ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 16, 2012 at 10:58 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ,
ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ.
એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ
પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ
દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ
અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ.
આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ
અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ.
– રમેશ પારેખ
મુઠ્ઠી અને તાલી. બે શબ્દોએ મને વિચારતો કરી દીધો. કેટલાક માણસો તાલી જેવા હોય છે અને કેટલાક મુઠ્ઠી જેવા. એક પકડ્યા પકડાય નહીં,બીજાને ખોલતાય ખુલવાનું નસીબ થાય નહીં. કદાચ એવા, મુઠ્ઠી જેવા, માણસો માટે જ કવિએ દરવાજો ખોલી જોવાની વાત લખી છે.
Permalink
May 10, 2012 at 8:00 PM by ઊર્મિ · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.
પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.
કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.
માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.
અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.
પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.
– ઉર્વીશ વસાવડા
બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…
Permalink
May 8, 2012 at 11:28 PM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
જીવ વગર એ જળ ના મૂકે,
કાળ કુંવારી પળ ના મૂકે.
માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.
એને પણ માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.
ફૂલકૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.
વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.
ક્રૂર ઘાતકી પ્રીત કાય-ની :
બળે દોરડી વળ ના મૂકે.
– મણિલાલ હ. પટેલ
ટૂંકી બહેરની પણ અર્થગંભીર ગઝલ…
Permalink
May 5, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.
કોણ ટહુક્યું ભર બપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.
બારી ખોલી – મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.
જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.
બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.
જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.
– હેમેન શાહ
એક મજાની 10/10 ગઝલ !
Permalink
May 3, 2012 at 10:00 PM by વિવેક · Filed under ગઝલ, પ્રકાશ ચૌહાણ 'જલાલ'
ભેગાં કરીશ બોર તો એ કામ આવશે !
ક્યારેક તો આ ઝૂંપડીએ રામ આવશે !
મારી આ બરબાદી વિશે એણે પૂછ્યું નહીં !
એને હતો એ ડર કે એનું નામ આવશે !
દુર્ભાગ્યનો નિયમ સદા અવળો જ હોય છે !
તું ‘એમ જા’ કહીશ ને એ આમ આવશે !
મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
લાગે છે તારા હાથથી અંજામ આવશે !
ખોળો ગઝલનો તો કદી ખાલી નહીં રહે !
આદિલ, ચિનુ, મરીઝ ને બેફામ આવશે !
– પ્રકાશ ચૌહાણ ‘જલાલ’
પહેલી જ નજરે ગમી જાય એવી પણ બીજી નજરે ? ત્રીજી નજરે ? વધુ ને વધુ ગમી જાય એવી ગઝલ…
Permalink
May 1, 2012 at 12:31 AM by ધવલ · Filed under ગઝલ, જાતુષ જોશી
ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?
એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?
અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?
આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?
ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?
– જાતુષ જોશી
માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.
Permalink
April 27, 2012 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
એવો ઘા, ના સાંધો રેણ,
છૂટ્યા રે ગોફણ થી વેણ.
ના તૂટે આ વિષ ના દંત,
છો ને પટકે માથું ફેણ.
કોણે કીધું છે દુષ્કાળ,
બન્ને કાંઠે વરસે નેણ.
જળ થળ કીધા એકાકાર,
કેવા થ્યા ભૂરાયા વ્હેણ.
લેવા આવ્યા’તા કિરતાર,
મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.
-પારુલ ખખ્ખર
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ જેના જીવનને અડતી ન હોય એવા લોકો હવે મળવા અઘરા થઈ પડ્યા છે. ફેસબુક જેવી આ સાઇટ્સના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ… પણ મારે તો ફાયદાની જ વાત કરવી છે.
