જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.
~ અનિલ ચાવડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
September 15, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુધીર પટેલ
સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !
દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !
સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !
વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !
રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !
થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.
ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !
-સુધીર પટેલ
શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.
Permalink
September 14, 2010 at 10:19 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!
મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!
– રાજેન્દ્ર શુક્લ
ગમતાને સહિયારું કરવું – એ એક વામન પગલામાં આ જનમ આખો જીતી લેવાની તાકાત છે.
Permalink
September 13, 2010 at 9:46 PM by ધવલ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.
શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.
બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.
નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.
મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.
– ભગવતીકુમાર શર્મા
કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.
ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો છીછરા પાણીનું માછલું છે; ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.
Permalink
September 12, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….
આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?
હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
– રવીન્દ્ર પારેખ
શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….
Permalink
September 11, 2010 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !
અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.
– જયન્ત પાઠક
યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…
Permalink
September 10, 2010 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?
ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !
તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં
વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?
હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?
– ભરત વિંઝુડા
સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…
Permalink
September 9, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.
આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.
કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.
દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.
શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.
લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.
-મનોજ ખંડેરિયા
Permalink
September 8, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under બકુલેશ દેસાઈ, મુક્તક
સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.
-બકુલેશ દેસાઈ
Permalink
September 7, 2010 at 11:03 PM by ધવલ · Filed under અછાંદસ, લેનર્ડ કોહેન, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.
– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)
સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.
Permalink
September 6, 2010 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ
ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !
કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !
હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !
જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે
– સુધીર પટેલ
વાત સોંસરવી કૈં નીકળે … એ શેર સૌથી સરસ થયો છે.
Permalink
September 5, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
આ મારી છાતીમાં ફાટફાટ એકલતા
તારે શું કરવું છે જોઈને.
આખું આકાશ મારી અંદર હિજરાય
સાવ નવોનક્કોર ચાંદ ખોઈને…
હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
ઓઢાડે કાશ્મીરી શાલ.
એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
મને મફલર વીંટાળશે કે વ્હાલ.
તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
કોઈ નથી ઓળખતું કોઈને.. આખું આકાશ……
ટુકડો જમીનનો દરિયામાં હોય
એમ મારુંય નામ કોઈ ટાપુ,
મારી તારીખ સહુ વાંચીને કહી દેતા
પસ્તીમાં મૂકો આ છાપું.
દુઃખના આ ડાઘ નથી ભૂંસાતા:
થાક્યો છું ગંગાથી જખ્મોને ધોઈને. આખું આકાશ…..
– મુકેશ જોષી
રૂપકોનું નાવીન્ય અતિખેડાયેલા વિષયમાં નવા પ્રાણ ફૂંકે છે……
Permalink
September 4, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે
જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે
હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે
પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે
વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે
ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે
– ગૌરાંગ ઠાકર
પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !
Permalink
September 3, 2010 at 12:30 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(શિખરિણી)
ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !
ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !
રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !
જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…
-દેવેન્દ્ર દવે
વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…
Permalink
September 2, 2010 at 9:34 PM by ધવલ · Filed under ઓડિયો, ગીત, હરીન્દ્ર દવે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
– હરીન્દ્ર દવે
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ
[audio:
http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]
મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.
(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)
Permalink
September 1, 2010 at 8:48 PM by ઊર્મિ · Filed under ગીત, હેમન્ત દેસાઇ
આજ મન મોરલીમાં માઢ નહીં છેડું;
. હાં જોઉં હવે
કહાન મને મથુરાથી મોકલે છે તેડું?
ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
. જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
. અત્તરિયા અંતરમાં પૂરી;
આભ મહીં ઊગ્યા વૈશાખને હું વેડું;
કે કહાન મને મથુરાથી મોકલે છે તેડું!
ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
. કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
. ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે અધરાતના હું અજવાળું બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!
-હેમંત દેસાઈ
માઢ = રાગ
Permalink
August 31, 2010 at 10:02 PM by ધવલ · Filed under અછાંદસ, સિલાસ પટેલિયા
દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!
છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…
એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા
કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!
– સિલાસ પટેલિયા
મનગમતી ચીજ પોતાના મનને અડી લે – મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.
ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.
Permalink
August 30, 2010 at 10:03 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ
– શેખાદમ આબુવાલા
Permalink
August 29, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાવજી પટેલ
દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –
દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..
– રાવજી પટેલ
એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……
Permalink
August 28, 2010 at 1:06 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !
તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !
ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.
બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?
સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
– ડૉ. હરીશ ઠક્કર
ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…
Permalink
August 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !
આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.
તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?
મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.
– હરેશ તથાગત
જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !
Permalink
August 26, 2010 at 8:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.
ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !
તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.
એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.
માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.
– રિષભ મહેતા ‘બેતાબ’
મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂 બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.
Permalink
August 25, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.
આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.
ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.
તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.
બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.
– ડો. પ્રફુલ્લા વોરા
Permalink
August 24, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આકાશ છે, અંધકાર છે, ઈશ્વર છે
આભાસ છે, મૌન છે, હવાનો સ્તર છે
છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?
