વિસ્મય ? – વિપિન પરીખ
૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !
– વિપિન પરીખ
ગાગરમાં સાગર…
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !
– વિપિન પરીખ
ગાગરમાં સાગર…
ધોધમાર તેજનો ખુમાર, તે જ હું !
તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !
આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું !
રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !
સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
આદમી છતાંય જે ધરાર, તે જ હું !
સ્થિર આંખ-હાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર એ અચૂક લક્ષ્ય-પાર, તે જ હું !
– નિર્મિશ ઠાકર
પોતાના અસ્તિત્વની ખૂમારીપૂર્વક ઉજવણી કરતી ગઝલ.
આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.
સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.
પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.
પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?
છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.
બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.
તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.
થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !
એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.
પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.
જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.
નથી કોઈ મુલ્કોનો વતની રહ્યો હું
ભટકતો રહ્યો છું આ દુનિયામાં રાહી,
બન્યો બાદશાહોને મન બદગુમાની,
તુરંગોમાં નાખ્યો તો લાગ્યો તબાહી.
મને ક્યાંક રખડુની ટોળી મળી તો
થયું, ભાઈબંધી જિગરજાન ભેટી,
ખભે હાથ મૂકી અમે સાથ ચાલ્યા,
કદમ લડ્ખડ્યા તો ગયું કોઈ સાહી.
અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
નહીં તો દલીલોની બદબૂ ન આવે,
જરા લાવ પ્યાલી ભરી જિન્દગીની,
જરા ખોલ ધીમેથી ઢળતી સુરાહી.
તમે કેટલાં નામ ગોખી શકો છો ?
લો, ગોલોક, વૈકુંઠ, કૈલાસ, કેવલ,
અમે તો ગમે તેમ ધૂળે રમી આ
ધરાને ધરાહાર ચાહી ને ચાહી.
મને મોતનો ડર બતાવી બતાવી,
તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
ખુદના કસમ, માફ કરવા થશે બસ
મને એક તરણાની લીલી ગવાહી.
નખશિખ મસ્તીથી ભરી ગઝલ…..
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…
તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,
હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ:
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊનઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.
અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.
– ઉશનસ્
સુહાગરાતની આફ્ટર-ઇકેક્ટ્સનું આવું કાવ્ય તો કદાચ વિશ્વ સાહિત્યમાં શોધવું પણ દુર્લભ થઈ પડે.
સવારે પતિ પથારી છોડીને નીકળી જાય છે એ પછી પણ નવોઢા તો સુખના એ સ્વપ્નમાં જ સ્થગિત રહે છે અને ક્યાંય સુધી પતિને પડખામાં સેવતી રહે છે. રાત્રે જે રીતે પતિ રતિક્રીડા થકી પત્નીના અસ્તિત્વમાં ઓગળી ગયા એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું બુંદ છીપમાં પડવા જેવું સુખદ હતું જેની કળ આટલી જલ્દી તો કેમ વળે ?! અને હવે તો પત્ની પાસે લગરિક પણ ફુરસદ નથી. આખો દિવસ એ આવનાર સંતાન માટે ઊનનું ઝભલું અને રાત્રે સ્વપ્નો ગૂંથતી રહે છે. પણ ઊન અને સ્વપ્ન સિવાય એ થોડી પતિની અને થોડી પોતાની રેખાઓ ભેગી કરીને ગર્ભમાં આવનાર બાળકને પણ ગૂંથી રહી છે…
અહો ! અહો !!
જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
– ચિનુ મોદી
પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ‘
– વિપિન પરીખ
Distance is a space between two objects… પણ શું દૂરી distance-આધારિત હોય છે ?
એકલી અને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.
*
હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
જ્યાં અરીસામાં મને જોવા ગયો,
ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો.
*
સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો ?
આંખોને બંધ એટલે કરવી નથી હવે,
સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો ?
– અંકિત ત્રિવેદી
તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો
મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો
તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો
વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો
હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો
મને આ શાયરની રચનાઓ માટે એક અંગત positive પક્ષપાત છે. સાવ સરલ વાણીમાં ગઝલ કહેવાની તેમની અદકેરી રીત મને બહુ જ ગમી ગઈ છે. શેરના ઊંડાણને જરાપણ હાનિ ન પહોચે તે રીતે તેઓ વાતચીતના શબ્દો અને શબ્દોના ટૂંકા સ્વરૂપો પ્રયોજતા હોય છે.
એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે.
એક નિહાળે ગગન, બીજીને
જચે ફક્ત આ ધરતી,
એક ઉગાડે ફૂલ, અન્યને
ગમે પાંદડી ખરતી;
મળે એક, એક બિછડે
આંખ બે આપસમાં ચડભડે.
એક ક્ષિતિજને પાર જવાના
શમણે ઘેલીઘેલી
બીજીને એ રંજ, ન સમજે
કોઈના મનને પ્હેલી,
જુદાં સપના ઘડે
આંખ બે આપસમાં ચડભડે.
આપણાં મનના બે મુખ્ય functional centres હોય છે – emotion અને intellect . આ બંને centres ને જે પ્રકારનું conditioning થયું હોય છે તેના આધારે જે-તે વ્યક્તિ બે અંતિમો વચ્ચે ફંગોળાતો રહે છે-positive અને negative. સામાન્ય રીતે બાળક positivity ના predominance સાથે જન્મતું હોય છે. ત્યારબાદનું તેનું conditioning કેવું થાય છે તે ઉપર ભવિષ્યનો આધાર હોય છે. જે આ conditioning ને અતિક્રમી શકે તે યોગી.
મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી
મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી
જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ
મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ
હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ
આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ
તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ
મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ
જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ
કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ
‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ
જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ
આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી
હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા
જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા
છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી
દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી
એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા
મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)
ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી
પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી
મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી
કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’
તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ
એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર
ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી
હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી
અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા
બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી
જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી
મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી
જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી
છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા
રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા
સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી
‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી
નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી
ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.
ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?
કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !
તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.
સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?
– ડૉ. મનોજ જોષી ‘મન’
સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !
ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે !
એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.
અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.
ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને,
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.
‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે !
– શ્યામ સાધુ
નિરાંતે વાંચીને ચિંતન કરવાની ગઝલ.
આંજી આંજીને હું આંખડીને આંજું પણ દ્રુષ્ટિને કેમ કરી આંજું?
માંજી માંજીને હું થાળીને માંજું પણ પાણીને કેમ કરી માંજું?
નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
પાણીને કેમ કરી માંજું?
આપી આપીને થોડી જાયદાદ આપું પણ તાંદુલને કેમ કરી આપું?
માપી માપીને મારી મહોલાતો માપું પણ કમાણીને કેમ કરી માપું?
પાણીને કેમ કરી માંજું?
ગાળી ગાળીને હું પાણીને ગાળું પણ જીવતરને કેમ કરી ગાળું?
વાળી વાળીને મારા આંગણને વાળું પણ વાણીને કેમ કરી વાળું?
પાણીને કેમ કરી માંજું?
– ચંદ્રેશ ઠાકોર
પોતાની ટૂંકી પડતી પહોંચનું ગીત.
ખરી વાત છે: બારખડી વાંચવા અને લાગણી વાંચવામાં બહુ મોટો ફરક છે. એક વાંચવા આખી જીંદગી ભણવું પડે છે, જ્યારે બીજા માટે આખી જીંદગી ભણેલું બધુ ભૂલવું પડે છે.
મારી આંખો થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે દિવસોથી
દિવસો ન હોય તોપણ તોબા-તોબા પોકારી ગઈ છે
છતાંય મારે શું બાકોરાં પાડવાનાં છે
અને દીવાલ પછી દીવાલની આરપાર નીકળવાનું છે
દિવસોની, કોઈ બીજા દિવસની શોધમાં ?
ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?
નાનકડા કાવ્યમાં શું અદભૂત અર્થગાંભીર્ય ભર્યું છે ! જાણકારો કહે છે કે બ્રહ્મની અનુભૂતિ અવર્ણનીય હોય છે. મહાવીરસ્વામીને કોઈએ પૂછ્યું કે સાધનને અંતે શું હોય છે ? નિર્વાણનો અનુભવ વર્ણવો. – મહાવીરે મૌન રાખી પ્રશ્ન કરનાર સામે જોયા કર્યું….જિજ્ઞાસુ કંઈ સમજ્યો નહિ. તેણે ફરીથી પૂછ્યું…’ ભગવન, નિર્વાણ અવસ્થામાં શાશ્વત શાંતિ હોય છે એ વાત સાચી ?’ ભગવાને જવાબ આપ્યો-‘ હા, કદાચ હોય પણ ખરી ….’ – આટલું બોલી તેઓ મૌન થઇ ગયા……. બસ આ જ રીતે કલ્પના કરવાથી કે તર્ક લડાવવાથી કશું વળવાનું નથી. માર્ગ એટલો છેતરામણો છે કે સંશય થવો સ્વાભાવિક છે. તીવ્ર જીજ્ઞાસા અને નિતાંત સભાનપણું – આ બે જ ચાલકબળની મદદથી મંઝિલે પહોંચવાનું છે.
એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.
બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.
અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.
ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !
-પ્રહલાદ પારેખ
આખું કાવ્ય અનંત શક્યતાઓની સુંદરતાથી નીતરે છે……કદાચ સમય અને સંજોગો હૈયાને પાષણ બનાવી શકતા હશે, પરંતુ ઈશ્વરે જીવને જે vulnerability ભેટ ધરી છે તે પાષણમાંથી અદભૂત સૌંદર્ય કોરી કાઢવાની સમર્થતા જીવને બક્ષે છે. માઈકલ એન્જેલોના શબ્દોમાં-
The best artist has that thought alone
Which is contained within the marble shell;
The sculptor’s hand can only break the spell
To free the figures slumbering in the stone. – Michelangelo
આજે ઉત્તરાયણના દિવસે નાનીલુના નાના નાના પતંગ ચગાવીએ…
*
During revolts
Stones grow wings.
Well, they are aimed
Through tearful eyes !
વિપ્લવ દરમ્યાન ફેંકાતા
પથ્થરોને ફૂટે છે પાંખો
હા ! એ સધાયેલ હોય છે
અશ્રુભીની આંખોથી !
*
When I look
Into crystal clear waters,
Into myself
I seem to journey
જ્યારે જ્યારે
નિહાળું છું નિર્મળ જળને
ત્યારે ત્યારે અનુભૂતિ થાય છે
અંતઃયાત્રાની
*
True
We are climbing the stairs.
But aren’t we moving on
Leaving behind the steps ?
હા એ સાચું છે કે
આપણે સર કરીએ છીએ સોપાન
પણ એમ કરવામાં નીચેનાં
પગથિયાં છૂટી નથી જતાં શું ?
*
What is it doesn’t fly
Like a butterfly
The flower
has its fragrance, hasn’t it ?
પતંગિયા માફક પાંખોને
પ્રસારી ન શકે તો શું થયું ?
પુષ્પ પોતાની
ખુશબૂ તો પ્રસારી જ શકે છે ને !
*
A sentence
Is never complete.
Finished sentence
Stops growing
વાક્ય કદી પણ
પૂર્ણ થતું નથી કારણ
પૂર્ણ થયેલા વાક્યનો
વિકાસ થંભી જાય છે.
– ડૉ. એન. ગોપી
અનુ. ઉર્વીશ વસાવડા
તેલુગુ ભાષામાં ચાર પંક્તિઓનો ‘ગદ્ય’ કાવ્ય પ્રકાર ‘નાનીલુ’ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ ‘મારું, તમારું અને આપણું’ થાય છે. આ ચાર પંક્તિઓનો કાવ્યપ્રકાર આમ તો આપણા મુક્તક જેવો જ છે જેમાં પ્રથમ બે પંક્તિઓમાં એક ભાવવિશ્વ રચાય છે અને આખરી બે પંક્તિઓમાં એ ભાવ વિશ્વ પરિપૂર્ણતા પામી કાવ્યનો આકાર લે છે. કવિ ઉર્વીશ વસાવડા ‘નાનીલુ’ નામે એક આખો સંગ્રહ આપણી ભાષામાં લઈ આવ્યા છે…
![]()
(કવિ શ્રી ચિનુ મોદી…. ….૨૫-૧૨-૨૦૧૦ (ફોટો: વિવેક ટેલર)
*
ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા-ઉડુગણો
છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;
વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ
પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.
નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં
સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં ? 2
હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં ?
નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;
છતાં શૈયા છોડો ઝટપટ સવારે મન વિના
અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં
નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો
ચલાવો શા સારુ અવરિત છતાં શ્વાસચરખો ? 10
હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા
નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા
પ્રતીક્ષા કીધી તે – ગરુડ પર બેસી ગગનથી
ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી
અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા
ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં ? 12
સમુદ્રોની છાતી ઉપર તરનારા – જળ થશો ?
