રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.
– ગૌરાંગ ઠાકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

એની સોબતમાં – ભરત વિંઝુડા

લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.

ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.

રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.

માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.

અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.

– ભરત વિંઝુડા

આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.

Comments (19)

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ

એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .

– કબીર

એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.

-અનુ.: મોહનદાસ પટેલ

સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.

Comments (14)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…

છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…

જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે.  અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !

Comments (17)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Chhie paraspar sau nirbhar

(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર

ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર

શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર

ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર

મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર

– પંકજ વખારિયા

પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!

Comments (12)

તું – આકાશ ઠક્કર

ઓગળે ભીંતો પછી દેખાય છે તું
છેવટે તસવીર તારી થાય  છે તું .

જ્યાં મકાનોમાં ઊગે છે કલ્પવૃક્ષો
એ  ગલીને કેમ છોડી જાય છે તું !

દૂર જઈને કેટલે સંતાઈ  શકશે
બાળપણના સ્વપ્નમાં પકડાય છે તું !

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારું
અક્ષરો  વચ્ચે હવે  વંચાય  છે  તું .

છે હવે ‘આકાશ’ જાણે  કોઈ નકશો
આ ઋતુમાં એકલી  બદલાય છે તું .

– આકાશ ઠક્કર

Comments (4)

મુક્તક -રમેશ પારેખ

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

-રમેશ પારેખ

Comments (8)

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

Comments (11)

વસંત – પાબ્લો નેરુદા (અનુ.સુરેશ જોષી)

પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.

અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.

આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.

– પાબ્લો નેરુદા ( અનુ. સુરેશ જોષી )

વસંત કુદરતનું એક બળકટ ષડ્યંત્ર છે. ને એ ષડ્યંત્રનો સમાહર્તા છે એક પંખી !

Spring

The bird has come
to bring light to birth.
From every trill of his,
water is born.

And between water and light which unwind the air,
now the spring is inaugurated,
now the seed is aware of its own growing;
the root takes shape in the corolla,
at last the eyelids of the pollen open.

All this accomplished by a simple bird
from his perch on a green branch.

– Pablo Neruda

Comments (6)

ફગાવીને બોજ – રાજેન્દ્ર શાહ

શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.

જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.

ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

– રાજેન્દ્ર શાહ

વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….

Comments (12)

મોહન-પગલાં – કૃષ્ણલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”

ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.

બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !

લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…

Comments (11)

ગઝલ – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે.  ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય…  અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…

Comments (35)

ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

(૨૪/૪/૨૦૦૭)

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે.  આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.

ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.

Comments (13)

ક્યાંક ભેટો થઈ જશે – ડૉ.મહેશ રાવલ

કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

– ડૉ.મહેશ રાવલ

એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !

Comments (15)

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !

ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.

Comments (13)

તૂટતી તારીખ – કેશુભાઈ પટેલ

દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.

ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.

એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.

સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

– કેશુભાઈ પટેલ

દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.

Comments (9)

ઓ લ્હેરખી ! – મનસુખલાલ ઝવેરી

ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!

તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!

હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?

– મનસુખલાલ ઝવેરી

અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..

Comments (10)

પત્ર-ગઝલ – હર્ષદ ચંદારાણા

પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું

અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું

એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !

પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું

– હર્ષદ ચંદારાણા

કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?

Comments (7)

તારું પહેલા વરસાદ સમું આવવું – રમેશ પારેખ

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

– રમેશ પારેખ

પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે.  ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’.  પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…

Comments (14)

મુક્તક -રઈશ મનીઆર

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

-રઈશ મનીઆર

Comments (21)

નઠારા હોય છે -ભરત ત્રિવેદી

શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !

એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !

ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !

એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !

એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !

-ભરત ત્રિવેદી

ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…

Comments (13)

પડછાયો – પ્રવીણ ગઢવી

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)

અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?

Comments (13)

હવામાં દગા – રમેશ પારેખ

છે જળમાં દગા ને હવામાં દગા,
લપાવાની મન સૌથી સારી જગા

તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા

જવું બાગમાં યાને પાવન થવું
થવી ફૂલની મ્હેકતી જાતરા

કૂહાડા પડે સામે ગુલમ્હોર પર
અહીં ઊખડે મારી જીવતી ત્વચા

ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.

– રમેશ પારેખ

લપાવા માટે મન સૌથી સારી જગા – આની સામે તો શું દલીલ હોઈ શકે ? 🙂

Comments (10)

એટલે નિરાંત – ગની દહીંવાળા

એક નામ અલ્લા કહી, એક નામ મારું ય આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.

એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતા અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.

જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.

ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.

સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.

-ગની દહીંવાળા

ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં કટ ગયે દો ઇન્તઝારમેં…….. વહેવારુ જીવન ક્યારે આપણને સમૂળગા અને સંપૂર્ણ લપેટી લે છે તેનો કદી ખ્યાલ સુદ્ધાં નથી આવતો. બપોર સવારને અને સાંજ બપોરને ભરખતી રહે છે. સૂરજની પાઘડીના વળનો છેડો ઓડિસિયસની પત્નીની શાલ જેવો છે-દિવસે ગૂંથાય અને રાત્રે ઉખળે….. નિરાંત ઝાંઝવું જ બની રહે છે.

Comments (9)

ચિત્રલેખા, સુ.દ. અને મારો ગરમાળો…

દોસ્તો,

‘ચિત્રલેખા’ના સાડા ચાર લાખ પરિવારના હાથમાં એકીસાથે પહોંચવાનું સપનું કઈ આંખ ન જુએ? આજે આ શમણું સાચું પડ્યું એનો તો આનંદ છે જ પણ સુરેશ દલાલ જેવી માતબર કલમના હાથે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ આનંદ તો કંઈ ઓર જ છે. આ આનંદ આપ સહુ સાથે વહેંચવાનો પણ એક આનંદ છે…  ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

Comments (37)

ગઝલ – હેમેન શાહ

Monsoon masti

*

રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે

સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે

આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે

હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે

ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

-હેમેન શાહ

સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….

