આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
ઉદયન ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ચરખો – શાહ હુસેન – અનુ. હરીન્દ્ર દવે

ચરખો ચાલે ને મારાં નયણાં ઝરે
પાસેનું ધુમ્મસ થઇ ધૂંધળું દેખાય
ઓલી આઘેની સૂની વાટ લોચન ઠરે.

ચરખાનો તાર વારે વારે તૂટે છે
મારે નયણે અખંડ વહે ધાર,
ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
મારાં આંસુનો એકધારો તાર.

આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
હવે વીતી ગઈ આખી બારમાસી,
આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
મારો પથરાયો જીવ આ ઉદાસી.

કોટડીમાં એક તો દીવો નથી ને
વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
મારા જીવનની રહીસહી ઝાંય.

-શાહ હુસેન

શાહ હુસેન પંદરમી સદીના પંજાબી સૂફી સંત-કવિ હતા. તેઓ ‘કાફી’ શૈલીના જનક ગણાય છે. આબિદા પરવીન,નુસરત ફતેહ અલી ખાન અને નૂરજહાન એ તેઓને વિસ્તૃત રીતે ગાયા છે.
સૂફી પંથ પ્રિયતમ સાથે એકત્વ પામવાના ઝૂરાપાને વાચા આપતો પંથ છે. વિરહ વેદના એટલી તીવ્ર હોય છે કે ભાષા-વ્યાકરણ ઈત્યાદિની ગુલામી વગર સીધું હૃદયથી જ કવિનું ગાન નીકળે છે. પ્રતીકો સરળ હોય છે પણ ગૂઢાર્થ અદભૂત હોય છે. અહી ચરખો એટલે ભૌતિક જીવન. નયણાં એટલે આંતરચક્ષુ જેઓને પિયા-મિલન સિવાય કશું જ ખપતું નથી. જીવન અંત તરફ ધસી રહ્યું છે પણ સાક્ષાત્કાર છેટો ને છેટો જ રહી ગયો છે…..

Comments (5)

કબીર – ભજન

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઇ રમંતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.

જોગ જુગત સોં રંગ મહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.

-કબીર

ઘૂંઘટનો પડદો ખોલી નાખ,તને પ્રિયતમ મળશે ! સર્વત્ર એ જ સાંઇ-પ્રિયતમ રમી રહ્યો છે,માટે તું કડવા વેણ ન બોલ.

આ ધન-દોલત,આ યુવાની નો તું લગીરે ગર્વ ન કરીશ, કારણકે આ પંચતત્વનું પચરંગી ખોળિયું અનિત્ય અને નાશવંત છે. તું આત્મજ્ઞાનની સાધના દ્વારા શૂન્ય-મહેલ [ બ્રહ્માંડ ] માં જ્યોતિર્મય બ્રહ્મનો દીપક પ્રગટાવી લે અને બીજી ભૌતિક તૃષ્ણાથી તું વિચલિત ન થા.

કબીર કહે છે કે મેં તો બ્રહ્માંડરૂપી રંગમહલમાં યોગસાધનાથી બ્રહ્મ-સાક્ષાત્કાર અનુભવ્યો છે,અને તે ક્ષણે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે….આનંદની અનાહત દુંદુભિ ગાજી ઉઠે છે….

 