નાની ઊંમરે કવિતા લખવાનું શરૂ કરનાર પારુલ ખખ્ખરની જિંદગીમાં ફેસબુકે જબરદસ્ત વળાંક આણ્યો. એની અંદર જે કાચો માલ હતો એ ફેસબુક અને ફેસ-ટુ-ફેસ કવિઓની મદદથી સંવર્ધિત થયો અને પરિણામસ્વરૂપ આ અને આના જેવી અનેક ગઝલ…
અઘરો કાફિયો અને ટૂંકી બહેર જેવી સાંકડી ગલીમાં પણ આ ગઝલ અદભુત કામ કરી શકી છે…
Permalink
April 25, 2012 at 9:58 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે
– જવાહર બક્ષી
આ ગઝલ એક અનુભવ છે. અને અનુભવમાંથી તો પસાર થવાનું હોય. એને સમજવાની જીદ ન કરાય.
ગઝલ એબસ્ટ્રેક્ટ છે. પણ એનું બંધારણ ઘણું કહી જાય છે. સાંકળીને જેમ ગુંથેલા શેર આડકતરી રીતે બધી ચીજો એકબીજા સાથે કેવી જીવનચક્રમાં ગુંથાયેલી છે એ ઈંગિત કરે છે. શરુઆતમાં જે ખિસકોલીના અવાજમાં ખેંચાઈ જતા’તા એ અવાજમાં છેલ્લે કવિને પોતાનો જ અવાજ સંભળાય છે. એ વાત ફરી સમજાવે છે કે આ આખું ચક્ર ફરી ફરીને એ જ જગાએ આવવાનું છે.
કોઈને આ ગઝલમાં જન્મથી મૃત્યુ સુધીની વાત દેખાશે તો કોઈને એક દિવસની ગતિવિધિ દેખાશે. ને વળી કોશિશ કરશો તો પ્રેમ, મિલન અને જુદાઈનું ઝીણું ચિંતન પણ મળી આવશે. કોઈએ એબસ્ટ્રેક્ટ કવિતાને મેળામાં જોવા મળતા વક્રસપાટીવાળા રમૂજી અરિસા સાથે સરખાવી છે. પહેલા તો પ્રતિબિંબ એટલું વિચિત્ર લાગે કે થાય કે આ વળી શું છે ? પણ, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે એ તમારું પોતાનું જ પ્રતિબિંબ છે.
Permalink
April 24, 2012 at 9:32 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.
ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.
હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો
દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.
આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.
– ભરત વિંઝુડા
એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.
Permalink
April 14, 2012 at 3:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
મનગમતી ક્ષણ તડકે મૂકી !
પોત નવું વણ તડકે મૂકી !
હાશ કરી મન હેઠું બેઠું,
ભીતર ના વ્રણ તડકે મૂકી !
શુભ-ફળના સંકેત ગણું છું,
તેર તણાં ત્રણ તડકે મૂકી !
દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
તો પીધું રણ તડકે મૂકી !
પગભર થાશે એ આશાએ ,
કાચી સમજણ તડકે મૂકી !
ખાલી થઈને થ્યું ભીનું મન ,
કોરા સગપણ તડકે મૂકી !
દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
તારણ, કારણ તડકે મૂકી !
રોજ હવે ઊગાડું અવસર ,
તિથિ ને તોરણ તડકે મૂકી !
હું ગઝલો થી આપું ઓળખ ,
ધારા-ધોરણ તડકે મૂકી !
– લક્ષ્મી ડોબરિયા
નાની બહેરની ગઝલમાં તડકે મૂકી જેવી અઘરી રદીફ લઈ ચુસ્ત અને આટલા બધા કાફિયા સાથે કામ પાર પાડી મોટાભાગના શેર સંતર્પક આપવા એ કંઈ આસાન કામ છે? શું કહો છો?
Permalink
April 12, 2012 at 10:00 PM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, સાહિત્ય સમાચાર

*
ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.
ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.
કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?
શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.
જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
-અંકિત ત્રિવેદી
આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…
Permalink
April 10, 2012 at 11:12 PM by ધવલ · Filed under ગઝલ, માવજી મહેશ્વરી
ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ
દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.
તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.
આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.
કાંડે વીંટાયો છે સાપ,
કંકણનો રણકાર ન પૂછ.
તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.
– માવજી મહેશ્વરી
શેખાદમની યાદ અપાવી દે એવી સરળ-સશક્ત ગઝલ.
