જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝાર

મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને

આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત

જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને

– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)

આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે,  સમય સાથે,  મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.

પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !

કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને.  કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે  મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.

મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.

એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.

આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.

આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.

ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :

Comments (11)

પરમ સખા મૃત્યુ :૦૫: મૃત્યુ સમજમાં આવવું – રમેશ પારેખ

આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે.

– રમેશ પારેખ  (તા. ૩૦/૩/૧૯૯૫ ;  કારણ: કવિશ્રી હરીન્દ્ર દવેનું અવસાન)

જેનાં ઉપર કોઈનો કાબુ નથી એવા મૃત્યુને પણ લયનાં આ રાજવીએ ગીતમાં લયબદ્ધરીતે બાંધ્યું છે, અને એ પણ કેવી હળવાશથી !  જે થવાનું હશે એ તો થશે જ- આ સીધી સાદી વાત આપણને સાંભળવા તો ખૂબ જ મળે છે, પરંતુ એમ કહેવું અને એને ખરેખર માનવું એ બેમાં મોટો ફર્ક છે.  મૃત્યુ એમ કેમ સમજાય ?  કવિને મન પોતાની જાત એટલે કે અંધારું બોગદું અને જીવવું એટલે કે એ બોગદામાંથી-પોતાનામાંથી સોંસરવા પસાર થવું.  જીવ્યા વિના તો છૂટકો જ નથી.  અને મૃત્યુ એ બોગદાની સફરનો અંત છે.  અંતમાં તો આપણા શ્વાસોનો બોજ કોઈ બીજાનાં કાંધ પર જ જવાનો છે એટલે આપણે આપણા અસ્તિત્વને જ જો સારી રીતે સમજી શકીએ તો મૃત્યુ એની મેળે જ સમજાઈ જશે.

મને લાગે છે કે માણસને મૃત્યુનાં ભય કરતાં પણ વધુ ભય મૃત્યુ પૂર્વેની વેદનાનો હોય છે.

*

આમ તો મને ‘મૃત્યુની કવિતા’ એ શબ્દોની સાથે જ રાવજી પટેલનું ગીત સૌપ્રથમ તુરત જ યાદ આવે… જેને ધવલ આભાસી મૃત્યુનું ગીત પણ કહે છે.  આ ગીતનાં અર્થનો આગળ લયસ્તરો પર ઘણો વિસ્તાર થયો છે,  આપ સૌ વાચકમિત્રો-કવિમિત્રો દ્રારા પણ… જેને આપ સૌ આજે ફરી મમળાવી અને માણી શકો છો : (કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

Comments (9)

પરમ સખા મૃત્યુ :૦૩: શ્રીમદ્ ભગવદ્ગીતા

મૃત્યુ વિશે ભગવદ્ગીતા જે કહે છે એમાં એક પણ શબ્દ ઉમેર્યા વિના એને એમ જ આત્મસાત્ કરીએ:

 

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

न जायते भ्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूय: ।
अजो नित्यः शाश्वतोड्य पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ २०॥

આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી અથવા પૂર્વે ન હતો કે ફરી નહીં હોય, એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં મરાતો નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोड्पराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ २२॥

જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: ।
न क्गैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ॥२३॥

આ (આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

– શ્રીમદ્ ભગવદ્ગીતા (અધ્યાય બીજો, સાંખ્ય યોગ)

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

-ચુનીલાલ મડિયા

મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !

Comments (6)

પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

 

મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !

મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.

જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-

‘ You would know the secret of death.

But how shall you find it unless you seek it in the heart of life ?

For life and death are one, even as the river and the sea are one.

For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’

– Kahlil Gibran

‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.

‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘

Comments (8)

લયસ્તરો : સાત વર્ષની સફર

balloon

લયસ્તરો આજે સાત વર્ષ પૂરા કરે છે.

સાત વર્ષની આ સફર માટે હું શું કહી શકું ? ‘લયસ્તરો’ની શરૂઆત કરી ત્યારે મારી પાસે કવિતાનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું કે ન તો મારી એવી કોઈ ખાસ લાયકાત હતી. વર્ષોનું કવિતાનું ઋણ અદા કરવાનો અને કવિતાના આનંદને વહેંચવાનો વિચાર માત્ર હતો. આજે એ વિચાર આટલો પરિપક્વ થયો છે એ કવિતાની શક્તિનો પૂરાવો છે.