‘…….ઘૂંઘટ કા પટ ખોલ રે…’ – આ પંક્તિ મારી અતિપ્રિય પંક્તિ છે. ઈશારો એ તરફ છે કે આપણે જન્મથી આજ સુધીમાં એટલી બધી – એટલી બધી !!! – માન્યતાઓ,પૂર્વગ્રહો,જડ ધારણાઓ, સંકુચિત મનોવૃત્તિઓ ઇત્યાદિના અજગર-ભરડામાં ગ્રસ્ત થઇ ચૂક્યા હોઈએ છીએ કે આપણે હાથમાં આવેલા કોહિનૂરને ઠીકરું સમજી ફગાવી દઈએ છીએ. જડબેસલાક conditioning નાં આપણે સૌ શિકાર છીએ. હૃદયની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ હૃદયની વાત કદી સંભાળતા નથી…મગજ આપણાં અસ્તિત્વનો સંપૂર્ણ કબજો જમાવીને બેઠું છે. ઇન્દ્રિયો વડે આપણને ઇન્દ્રીયાતીતને પામવું છે ! આપણે માત્ર આપણી memory ને કોરાણે મૂકી પ્રત્યેક ક્ષણને એક ફ્રેશ અનુભવ તરીકે જીવી શકીએ તો મગજની ગુલામીમાંથી મુક્તિ મળે…અને તે અવસ્થા તે innocence …..

Comments (7)

(ઉસ્તાદ) – જયશ્રી ભક્ત

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્ત

સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…

સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…

મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…

Comments (68)

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

Comments (24)

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

Comments (8)

મારી છેલ્લી કવિતા – મેન્યુએલ બંડેરા

મારી છેલ્લી કવિતા એવી હજો

જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય
જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.

– મેન્યુએલ બંડેરા
(અનુ. ધવલ શાહ)

છેલ્લી કવિતાની વાત છે. પણ એ શ્રેષ્ઠ કવિતાની વાત બનીને આવે છે. છેલ્લા બોલે કવિને છગ્ગો જ મારવો છે 🙂 શ્રેષ્ઠ કવિતાના લક્ષણ કવિએ જે રીતે વર્ણવ્યા છે એ અદભૂત છે. નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત કવિતામાં કવિને આસુંરહીત ડુસકાની ધગધગતી આગ ભરવી છે. ઉપરથી સુવાસમુક્ત એટલે કે પવિત્રતમ ફૂલોનું સૌંદર્ય ભરવું છે. એમાં એવી જ્વાળા ભરવી છે કે જેમા ચળકતી વાસના બધી ભસ્મ થઈ જાય. અને એ કવિતા લખાવી જોઈએ આવેશની એવી ચરમસીમાએ જે આત્મહત્યાની ક્ષણે જ આવે છે. આવેશ જે બધી આસક્તિને ઉસેટી નાખે છે. કવિતામાંથી કવિની આપોઆપ બાદબાકી થઈ જાય એનાથી વધારે કવિતાની ચરમસીમા શું હોઈ શકે ?  

Comments (4)

હું મારી આસપાસ – હરિકૃષ્ણ પાઠક

હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.

શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.

સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.

આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.

આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.

-હરિકૃષ્ણ પાઠક

Comments (6)

જિન્દગી-મકરંદ દવે

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.

કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]

-મકરંદ દવે

કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…

Comments (4)

ગીત – પુષ્પા વ્યાસ

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયા !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં !

માળા કે ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં,
અંતર ધરતાં અંતર ટળિયાં,
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં,
ઉભયે કોણે કોને ભજિયાં,
પાર ન એનો કોઈ સમજિયાં.

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા –
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કઈ હાથોંસે ઉસને ચખિયાં !

– પુષ્પા વ્યાસ

(કવિતા (દ્વિમાસિક- સંપાદક શ્રી સુરેશ દલાલ)ના અંક 267ની સમીક્ષા કરવાનું મારે ભાગે આવ્યું. આખા અંકમાંથી આ કવિતા ઉપર મેં પસંદગીનો કળશ ઢોળ્યો જે અંક 268માં છપાયો. આ સમીક્ષાનો એક ભાગ આપ સહુ માટે)