Permalink
April 9, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે
વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે
આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?
શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે
સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે
મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે
-રઇશ મનીઆર
Permalink
April 7, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?!
જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે
રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે !
ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?!
લાગે છે – ભીરુતા ઢબૂરી છે !
ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
જિંદગી કંઈ નથી, મજૂરી છે !
ખાસ મિત્રો છે… મોટી દહેશત છે…
રામ મુખમાં, બગલમાં છૂરી છે.
એક-માર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે.
– બકુલેશ દેસાઈ
અહિંસાના માર્ગ વિશે હંમેશા બે મત રહ્યા છે. ગાંધીજી જેવા ભડવીર તો કોઈક જ હશે જે બંદૂકની સામે અહિંસાનું હથિયાર લઈ ખુલ્લી છાતીએ ઊભા રહી શકે. બાકી મોટાભાગના અહિંસાપ્રેમીઓ હકીકતમાં હિંસા એમનો ‘કપ ઑફ ટી’ ન હોવાના કારણે અહિંસાનો માર્ગ લેતા હોય છે. કવિએ શ્રદ્ધા અને સબૂરીની બરાબર સુરતી શૈલીમાં ધૂળ ઝાડી છે…
બે દિવસ પહેલાં જ ધવલે મંગળ રાઠોડનું એક આવા જ મિજાજનું અછાંદસ મૂક્યું હતું એ પણ જોવા જેવું છે.
Permalink
April 4, 2012 at 10:46 PM by ઊર્મિ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.
દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી
હતા બાળકો જયારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી
નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત ?
ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.
ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.
– હિતેન આનંદપરા
આ ગઝલ એટલે ‘માણસ’ નામનાં સ્વાર્થી પ્રાણીની છ અલગ અલગ રીતે કવિએ લીધેલી જબરદસ્ત ઉધડી! દરિયાકિનારા અને સુંદરતાવાળા શેરોનો સાક્ષાત્કાર વારંવાર થતો રહેતો હોવાને કારણે જરા વધુ ગમી ગયા… 🙂
Permalink
April 1, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !
કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.
તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.
આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !
આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.
રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.
જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !
એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.
-રતિલાલ ‘અનિલ’
Permalink
March 26, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, નીતિન વડગામા
કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.
સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.
એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.
વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.
એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં
સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં
-નીતિન વડગામા
સરળ શબ્દો,ગૂઢ અર્થો…..
Permalink
March 23, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાર્ગવ ઠાકર
હૃદયની આરપાર છે,
સ્મરણ આ ધારદાર છે.
નહીં રૂઝાય ઘાવ આ,
અતીતનો પ્રહાર છે.
આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.
તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.
કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.
-ભાર્ગવ ઠાકર.
નાની બહેરમાં કામ કરવું એ આમે દોરી પર ચાલવા બરાબર છે અને એમાંય લગાલગાના આવર્તન લઈને ગઝલ લખવી એ તો વળી હાથમાં વાંસ પકડ્યા વિના ચાલવા બરાબર છે. બહુ ઓછા કવિ આ નાજુક સમતુલન જાળવીને ઉત્તમ ગઝલ આપી શક્યા છે. રાજકોટના ભાર્ગવ ઠાકર પ્રસ્તુત ગઝલમાં આ કામ સુપેરે કરી શક્યા છે…માણીએ એક શાનદાર, જાનદાર અને ધારદાર ગઝલ !
Permalink
March 22, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under એસ. એસ. રાહી, ગઝલ
ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું,
બંનેની શક્યતા છે હું એવો અમીર છું.
મારી ત્વચા વડે જ બધું સાંભળું છું હું,
અફવા છે એવી લોકમાં કે હું બધીર છું.
એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
હું તો સમયની જેલનો જૂનો અસીર છું.
ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું.
એમાંથી એકને તમે ચાહી શકો પ્રિયે,
શાયરનું રક્ત છું અને થીજેલું નીર છું.
દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.
શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં એમને કે હું વજીર છું.
– એસ.એસ.રાહી
Permalink
March 16, 2012 at 12:18 AM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)
એમ તો આખી ગઝલ મિત્ર અને મિત્રતાને ખૂબ જ ઊંચાઈ બક્ષે છે, પરંતુ અંગતરીતે બીજો શેર અને એનો અહેસાસ મારા હૃદયની ઘણી જ નજદીક છે.
આજે પ્રિય વિવેકને એના જન્મદિવસે અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ… એની ઘણી ગમતી ગઝલોમાંની ખૂબ જ ગમતી આ ગઝલથી વધુ ખાસ ભેટ આજે એને માટે બીજી કોઈ હોઈ શકે ખરી ? વ્હાલા મિત્ર, તારી આ ગઝલ તને જ અર્પણ. એ ખભો નહિ હોય તો નહિ જ ચાલશે, એટલે જ તારી મૂંછોનાં ખેતરમાં બગલાઓ થોડા ધીમે ધીમે બેસે એવી શુભકામનાઓ. 🙂
Permalink
March 12, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની,લગાવ,લહરો- આ હાવભાવ શું છે ?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે ?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?
ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું-
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું યે નથી તો ઝળહળ પડાવ શું છે ?
-રાજેન્દ્ર શુકલ
સરળ લાગતી આ ગઝલના શેર ભારે અર્થગંભીર છે. માત્ર બે શેરની વાત કરું છું-
પહેલા શેરમાં સમયની વાત છે. અનાદિ એવં અનંત એવા સમયની સાપેક્ષે કવિ પોતાના અસ્તિત્વને મૂલવે છે. હું એક સાક્ષી છું જે સમયની આવન-જાવન જોઈ રહ્યો છું કે પછી સમય સાક્ષી છે અને……?!
‘ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,……’ – નજૂમી એટલે જ્યોતિષ-ભવિષ્યવેત્તા. પ્રિયતમા માટે ‘નમણા નજૂમી’ વિશેષણ પ્રયોજી કવિએ કમાલ કરી છે ! પોતાનું ભવિષ્ય જેના હાથમાં છે એવી નમણી નાયિકાને કવિ કહે છે- ભવિષ્યની મને કશી ચિંતા નથી, પણ વર્તમાનમાં હું જે તડકો-છાંયડો અનુભવી રહ્યો છું તે શું છે ?! ……શું નાજુક ઈશારો છે !
છેલ્લેથી બીજો શેર પણ અત્યંત ઉમદા છે.
Permalink
March 4, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરિકૃષ્ણ પાઠક
માર્ગમાં રાખી મને ઊભો જરી,
માર્ગ પૂછી કોણ આ ચાલી ગયું !
પૂરનાં પાણી ગયાં; જોતો રહ્યો:
લેશ મન હળવું નહીં – ખાલી થયું.
ડાળ પર પંખી નહીં બેઠું છતાં
પાંદડું એકેક કાં હાલી ગયું ?
બંધ બારી-બારણાં તાકી રહ્યાં,
આંગણે આવેલ કો ચાલી ગયું.
મૌન એવું મર્મને ડંખી ગયું –
કે ભર્યું એકાંત પણ ખાલી રહ્યું !
-હરિકૃષ્ણ પાઠક
Permalink
March 2, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિ, ગઝલ
આજનો અંધાર જો, રળિયાત છે !
આપણી વચ્ચે શું કોઈ વાત છે?
ક્યાં ગયો લય, જે હતો હર શબ્દમાં?
દિલમાં મારા એ જ ઉલ્કાપાત છે.
એ ધધખતું રણ લઈને આવશે,
એ સ્મરણ છે, એ જ એની જાત છે.
એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.
કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
તું નથી ને તોયે તું સાક્ષાત છે.
ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.