આ અવસરે ‘લયસ્તરો’ની ટીમ – ઊર્મિ, તીર્થેશ, વિવેક અને ધવલ – કવિઓ અને રસિકોનો આભાર માને છે. કવિતાની આ સફરને નવા સોપાન પર લઈ જવાની અમારી હંમેશા વધારે ને વધારે કોશિશ રહેશે.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવીએ છીએ. આ વખતે પણ એવી જ ઈચ્છા છે. જો કે આ વખતનો અમારો વિચાર દર વર્ષની ઉજવણીથી જરા જુદો પડે છે.

માણસની આખી જીંદગીમાં એક જ વસ્તુ નિશ્ચિત છે. અને, તમને ગમે કે ન ગમે, એ વસ્તુ છે : મૃત્યુ. અને મઝાની વાત એ છે કે આપણે આખી જીંદગી મૃત્યુથી બને તેટલા દૂર ભાગવામાં વિતાવીએ છીએ. મૃત્યને અમંગળ, અવાંછનિય, અછૂત ગણીને ચાલીએ છીએ. મંગળ પ્રસંગે (દા.ત. સાતમી વર્ષગાંઠે !) એનુ નામ પણ વર્જ્ય  ગણાય છે. રખે કોઈનાથી મૃત્યુનો ઉલ્લેખ થઈ જાય તો મોઢે હાથ કરવાનો રીવાજ છે. આ વખતે અમે આ પ્રથાથી ઊંધા જવાનો વિચાર કર્યો છે.

આવનારા થોડા દિવસોમાં મૃત્યુના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓના માધ્યમથી અમે મૃત્યુ નામની ઘટનાને આભડછેટ વિના, પેમપૂર્વક, વિવેકપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ અવસરનું નામ રાખ્યું છે : પરમ સખા મૃત્યુ.

આવતી કાલથી તમે પણ જોડાવ ‘લયસ્તરો’ના આંઠમા વર્ષની સફરમાં – પહેલો મુકામ છે : પરમ સખા મૃત્યુ.

Comments (36)

…….અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Comments (8)

તું એકલી નથી – વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)

ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.

– વસંત આબાજી ડહાકે (મરાઠી)
(અનુ. જયા મહેતા)

કવિ ખૂબ જ ઓછા શબ્દોમાં અનૈક્યમાં ઐક્યની વાત કરી શકે છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ નવાઈ.

Comments (4)

જીભતર – દિલીપ ઝવેરી

મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું

તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે

ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર

પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય

એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.

– દિલીપ ઝવેરી

કવિની કરામત અહીં શીર્ષકથી જ જોવા મળે છે. જીવતરના સ્થાને કવિ જીભતર જેવો શબ્દ ‘કોઇન’ કરે છે જે કવિતા માટેની ઉત્સુક્તા વધારે છે અને કવિ પણ આગળ જતાં નિરાશ નથી કરતાં. ઘરની વ્યાખ્યા નિશ્ચિત કરીને કવિ પછી ઘરની અંદરના નાનાવિધ રોજિંદા ચિત્રોને તાદૃશ કરે છે… પણ આ તો ઘર થયં… કવિનું ઘર તો એની કવિતા જ ! ઘર એટલે એક લગભગ નિશ્ચિત કરી શકાય એવી ઘરેડ. એનું એ જ ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે છે… એ જ રીતે કવિતા પણ !

Comments (5)

ગઝલ – અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો જ મળી જાય, એમ પણ બને…

Comments (5)

સૂરતમાં પોપટ બોલે – નયન દેસાઈ

એવા ટહુકાવત્ બનતા બનાવ બનાવ
સૂરતમાં પોપટ બોલે
હવે સોનાનું પાંજરું ઘડાવ ઘડાવ
સૂરતમાં પોપટ બોલે

બાઈ! મારે લીલાં પીંછાંને ઝીણું આભ, આંખોથી ઝરમર ઝરે
મેં તો વાસંતી પગલાંને સૂંઘ્યાં ને કંકુની ખરખર ખરે
ફૂલ ફેંકીને ઝાકળ ઉઠાવ ઉટાવ
સૂરતમાં પોપટ બોલે