કોઈ પણ કવિતા વાંચી જવા કરતાં એના વિશે બે વાત લખવાનું કાર્ય મને હંમેશા આકર્ષતું આવ્યું છે. કવિતા ગમે એટલી સુંદર કેમ ન હોય, એના વિશે લખવાની ફરજ જ્યાં સુધી ન પડે, ત્યાં સુધી તમે એને એક-બે કે બહુ બહુ તો ત્રણવાર વાંચીને, એનો આનંદ અનુભવીને, આત્મસાત્ કરીને આગળ જ નીકળી જવાના. પણ કવિતા વિશે જો થોડું લખવાનું હોય તો તમારે એ કવિતાને અલગ-અલગ બધા આયામથી અને વારંવાર જોવાની જરૂર પડે છે – કવિતાનો છંદ-લય, પ્રાસની ગુંથણી, કલ્પન વૈવિધ્ય, ભાષાકર્મ, ભાવસૃષ્ટિ, પ્રત્યાયનક્ષમતા, કેન્દ્રવર્તી વિચાર અને એ વિચારની માવજત, કવિતામાંથી નિષ્પન્ન થતો નિર્ભેળ આનંદ તથા શાતા અને સરવાળે કવિતાનું કાવ્યત્ત્વ. કવિતામાં પ્રવેશવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.
“કવિતા” અંક નં. 267ની મારી ગમતી કોઈ એક કવિતા વિશે લખવાનું કામ મારા ભાગે આવ્યું ત્યારે આ વિચારે જ મને ઉત્તેજિત કર્યો. બધી કવિતાઓમાંથી અવારનવાર પસાર થયા પછી મારી પસંદગીનો કળશ પુષ્પા વ્યાસની ગીતરચના પર ઊતર્યો.

મથાળે નામ ન લખ્યું હોય તો કવિવર રાજેન્દ્ર શુક્લની રચના હોવાનો ભાસ થઈ શકે. ટૂંકી બહેરનું આ ગીત મુખડું અને બંધના પારંપારિક ચીલાથી થોડું હટીને ચાલે છે. દરેક પંક્તિ સાથે આવતો અંત્યાનુપ્રાસ, મોટાભાગની પંક્તિઓમાં અવાર-નવાર ડોકિયું કરતા આંતર્પ્રાસ તથા વર્ણાનુપ્રાસ આ ગીતને લયમાધુર્યથી છલક છલક છલકાવે છે.

આમ તો આ વાત લગ્ન કરીને સાસરે આવેલ પત્ની અને એના પતિ વચ્ચેના પ્રેમની છે. આ વાત ઈશ્વર વિશે પણ હોઈ શકે. પણ પતિ કે પરમેશ્વર કે પછી પતિ એ જ પરમેશ્વર એ તો ભાવકે નક્કી કરવાનું. રસોડું અહીં કેન્દ્રસ્થાને છે કેમકે શયનકક્ષ ભલે સંસારચક્રમાં કેન્દ્રસ્થાને કેમ બિરાજતો ન હોય, કુશળ સ્ત્રી જાણે છે કે A way to man’s heart begins from his tummy! (પુરુષના હૈયા તરફનો રસ્તો એના ઉદરથી શરૂ થાય છે). કર્મને જીવનનું કેન્દ્ર બનાવનારને કોઈ માળા કે જંતર-મંતરની જરૂર પડતી નથી. એનું કર્મ એ જ એની ખરી પૂજા. એ જ એનું સાચું તપ. અંતરના શ્લેષની રમત પણ આ ગીતમાં સરસ થઈ છે. જે ઘડીએ અંતર પૂરેપૂરું સમર્પિત થાય એ ઘડીએ અંતર પૂરેપૂરું ટળી જાય છે. સોનેટની જેમ જ આ આખા ગીતની ખરી મજા એની આખરી બે પંક્તિઓમાં છે જ્યાં પ્રેમ, સમર્પણ અને ભક્તિ એની ચરમસીમાએ પહોંચે છે…

Comments (8)

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

Comments (5)

ગઝલ – અરુણ દેશાણી

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો.

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ,
દિવસો-દીવાલ-બિંબ-નર્યા ખાલી મૃગજળો.

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો.

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝે ઝાકળો.

રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.