-મોના નાયક ‘ઊર્મિ’
લયસ્તરોની સહસંપાદિકા અને આશાસ્પદ કવયિત્રી મોનાની એક તરોતાજા ‘ઊર્મિ’સભર ગઝલ… સરળ ભાષા, સહજ બોધ અને ત્વરિત પ્રત્યાયનશીલતા – કોઈ પણ ઉત્તમ ગઝલના આ બધા ઘરેણાં યોગ્ય રીતે પહેરીને આવેલી આ દુલ્હનને આવકારીએ…
Permalink
March 1, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સાદિક મન્સૂરી
જીંદગી અર્પી છે એણે માણવા જેવી મને,
તે છતાં લાગે છે એ તો ઝાંઝવા જેવી મને.
દર્દ પળ માટે મને આપ્યું છે એણે પ્યારથી,
લાગી એ દ્રષ્ટિ કૃપાની મહાલ્વા જેવી મને.
જીંદગીભર આપણાઓએ દુ:ખો આપ્યા છતાં
લાગી સુખ-સોગાત સૌને આપવા જેવી મને.
પ્રેમની વાણી થકી જીતાય છે દુનિયા બધી,
વાત લાગી સત્ય ગાંઠે બાંધવા જેવી મને.
સત્ય કેરી લાગણીને ચાહતોમાં ફેરવી
એ હૃદય-ચક્ષુમાં લાગે આંજવા જેવી મને.
કોણ જાણે દિલ ન લાગે કેમ આ દુનિયા મહીં,
લાગતી દુનિયા નથી બસ લાગવા જેવી મને.
જૂઠ ને પ્રપંચને દુનિયા વરી છે આજકાલ,
લાગે આ દુનિયા તો ‘સાદિક’ ત્યાગવા જેવી મને.
– ‘સાદિક’ મન્સૂરી
પ્રેમની વાણી અને હૃદય-ચક્ષુવાળો શેર જરા વધુ ગમી ગયા…
Permalink
February 26, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?
ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે !
ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે !
ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે !
શ્વાસ અલગારી હશે, ઉચ્છવાસ વરણાગી હશે;
જયારે મીઠી મૂંઝવણ મનમાં થવા લાગી હશે.
મય હશે મુસ્તાક મારી આંખની મસ્તી વિશે;
જામને પણ મારા હોઠોની તરસ લાગી હશે.
આ હ્રદય જંપે, નહોતાં કોઈ એવાં કારણો;
એની શાતા કાજ દુનિયાએ દુઆ માગી હશે.
જ્યાં તમન્ના ત્યાં જ નિષ્ફળતા ય ઢાંકે છે ‘ગની’,
હોય જ્યાં હૈયું, તો હૈયે ચોટ પણ લાગી હશે.
-‘ગની’ દહીંવાળા
ત્રીજો શેર જુઓ…..જ્યારથી આ શેર વાંચ્યો ત્યારથી તે મનનો કબજો જમાવીને બેઠો છે.
Permalink
February 25, 2012 at 12:42 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.
ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.
પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.
પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.
ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.
કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.
– ઉર્વીશ વસાવડા
કવિના મૃત્યુ પર સાક્ષાત્ યમરાજા પણ કેવો મલાજો પાળે છે એ કલ્પન કોઈપણ ભાષા, કાળ કે સંસ્કૃતિના કવિની ખરી મહત્તા સ્થાપિત કરે છે.
Permalink
February 21, 2012 at 10:28 PM by ધવલ · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ?
હું પ્રતીતિનો પ્રતાપી રાજવી,
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું ?
સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?
એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું ?
ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?
કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?
વિષ વિષય ઋતુઓ રૂંવાટી કંપનો,
કોટિ તેત્રીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું ?
એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?
– લલિત ત્રિવેદી
એક રચનામાં કલ્પનો અને અર્થછાંયાઓની જાણે આખી ફોજ !
(ધખ=ધગશ, ખખ=જીર્ણ (શરીર), રખરખ=તલસાટ, ચખ=ચક્ષુ, વખ=ઝેર)
Permalink
February 17, 2012 at 12:05 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.
પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.
નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.
નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.
અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.
જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.