Comments (24)

હાઈકુ -સુનીલ શાહ

કાલચક્રનું
શોધું છું રહસ્ય હું,
ક્ષણો તોડીને…

-સુનીલ શાહ

Comments (13)

(અમસ્તુ ગમવું છે!) -સુધીર પટેલ

સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !

દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !

સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !

વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !

રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !

થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.

ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !

-સુધીર પટેલ

શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.

Comments (16)

મોજ મહીં શું તારું-મારું ! – રાજેન્દ્ર શુક્લ

લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!

મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!

તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!

ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!

હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!

ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!

રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!

– રાજેન્દ્ર શુક્લ

ગમતાને સહિયારું કરવું – એ એક વામન પગલામાં આ જનમ આખો જીતી લેવાની તાકાત છે.

Comments (17)

કંઈ નથી – ભગવતીકુમાર શર્મા

વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.

શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.

નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.

ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો  છીછરા પાણીનું માછલું છે;  ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.

Comments (17)

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….

આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?

હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….

– રવીન્દ્ર પારેખ

શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….

Comments (12)

અવસ્થાન્તર – જયન્ત પાઠક

(શિખરિણી)

અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !

અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !

હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

– જયન્ત પાઠક

યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…

Comments (15)

…સમેટી લઉં – ભરત વિંઝુડા

થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?

ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !

તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?

– ભરત વિંઝુડા

સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…

Comments (22)

(ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

-મનોજ ખંડેરિયા

Comments (10)

મુક્તક -બકુલેશ દેસાઈ

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

Comments (10)

(ગીત) – લેનર્ડ કોહેન

એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.

– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)

સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.

Comments (16)

અણી હોય છે – સુધીર પટેલ

ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?

એ જ મોં  ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !

વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !

કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !

હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !

જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે

– સુધીર પટેલ

વાત સોંસરવી કૈં નીકળે … એ શેર સૌથી સરસ થયો છે.

Comments (24)

ગીત – મુકેશ જોષી

આ મારી છાતીમાં ફાટફાટ એકલતા
તારે શું કરવું છે જોઈને.
આખું આકાશ મારી અંદર હિજરાય
સાવ નવોનક્કોર ચાંદ ખોઈને…

હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
ઓઢાડે કાશ્મીરી શાલ.
એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
મને મફલર વીંટાળશે કે વ્હાલ.
તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
કોઈ નથી ઓળખતું કોઈને..            આખું આકાશ……

ટુકડો જમીનનો દરિયામાં હોય
એમ મારુંય નામ કોઈ ટાપુ,
મારી તારીખ સહુ વાંચીને કહી દેતા
પસ્તીમાં મૂકો આ છાપું.
દુઃખના આ ડાઘ નથી ભૂંસાતા:
થાક્યો છું ગંગાથી જખ્મોને ધોઈને.        આખું આકાશ…..

– મુકેશ જોષી

રૂપકોનું નાવીન્ય અતિખેડાયેલા વિષયમાં નવા પ્રાણ ફૂંકે છે……

Comments (21)

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે

જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે

હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે

પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે

વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે

ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે

– ગૌરાંગ ઠાકર

પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !

Comments (23)

અસલ અમલે – દેવેન્દ્ર દવે

(શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

-દેવેન્દ્ર દવે

વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…

Comments (9)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

– હરીન્દ્ર દવે

સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]

મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.

(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)

Comments (5)

તેડું -હેમંત દેસાઈ

આજ  મન  મોરલીમાં માઢ  નહીં  છેડું;
.         હાં જોઉં હવે                                        
કહાન  મને મથુરાથી મોકલે  છે તેડું?

ઢોલ ચંગ વાગે છે  પગલાંમાં  પ્રીતમના
.                 જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
                                 અત્તરિયા અંતરમાં પૂરી;
આભ   મહીં  ઊગ્યા  વૈશાખને   હું  વેડું;
કે કહાન  મને મથુરાથી મોકલે છે તેડું!

ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
 .                                  કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
                              ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે  અધરાતના હું  અજવાળું  બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!

-હેમંત દેસાઈ

માઢ  = રાગ

Comments (9)

(પંખી) – સિલાસ પટેલિયા

દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!

છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…

એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા

કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!

– સિલાસ પટેલિયા

મનગમતી ચીજ પોતાના મનને અડી લે –  મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.

ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.

Comments (9)

પુણ્યશાળીને – શેખાદમ આબુવાલા

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ

– શેખાદમ આબુવાલા

Comments (8)

તા. ૧૫-૧૧-૬૩ – રાવજી પટેલ

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –

દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..

– રાવજી પટેલ

એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……

Comments (11)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…

Comments (18)

સાવ ખુલ્લું બારણું – હરેશ તથાગત

એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !

આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.

તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?

મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.

– હરેશ તથાગત

જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !

Comments (19)

ગઝલ -રિષભ મહેતા

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

રિષભ મહેતા ‘બેતાબ’

મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂  બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.

Comments (12)

અંજળ -ડો.પ્રફુલ્લા વોરા

ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.

આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.

ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.

– ડો. પ્રફુલ્લા વોરા

Comments (9)

મુક્તક – જવાહર બક્ષી

આકાશ છે, અંધકાર છે, ઈશ્વર છે
આભાસ છે, મૌન છે, હવાનો સ્તર છે
છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?

– જવાહર બક્ષી

Comments (5)

કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર

કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.

મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.

ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય. વધુ આગળ વાંચો…

Comments (73)