– અરુણ દેશાણી

ભાવનગરના કવિ અરુણ દેશાણીનું આજે દેહ-નિધન થયું. પણ કવિ કદી મરતો નથી. એ જે એક્ષર કાગળ પર પાડે છે એ એને અ-ક્ષર કરી મૂકે છે… શબ્દ-ગુચ્છોની વચ્ચે મૂકેલા ‘ડેશ’ વડે આખી ગઝલમાં એક નિઃસ્તબ્ધતાનો ભાવ ઘુંટાતો અનુભવાય છે. બે શબ્દોની વચ્ચેના આ ડેશ જાણે આપણા ખાલીપાનો આકાર ન હોય એમ ભોંકાય છે… આખી ગઝલ વાંચીએ ત્યારે મન ભારઝલ્લું બની રહે છે… બધા જ શેર આપણી શૂન્યતા અને અવાકતાને ચાબખા મારતા હોય એવું અનુભવાય છે…

લયસ્તરો ટીમ તરફથી કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

Comments (5)

માતૃભાષા – પન્ના નાયક

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

– પન્ના નાયક

આટલા વરસ અમેરિકામાં રહીને  અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂

Comments (5)

રાહ જોઉં છું – પ્રફુલ્લ રાવલ

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

– પ્રફુલ્લ રાવલ

આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….

Comments (6)

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

Comments (6)

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….

Comments (10)

આજકાલ – યોગેશ પંડ્યા

શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?

વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !

ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !

શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?

– યોગેશ પંડ્યા

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

– મુકુલ ચોક્સી

આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે…  વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે.  અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?

Comments (4)

આગવી છે – જલન માતરી

જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું
મરણ આગવું છે, કબર આગવી છે.

– જલન માતરી

Comments (5)

રંગીન પરપોટા થયા – ગની દહીંવાળા

અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા  થયા.

ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.

ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.

ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.

રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.

ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.

આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.

– ગની દહીંવાળા

મીણના ટાંકણાના માલીક ગનીચાચા જ મરણ વિશે આટલી કોમળ ગઝલ કંડારી શકે.

(ઓસાણ=સ્મરણ, અથરા=અધીરા)

Comments (10)

બે ભાગમાં – મનોજ ખંડેરિયા

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં

દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં

હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં

-મનોજ ખંડેરિયા

Comments (8)

વાયરા ધીરા ધીરા કળપે – ઊજમશી પરમાર

કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.

લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.

હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?

વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.

જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.

– ઊજમશી પરમાર

સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…

Comments (9)

વરસો પછી – અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

– અઝીઝ ટંકારવી

Comments (11)

આખરી વેળાનું – રાજેન્દ્ર શુક્લ

આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

-રાજેન્દ્ર શુક્લ

એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…

Comments (6)

ગીતો વસંતનાં – ચંદ્રેશ ઠાકોર

ઘંટ નથી શંખ નથી ગૂંજે છે સૂર આ તો ફાગના
ઘેલી હું તો સાંભળું છું હળુહળુ પગલાં વસંતનાં.

આયખાની બપ્પોરે ક્યાં મને પડી’તી
કે લીલાં પણ થઈ જશે પીળાં
અને રાચું છું આજે હું પાનખરી મેળામાં
જોઈ જોઈ ડોકિયાં વસંતનાં
આંજી એનો જાદુ મારી આંખમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

ઉજ્જડ બેઠી બધી ડાળીઓ ઉદાસી
ને સોરાતાં વનરાજી નીર
ફેંકે એક કંકર જોને ટીખળી વસંત
પાંખે લીલાં સ્પંદનનાં ચીર
ઘોળી ચૈતન્ય આ નખરાળા ઠાઠમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

નીંદરેથી જાગી ઊઠી શરણઈઓ લીલી
ને માલણના છાબ જાણે ખૂટ્યા
મહિયરને માણવા દીકરી આવી
એવાં આંગણનાં ચ્હેરા છે મલક્યા
મોજીલી હું તો લઈ લીલાં ઓવારણાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

– ચંદ્રેશ ઠાકોર

વસંતને વધાવતું પ્રસન્ન ગીત.