– મનોજ ખંડેરિયા
મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલના સરમુકુટનો કોહિનૂર છે. આખી ગઝલ મનનીય છે પણ મને લાક્ષાગૃહ ગમી ગયું… આખી જિંદગી આપણે આપણી ઇચ્છાઓ અને સ્વપ્નોના મહેલ ચણવામાં કાઢી નાંખીએ છીએ અને અંતે સત્ય સમજાય છે કે આપણે આપણી જાતને પણ ભીતર જ કેદ કરી દીધી છે… આ મહેલ વળી લાખના-તકલાદી છે અને અહીંથી બહાર નીકળવું પણ ખૂબ અઘરું છે…
Permalink
February 15, 2012 at 5:23 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.
ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.
પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !
જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !
ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.
બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!
ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !
– અમૃત ‘ઘાયલ’
દરિયાની ‘દરિયા-ગીરી’ની પોલ ખોલતી ગઝલ 🙂
Permalink
February 11, 2012 at 12:36 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?
ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.
એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.
આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !
જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.
– ચિનુ મોદી
આ પાંચેપાંચ શેરમાં કવિ શું ફક્ત વૃક્ષની જ વાત કરી રહ્યા છે ? કે પછી…
સંબંધોમાં થતા ઘા, અવસ્થા આવવા છતાં મમત પકડીને બેસી રહેતું વૃદ્ધત્વ, ફળની કામના પણ કર્મની તૈયારી નહીં, જાત સાથેની વિસંવાદિતતા અને અંતે જિંદગીને સમજી શક્નાર એકાદ સુખી જીવ – આ ગઝલના હજી તો ઘણા અર્થ નીકળી શકે એમ છે… આપનું શું કહેવું છે?
Permalink
February 10, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.
– મિલિન્દ ગઢવી
જિંદગીના કેટલાક મહાદૂષણૉમાંનું એક તે જીદ. જીવનમાં જીદ ન હોત તો કદાચ કેટકેટલા ઇતિહાસ સર્જાયા વિનાના રહી જાત. તો ક્યારેક જીદ આવી મજાની ગઝલ પણ સર્જાવી આપે.
Permalink
February 9, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, દિવ્યા મોદી
વમળ તો રહે છે સદા જળની વચ્ચે,
મળી જાય દુનિયા અહી છળની વચ્ચે.
હતું આંખમાં કૈંક કાજળની વચ્ચે,
સમાયું છે જળ જેમ વાદળની વચ્ચે.
હવે તો ગઝલને હું જીવી રહી છું,
કશું શોધ ના આમ કાગળની વચ્ચે.
પડી જાય સોપો પછી આમ્રકુંજે,
નભી જાય ટહુકા જો બાવળની વચ્ચે.
કશું એ અટક્યું નથી તે છતાંયે,
નજર એક અટકી છે સાંકળની વચ્ચે.
વિચારો તો, સઘળું હતું એનું એ પણ;
હતી જિંદગી માત્ર બે-પળની વચ્ચે.
-દિવ્યા મોદી
આશાવાદી અભિગમ ઝલકાવતી ગઝલ. અને ખરે જ, સાચી જિંદગી તો બે-પળની વચ્ચે જ જીવાતી હોય છે ને…
Permalink
February 7, 2012 at 9:56 PM by ધવલ · Filed under ગઝલ, યોગેશ જોષી
કે કિનારે કોણ બેસે, ડૂબકી મારી હતી
પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી
આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી
તાળવામાં ઝળહળે છે સૂર્ય શીતળ કેટલા
જીભ મારી કૈં યુગોથી તેજની તરસી હતી
આભ આખું આમ ઉકેલી દીધું અંધારનું
વીજના ઝબકારની એ તેજક્ષણ અટકી હતી
અગ્નિ સાતે એકદમ ભપકી ઊઠ્યા’તા છાતીમાં
જળ તણી આ જાળમાં મેં કૈં લહર પકડી હતી
કોક પંખી થઈ અચાનક હું ઊડ્યો ઊંચે કશે
રોમરોમે એકસાથે પાંખ કૈં ફફડી હતી
– યોગેશ જોષી
ચેતનાની ક્ષણનું છ અલગ અલગ રીતે વર્ણન.
