિત્તે આ શબ્દોત્સવમાં !

Comments (1)

લયસ્તરોની બીજી વર્ષગાંઠ : આપના પ્રતિભાવ !

લયસ્તરોની આજે બીજી વર્ષગાંઠ છે. બે વર્ષ પહેલા મનને ગમી ગયેલી અને દિલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ શરૂ કરેલો. બે વર્ષમાં આ બ્લોગે અમને ઢગલાબંધ કવિતાઓ સાથે અને એનાથીય વધુ તો કવિતા જેવું દિલ ધરાવતા મિત્રો સાથે ઓળખાણ કરાવી આપી છે. આજે એ પ્રસંગે મિત્રોએ મોકલેલ પ્રતિભાવો અહીં માણો.

મુંબઈથી મીનાબેને એમના સ્નેહાળ શબ્દો મોકલ્યા છે:

મિત્ર ધવલ, લયસ્તરો આ નામ નથી જાણતી તેં કયા વિચારથી પ્રેરાઈને પસંદ કર્યું છે પણ આ સ્તરનો લય અવિરત સુગંધ પસરાવતો વહી રહ્યો છે. આ માટે તમારા ત્રણેની ટીમ – તું, વિવેક અને સુરેશભાઈ … આપ ત્રણેના કાર્ય સામે નતમસ્તક છું. અહીં નેટ પર વિવેકના બ્લોગ બાદ લયસ્તરો જ છે જેના પર હું વાંચવા આવું છું. સમયની અછતને કારણે બીજા પણ સારા બ્લોગ વાંચવાના રહી જાય છે ને આ બે બ્લોગ પણ હું સમય પર વાંચી નથી શકતી પણ જે ઘડીએ વાંચું છું લાગે છે કે એ દિવસનો મારો માનસિક આહાર મેં બરાબર લીધો છે. આપ ત્રણેને મારી શુભકામના. લયસ્તર પર આવતા એવું લાગે છે જાણે આખા દિવસના કામબાદ થાક્યા ઘરે પાછા ફર્યા છીએને થોડી જ વારમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. આગળ હવે આપ સૌની જવાબદારી પણ વધી જાય છે. આટલું સરસ સ્તર બનાવ્યા બાદ એની પાત્રતા વધુ ને વધુ સારી રીતે જળવાઈ રહે એની દરકાર રાખશો જ.

જરૂરથી મીનાબેન, અમે લયસ્તરોનું સ્તર જાળવવા માટે કોઈ કસર નહીં છોડીએ.

વધુ આગળ વાંચો…

Comments (8)

હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું –
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત

શાળામાં આ કાવ્ય ભણતા હતા ત્યારે એનો અર્થ જેટલો વિશાળ ભાસતો હતો એનાથી હવે કદાચ અનેકઘણો વિશાળ લાગે છે. વિશ્વ વધુ ને વધુ સાંકડું થતું જાય છે ત્યારે આ કવિતાથી વધુ પ્રાસંગિક શું હોઈ શકે? પ્રથમ નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય વળી છંદોબદ્ધ પણ છે…

Comments (3)

હંકારી જા – સુંદરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

– સુંદરમ્

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે.

કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2’ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

Comments (2)

હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.
હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”
પછી – થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.
મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.
શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?
પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

શરીર હવે સાવ ઉદાસીન થઈ ગયું છે – આગથી ને આંસુથી.
ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે,
પણ બહેરા કાનથી સંભળાશે નહીં. સ્મશાનમાં પ્રવેશતાં જ
મંદિર આવશે પણ મને દેખાશે નહીં અને હાથ જોડાશે નહીં,
સ્મશાનની બહાર વહી જતાં વહાનોની ભીડ કાયમને માટે ક્રોસ કરીને આવ્યો છું…

છાપામાં યુદ્ધના, ખૂનના, વિમાન પડવાના, આગના સમાચાર હશે:
પણ, એથી શું? મારું પાંચ માળનું મકાન થોડી જ વારમાં ભસ્મીભૂત થઈ જશે
અને એની નોંધ છાપામાં ‘ન્યૂઝ વેલ્યુ’ વિનાની.

– જગદીશ જોષી

કાવ્ય મૃત્યુનું છે પણ એમાં શોક નથી. એમાં બસ ઉદાસીનતા છે. જીવવાનો કંટાળો જાણે મરણમાં પણ છલકાયો હોય એમ. જીવનનો ખાલીપો મોતને પણ નડશે. મોત પૂર્ણવિરામ તરીકે નહીં પણ એક વધુ ખાલીપાની શરૂઆત તરીકે આવશે. કાવ્ય પોતે ખૂબ સશક્ત છે પણ વાંચ્યા પછી વિચાર આવે છે કે પોતાના મૃત્યુનું આવું ખાલીખમ વર્ણન કરતું કાવ્ય કવિએ કેવી મનોસ્થિતીમાં લખ્યું હશે ?

Comments (1)