Comments (3)

વચમાં જ્યાં થાય – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……

Comments (9)

અનંતે સરું – મકરંદ દવે

મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.

જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.

મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.

મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.

હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.

-મકરંદ દવે

ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..

Comments (5)

રાતે વરસાદ – જયન્ત પાઠક

નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;

કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.

તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;

પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.

પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ

બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !

પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !

– જયન્ત પાઠક

ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.

આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…

(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)

Comments (7)

ના જોઈએ – ગુણવંત ઉપાધ્યાય

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

– ગુણવંત ઉપાધ્યાય

આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…

Comments (6)

ગઝલ – અરુણ દેશાણી

કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.

શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.

સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.

સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.

-અરુણ દેશાણી

હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…

Comments (4)

સપનાં – નીતિન મહેતા

ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે

ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે

જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય

તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે

આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.

– નીતિન મહેતા

સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.

(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)

Comments (5)

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.

મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

આ ગઝલના ત્રણ શેર પહેલા પણ ખબર હતા. આજે અચાનક આખી ગઝલ હાથ લાગી ગઈ. ર.પા.ના શબ્દચિત્રોની વાત જ અલગ છે. ઝાંઝવા એમના ગીત અને ગઝલ બન્નેમાં વારંવાર આવે છે. અહીં તો ઘરની હવામાં ભટકતા ઝાંઝવાની કલ્પના એક જ લસરકે અતૃપ્ત ઈચ્છાઓની આખી ભૂતાવળને તાદૃશ કરી દે છે. એ પછી એ અતુપ્ત ઈચ્છાઓનું ‘લેંડિગ’ કવિ હાથની રેખાનોના ‘રન વે’ પર કરાવે છે. અપ્રાપ્ય ભવિષ્યમાં કેદ સઘળી અતૃપ્ત ઈચ્છાઓ ! પાનખરનો ભાર ઝીલી જતું વૃક્ષ વસંતનો ભાર જીરવી શકતું નથી. દિવસે જે સપના કનડે છે એ બધા રાત્રે ઊંઘને સૂનકાર કરીને છટકી જાય છે. ત્રીજા શેરને ઊંચે લઈ જતો શબ્દ છે – મરણગતિ. આ મરણગતિ એટલે શું ? મરણગતિ એટલે મરણની જેમ, એટલે કે એકવાર મળીએ તો પછી કદી છૂટા ન પડે એવું મિલન. પણ આવા મિલન માટેના બીજા બધા શબ્દોને બદલે આ શબ્દ વાપરીને કવિ શેરને કાળીમેશ ધાર કાઢી આપે છે. ને છેલ્લા શેરમાં, નિરાંત જોઈતી હોય તો દીવાલ પરના ફોટામાં જ મળશે એવો ટાઢો ડામ હળવી ભાષામાં આપીને કવિ ગઝલ પૂરી કરે છે.

Comments (12)

ગઝલ – હરીન્દ્ર દવે

બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

-હરીન્દ્ર દવે

Comments (9)

અ-પ્રતિભાવ – જગદીશ જોષી

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.

થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.

તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.

-જગદીશ જોષી

જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..

Comments (3)

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

*

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

Comments (9)

મારા વડે – ‘અગમ’ પાલનપુરી

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !

Comments (4)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પ્રપંચ-ખટપટ-રમત નિરંતર,
રમે-રમાડે જગત નિરંતર.

ઘણુંય વ્હાલું બધું છતાંયે,
કહો, ખરેખર ગમત નિરંતર ?

ઊભો રહ્યો તું, ગુન્હો જ તારો,
વહ્યા કરે છે વખત નિરંતર.