મને તો છેલ્લેથી બીજા શેરનું વર્ણન સૌથી વધારે ગમ્યું. તમને કયું વર્ણન વધારે ગમ્યું ?
Permalink
February 5, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.
ભલા વિશ્વાસ શું બેસે બહુ ખંધુ હસે છે એ,
વચન આપી રહ્યા છે એમ, જાણે હાથતાલી છે.
તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.
સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,
ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે ?
તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.
તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.
મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.
– મરીઝ
Permalink
February 4, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પંડ પરમાણે ઘાટ ને ઘડતર,
ઝાઝેરું રહી જાતું પડતર.
ભાર ભરાતો કંઈ ભવભવનો,
ક્યાંથી ઊતરે ભારે ચડતર ?
ઈ જ અનાડી આવે આડું,
ઈ પોતે પોતાનું નડતર !
ક્યાંક જડે મરમી કારીગર,
તો ઊઘડે આ જાડાં જડતર :
લાધે તો લાધે ઘટ ભીતર,
અધિક અધિકું વાધે વડતર !
– રાજેન્દ્ર શુક્લ
રા.શુ.ની કલા-કારીગરી આજના તમામ ગઝલકારોથી સાવ જ નોખી તરી આવે છે. એમની ગઝલોમાં ભગવો રંગ નજરે ચડે છે પણ આ ભગવો ભાગવાનો નહીં, ભોગવવાનો, માણવાનો, જાણવાનો ભગવો છે. આપણી ભીતર જે છે આપણને જે કાંઈ મળે છે એ આપણી ભીતરની લાયકાતના આધારે જ મળે છે. એથી વધુ કાંઈ પણ મેળવવા ગયા તો એ પડતર જ રહેવાનું. અને જનમ-જનમનો ભાર જે આપણે માથે લઈને ફરીએ છીએ એ ભાર જ હકીકતમાં આપણા ઉર્ધ્વગમનને આડે આવે છે.
Permalink
February 3, 2012 at 3:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે.
સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે.
ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદીઓથી,
જુઓ, નફ્ફટ ઉદાસીને હવે આરામ કરવો છે !
‘કશો તો મર્મ છે એમાં, અમસ્તું કંઈ નથી થાતું’ –
ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.
વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.
સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
‘જિગર’ ! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
– જિગર જોષી ‘પ્રેમ’
વાંચતાવેંત આરામ આવી જાય એવી મજાની ગઝલ..
Permalink
February 1, 2012 at 10:09 PM by ધવલ · Filed under ગઝલ, નિર્મિશ ઠાકર
ધોધમાર તેજનો ખુમાર, તે જ હું !
તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !
આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું !
રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !
સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
આદમી છતાંય જે ધરાર, તે જ હું !
સ્થિર આંખ-હાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર એ અચૂક લક્ષ્ય-પાર, તે જ હું !
– નિર્મિશ ઠાકર
પોતાના અસ્તિત્વની ખૂમારીપૂર્વક ઉજવણી કરતી ગઝલ.
Permalink
January 30, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.
બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.
તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.
થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !
એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.
પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.
જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.
Permalink
January 29, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
નથી કોઈ મુલ્કોનો વતની રહ્યો હું
ભટકતો રહ્યો છું આ દુનિયામાં રાહી,
બન્યો બાદશાહોને મન બદગુમાની,
તુરંગોમાં નાખ્યો તો લાગ્યો તબાહી.
મને ક્યાંક રખડુની ટોળી મળી તો
થયું, ભાઈબંધી જિગરજાન ભેટી,
ખભે હાથ મૂકી અમે સાથ ચાલ્યા,
કદમ લડ્ખડ્યા તો ગયું કોઈ સાહી.
અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
નહીં તો દલીલોની બદબૂ ન આવે,
જરા લાવ પ્યાલી ભરી જિન્દગીની,
જરા ખોલ ધીમેથી ઢળતી સુરાહી.
તમે કેટલાં નામ ગોખી શકો છો ?