– જવાહર બક્ષી
Permalink
August 23, 2010 at 7:09 PM by ધવલ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.
મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.
ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય. વધુ આગળ વાંચો…
Permalink
August 22, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાવજી પટેલ
મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..
– રાવજી પટેલ
આ કવિ માટે મને ખાસ પક્ષપાત છે. એની કોઈપણ કવિતા દિલમાં જડાઈ જાય છે.
પ્રથમ વાંચને સરળ લગતી આ કવિતામાં ઈંગિતોની ભરમાર છે. કવિના ચિત્કારો બહેરા કાનોએ અથડાય છે. કવિ તરીકેનું અસ્તિત્વ નિરર્થક ભાસે છે. જીવનનાં દસ વર્ષોનો નીચોડ એક કવિતામાં ઠાલવ્યા પછીની કવિની સ્થિતિ ઘેરી નિરાશાની દ્યોતક છે . છેલ્લા પંક્તિઓમાં માનવજાત પ્રત્યેની નિરાશા છલકે છે – કહે છે -‘ ….કેટલાય કાનોને હું જગાડત….’ – કમ સે કમ કાનોને તો જગાડી શકતે ! માંહ્યલાને જગાડવો તો અસંભવ ભાસે છે ! આ જ ચિત્કાર દુષ્યંતકુમારની કવિતાઓમાં ઠેર ઠેર સાંપડે છે.
Permalink
August 21, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ
ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ
હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ
બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ
તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ
– જિગર જોષી ‘પ્રેમ’
હવે આ ગઝલમાં કયો શેર સારો છે અને કયો શેર નબળો છે એવું પિષ્ટપેષણ કરવાનું કામ આવે તો હારી ન જવાય?
*
કવિ મિત્ર જિગરનો બીજો ગઝલ સંગ્રહ (સ્વતંત્રપણે પહેલો) ‘તને મોડેથી સમજાશે’ હાલમાં જ પ્રકાશિત થનાર છે… એ સંગ્રહમાંની આ મારી ગમતી રચના… કવિને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
August 20, 2010 at 2:00 AM by તીર્થેશ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
– હરિકૃષ્ણ પાઠક
બુદ્ધ ન હોવા નો ફાયદો !! અજંપાનો આ આનંદ બુદ્ધત્વ સાથે અલોપ થઇ જાય ! 
Permalink
August 18, 2010 at 8:44 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.
કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.
સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.
પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.
પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.
પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.
-ગની દહીંવાળા
અસ્તિત્વ, પવન, સમય, હૈયું, સંબંધ……. દરેક શે’ર વિશે એક એક નિબંધ લખવો પડે એટલા જ સબળ બધ્ધા જ શેરો થયા છે. આપણું અસ્તિત્વ એ તો ધરતીની રૂંવાટી જેવું છે, કેટલી અદભૂત કલ્પના !
Permalink
August 17, 2010 at 4:51 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
પાણીનું એક ટીપું
જો એ તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટે છે.
એ જો કમળના પાન પર પડે
તો મોતી જેવું ચમકી ઊઠે છે.
અને જો છીપમાં પડ્યું
તો મોતી જ થઈ જાય છે.
પાણીનું ટીપું એ જ
તફાવત માત્ર સહવાસનો.
– અશ્વિની પાનસે (અનુ. અરુણા જાડેજા)
સોબતની અસરને ઓછી ન આંકશો. હમણા જ કશે વાંચેલું કે What you will become in five years depends on the people you meet and the books you read.
Permalink
August 16, 2010 at 4:53 PM by ધવલ · Filed under અછાંદસ, રઘુવીર ચોધરી
સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.
જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી ધૃતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.
પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.
– રઘુવીર ચૌધરી
કાવ્યનો પ્રસંગ બધાને ખબર જ છે. ભીમના મોઢામાંથી બોલાતા આ કાવ્યનો સંદર્ભ સર્વવિદિત છે. પણ આ ઘટનાને કવિ જે અલગ દ્રષ્ટિકોણ આપે છે તે કાવ્યને મહાન બનાવે છે.
ખાલી સત્ય (અને જ્ઞાન)થી કાંઈ શક્ય નથી. સત્યનો આદર કરવાનો એક જ રસ્તો છે – એને આચરણમાં મૂકવાનો. જે સત્યને તમે કર્મનો ટેકો નહીં આપી શકો તે વિલોપાઈ જ જવાનું. કવિએ કાવ્યમાં ભીમની સાથે સંવાદમાં સહદેવને મૂક્યો છે. સહદેવ બધુ જાણતો હોવા છતાં જાતે કદી કશું કરી શકે નહોતો. એ અહીં નમાલા, અકર્મણ્ય સત્યનું પ્રતિક છે.
સત્યનો પૂર્ણ પ્રકાશ તો એની પાછળ કર્મનું બળ મૂકો તો જ મળે.
Permalink
August 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત, દેશભક્તિ

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
. ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
. ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
. ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
. જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
. ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
. અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
. વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
. વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
. કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
. મનુકુલ-મનનની ધારા.
– ઉમાશંકર જોશી
‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!
કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ. આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?