કદીક બાહર કદીક અંદર,
કદી ન અટકી લડત નિરંતર.

અમૂલ્ય જે કૈં અહીં જગતમાં,
તને મળ્યું છે મફત નિરંતર.

સતત ભક્તની થતી કસોટી,
સુખી રહ્યા બગભગત નિરંતર.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (8)

…અથવા પ્રભુ તું ન મળે તો સારું – દિનેશ દલાલ

હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

– દિનેશ દલાલ

ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણને શા માટે કશું માગવા સાથે સાંકળવી ? એ તો મુક્તિની ક્ષણે સોનાની સાંકળ માગવા બેસવા જેવી વાત થઈ.

Comments (10)

સૈંયર, શું કરિયેં? – અનિલા જોષી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?

ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?

મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?

પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?

– અનિલા જોષી

જ્યારે કોઈ ગીત વાંચીને લાગે કે આ તો લોકગીત હશે અને પછી એ ન લોકગીત ન નીકળે ત્યારે માનવું કે એ સો ટચનું ગીત છે. વાત તો એ ની એ જ છે – પ્રેમ રંગે રંગાતી જતી નાયિકા સખીને પોતાના મનની મૂંઝવણ કહે છે. પણ ગીત તરત જ મહેકી ઊઠે એવું થયું છે.

Comments (10)

પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.

કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.

નીલ વર્ણનું અંબર એમાં સોનલ વરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.

-હરીન્દ્ર દવે

Comments (6)

પ્રેમની પાર- ઓક્તોવિયો પાઝ – અનુ.- નલિન રાવળ

આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે

ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.

– ઓક્તોવિયો પાઝ

અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.

આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..

આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….

Comments (1)

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

વંચાતો નથી ! – દક્ષા બી. સંઘવી

ફૂલ ખરવું આમ તો ઘટના સહજ;
ડાળથી વિચ્છેદ, વંચાતો નથી !

પ્રેમ જેવા પ્રેમની બેઠી દશા;
શબ્દમાં છે કેદ; વંચાતો નથી !

નાવડીનું ડૂબવું નક્કી હવે;
એક નાનો છેદ; વંચાતો નથી !

આયનાની બા’ર-અંદર-બા’ર છું,
છે જરા શો ભેદ; વંચાતો નથી !

છોડવાથી એમ ક્યાં છૂટે કશું,
આંખમાં નિર્વેદ વંચાતો નથી !

– દક્ષા બી. સંઘવી

આમ તો આ ગઝલમાં મત્લા ગેરહાજર છે પણ બાકીના બધા જ શેર એટલા પાણીદાર થયા છે કે આ ગઝલ લયસ્તરોના વાચકો સાથે share કરવાની લાલચ રોકી શકતો નથી…

Comments (6)

દુ:ખની ધરતીના અમે છોડવા – ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા;
સુખના કેવા આભાસ ?     દુ:ખની 0

લીલાં લીલાં અમારાં પાંદડાં,
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય !   દુ:ખની 0

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યા ?
આ તે કેવા વિશ્વાસ ?         દુ:ખની 0

નિતની વિપત કરી વેગળી
માનવી શી વિધ સરજ્યે જાય ?
જાગે જગાડે નવી જિન્દગી
સુખની ભારે નવાઈ !        દુ:ખની 0

– ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા એટલે કે આપણે, મનુષ્યો.  મનુષ્યનાં ઘડતર અને વિકાસમાં દુ:ખનું યોગદાન મહત્તમ હોય છે.  દુ:ખની ઘટમાળમાંથી પણ મનુષ્ય  સુખ મેળવવાનાં રસ્તા આખરે શોધી જ લે છે.  મનુષ્યની લીલપરૂપી તાજગી, ફુલડારૂપી આનંદ અને સુંગધિત સપનાંઓનો મૂલાધાર છે, દુ:ખની ધરતી.   દુ:ખ મનુષ્યને સુખની આશા અને એના આવવાની શ્રદ્ધા આપે છે.  સુખનો સાચો આધાર દુ:ખ જ છે…

Comments (2)

રાત્રીની આંખોમાં – સુધીર દેસાઈ

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.

વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.

ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ.
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલા મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

– સુધીર દેસાઈ

રાત્રી તો વાંક નથી. એ તો પોતાની આંખોનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

છપ્પા : અક્ષર અંગ – ધીરુ પરીખ

એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.

અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.

– ધીરુ પરીખ

આધુનિક છપ્પાનું નિશાન છે લેભાગુ લેખકો.

Comments (15)

સખી – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિષે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કઈ તરફ વ્હેતું કરું .

– મુકેશ જોષી

Comments (11)

કોનો વાંક ? – મકરંદ દવે

કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક.

આજ આ છેડે નીરખી રહીશ
મૂરતિ તવ મધુર,
કોઈ ઝીણેરા તારલા જેવી
સરતી દૂર-સુદૂર;
શૂન્યમાં સૌ સરતાં ભલે
ભણતો જઈશ આંક-
કોનો ગણવો વાંક ?

વળતી નજર વીણતી જશે
કોઈ વિલાયાં ફૂલ,
ખીલતાંને હું ખોજવા કેરી
કરીશ નહીં ભૂલ;
પૂરતી મારે પાંખડી સૂકી
રહી સહી જે રાંક-
કોનો ગણવો વાંક ?

અચ્છા, તારે મારગ હસો
નિત વસંતની લીલા,
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?

– મકરંદ દવે

……અંતે તો એકલા જ ચાલવાનું છે……..

Comments (5)

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોના સહસંપાદિકા મોના નાયક તથા એના જીવનસાથી ચેતનને સફળ દામ્પત્યજીવનના સોળ પગલાં પૂર્ણ કરવા બદલ લયસ્તરો તરફથી હાર્દિક અભિનંદન !

લગભગ બધા જ શેર સરસ થયા છે પણ મને મનનું તમસ હણવાની વાત અને પગરવના રણઝણવાની વાત વધુ ગમી ગઈ…

Comments (34)

હતી – લક્ષ્મી ડોબરિયા

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !

હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !

લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !

એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !

લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !

– લક્ષ્મી ડોબરિયા

એક મજાની ગઝલ, મારી જરાય નોંક-ઝોંક વિના !

Comments (8)

નથી જો લાગણી તો શું થયું? – હિમાંશુ ભટ્ટ

નથી જો લાગણી તો શું થયું ? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની કેટલીક ગમતી ગઝલોમાંની મારી એક પ્રિય ગઝલ.  બધા શેર ખૂબ જ ગહન અને સુંદર થયા છે… એક તરફ સખીનાં શણગારવાળા શેર પર આપોઆપ આફિન થઈ જવાય છે તો બીજી તરફ સફળતાથી છકી ન જવાય એ માટેની કવિની સલાહ પણ પરાણે ગમી જાય એવી છે.   લગભગ ચારેક વર્ષ પહેલા આ ગઝલ હિમાંશુભાઈએ એમના કાવ્યપઠન સાથે ગાગરમાં સાગરની બીજી વર્ષગાંઠની ઉજવણી વખતે મોકલાવી હતી… એ જરૂરથી સાંભળશો. (હવે બીજી નવી નક્કોર ગઝલો મોકલવાનો સમય થઈ ગયો છે, હિમાંશુભાઈ! 🙂 )  કવિનાં સ્વમુખે એમની જ ગઝલનું કાવ્યપઠન સાંભળવું, એ પણ એક ખૂબ જ મજાનો લ્હાવો છે.  આની સાથે મને એમની એક ગઝલનો અમર થવાને સર્જાયેલો મારો એક ખૂબ જ પ્રિય શેર યાદ આવે છે – ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

Comments (10)