બાઈ! મેં તો કળીઓના પગરવને સાંભળ્યો ને પાંદડાઓ છાંયો કરે
આંગણે આવેલા અવસર આ કેવા કે,
પંખી ખુદ પારધીનો પીછો કરે
તારી આંખની કટારી લગાવ લગાવ
સૂરતમાં પોપટ બોલે

– નયન દેસાઈ

નયનને કલ્પનોનું વરદાન છે. સામાન્ય કવિ પોપટ-પાંજરું-ફૂલ-ઝાકળ-પંખી-પારધી એવા કલ્પનો વાપરે તો ચવાઈ ગયેલા લાગે પણ અહીં એના એ જ કલ્પનો મઝાના ખીલી ઊઠે છે. ગીત શું કહે છે એ સમજાય પહેલા જ આ ગીતની મીઠાશ, એનો માહોલ તમને અડકી લે છે.

Comments (6)

ત્યાં – સોદો (અનુ.કિશોર શાહ)

મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં
આ વસંત,
ત્યાં કશુંયે નથી;
ત્યાં બધું જ છે.

– સોદો
(અનુ. કિશોર શાહ)

આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી હોય તો એવું દુનિયામાં કશું નથી જે પોતાના ઘરમાં ન મળી આવે.

Comments (4)

પ્રશ્ન – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.ઉમાશંકર જોશી

પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.

 

maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.

Comments (6)

કવિતા – એન્તુનિન બાર્તૂશેક – અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.

 

પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.

‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.

‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.

Comments (3)

મારા દેશમાં – એ. કે. ડોડિયા

કેટલો અંધાર મારા દેશમાં ?
સૂર્ય પણ લાચાર મારા દેશમાં

કાંધ પર લઈને ફરે છે માણસો
ભવ્યતાનો ભાર મારા દેશમાં

હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
સૂર્ય અધ્યાહાર મારા દેશમાં

સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં

મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
હું જ વસ્તી બહાર મારા દેશમાં

– એ. કે. ડોડિયા

‘ગુજરાતી દલિત કવિતા’ નામના સંપાદિત પુસ્તકમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે જિંદગીનું આ એક પાસું કદી નજરે ચડ્યું જ નહીં. સામાજિક વિષમતા હજી પણ આટલી કારમી હદે પ્રવર્તતી હશે એ વિચારમાત્રથી અંદર-બહાર લખલખું પસાર થઈ જાય છે… પ્રસ્તુત ગઝલ આવી જ વરવી વાસ્તવિક્તાનો નગ્ન ચિતાર છે…

Comments (7)

આનંદની કવિતા – યશવંત વાઘેલા

છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.

– યશવંત વાઘેલા

‘દલિત કવિતા’ શીર્ષક સામે મને ગુસ્સો છે પણ આ કવિઓની કવિતામાંથી પસાર થતી વખતે એમની સંવેદના અને તકલીફ મને વધુ ગુસ્સે કરે છે.  એકવીસમી સદીમાં પણ હજી આવી સામાજીક વિષમતા? શી રીતે સહી શકાય આવા હાડોહાડ અન્યાયને? હજી કેટલા ગાંધી અને આંબેડકરની આપણને જરૂર પડશે? આ સાચે જ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે?

ભૂખનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે છંદ-લય, પ્રાસ-અનુપ્રાસના શણગાર ક્યાં કરવા જવાના ભાવ સાથે આવતી આ કવિતા સંપ્રત સમાજની અવ્યવ્સ્થા પર જનોઈવઢ ઘા કરે છે…

Comments (6)

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે – મૂકેશ જોશી

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે,
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ પાસે નથી જ કાળુ નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે ?
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે ?
આવાં-તેવાં મ્હેણાં-ટોણે દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી !
મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી;
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી;
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે.

– મૂકેશ જોશી

વાંચતાવેંત ગમી ગયેલ મજાનું હળવું ગીત…

Comments (5)

ઈચ્છાકુંવરી – સરૂપ ધ્રુવ

આલબેલ ! આલબેલ !
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ !
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું ?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે ?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ !
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને !
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !

– સરૂપ ધ્રુવ

માનવને ઈચ્છાના ગુલામ રહેવાનું ચિર વારદાન છે. ઈચ્છાઓ આપણને ચોતરફ ઘસડે રાખે છે. બધું કરી છૂટો પણ છેલ્લે તો શ્રી ઈચ્છામાતની જે જ બોલવાની રહે છે.