(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)
Permalink
August 14, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
અખંડ
મીણબત્તી
નાની થતી જાય છે,
પણ
છેવટની ક્ષણ સુધી
ઘટતું નથી
એની જ્યોતનું કદ !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
એક જ લીટી જેટલું નાનું પણ કેવું વિરાટ કદનું કાવ્ય !
Permalink
August 13, 2010 at 2:20 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
આમ તો હવામાં વસંત છે
પણ ફૂલો આટલાં ઉદાસ કેમ છે ?
ભમરાઓ કોનો શોક પાળીને
આટલા ગમગીન છે ?
પતંગિયાંઓ કરમાયેલાં ફૂલની
જેમ પડી રહ્યાં છે
કોયલના કંઠ પર કાગડાઓએ
ચોકીપ્હેરો ગોઠવ્યો હોય
એવું લાગે છે
આમ તો હવામાં વસંત છે,
– પણ…
– સુરેશ દલાલ
માણસનો અને એ રીતે પ્રકૃતિનો મૂડ પળેપળ બદલાતો હોય છે, ક્યાંક પાનખરમાં વસંત અનુભવાય છે તો ક્યાંક વસંતમાં પણ પાનખરનો અહેસાસ થાય છે. આપણી જેવી મનોદશા તેવું આપણું દર્શન. કહ્યું છે ને કે કમળો હોય તો પીળું દેખાય?!
Permalink
August 12, 2010 at 4:07 PM by ઊર્મિ · Filed under મુક્તક, શોભિત દેસાઈ
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
-શોભિત દેસાઈ
નવરંગી નશો… આહાહાહા !!! 🙂
Permalink
August 11, 2010 at 10:07 PM by ઊર્મિ · Filed under ગીત, વિનોદ જોશી, હસ્તપ્રત

(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
Permalink
August 10, 2010 at 3:50 PM by ધવલ · Filed under કરસનદાસ માણેક, ગીત
એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !
તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !
– કરસનદાસ માણેક
શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.
Permalink
August 9, 2010 at 10:59 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.
– હિતેન આનંદપરા
કૃષ્ણ આનંદ-ઉલ્લાસ-પ્રેમના દેવ છે. એમની પીડાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. એ અવતારની પાછળની પીડાને જે.વી.એ આ લેખમાં બહુ ઉમદા રીતે સમજાવી છે. આ લેખ અને ગઝલ બન્ને બહુ મનનીય થયા છે. ( આભાર, શ્રુતિ મેહતા)
Permalink
August 9, 2010 at 10:48 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને… 🙂
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
Permalink
August 8, 2010 at 12:49 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.
Permalink
August 7, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
– ઉર્વીશ વસાવડા
સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…
Permalink
August 6, 2010 at 5:30 AM by વિવેક · Filed under ગઝલ, સૌમ્ય જોશી
(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)
અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?
સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી
મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી
દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી
રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
– સૌમ્ય જોશી
કવિતા ગમવાના ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ પણ છે કે કવિતા એક જ વસ્તુના અલગ અલગ એટલા આયામ નાણી-પ્રમાણી શકે છે કે ભાવક સાનંદાશ્ચર્ય આંચકો અનુભવે. શબરીના બોર અને એની પ્રતીક્ષા તો સદીઓથી જાણીતાં છે પણ સૌમ્ય એની પ્રતીક્ષાના સાત રંગોનું જાણે એક નવું જ ઇન્દ્રધનુ રચે છે…
Permalink
August 5, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, વંચિત કુકમાવાલા
મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.
એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.
પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.
આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.
દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.
શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.
– વંચિત કુકમાવાલા
કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે. પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ. વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું. અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે. વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…
Permalink
August 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under એષા દાદાવાળા, ગીત
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
–એષા દાદાવાળા
અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે… 🙂
Permalink
August 3, 2010 at 9:57 PM by ધવલ · Filed under જાવેદ અખ્તર, મુક્ત પદ્ય, રઈશ મનીયાર
કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ
– જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)
વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.
Permalink
August 2, 2010 at 8:22 PM by ધવલ · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
– અશરફ ડબાવાલા
શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું કવિ કહે છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.
આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે. માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.
Permalink
August 1, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ ….. તને…
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું …. તને….
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ ….. તને….
– મુકેશ જોષી
Permalink
July 31, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under સ્નેહરશ્મિ, હાઈકુ
ઊડી ગયું કો
પંખી કૂંજતું : રવ
હજીયે નભે
– સ્નેહરશ્મિ
Permalink
July 30, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)
આપણું જીવવું એટલે જાણે કે જળમાં નામ લખવા સમાન… જળમાં નામ લખવાની વાત સાથે જ મને ઓજસ પાલનપુરીનો એક શેર યાદ આવે છે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ…
Permalink
July 29, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?
હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?
કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.
આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.
જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.
હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.
મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?
-રવીન્દ્ર પારેખ
વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…
Permalink
July 28, 2010 at 4:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, મુક્તક, હાઈકુ

કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)
લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.
* * *
શબ્દ
મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
. ડૂબકી.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.
***
સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:
એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !
કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’
***
આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…
Permalink
Page 79 of 118« First«...787980...»Last »