તમે ટોળાં વચ્ચે હરફર કરી અ-ક્ષત હશો ?
કુદાવી કિલ્લાઓ, દૃઢ સતત પહેરા, અટપટા
રચેલા કોઠાઓ પલકભરમાં છિન્ન કરીને
રહેંસી નાખે છે જનવિજનમાં ક્યાંય પણ – એ
નથી એના જેવું અજરઅમરા, કોઈ જગમાં. 17
તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં
તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે ?’ જડભરત કહે,’ જાણ જ નથી’.
રજાના દા’ડાએ, હુકમ સર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા. 32
તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી છે ચલ-અચલને તે કાલપુરુષ. 49
ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ. 50
-ચિનુ મોદી
વિ-નાયક એ ચિનુ મોદીનું શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસો પંક્તિનું દીર્ઘ કાવ્ય છે. સમય અને સંસ્કૃતિના કોઈ પણ ખંડને ઉઠાવી જોતાં માલુમ પડશે કે નાયક કરતાં ખલનાયક, વિ-નાયક હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. ક્રમશઃ અહીં પ્રકૃતિચક્રની એકવિધતા અને નીપજતો કંટાળો અને મૃત્યુની સંવેદના ઉજાગર થઈ છે. મનુષ્યના મૃત્યુથી બચવા માટેના ઉધામા અને ‘કાળપુરુષ’ અને ‘ક્ષણપતિ’ બની આવતા સમય સામેની નિઃસહાય શરણાગતિ આ દીર્ઘકાવ્યનો પ્રાણ છે. અહીંના પચાસ ષટકમાં સિસિફસ, અશ્વમેધ, મહાભારત, શાકુન્તલ, પન્નાલાલનું માનવીની ભવાઈ, વિક્રમ-વેતાળ, કાફકાની નવલકથા’ધ ટ્રાયલ’, સોક્રેટિસ, ઉમાશંકરની પંક્તિ- અને એવું તો ઘણું ઘણું ભર્યું પડ્યું છે. સરવાળે આ દીર્ઘકાવ્ય શાશ્વત નશ્વરતાનું કાવ્ય છે…
અહીં કેટલાક ષટક રજૂ કર્યા છે…
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
– ખલીલ ધનતેજવી
એક અક્ષરની કિંમત કદાચ એક કવિ વધુ સારી રીતે સમજી શકે…
આ રમત તો કદી જીતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ,
એક ટીપા સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.
– હેમેન શાહ
ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.
પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.
કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.
ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
– સંજુ વાળા
જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે. ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે. ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું. કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું, અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી કેદ થવાની વાત આવે છે.
શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.
ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?
જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.
ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….
કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી,
પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી.
આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું,
એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ
ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.
ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.
પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.
આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.
પાણી ભરવા જાવું એનો રોજિંદો વહેવાર,
જે એને ટીકીને જોતું એને મન તહેવાર.
ઈંઢોણી પર બેડાં મૂકી પાછી વળતી ઘેર,
મારી આંખે એના ઘરમાં જળની લીલાલ્હેર.
એક રમતિયાળ ગીત….
દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
ગ.મિ.ની ગમી જાય એવી ગઝલ… આજની પેઢીમાં પોતીકો અવાજ લઈને ઝડપભેર નવી ભાત અંકિત કરતા આ કવિના ગરમાળાની પાછળના આ ઉનાળા વાંચતાવેંત ગમી જાય એવા છે…
ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.
પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.
હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.
રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.
ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.
ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.
પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.
– સ્નેહલ જોષી
એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !
(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)
સાહિબ, સાચી સંગત દેજો.
પડછાયાની જેમ અમારી પડખે પળપળ રહેજો.
ક્યાં ક્યારે ને કેમ ઊગીએ એ પીડા છે મોટી,
સાચો ઘાટ ઘડે સૌ એવી આપો સ્હેજ હથોટી;
હાથ અને હૈયુ લંબાવી એમ ગોદમાં લેજો.
ડગલે પગલે પગમાં આખા રસ્તાઓ અટવાતા,
વરસાદી વાદળના અમને અર્થ નથી સમજાતા;
ભીનપવરણું ઝરણું થઈને રગરગમાં જઈ વહેજો.
– નીતિન વડગામા
સીધી સરળ માંગણી… મીઠ્ઠુ મજાનું હરીગીત.
હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?
જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?
હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.
પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.
સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.
– ચિનુ મોદી
લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.
તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”
દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.
પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….
કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.
સ્ટાલિન પોતાના સેનાપતિઓને કહેતો કે – ‘શત્રુપક્ષનો એક સેનાપતિ છટકી જશે તે ચાલશે પણ શત્રુપક્ષનો એકપણ કવિ છટકવો ન જોઈએ.’ !!!
આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.
ઘડીક ઢાંકે, ઘડીક ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.
એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને , તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.
અનિત્યતા અને પરિવર્તનશીલતાની આ વાત છે. કવિતાનું પોત ખૂબ જ બારીકીથી વણાયેલું છે. સુંદર મજાના રૂપકોમાં બ્રહ્મની વાત છે. મકરંદ દવેની આજ ખાસિયત તેઓને એક મૂઠી ઊંચેરું સ્થાન બક્ષે છે…..
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
– રતિલાલ ‘અનિલ’
આમ તો શિયાળાની મોસમ છે. ઠંડી દિન-બ-દિન વધી રહી છે. પણ ગઈ કાલે એક મજાની વરસાદી ગઝલ મળી ગઈ એટલે આજે પણ એક વરસાદી ગઝલ જ લઈને આવ્યો છું… ક્યારેક ભરશિયાળામાં ભીંજાવાની મજા પણ લઈએ, ખરું ને ?
ચોમાસાએ ફૂંક્યો મંતર,
કૂંપળ ફૂટે પથ્થર પથ્થર.
હાથ હવાએ લંબાવ્યો ત્યાં,
મ્હેકી ઊઠે આખું અંબર.
ટૌકા વેરી વગડો નાચે,
માથે ઓઢી લીલું છત્તર.
ફૂલો પર ઝાકળ બેસીને
મનભર પીતાં મીઠું અત્તર.
ભીની ભીની ફોરમમાંથી,
શમણાં કોળે સુંદર સુંદર.
– નીરજ વ્યાસ
કોણે કહ્યું કે ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં કરાતી ગૂફ્તેગૂ ? આ જુઓ… નખશિખ સૌંદર્યરસપ્રચૂર ગઝલ… એક એક શેરમાંથી નિતાંત પ્રકૃતિ નીતરે છે…
અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે. મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…
આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…
*
અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.
શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.
વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?
બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.
ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.
ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…
હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.
જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.
જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.
કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !
સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.
શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.
લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.
હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
– વિવેક મનહર ટેલર
એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
એક પછી એક.
મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
એક પછી એક.
શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક
એક પછી એક.
મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક
કાપ્યાં કરું
ખાધાં કરું
બર્થડેની કેક
એક પછી એક.
– ચિનુ મોદી
એક પછી એક જતા વર્ષોની સાખે વર્ષગાંઠની કેક ખાતા ખાતા આ ગીત વાંચવા જેવું છે. સમયના ‘ચેક’ સામે કોઈનું ચાલતું નથી. માણસ એવું મઝાનું પ્રાણી છે કે સમય સામેની રમતમાં જ્યારે એક વધારે પ્યાદું (એટલે કે એક વધારે વર્ષ) ખતમ થઈ જાય, ત્યારે એ ‘કેક’ કાપીને એની બેધડક ઊજવણી કરે છે !
જે માગતો નથી,
એની જ માગણી પ્રચંડ હોય છે,
જે મેળવતો નથી
એને જ સૌથી વધુ મળે છે;
જે ફરતો નથી
એની જ યાત્રા કબૂલ થાય છે;
જે ભૂલો કરે છે
એની સમક્ષ ક્ષમાનો પારાવાર છે;
જે ઊભો છે
એની જ ગતિનો મહિમા છે.
આ કાવ્ય જાણે Lao Tzu લિખિત ‘ Tao Te Ching ‘ નું હોય તેવું લાગે છે !
છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે
પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે
ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે
કોશિશ ન કર કે ક્ષણક્ષણ ઉપર તારી હો અસર
તું પણ ક્ષણોને ખુદ પર અસર છોડવા ન દે
ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…
*
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.
કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !
શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.
જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?
મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.
શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.
દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!
જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.
જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’
-અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
(અનુ. અનિલ જોશી)
*
આ કવિતા વાંચીએ અને આપણી અંદરથી એક ચિત્કાર ન ઊઠે તો આપણા મનુષ્યત્વ અંગે શંકા કરવાની છૂટ છે… યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી. પણ મનુષ્યજાતને એના અસ્તિત્ત્વના આરંભથી આ એક સરળ વાત સમજાણી નથી… મારા વિના આ દુનિયા ચાલશે જ નહીં એવું માનનારાઓથી કબ્રસ્તાનો ચિક્કાર ભરેલાં છે…
*
The Unknown Soldier
Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier
And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.
– Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)
ફિકર છોડી તું થઈ જા ફકીર, મૂઢમતે !
કોણ અહીં બદલી શક્યું લકીર, મૂઢમતે ?
છેક સુધી જાળવજે તું ખમીર, મૂઢમતે !
એ જ પછી આવીને પૂરશે ચીર, મૂઢમતે !
ઉછળતાં મોજાંઓ શમી જશે કાંઠા પર,
દરિયો જોયો ક્યારે પણ અધીર, મૂઢમતે ?
જારી કર હુકમનામું તું તારી જ ઉપર,
રાજા પણ તું ને તું જ છો વજીર, મૂઢમતે !
ભીતર તું ખુદને ખૂબ સજાવી લે ‘સુધીર’,
પ્હેરણ જેમ પડ્યું રહેશે શરીર, મૂઢમતે !
– સુધીર પટેલ
(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)
સાદ્યત સુંદર સુફિયાણી ગઝલ… અહીં મને રાજેશભાઈ વ્યાસનો અમર થવા સર્જાયેલો એક શેર યાદ આવે છેઃ તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.
તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.
આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.
– સુધીર દેસાઈ
આંખ ઉઘાડો તો આપણી ચારે તરફ ચમત્કાર છે… ન તો કોઈ બાબા પાસે જવાની જરૂર છે કે ન તો કોઈ ગુરૂ પાસે !
સાલસ સ્વભાવ અને ઋજુ હૃદયના આશાસ્પદ કવયિત્રી તથા વાર્તાકાર શ્રીમતિ સ્મિતા કિશોર પારેખનું આજે મળસ્કે યુવાન વયે અકાળ અવસાન થયું. ‘લયસ્તરો’ એમને હાર્દિક શબ્દાંજલિ પાઠવે છે. એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.
![]()
(જન્મ: ૩૦-૦૯-૧૯૫૨…. ….મૃત્યુ: ૧૯-૧૨-૨૦૧૧)
નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.
***
સાવ કોરો પત્ર તું એકાદ જો,
થૈ શકે તો મૌનનો અનુવાદ જો.
જ્યાં હવામાં સ્હેજ ભીનો સ્પર્શ છે,
ત્યાં તું આવે યાદ વરસો બાદ, જો.
નીંદ વેરણ ને ઉદાસી રાતભર,
તું ન આવે, આવતી લે યાદ, જો.
મેઘ એકે ના અહીં આકાશમાં,
આજ મારા આંસુનો વરસાદ જો.
દિલને એનાથી વધુ શું જોઈએ ?
કે તું આવે, એક દઈ દઉં સાદ, જો.
જિંદગીએ બસ, ઘણું આપ્યું મને,
આ પડાવે કોઈ ના ફરિયાદ જો.
માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
રેશમી આ સ્મિતમાં અવસાદ જો.
– સ્મિતા કિશોર પારેખ
એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !
શમણાંના કલરવતા,કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ
ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઈનામાં
અંદર તિરાડ આરપાર
જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઈ નથી ખાસ…. એક….
એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંક્યે રાખી છે કોઈ મોજથી
મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક….
ઊખડે જો ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો
કૈકેયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવવો રણનો વનવાસ… એક….
જરા ધીમે ધીમે ફરી ફરીને એકે એક ફકરો વાંચવા જેવો છે. ઉત્તમ કક્ષાનું indirect statement દરેક ફકરામાંથી જડી આવે છે.
કાગળના જેવી ઉધાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારા ચગળે છે કેમ
ચશ્માંની જેમ એને દ્રષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ
કોની તે નજરે નજરાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં માણસને એની દરકાર નહીં ?
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં ?
કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત
ભગવાન બુદ્ધની હયાતીમાં, તેઓની પ્રત્યક્ષ હાજરીમાં જ, તેઓના શિષ્યગણમાં બે જૂથો વચ્ચે પ્રચંડ વિવાદ- લગભગ મારામારી સુધીનો ઝઘડો- થયો કે ભગવાનનો ઉપદેશ અમે જે કહીએ છીએ તે જ છે !!!!! ભગવાન એટલા દુઃખી થયા કે તે સર્વને તે જ ક્ષણે ત્યાગીને એકલા ચાલી નીકળ્યા….. માણસ સારો-ઉમદા-શ્રેષ્ઠ હોઈ શકે,બાકી માણસજાત તો……….
કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…
મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો
નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ
લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ
મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો
હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને
શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે
નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં
નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું
સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને
અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.
તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.
‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.
રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.
– મનોજ ખંડેરિયા
મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.
– કૈલાસ વાજપેયી
(અનુ. નલિની માડગાંવકર)
માખણમાં છરી ઊતરી જાય એમ દિલની આરપાર નીકળી જાય એવી કવિતા… ખરું કહો, કોણ વધુ દાતાર છે?!
ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.
કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા !
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા.
ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.
હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા.
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.
– કિસન સોસા
માણસને શું જોઈએ ?
છ ફૂટ જમીનથી શરૂ કરો તો
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ.
માન્યું.
અને પછી એક બે માણસ જોઈએ – પોતાના
કહેવાય એવા.
એક બે ચાલે ? કે વધારે ?
અરે બાપા, બે મળે તો ય ઘણું!
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.
છવ્વીસ જ કેમ?
અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર
રડવા જોઈએ.
રડવું આત્મા માટે સારું છે.
સંતોષ થાય એટલું કામ જોઈએ.
જે થોડા થોડા વખતે થોડું અઘરું
લાગે, મથાવે.
પણ પાછું માની જાય,
સહેલું લાગે.
વચ્ચે વચ્ચે દૂર દોડી જવા જોઈએ.
થાકી ગયા – નાસી ગયા.
ત્યાંય થાકી ગયા – પાછા આવી ગયા – એવું.
વખતોવખત
રીસાવા, મનાવવા, છેડવા,
કારણ વગર હસવા, આખી
રાત જાગવા, ઉશ્કેરાવા,
વરસી પડવા
– ને એવું બધુ ગાંડું
ગાંડું કરવા જોઈએ.
આવતી કાલ માટે પાંચ – સાત
આશા જોઈએ. (એ કહેવાની, અને બીજી
પાંચ-સાત છૂપાવી રાખવાની.)
બસ.
આટલું જ ?
આટલું જ.
ને બસ આટલા
ખાતર
આટલી બધી
જંજાળ ?
– શ્વેતલ શરાફ
સરળ જીંદગીને અ-સરળ કરી નાખવામાં આપણો જોટો નથી. દોસ્તો, એક હાથ દિલ પર રાખો ને બીજા હાથે ભીની હવાને પ્રેમથી અડકી લો. આ જીંદગીને ફરીથી સરળ કરી દો !
નખ છું, ઉઝરડા છે આ મારી આસપાસ,
રાતા અભરખા છે આ મારી આસપાસ.
પહોંચી ગયો છું ક્યારનો આ દેશમાં,
હું છું, અરીસા છે આ મારી આસપાસ.
ઘટનાનું હોવું માંગી લેશે શક્યતા,
બૂઠ્ઠા નિઃસાસા છે આ મારી આસપાસ.
હોવું બરફનું, કેટલું સદભાગ્ય છે,
દૃશ્યો થીજેલાં છે આ મારી આસપાસ.
ના એટલે હું નહીં કદી ઉંઘી શકું,
સ્વપ્નો સૂતેલાં છે આ મારી આસપાસ.
-ચિંતન શેલત
નખ, ઉઝરડા અને લોહીલુહાણ રાતા અભરખાથી શરૂ થતી ગઝલ, એક પછી એક ધારદાર શેરમાંથી પસાર થતી છેક સૂતેલા સ્વપ્નાની વચ્ચે ઊભેલી અનિદ્રા સુધી પહોંચે છે ત્યારે એક સૂનકાર પાછળ છોડતી જાય છે.
આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?
તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?
રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?
છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?
આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?
રામના બાણની જેમ સોંસરવી ઉતરી ગઈ આ ગઝલ…..
મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…
બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.
કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.
જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.
એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.
જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.
સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.
બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.
મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.
જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.
જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.
કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.
કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.
વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.
આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.
વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.
મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.
નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.
એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.
મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.
– બરકત વીરાણી ‘બેફામ’