Comments (4)

ગુજરાતી કવિઓને ધાકધમકી – ચંદ્રકાંત શાહ

શબ્દને વાળો કે ચોળો કે બે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર ! હાથ જો લગાડ્યો છે આંખ કે
                                               અવાજ કે આકાશને તો –

શબ્દને પથ્થરની જેમ ભલે ભાંગો કે
                                             પાંચીકાની જેમ છો ઉછાળો
પણ ખબરદાર ! ઊંચી કરીને આંખ જોયું છે 
                                        સાંજ કે સમુદ્ર કે સુવાસને તો –

શબ્દોના ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ, 
                                  કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો !
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’ 
                                   શબ્દ એક એકલોઅટૂલો બિચારો !
શબ્દોને દાઢીને જેમ ઉગાડો કે બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર ! બત્રીસી તોડી નાખીશ જો બતાવ્યા
                                    છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો –

શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી 
                                કાઢ્યાં કૈં કોટિ કરોડ નવા શબ્દના ઈંડાઓ
શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના
                           કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દના ભીંડાઓ
દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
                                           પડશે તો અડશો ઉજાશને તો –

– ચંદ્રકાંત શાહ

કવિનો કવિઓને નામ જાસો અને એય ગીત રૂપે 🙂

Comments (4)

અપ્રતિમ – રૂમી – અનુ. વસંત પરીખ

તે અપ્રતિમનાં કાર્યોને કોણ વર્ણવી શકે ?
હું તો એટલું જ કહી શકું,
જેટલું મારું મર્યાદિત મન પામી શકે.
છે તેની અકળ ગતિ.
ક્યારેક વર્તે એક રીતે તો
ક્યારેક તેનાથી સાવ વિપરીત.
તેનો તાગ ક્યાંથી લઈ શકે આપણી મતિ ?
ઈમાન કે મજહબનું સાચું રહસ્ય છે
સતત પ્રગટતું આશ્ચર્ય !
પણ એનો અર્થ એવો નથી
કે એ આશ્ચર્યમાં અંજાઈને
તમે તેનાથી ભાગો દૂર.
તેનો અર્થ તો એ છે કે
તે ચકાચોંધ આનંદમાં ચકનાચૂર
થઇ તમે ખુદમાં ડૂબી જાઓ
અને નશા-એ-ઇશ્કમાં ખોવાઈ જાઓ.

 

आश्चर्यवत पश्यति कश्चित् एनम
आश्चर्यवत वदति तथैव चान्य:
आश्चर्यवत च एनम अन्य: श्रुणोति
श्रुत्वा अपि एनम न चैव कश्चित् .
– ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૨૯

કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી.

આથી વધુ શું પ્રમાણ હોઈ શકે કે તમામ ધર્મ,તમામ ફિલસુફી એક જ વાત કહે છે !

Comments (2)

કબીર – અનુ. પિનાકિન ત્રિવેદી / રણધીર ઉપાધ્યાય

યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.

પ્રેમ પિયાલા જો પીયૈ સીસ દચ્છિના દેય,
લોભી સીસ ન દે સકે નામ પ્રેમ કા લેય.

છિનહિં ચઢૈ છિન ઉતરૈ સોં તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ પિંજર બસૈ પ્રેમ કહાવૈ સોય.

જબ મૈં થા તબ ગુરુ નહીં અબ ગુરુ હૈં હમ નાહિં,
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિં.

જા ઘટ પ્રેમ ન સંચરે સો ઘટ જાન મસાન,
જૈસે ખાલ લોહારકી સાંસ લેત બીનું પ્રાન.

ઉઠા બગૂલા પ્રેમકા તિનકા ઉડા અકાસ,
તિનકા તિનકાસે મિલા તિનકા તિન કે પાસ.

કબિરા પ્યાલા પ્રેમકા અંતર લિયા લગાય,
રોમ રોમ મેં રમિ રહા ઔર અમલ ક્યા ખાય.

 

આ તો પ્રેમનું ઘર છે નહિ કે માસીનું ઘર. અહીં તો માથું ઉતારી ભોંયે ધરે તેને જ પ્રવેશ મળે.