લો, ગોલોક, વૈકુંઠ, કૈલાસ, કેવલ,
અમે તો ગમે તેમ ધૂળે રમી આ
ધરાને ધરાહાર ચાહી ને ચાહી.
મને મોતનો ડર બતાવી બતાવી,
તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
ખુદના કસમ, માફ કરવા થશે બસ
મને એક તરણાની લીલી ગવાહી.
નખશિખ મસ્તીથી ભરી ગઝલ…..
Permalink
January 27, 2012 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
– ચિનુ મોદી
પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.
Permalink
January 23, 2012 at 5:23 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો
મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો
તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો
વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો
હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો
મને આ શાયરની રચનાઓ માટે એક અંગત positive પક્ષપાત છે. સાવ સરલ વાણીમાં ગઝલ કહેવાની તેમની અદકેરી રીત મને બહુ જ ગમી ગઈ છે. શેરના ઊંડાણને જરાપણ હાનિ ન પહોચે તે રીતે તેઓ વાતચીતના શબ્દો અને શબ્દોના ટૂંકા સ્વરૂપો પ્રયોજતા હોય છે.
Permalink
January 20, 2012 at 12:40 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.
ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?
કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !
તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.
સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?
– ડૉ. મનોજ જોષી ‘મન’
સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !
Permalink
January 12, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
– ખલીલ ધનતેજવી
એક અક્ષરની કિંમત કદાચ એક કવિ વધુ સારી રીતે સમજી શકે…
Permalink
January 10, 2012 at 10:22 PM by ધવલ · Filed under ગઝલ, સંજુ વાળા
ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.
પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.
કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.
ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
– સંજુ વાળા
જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે. ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે. ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું. કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું, અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી કેદ થવાની વાત આવે છે.
Permalink
January 9, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.
ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?
જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.
ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….
Permalink
January 7, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
ગ.મિ.ની ગમી જાય એવી ગઝલ… આજની પેઢીમાં પોતીકો અવાજ લઈને ઝડપભેર નવી ભાત અંકિત કરતા આ કવિના ગરમાળાની પાછળના આ ઉનાળા વાંચતાવેંત ગમી જાય એવા છે…
Permalink
January 6, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહલ જોષી
ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.
પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.
હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.
રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.
ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.
ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.
પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.
– સ્નેહલ જોષી
એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !
(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)
Permalink
January 4, 2012 at 11:31 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી, મૃત્યુ વિશેષ
હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?
જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?
હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.
પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.
સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.
– ચિનુ મોદી
લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.
તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”
Permalink
December 31, 2011 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
– રતિલાલ ‘અનિલ’
આમ તો શિયાળાની મોસમ છે. ઠંડી દિન-બ-દિન વધી રહી છે. પણ ગઈ કાલે એક મજાની વરસાદી ગઝલ મળી ગઈ એટલે આજે પણ એક વરસાદી ગઝલ જ લઈને આવ્યો છું… ક્યારેક ભરશિયાળામાં ભીંજાવાની મજા પણ લઈએ, ખરું ને ?
Permalink
December 30, 2011 at 4:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ વ્યાસ
ચોમાસાએ ફૂંક્યો મંતર,
કૂંપળ ફૂટે પથ્થર પથ્થર.
હાથ હવાએ લંબાવ્યો ત્યાં,
મ્હેકી ઊઠે આખું અંબર.
ટૌકા વેરી વગડો નાચે,
માથે ઓઢી લીલું છત્તર.
ફૂલો પર ઝાકળ બેસીને
મનભર પીતાં મીઠું અત્તર.
ભીની ભીની ફોરમમાંથી,
શમણાં કોળે સુંદર સુંદર.
– નીરજ વ્યાસ
કોણે કહ્યું કે ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં કરાતી ગૂફ્તેગૂ ? આ જુઓ… નખશિખ સૌંદર્યરસપ્રચૂર ગઝલ… એક એક શેરમાંથી નિતાંત પ્રકૃતિ નીતરે છે…
Permalink
Page 31 of 50« First«...303132...»Last »