પ્રેમનો પ્યાલો પીનાર દક્ષિણામાં મસ્તક ઉતારી દે છે. લોભી માત્ર પ્રેમનું નામ લઇ શકે છે-એ મસ્તક ક્યાંથી ઉતારી આપે ?

ઘડીમાં ચડે અને ઘડીમાં ઊતરી જાય તેને કંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ જ કહેવાય જે દેહ પિંજરમાં વસવા છતાંએ સ્થૂળના આધાર વિનાનો હોય છે.

જ્યાં સુધી ‘હું'[અહંકાર] હતો ત્યાં સુધી ગુરુ [પરમાત્મા] ન હતા અને હવે ગુરુ જ છે,’હું’ નથી. આ પ્રેમની ગલી તો અત્યંત સાંકડી છે,એમાં બે ન સમાય.

એ જીવન સ્મશાનવત છે જેમાં પ્રેમનો સંચાર નથી થયો. શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે, પણ તેમાં પ્રાણ ક્યા છે ?

પ્રેમનો વંટોળ જાગ્યો. માનવમાં રહેલું પ્રેમરૂપી તરણું બ્રહ્માંડમાં ઉઠ્યું. તે પ્રભુપ્રેમ રૂપી તરણાને મળ્યું. આમ પ્રભુનો પ્રેમ જે માનવમાં રહ્યો હતો તે પાછો પ્રભુ પાસે પહોંચ્યો. [ અર્થાત, ઘણીવાર માનવ ઈશ્વરની લીલાને સમજી નથી શકતો અને વંટોળિયાને આફતરૂપ ગણે છે. હકીકતમાં તે ઈશ્વરની અસીમ કૃપા જ વેશ બદલીને કાર્ય કરતી હોય છે.]

કબીરના હૈયાએ પ્રેમનો પ્યાલો પીધો છે,તેને હવે બીજા નશાની શી જરૂર ?

Comments (2)

ગઝલ – રમેશ પારેખ

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

– રમેશ પારેખ

ગઝલકારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને થોકબંધ ગઝલોનો ફાલ ઊતરી રહ્યો છે. છંદની આવડત અને રદીફ-કાફિયાની ટેકનિક હસ્તગત થઈ ગઈ હોવાના કારણે ચારેતરફ બધા જ સામયિકો, ફેસબુક, ઓર્કૂટ પર ગઝલ જ ગઝલ નજરે ચડે છે… ગઝલોના આ ઘુઘવાટા મારતા મહેરામણ વચ્ચે આ છે સાચી દીવાદાંડી !

(ટાઇપ સૌજન્ય: રીના બદિયાની માણેક)

Comments (6)

ગઝલ – ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

પાંચેપાંચ શેર આસ્વાદ્ય… સરવાળે ‘ખરી’ ગઝલ !

 

Comments (8)

આવે છે ક્યાંથી ? – શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.

અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !

– શોભિત દેસાઈ

પહેલો જ શેર બહુ મઝાનો છે. અલ્પનો પ્રભાવ અલ્પ જ હોય જરૂરી નથી. ઈતિહાસના પાના આ સત્યના ગવાહ છે. ને વળી, અલગ ઊભો રહી… તો એનાથી ચડે એવો શેર છે. સમ્યક થયા સિવાય સર્જક થવું અશક્ય છે.

Comments (10)

ગુપત, પ્રગટ – અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘટ શું છે !

– અમૃત ઘાયલ

ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ….

Comments (7)

ભીનું છલ – મકરંદ દવે

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

Comments (4)

વિપ્રયોગ – કાન્ત

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
.                          ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
.                          દારા એની એ ?”

* * *

“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
.                          ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
.                          દારા એની એ !”

– કાન્ત

ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત.  અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા.  જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)

લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.

*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)

Comments (2)

અંજનીકાવ્ય – મનોજ ખંડેરિયા

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
.                      ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
.                      ત્યાર પછી જીવો !

-મનોજ ખંડેરિયા

*

ગુજરાતી ભાષામાં અંજનીગીતો બહુ ઓછા લખાય છે, પણ મનોજ ખંડેરિયાએ તો ‘અંજની’ નામે આખેઆખો સંગ્રહ આપણને આપ્યો છે. આધુનિક ગીતકાવ્યસ્વરૂપમાં રસ હોય એ મિત્રોને આ કાવ્યસ્વરૂપ ચોક્કસ પસંદ આવશે. પ્રચલિત ગીતની સરખામણીમાં અંજનીગીત અત્યંત લાઘવ ધરાવતું કાવ્યસ્વરૂપ હોવાથી ગાગરમાં સાગર ભરવાનું કવિકૌશલ્ય અનિવાર્ય બની રહે છે. શબ્દોની કરકસર વડે ઉત્કટ ભાવોર્મિનું બારીક નક્શીકામ અંજનીગીતની પૂર્વશરત બની રહે છે. પ્રસ્તુત અંજનીગીત દરેક મોરચે પાર ઉતરે છે. કવિ ઘરના ભીંટ-ઝાંપાને ધક્કો દઈને દૂર ક્ષિતિજે લઈ જઈ સ્થાપવાની વાત કરે છે. મતલબ સાફ છે. આ કંઈ માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત નથી. આ વાત તો છે આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની. ઉમાશંકરનો ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’નો શંખનાદ પણ અહીં સંભળાય છે. સંકુચિતતાનો ત્યાગ કરીએ, ત્યારે જીવનમાં ન તો અજવાસની ઓછપ રહેશે, ન તો શ્વાસ લેવામાં કોઈ ગૂંગળામણ અનુભવાશે. રાજેન્દ્ર શાહનું લઘુકાવ્ય પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે: ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું અંજની ગીત કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં પણ અંજની કાવ્ય કહી શકાય એવી એક રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા –  —

Comments (22)

અછાંદસ – પન્ના નાયક

આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !

– પન્ના નાયક

અંત સુધી પહોંચતા સોય જેવું લાગતું આશ્ચર્યચિહ્ન જાણે ખુદ ભોંકાય છે અને વેદનાનો તીવ્ર અનુભવ કરાવી જાય છે… મધુસુદનભાઈ કાપડિયાનાં શબ્દોમાં કહું તો:   ‘પુસ્તકનાં પૃષ્ઠો’ ના જોડાક્ષરો અને અઘોષ વર્ણોમાં કેવી કઠોરતા છે; ‘સિવાઈ ગયેલાં’ એ ક્રિયાપદ કોઈ જીવતેજીવત પડખાંને બખિયા ભરી લેતું હોય તેવી વેદનાનો અનુભવ કરાવે છે અને પતિપત્નીને પુસ્તકનાં પૃષ્ઠો સાથે સરખાવીને તથા ઋણાનુબંધના દોરાથી પેલાં પૃષ્ઠોની માફક સિવાઈ ગયેલાં નિરૂપાતાં રૂપક સાંગોપાંગ અને સંઘેડાઉતાર નીવડે છે.

Comments (5)

શ્વસ અનંતોમાં – સંદીપ ભાટિયા

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

ગઈકાલે તુકારામની વાત નીકળી એના પરથી આ અભંગોને સાંકળી લેતું મુક્તક યાદ આવી ગયુ. મુક્તક નાનકડું છે, પણ છે ખરું મોતી.

Comments (6)

તુકારામ અને શેક્સપિયર – વિંદા કરંદીકર

તુકોબાને મળવા શેક્સપિયર આવ્યો,
તે થયો ઉત્સવ દુકાનમાં.
મિલન તે રૂડું હૈયેહૈયું મળ્યું
માંહ્યલાનું ઠેઠ માંહ્યલામાં

તુકા કહે, "વિલ્યા, તારું કામ છે મહાન
આખોયે સંસાર ઊભો કરી દીધો."

શેક્સપિયર કહે, "એક તોય બાકી
તેં જે જોયા, ઈંટ પરે."

તુકા કહે, "બાબા, એ તો થયું સારું
તેથી પડી તિરાડો સંસાર માંહે
વિઠ્ઠલ અટ્ટલ રીત એની ન્યારી
મારી પાટી કોરી લખીનેય."

શેક્સપિયર કહે, "તારા શબ્દ થકી
માટીમાં રમિયા શબ્દાતીત"

તુકા કહે, "સાંભળ ઘંટ તે મંદિર,
કર્કશા ઘરે જુએ છે વાટ"

બેઉ પડ્યા છુટ્ટા ગયા પોતાની વાટે
કૌતુક આકાશનું, ઉભરાય.

– વિંદા કરંદીકર
(અનુ. અશ્વિની બાપટ)

તુકારામ અને શેક્સપિયર મળે એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! શબ્દ અને સત્યને નજીકથી ચકાસનાર બે મહાનુભવોનો સંવાદ માણો.

Comments (3)

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી ! – ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(આવજો….                               ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯)

*

કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’  નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના જન્મેલા કવિશ્રીએ વલસાડને એમની કર્મભૂમિ બનાવી. ત્યાંની આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે.  વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો… ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…

લયસ્તરો ટીમ તરફથી આ યુગપુરુષને સાદર શ્રદ્ધાંજલિ !

*

OLYMPUS DIGITAL CAMERA
(કવિશ્રીના વલસાડના નિવાસ સ્થાને મારા સંગ્રહો સ્વીકારવાની ક્ષણે, ૦૬-૦૩-૨૦૧૧)

*

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

– ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(મારા સંગ્રહોમાંથી પસાર થઈ રહેલો ઇતિહાસ…         વલસાડ, ૦૬-૦૩-૨૦૧૧)

Comments (21)

દીવો કરજો – જ્યોતિ હિરાણી

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો

આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો

– જ્યોતિ હિરાણી

આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…

Comments (12)

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.

આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.

આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.

એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.

– હરદ્વાર ગોસ્વામી

ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !

Comments (5)

ખાલી ઠીબ – વારિજ લુહાર

મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.

ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.

મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.

પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.

ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.

– વારિજ લુહાર

છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…

(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)

Comments (9)

(કશુંક) – કિશોર શાહ

ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.

– કિશોર શાહ

મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.

તો પછી આ કવિતા કહે છે શું ?

આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો  ? – શક્ય છે કે  આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂

Comments (7)

સંભવે – સંદીપ ભાટિયા

બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?

હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?

પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.

– સંદીપ ભાટિયા

આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.

Comments (9)

અમે – જયન્ત વસોયા

પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
આંસુની ઇજ્જત વધારી છે અમે.

હું ફસાયો છું ભલે મઝધારમાં;
કૈંકની નૌકા ઉગારી છે અમે.

ફૂલ આપે, કંટકો આપે કદી;
હર અદા એની સ્વીકારી છે અમે.

ઉમ્રભર જો સાથ આપો તો કહું;
કેટલી વાતો વિચારી છે અમે.

જાણી બૂઝી એમને જીતાડવા;
બાજી ખુદની પણ સુધારી છે અમે.

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ;
જિંદગીને બહુ મઠારી છે અમે.

-જયન્ત વસોયા

Comments (13)

કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક

(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.

(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !

(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !

– જયન્ત પાઠક

જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.

Comments (6)

મુક્તક – કિસ્મત કુરેશી

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

– કિસ્મત કુરેશી

Comments (5)

દીવા સંકોર – રશીદ મીર

શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.

છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.

અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર

બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.

ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.

‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.

– રશીદ મીર

નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.

બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !

Comments (7)

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

Comments (7)

પ્રેમ અને તર્ક – રૂમી – અનુ.વસંત પરીખ

હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.

 

રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.

દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.

Comments (5)

અમે પણ – પ્રફુલ્લ નાણાવટી

સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.

નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.

ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.

ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.

હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.

– પ્રફુલ્લ નાણાવટી

વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!

Comments (9)

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

Comments (15)

મુક્તક – જમિયત પંડ્યા

આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.

– જમિયત પંડ્યા

Comments (2)

ચાનક રાખું ને – જયન્ત પાઠક

ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !

ચાખી ચાખીને મેં તો ભોજનીયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
. દૂધનો દાઝેલ, છાસ ફૂંકુ !

અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
. લીલાને સળગાવે સુકું !

છોડું છેડો તો એક, દુજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
. પડઘા લાંબા ને વેણ ટુકું !

– જયન્ત પાઠક

ગમે તેટલી કાળજી રાખવા છતાં પોતાની અંદરની મર્યાદાને કવિ ઓળંગી શકતા નથી.

Comments (8)

બોગદા – મણિલાલ ગાલા [ કચ્છી કાવ્ય ] – અનુ.-કિશોર શાહ

ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી

અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે

મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]

લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?

મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.

જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.

 

આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..

Comments (5)